પચાસ વરસનાં અંતરાલ પછી સાર્થ જોડણીકોશની નવી આવૃત્તિનું આવવું તેમ જ ટીકાત્મક અવાજોનું ઊઠવું બેઉ મુબારક છે
તુષાર ભટ્ટે એક વાર પુસ્તકમેળા વિશે ફીચર કર્યું ત્યારે ચોંટડૂક મથાળું કીધું હતું – બુક્સ અધર ધેન ચેકબુક્સ! સાધારણ રીતે કોષ કહેતાં ખજાનો સમજાય એ ગુજરાતની કથિત તાસીર છે, પણ આજકાલ ગૂજરાત વિદ્યાપીઠનો કોશ (સાર્થ જોડણીકોશ) ચર્ચામાં અગર તો વિવાદમાં છે એ કોશ(ષ)ના અન્ય અર્થની રીતે ગુજરાતીઓની પોતાની અને એમને વિશે બીજાઓની બદલાઈ શકતી સમજનું જ કદાચ એક દષ્ટાંત તો નથી ને?
કોશ એક ચર્ચ્ય અને ચિંત્ય વિષય છે એવો રસ વર્તમાનપત્રોને જાગે તે પણ ઠીક જ છે; કેમ કે મુદ્રિત માધ્યમનો અને એમાં પણ વિસ્તરતાં વર્તમાનપત્રોનો લાંબો ઇતિહાસ ધરાવતા ગુજરાતમાં કોઈ વર્તમાનપત્રે પોતાનું સ્પેલચેકર બનાવવાની રીતે આર્થિક રોકાણ કરવાની જરૂરત જોયાનું જાણ્યું નથી. ગુજરાતી સાહિત્ય પરિષદનાં આરંભિક વર્ષોથી આપણી પાસે ધોરણસરનો કોશ નહીં હોવાની – ખરું જોતાં જે તે જોડણી બાબતે ચોક્કસ ધોરણ નહીં હોવાની એક ફરિયાદલાગણી અને તે સબબ કંઈક કરવાની ધખના વરતાતી હશે; સાક્ષરો ને શિક્ષણકારો તે વિશે ઊહાપોહ અને કોશિશ કરતા હશે, પણ સંકલ્પપૂર્વકની ભોં ભાંગવાનું ગાંધીજીને લમણે લખાયું હતું.
એમના સૂચનથી કાકા કાલેલકર અને ગૂજરાત વિદ્યાપીઠ આદિએ એ જવાબદારી સાહી, એમાં યથાપ્રસંગ રા.વિ. પાઠક, નરહરિ પરીખથી માંડીને મગનભાઈ પ્ર. દેસાઈ, ચંદ્રશંકર શુકલ, વિશ્વનાથ ભટ્ટ અને બીજા સમિધ પૂરતા રહ્યા. 1929માં એની પ્રથમ આવૃત્તિનું પ્રગટ થવું એ મોટી મંદી વચાળે ગુજરાતના જાહેર જીવનમાં એક નરવી તેજી જેવી બીના હતી. આ કોશ, હવેના લોકશાહી જમાનામાં હેમચંદ્રકૃત વ્યાકરણને હાથીએ આરૂઢ કરી સવારી કાઢનાર સિદ્ધરાજની અપેક્ષા અલબત્ત ન સેવી શકે. પણ પ્રાંતિક સ્વરાજનાં વર્ષોમાં મુંબઈ સરકારે એને માન્યતા આપી તે સાથે, સ્વભાષાની સેવાની રીતે, સ્વરાજનાં ઉંબર વર્ષોમાં અક્ષતકુંકુમ સરખી એ એક મહિમાવંતી ઘટના જરૂર હતી.
હવે ચાલુ વરસે 73,000 શબ્દો સાથે એની છઠ્ઠી આવૃત્તિ – ખાસાં પચાસ વરસના અંતરાલ પછી – સુલભ થઈ છે ત્યારે સિદ્ધહૈમ વ્યાકરણ વેળાનાં ડંકાનિશાન નહીં તો પણ વિવાદવચનોની ડિંડિમિકાનું માન એને જરૂર મળી રહ્યું છે. અચ્છા પ્રૂફચી (જેમ તોપચી, નગારચી, કટારચી તેમ પ્રૂફચી) વજેસિંહ પારગીનું ફેસબુકની રાંગેથી ખાબકવું અને ઓનલાઇન પ્રસાર સાથે અખબારી પાનાં પર પણ ઝળકવું જો એનો એક છેડો છે, તો તાજેતરનાં વર્ષોમાં સંશોધનક્ષેત્રે અકુતોભય સજ્જતા સમેત સંચાર કરનાર તરીકે ઊભરેલા હેમંત દવેએ ‘સાર્થક જલસો-8’માં આપણા સૌ નાનામોટા કોશોના ઝડપી છતાં ચોક્કસ સર્વેક્ષણની જે તક આ નિમિત્તે ઝડપી તે એનો બીજો છેડો છે.
અહીં આવા પ્રયાસો વિશે અનુમોદનાના હૃદયભાવ સાથે બેત્રણ મુદ્દા સાર્થ જોડણીકોશ સંદર્ભે કરવા ધાર્યા છે. અસ્થાને અંગ્રેજીના (ખાસ કરીને બાળવયે શિક્ષણના માધ્યમ તરીકે) એક દોર પછી કેટલાંક વર્તુળોમાં કદાચ કંઈક મૂર્છા ઊતરી રહી હોય કે પછી કોઈ બીજા છેડેથી ગતાનુગતિક ઘેલાં કાઢવાનો ઉત્સાહ જાગ્યો હોય તેમ મારી માબોલી, માતૃભાષા વગેરે હાલ ઉજવણાંનું મહત્ત્વ પામેલ છે. ગમે તેમ પણ, પ્રજામાત્ર એની ભાષા અને એના ભાવની અભિવ્યક્તિથી પોષાય અને પોંખાય છે. એ રીતે જો કોશ વિશે કશીક સભાનતા જાગી હોય અને તે વિશે ઊહાપોહભેર આગળ વધવાપણું સમજાતું હોય તો એ જરૂર સ્વાગતાર્હ છે. અને એ રીતે પચાસ પચાસ વરસના અંતરાલ પછી એની નવી આવૃત્તિનું આવવું તેમ જ તે નિમિત્તે ટીકાત્મક અવાજોનું ઊઠવું બેઉ મુબારક જ મુબારક છે.
1967થી 2017નાં પચાસ વરસનો આ અંતરાલ આપણી કોશસાધનામાં આવેલ ઝોલાનો સૂચક છે એ બીજો મુદ્દો પણ અહીં તરત કરવો જોઈએ. મગનભાઈનો કાર્યકાળ સંકેલાયો તે પછી કોશ કાર્યમાં જે સાતત્ય ને શોધન જોઈએ એ રહ્યાં નહીં. મગનભાઈના કાળમાં પણ કોશ કાર્યાલય કોઈ ઑક્સફર્ડ સમકક્ષ સ્વાભાવિક જ નહોતું, પરંતુ મગનભાઈની સજ્જ અને સમર્પિત પ્રતિભા અને એને મળી રહેલો સહયોગ કેટલું બધું હજી ખૂટે છે એવી સભાનતા સાથે ય કાર્યનિરત અવશ્ય હતાં. તે પછી પૂરતી ફાળવણી અને અગ્રતાને અભાવે જે બન્યું એમાં સ્વાભાવિક જ તદર્થ (એડહોક) ખાસું હતું, અને અપૂરતું તો એ હતું જ. આમ પણ કોશનું કામ એ એક અર્થમાં કદી પૂરું નહીં થતું કામ છે, અને તે માટે સજ્જ માણસો પણ ઘણુંખરું ઓછા હોવાના, એ મતલબની દિલખુલાસ વાત કોશકાર્યના માર્ગદર્શક મંડળના ચંદ્રકાન્ત શેઠે છઠ્ઠી આવૃત્તિના પ્રકાશન પ્રસંગે મૂકી જ હતી.
અહીં આ આવૃત્તિમાં રહેલી ભૂલોની તપસીલમાં જવાનો ન તો આશય છે, ન તો એવો અધિકાર પણ છે. એ બધી વાતો તો જેમણે પણ કેડે કાંકરો મેલીને આ આવૃત્તિ માટે કામ કર્યું એ કદાચ આપણા સૌ કરતાં વધારે ધોરણસર કરી શકે. અલબત્ત, એક જ શબ્દની અલગ અલગ જોડણી (સંવૃત/વિવૃત) અગર તો અંગ્રેજી શબ્દોના પરબારા સ્વીકાર અને ઉચ્ચારણ બાબતની અનવસ્થા વગેરે સહેજ વધુ સંભાળથી, લગીર ઓછા અનવધાનથી ટાળી શકાયાં હોત એવું કહેવામાં હરકત નથી. કોશના ડિજિટલ સંસ્કરણ માટે ગુજરાત લેક્ઝિકોન સાથે કામ કરનાર વિદ્યાપીઠને સ્પેલ ચેકરનો ઉપયોગ સહજ કેમ સૂઝ્યો નહીં હોય, એવી વિપુલ કલ્યાણીની ઑનલાઈન અમૂઝણ વિચારણીય છે.
પણ એક વાત ખરી કે જેને આવા કામમાં પોતાનું કૉલિંગ વરતાય છે એને કેરિયર પણ મળી રહે અને કોશને ખુદને ઘરનું ઘર મળી રહે એવા સમગ્ર પ્રબંધન અને આયોજનની જરૂરત છે. હમણાં જે એક – બે ટીકામુદ્દા નોંધ્યા તે સિવાય પણ ઘણુંબધું કરવાનું રહે છે. એ કદાચ ત્યારે જ બને જ્યારે કોશ કાર્યાલય પૂરા કદનું હોય. શતાબ્દી ભણી અગ્રસર ગૂજરાત વિદ્યાપીઠ જો શાસન અને શ્રેણીઓના સહયોગપૂર્વક વિદ્વજ્જનોને જોતરી શકે તો એ મોટું કામ થશે. ટીકાનું નાળચું, વિદ્યાપીઠે ક્યારેક કરેલી આવકાર્ય પહેલ પરત્વે અભિવાદનપૂર્વક, વચગાળામાં પડેલ લાંબા ઝોલાથી માંડીને પૂરા કદના જોડણીકોશની જરૂરતો ભણી ફેરવવું ઘટે છે. ક્યારેક આ કોશે આપણી ઘણી મોટી ગરજ સારી, કંઈક ભાવઠ પણ ભાંગી, પણ એક અંતરાલ પછી એણે અગાઉની મર્યાદાઓને લાંઘીને જે વિશ્વરૂપ પ્રગટ કરવાપણું છે તે તો હજી છેટે ને છેટે જ છે.
જે ટીકાટિપ્પણ થઈ રહ્યાં છે અને થશે એનો સારભાગ પકડીને વિદ્યાપીઠ કોશકાર્યની શુદ્ધિ, વૃદ્ધિ અને પૃષ્ટિ પરત્વે અગ્રતાસૂચિને ધોરણે આગળ વધશે તો ટીકાવચનોમાંથી ઘઉં ને કાંકરા અલગ પાડવા સાથે આપણે ટીકાકારોનો પણ પાડ માનીશું. વિદ્યાપીઠનો તો એ પાડ અલબત્ત છે જ કે એણે મહેણું ભાંગતો આરંભ કર્યો ને કંઈક ચલાવ્યો. ટીકાઓ પરત્વે કુલનાયક અનામિક શાહે આપેલો વિધાયક પ્રતિસાદ નવા તબક્કા બાબતે બેલાશક આશા જગવે છે. મજલ અલબત્ત લાંબી અને લાંબી જ હોવાની છે.
પ્રકાશ ન. શાહ, લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે
સૌજન્ય : ‘સ્વાગત’, “દિવ્ય ભાસ્કર”, 20 મે 2017
પૂરવણી :
સૌજન્ય : ‘અમદાવાદ સિટી ભાસ્કર’, “દિવ્ય ભાસ્કર”, 18 મે 2017