સ્ત્રીશિક્ષણનો અને તેમાં ય દલિત કન્યાઓના શિક્ષણનો પાયો નાખનાર સાવિત્રીબાઈ જોતીરાવ ફુલે(1831-1897)ની ગઈ કાલે મૃત્યુિતથિ હતી. મહારાષ્ટ્રની પ્રતિષ્ઠિત પુણે યુનિવર્સિટીનું નામ ઑગસ્ટ મહિનાથી સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી કરવામાં આવ્યું છે. ભારતના ઉચ્ચ શિક્ષણના ઇતિહાસમાં આ બહુ મહત્ત્વની પ્રેરક ઘટના છે. દલિત કે બિનદલિત, હિન્દુત્વવાદી કે સેક્યુલર, ડાબેરી કે જમણેરી એવા મતભેદ તેમ જ પક્ષીય રાજકારણથી ઊપર ઊઠીને સર્વાનુમતે લેવાયેલો આ નિર્ણય જ્ઞાનજ્યોતિ સાવિત્રીબાઈના જીવનકાર્યને સમાજે આપેલી માનવંદના છે.
ઓગણીસમી સદીના ભારતમાં જુદા જુદા રાજ્યોમાં જે સંઘર્ષશીલ સમાજસુધારક સ્ત્રી-પુરુષો હતાં તેમાં સાવિત્રીબાઈ જોતીરાવ ફુલેનું પ્રદાન અમૂલ્ય છે. તેમના પતિ અને દલિત ચળવળના અગ્રદૂત જોતીરાવ ફુલે(1827-1890)ના તે સાચા અર્થમાં કાર્યસંગિની હતાં. નાની ઉમરમાં થયેલા લગ્ન બાદ તેમણે પહેલાં પતિ પાસે અને પછી મિશનરી શાળામાંથી શિક્ષણ મેળવ્યું. બાબાસાહેબ આંબેડકરના એક ગુરુ જોતીરાવે પછાત ગણાતા વર્ગોની છોકરીઓ માટેની દેશની પહેલી શાળા પુનામાં પહેલી જાન્યુઆરી 1848થી શરૂ કરી. એમાં સાવિત્રીબાઈ શિક્ષિકા બન્યાં. શરૂઆતના દિવસોમાં એ ઘરેથી શાળાએ જાય એ વખતે રસ્તામાં રૂઢિચુસ્ત બ્રાહ્મણો તેમની પર છાણ અને કીચડ ફેંકતા. પણ સાવિત્રીબાઈ અને જોતીરાવ અડગ રહ્યાં.
ફુલે દંપતીએ પુણેમાં 1863માં બાળહત્યા પ્રતિબંધકગૃહની સ્થાપના કરી. આ વિરલ કામ સમજવા જેવું છે. ફુલેના જમાનામાં ભારતમાં વિધવાઓની સ્થિતિ બહુ ખરાબ હતી. લગભગ બધાં બાળલગ્નો અને ઘણા જરઠવિવાહ થતાં. આયુષ્યમર્યાદા ઓછી હતી, મૃત્યુદર ઊંચો હતો. પરિણામે બાળ કે યુવા વિધવાઓની સંખ્યા પણ વધુ હતી. આ વિધવાઓની જિંદગી દોજખ હતી. તેમાંથી કેટલીક, પરિવારના કે બહારના વાસનાભૂખ્યા પુરુષોના અત્યાચારનો ભોગ બનીને ગર્ભ ધારણ કરતી. પછી પેટની અંદરના જીવની સાથે પોતાની જિંદગી ટૂંકાવતી.
સમાજની અમાનુષતાનો ભોગ બનેલી આવી સ્ત્રીઓને બચાવી લેવા માટે ફુલે દંપતીએ બાળહત્યા પ્રતિબંધક ગૃહ નામના આશ્રયસ્થાનની શરૂઆત કરી. જેમાં મહિલાઓને આધાર આપવામાં આવતો, એટલું જ નહીં પણ સવિત્રીબાઈની દેખરેખ હેઠળ નિષ્ણાત સુયાણી પાસે સુવાવડ પણ કરાવવામાં આવતી. ત્યાર બાદ બાળકની સાથે ગૃહમાં રહેવાની કે તેને સાથે લઈને કે લીધા વગર ગૃહમાંથી તેને જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ રહેતી. આ ગૃહનું કામ સાવિત્રીબાઈએ બહુ સંઘર્ષની વચ્ચે પણ સંવેદનશીલતાથી સંભાળ્યું. એટલું જ નહીં પણ આપઘાત કરવા નીકળેલી એક સગર્ભા વિધવાને બચાવીને તેના દીકરાને દત્તક લઈને યશવંત નામે ઊછેરીને ડૉકટર બનાવ્યો. ફુલે દંપતિએ પુણેમાં શ્રમજીવીઓ માટે રાત્રિશાળા ચલાવી (1855), પાણી માટેનો પોતાના ઘરનો હોજ દલિતો માટે ખુલ્લો મૂક્યો (1868), દલિતોની દુર્દશા માટે કારણ બનેલા બ્રાહ્મણવાદના નાશ માટે દલિત વર્ગોની જાગૃતિ અને ચળવળના હેતુથી સત્યશોધક સમાજની સ્થાપના કરી (1873), દુષ્કાળ રાહત કામગીરી (1875-77) પાર પાડી.
‘વિદ્યા વિના મતિ ગઈ’ એવું ફુલેએ લખ્યું છે. સાવિત્રીબાઈએ લખ્યું – ‘વિદ્યા સર્વશ્રેષ્ઠ ધન છે, એનાથી ગુલામી દૂર થાય છે અને માણસપણું મળે છે, અને પશુત્વ હારે છે.’ તેમના મરાઠી શબ્દો છે ‘विद्या हे धन आहे रे। श्रेष्ठ साऱ्या धनाहून।‘ અથવા ‘शिक्षणाने मनुष्यत्व लाभतं आणि पशुत्व हरतं.’ સાવિત્રીબાઈએ કેટલીક મૌલિક પદ્યરચનાઓ પણ કરી છે. મહિલાઓની જિંદગીને સારી બનાવવાના વિચારને આચારમાં મૂકવાનું મુશ્કેલ હતું. પતિનું મોત થાય એટલે પત્નીનું મુંડન કરાવવાની બદી હતી. એ અટકાવવા માટે વિચક્ષણ ફુલે દંપતીએ પોતાની વાત વાળંદોને ગળે ઊતારી. ‘વિધવાઓનું મુંડન અમે નહીં કરીએ’ એવું પુનાના નાપિકોએ પોતાની આવકનો વિચાર બાજુ પર મૂકીને નક્કી કર્યું. એક સામાજિક સુધારા માટે પુનાના નાપિકોએ પાડેલી હડતાળ દુનિયાની એવા પ્રકારની સંભવત: પહેલી હડતાળ હતી. જોતીરાવના અવસાન પછી સાવિત્રીબાઈએ સત્યશોધક સમાજની ચળવળ ઊપાડી લીધી. વિધવાઓના પુનર્વિવાહ, બાળલગ્ન પ્રતિબંધ, સ્ત્રીકેળવણી, કુંવારી માતાઓની અને તરછોડાયેલી સ્ત્રીઓની દુર્દશા જેવી અનેક સમસ્યાઓનો તે ઉકેલ લાવવા માગતાં હતાં. એના માટે મહિલા સંગઠનની જરૂર હતી. એ દિશામાં તેમણે કરેલું કામ બહુ મહત્ત્વનું છે. સાવિત્રીબાઈ સ્ત્રીમુક્તિના જ્યોતિર્ધર બન્યાં. તેમનું અને દીકરા યશવંતનું અવસાન પ્લેગના રોગીઓની સારવાર દરમિયાન થયું.
ભાવનગરનાં દક્ષાબહેન દામોદરાએ લખેલી ‘સાવિત્રી’ નામની જીવનચરિત્રાત્મક નવલકથા ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ પ્રસિદ્ધ કરી છે. મહારાષ્ટ્રના પ્રતિબદ્ધ રંગકર્મી સુષમા દેશપાંડેએ સાવિત્રીબાઈ પર સર્જેલા નાટ્યપ્રયોગની ગુજરાતીમાં ભજવણીઓ અદિતી દેસાઈ, રક્ષા નાયક અને ઇન્દુ રોહિતે કરી હતી.
જાણીતા મરાઠી પત્રકાર-લેખક ઉત્તમ કાંબળેએ એક કિસ્સો નોંધ્યો છે. ગામડાની એક કન્યાશાળાના સમારંભ બાદ તેમની પાસે સહી અને સંદેશ લેવા આવેલી એક વિદ્યાર્થિનીને તેમણે પૂછ્યું : ‘તું નિશાળમાં ભણતી થઈ ત્યારે તને શાળાએ બેસાડવા કોણ આવ્યું હતું ?’ એક છોકરીએ જવાબ આપ્યો : ‘મને નિશાળે બેસાડવા સાવિત્રીબાઈ આવ્યાં હતાં.’
9 માર્ચ 2015
+++++
સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામે લેખકની કટાર, “નવગુજરાત સમય”, 11 માર્ચ 2015
e.mail : sanjaysbhave@yahoo.com