Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9297664
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઓમર શરીફ: દિલીપકુમારે જે શોહરત ગુમાવી તેની દાસ્તાન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 July 2015

ઓમર શરીફને જે સફળતા મળી તેના પરથી બહુ બધા લોકોને એમ લાગ્યું હતું કે દિલીપકુમારે આ રોલનો ઇન્કાર કરીને મોટી ભૂલ કરી હતી. દિલીપકુમારને ય આ ભૂલ લાગતી હશે પણ ક્યારે ય કબૂલ નથી કર્યું.

1982માં રિચાર્ડ એટનબરોએ ગાંધીજીનું બાયોપિક બનાવ્યું તે પહેલાં 1960માં ડેવિડ લીન નામના બીજા એક બ્રિટિશ ફિલ્મમેકરે ગાંધીની કથાને ફિલ્મ પડદે લાવવા વિચાર કર્યો હતો. એમાં અલેક ગિનીસ નામનો એક્ટર ગાંધીની ભૂમિકા કરવાનો હતો. ડેવિડ લીન આના માટે ભારત આવેલા અને પ્રધાનમંત્રી નહેરુને પણ મળેલા. ઇન્દિરા ગાંધી ત્યારે યુવાન હતાં અને ત્રણે જણ પ્રધાનમંત્રી નિવાસસ્થાનના બગીચામાં બેસીને કેરી ખાતાં હતાં, એવું લીને એક ઇન્ટરવ્યૂમાં કહેલું.

અધવચ્ચે ડેવિડ લીનનો રસ ઊડી ગયો અને ગાંધી ફિલ્મ અટકી પડી (જે એટનબરોએ પાછળથી પૂરી કરી). ડેવિડ લીન આકરો અને અઘરો ફિલ્મસર્જક હતો. મોટાભાગના કલાકારો લીનથી સો ગજ દૂરી રાખતા હતા. ટ્રેવોર હોવાર્ડ નામના બ્રિટિશ એક્ટરે કહેલું કે, ‘ડેવિડ લીને જો ગાંધી ફિલ્મ પૂરી કરવી હોત તો કેથરીન હેપબર્ને (મશહૂર હોલિવૂડ અદાકારા) મહાત્મા બનવું પડ્યું હોત કારણ કે એ એકલી જ લીન સાથે બોલતી હતી.’ ડેવિડ લીનને ગાંધી નહીં બનાવવાનો બહુ અફસોસ થયેલો અને એ અફસોસનું વેર વાળવા 1962માં લોરેન્સ ઓફ અરેબિયા નામની ફિલ્મ એટલા ઝનૂનથી બનાવી કે અંગ્રેજી ફિલ્મોના ઇતિહાસમાં એ આજે ય એક અત્યંત મહાન અને પ્રભાવશાળી ફિલ્મ ગણાય છે.

આ ફિલ્મમાં પીટર એ ટૂલે નામના બ્રિટિશ એક્ટર આરબ વિદ્રોહને દબાવી દેનાર બ્રિટિશ મિલિટરી ઓફિસર થોમસ એડવર્ડ લોરેન્સની ભૂમિકા કરેલી. આ લોરેન્સ અરેબિયન ઉપદ્વીપમાં એના અરબ સાથીદાર શરીફ અલી સાથે મળીને મિલિટરી ઓપરેશન પાર પાડે છે. શરીફ અલીની ભૂમિકા ઇજિપ્શિયન એક્ટર ઓમર શરીફના ભાગે ગયેલી. ઓમરની આ પહેલી જ અંગ્રેજી ફિલ્મ અને એની ધૂંઆધાર સફળતાએ ઓમરને ઇન્ટરનેશનલ સ્ટાર બનાવી દીધેલો.

આ ઓમર શરીફનું ગયા સપ્તાહે 10 જુલાઈના રોજ 83 વર્ષની વયે કેરોની હોસ્પિટલમાં અવસાન થઈ ગયું. એક સાહસ કથા ફિલ્મી પરદે કેવી હોય એ ડેવિડ લીને લોરેન્સ ઓફ અરેબિયા મારફતે સાબિત કરી દીધેલું અને એના પછી આવેલા જ્યોર્જ લુકાસ (સ્ટાર્સ વોર અને ઇન્ડિયાના જોન્સ) સામ પેકીન્પ (ધ વાઇલ્ડ બન્સ), માર્ટિન સ્કોરસેસ (ટેક્સિ ડ્રાઇવર અને રેજીંગ બુલ), રીડલી સ્કોટ (બ્લેડ રનર અને ગ્લેડીયેટર) અને સ્ટીવન સ્પીલબર્ગ (એક્ટ્રા ટેરેસ્ટિયલ અને જુરાસિક પાર્ક) જેવા ફિલ્મ નિર્દેશકોએ ફિલ્મની ભવ્યતા કેવી હોય એ લોરેન્સ ઓફ અરેબિયામાંથી શીખ્યા હતા. ઓમર શરીફની પહેચાન આ લોરેન્સ ઓફ અરેબિયાથી થઈ અને એ પહેચાનની પ્રેમમાં તબદીલી થઈ ત્રીજા જ વર્ષે આવેલી ડેવિડ લીની જ ‘ડો. ઝીવાગો’ ફિલ્મથી. રશિયન સાહિત્યકાર બોરીસ પાસ્તરનાકે સ્ટાલિનની સરમુખત્યારશાહી નીચે દબાયેલા રશિયન સમાજની પીડાને વાચા આપવા યુરી ઝીવાગો નામના એક ડોક્ટર અને કવિના પાત્રની આસપાસ ‘ડો. ઝીવાગો’ નામની મહાનવલ લખી હતી. જે રશિયન શાસકોની સખ્તાઈના કારણે ઇટલીમાં પ્રગટ થયેલી અને પાસ્તરનાકને સાહિત્યનું નોબેલ પારિતોષિક પણ અપાવેલું.

ઓમર શરીફ હટ્ટોકટ્ટો, ઊંચો, હેન્ડસમ એક્ટર હતો. અમુક પ્રકારનાં ઐતિહાસિક પાત્ર માટે ઓમર એકદમ ફિટ હતો. દાખલા તરીકે લોરેન્સ ઓફ અરબિયા માટે ઓમરનો સ્ક્રીન શોટ લેવાનો હતો ત્યારે ડેવિડ લીને ઓમરને ઇજિપ્તથી લાવવા માટે પ્લેન મોકલેલું. ઓમરને લઈને પ્લેન અરેબિયાના રણમાં ઊતર્યું ત્યારે એના દરવાજા બહાર જ ડેવિડ લીન ઊભેલા. ઓમર શરીફ બહાર આવ્યો ત્યારે કશું ય બોલ્યા વગર ડેવિડ લીને એની આજુબાજુ ચક્કર લગાવીને ઓમર શરીફની હાઇટ-બોડી, સાઇડ એન્ગલ, ફેસ એન્ગલ અને ચહેરો માપી લીધેલો. ઓમરે શરીફ અલી અને ડો. ઝીવાગોનો રોલ એટલો અદ્દભુત રીતે નિભાવેલો કે એક પછી એક આવા દમદાર રોલ આવતા ગયેલા. ‘ચે’માં એ અર્જેટિનિયન ક્રાંતિકારી અર્નેસ્ટો ચે ગુવેરા બનેલો તો ‘માર્કો ધ મેગ્ની ફિસન્ટ’માં ઇટાલીન પ્રવાસી માર્કો પોલો બનેલો. ચંગીઝ ખાનમાં એ મોંગોલ સેનાપતિ હતો તો મેકેનાઝ ગોલ્ડમાં મેક્સિકન ગેંગ લીડર હતો.

એક સશક્ત એક્ટર અને પુરુષ તરીકે ઓમર શરીફની ખ્યાતિ એટલી જબરદસ્ત હતી કે એને એક જ સપ્તાહમાં 3000 જેટલી લગ્નની દરખાસ્તો મળેલી. શરીફે પાછળથી કહેલું, ‘સ્ત્રીઓ સાથે મેં અમુક સાહસો કર્યાં છે પણ કોઈ મહાન પ્રેમકહાની નથી. મારો એક માત્ર પ્રેમ મારી પત્ની સાથે જ હતો.’ આ પત્ની એટલે ઇજિપ્શિયન સિનેમાની હોટેસ્ટ સ્ટાર ફતેન હમામા જેણે પહેલીવાર પરદા પર નવાસવા એક્ટર ઓમર શરીફને કિસ કરી ત્યારે ખબર ન હતી કે એ જ એનો ભાવિ પતિ બનશે. 20 વર્ષની શાદી પછી બંને વચ્ચે તલાક થઈ ગયા. હમામ ફરીથી પરણીને ઘરેલુ જિંદગીમાં ખોવાઈ ગઈ. શરીફે આખી જિંદગી એકલા જ ગુજારી. ઓમર શરીફની આ કહાનીમાં આપણા માટે એક નામ અગત્યનું છે : મુહમ્મદ યુસુફ ખાન ઉર્ફે દિલીપકુમાર. ઉપર આપણે જે કંઈ વાંચ્યું એવું અને કદાચ એનાથી ય વધુ આપણે આપણા આ યુસુફકુમાર માટે વાંચતા હોત તો જો એમણે લોરેન્સ ઓફ અરેબિયાનો રોલ ઠુકરાવ્યો ન હોત. યસ, ભારત અને ભારતીય સંસ્કૃિતથી પ્રભાવિત ડેવિડ લીન લોરેન્સના શરીફ અલીની ભૂમિકામાં દિલીપકુમારને લેવા માગતા હતા પણ દિલીપે ઓફર ઠુકરાવી એટલે એ રોલ ઓમર શરીફના ખોળામાં જઈને પડ્યો.

એક્ટરો એક યા બીજા કારણોસર અમુક ફિલ્મો કરી ના શકે એ બહુ સ્વભાવિક છે પણ એવી ફિલ્મો ભાગ્યે જ હોય છે જેનો ઇન્કાર પણ ઐતિહાસિક બની જાય. દિલીપકુમારનો આ એક એવો ઇન્કાર છે જે દુનિયાને (અને કદાચ એમને ખુદને) કાયમ માટે યાદ રહ્યો છે. લોરેન્સ ઓફ અરેબિયામાં મશહૂર કોમેડિયન આઈ. એસ. જોહર પણ હતો. ‘રેમીનીસેન્સેસ’ (સંસ્મરણો) નામની આત્મકથામાં એક્ટર ચંદ્ર શેખર લખે છે, ‘આજના એક્ટરો જે હોલિવૂડ પાછળ દોડી રહ્યા છે તેની સરખામણીમાં દિલીપ સા’બે ત્યારે લીનની લોરેન્સ ઓફ અરેબિયા ઠુકરાવી દીધી હતી. એમને ભારતીય એક્ટર હોવાનું અભિમાન હતું.’

ભારતીય એક્ટર હોવાના અભિમાનમાં દિલીપકુમારે ફિલ્મનો ઇન્કાર કર્યો હતો? એવું કહેવાય છે કે દિલીપકુમારને લોરેન્સ ઓફ અરેબિયામાં શરીફ અલીનો રોલ સેકન્ડ લીડ લાગ્યો હતો. (પહેલો લીડ રોલ લોરેન્સનો હતો) એમને એવું લાગેલું કે અંગ્રેજી સ્ટાર કાસ્ટના ઝમેલામાં એ ખોવાઈ જશે.

દિલીપકુમારે આ વાતનો કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ ઓમર શરીફને જે સફળતા મળી તેના પરથી બહુ બધા લોકોને એમ લાગ્યું હતું કે દિલીપકુમારે આ રોલનો ઇન્કાર કરીને મોટી ભૂલ કરી હતી. દિલીપકુમારને ય આ ભૂલ લાગતી હશે પણ ક્યારે ય કબૂલ નથી કર્યું. દિલીપના ચાહકો આને યુસુફ સા’બની મહાનતા અને રાષ્ટ્રપ્રેમ ગણે છે. હકીકત એ છે કે દિલીપકુમાર લીડ રોલ નહીં મળવાના ખોટા વહેમમાં રહી ગયા. દિલીપ ત્યારે એક મોટા એક્ટર હતા અને એમને હતું કે હોલિવૂડવાળાએ પણ એવી જ કોઈક ઓફર કરવી જોઈએ.

ઓમર શરીફ ત્યારે ઇજિપ્શિયન ફિલ્મોમાં ખાસ્સો જામેલો એક્ટર હતો. લોરેન્સની ચકાચોંધ સફળતા પછી એને ય ખબર પડેલી કે આ રોલ દિલીપકુમારે ઠુકરાવ્યો હતો. કેમ ઠુકરાવ્યો હતો? એ તો ઓમર શરીફને ય ખબર નહોતી પડી. ડેવિડ લીનને એવા એક્ટરની જરૂર હતી જે સારો એક્ટર તો હોય સાથે અંગ્રેજી સારું બોલતો હોય અને ઇતિહાસ સમાજશાસ્ત્રનું જ્ઞાન હોય. ડેવિડ લીનને એવા એક્ટરો સાથે ફાવતું ન હતું જે પોતાને સ્ટાર સમજતા હોય. કદાચ દિલીપકુમારને ડેવિડ લીને જ નાપસંદ કર્યા હોય એવું ય બને. ઓમર શરીફે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે, ‘ડેવિડ લીનને એની ફિલ્મ અને એનાં પાત્રોમાં જ રસ હતો. એને ફિલ્મ સ્ટારમાં રસ ન હતો. મને એણે કહેલું કે એને અંગ્રેજી બોલી શકે તેવા અારબ એક્ટરની જરૂર છે. હું કૈરોની અંગ્રેજી સ્કૂલમાં ભણેલો એટલે એને રસ પડ્યો. એને જે ગમતા એક્ટર હતા એમાંથી હું એક હતો.’

ડેવિડ લીને પણ ઓમર શરીફને ‘બ્રિલિયન્ટ પર્સન’ (બ્રિલિયન્ટ એક્ટર નહીં) ગણાવેલો. કદાચ શરીફ પણ લીનની જેમ નો-નોનસેન્સ હતો. લોરેન્સ ઓફ અરેબિયાનાં 50 વર્ષ થયાં તે નિમિત્તે એક મહિલા પત્રકારે શરીફનો ઇન્ટરવ્યૂ કરેલો. એમાં એણે કહેલું, ‘ફિલ્મ તો સારી હતી પણ મારું કામકાજ બરાબર ન હતું. મને ત્યારે થયેલું ત્રણ કલાક અને 40 મિનિટની ફિલ્મમાં ખાલી રણ જ હોય અને કોઈ છોકરી ન હોય એને જોવા કોણ જાય!’ આપણા ટ્રેજેડી કિંગ, રોમેન્ટિક સ્ટાર દિલીપકુમારે કદાચ આ કારણસર પણ ફિલ્મ ઠુકરાવી હોય. દિલીપકુમારે આ ફિલ્મ ના  કરી એનાથી આપણને ઓમર શરીફ મળ્યો એ સારું થયું કે યુસુફભાઈ વિશ્વસ્તરે ન ગયા તે ખોટું થયું? જવાબ અઘરો છે.

e.mail : rj.goswami007@gmail.com

http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5057920-NOR.html

Loading

શિક્ષણસંસ્થાઓને અભડાવવાનું ૧૯૬૦થી શરૂ થયું હતું અને અત્યારે એને વિકૃત કરાઈ રહી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|20 July 2015

પ્રાદેશિક, ભાષાકીય અને વાંશિક અસ્મિતાઓએ શિક્ષણસંસ્થાઓને જેટલા પ્રમાણમાં અભડાવી છે એનાથી વધુ નુકસાન શિક્ષણનું તેમ જ શિક્ષણસંસ્થાઓનું હિન્દુકરણ કરશે. આનો પ્રતિકાર કરવો જ જોઈએ. મુંબઈ યુનિવર્સિટીના ઉપકુલપતિપદે જે ભાઈની નિયુક્તિ કરવામાં આવી છે એ સંજય દેશમુખની સૌથી મોટી અને મહત્ત્વની લાયકાત એ છે કે તેઓ RSSના સ્વયંસેવક છે

આ લખનારે ૧૯૮૦ના ડિસેમ્બર મહિનામાં વીસ દિવસનો જેલવાસ ભોગવ્યો હતો. કારણ એવું હતું કે ઔરંગાબાદની મરાઠવાડા યુનિવર્સિટીને ડૉ. ભીમરાવ આંબેડકરનું નામ આપવા માટે ત્યારે સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો જેમાં અમે ભાગ લીધો હતો. મૂળમાં દલિતોએ આવી કોઈ માગણી નહોતી કરી. એ સમયની મહારાષ્ટ્ર સરકારે સામેથી મરાઠવાડા યુનિવર્સિટીનું નામ બદલીને બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી કરવાનો ઠરાવ કર્યો હતો. સરકારના ઠરાવનો મરાઠવાડાના કેટલાક નેતાઓ, સ્વાતંત્ર્યસૈનિકો, વિચારકો, પ્રાધ્યાપકો અને સાહિત્યકારોએ વિરોધ કર્યો હતો. આશ્ચર્ય એ વાતનું હતું કે નામાંતરનો વિરોધ કરનારા લોકોમાં એવા આદરણીય લોકો હતા જેમને કોઈ અર્થમાં દલિતદ્વેષી ન કહી શકાય. જેમની પાસેથી સમાનતાના અને ઉદારમતવાદી વિચારધારાના સંસ્કાર મળ્યા હતા એવા લોકોએ યુનિવર્સિટીને ડૉ. આંબેડકરનું નામ આપવામાં આવે એનો વિરોધ કર્યો હતો. આદરણીય અને પ્રતિષ્ઠિત લોકોએ વિરોધ કર્યો એટલે સરકારે પીછેહઠ કરી જેની સામે સત્યાગ્રહ કરવો પડ્યો હતો.

આ વાત આટલાં વર્ષે અહીં એટલા માટે યાદ કરી છે કે હવે એમ લાગે છે કે વડીલો સાચા હતા. શિક્ષણસંસ્થાઓને જેમાં લાંબા ગાળે સંકુચિતતાની સંભાવના હોય એવા રાજકારણથી મુક્ત રાખવી જોઈએ, પછી ભલે વર્તમાનમાં આ ક્ષણે એમાં પ્રગતિશીલતા નજરે પડતી હોય. એ સમયે સામાજિક સમાનતાનું ભૂત અમારા પર સવાર હતું. હવે સમજાય છે કે સામાજિક સમાનતા આવાં નામકરણોનાં પ્રતીકો દ્વારા આવતી નથી. સાચી સમાનતાની જગ્યાએ આવાં પ્રતીકો શિક્ષણસંસ્થાઓને રાજકારણનો અખાડો બનાવી મૂકે છે. એ આંદોલનના પરિણામે દલિતોને જેટલો ફાયદો થયો છે એના કરતાં વધુ દલિતોને અને દેશને નુકસાન થયું છે. સાચી સમાનતાની જગ્યાએ સમાનતાનાં પ્રતીકોના રાજકારણે આક્રમક અને એકાંગી દલિત રાજકારણને જન્મ આપ્યો છે. એ સમયે નામાંતરનો વિરોધ કરનારા પ્રસિદ્ધ મરાઠી ચિંતક નરહર કુરુંદકરે કહ્યું હતું કે ડૉ. આંબેડકર પરમ આદરણીય છે, પરંતુ ડૉ. આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડવા હશે તો મુક્ત શિક્ષણસંસ્થાઓ જરૂરી છે. જો શિક્ષણસંસ્થાઓ મુક્ત નહીં હોય તો ગાંધીને, મહાત્મા ફૂલેને, આંબેડકરને કે જવાહરલાલ નેહરુને એમ દરેકને ચોક્કસ રંગે રંગવામાં આવશે. એક દિવસ એવો આવશે જ્યારે કેટલાક લોકોનાં વસ્તુિનષ્ઠ મૂલ્યાંકનો પણ શક્ય નહીં બને.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રતાપ ભાનુ મહેતાએ યોગ્ય જ કહ્યું છે કે ઉચ્ચ કેળવણી સાથે ચેડાં કરવાનું કામ ૧૯૬૦ પછી શરૂ થયું હતું. ત્યારે ભાષાવાર પ્રાંતરચનાઓ થઈ હતી અને પ્રાદેશિક અને ભાષાકીય અસ્મિતાઓને યુનિવર્સિટીઓમાં ઝૂકતું માપ આપવાનું શરૂ થયું હતું. વાસ્તવમાં પરંપરા દ્વારા શોષિતોને, દલિતોને, આદિવાસીઓને, સ્ત્રીઓને, પ્રાદેશિક અસ્મિતાઓને, ભાષાઓને ન્યાય આપવાના નામે શિક્ષણસંસ્થાઓમાં પ્રતીકોનું રાજકારણ શરૂ થયું હતું. કેળવણી વ્યાપકતા ગુમાવવા લાગી હતી અને પ્રતીકોનો શિકાર બનવા લાગી હતી. મુંબઈ યુનિવર્સિટીમાં કોઈ બંગાળી કે દક્ષિણ ભારતીય ઉપકુલપતિ હોય એની કલ્પના કરવી મુશ્કેલ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનારા વિદ્વાનો પ્રાદેશિક, ભાષાકીય કે એવા બીજા નાના ગજમાં સમાતા નથી એટલે તેમને શિક્ષણસંસ્થાઓમાંથી બહાર રાખવામાં આવે છે. ડૉ. અમર્ત્ય સેન, જગદીશ ભગવતી, હરગોવિંદ ખુરાના, સુબ્રમણ્યમ ચન્દ્રશેખર, વેન્કટરમણ રામક્રિષ્ણન જેવા ભારતીય વિદ્વાનો વિદેશોની યુનિવર્સિટીઓમાં ટોચના સ્થાને પહોંચી શકે, નોબેલ પારિતોષિક પણ મેળવી શકે; પરંતુ તેઓમાંનું કોઈ મુંબઈ યુનિવર્સિટીના ઉપકુલપતિ ન બની શકે. શું મહારાષ્ટ્ર વાંઝિયું છે એવો ટોણો મારવામાં આવશે?

આમાં તો પરંપરાગત સમાજે જેમને સેંકડો વર્ષથી હાંસિયામાં રાખ્યા હતા તેમના પડખે ઊભા રહેવાનો ઇરાદો હતો. ઇરાદો ભલે નેક હતો, પરંતુ શિક્ષણની ગુણવત્તા અને અધ્યયનની મોકળાશને તો એમાં નુકસાન જ પહોંચ્યું છે. આની સામે કલ્પના કરો કે જ્યાં ઇરાદો જ વિદ્યાર્થીઓના માનસને ચોક્કસ રંગે રંગવાનો હોય ત્યાં શું નહીં થાય? પાકિસ્તાન વિદ્યાર્થીઓના માનસને ચોક્કસ રંગે રંગવાની કિંમત ચૂકવી રહ્યું છે. જાણીતા શાયર ફૈઝ અહમદ ફૈઝે કહ્યું હતું કે જે દિવસે પાકિસ્તાને સિંધુ સભ્યતા માટે ગર્વ લેવાનું ટાળ્યું એ દિવસે પાકિસ્તાન માટે સંકટનાં બીજ રોપાયાં હતાં અને જે દિવસે બૌદ્ધોની તક્ષશિલા વિશ્વવિદ્યાલયને પરાઈ સભ્યતાના પ્રતીક ગણાવાઈ હતી એ દિવસે પાકિસ્તાનના વિનાશનું કાઉન્ટડાઉન શરૂ થયું હતું.

એમ લાગે છે કે ભારતના વર્તમાન શાસકો પાકિસ્તાન પાસેથી કોઈ ધડો લેવા માગતા નથી. એટલે તો અમર્ત્ય સેને ભારત આવીને જાહેરમાં ઊહાપોહ કરવો પડ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત સરકાર ઇરાદાપૂર્વક ઉચ્ચ શિક્ષણસંસ્થાઓને તાબામાં લઈ રહી છે જેથી એનું ભગવાકરણ કરી શકાય. જેમ પાકિસ્તાને શિક્ષણસંસ્થાઓને ઇસ્લામિક રંગે રંગી હતી એવી યોજના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ની છે અને નરેન્દ્ર મોદીની સરકાર એમાં સહયોગ કરી રહી છે. નાગપુરથી આવનારી દરખાસ્તોને બુદ્ધિ ચલાવ્યા વિના સ્વીકારી લે એવી અલ્પમતી ધરાવતી વ્યક્તિની શાસ્ત્રીભવનમાં જરૂર હતી જે તેમને સ્મૃિત ઈરાનીના સ્વરૂપમાં મળી ગઈ છે. અન્યથા સ્મૃિત ઈરાની જેવી વ્યક્તિ શિક્ષણપ્રધાન હોય? જે વ્યક્તિ પોતે જ પોતાની લાયકાત ખોળી રહી હોય તે ભારત જેવા દેશનાં શિક્ષણપ્રધાન હોય એને તો બલિહારી જ કહેવી પડે.

એમાં કોઈ શંકા નથી કે પ્રાદેશિક, ભાષાકીય અને વાંશિક અસ્મિતાઓએ શિક્ષણસંસ્થાઓને જેટલા પ્રમાણમાં અભડાવી છે એનાથી વધુ નુકસાન શિક્ષણનું તેમ જ શિક્ષણસંસ્થાઓનું હિન્દુકરણ કરશે. આનો પ્રતિકાર કરવો જ જોઈએ. મુંબઈ યુનિવર્સિટીના ઉપકુલપતિપદે જે ભાઈની નિયુક્તિ કરવામાં આવી છે એ કોઈક સંજય દેશમુખ નામના માણસનું હજી સુધી કોઈએ નામ નહોતું સાંભળ્યું. તેમના બાયોડેટામાં તેમની સિદ્ધિઓ વાંચશો તો માન ઊપજવાની જગ્યાએ દયા આવશે. તેમની સૌથી મોટી અને મહત્ત્વની લાયકાત એ છે કે તેઓ RSSના સ્વયંસેવક છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કૉલમ, “ગુજરાતી મિડ-ડે”, 20 જુલાઈ 2015

http://www.gujaratimidday.com/features/columns/2015-07-20-07-08-33

Loading

ના! હું સાધુ થઈશ (ના, હું તો ગાઈશ ! એમ ના વાંચવું)

જ્યોતિભાઈ દેસાઈ|Opinion - Opinion|19 July 2015

ના ! હું સાધુ થઈશ

(ના, હું તો ગાઈશ ! એમ ના વાંચવું)

ગુરુ : આવો, આવો! આત્મન્!

શિષ્ય : આજે, ઘણા વખતથી હું વિચારતો હતો, તે મારો સંકલ્પ જાહેર કરવા અને આપશ્રીની સંમતિ લેવા આવ્યો છું.

ગુરુ : જેને પોતાને સમજાયું તેને કોઈની પણ સંમતિની જરૂર ના હોય. શુભ હશે તો પ્રગતિ થશે, નહીં તો ફેરવિચારણા કરવા માટે અનુભવ પ્રાપ્ત થશે.

શિષ્ય : મહારાજ ! આપ સમાન જેવાના સાથથી જ હું આગળ વધી શકીશ.

ગુરુ : સદ્વિચારને ભગવાનના આશીર્વાદ હોય જ છે.

       માનવજીવન સત્ય સમજવા માટે સતત આત્મખોજ, સ્વમૂલ્યાંકન માટે છે. આગળ કે પાછળ વધવાના ભ્રમોમાંથી મુક્ત થવામાં જ શ્રેય છે.

       સાંભળ ત્યારે : એક સાદોસીધો માણસ હતો. કદી એનો અહમ્ પ્રગટ્યો ન હતો. ભલુભલી સમસ્યાઓના ઉકેલો એને સૂઝતા હતા, કારણકે સ્વાર્થથી મુક્ત હતો.

શિષ્ય : એવો વળી કોણ હતો એ?

ગુરુ : રાષ્ટ્રના પ્રધાનપદે હતો. છતાં સાદા ધોતિયામાં રહેતો. વિદેશમાં, રાષ્ટ્રસમૂહની બેઠકમાં પણ ભોળા ભાવે જાય, ત્યારે પણ પહેરવેશ તો એનો એ જ. એનું ખરું બળ નિષ્ઠા અને કર્તવ્ય!

શિષ્ય : ભલભલી સમસ્યા ઉકેલી? તે કઈ ?

ગુરુ : એના ધ્યાન ઉપર મૂક્યું કે ‘રાષ્ટ્રને ભારે અન્નની તંગી ઊભી થઈ છે અને ભૂખમરો કરોડોને આવી પડવાનો છે.’

      તુરંત સરળ ઉકેલ આપ્યો. ‘ચાલો અઠવાડિયામાં એક ટંક ભોજન છોડી દઈએ ! દરેક વ્યક્તિ સોમવારે સાંજે જમવામાં અનાજ નહીં લે.’

      ને રાષ્ટ્રે તે વાત માથે ચઢાવી. શાસ્ત્રીજીનો સોમવાર ! વર્ષો સુધી શાસ્ત્રીજીનો સોમવાર પળાતો રહ્યો.

શિષ્ય : હા, એ સાચું જ! મેં જાતે પણ ફળો ઉપર રહેવાનું ગોઠવેલું.

ગુરુ : ૧૯૬૫ની સાલમાં સેનાપતિ મૂંઝવણ લઈને આવ્યા. કહે ‘જો પશ્ચિમ દિશામાં પાકિસ્તાન સાથે લડવાને બધી તાકાત લગાડીએ, ને જો પૂર્વમાંથી ચીન ડખો કરે તો શું ?’

      ‘તમારું કામ બે ય મોરચે લડવાનું છે. અમારું કામ તમને સંપૂર્ણ ટેકો કરવાનું છે.’ રાષ્ટ્રને ‘જય જવાન ! જય કિસાન’નો મંત્ર પઢાવ્યો. એવો એ નિર્મળ હૃદયના માનવને સાધુ થવાની જરૂર જ નહીં. યુદ્ધ હોય કે દુકાળ!

       શી એની લીલા! સૌમ્ય તેમ જ શાલીન! કેવી રીતે તને સમજાવું? એના અવસાન પછી જણાયું કે લોનથી જે કાર લીધેલી તેનું દેવું હતું! બૅંકમાં બૅલેન્સ પણ નહોતું!!

      તારી આંખોમાં તો કાંઈ કાંઈ અનોખું કરવાનું જોશ પડ્યું છે. ભરપૂર આવેગ છે!

શિષ્ય : ના! ના! હું સાધુ થઈશ જ.

ગુરુ : (સહજ સ્મિત કર્યું. મૌન જ રહ્યા!)

શિષ્ય : આજ્ઞા આપો મહારાજ! સાધુ થવાથી મને સંપૂર્ણતા પ્રાપ્ત થશે. મેં લગ્ન થતાં જ પત્નીને કહી દીધું, મને સંસારમાં નહીં, રાષ્ટ્રસેવામાં જ રસ છે. તેથી જ સાધુ થવા માટે આપ મહારાજની સંમતિ માંગી રહ્યો છું.

ગુરુ : (મૌન)

શિષ્ય : મને બેચેન ના કરો. સંમતિ આપો ગુરુદેવ! હું સાધુ થઈશ! થઈશ! થઈશ જ.

ગુરુ : તારે સાધુ દેખાવું છે કે મુક્ત થવું છે?

      દર બે કલાકે નવા પહેરવેશનો તારો શોખ, સભાઓ ગજવીગજવીને તાળીઓ, જયજયકાર સાંભળવાની મહત્ત્વાકાંક્ષાઓ ભલભલાં તારાં સ્વપ્નાંઓ …

*  *  *

Breaking News      

પ્રધાનમંત્રી સાધુ થઈ ગયા!

એક વર્ષ પૂરું થઈ ગયું!!  

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2015, પૃ. 19

 

Loading

...102030...3,4913,4923,4933,494...3,5003,5103,520...

Search by

Opinion

  • માથેરાનમાં હાથી અને ઊંટ! 
  • સોક્રેટિસ ઉવાચ-૭ : પ્રખર હિંદુત્વવાદી અને સોક્રેટિસ વચ્ચેનો વધુ એક કાલ્પનિક સંવાદ 
  • ગાંધી પછીનું ભારત’ પુસ્તક અને અવસર : નમ્રતા, વિદ્વત્તા અને સભાનતા 
  • ઋણબદ્ધ
  • વાણી વિલાસ, કરશે ખલાસ !

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • હાલો…
  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved