Opinion Magazine
Number of visits: 9584701
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બ્રેકસીટ : વૈશ્વિક વંટોળિયાનો સંકેત ?

રોહિત શુક્લ|Opinion - Opinion|14 December 2016

1914થી 1945નાં વર્ષો યુરોપ માટે ભારે તબાહીનાં વર્ષો હતાં. આ બે વિશ્વયુદ્ધોમાં કરોડોની જાનહાનિ થઈ. પૂર્વ યુરોપના દેશોમાં સામ્યવાદનું શાસન આવ્યું. જ્યાં કદી સૂર્ય આથમતો ન હતો તેવા બ્રિટનનો સૂર્યાસ્ત થયો. શાહીવાદે જગતમાંથી લગભગ વિદાય લીધી અને ભારત સહિત અનેક દેશો આઝાદ થયા.

યુરોપના ડાહ્યા લોકોએ વિચાર્યું કે આપસમાં લડતા રહેવાનો બદલે એક થઈ જીવીએ. સૌ પ્રથમ 1951માં લોખંડ-પોલાદ માટેના સંગઠનરૂપે તેનો પ્રારંભ થયો. વિચાર આગળ ચાલતો ગયો; બિન સામ્યવાદી એવા પશ્ચિમ યુરોપના તેર દેશોમાં તે બાબતે થોડીક હવા બંધાઈ. આ પૈકી પ્રથમ છ દેશોએ એક સંગઠન રચ્યું. આ છ દેશો એટલે બેલ્જિયમ, ફ્રાંસ, પશ્ચિમ જર્મની, ઈટાલી, નેધરલેન્ડ્સ અને લક્સમબર્ગ . આ છ દેશોને ‘ઇનરસિક્સ ‘ કહેવાયા – સાત દેશોએ બહાર રહીને, અનુકૂળ સમયે જોડાવાનું વિચાર્યું. આ સાત દેશો એટલે ઓસ્ટ્રિયા, ડેન્માર્ક, નોર્વે, પોર્તુગાલ, સ્વીડન, સ્વિત્ઝરલેન્ડ અને યુનાઇટેડ કિંગ્ડમ. આ સાત દેશોએ યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન રચ્યું.

આ દેશોએ શાંત અને સંગઠિત યુરોપનો આદર્શ સેવ્યો. 1956-57માં સોવિયત સંઘે હંગેરીને જે રીતે કચડ્યું તે જોઈને તેમને સંગઠિત થવાનું માહાત્મય સમજાયું. 1958માં યુરોપિયન ઇકોનોમિક ક્મ્યુિનટી(EEC)ની રચના થઈ. 1960માં સઘળા દેશો માટેનું એક જ સાંઝા બજાર સ્થપાયું. યુરોપના દેશો આયાત-નિકાસની જકાતો વગર મુક્ત વેપાર કરે તે તેનો પ્રથમ કાર્ય પડાવ બન્યો. 1989માં બર્ટિક્નની દીવાલ તૂટી અને 1991 સુધીમાં સોવિયત સંઘનો પણ અસ્ત થયો. આખરે 1993માં ચાર સ્વતંત્રતાઓ સાથેનો યુરોપીય સંઘ અસ્તિત્વમાં આવ્યો. આ ચાર સ્વતંત્રતા એટલે : વસ્તુઓ (2) સેવાઓ (3) નાણું અને (4) માણસોને આ સંઘના દેશોમાં મુક્ત હેરફેરની સ્વતંત્રતા.

આ દેશોની સંખ્યા વધતી ગઈ. 2016 સુધીમાં તેના સભ્ય દેશોની સંખ્યા 28 થઈ. આ દેશો પોતે આંતરિક બાબતોમાં સાર્વભૌમ હતા પણ તેમણે પોતાની સાર્વભૌમિકતાને પરસ્પર માટે વત્તે-ઓછે અંશે ઓછી કરી. આ વિચારને 1990ના દશકમાં ‘પુલ્ડ સોવરનિટી’ કહેવાયો. આ દેશોએ પોતાના કેટલાક સાર્વભૌમ અધિકારોને સમૂહ સાથેના જીવનના લાભ માટે ત્યજી દીધા.

આ પ્રક્રિયાને કારણે આ સંઘટનની પોતાની એક પાર્લામેન્ટ બની. વળી દરેક દેશના વડાઓને પણ એક યુરોપિયન કાઉન્સિલમાં સ્થાન મળ્યું. સંગઠનમાં કુલ 7 સંસ્થાઓ બની જેમાં ન્યાયાલય, મધ્યસ્થ બેંક વગેરેનો પણ સમાવેશ થયો. આ બધું નવેસરથી રચવા માટે વિવિધ કરારો-ટ્રીટી થઈ. આ અઠ્ઠાવીસ પૈકી યુનાઇટેડ કિંગ્ડમ સિવાયના (બહૂધા) સત્યાવીસ દેશોએ એક જ ચલણ પણ સ્વીકાર્યું, જેને ‘યુરો’ કહેવાય છે.

અઠ્યાવીસ દેશો ભેગા થયા એટલે એક મોટી આર્થિક શક્તિ પેદા થઈ. ઈયુની કુલ જી.ડી.પી. (2015) 14.3 ટ્રિલિયન યુરો એટલે કે 18.5 ટ્રિલિયન યુ.એસ. ડોલર જેટલી છે. આ રીતે તે જગતનો સૌથી ઊંચી જી.ડી.પી. ધરાવનાર સમૂહ બને છે. WTOની દૃષ્ટિએ સમગ્ર ઈયુ એક જ દેશ છે.

યુરોપિય યુનિયન લગભગ 44.25 લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. તેની વસ્તી લગભગ 51 કરોડ છે. આટલી સમૃદ્ધિ છતાં ત્યાં લગભગ નવ ટકા લોકો બેકાર છે. આ સંઘના વિવિધ દેશોને તાજેતરનો વાર્ષિક વૃદ્ધિદર પણ અલગ અલગ છે. ગ્રીસમાં તે 18.8 ટકા અને પોર્તુગાલમાં 0.0 ટકા છે, જ્યારે બલ્ગેિરયામાં 2.8 ટકા અને જર્મની અને યુનાઇટેડ કિંગ્ડમમાં 1.4 ટકા છે.

ઈયુના અર્થતંત્રનો મોટો ભાગ માત્ર ચાર જ દેશોના હાથમાં છે. જર્મની 20 ટકા, યુનાઇટેડ કિંગ્ડમ 17 ટકા, ફ્રાંસ 14 ટકા અને ઈટાલી 11 ટકા હિસ્સો ધરાવે છે. આ સમૃદ્ધ દેશોના નાગરિકોની માથાદીઠ આવક પણ વધુ છે. સમગ્ર યુરો વિસ્તારની માથાદીઠ આવક 28,700 યુરો છે. જ્યારે જર્મનીની 37,100, યુનાઇટેડ કિંગ્ડમ ની 39,600 અને ફ્રાંસની 32,800 છે.

આર્થિક ક્ષેત્રની જેમ જ માનવ વિકાસના આંકની બાબતમાં પણ આ દેશો વચ્ચે મોટા તફાવતો છે. રોમાનિયા (54) અને બલ્ગેિરયા (58) સૌથી પાછળના ક્રમો ધરાવતા દેશો છે. અન્ય દેશોમાં માનવ વિકાસનો આંક ઘણો ઊંચો છે.

શાંતિ અને સમૃદ્ધિના ઊંચા આદર્શો, પરસ્પરના સહયોગ અને આધાર દ્વારા આગળ વધવાની સગવડ અને વિશાળ સમજશક્તિ તથા બુદ્ધિ પ્રતિભા ધરાવતા આવા સમૂહમાંથી બહાર નીકળી જવાનું બ્રિટને (યુનાઇટેડ કિંગ્ડમ) કેમ વિચાર્યું ? ભારત, પાકિસ્તાન, અફધાનિસ્તાન કે શ્રીલંકા જેવા દેશોનો સંઘ કાશીએ ન પહોંચે તેમ સરળતાથી ધારી શકાય પણ ફ્રાંસ, જર્મની, યુનાઇટેડ કિંગ્ડમ, ઈટલી વગેરે દેશોનો બનેલો સંઘ પણ તૂટવા માંડે તો તે અંગે વધારે ગંભીરતાપૂર્વક વિચારવું પડે. વળી, યુનાઇટેડ કિંગ્ડમનો નિર્ણય રેફરન્ડમ દ્વારા – સવિશેષ પ્રજામત દ્વારા લેવામાં આવ્યો છે તે પણ નોંધવું રહ્યું. 2012માં આ બાબતે યુનાઇટેડ કિંગ્ડમમાં ચર્ચા ઊપડી હતી ત્યારે તે સમયે ત્યાંના તે વખતના વડાપ્રધાન ડેવિડ કેમરૂને વચન આપ્યું હતું કે યુનાઇટેડ કિંગ્ડમે ઈયુમાં રહેવું કે કેમ તે બાબતે પોતે જનમતસંગ્રહ કરાવશે. આ મુજબ 24મી જૂન, 2016ના દિવસે લોકમત લેવાયો. આ મતદાનની બાબતમાં ડેવિડ કેમેરૂને કોઈ ‘પાર્ટી-વ્હીપ’ આદેશ જાહેર કર્યો ન હતો. સરકારના પ્રધાનોને પણ સ્વ-ઇચ્છા મુજબ પ્રચાર કરવાની અને મત ઉપર પ્રભાવ પાડવાની છૂટ અપાઈ હતી. ઘણાને એમ જ લાગતું હતું કે ઈયુમાં બની રહેવાની તરફેણમાં બહુમતિ મત પડશે. પણ પરિણામો કાંટાની ટક્કર સમાન – 48/52 જેવાં આવ્યાં. માત્ર બે જ ટકા મતો નિર્ણાયક નીવડ્યા.

મતદાનનાં પરિણામોથી આર્થિક જગતમાં ઊથલપાથલ મચી ગઈ અને રાજકીય તથા સાંસ્કૃિતક અને વૈચારિક ક્ષેત્રે પણ વમળો સર્જાયાં છે. પણ સૌથી પ્રથમ ગણતરી કે ગણિત મુકાયા તે ઈયુથી છૂટા પડવા માંગનાર લોકોની લાક્ષણિકતાને ખોજવા બાબતે એવું એકંદર ચિત્ર ઊપસ્યું કે લંડન, સ્કોટલેન્ડ, આર્યલેન્ડ અને વેલ્સના અમુક હિસ્સાના લોકો ઈયુની સદસ્યતા ચાલુ રાખવાનો મત ધરાવતા હતા. દક્ષિણ ઇંગ્લેંન્ડ, ઇંગ્લેન્ડનો કારખાના વિસ્તાર, પ્રમાણમાં ઓછી આવક ધરાવનારા અને મધ્યમ ઉપરના વર્ગના લોકો અલગ થવા માંગતા હતા. ઈયુથી અલગ થવા માટેના મત-બાહુલ્ય માટે કેટલાંક કારણો આગળ કરવામાં આવ્યાં છે, જે ટૂંકમાં આ પ્રમાણે છે :

  • (1) પૂર્વ યુરોપના, પ્રમાણમાં ઓછા સમૃદ્ધ દેશના વતનીઓ, પેલી ‘ચાર સ્વતંત્રતા’ના આધારે અન્ય દેશોમાં બે-રોકટોક આવાગમન કરી શકે છે. આથી આવા વસાહતીઓનું મોટું દબાણ ઊભું થતાં સ્થાનિકોમાં બેકારી વધી એવું તેમનું માનવું હતું.
  • (2)  આ વસાહતીઓના કારણે યુનાઇટેડ કિંગ્ડમની સ્વાસ્થ્ય સંબંધી તથા અન્ય સેવાઓ ઉપર ભારે દબાણ આવ્યું અને સ્થાનિકોને સારવાર મેળવવી મુશ્કેલ બનતી લાગી.
  • (3)  ઈયુના સભ્યપદ પેટે દર વર્ષે કરોડો – અબજો ડોલર ફી રૂપે આપવા પડે છે.
  • (4)  એક મુદ્દો પોતાની સાર્વભૌમતા – સોવરેનિટી-નો પણ થયો. અમારા દેશમાં અમારા કાયદા નહીં પણ ઈયુના કાયદા ચાલે? યુનાઇટેડ કિંગ્ડમને આટલાં વર્ષે, રહી રહીને પેલા ‘પુલ્ડ સોવરેનિટી’ની વ્યવસ્થા સામે વાંધો પડ્યો.

આ ચારેય મુદ્દામાં હકીકતો અને તર્કનું એક વિચિત્ર મિશ્રણ છે. તેને મુદ્દાસર અને ટૂંકમાં જોઈએ.

(1) વસાહતીઓનો મુદ્દો કંઈક અંશે મહારાષ્ટ્રના શિવસેનાના મુદ્દા જેવો છે. બિહારી, ઓડિશી કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશના કામદારો પ્રત્યે શિવસેનાનો વર્તાવ જાણીતો છે. પણ હકીકત એ છે કે ‘બહારના’ કામદારોના આગમનથી સ્થાનિક અર્થતંત્રને વેગ પણ મળે છે. (ભારતના કિસ્સામાં શિવસેના જેને ‘બહારના’ ગણે છે તે આ દેશના જ છે. ઈયુની બાબતમાં તેમને બહારના ગણી શકાય) ગ્રાહકની જરૂરિયાતની વસ્તુઓ, વાહન-વ્યવહાર, રહેઠાણ, શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ વગેરેમાં તેમના કારણે માંગ વધે છે જે અર્થતંત્રને વિશેષ વેગ પૂરો પાડે છે.

(2) યુનાઇટેડ કિંગ્ડમની અને વધુ વ્યાપક રીતે તો યુ.એસ., કેનેડા વગેરે દેશોમાં સ્વાસ્થ્ય સેવાઓના સંચાલન, કાર્યક્ષમતા તથા ફેલાવાની બાબતમાં સમસ્યાઓ છે. તેનો ઉકેલ દરદીઓની સંખ્યા ઘટાડવામાં હોઈ શકે નહીં. કારણ કે આ સંખ્યા અન્ય અનેક પરિબળોનું પરિણામ હોય છે. તેનો ઉકેલ વધુ દવાખાનાં, સ્વાસ્થ્ય સંબંધી વધુ કામદારોની ભરતી તથા વધુ સારા સંચાલનમાંથી નીકળી શકે. અલબત્ત, યુનાઇટેડ કિંગ્ડમને આ બધું કરવા માટે જે પૈસાની જરૂર પડે તેની ખેંચ રહે છે.

(3) ઈયુના બંધારણ અનુસાર સભ્ય દેશોએ મોટી ફી ભરવાની હોય છે તે સાચું પણ તેમાંથી સામે ઘણા લાભ પણ સાંપડે છે. જેમ કે સમગ્ર ઈયુના પછાત વિસ્તારોને વિશેષ રોકડ સહાય આપવામાં આવે છે અને તે રીતે યુનાઇટેડ કિંગ્ડમના પશ્ચિમ-દક્ષિણ વેલ્સ વિસ્તારોમાં પણ મદદ મળે જ છે.

(4) ‘પુલ્ડ સોવરેનિટી’નો ખ્યાલ છેક 1970ના દશકના અંત ભાગથી ચર્ચાતો આવ્યો છે. માર્ગારેટ થેચરના સમયથી, અનેક વાટાઘાટો અને કરારો દ્વારા સભાન અને સ્વતંત્ર મરજીથી આ વ્યવસ્થા સ્વીકારાઈ છે. આમ છતાં યુનાઇટેડ કિંગ્ડમને આની સામે વાંધો પડ્યો છે તેનું એક કારણ ઈયુના પર્યાવરણ અંગેના કાયદા છે. એક વ્યાપક અને વિશ્વમત પ્રત્યે જવાબદાર સંગઠન તરીકે ઈયુ પર્યાવરણમાં વધુ બગાડ ન થાય તે માટે કડક માટે વલણ ધરાવે છે. આપણા દેશમાં તેમ જ અન્યંત્ર બને છે તેમ કોર્પોરેટ જગતને આ બાબત માફક આવતી નથી. દુનિયાભરનું કોર્પોરેટ વિશ્વ એક હવસખોરી ધરાવે છે. કુદરતી સંપત્તિનો નફાખોરી માટે વધુ ને વધુ વિનિયોગ કરો – માનવજાતનું જે થવાનું હોય તે થાય ! યુનાઇટેડ કિંગ્ડમના કોર્પોરેટ જગતે પણ આવી જ માનસિકતા દાખવી છે.

આ બનાવનાં આર્થિક, રાજકીય અને વૈચારિક વમળો પણ ઊઠ્યાં છે. કેટલાકનું માનવું છે કે આ એક શકવર્તી ઘટના છે. બહુ ટૂંકમાં તેના મુખ્ય ઇંગિતો ઉપર નજર નાંખીએ :

(1) આર્થિક અસરો : આ સંગઠન મુખ્યત્વે એક વિશાળ બજારરૂપે અને વિશ્વીકરણ તથા નવ્ય મૂડીવાદી રચના તરીકે અસ્તિત્વમાં આવ્યું છે. આથી તેની આર્થિક અસરો મોટી હોવાની. આ પરિણામ જાહેર થતાંની સાથે જ ઇંગ્લેન્ડનું ચલણ મૂલ્ય તૂટ્યું. વળી આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ યુનાઇટેડ કિંગ્ડમનું રેટિંગ પણ ઘટાડ્યું. તાત્કાલિક પ્રત્યાઘાત રૂપે વપરાશી માલસામાનનું બજાર તૂટ્યું અને મોટા પાયે છટણી પણ થઈ. યુનાઇટેડ કિંગ્ડમમાં કારખાનું સ્થાપીને યુરોપના દેશોમાં નિકાસ કરનારી મોટરકાર કંપનીઓએ પણ મોટી છટણી કરી. સામાન્ય અર્થશાસ્ત્રીય તર્ક એવો છે કે જો વિનિમયનો દર ઘટે તો નિકાસો વધે પરંતુ આ કેસમાં બંને ઘટ્યા. ઘણાં કારખાનાં તેમ જ બેંકીંગ, વીમા વગેરે જેવી સેવા-સંસ્થાઓ હવે યુનાઇટેડ કિંગ્ડમથી ઉચાળા ભરવામાં છે. આ સંસ્થાઓ યુનાઇટેડ કિંગ્ડમમાં બેસીને સમગ્ર યુરોપમાં કામકાજ કરતી તે હવે શક્ય બનશે કે કેમ તે સવાલ છે.

કેટલાકે આ ઘટનાને લેહમાન કે બેર સ્ટર્ન કટોકટી સાથે સરખાવી છે. અલબત્ત, આ ક્ષેત્રે ખરેખર કેટલી અને કેવી અસર પડશે તે તો માત્ર આવનારો સમય જ કહી શકશે. આનું કારણ એ છે કે યુનાઇટેડ કિંગ્ડમ ઈયુને કઈ શરતોએ છોડે છે અને ઈયુ પોતે કઈ શરતો સ્વીકારે છે તે એક લાંબી-બે વર્ષ ચાલનારી પ્રક્રિયાને અંતે સ્પષ્ટ થઈ શકે તેવો મુદ્દો છે.

(2) રાજકીય અસરો : 1960-70 દરમિયાન યુનાઇટેડ કિંગ્ડમે ઈયુમાં પ્રવેશ મેળવવા ઘણા પ્રયાસો કરેલા. તે સમયે ફ્રાંસના પ્રમુખ ‘દ ગોલ હતા. તેમણે આ પ્રયાસો સામે વીટો વાપરતા કહેલું કે યુનાઇટેડ કિંગ્ડમ તો અમેરિકાનો ‘ટ્રોજન હોર્સ’ છે. અલબત્ત તે પછી યુરોપીય દેશોમાં સહકાર વધ્યો પણ યુનાઇટેડ કિંગ્ડમના આ પગલાંએ વળી પાછી શંકાની સંભાવનાઓ વધારી દીધી છે. એક શક્યતા એ પણ છે કે ઈયુના સભ્ય હોય તેવા અન્ય અનેક દેશો પણ હવે બહાર નીકળવા માંડશે. આ માટે ઈયુના પાંચ (PIIGS) દેશોની ડામાડોળ આર્થિક સ્થિતિ અને દેવાદારપણું જવાબદાર છે.

યુનાઇટેડ કિંગ્ડમનો પોતાનો ઘર આંગણાનો રાજકીય મુદ્દો આયરલેન્ડ અને સ્કોટલેન્ડ અંગેનો છે. આયરલેન્ડ સાથેનું ગોરીલા યુદ્ધ ઘણું લાંબું ચાલ્યું અને તેને અટકે માંડ દોઢ દાયકાનો સમય થયો છે. સ્કોટલેન્ડે પણ 2014માં યુનાઇટેડ કિંગ્ડમથી અલગ થવા વાસ્તે જનમતસંગ્રહ કરાવેલો. યુનાઇટેડ કિંગ્ડમના આ બંને વિસ્તારો ઈયુમાં જોડાઈ રહેવા માંગે છે. આથી જ એક છાપાએ મથાળું બાંધ્યું હતું : ‘ગ્રેટ બ્રિટન હેજ બીકમ લિટલ ઇંગ્લેંડ.’

(3) વૈચારિક વમળો : યુનાઇટેડ કિંગ્ડમના બ્રેકસીટના કારણે જગતની વૈચારિક ભૂમિકા બાબતે અનેક પ્રકારનાં આંદોલનો જન્મ્યાં છે. તેને ટૂંકમાં જોઈએ :

ક) વિભાજનની નવી રચના :  અત્યાર સુધીના વિશ્વમાં સમાજવાદ કે મૂડીવાદ એવી એક વિસ્તૃત પ્રકારના વિભાજનની રચના પ્રવર્તતી હતી. મૂડીવાદને નવા સ્વરૂપના બજારવાદ તરફ વાળી લેવાયો. સમાજવાદનું હવે મૃત્યુ થયું છે એમ કહીને સમૃદ્ધ દેશોમાં સામાજિક સલામતિની યોજનાઓમાં પણ અંગ સંકોચ કરાયો.

પણ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનાં ઉચ્ચારણો તથા બ્રેકસીટ એક નવા જ પરિપ્રેક્ષ્યની ઓળખ છતી કરે છે. આ સ્થિતિ આગવાપણા અને એકલાપણાની છે. માકર્સે ‘એલિએનેશન’ – સમાજથી વિખૂટા પડી જવાનો મુદ્દો કરેલો. તેની સામે ગાંધીનો મુદ્દો વર્તમાન અને ભવિષ્યના સમગ્ર સમાજના સંવાદી જીવનનો હતો. વિનોબાએ તો ‘દિલોં કો જોડને કા કામ’ માટે જીવન આપ્યું. પણ આ નવો દિશાનિર્દેશ સ્વની ઓળખ અને સ્વના સ્થાપનનો છે.

ખ) ઉદારમત અને લોકશાહી : પશ્ચિમી જગત હંમેશાં લોકશાહી અને ઉદારમતની દુહાઈ દેતું ફરે છે. આ બાબતો માત્ર પોતાની જ છે એમ પણ તે પ્રસ્થાપિત કરવા તાકે છે. (આની સામે આમર્ત્ય સેને ભારતીય વિવાદ પરંપરા દર્શાવતું પુસ્તક ‘એન આરગ્યુમેન્ટેિટવ ઇન્ડિયન’ લખ્યું છે) પણ જો આ દેશો લોકશાહી અને માનવ અધિકારોમાં ખરેખર શ્રદ્ધા ધરાવતા હોય અને તેને સામાજિક નીતિમત્તા ગણતા હોય તો સ્થળાંતરિત વસાહતીઓ કે શરણાર્થીઓ પ્રતિ તેમનું વલણ – જર્મનીના એન્ગેલા મર્કલની જેમ – વધુ સંવેદનશીલ હોવું જોઈતું હતું.

ગ) ગાંધી-વિનોબાની પ્રસ્તુતતા : આ બનાવ દ્વારા એક વ્યાપક દૃષ્ટિએ જોતાં સ્પષ્ટ થાય છે કે આધુનિક કે નવ્ય મૂડીવાદ અને વિશ્વીકરણ જેવી રચનાઓ મૂળભૂત રીતે અસમાનતા પ્રેરક અને પોષક છે. જગતના સમૃદ્ધ દેશોએ વિશ્વીકરણના લાભો માટે કુદરતી સંસાધનો અને આર્થિક સંસાધનો પડાવી જવાં છે પણ અલ્પ વિકસેલા દેશોના માનવસમૂહોને સ્વીકારવા નથી ! જળ, જમીન, જંગલ, પાણી, હવા એ બધું જોઈએ ત્યારે વિશ્વીકરણના યશોગાનનાં કીર્તન કરવાનાં પણ માનવસમૂહોને વસવાટ માટે સ્વીકારવાની ઘડી આવે એટલે તેમને ક્યાં તો ગંદા, અસંસ્કારી કે છેવટે આતંકવાદી પણ ગણાવવાની મનોવૃત્તિ આ નૂતન મૂડીવાદના સાંસ્કૃિતક અને વૈચારિક પાસે જમા બોલે છે.

બ્રેકસીટ એક મહત્ત્વની અને દૂરગામી અસરો નીપજાવી શકે તેવી ઘટના છે. તેનાં ખરેખર કેવાં પરિણામો આવશે તે તો આવનારો સમય બતાવશે. પરંતુ નવ્ય મૂડીવાદ રચનાઓમાંથી જગતનો વિશ્વાસ ઝડપથી ડગતો જાય છે તે આ મુદ્દે ખાસ જોવા મળતી બાબત છે. 

e.mail : shuklaswayam345@gmail.com

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 04, 05 & 14

Loading

નોટબંધી કાયદેસરની સત્તા વિના કરવામાં આવી છે

ઇન્દિરા જયસિંગ|Opinion - Opinion|14 December 2016

ઇન્દિરા જયસિંગ મહિલાઓ અને માનવધિકારના પ્રશ્નો માટે ગયા ચારેક દાયકાથી સતત ઝઝૂમનારાં ધારાશાસ્ત્રી છે. તે ભારતનાં પહેલાં મહિલા  સૉલિસિટર જનરલ હતાં અને અત્યારે તે સર્વોચ્ચ અદાલતમાં વકીલાત કરે છે. પદ્મશ્રી સન્માનિત જયસિંગે સ્થાપેલી વર્ષોથી કાર્યરત એન.જી.ઓ. ‘લૉયર્સ કલેક્ટિવ’ પર અત્યારની સરકારની તવાઈ છે. પંચોતેર વર્ષનાં જયસિંગે વિમુદ્રીકરણ વિશે ‘નૅશનલ હેરલ્ડ’માં અઢારમી નવેમ્બરે લખેલો લેખ ઇન્ટરનેટ પરથી મળ્યો છે. વિમુદ્રીકરણના લેખના કેન્દ્રબિંદુ તરીકે જયસિંગ કહે છે : ‘ઇટ ઇઝ કમ્પ્લીટલી વિધાઉટ એની ઑથોરિટી ઑફ લૉ’. અહીં એ પણ કહેવું જોઈએ કે નોટબંધીનો નિર્ણય ગેરકાનૂની છે એ મતલબની વાત આપણા મોટા ધારાશાસ્ત્રી ગિરીશ પટેલે પણ ચોવીસ નવેમ્બરે સેક્યુલર લોકશાહી આંદોલન અને નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના ઉપક્રમે, ‘અવાજ કુંજ’માં યોજાયેલી ચર્ચાસભામાં, તેમની હંમેશની સ્પષ્ટતા સાથે કરી હતી.

નોંધ અને અનુવાદ : સંજય શ્રીપાદ ભાવે

સરકારે લીધેલા ડિમોનેટાઇઝેશનના પગલા અંગે ઘણું લખાઈ અને બોલાઈ રહ્યું છે ત્યારે આ પગલું કાયદેસર છે કે કેમ તે તરફ બહુ ઓછું ધ્યાન અપાયું છે. જો કે અહીં મારો મુદ્દો વિમુદ્રીકરણના નિર્ણયની ઇચ્છનીયતા કે અર્થશાસ્ત્રીય વ્યાવહારિકતાનો નથી. આ નિર્ણયથી બેશકપણે જનતાનું અને દેશનું જે હિત સધાય છે તેની પણ અહીં વાત નથી. કાળાં નાણાંને ચલણમાંથી દૂર કરવાનું  ધ્યેય જાહેર હિતમાં છે તેમાં કોઈ શંકા નથી. જેમના હાથમાં કરચોરીથી ભેગો કરેલો કાળો પૈસો છે તેને તેમની પાસેથી તે દૂર કરવાની નીતિને હું પૂરેપૂરો ટેકો આપું છું. પણ આ પગલું જે રીતે લેવામાં આવ્યું છે તેની કાયદેસરતાની સામે મને સવાલ છે.

સહુ પહેલાં તો આપણે હાથમાં જે ચલણી નાણું પકડીએ છે તેના સ્વરૂપ(સ્ટેટસ)ને તપાસીએ. રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા ઍક્ટ ૧૯૩૪ (આર.બી.આઇ. ઍક્ટ) આ મુજબ જણાવે છે : ‘પેટા કલમ ૨ને આધીન રહીને દરેક બૅંકનોટ એ એમાં દર્શાવેલી રકમ માટેનું ભારતમાં કોઈ પણ જગ્યાએ ચાલનારું અને ખાતામાં જમા થઈ શકે તેવું કાયદેસર ચલણ (લીગલ ટેન્ડર) હશે અને તેની બાંહેધરી ભારતની કેન્દ્ર સરકાર આપશે.’

આનો અર્થ એ કે તમે અને હું જે પૈસા હાથમાં પકડીએ છીએ અથવા બૅંકમાં રાખીએ છીએ એ ભારત સરકારની બાંહેધરી ધરાવતું, આપણું સરકાર પરનું બાંહેધરીપૂર્વકનું દેવું છે (ઇઝ અ ડેટ ગૅરેન્ટીડ ટુ અસ બાય ધ ગવર્નમેન્ટ). આ રીતે ચલણી નાણું એ સરકારે એ નોટો હાથમાં લેનારાને – એટલે કે તમારા અને મારા જેવાની બનેલી જનતાને – ચૂકવવાના ‘જાહેર દેવા’નું પ્રતીક છે.

આઠમી નવેમ્બર ૨૦૧૬ના રોજ સરકારે આ નોટિફિકેશન કથિત રીતે આર.બી.આઈ. ઍક્ટની કલમ ૨૬(૨) હેઠળ બહાર પાડ્યું છે તે કલમ ૨૬(૨) આ મુજબ છે : ‘સરકાર ગૅઝેટ ઑફ ઇન્ડિયામાં નોટિફિકેશન દ્વારા જાહેર કરી શકે છે કે નોટિફિકેશનમાં જણાવવામાં આવેલી તારીખથી  કોઈ પણ કિંમતની નોટની કોઈ પણ શ્રેણી લીગલ ટેન્ડર બનતી અટકી જશે.’

પહેલો કાનૂની સવાલ એ ઊભો થાય છે કે ઉપર્યુક્ત પેટા કલમમાં ‘કોઈ પણ શ્રેણી’ એવો જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે તેનો અર્થ શો ગણવો. ‘શ્રેણી’ શબ્દ સાદી ભાષામાં માત્ર બૅંકની નોટો પરના ક્રમનો નિર્દેશ કરી શકે. આ અર્થ મુજબ આગળ વધીએ તો, સરકાર પોતાની સત્તા હેઠળ કોઈ પણ કિંમતની બૅંક નોટની એક શ્રેણીનું જ લીગલ ટેન્ડર રદ્‌ કરી શકે. જો આ વિધેયકનો હેતુ સરકારને કોઈ એક રકમની બધી જ બૅંક નોટોને પાછી ખેંચવાની સત્તા આપવાનો હોય તો તો ‘કોઈ પણ શ્રેણી’  શબ્દ પ્રયોગ સાવ વધારાનો અને નકામો બની જાય છે.

એટલા માટે હું એમ તારવું છું કે કલમ ૨૬(૨)નો હેતુ અર્થતંત્રમાંથી કાળો પૈસો પાછો ખેંચવાનાં પગલાં તરીકે કરવાનો કે કોઈ એક રકમની બધી જ નોટોનું લીગલ ટેન્ડર રદ્‌ કરવાનો હતો જ નહીં. કદાચ આ જ કારણસર વિમુદ્રીકરણના આ પહેલાં થયેલા પ્રયત્નો વટહુકમ અને ત્યાર બાદ કાયદો ઘડવાના માર્ગે કરવામાં આવ્યા હતા. પાંચસો અને હજાર રૂપિયાની નોટોનું કારોબારીતંત્રના હુકમ દ્વારા વિમુદ્રીકરણ એ પહેલવહેલ વાર થયેલી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાથી  સંસદે (લેજિસ્લેચરે) જેને મંજૂરી આપી નથી તેવું પગલું ભરવાની કારોબારીતંત્રની સત્તા તેમ જ તેના અધિકારક્ષેત્ર અંગે પાયાના સવાલ ઊભા થયા છે.

આ બાબતને બીજા એક દૃષ્ટિકોણથી પણ જોઈ શકાય. બંધારણની કલમ ૩૦૦ એ  જણાવે છે કે ‘કાયદેસરની સત્તા વિના કોઈ વ્યક્તિને એની મિલકતથી વંચિત રાખી શકાય નહીં’. અર્થાત્‌ કાયદેસરની સત્તા વિના કોઈ વ્યક્તિ પાસેથી એની સ્થાવર અને જંગમ મિલકત છિનવી શકાય નહીં. એટલે આઠમી નવેમ્બરનું નોટિફિકેશન સર્વોચ્ચ અદાલતે કરેલા કાયદાથી (લૉ લેઇડ ડાઉન બાય ધ સુપ્રીમ કોર્ટ) સંપૂર્ણપણે બહાર હોવાનું જણાય છે. આ નોટિફિકેશન પૂરેપૂરું કાયદાની કોઈ મંજૂરી વિનાનું છે તેમ જ તેને કાયદેસરની કોઈ સત્તા નથી.

વિમુદ્રીકરણ દ્વારા સરકાર રદ્‌ થયેલી નોટના ધારક તરફ પોતાનું જે દેવું છે તે રદ્‌ કરી રહી છે તેમ કહેવાય. ચલણી નોટ એ ધારકના હાથમાં રહેલી જંગમ મિલકત છે. સર્વોચ્ચ અદાલતે એક પછી એક આપેલા ચુકાદાઓ મુજબ વ્યક્તિને મિલકતથી વંચિત કરવાના,  દંડવિધાનની રીતે ત્રણ પાસાં છે (અ) જમીન સંપાદનમાં બને છે તેમ સરકાર મિલકત ‘લઈ લે’. (બ) જમીન સુધારા વખતે બન્યું હતું તેમ ખેડનાર માલિક બને અને મિલકતનો હક રદ્‌ થાય. (ક) કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં મિલકતના હકમાં ફેરફાર પણ મિલકત છિનવી લેવા સમાન બની શકે.

રસપ્રદ બાબત એ છે કે સર્વોચ્ચ અદાલતે જયંતિલાલ શાહ વિરુદ્ધ આર.બી.આઈ. એ.આઇ.આર. ૧૯૯૭ એસ.સી. ૩૭૦ ચુકાદામાં ‘હાઇ ડિનોમિનેશન બૅંક નોટસ (ડિમોનેટાઇઝેશન) ઍક્ટ ૧૯૭૮’ને સમર્થન આપ્યું હતું. પણ સાથે એ પણ કહ્યું હતું કે ડિમોનેટાઇઝેશન જાહેર દેવું રદ્‌ કરવા બરાબર છે કે જે વળી મિલકતથી વંચિત રાખવાને સમકક્ષ છે અને એટલા માટે એ માત્ર કાયદો ઘડવાથી  જ થઈ શકે.

વધુમાં સરકારનું નોટિફિકેશન કાયદેસરના ચલણના ઉપાડ પર જે નિયંત્રણ લાદે છે તેને પણ કાયદાની સત્તા નથી. આપણે કલ્પનાને ગમે તેટલો છૂટો દોર આપીએ તો પણ આર.બી.આઈ. ઍક્ટની કલમ ૨૬(૨) કારોબારી તંત્રને નાગરિકોના પોતાના યોગ્ય કર ભરેલા પૈસાને ઉપાડવાના અધિકાર પર નિયંત્રણ લાવવાની મંજૂરી આપતી નથી. એટલે બૅંકમાંથી પૈસા ઉપાડવાના વ્યક્તિના અધિકારને નિયંત્રિત કરવો એ વાતને કાયદાની મંજૂરી નથી એમ જણાય છે.

બરાબર આ જ કારણસર ૧૯૭૮માં પહેલા વટહુકમ (ઑર્ડિનન્સ) અને પછી તેની પાછળ કાયદો આવ્યો. આવું અત્યારે કેમ ન કરવામાં આવ્યું તે સ્પષ્ટ થતું નથી. સંસદનું સત્ર ચાલુ ન હતું અને આ ઉત્તમ પરિસ્થિતિ (ક્લાસિક કેસ) હતી કે જેમાં વટહુકમને યોગ્ય ઠેરવી શકાય. વટહુકમ કર્યો હોત તો પણ આશ્ચર્યનું તત્ત્વ જાળવી શકાયું હોત અને એ કાયદેસરનું પણ ગણાત.પણ આ કરવામાં ન આવ્યું, કદાચ એટલા માટે કે વટહુકમને કાનૂનમાં બદલવો પડે અને તેના માટે સંસદમાં ચર્ચા અને કાયદો બનાવવા માટે મતોની જરૂર પડી હોત.

વળી નોટબંધીનું આ પગલું દેશના હિતમાં હતું તો પછી આ વિષયને કેબિનેટ સુધી અને પછી વટહુકમ તરીકે રાષ્ટ્રપતિ સુધી લઈ જવામાં સરકારની નામરજીનો શું અર્થ થાય? લોકસભામાં ચર્ચા ટાળવાની ખ્વાહિશ શા માટે? કે પછી આ ખોટી કાનૂની સલાહનો મામલો હતો ? દોસ્તો, આ સવાલોના જવાબો અત્યારે હવામાં હોવા જોઈએ (લેખક બૉબ ડિલનના વિરોધ ગીતના મુખડાના શબ્દો પ્રયોજે છે ‘બ્લોઇન્ગ ઇન ધ વિન્ડ’).

આપણે કરકસર માટે કમર કસી છે અને પૈસાના ઉપાડ બાબતે માપમાં રહીને  જીવીએ છીએ. તો પેલી બાજુ જગતના જનાર્દન રેડ્ડીઓ સંપત્તિનું ભદ્દું પ્રદર્શન કરી રહ્યા છે. તેને કારણે સરકાર તેના ખુદના સભ્યો, ભિલ્લુઓ  અને સાથીઓ પર ચોંપ રાખવા અંગે કેટલી પ્રામાણિક છે તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.

આઠમી નવેમ્બરનું  વિમુદ્રીકરણ કાનૂની સત્તા વિનાનું છે એવી દલીલ મેં કરી છે. અર્થશાસ્ત્રીઓએ એ નક્કી કરવાનું છે કે આ પગલાંનું ઇચ્છિત પરિણામ મળશે કે નહીં. ફરી એક વાર હું સ્પષ્ટ કરું છું કે કાળું નાણું બજારમાંથી દૂર કરવાનું પગલું એવી બાબત છે કે જેને હું દિલથી ટેકો આપું છું, પણ મુદ્દો એ નથી. કાળું નાણું દૂર કરવાનું કામ કાયદેસરની સત્તા દ્વારા થવું જોઈએ. આજે આપણા દેશમાં ‘કાયદાનું રાજ’ એ દુર્લભ બાબત બની ગઈ છે, અને મને ચિંતા એની છે.

૨૭ નવેમ્બર ૨૦૧૬

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2016; પૃ. 03-04

Loading

વ્હાઇટલૅશ (શ્વેત પ્રતિઘાત)?

રાજેન્દ્ર દવે|Opinion - Opinion|14 December 2016

ડેમોક્રસીની એક વ્યાખ્યા એવી છે કે ‘વ્હેર ડેમોસ (પ્રજા) ગો ક્રેઝી’. નવમી નવેમ્બરે અમેરિકી પ્રમુખપદની ચૂંટણીનું જે અનપેક્ષિત પરિણામ આવ્યું તેમાં આવું જ બન્યું. ટ્રમ્પ સઘળી રાજકીય ધારણાઓથી વિરુદ્ધ ઇલેક્ટોરલ કૉલેજમાં બહુમત જીત્યા.

ચૂંટણીની ઉમેદવારીની જાહેરાતથી માંડી પરિણામની સાંજ સુધી તેમણે જે કાંઈ ઘેલાં કાઢ્યા તે બધું તેમને પ્રમુખ તરીકે ગેરલાયક ઠરાવવા પૂરતું હતું. અમેરિકાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર બે-ત્રણ વર્તમાનપત્રોને બાદ કરતાં અન્ય સર્વેએ ટ્રમ્પ વિરુદ્ધ તંત્રીલેખ લખ્યા અને હિલેરી ક્લિન્ટનનું સમર્થન એટલાન્ટિક જેવા સામયિકે-જેણે તેના ૧૫૯ વર્ષના અસ્તિત્વનાં કેવળ બે વાર – એક વાર એબ્રહામ લિંકન અને બીજી વાર લિન્ડન જહોનસનનું સમર્થન કરેલું તેણે હિલેરીનું સમર્થન કર્યું તેણે-લખ્યું કે ટ્રમ્પ પ્રમુખ થવાને સંપૂર્ણ અયોગ્ય અને કપાત્ર છે. સાર્વત્રિક ધારણા હતી કે અમેરિકી પ્રજા ટાંકણે શાણપણ બતાવશે ને ટ્રમ્પને જાકારો દેશે. પણ આમ ના બન્યું.

૨૦૧૬ની પ્રમુખીય ચૂંટણી કેવળ તેના પરિણામને કારણે નહીં પરંતુ જે રીતે સમગ્ર રાજકીય ને સંસ્થાકીય પ્રક્રિયાઓ ચાલી તેના કારણે ય લાંબો સમય ચર્ચામાં રહેશે.

આ લખી રહ્યો છું ત્યારે સાર્વત્રિક મત ગણતરીમાં હિલેરી ટ્રમ્પ કરતાં ૧૭ લાખ મતે આગળ છે. ટ્રમ્પના ૪૭ ટકા સામે હિલેરીને ૪૯ ટકા મત મળ્યાં છે. ૧૭૮૭થી માંડીને ૨૦૦૦ સુધીની ચૂંટણીઓમાં ક્યારે ય મત અને ઇલેક્ટોરલ કૉલેજની બેઠકવારી વચ્ચે આવી વિસંગતિ નહોતી. સૌ પ્રથમ વિસંગતિ નોંધાઈ જ્યોર્જ બુશ અને અલ ગોર વચ્ચેની ૨૦૦૦ની ચૂંટણીમાં, જ્યારે બહુમતી છતાં ગોર હાર્યા. આ વર્ષે હિલેરીને ઘણા વધુ મત મળ્યા પણ ઇલેક્ટોરલ કૉલેજમાં ૩૮ બેઠકોની ખાધ પડી.

આપણે ત્યાં પણ લોકસભા ચૂંટણીઓમાં મત-બેઠક વિસંગતિઓ રહી છે. કૉંગ્રેસને વર્ષો સુધી ઓછા મતે લોકસભામાં વધુ બેઠકો મળતી. કૉંગ્રેસ સામેના અનેક વિપક્ષો વચ્ચે મત વહેંચાઈ જતા. હજુ પણ એવું જ બને છે. અમેરિકામાં દરેક રાજ્યને વસતી પ્રમાણે ઇલેક્ટોરલ કૉલેજમાં બેઠકો ફાળવાઈ છે અને બે રાજ્યોને બાદ કરતાં બાકીનાં સર્વ રાજ્યોમાં નિયમ છે કે ઉમેદવારને જે તે રાજ્યમાં બહુમત મળે તેને જે તે રાજ્યના ઇલેક્ટોરલ કૉલેજના બધાં મત મળે. ઇતિહાસકારો કહે છે કે ટ્રમ્પ જેવા લોકરંજક ને અયોગ્ય નેતા ના ચૂંટાય તેની તકેદારી માટે આ વ્યવસ્થા કરાઈ’તી. તેમને ખ્યાલ નહીં કે આધુનિક ચૂંટણી પ્રથા સાવ જ બદલાઈ ગઈ છે. આ કારણસર ચૂંટણી પરિણામ પછી ઇલેક્ટોરલ કૉલેજની પ્રથા નાબૂદ કરવાની માંગ ઊઠી છે. આ પિટિશનમાં અત્યાર સુધી છ લાખ સહીઓ ભેગી થઈ ચૂકી છે.

ઇલેક્ટોરલ પદ્ધતિની બીજી એક ખામી છે, ઘણી રીતે તે અમેરિકાના લોકતાંત્રિક અને સમવાયી માળખા માટે અહિતકારી છે.

છેલ્લા કેટલાક દાયકાઓથી અમેરિકાનો રાજકીય નકશો ‘રેડ’ (રિપબ્લિકન) અને ‘બ્લૂ’ (ડેમોક્રેટિક) રંગો વચ્ચે વહેંચાઈ ગયો છે અલાબામા,  મિસિસિપી, સાઉથ કેરોલિના ઇત્યાદિ ‘રેડ’ રાજ્યો છે. આ રિપબ્લિકન ગઢ છે. કેલિફોર્નિયા, માસાચુસેટ્સ, વર્મોન્ટ વગેરે બ્લુ રાજ્યો ડેમોક્રેટિક પક્ષના ગઢ છે. કેટલાંક ‘ગ્રે’ રાજ્યો છે જે ક્યારેક ડેમોક્રેટિક બાજુ ઢળે તો ક્યારેક રિપબ્લિક બાજુ – પેન્સિલવેનિયા, ફ્લોરિડા, મિશિગન ઇત્યાદિ આવાં રાજ્યો છે. ચૂંટણી વ્યૂહમાં જે તે પક્ષ ને ઉમેદવાર એવી વ્યવસ્થા ગોઠવે કે અમુક ચૂંટેલાં રાજ્યોમાં જ પ્રચાર કરે ને બાકીનાને અવગણે જેમ કે હિલેરીએ લાખો ડૉલર ફ્લોરિડા, નોર્થ કેરોલિના, કોલોરાડો, પેન્સિલવેનિયા ને મિશિગનમાં વાપર્યા ને કેટલાંકને કાં તો અવગણ્યાં અથવા તો એ પોતાના ગજવામાં જ છે, તેમ માન્યું અને રાજ્યોમાં ઇલેક્ટોરલ કૉલેજની બેઠકોના જાદુઈ આંકડે પહોંચવામાં સરળતા રહે. નોંધવું જોઈએ કે કોલોરાડોને બાદ કરતાં બાકીનાં રાજ્યો હિલેરીએ ગુમાવ્યાં તેનાં કારણો આગળ વિગતવાર ચર્ચ્યા છે.

ઇલેક્ટોરલ કૉલેજ પદ્ધતિની અન્ય એક ખામી એ છે કે તેનાથી કેટલાંક રાજ્યોને સમવાયી માળખામાં અન્યાય થતો લાગે. આ વખતે કેલિફોર્નિયામાં કેટલાક લોકોને લાગ્યું કે આના કરતાં સમવાયતંત્રથી અલગ થઈ જવું સારું.

આપણે ત્યાં એક સમયે નાની પાલખીવાલા સહિત અનેકે પ્રમુખ પદ્ધતિની હિમાયત કરેલી. તેમનું કહેવું હતું કે ‘જુઓ અમેરિકાની પ્રથા કેવી સારી ચાલે છે.’ આ અમેરિકામાં એક રિયાલિટી ટીવી સ્ટારને ચૂંટાતા જોયા પછી કોઈ ઇચ્છતું હશે તોયે બોલવાનું માંડી વાળશે.

આ ચૂંટણીની બીજી વિશેષતા એ રહી કે અમેરિકાના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર બંને મુખ્ય રાજકીય પક્ષોએ એવા ઉમેદવાર નક્કી કર્યા જેમનો અણગમાનો આંક ખાસ્સો ઊંચો હતો. આ આંકડો સતત બદલાતો રહ્યો પણ સરેરાશ ૫૫ ટકા મતદારોને ટ્રમ્પ પ્રત્યે અણગમો હતો તો ૫૦ ટકાને હિલેરી પ્રત્યે. ચૂંટણી પત્યા પછીની મોજણીમાં એક નોંધપાત્ર વાત એ જાણવા મળી કે હિલેરીને મત આપનારામાં ૭૭ ટકા મતદારોએ ટ્રમ્પ પ્રત્યેની નાપસંદગીને કારણે તેમને મત આપ્યો. તેવી જ રીતે ટ્રમ્પના ૮૦ ટકા મતદારોએ હિલેરી પ્રત્યેના અણગમાને કારણે ટ્રમ્પને મત આપ્યો હતો. એટલે કે ૭૦થી ૮૦ ટકા લોકોએ નકારાત્મક મતદાન કર્યું. પ્રથમ વાર અમેરિકાની ચૂંટણીમાં આટલી હદે અણગમાનું ધ્રુવીકરણ થયું.

આવું જ ધ્રુવીકરણ ગ્રામીણ અને શહેરી તથા અલ્પશિક્ષિત અને સુશિક્ષિત વચ્ચે જોવા મળ્યું. છેલ્લાં ઘણાં વર્ષોથી અમેરિકાના ગ્રામીણ મતદારો જે મોટા ભાગના અલ્પશિક્ષિત છે તે રિપબ્લિકન પક્ષને મત આપે છે, અને સુશિક્ષિત શહેરી પ્રજા ડેમોક્રેટિક પક્ષને મત આપે છે. શહેરોમાં ટ્રમ્પના ૨૮ ટકા સામે હિલેરીને ૫૪ ટકા મત મળ્યા જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ટ્રમ્પના ૫૩ ટકા સામે હિલેરીને ૩૩ ટકા મત મળ્યાં. હિલેરીએ માર ખાધો ઉપનગરીય વિસ્તારમાં-તેમની અપેક્ષાથી ખાસ્સા ઓછા મત (૪૨ ટકા) મળ્યા જ્યારે ટ્રમ્પને અપેક્ષાથી ઘણા વધારે (૩૭ ટકા) મત મળ્યા.

યાદ રહે કે અમેરિકાની ગ્રામીણ વસતીના ૭૮ ટકા વસ્તી શ્વેત છે. વળી તેમાંના મોટા ભાગના ૪૦ વર્ષથી ઉપરની વયના છે. ગ્રામીણ વિસ્તારોમાં કેવળ નવ ટકા હિસ્પેિનકસ અને આઠ ટકા અશ્વેત છે. ગ્રામીણ વસતીના ૭૨ ટકા શ્વેત મત ટ્રમ્પને મળ્યા. જ્યારે કેવળ ૨૩ ટકા હિલેરીને અપેક્ષાથી ખાસ્સુ વિરુદ્ધ ૫૩ ટકા ગ્રામીણ સ્ત્રીઓએ ટ્રમ્પને મત આપ્યા જ્યારે હિલેરીને ૪૭ ટકા મળ્યા. આ ચૂંટણીમાં આજે ‘વ્હાઈટલૅશ-બેકલૅશની જેમ-પ્રતિઘાત’ ફિનોમીનન છે. તેણે ટ્રમ્પને મોટા ઇલેક્ટોરલ મતથી જીતાડ્યાં.

શહેરી વિસ્તારોમાં હિલેરીને ૮૮ ટકા અશ્વેતો અને ૭૪ ટકા હિસ્પેિનક્સના મતો મળ્યા. ગ્રામીણ અને ઉપનગરીય શ્વેત મતો સામે તે ઓછા પડ્યા.

અમેરિકામાં જેને રસ્ટબેલ્ટ કહેવાય છે તેવા મિડવેસ્ટનાં રાજ્યોમાં વિશેષ શ્વેત પ્રતિઘાત જોવા મળ્યો. આ એવાં રાજ્યો છે કે જ્યાં એક સમયે મોટાં ઔદ્યોગિક કારખાનાઓ હતાં અને હજારો શ્વેત કામદારોને કામ મળતું. વૈશ્વિકીકરણના કારણે અનેક કારખાનાઓ બંધ થયાં અને મેક્સિકો કે ચીન જતાં રહ્યાં. ટ્રમ્પનો ‘મેઈક અમેરિકા ગ્રેટ અગેઈન’ સંદેશ આ સમૂહને સ્પર્શી ગયો.

ટ્રમ્પની આ ઉદ્યોગોને પાછા લાવવાની અને અને મેક્સિકોના માલ પર વધુ જકાત નાખવાની જાહેરાત આ વિસ્તારમાં અસરકારક નીવડી વળી ગેરકાનૂની ઇમિગ્રેશન સામે આત્યંતિક રીતે કડક થવાની જાહેરાતો જે લગભગ ગાંડપણની હદ સુધી પહોંચી તે પણ અસરકારક નીવડી. નોંધનીય છે કે એક સમયે આ જ કામદાર વર્ગ ડેમોક્રેટિક પક્ષનો પાયો હતો. આ શ્રમજીવી વર્ગને હિલેરી વૉલ સ્ટ્રીટના હિતેચ્છુ અને તેમનાથી વિરુદ્ધ લાગ્યાં.

અમેરિકાનાં ચૂંટણી પરિણામોએ એ પણ બતાવ્યું કે સ્ત્રીઓ વધારે સંખ્યામાં ડેમોક્રેટિક પક્ષને મત આપે છે. હિલેરીના ૫૪ ટકા સામે ટ્રમ્પને ૪૨ ટકા મળ્યા. તેવી જ રીતે સુશિક્ષિત વર્ગમાં હિલેરીના ૫૨ ટકા સામે ટ્રમ્પને ૪૩ ટકા મત મળ્યા.

અમેરિકાના મતદારોમાં શહેરી-ગ્રામીણ, સ્ત્રી-પુરુષની જેમ વયનું ધ્રુવીકરણ પણ નોંધનીય છે. ટ્ર્મ્પ ૪૫થી ઉપરના અને હિલેરી ૪૫ વર્ષથી નાની ઉંમરના મતદારોમાં જીત્યા. કેટલાંક સમાજશાસ્ત્રીઓએ નોંધ્યું છે કે ક્રોધિત શ્વેત મતદારોના પ્રતિઘાતનાં આ છેલ્લાં હવાતિયાં છે. ક્રમશઃ શ્વેત પ્રજાની સંખ્યા ઘટતી જાય છે અને જેમ જેમ હિસ્પેિનકસ, અને એશિયન પ્રજાની સંખ્યા વધશે તેમ તેમ રિપબ્લિકન પક્ષની મુશ્કેલીઓ વધશે.

(લેખક ૧૯૭૪-૭૭નાં વર્ષોમાં જેપી આંદોલનના યુવા સૈનિક રહ્યા છે. રાજ્યશાસ્ત્રના અનુસ્નાતક પદવીધર થયા પછી હાલ તે ફ્લોરિડામાં કાર્યરત છે. “નિરીક્ષક”ના આગામી અંકમાં તેઓ અમેરિકાના રાજકીય પક્ષોના બદલાતા સ્વરૂપ સંદર્ભે ચર્ચા કરશે. – “નિરીક્ષક” તંત્રી)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2016; પૃ. 07-08

Loading

...102030...3,4903,4913,4923,493...3,5003,5103,520...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved