Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9335301
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સવાલ સ્વાયત્તતાનો : કાં સરકારગત, કે પછી કોર્પોરેટગ્રસ્ત !

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|11 July 2015

સવાલ સ્વાયત્તતાનો : કાં સરકારગત, કે પછી કોર્પોરેટગ્રસ્ત !

રે અક્ષરકર્મી, ઉમાશંકર પૂછે છે, દેશ તો આઝાદ થાતાં થઈ ગયો … તેં શું કર્યું?

શુક્રવારે સવારે છાપાંમાં જોઉં છું તો અભિનેતા અનુપમ ખેરની એ ટિપ્પણી સહેજે ધ્યાન ખેંચે છે કે ભારત સરકારે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટના અધ્યક્ષપદે જેમની નિયુક્તિ કરી છે એમનો આ કામગીરી અને જવાબદારી માટેનો અધિકાર અને પાત્રતા મુદ્દલ નથી. અનુપમ ખેરની આ ક્ષેત્રે જે મહારત છે. એ જોતાં ખેરની વાતને વજન આપવાપણું છે. કિરણ અને અનુપમ ખેર વિચારધારાકીય રીતે સંઘ પરિવારની રાજકીય પાંખ ભણી સંધાન તેમ ઝુકાવ સારુ જાણીતાં છે. એટલે ગજેન્દ્ર ચૌહાણને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં ધરાર બેસાડવા પાછળ દેખીતી રીતે જ વિચારધારાકીય સંધાન ઉપરાંત કહ્યામાં રહી શકતી મીડિયોકર મહાનુભાવતા માટેનું વલણ ઢેકો કાઢ્યા વગર રહેતું નથી.

વિશ્વપ્રતિષ્ઠ અમર્ત્ય સેને પોતે આ દિવસોમાં નાલંદામાં અપ્રતિમ આધુનિક વિદ્યાતીર્થ ઊભું કરવા માટેના પ્રકલ્પમાં કેન્દ્રમાં નમો સરકાર બન્યા પછીની રૂકાવટ વિશે અસંદિગ્ધ શબ્દોમાં કહ્યું છે. પોતે સંકેત સમજી ચૂપચાપ ખસી જઈ શક્યા હોત, પણ એમણે શૈક્ષણિક સ્વાતંત્ર્ય અને લોકશાહી મૂલ્યોના દાયરામાં આખો મુદ્દો મૂકવાનું પસંદ કર્યું એ સૂચક છે. આઈ.આઈ.એમ.ની ટાપુલોક તાસીર બેલાશક બહસની બાબત છે, પણ એની સ્વાયત્તતા પર સરકાર તરફથી શરૂ થયેલી તરાપ ચેષ્ટા વિશે શું કહેવું, સિવાય કે મોદી શાસનમાં તમે કાં તો સરકારગત હો કે પછી સરકારતરફી કોર્પોરેટગ્રસ્ત હો, એ જ તમારી નિયતિ છે અને એમાં જ તમારી ‘મુક્તિ’ છે.

વસ્તુત: વ્યાપક અને મૂળભૂત સમજને ધોરણે નિ:સંકોચ કહી શકાય કે સત્તાનું કેન્દ્રીકરણ તે શાસનમાત્રના હાડમાં પડેલું લક્ષણ છે. લોકશાસને સ્વાયત્ત અને બંધારણીય સંસ્થાઓનો મહિમા કરીને શાસનમાત્રમાં પડેલ આ લક્ષણનો ડંખ કાઢવાની રૂડી પ્રયુક્તિ નિપજાવી જાણી છે. અલબત્ત, પ્રયુક્તિ માત્રને મેદ અને કાટ ન ચડે તે જનતંત્રને જણનારી જનતાએ જોવાનું રહે છે. એમાં પણ ઇન્દિરા ગાંધીની કક્ષાએ વ્યક્તિગત સત્તાકાંક્ષા પ્રગટ થાય ત્યારે અગર તો એકહથ્થુ વિચારધારાવાદ અને વ્યક્તિગત એકાધિકારવાદ એકત્ર આવે ત્યારે લોકની જવાબદારી વધી જાય છે, કેમ કે તે જનમનારી એટલે કે પ્રજા નથી પણ જણનારી એટલે કે જનતા છે.

રવિવારે અમદાવાદમાં મળી રહેલા સ્વાયત્તતા સંમેલનને આ વ્યાપક સંદર્ભમાં જોવામૂલવવાની જરૂર છે. એનું તત્કાળ નિમિત્ત અલબત્ત એક સ્વાયત્ત હોઈ શકતી અકાદમીના સરિયામ સરકારીકરણથી લાગેલા ધક્કાનું છે, પણ વાત માત્ર આટલી જ નથી. જમણે અંગૂઠેથી એકવાર કળિ પેઠો અને આપણે જોયું ન જોયું કર્યું એટલે આખર જતાં કામથી ગયા સમજો. અમર્ત્ય સેન અને રામચંદ્ર ગુહાથી માંડીને પ્રતાપભાનુ મહેતાએ મોદીના વડાપ્રધાનકાળમાં શૈક્ષણિક ને સર્જનાત્મક ક્ષેત્રો પર કબજો જમાવવાનું જે વલણ નોંધ્યું છે એની ગુજરાતને નવાઈ નથી. મુખ્યમંત્રી મોદીનો પૂર્વાર્ધ 2002ની જવાબદારીની રીતે ચર્ચામાં રહ્યો અને ઉત્તરાર્ધ ‘વિકાસ’ના વૃંદવાદનની રીતે સુરખીઓમાં રહ્યો.

બાકી, 2003માં જ એમણે સ્વાયત્ત અકાદમીને સુષુપ્ત કે મૂર્છિત જેવી કરી નાખીને પોતાની પ્રતિભા પ્રકાશિત કરી જ હતી. હાલના મુખ્યમંત્રી સ્વાભાવિક જ ‘એક કદમ આગે’ના ખયાલમાં હશે કે ગમે તેમ પણ એમણે ખાસાં બાર વરસને અંતરે પરબારી અધ્યક્ષનિયુક્તિનો રાહ લીધો છે. ભાઈ, અકાદમીની એક ‘જનરલ બોડી’ હોય અને એ પોતે અધ્યક્ષ ચૂંટે એટલો સાદો વિવેક પણ કોઈને ન સૂઝયો? વસ્તુત: ઉમાશંકર-દર્શકની પરંપરામાં જે તે સરકાર સાથે જરૂરી મંથનમુકાબલાથી બની આવેલી સ્વાયત્ત અકાદમી એક મોટી વાત હતી. તે ગઈ એટલું જ નહીં ઉઘાડે છોગ બંધારણ ભંગ અને મૂલ્યહ્ાસની આ પ્રક્રિયા સાથે જોડાનારા અક્ષર કર્મીઓ પણ મળી રહ્યા. બને કે, એમને કદાચ ખયાલ જ ન હોય કે સોસાઈટી એકટ મુજબ રજિસ્ટર્ડ સંસ્થા (અકાદમી) પરત્વે સરકાર કને આવો કોઈ અખત્યાર જ નથી.

આ ચર્ચામાં ઉમાશંકર અને દર્શકનાં નામ વાજબીપણે જ આગળ ધરાતાં રહ્યાં છે. પણ 1987માં ધરાર સરકારી અકાદમીમાંથી સરપ ધ્રુવ, વીનેશ અંતાણીથી માંડીને રમણલાલ જોશી સહિતનાં જે નવેક રાજીનામાં ઉપરાછાપરી પડ્યાં હતાં એણે આગળ ચાલતાં અકાદમીના લોકશાહીકરણનો પથ પ્રશસ્ત કર્યો હતો. કાશ, હાલ જોડાઈ ગયેલા અક્ષરકર્મીઓને આટલોયે ઇતિહાસબોધ હોય! જ્યાં સુધી રાજ્ય સરકારનો સવાલ છે, એને પોતાની મનમાની બાબત કાં તો ગતાગમ નથી કે પછી ધોરાજી હંકારવાનું ફાવી ગયું હશે. નિરંજન ભગત અને ધીરુ પરીખ જેવાને સામેથી મળવાનું તો છોડો, મુલાકાત આપી સાંભળવાનું સામાન્ય સૌજન્ય દાખવવાનુંયે અઠવાડિયાંના અઠવાડિયાં વીત્યાં છતાં એને સૂઝતું નથી.

ખબર નથી, પંદરમી ઓગસ્ટની અવધ સુધીમાં સરકારને એ વાતનો અંદાજે અહેસાસ જાગશે કે આપણે કોઈ સામંતી સામ્રાજ્યશાહી ગાદીએ બેઠેલ નથી પણ પ્રજાસત્તાક સ્વરાજની ગાદીએ બેઠા છીએ. બાકી, સરેરાશ અક્ષરકર્મીમાં જરીકે નાગરિક સુધબુધ હોય તો રવિવારનું સંમેલન એને ઉમાશંકરી પરંપરામાં કદાચ ઝંઝેડી શકે કે દેશ તો આઝાદ થાતાં થઈ ગયો તે શું કર્યું: અમર્ત્ય, રામચંદ્ર, પ્રતાપભાનુ, થોભો અને રાહ જુઓ … ગુજરાત સળવળી પણ શકે!

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 11 જુલાઈ 2015

http://www.divyabhaskar.co.in/news/ABH-uma-shankar-asks-if-the-country-has-been-liberated-5048864-NOR.html

Loading

રશિયન લેખક રસૂલ હમજાતોવ માટે માત્ર તેમના વાચકો જ સર્વોપરી હતા

સુમન શાહ|Opinion - Literature|11 July 2015

ગયા શનિવાર[04 જુલાઈ 2015]ના લેખમાં, રસૂલ હમજાતોવના 'મારું દાઘેસ્તાન' વિશે મેં જે વાતો કરી તે દર્શાવે છે કે લેખકમાં તળપદનું કેવું તો મૉંઘેરું શાણપણ છે. જો કે પુસ્તકમાં એમણે સાહિત્યના યુનિવર્સિટી-અભ્યાસક્રમો વિશે તેમ જ સમ્પાદક વિવેચક અનુવાદક અને વાચક નામની સાહિત્યસંસાર સાથે અનિવાર્યપણે જોડાયેલી હસ્તીઓ વિશે પણ વ્યંગભરી ઉપકારક વાતો લખી છે :

યુનિવર્સિટી-અભ્યાસક્રમોમાં, સર્જનની સરખામણીએ ક્રમશ: વિવેચનનું આધિપત્ય — એવું લગભગ બધે હોય છે. પોતાને ત્યાંની પરિસ્થિતિ વિશે રસૂલ કહે છે : પ્રથમ વર્ષમાં, ૨૦ કવિઓ, ૪ ગદ્યલેખકો અને એક નાટ્યકાર. બીજામાં, ૧૫ કવિઓ, ૮ ગદ્યલેખકો, ૧ નાટ્યકાર, ૧ વિવેચક. ત્રીજામાં, ૮ કવિઓ, ૧૦ ગદ્યલેખકો, ૧ નાટ્યકાર અને ૬ વિવેચકો. પાંચમામાં, ૧ કવિ, ૧ ગદ્યલેખક, ૧ નાટ્યકાર અને બાકી બધા વિવેચકો ! : આની તુલનામાં આપણે ત્યાં કેવું છે તે લાગતાવળગતાઓ જણાવે, તો થાય …

રસૂલે સમ્પાદકો બાબતે આવું આવું કહ્યું છે: 'પ્રિય સમ્પાદક'-નો લહેકો કરી એક જણાને લગીર વ્યંગ વાપરીને કહે, તમે સમ્પાદકોના શાણા અને માયાળુ પ્રકારમાં આવો છો. તમારી જોડે કામ કરવામાં મઝા આવે છે. ખાતરી રાખજો કે મારી હસ્તપ્રતના હાંસિયામાં તમારી બહાલી વ્યક્ત કરવા તમે અંકિત કરેલા કોઈ પણ ઉદ્દગારચિહ્નની અથવા તમારા એક પણ પ્રશ્નાર્થચિહ્નની હું અવગણના નહીં કરું. પૂરેપુરું ધ્યાન આપીશ: અવળું પણ કહે છે, હું કવિ તરીકે જે જાહેર કરવાની ધગશ અનુભવતો હોઉં એને ઢાંકી ન દેશો. અને મારી પંક્તિઓ અલંકારો તથા ભાતો વિશે શંકા ન ઉઠાવશો. મારા ગાલીચાની ભાતમાં ખામી હોય તો પણ કોઈને મિટાવી દેવા કે ઘસી નાખવા ન દેશો — કેમ કે એથી તો ધાબું જ પડે, ધબ્બો કે કાણું જ પડે.

રસૂલ કહે છે કે વિવેચક વિશે ઝાઝું ન કહેવું જ સારું છતાં ઉમેરે છે કે હું એને થોડીક સલાહ આપું. એમ કહીને એમણે ૧૦ સલાહો આપી છે. રસૂલે પોતે જણાવ્યું છે એમ એ સલાહોમાં 'નવું' કશું નથી. પણ બે સલાહો મજાની છે : ૧ : (ઘણું વાંચ્યાની બડાશો મારનારા વિવેચકોને કામ આવે એવી સલાહ) : ખીસાં ખાલી હોય તો અમીર દેખાવાનો ડોળ ન કરવો : ૨ : (ગપ્પાંબાજીથી કામ ચલાવતા વિવેચકોને કામ આવે એવી સલાહ) : લાંબા સમયથી વતનના ગામે જવાનું ન થયું હોય અને ત્યાંની હાલત વિશે કશી ખબર ન હોય તો કદી ન કહેવું કે હું હમણાં જ ત્યાંથી આવ્યો છું !

પોતાના લોકોની સાહિત્યપ્રીતિ બાબતે રસૂલને ઘણો ગર્વ છે. કહે, અવાર લોકોને જેટલો પરિચય પોતાના સાહિત્યનો છે એટલો જ પરભાષાની અનેક અનૂદિત સાહિત્યકૃતિઓનો પણ છે. રસૂલે અનુવાદ અને અનુવાદક વિશે કહેતાં, પોતાના બાપુને મળેલા પારિતોષિકની વાત કરી છે. કહે, રશિયન ભાષાના જાણકાર ૪૦ કવિઓએ પૂશ્કિનના કાવ્ય 'ગામ'-નો અવાર ભાષામાં અનુવાદ કરેલો પણ પહેલું ઈનામ તો બાપુને મળેલું. પછી ઉમેરે છે — જો કે એ વખતે બાપુ રશિયન બોલી નહોતા શકતા ! રસૂલનો મતલબ એ કે અનુવાદકો ભલે મોટા વિદ્વાનો હોય પણ સાહિત્યસમજુ ય હોય તો વધારે સારું. ભાષાન્તર અને અનુવાદનો ફર્ક સમજાવવા માટે રસૂલે રોજિંદા જીવનના દાખલા આપ્યા છે. કહે, દરેક પંક્તિના દરેક શબ્દનું ભાષાન્તર એટલે બીજી જગ્યાએ ફેરવવા માટે છૂટું પાડેલું ઘર : કહે, વાળંદ મારા વાળ કાપીને, દાઢી કરી આપીને, વાળ ઓળી આપીને, મને રવાના કરતી વેળા કહેતો હોય — કે તમે દરેક પંક્તિના દરેક શબ્દના 'ભાષાન્તર'-ના રૂપમાં આવેલા હવે 'અનુવાદ'-ના રૂપમાં જઈ રહ્યા છો : જો કે એમ પણ કહે કે અનુવાદકો કેટલીયે વાર કાવ્યના બધા દાંત ખૅંચી કાઢતા હોય છે અને જગતમાં એને બોખી ડોકરીની જેમ ગણગણતું મૂકી દેતા હોય છે …

રસૂલની આવી બધી સમજ જીવનમાં બનેલા કિસ્સાઓથી ઘડાઈ છે. એમની એ આગવી રીત માટે વાચકે આ પુસ્તકને નિરાંતે વાંચવું જોઈશે. જાપાનમાં કલાકાર મિત્રોને ભેટ આપવા પોતે સુન્દર સુરાઈઓ લઈ ગયેલા. ઍરપોર્ટોની અદલાબદલી વખતે સુરાઈઓ તૂટીફૂટીને ઠીકરાં ઠીકરાં થઈ ગયેલી, પણ કેટલાક દિવસ પછી એ યજમાન-િમત્રોએ ટુકડાઓને જોડીને સુરાઈઓને અદ્દલ નવી જેવી બનાવી આપેલી. એ જોઈ રસૂલને પોતાના અનુવાદકો યાદ આવેલા, લખે છે : મારા કાવ્યોની દરેક પંક્તિ અને દરેક શબ્દનાં ભાષાન્તરો ફૂટી ગયેલી સુરાઈઓનાં ઠીકરાં જેવાં હતાં. હવે એ ઠીકરાંને જોડી દેવામાં આવ્યાં છે, સુરાઈ સાવ નવી જેવી બની ગઈ છે, મારી અવાર ભાષા-ભાતો અસલ જેવી જ કાયમ રહી છે : જો કે રસૂલ ચેતવે છે — કે બેશક, અનુવાદકે સુરાઈને નવો ઘાટ ન જ આપવો જોઈએ. હાથા વગરની સુરાઈને હાથો ન જ જોડવો જોઈએ. એક તળિયાને ઠેકાણે બે ન જ બનાવવાં જોઈએ. બધા અનુવાદકોને રસૂલ કહે છે : હું લંગડો ને આંધળો હોઉં તો મને હાથ ઝાલીને બહાર ન લઈ જશો. મને મારા ઘરને પગથિયે મારી પોતાની સગડી પાસે બેસી રહેવા દેજો. મારી ત્રાંબાની થાળીઓને કલઈ ચડાવશો નહીં કે મારી ચાંદીની ચીજને સોનાનો ઢોળ ચડાવશો નહીં : રસૂલ આમ મરમમાં ઘણું કહી દેતા હોય છે.

વાચકને 'પ્યારો દોસ્ત' ગણે છે. એને સમ્બોધીને કહે છે : દરેકે દરેક પુસ્તક તારા માટે જ લખાતું હોય છે. હું પ્રકાશકને સમજાવવાની કોશિશ કરી શકું અને સમ્પાદક તેમ જ વિવેચક જોડે દલીલો કરી શકું પરન્તુ તારો ફૅંસલો જ ઈનસાફી અને આખરી હોય : કહે, મારા પુસ્તકમાં તને બીજા કોઈના પુસ્તકમાંનો ખયાલ નજરે ચડે તો એને ફગાવી દેજે. પણ મારા પુસ્તકમાં તને ખરો ખયાલ મળે તો તેની નીચે લીટી કરજે, અને ખોટો મળે તો તેની નીચે બે લીટી કરજે. અને પુસ્તકમાં તને એક પણ જૂઠાણું નજરે પડે તો આખું પુસ્તક ફગાવી દેજે : કહે, લેખક તો માત્ર વાચક સાથેની મુલાકાત માટે જ જીવતો હોય છે. મારી જિન્દગીમાં મેં ખરેખરી ફિકર માત્ર ત્રણ અનુભવી છે : તને વાચકને મળતાં પહેલાં, હું ફિકરમાં પડી જાઉં છું — મુલાકાતની રાહ જોઉં ને કલ્પના કર્યા કરું કે એ કેવી રહેશે. મુલાકાત દરમ્યાન, મને ફિકર હોય જ હોય એ તો સ્વાભાવિક છે. મુલાકાત પછી ય, મને ફિકર થાય — વીગતો યાદ કરું, અંદાજ લગાવું, કે તારા પર મારી કેવીક છાપ પડી હશે …

પછી રસૂલ સરસ કહે છે : મારી નજર સામે વાચકોના ચહેરા તરવરે છે. દરેક ચહેરો નિરાળો છે. એકનાં ભવાં ચડી ગયાં છે — એની નાખુશી દૂર કરવા માટે શબ્દો ક્યાંથી લાવું ? બીજો જાણે માખી ગળી ગયો હોય એમ એનું મોઢું કટાણું થઈ ગયેલું છે. ત્રીજાના ચહેરા પર ભયંકર અને નિરાશાજનક કંટાળાનો ભાવ વરતાય છે. આવા વાચકોને મનમાં રાખીને રસૂલ એક વાત રજૂ કરે છે. કહે, લોકોથી દૂર પહાડો પર ઘર બાંધીને રહેતા પહાડવાસીઓ લગી પહોંચવાનું મુશ્કેલ — સાંકડી કેડીએ ઉપર ચડતાં ખીણમાં ગબડી પડવાનું કે ઉપરથી ધસી પડતા ખડકો નીચે દબાઈ જવાનું જોખમ. પહાડવાસીઓને પૂછવામાં આવ્યું કે તમારા લગી કોઈ આવે તો આવે શી રીતે. પહાડવાસીઓએ સરસ કહ્યું : ખરા દોસ્તો તો મુશ્કેલ પંથ કાપીને અને તમામ જોખમો ઉઠાવીને પણ અમારા લગી પહોંચવાના જ છે — ને નકામા ? એમના વગર અમે ચલાવી લઇશું …

મને થાય, જો પુસ્તક નામનું 'ઘર' દરેક લેખક 'અંદર'-ના પહાડ પર આમ 'ઊંચે' બાંધે; ખરા દોસ્તો જેવા વાચકો અંગે આવો ભરોસો રાખે; ને નકામાને વિશે આવા બેપરવા રહે, તો કેટલું સારું થાય …

સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’, નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 11 જુલાઈ 2015

http://navgujaratsamay.indiatimes.com/editorial/sampadkiya/rasool-hamjatov-hated-translators/articleshow/48021195.cms

Loading

વસંત-રજબ અક્ષરદેહે – સૌજન્ય પોલીસ વિભાગ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|9 July 2015

કોમી એખલાસ માટે શહાદત વહોરનાર વસંત-રજબની યાદમાં, અમદાવાદ શહેર પોલીસે સુરક્ષા સેતુ પ્રોજેક્ટ હેઠળ, ગાયકવાડ હવેલીમાં ઊભા કરેલા બંધુત્વ સ્મારકનું પહેલી જુલાઈએ તેમની હૌતાત્મ્ય તિથિએ લોકાર્પણ થયું. તેની સાથે ઝવેરચંદ મેઘાણી સંપાદિત વસંત-રજબ સ્મારક ગ્રંથની બીજી આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવ્યું.

સ્મારકગ્રંથની પહેલી આવૃત્તિ જાન્યુઆરી 1947માં, વસંત-રજબની કુરબાની પછી સાત જ મહિનામાં  બહાર પડી છે. એટલે તેની અંદરનાં લખાણોમાં ભારોભાર ત્વરિતતા, નિકટતા અને વિશ્વસનીયતા છે. ગાંધીવાદી સમાજકાર્યકર વસંતરાવ હેગિષ્ટે (જન્મ 16 મે 1906) વિશેનાં સંભારણાં લખનારમાં અહીં તેમના બહેન હેમલતા, ભદ્ર વિસ્તારના તેમના સાથીઓ દોલતરાય શિંદે અને સખારામ જાધવ, ધંધુકા સેવાદળ શિબિર સહિત અનેક જગ્યાએ તેમની સાથે રહેનાર પ્રમોદ વ્યાસ, નાસિક જેલના સાથી નટવર મોદી છે. રજબઅલી લાખાણી (27 જુલાઈ 1919) વિશે તેમના ભાઈઓ વઝીર અને રમઝાન, કૉલેજના સાથીઓ બાલકૃષ્ણ શુક્લ, કનુભાઈ અને અમૃતલાલ પરીખ વગેરેએ લખ્યું છે. વસંતરાવ સાથે સોળ વર્ષ વીતાવનારા બળવંત વિં. શાહ, રજબઅલીના માર્ગદર્શક વજુભાઈ શાહ અને જાહેર જીવનના અગ્રણી રતુભાઈ અદાણીના લાંબા લેખો આ બંને શાંતિદૂતોનો વિસ્તૃત પરિચય આપે છે. ચાર લેખો મૂળ મરાઠીમાં જ મૂકવામાં આવ્યા છે. વસંતરાવની વ્યાયામ પ્રવૃત્તિ, દાંડીકૂચમાં તેમનું સંગઠન કૌશલ્ય, ધરાસણા સત્યાગ્રહમાં તેમની વીરતા, સેવાદળની આગેવાની જેવાં પાસાં વિશે વિગતવાર વાંચવા મળે છે. તે જ રીતે રજબઅલીનો લીંબડી હિજરતમાં ફાળો, વિદ્યાર્થીનેતા તરીકેની તેમની સફળતા, તેમનો પુસ્તકપ્રેમ અને તેમના ચાર જેલવાસ જેવી બાબતો વિશે વાંચવા મળે છે. જો કે વધુ રસપ્રદ છે તે બંનેના વ્યક્તિત્વની અંતરગ બાબતોની ઝલક. જેમ કે, વસંતરાવ કુટુંબ અને દેશ બંનેને બહુ ચાહતા. પરાક્રમી અને અહિંસક અખાડિયન વસંતરાવે અમદાવાદમાં લોકોને સારું ખાવાનું મળે તે માટે વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ સામે જ્યોતિ રેસ્ટોરાં શરૂ કરી હતી. વસંતરાવ જેલસાથીઓને તેલ ચોળી આપવું, તેમની ચંપી કરવી, તેમને ખવડાવવું એવાં હેતભર્યાં કામ કરતા. રજબઅલીને પરિવાર સાથે અણબનાવ થતા રહેતા કારણ કે તે બીજા સંતાનોથી જુદું વિચારનારા હતા. ભાવનગર કૉલેજમાં તેમની અનેક વિરોધ-પ્રવૃત્તિઓ છતાં તે વિદ્યાર્થીઓ, કેટલાક અધ્યાપકો અને આચાર્ય શહાણીસાહેબના પ્રિય હતા. તેમણે ‘કમ્યુનલ ટ્રાયેન્ગલ’, ‘અલોન’, અને ‘પાવર ઑફ નૉન-વાયોલન્સ’ પુસ્તકોનાં કરેલા અનુવાદ અપ્રકાશિત છે. રજબને બાળકો સાથે બહુ મજા પડતી. તેમણે અમરેલી પાસેના તરવડા ગામની એક તાલીમ શિબિરમાં નાનકડા ઝૂંપડામાં રહીને પગરખાં બનાવવાની તાલીમ પણ લીધી હતી. તેમની તીવ્ર લાગણીશીલતા અને ઉત્કટ મિત્રતાના પ્રસંગો બહુ જ નજીકના મિત્ર ભાનુભાઈ શુક્લના લેખમાં વાંચવા મળે છે.

વસંત-રજબ સ્મારક ગ્રંથ મેઘાણીભાઈનું આ છેલ્લું સંપાદન હતું. તે સ્વીકારવા માટે તેમને તિરસ્કારનો પત્ર પણ આવ્યો હતો. આ પુસ્તક પછી ત્રણ મહિને તેમનું અવસાન થયું. સંપાદકીય નિવેદનમાં મેઘાણીએ  જણાવ્યા મુજબ જીવનપરિચય આપનાર ચરિત્રલક્ષી લખાણોને ગ્રંથમાં સ્થાન આપવામાં આવ્યું છે. સાથે ‘નરી અંજલિલક્ષી પ્રશસ્તિઓને’ તેમણે પોતાના નિવેદનમાં સારવણી કરીને સમાવી લીધી છે. શહાદતને સલામ કરનાર આવા સમકાલીનોમાં મોરારજી દેસાઈ, ઉછંગરાય ઢેબર, ગણેશ વાસુદેવ માવલંકર, હરિપ્રસાદ દેસાઈ, ઠાકોરલાલ ઠાકોર, ચુનીલાલ વર્ધમાન શાહ અને છોટુભાઈ પુરાણીનો સમાવેશ થાય છે. નોંધપાત્ર વાત એ છે કે દર્શક સિવાય ભાગ્યે જ કોઈ અગ્રણી સાહિત્યકારે કોમવાદ સંબંધિત આ ઘટના તરફ સંવેદનશીલતા બતાવી છે. છપ્પન વર્ષ પછીય શાહમૃગી માનસમાં ઝાઝો ફેર નથી !

આ પુસ્તક બહાર પાડવા માટે પોલીસ ખાતું ધન્યવાદને પાત્ર છે. આ ખાતાની ક્રાઇમ બ્રાન્ચનું મુખ્ય મથક   ગાયકવાડ હવેલીમાં છે. વસંત-રજબ સ્મારક એ ભયંકર જગ્યામાં બનેલું છે. આ જ શાખા તેમ જ તેના કેટલાક અધિકારીઓ ગોધરાકાંડ પછી જનતાને આતંકિત કરીને સત્તાવાળાઓને ખુશ કરવાના કરતૂતો માટે   દેશ અને દુનિયામાં બહુ ટીકાને પાત્ર બન્યા છે. તાજેતરનો વિરોધાભાસ એ છે કે ક્રાઇમ બ્રાન્ચના જઘન્ય અત્યાચારોનું બયાન આપવા માટે મુફ્તિ મહંમદ કયુમે લખેલું ‘ગ્યારહ સાલ સલાખોં કે પીછે’ પુસ્તક હજુ એપ્રિલ મહિનામાં જ બહાર પડ્યું છે. તેનો પ્રકાશન કાર્યક્રમ થવા દેવામાં આ જ પોલીસ ખાતાએ અડચણ ઊભી કરી હતી.

આ પુસ્તકના ‘સંગ્રાહક-સંપાદક’ તરીકે રિઝવાન કાદરીનું નામ છાપેલું છે. તેમણે આ પુસ્તકમાં નહીંવત સંપાદન કાર્ય કર્યું છે. ધોરણસરના સંપાદનમાં હોય તેવી પાયાની બાબતો અહીં મૂકવામાં આવી નથી. કોમી સંવાદિતાનાં દર્શન પોતાનાં સર્જનમાં વારંવાર કરાવનાર ઝવેરચંદ મેઘાણીની આ સંપાદનના સંદર્ભે વિશિષ્ટ પાત્રતા હતી. કોમવાદી પોલીસ અને અંગ્રેજ શાસકોની નિંભરતા પર મેઘાણીએ ‘ફૂલછાબ’માં દોરેલા કાર્ટૂનને લગતા કેસ જેવી મહત્ત્વની ઘટનાનો આછો નિર્દેશ સુદ્ધાં સંપાદક આપતા નથી. સંપાદન એટલે શું તે જાણવા માટે મેઘાણીના જ સાહિત્યના તેમના ચિરંજીવી વિનોદભાઈ અને જયંતભાઈએ કરેલાં સંપાદનો જોઈ જવા જેવાં છે. આ સંપાદનની બાબતમાં બીજો એક બહુ વિવાદાસ્પદ મુદ્દો એ છે કે આ પુસ્તકના કૉપીરાઇટ ડૉ.રિઝવાન કાદરીના છે એવું છાપવામાં આવ્યું છે. આ કાયદેસરનું  જ હશે એમ દલીલ તરીકે  માંડ માંડ ધારી લઈએ તો પણ નૈતિક રીતે, એથિકલિ, આવું કરી શકાય કે કરવા દઈ શકાય ખરું ? જો કે એ મોટું આશ્વાસન ખરું કે આ સ્મારક ગ્રંથ થકી આજના જમાનામાં પણ અત્યંત પ્રસ્તુત એવા વસંત-રજબ ફરીથી ગુજરાતની નજર સમક્ષ અક્ષરદેહે આવ્યા.

6 જુલાઈ 2015

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘કદર અને કિતાબ‘ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 08 જુલાઈ 2015  

Loading

...102030...3,5363,5373,5383,539...3,5503,5603,570...

Search by

Opinion

  • ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
  • જેઇન ઑસ્ટિન અમર રહો !
  • જેઇન ઑસ્ટિન : ‘એમા’
  • ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
  • ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા
  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

Poetry

  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved