Opinion Magazine
Number of visits: 9843232
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|9 July 2025

ચંદુ મહેરિયા

સ્વચ્છ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણીઓના આયોજન માટે ભારતના ચૂંટણી પંચનો દુનિયામાં ડંકો વાગે છે. પરંતુ આજકાલ તેની એ જ સાખ પર પ્રશ્નો ઊઠી રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાર્લામેન્ટરી સ્પીચ, પ્રેસ કોન્ફરન્સ અને હવે આર્ટિકલ (MATCH-FIXING MAHARASHTRA) દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઈલેકશન કમિશનની ભૂમિકા સામે સવાલો ઊઠાવ્યા છે. કાઁગ્રેસ નેતાએ મહારાષ્ટ્રના ચૂંટણી વિજયને મતોની ચોરી ગણાવી, ચૂંટણી પૂર્વેના છ માસમાં મતદારોમાં થયેલા વધારાને અસાધારણ અને પંચની સત્તા પક્ષ સાથેની મિલીભગતથી થયેલો ગોટાળો કહ્યો છે. 

અઢાર લોકસભા અને સંખ્યાબંધ વિધાનસભાઓની ચૂંટણીઓનું મુશ્કેલ, પડકારજનક અને ગંજાવર કામ ચૂંટણી પંચે પાર પાડ્યું છે. બંધારણના અનુચ્છેદ ૩૨૪ પ્રમાણે બંધારણીય સંસ્થા તરીકે સ્થાપિત ચૂંટણી પંચનું કાર્ય મતદાર યાદી તૈયાર કરવાથી માંડીને ચૂંટણીનું પરિણામ જાહેર કરવા સુધીનું છે. ભારતની ભૌગોલિક, સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતા વચ્ચે પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેનથી વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સરાહનીય કાર્ય કર્યું છે. દેશના દુર્ગમ વિસ્તારોના મતદાન મથકો પર ચૂંટણી અધિકારીઓ તથા કર્મચારીઓ અને ચૂંટણી સામગ્રીને પગપાળા, બોટ અને હાથી-ઊંટ સવારીથી પહોંચાડી ચૂંટણીઓ પાર પાડી છે. ચૂંટણી પંચની નિમણૂક સંપૂર્ણ સરકાર હસ્તક હોવા છતાં પંચની નિષ્પક્ષતા મુદ્દે ઝાઝા વિવાદો થયા નથી. 

જો કે છેલ્લા એકાદ દાયકાથી ચૂંટણી પંચ વિવાદોના ઘેરામાં છે. વિપક્ષો તેને નિષ્પક્ષ રેફરી કે એમ્પાયરને બદલે ખેલાડી (અને એ ય બારમો) તરીકે ઓળખે છે. ઈલેકશન કમિશન સરકારના કહ્યાગરા તરીકે વર્તતું હોવાની છાપ ઊભી થઈ રહી છે. સરકારી તંત્ર સાથેના મેળાપીપણાથી વિપક્ષોને વેઠવું પડે છે અને જીતની બાજી હારમાં પલટાઈ જાય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓમાં વિપક્ષી મહાયુતિ વિજય માટે આશાવાદી હોવા છતાં સત્તાધારી મહા અઘાડી ભારે બહુમતીથી પુન: સત્તામાં આવી ત્યારે વિરોધ પક્ષોના ગઠબંધને ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ભારે શંકાઓ વ્યક્ત  કરી છે. 

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે લોકસભાની ચૂંટણી થઈ હતી. લોકસભા ચૂંટણીમાં સત્તાધારી બી.જે.પી. ગઠબંધન કરતાં વિરોધ પક્ષોના ગઠબંધનને વધુ લોકસભા બેઠકો પર જીત મળી હતી. તેના  છ જ મહિના પછી થયેલી વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષોનો સફાયો થઈ ગયો હતો. જે લોકસભા બેઠક વિપક્ષ જીત્યો હતો તેના હેઠળની વિધાનસભા બેઠકોમાં પણ તેની હાર થવી તે ચિંતા અને વિવાદનો વિષય છે. આ કારણે ચૂંટણી પંચ પર સત્તા પક્ષના પક્ષધર અને કઠપૂતળી હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. 

લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચેના માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં મતદારોમાં થયેલો આઠ થી દસ ટકાનો (ચાલીસ લાખ મતદારોનો) વધારો સૌથી મોટો વિવાદનો મુદ્દો છે. રાહુલ ગાંધીના દાવા પ્રમાણે મહારાષ્ટ્રમાં ૨૦૧૯ થી ૨૦૨૪ના પાંચ વરસોમાં બત્રીસ લાખ મતદારો વધ્યા હતા. પરંતુ વિધાનસભા ચૂંટણીના છેલ્લા છ જ માસમાં ચાળીસ લાખ મતદારો વધ્યા હતા. આ વૃદ્ધિ અભૂતપૂર્વ અને અસાધારણ તો છે જ , શંકા પણ જન્માવે છે. રાહુલ ગાંધીના આરોપ પ્રમાણે ભા.જ.પ. અને સાથી પક્ષો લોકસભા ચૂંટણીમાં જ્યાં નબળા હતા તે જ વિસ્તારોમાં મતદારોમાં અને છેલ્લા કલાકોમાં મતદાનમાં વૃદ્ધિ મતોની ચોરી માટે ઘડાયેલો પ્લાન છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસના મતક્ષેત્ર નાગપુરમાં પણ ત્રીસ હજાર મતદારો વધ્યાનું જણાવ્યું છે. 

ઈલેકશન કમિશન રાહુલ ગાંધીના આરોપના પ્રત્યુત્તરમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયામાં તમામ રાજકીય પક્ષોની સામેલગીરી સાથેની પારદર્શી પ્રક્રિયાનું વિગતે વર્ણન કરે છે. મતદારોમાં થયેલ વધારા-ઘટાડા સામે કોઈએ જે તે સમયે કોઈ વાંધો ન લીધો હોવાનું ગાણું ગાયે રાખે છે. વિરોધપક્ષોની માંગ છે કે પંચ લોકસભા અને વિધાનસભા ઈલેકશનની ડિજિટલ મતદાર યાદીઓ પૂરી પાડે કે જાહેર કરે. જેથી તેમના આરોપના આધારો આપી શકાય. પરંતુ પંચ આ માટે તૈયાર નથી. 

વિપક્ષનો બીજો આરોપ તેથી પણ વધુ ગંભીર છે. મતદાનના છેલ્લા એક બે કલાકોમાં થયેલા આઠ ટકા જેટલા વધારાને તેઓ અપ્રત્યાશિત કહે છે. અને આ મતદાન વૃદ્ધિના પંચે જણાવેલાં કારણો તેમને પ્રતીતિકર લાગતા નથી કે સંતોષી શકતા નથી. એટલે તેઓ મતદાન કેન્દ્રના ફૂટેજ અને બીજા ઈલેકટ્રોનિક દસ્તાવેજોની માંગણી કરે છે. 

મતદાનના છેલ્લા કલાકોમાં મતદાનની ટકાવારીમાં થયેલા અસામાન્ય વધારાનાં વાજબી કારણો અને આધારો પૂરા પાડવાને બદલે ચૂંટણી પંચની ભલામણથી ભારત સરકારે ૧૯૬૧ના ચૂંટણી પ્રક્રિયા સંબંધી નિયમોના નિયમ ૯૩માં સુધારો કર્યો છે. આ સુધારા પ્રમાણે ઈલેકટ્રોનિક ડોક્યુમેન્ટસ (સી.સી.ટી.વી. ફૂટેજ, વેબ કાસ્ટિંગ ફૂટેજ અને વીડિયો રેકોર્ડિંગ) જાહેર કરવા કે જાહેર નિરીક્ષણ માટે આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. પંચ અને સરકારનું આ પગલું વિરોધપક્ષના આરોપોને સાચા ઠેરવવા લેવાયું હોવાનું પ્રથમ નજરે લાગે છે.

ઈલેકટ્રોનિક્સ ડોક્યુમેન્ટ્સ પરની બંધી પછી ઈલેકશન કમિશને દેશના તમામ ચૂંટણી અધિકારીઓને જો તેમના મતવિસ્તારની ચૂંટણીને અદાલતમાં પડકારવામાં આવી ન હોય તો પિસ્તાળીસ દિવસ પછી તમામ ઈલેકટ્રોનિક્સ ડોક્યુમેન્ટ્સનો નાશ કરવા જણાવ્યું છે. આ આદેશ પણ વિપક્ષના ચૂંટણી પંચની તટસ્થતા સામેના આરોપોને સાચા ઠેરવે છે. 

રાહુલ ગાંધી સહિતના ઘણાં વિપક્ષી નેતાઓ જ્યારે પંચની નિષ્પક્ષ ભૂમિકા સામે સવાલ કરે છે ત્યારે પંચનું વલણ તટસ્થતા દર્શાવવાનું કે સંવાદનું નથી પણ આક્રમક અને વિરોધનું છે. ઈલેકશન કમિશન માટે તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો એક સમાન હોવા જોઈએ. તેને બદલે  જો પંચ ખુદ તેમને વિરોધી માને તો તે સ્વસ્થ લોકતંત્ર માટે સારી બાબત નથી.

ચૂંટણી પંચની કાર્યપ્રણાલી અને ચૂંટણી કમિશનરોની નિયુક્તિ બાબતે સરકારના વલણ સંદર્ભે અદાલતી પડકાર અને રાજકીય વિવાદ થયા છે. એક વ્યક્તિના ચૂંટણી પંચને નવમી લોકસભા પૂર્વે, ૧૯૮૯માં,  તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ ત્રણ સભ્યોનું બનાવ્યું હતું. એનું દેખીતું કારણ તો એ સમયના ચૂંટણી કમિશનર આર.વી.એસ. પેરીશાસ્ત્રી પર સરકારી અંકુશનું હતું. રાજીવ ગાંધી પછીના વડા પ્રધાન વી.પી. સિંઘે એટલે જ તેને કમિશનમાંથી કમિશનરમાં ફેરવી નાંખી એક વ્યક્તિનું બનાવ્યું હતુ. ૧૯૯૩માં પી.વી. નરસિંહરાવે તેમના પ્રધાન મંત્રી કાળમાં ફરી તેને ત્રણ સભ્યોનું બનાવ્યું હતું. ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી ૨૦૦૨ના ગોધરા, અનુગોધરાકાંડ પછી વિધાનસભાની જલદી ચૂંટણીઓ ઈચ્છતા હતા, પરંતુ તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર લિંગદોહ તેમાં સંમત નહોતા. એટલે ચૂંટણી સભાઓમાં મોદી જેમ્સ માઈકલ લિંગદોહના પૂરા નામ સાથે ચૂંટણી કમિશનર પર આક્ષેપો કરતા હતા. આ હકીકતો દર્શાવે છે કે ગઈકાલની અને આજની સરકારો ચૂંટણી પંચ તેમની મનમરજી મુજબ વર્તે તેવા પ્રયાસો કરે છે. 

ચૂંટણી પંચના સભ્યો અને તેમની સંખ્યા બાબતે કોઈ સ્પષ્ટ કાયદો ન હોવાથી ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે કાયદો ન ઘડાય ત્યાં સુધી વડા પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની સમિતિ પંચના સભ્યોની પસંદગી કરે તેવો આદેશ કર્યો હતો. હાલની સરકારને તે માફક આવે તેવો ન લાગ્યો એટલે તેણે વડા પ્રધાન, કેબિનેટ મિનિસ્ટર અને વિપક્ષી નેતાની પસંદગી સમિતિ બનાવી છે. એ રીતે તેણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની બાદબાકી કરીને અને કેબિનેટ મિનિસ્ટરને સામેલ કરીને સમિતિમાં પોતાની બહુમતી ઊભી કરી દીધી છે. 

ટી.એન. શેષન અને જે.એમ. લિંગદોહ જેવા અપવાદોને બાદ કરતાં ભાગ્યે જ કોઈ ચૂંટણી કમિશનર તેમની નિષ્પક્ષતા અને રાજકીય પક્ષો પર ધાકની કાયમી છાપ છોડી શક્યા છે. ભારત જેવા વિશાળ દેશમાં લોકતંત્રની આધારશિલા નિષ્પક્ષ, ન્યાયી અને સ્વતંત્ર ચૂંટણીઓ છે. તેના માટે ચૂંટણી પંચનું તટસ્થ હોવું અને તટસ્થ દેખાવું જરૂરી છે. 

રાહુલ ગાંધીએ એમના તાજેતરના લેખમાં ઈલેકશનની કમિશનની તટસ્થ ભૂમિકા હંમેશાં અને બધે જ નહીં પણ ઘણીવાર શંકા પેદા કરનારી હોવાનું જણાવ્યું છે. પંચે આ બાબતને વિપક્ષો હારે છે એટલે પંચ પર દોષનો ટોપલો ઢોળે છે, એ રીતે જોવાને બદલે હકારાત્મક ગણી વિરોધ પક્ષો સામે હલ્લાબોલની ભૂમિકાને બદલે સંવાદની ભૂમિકા રચી તેનો તટસ્થતા પુરવાર કરવાનો વર્તમાન કસોટી કાળ વધુ ન લંબાય તેમ કરવું જોઈએ. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|9 July 2025

હેમન્તકુમાર શાહ

શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન પ્રશ્ન પૂછે છે એટલે, સ્થિતપ્રજ્ઞ મનુષ્યનાં લક્ષણો અઢાર શ્લોકોમાં ગણાવે છે. મહાત્મા ગાંધીની રોજની સાંજની પ્રાર્થનામાં આ શ્લોકોનું પણ સ્થાન હતું.

કિશોરલાલ મશરૂવાળાએ ગીતાનો જે અદ્ભુત સમશ્લોકી અનુવાદ કર્યો છે તેમાં આ અઢાર શ્લોકોમાં લગભગ વચ્ચે આવતા બે શ્લોક આ પ્રમાણે છે :

“વિષયોમાં રહે ધ્યાન, તેમાં આસક્તિ ઊપજે, 

જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે.

ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે,

સ્મૃતિલોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે.”

ગીતા પણ કહે છે કે છેવટે બુદ્ધિનો નાશ થાય ત્યારે જ આખરી વિનાશ થાય છે. આજકાલ રાજકીય ભક્તો સ્વયંનો બુદ્ધિનાશ કરી રહ્યા છે, તેઓ નરી આંખે દેશની જે વાસ્તવિકતા દેખાય છે તે જોવા પણ તૈયાર હોતા નથી. તેમની સ્મૃતિ બદલવામાં આવી રહી છે અને વિકૃત કરવામાં આવી રહી છે એટલે એમણે એમની ભક્તિમાં તર્કશક્તિ અને બુદ્ધિને કોરાણે મૂકી દીધાં છે. આ રાજકીય ભક્તોએ તેમની બુદ્ધિ તેમના એકમાત્ર નેતાને સોંપી દીધી છે કે જે વિષયોમાં આસક્ત છે, અને ભક્તોએ પોતે તેનું શરણું લઈ લીધું છે. 

પરિણામે તેઓ તેમનો બુદ્ધિનાશ કરી માત્ર તેમનો પોતાનો વિનાશ નોતરે છે એવું નથી, એ તો થાય પણ ખરો કે ન પણ થાય, તેઓ દેશનો પણ વિનાશ, ધીમી ગતિએ તો ધીમી ગતિએ, નોતરી રહ્યા છે. તેનું કારણ એ છે કે આ બુદ્ધિનાશ વ્યક્તિગત રહ્યો નથી પણ સામૂહિક સ્તરે પહોંચી ગયો છે.  

ગુજરાતની શાળાઓમાં ગીતાનો અભ્યાસ દાખલ કરવામાં આવ્યો છે. શું એમાં આ બુદ્ધિનાશ એટલે શું અને એ વિનાશને કેવી રીતે આમંત્રે તે ભણાવાશે?

ગણ્યા ગણ્યા નહીં અને વીણ્યા વીણ્યા નહીં એટલા બધા ધર્મોના કથાકારો કે પછી ભગવાધારી કે સંસારી મોટિવેશનલ સ્પીકરો આ બુદ્ધિનાશ વિશે અને તેનાથી થતા વિનાશ વિશે વાત કરશે? કથાકારોની સાથે જ જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય, સંજય રાવલ, રમેશ તન્ના કે દીપક તેરૈયા જેવાઓ નાગરિકોના બુદ્ધિભ્રમ, બુદ્ધિભ્રષ્ટતા અને છેવટે બુદ્ધિનાશમાં કેટલો ફાળો આપી રહ્યા છે?

ગીતાના ચોથા અધ્યાયના ૩૮મા શ્લોકમાં એમ કહ્યું છે કે, “न हि ज्ञानेन सदृशम् पवित्रम् इह विद्यते.” એટલે કે ज्ञान જેટલી પવિત્ર વસ્તુ આ જગતમાં એકેય નથી. પણ બુદ્ધિને કોરાણે મૂકનારા ज्ञान કેવી રીતે પ્રાપ્ત કરી શકે? 

આ રાજકીય ભક્તો તો “मामेकं शरणं व्रज”માં શ્રદ્ધા ધરાવે છે. તેમનો નેતા કહે છે કે “માત્ર મારા શરણમાં આવી જા.” અને તેઓ તેમની બુદ્ધિનો નાશ કરીને નેતાની શરણમાં ગયેલા છે. 

તા.૦૯-૦૭-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|9 July 2025

સેમ્યુઅલ હંટિંગ્ટનનો ‘ક્લેશ ઓફ સિવિલાઈઝેશન્સ’નો મુદ્દો ખાસો ચગ્યો છે, પણ નરસિંહ, મીરાં, કબીર, ગાંધી આદિને સંભારીને ‘ક્લેશ વિધિન સિવિલાઈઝેશન’ની સંજીવની આપણને સાંભરતી નથી

પ્રકાશ ન. શાહ

વાત અલબત્ત 26મી જૂન 1975થી 2025ની પચાસ વરસી આસપાસ ચાલતી હશે. પણ તવલીન સિંહે એમની કોલમમાં 1963ની 26મી જૂન યાદ કરી : તે તારીખે તત્કાલીન અમેરિકી પ્રમુખ કેનેડીએ પશ્ચિમ બર્લિનમાં યાદગાર પ્રવચન કર્યું હતું. કેનેડીએ સરસ કહ્યું હતું ત્યારે કે ‘સ્વતંત્રતાના મારગમાં ઘણી મુશ્કેલીઓ રહેલી છે, અને લોકશાહી પણ કંઈ સર્વાંગસંપૂર્ણ નથી; પણ આપણે કદાપિ આપણા લોકોને મુલકમાં બાંધી રાખવા સારુ દીવાલ ખડી કરવી પડતી નથી.’

કેનેડી તે દિવસે બર્લિનમાં બોલી રહ્યા હતા. એ એવા દિવસો હતા જ્યારે સોવિયત રશિયાના પ્રભાવક્ષેત્ર એટલે કે પૂર્વ જર્મનીએ બે’ક વરસ પર (1961 અધવચ) પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચે 155 કિલોમીટર લાંબી દીવાલ ચણી લીધી હતી; કેમ કે પૂર્વની કંઈક બંધ દુનિયામાંથી પશ્ચિમ બર્લિનમાં અને તે વાટે યુરોપ-અમેરિકામાં ખુલ્લી દુનિયામાં નોકરીધંધાના ઉઘાડ વાસ્તે, કંઈક મુક્ત શ્વાસ સારુ જવા માટે એકધારો ધસારો ચાલુ હતો. દીવાલ ઊભી કરાઈ તે પૂર્વે સહેજે પાંત્રીસ લાખ લોકો પૂર્વ જર્મની છોડી ગયા હશે એવો અંદાજ છે.

જ્હોન કેનેડી

વસ્તુત: બેઉ બાજુએ હતા તો જર્મનો જ. પણ બીજા વિશ્વયુદ્ધને અંતે રશિયાએ અને બાકી મહાસત્તાઓએ જે વહેંચણી સમજૂતી કરી તેને અન્વયે જર્મનીના ભાગલા પડ્યા હતા અને એ રીતે પૂર્વ જર્મની સામ્યવાદી શૃંખલામાં હતું. કેનેડીએ 1963માં દીવાલનો ઉલ્લેખ કર્યો તે જેમ હકીકત હતી તેમ એક રૂપક પણ હતું.

1990માં બર્લિનની દીવાલ પણ ગઈ અને બેઉ જર્મની પણ એક થઈ ગયા. પણ હું 1985માં બંને જર્મનીમાં ફર્યો ત્યારે સામાન્ય નાગરિકને ભાગ્યે જ કલ્પના હતી કે અમે એક થઈ શકીશું. જે પણ સંવાદતકો મને મળી એમાં સાંભળવા મળતો સૂર અલગ રાજકીય એકમ પણ ભાવનાત્મક એકતા તરેહનો હતો. 

પૂર્વ જર્મનીમાં મેં જોયું કે મોટી સંખ્યામાં રૂસના યુવા સૈનિકો સતત તૈનાત હતા. પશ્ચિમ જર્મનીનાં ટી.વી. પ્રસારણ પૂર્વ જર્મનીમાં ઝીલી શકાતાં હતાં અને તે આ સૈનિકો તબિયતથી જોતા હતા. એટલે પશ્ચિમ બર્લિનમાં મીડિયાકર્મીઓ જોડે વાત કરવાનું થાય ત્યારે મેં કહ્યું કે ‘રૂસી યુવાનોને ખુલ્લી દુનિયાનો પરિચય થાય છે તે કેટલું સારું છે! વતન પાછા ફરશે ત્યારે જરૂર મુક્તિનો સ્પંદ લઈને જશે.’ 

એક બુઝુર્ગ જર્મને જો કે વિરોધસૂર નોંધાવ્યો: ‘અમારા ટી.વી. કાર્યક્રમોમાં મેટ્રોસેક્સ્યુઅલ ખટાટોપ હોય છે જે વાસ્તવમાં ‘મુક્ત સમાજ’નો એક અંશ માત્ર છે. અમારી લોકશાહીની ધડકન, એના ચડાવઉતાર, સામાન્ય માણસની રોજમર્રાની જદ્દોજહદ … બધું મેટ્રોસેક્સ્યુઅલ ઢોલનગારાં વચ્ચે દબાઈ જાય છે. એટલે પૂર્વ જર્મનીમાં તૈનાત રૂસી યુવા સૈનિકો ‘મુક્ત દુનિયા’નું વિકૃત નહીં તો પણ ખંડદર્શન લઈને જશે, એનું શું.’

આ તો સમાજદર્શન થયું. પણ સમાજ અને મુલક બંધાય કેમના, તમે પૂછશો. જવાબમાં વળી કેનેડી પાસે જઉં. એમણે એક વક્તવ્યમાં એ મુદ્દે રાજીપો ને કૌતુક પ્રગટ કીધાં હતાં કે ‘આપણો દેશ, આપણું આ અમેરિકા, વાસ્તવમાં ‘વિદેશી નાગરિકોનો દેશ’ છે. ક્યાં ક્યાંથી આવ્યા અને ઠલવાયા છીએ આપણે … યુરોપભરમાંથી, લેટિન અમેરિકાથી, વળી આફ્રિકી-અમેરિકા એશિયાઈ, કેટકેટલા.’ 

પરંતુ આ જે બહુલતાનો સમાદર, કેટલું કાઠું કામ છે. અમેરિકાની સિવિલ રાઈટ્સ ચળવળનો જ વિચાર કરો ને. દર્શકે એમના અંતિમ પર્વમાં ‘મુક્તિમંગલા’ નવલકથા લખવા માંડી હતી. 2001માં એ ગયા ત્યારે સાહિત્ય પરિષદના પત્ર ‘પરબ’માં એ પાંચ હપ્તે અટકી ગઈ હતી. એમને આ નવલકથા લખવાનું ખેંચાણ એ મુદ્દે હતું કે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં, લિંકન કાળમાં, આફ્રિકી-અમેરકી બાંધ‌વોના બચાવ બાબતે (અને ગુલામી નાબૂદીનાં દ્વાર ખોલવા બાબતે) સામસામે બે ગોરી ફોજ ટકરાઈ હતી. એક રીતે, આ કૌરવ-પાંડવના મહાભારતને કદાચ બાજુએ મૂકી દે એવું મહાભારત હતું અને છે. 

વાત લિંકનથી અટકી નથી. આગળ ચાલતાં કેનેડીના સમયમાં માર્ટિન લ્યુથર કિંગના નેતૃત્વમાં નવી ભોં ભાંગી અને પછી 2009-2017નાં વર્ષોમાં તો આફ્રિકી-અમેરિકી બરાક હૂસેન ઓબામાને આપણે પ્રમુખ તરીકે જોયા.

જે એક ચર્ચા ‘ક્લેશ ઓફ સિવિલાઈઝેશન્સ’(સેમ્યુઅલ હંટિંગ્ટન, 1996)ને ધોરણે ચાલે છે એનુંયે કંઈક વજૂદ હોઈ શકે છે. પણ તે સાથે, તમે જુઓ, પ્રજાઓ, સમાજો પોતાની અંદરની મથામણથી ગુણાત્મક રીતે આગળ વધે છે. વિનોબા જેને ક્રાંતિની લલિતકળા તરીકે ઓળખાવવાનું કદાચ પસંદ કરે એવી આ ઇતિહાસ પ્રક્રિયા ‘ક્લેશ વિધિન સિવિલાઈઝેશન્સ’ની છે. નરસિંહ, મીરાં, કબીર, ગાંધી આ બધાં ‘ક્લેશ વિધિન સિવિલાઈઝેશન્સ’ના ઉત્તમ નમૂના છે.

ગમે તેમ પણ નવી દુનિયામાં પ્રજાઓની આવનજાવન એવી ને એટલી હોવાની છે કે એમાં નાગરિક માત્રના અધિકારના સ્વીકાર-સમાદર પર સ્થિત બંધારણીય રાષ્ટ્રવાદની રૂએ જ ચાલવાપણું હોવાનું છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 09 જુલાઈ 2025

Loading

...102030...273274275276...280290300...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved