ન્યાય માટે લડનારી વીર મહિલા ‘સર્વાઈવર્સ’ ની કૂચ
પુલવામામાં શહીદ થયેલા જવાનોને અંજલિ આપવા દેશભરમાં કૅન્ડલ માર્ચ નીકળી રહી હતી. એ દિવસોમાં દેશમાં કેટલીક જગ્યાએ બીજી પણ એક માર્ચ યોજાઈ રહી હતી. તેનું નામ હતું ડિગ્નિટી માર્ચ અથવા તો ગરિમા યાત્રા.
ચોવીસ રાજ્યોમાંથી પસાર થયેલી આ યાત્રાનો ઉદ્દેશ યૌન (સેક્સ્યુઅલ) હિંસા અને તેની સામે લડી રહેલી વીર મહિલાઓના સંઘર્ષને દેશભરમાં જાહેર વાચા આપવાનો હતો. આવી સેંકડો મહિલાઓ કૂચમાં જોડાઈ હતી, એટલું જ નહીં પણ તેમના પરના અત્યાચાર-અન્યાય સામે જાહેર સભાઓમાં બોલતી પણ હતી. તેમાં તેમનું સ્થાન – સમાજનો જડ વર્ગ માને છે તેમ – દુષ્કર્મ ‘પીડિતા’ કે કલંકિતા તરીકેનું નહીં પણ પ્રતિરોધિતા એટલે કે સામનો કરનાર તરીકેનું હતું. અંગ્રેજીમાં તેના માટે ‘રેપ સર્વાઈવર’ એવો ધોરણસરનો શબ્દ છે.
બીજી મોટી વાત એ કે બધી સર્વાઇવર્સ ગામડાંમાં રહેનાર ગરીબ દલિત અને આદિવાસી સમુદાયોની હતી. એટલે ગરિમા યાત્રા વંચિતો માટેની ‘મી ટૂ’ ચળવળ બની. આ ચળવળ કી-પૅડ અને કી-બોર્ડ પર ટપટપ કરતી આંગળીઓથી નથી ચાલી. તે ચાલીચાલીને છાલા પડતા પગથી આગળ વધી. દિવસોની મુસાફરી અને ધર્મશાળાઓમાં આશરો, ગળું બેસી જાય ત્યાં સુધી નારા પોકારવાના ને વ્યથાનાં વીતક માઇક પર માંડવાનાં. ઘા પરની ખપરડીઓ ફરી ને ફરી ખોતરવાની. ગૅન્ગ રેપ, મજૂરીની જગ્યાએ બળાત્કાર, ફસામણી-હરાજી-વેચાણ, અપહરણ-બળાત્કાર-મારપીટ, નાતને કારણે ફરજિયાત બનતો દેહનો ધંધો, કહેવાતા ઊંચા ઘરના આદમીની હવસ અને પછી ધમકી, ડાકણ તરીકે ડામ દઈને વિધવાની નિર્વસ્ત્ર બારાત, સગીર બાળાઓનો હાઇવે પર સપ્લાય, ખુલ્લામાં જાજરૂ માટે કે શાળામાં ભણવા માટે જતાં-આવતાં જુલમ. આ બધાં જુલમો વિશે સર્વાઈવર્સ જાહેરમાં કહી શક્યા તેની પાછળની સમજ એમ છે કે : ‘પહેલે કુછ બોલા હી નહી જાતા થા. પર ગલત હમ નહીં હૈ, ગલત વો લોગ હૈ, ગલત વો સમાજ હૈ. ગલત સોચ કો મિટાને કે લિએ યે યાત્રા નિકાલી હૈ.’
આમ કહેતી મહિલાઓ અને તેમનામાંથી કેટલાકના પરિવારજનો સહિત ગરિમા યાત્રામાં પાંચેક હજાર લોકો જોડાયા હતા. યાત્રા વીસમી ડિસેમ્બરે મુંબઈમાં શરૂ થઈ અને બાવીસમી ફેબ્રુઆરીએ દિલ્હીનાં રામલીલા મેદાનમાં એક મોટા કાર્યક્રમથી પૂરી થઈ. પાંસઠ દિવસની આ યાત્રાએ તેના દસ હજાર કિલોમીટરના માર્ગમાં બસો જિલ્લા આવરી લીધા હતા. રાષ્ટ્રીય ગરિમા અભિયાન નામના મંચના નેજા હેઠળ દેશભરનાં સામાજિક સંગઠનો (એન.જી.ઓ.) અને નાગરિક સમાજ જૂથો(સિવિલ સોસાયટી ગ્રૂપ્સ)એ યોજેલી આ ડિગ્નિટી માર્ચને ગુજરાતની ત્રીસેક સંસ્થાઓએ ટેકો આપ્યો હતો. આપણે ત્યાં ગરિમા યાત્રાની સભાઓ દેવગઢ બારિયા, બાલાસિનોર, વડોદરા, અમદાવાદ અને ઇડરમાં યોજાઈ હતી. તેનું સંકલન મુખ્યત્વે ‘આનંદી’ અને ‘હ્યુમન ડેવલપમેન્ટ ઍન્ડ રિસર્ચ સેન્ટર’ નામની એન.જી.ઓ.એ કર્યું હતું.
ડિગ્નિટી માર્ચનો ઉદ્દગમ અભિયાને કરેલા એક ઑનલાઈન સર્વેમાંથી થયો. તે મુજબ બાળકો અને સ્ત્રીઓ પર થતા યૌન અત્યાચારોમાંથી 95% બહાર આવતા નથી, અને માત્ર 2% કિસ્સામાં જ પોલીસ ફરિયાદ થાય છે. કલંક કે જોખમના ડરથી ફરિયાદ થતી જ નથી. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરોના આંકડા બતાવે છે કે પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ નોંધવામાં આવેલાં ગુનાઓમાં મોટા ભાગના દલિત અને આદિવાસી સ્ત્રીઓ પરના હુમલા અને બળાત્કાર અંગેના હોય છે. આ મહિલાઓ પરના કેસોમાંથી ચોથા ભાગના કેસોમાં 2016ના આખર સુધીમાં તપાસ બાકી હોવાનું બ્યુરોના આંકડા બતાવે છે. ખરેખર તો કાનૂન મુજબ ગુનો નોંધાયા બાદ એક મહિનામાં તપાસ પૂરી કરવાનું ફરજિયાત છે. 2016ના આંકડા મુજબ દલિત સ્ત્રીઓ પરના બળાત્કારના કોર્ટમાં દાખલ કરવામાં આવેલા 8,259 કેસોમાંથી વર્ષના અંતે 87% પેઇન્ડિન્ગ છે, અને 3.7 % કેસમાં સજા થઈ છે. આ આંકડો આદિવાસી સ્ત્રીઓની બાબતમાં અનુક્રમે 86.8 % અને 2.8% છે.
ગરિમા યાત્રામાં ભંવરીદેવી પણ હતાં. રાજસ્થાનનાં ભટેરી ગામમાં ઉપલી ગણાતી જાતિના પાંચ નરાધમોએ ભંવરીદેવી પર 22 સપ્ટેમ્બર 1992ની સાંજે તેમનાં ખેતરમાં બળાત્કાર ક ર્યો.તેનું કારણ એકે રાજસ્થાન સરકારના સમાજ સુધારણા કાર્યક્રમના કાર્યકર ભંવરીદેવી બાળલગ્નો અટકાવવાની કોશિશો કરી રહ્યાં હતાં. તેમણે બહુ જ વેઠીને ન્યાય માટે લડત આપી. પણ જિલ્લા અદાલતે નરરાક્ષસોને નિર્દોષ છોડી મૂક્યા. આ ચૂકાદાની સામે દેશભરમાં વિરોધનો વંટોળ જાગ્યો. તેને કારણે સર્વોચ્ચ અદાલતે કામનાં સ્થળે જાતીય સતામણી અટકાવવા અંગેનાં માર્ગદર્શક સૂચનો બહાર પાડ્યાં. દેશ અને દુનિયામાં કેટલાંક સન્માન અને સહાય મેળવનારાં ભંવરી દેવી પરની ‘બવંડર’ (2000) નામની અસરકારક ફિલ્મ બની છે. ભંવરી દેવી કહે છે કે ન્યાય માટેની તેમની લડત આજે પણ ચાલુ જ છે. ભંવરીદેવી ભારતનાં એક આદ્ય આદરણીય રેપ સર્વાઇવર છે. તેમનાં પહેલાં પણ મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, હરયાણા અને ઉત્તર પ્રદેશ એ દરેક રાજ્યમાંથી ઓછામાં ઓછા એક સર્વાઈવર બહેન પોલીસે કરેલા કસ્ટોડિયલ રેપ સામે લડ્યાં હતાં. અદાલતમાં તેમની જીત ન થઈ, પણ એમની પ્રેરણાથી નારીવાદી ચળવળ મજબૂત બની.
બધી સર્વાઈવર્સનાં વીતક જાણીતાં ન થયાં. જેમ કે, જયપુરમાં વીસ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરિઝ પછી દિલ્હીની ‘એઇમ્સ’માં મોકલવામાં આવેલી રાજસ્થાનની સગીરા કે તામિલનાડુના તિરુનાવેલ્લી જિલ્લાના દૂરનાં ગામ આલાગુલમમાં યુવાન માફિયાએ કરેલા બળાત્કાર વિરુદ્ધ લડી રહેલાં સાઠ વર્ષનાં દલિત મહિલા. નીચ આસારામ સામે ફરિયાદ કરનાર ઉત્તર પ્રદેશની સગીરા અને પછી સૂરતની મહિલા, ગોધરાકાંડને પગલે બળાત્કારનો ભોગ બનનાર યુવતી, પાટણની કૉલેજની અને પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓની લડતોને કેમ ભૂલી શકાય ?
સર્વાઇવર્સનાં નામ મોટે ભાગે બદલવામાં આવતાં હોય છે, અથવા બિલકુલ આપવામાં આવતાં નથી. પણ કોલકાતાની પાર્ક સ્ટ્રીટ પર ફેબ્રુઆરી 2012માં સામૂહિક બળાત્કારનો ભોગ બનનાર, બે દીકરીઓનાં માતા સુઝેટ જૉર્ડન (1975-2015) પહેલેથી જ પોતાનાં નામ સાથે અનેક અવરોધો વચ્ચે ન્યાય માટે લડ્યાં. એક સીમાચિહ્ન સમી વાત જેનું નામ નિર્ભયા પાડવામાં આવ્યું તેની માતાએ 16 ડિસેમ્બરે 2015ના દિવસે ચૅનલોને આપેલી મુલાકાતમાં કરી હતી : ‘મારી દીકરીનું સાચું નામ લેવામાં મને કોઈ શરમ નથી. જે સ્ત્રીઓએ વેઠ્યું છે તેમણે શરમ અનુભવીને તેમનું નામ છૂપાવવું ન જોઈએ. મારે દરેકને કહેવું છે કે મારી દીકરીને આજથી બધા જ્યોતિ સિંગ તરીકે જ ઓળખશે.’
સર્વાઈવર ફરિયાદ કરવાનું નક્કી કરે ત્યારથી તેનાં શરીરની અને સ્વમાનની, લોકો સાથેના સંબંધોની અને રોજબરોજની જિંદગીની લગભગ જાહેર તાવણી શરૂ થઈ જાય છે. તે એક યા બીજા અર્થમાં મોટે ભાગે આખી જિંદગી, ચાલુ જ રહે છે. બળાત્કાર એ કદાચ એક માત્ર ગુનો છે કે જેમાં ગુનો કરનારને નહીં પણ ગુનાનો ભોગ બનનારને ઓળખ છૂપાવવાની આવે છે. આપણા પ્રકારના લાંછનદાયી માહોલમાં બળાત્કાર પછી જીવતા રહેવાની ઇચ્છા એ પોતે જ જીવનશ્રદ્ધા ગણાય.
બાય ધ્ વે, ગરિમા યાત્રા પૂરી થતાં ઉત્તર પ્રદેશનાં એક નાનાં ગામની સગીર રેપ સર્વાઇવરના મા-બાપ ઘરે પાછાં ફર્યાં. તેના ત્રીજા દિવસે તેમનાં પર, આરોપીના સંબંધીઓનાં 35-40 હેવાનોનાં ટોળાંએ મોટો હુમલો કર્યો. દંપતી ઉપરાંત બે સગીર દીકરીઓ અને તેમની દાદીમાને ઘાયલ કર્યાં. ગરિમા યાત્રામાં જોડાઈને બળાત્કાર વિરુદ્ધ વાત કરવાની આ સજા હતી !
*****
07 માર્ચ 2019
e.mail : sanjaysbhave@yahoo.com