Opinion Magazine
Number of visits: 9843341
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!

કિશોર દેસાઈ|Gandhiana|7 July 2025

કિશોર દેસાઈ

ગાંધીજીના જીવન વિશે, ખાસ કરીને તેમના હરિલાલ સાથેના સંબંધો વિશે, સાચી હકીકતોનો તટસ્થતાથી અભ્યાસ કર્યા વિના નવલકથા કે નાટક લખવામાં આવે અને પછી તેને નાટક દ્વારા પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવે તે યોગ્ય છે ખરું ? આ મુદ્દા ઉપર હાલમાં પુષ્કળ વિવાદ ચાલી રહ્યો છે.

થોડા વખત પહેલાં હરિલાલ ગાંધીનાં પૌત્રી ઊર્મિ દેસાઈએ જાહેરમાં પત્ર લખીને ગાંધીજીના જીવનની હકીકતોને અવળી રીતે રજૂ કરવામાં આવે છે એવી ફરિયાદ કરી હતી. (“ગુર્જરી”ના જુલાઈ 1998ના અંકમાં એ પત્ર છપાયો હતો.) ગંભીર હકીકતદોષો તરફ ધ્યાન દોરવા છતાં તે પ્રત્યે ઉપેક્ષા રાખવામાં આવી છે એ તેમની ખાસ ફરિયાદ છે.

લોકશાહીમાં ગાંધીજી જેવી વિભૂતિને પણ ચર્ચાને ચાકડે ચડવું પડે છે. એમાં આમ તો કાંઈ ખોટું નથી. પણ કંઈક બુદ્ધિગમ્ય ચર્ચા થાય અથવા બૌદ્ધિક સ્તરે ગાંધીજીના વિચારોનું મંથન, દોહન થાય તો તે ઉપયોગી પણ નીવડે. એને બદલે વિવાદ જગાવીને પોતાનું કામ સાધી લેવાની વૃત્તિ જો રહેલી હોય તો તેની ચર્ચા થવી જ જોઈએ.

ગાંધીએ તો એનું સમગ્ર જીવન કોરી કિતાબ જેવું જગતની સામે મૂકી દીધું છે. એકલદોકલ નહીં, પણ હજારોની સંખ્યામાં વિશ્વના ખૂબ ઊંચાઈએ પહોંચેલા મહામાનવોએ ગાંધીજીને, તેમના વિચારોને, તેમના આદર્શોને, નિષ્ઠાને પ્રામાણિક સર્ટિફિકેટો આપી દીધા છે. એટલે ગણ્યાગાંઠ્યા કોઈ વેંતિયાઓ, તકસાધુઓ, લેભાગુઓ કે મુફલીસો ચારેકોર ગાંધીનો પુનરપિ પુનરપિ વધ કરીને પછી પોતાનો જય જયકાર કરીને હોબાળો મચાવે તેથી આમ તો બહુ વ્યથિત થવાની જરૂર નથી.

વર્તમાન જગતમાં તમે નિગેટિવ બનો તો તમને પ્રસિદ્ધિ વહેલી મળે છે. આમાં તમારે ગાંધી જેવું વિશ્વમાં પંકાયેલું કોઈ પાત્ર શોધી લેવાનું અને પછી એને ચર્ચાના ચાકે ચડાવવાનું. એમ કરવામાં સાચી હકીકતોની સંભાળ લેવામાં ઐસી કી તૈસી, બસ, લોકો તો કુતૂહલવશ પણ જોડાવાના જ છે. અને આમ પછી આપણું ટટ્ટુ ચાલશે જ. આવી કોઈક ફોર્મ્યુલા પર આ સમગ્ર લેભાગુ વર્ગ કામ કરતો હોય છે. એ બધાં કંઈ રિચાર્ડ ઍટનબરો નથી કે જે વીસ વીસ વર્ષો સુધી ગાંધીના જીવનને ઝીણવટથી તપાસવાની ધીરજ રાખે અને પછી જ એના પર ફિલ્મ બનાવે. કે નથી એ લોકો કોઈ સર્વપલ્લી રાધાકૃષ્ણન્, કે સિત્તેર જેટલી વિદેશી વ્યક્તિઓને મળી, ચકાસીને પછી કોઈ પુસ્તક લખે. ઈન્ટરનેટના યુગમાં ‘જર્નાલિઝમ’નું કલેવર બદલાયું છે. મોટી અને જાણીતી વ્યક્તિઓનાં જીવન વિશે કોઈ રોમાંચક કથાઓને બજારમાં મૂકવાથી વેચાણ સારું થઈ શકે છે કેમ કે વાણી સ્વાતંત્ર્યની ઢાલ નીચે એની કોઈ સજા નથી.

ગાંધીને આપણે આજે બજારુ અને આપણી નબળાઈઓથી ભરેલી લૂઝ ‘વેલ્યુઝ’થી મૂલવીએ છીએ. ગાંધી સામે ગોડસેનો મહિમા થાય, ગાંધીનું ઘસાતું બોલાય અને પેલા જાણે વીરપુરુષ હોય એમ એને તાળીઓના ગડગડાટથી વધાવી લેવાય ત્યારે આ વધારે પડતું છે એમ લાગે છે અને આપણે કેટલા બેવકૂફ છીએ તેનું ઉઘાડેછોગ પ્રદર્શન કરતા હોઈએ એમ લાગે છે. આમાં દેશદ્રોહ છે. ગાંધીને કારણે આપણે ગુલામીમાંથી બહાર આવ્યા છીએ એ ઐતિહાસિક ઘટનાને આપણે ભૂલી જઈએ છીએ.

બેશક, ગોડસે હત્યારો છે. જે હત્યા કરે તેને જો હત્યારો ન કહેવાય તો એને બીજું શું કહેવાય? એની દૃષ્ટિએ કારણો ગમે એટલા મજબૂત હોય; પણ તેથી બીજાના વિચારો જોડે સંમત ન થઈએ એટલે એને ખતમ કરી નાખવું એ વિચાર જ બહુ ખતરનાક છે. જો આપણે બધા એમ જ કરવા બેસીએ તો આપણામાંથી કેટલા બચે ?… પોતાના વિચારો વ્યક્ત કરવાનો કોઈને પણ પૂરો હક છે. અન્યના વિચારોને ધીરજપૂર્વક સહન કરવાના ઔદાર્યથી તો લોકશાહી પુખ્ત બનતી હોય છે. એની પ્રતીતિ અમેરિકામાં આપણે રોજ કરીએ છીએ.* ‘અ માઇનર બર્ડ’ નામની એક કવિતામાં ઘરઆંગણે વૃક્ષ પર બેસીને ગીત ગાતાં કોઈ પંખીને હાથની તાળીઓ પાડીને ઉડાડી મૂકવાના કૃત્યને પણ રોબર્ટ ફ્રોસ્ટે તો ગુનો કહ્યો છે. એમનાં કાવ્યની છેલ્લી બે પંક્તિ છે :

And of course there must be something wrong

In wanting to silence any song.

                                                          [Robert Frost]

ગાંધીજીની હત્યાનો પ્રશ્ન ‘ગુજરાતી વિરુદ્ધ મરાઠી’ કે ‘હિંદુ વિરુદ્ધ મુસ્લિમ’ વચ્ચેનો નથી. માત્ર સાંકડા દૃષ્ટિકોણથી એને ન જોવાય. પ્રશ્ન એ છે કે, એક ‘સિવિલાઈઝ્ડ નૅશન’ તરીકે આપણે જંગલી અવસ્થામાં રહેવા માગીએ છીએ કે વૈચારિક મતભેદ વચ્ચે પણ આપણે સહિષ્ણુતાથી અડીખમ ઊભા રહી શકીએ એવું વાતાવરણ સર્જવા માગીએ છીએ?

થોડાં વર્ષ પહેલાં એક વિદ્વાન સાથે વાત થતી હતી ત્યારે એમણે એક બાણ છોડ્યું, ‘ગાંધીજીની બ્રહ્મચર્યવૃત્તિની વાતમાં હું સંમત થતો નથી’. એમાંથી હજી તો કળ વળે તે પહેલાં એમણે બીજું બાણ છોડ્યું, ‘ગાંધીજીની નિઃસ્વાદવૃત્તિ સાથે હું સંમત થતો નથી.’

આ જાતનો એક નવો ઠઠેરો વળી હમણાં હમણાંનો ચાલે છે. અલ્યા બાબાભાઈ, ગાંધીજીની સાથે સંમત કે અસંમત થનારા આપણે કઈ વાડીના મૂળા!

દેશને આઝાદી અપાવવાનું એમનું તો એક મિશન હતું. એમાં દૃઢ મનોબળવાળાઓની એમને તાતી જરૂર હતી, એવા કે જે ધારાસણામાં સામી છાતીએ લાઠીના ઘા ઝીલી શકે. તો સાજન, કહોને, કહોને, સાજન, તમારે કયું મિશન છે ? 

પણ ઠીક છે, ગાંધીનું નામ લઈને પંગુઓ ભલે લંઘયતે ગિરિમ્. જયન્તભાઈ પંડયાએ લખ્યું છે તેમ આ બધા અવાજો ચાર દિવસના મહેમાન છે, પછી મુંબઈના દરિયામાં ડૂબી જશે. જ્યારે ગાંધીનો અવાજ સદીઓ વીંધીને પ્રવર્તશે, ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં.

પાદટીપ :

જયન્ત મ. પંડ્યા

ફિલાડેલ્ફિયામાં એક વાર્તાલાપમાં, પ્રાધ્યાપક જયન્તભાઈ પંડ્યાએ ગાંધીજી વિશે વાત કરી હતી. ‘ગાંધી આજે રેલેવન્ટ ખરા?’ એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે ‘ઠગોની વચ્ચે સતવાદીનું રેલેવન્સ હંમેશાં રહેવાનું છે.’ ગાંધીને આપણે બજારુ મૂલ્યોથી મૂલવીએ છીએ એટલે આપણે ગૂંચવાઈએ છીએ. ગાંધીએ નીતિમત્તા કેળવી હતી. કોઈ પાસેથી સાદાઈ લીધી, કોઈ પાસે અહિંસા લીધી, કરુણા લીધી, બ્રહ્મચર્ય લીધું. અને પછી આખી જિંદગી એ બધાને વળગી રહ્યા.

હરિલાલ સંબંધમાં એમણે ક્યાં ય ગાંઠ નથી રાખી. સંબંધ હંમેશાં પ્રેમનો રાખ્યો છે. હરિલાલે પ્રેમ રાખ્યો પણ સાથે સાથે ધૂંધવાટ પણ રાખ્યો. એક વાર બા અને બાપુ રેલવેમાં જતા હતા ત્યારે હરિલાલ સ્ટેશન પર મળવા આવેલા. સાથે ચાર સંતરાં લેતા આવેલા તે કસ્તૂરબાને આપતાં કહ્યું કે, ‘આ તમારા માટે જ છે.’ આથી ડોસા ઉપર શું ગુજરી હશે એની આપણે તો માત્ર કલ્પના જ કરવાની રહી.

(‘ઓપિનિયન’ નવેમ્બર 1999માંથી સાભાર)
*1999.
07 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 356

Loading

‘ભૂખ્યો ખડક’ નામ કેમ પડ્યું?

રમેશ સવાણી|Opinion - Opinion|7 July 2025

5 જુલાઈ 2025ના રોજ, ઇલિનોઇસ રાજ્યના ‘Starved Rock State Park – સ્ટાર્વ્ડ રોક સ્ટેટ પાર્ક’ની મજા માણી. શિકાગોથી 93 માઈલ દૂર છે. આ પાર્ક 2,630 એકર(1,064 હેક્ટર)માં ફેલાયેલો છે. ખડક / ખીણો / જંગલથી ઘેરાયેલ છે. આ ઉદ્યાન ફોક્સ અને વર્મિલિયન નદીઓ વચ્ચે, મિસિસિપી નદીની મુખ્ય ઉપનદી, ઇલિનોઇસ નદીના દક્ષિણ કિનારે છે. અહીં વાર્ષિક બે મિલિયનથી વધુ મુલાકાતીઓ આવે છે. 

પાર્કના વિઝિટર સેન્ટરમાં પાર્કના ઇતિહાસ વિશેની ટૂંકી ફિલ્મ જોઈ. આશરે 14,000-19,000 વર્ષ પહેલાં કાંકાકી ટોરેન્ટ તરીકે ઓળખાતા પીગળતા હિમન દીમાંથી પૂર આવ્યું હતું, જેના કારણે આ સ્થળની ભૂગોળ અને તેની ખુલ્લી ખડક-ખીણો બની હતી. ઉદ્યાનમાં વિવિધ વન વનસ્પતિ અસ્તિત્વ ધરાવે છે અને આ વિસ્તારમાં અનેક જંગલી પ્રાણીઓની પ્રજાતિઓ છે. 

વિઝિટર સેન્ટરમાં પ્રદર્શન પણ હતું. ટ્રેઈલના રસ્તા વ્યવસ્થિત હતા. Viewing galleryમાં જવા માટે લાકડાની સીડીઓની સુંદર વ્યવસ્થા હતી. કુદરતી સૌંદર્ય અને ઇલિનોઇસ નદીના દર્શન માટેની અદ્દભુત વ્યવસ્થા હતી. વૃક્ષના શીતળ છાંયે બેસીને નાસ્તો કર્યો અને જગદીશ બારોટ અને ડો. દિનેશ ધાનાણી સાથે મિનિ રેશનલ-સભા યોજી ! 

સ્ટાર્વ્ડ રોક એટલે ભૂખ્યો ખડક ! આવું નામ કેમ પડ્યું હશે? યુરોપિયન સંપર્ક પહેલાં, આ વિસ્તાર મૂળ અમેરિકનોનું ઘર હતું, ખાસ કરીને કાસ્કાસ્કિયા જેઓ નદીની પેલે પાર ઇલિનોઇસના ગ્રાન્ડ વિલેજમાં રહેતા હતા. લુઇસ જોલિએટ અને જેક્સ માર્ક્વેટ આ પ્રદેશની શોધખોળ કરનાર પ્રથમ યુરોપિયન હતા, અને 1683 સુધીમાં, ફ્રેન્ચ લોકોએ નદીની સામે આવેલા મોટા રેતીના પથ્થરના ખડક પર ફોર્ટ સેન્ટ લૂઇસની સ્થાપના કરી હતી, જેને તેઓ લે રોચર (ખડક) કહેતા હતા. 20 એપ્રિલ 1769ના રોજ ઇલિનોઇસ કન્ફેડરેશનના યોદ્ધા દ્વારા કાહોકિયામાં માર્યા ગયા હતા. ઓટ્ટાવા, તેમના સાથી પોટાવાટોમી સાથે, ઇલિનોઇસ નદી કિનારે ઇલિનિવેકના એક જૂથ પર હુમલો કરીને પોન્ટિયાકના મૃત્યુનો બદલો લીધો. ઇલિનિવેક (મૂળનિવાસી) આશ્રય મેળવવા માટે ખડક પર ચઢી ગયા, પરંતુ તેમના પીછો કરનારાઓએ ખડકને ઘેરી લીધો. ખડક પરના મૂળ અમેરિકન લોકો સરેન્ડર ન થયા, ભૂખ્યા રહ્યા, મરી ગયા પણ સરેન્ડર ન થયા. આમ સ્ટાર્વ્ડ રોક એટલે ભૂખ્યો ખડક નામ પડ્યું. નિર્દયતા તો જૂઓ : જેઓ મૂળનિવાસી હતા તેમને જ ભૂખ્યા જ મરવું પડ્યું ! યુરોપિયનો પાસે બંદૂકો હતી અને મૂળનિવાસીઓ પાસે હતા તીરકામઠાં !

એ પછી ફોક્સ નદીને કિનારે ફર્યા. અહીં 1988માં, ફોક્સ વેલીના નાગરિકોએ POTTAWATOMI-પોટ્ટાવટોમી મૂળનિવાસીનું વિશાળ કદનું સ્ટેચ્યુ મૂક્યું છે. આ પ્રતીમા નીચે લખ્યું છે : “સાંભળો, કારણ કે હું ફક્ત એક જ વાર બોલું છું… જ્યારે હું ઝળહળતી ફોક્સ નદીના પાણીની સામે જોઉં છું, ત્યારે મને હજારો teepeesનો ધુમાડો દેખાય છે જ્યાં મેં એક સમયે ફક્ત સૌમ્ય prairies-પ્રેરીઝ અને શિકારથી ભરપૂર લીલાછમ જંગલો જોયા હતા: અમે પ્રકૃતિ સાથે શાંતિથી રહેવા આવ્યા હતા. અમે શિકાર અને ભોજન કર્યું. અમે લગ્ન કર્યા, બાળકોને જન્મ આપ્યો અને અમારા નિયત સમયે મૃત્યુ પામ્યા. અમારા લોકોનાં હાડકાં અહીં પૃથ્વી સાથે ભળી ગયાં. અમને આ ખીણ ખૂબ જ ગમતી હતી, ખૂબ દુઃખ સાથે અમને અમારું ઘર છોડવું પડ્યું. અમે થોડા હતા, અને વસાહતીઓ ઘણા હતા. મારા પૂર્વજોના આત્માઓએ ક્યારે ય આ મહાન ખીણ છોડી નથી, અને ક્યારેક ક્યારેક, તમે અમારા પડછાયાઓની ઝલક જોઈ શકો છો અથવા અમારી હાજરી અનુભવી શકો છો, કારણ કે અમે અમારી પ્રિય ફોક્સ નદીના કિનારે શાંતિથી ચાલતા હોઈએ છીએ. અમારી ભૂમિ છોડતી વખતે અમારી અંતિમ પ્રાર્થના એ હતી કે તમે આ ખીણને એટલો જ પ્રેમ કરો જેટલો અમે તેને પ્રેમ કરતા હતા !” મૂળનિવાસીઓની કેવી ઉમદા ભાવના ! ફોક્સ વેલીના નાગરિકોને પણ ધન્યવાદ ઘટે છે કે એમણે મૂળનિવાસી ઇતિહાસનો આદર કર્યો. 

આપણે ત્યાં ગીર / જૂનાગઢ / કેવડિયા કોલોની / અમદાવાદ કે અન્ય જગ્યાએ પ્રવાસ ઉદ્યોગના વિકાસ માટે મોટી મોટી વાતો થાય છે, પરંતુ કોઈ જગ્યાએ સરખું વિઝિટર સેન્ટર ઊભું કરી શક્યા નથી. સરખા વોશરૂમની વ્યવસ્થા ઊભી કરી શક્યા નથી. ઐતિહાસિક તથ્યો સાથેનું પ્રદર્શન આપણે તૈયાર કરી શક્યા નથી. હાલ તો એ સ્થિતિ છે કે ભારતભૂમિનો ઇતિહાસ જ 2014થી શરૂ થયો છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભાર વિનાનું ભણતર કે સાર વિનાનું ભણતર…?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 July 2025

રવીન્દ્ર પારેખ

મોટે ઉપાડે જાહેરાત કરવામાં ગુજરાતના શિક્ષણ વિભાગને કોઈ પહોંચે તેમ નથી. જાહેરાતો કરવામાં તો કૈં જતું નથી, એટલે બણગાં ફૂંકાતાં રહે છે. તુક્કાઓ પર જ શિક્ષણ વિભાગના હુક્કાપાણી ચાલે છે, એટલે રોજ ફતવાઓ બહાર પડતા રહે છે ને ઘેટાંની જેમ શિક્ષણાધિકારીઓ, શાસનાધિકારીઓ, શિક્ષણ સમિતિઓ, સ્કૂલના આચાર્યો, શિક્ષકો સમજ્યા વગર આદેશોને ફોલો કરતાં રહે છે. આ લોકો ફોલો કરવામાં તો ઘેટાંને ય શરમાવે એવા છે. નવી શિક્ષણ નીતિ-2020 અમલમાં આવી, ત્યારે લાગતું હતું કે વિદ્યાર્થીઓનું, શિક્ષકોનું દળદાર ફીટશે, પણ નીતિ નવી હોય ને દાનત જૂની (ખોરી) હોય તો નીતિ પણ, અનીતિ જ પુરવાર થાય છે.  

કોઈ નબળી ક્ષણે કોઈ અધિકારીને તુક્કો આવ્યો કે એગલેસની જેમ દર શનિવાર પ્રાથમિકનાં બાળકો માટે બેગલેસ કરીએ. તરત જ 1 જુલાઈ, 2025ને રોજ જી.સી.ઈ.આર.ટી. અને દૂરવર્તી શિક્ષણે ફરફરિયાં બહાર પાડી દીધાં કે હવેથી શનિવાર એટલે બેગલેસ ! આ દિવસ શરૂ કરવાનો ઉદ્દેશ એ પરિપત્રમાં દર્શાવાયો છે. તેની થોડી લાઇન જોઈએ, ‘.. વિવિધતાસભર અભ્યાસક્રમમાં નવ વિષયો આવરી લેવામાં આવ્યા છે – ત્રણ ભાષાઓ, વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, કલા શિક્ષણ, શારીરિક શિક્ષણ અને સુખાકારી તેમ જ વ્યાવસાયિક શિક્ષણ – જે તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરે છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા (NSF-SE) અનુસાર એક વિષયક્ષેત્ર ‘શારીરિક શિક્ષણ અને સુખાકારી’ છે. આ વિષયનો મુખ્ય ઉદ્દેશ શારીરિક પ્રવૃત્તિ અને રમતો પ્રત્યેનો રસ જગાવવાનો, રમતોમાં કુશળતાપૂર્વક જોડાવાની ક્ષમતા વિકસાવવાનો અને સંઘર્ષો બાદ પણ ફરીથી ઊભા થવાની ક્ષમતા, સહાનુભૂતિ તથા સહકાર જેવાં માનવીય મૂલ્યો વિકસાવવાનો છે.’

ખરેખર તો બેગલેસ ડે એકમ કસોટીના વિકલ્પે આવ્યો છે. શનિવારે એકમ કસોટી લેવાતી હતી, તેને અટકાવીને ‘ભાર વિનાનું ભણતર’ ફરી કોઈ સાહેબના ભેજામાં ઘૂસ્યું ! આ વેપલો વર્ષો અગાઉ પણ થયેલો ને પરિણામ ‘પાર વિનાનાં ભણતર’માં આવેલું. હવે ફરી કોઈ સાહેબને તઘલખ થવાનું મન થતાં એકમ કસોટીનો ભોગ લેવાયો છે. હવે એકમ કસોટીનું ઠેકાણે પડે ત્યાં સુધી ‘બેગલેસ બેગલેસ’ ચાલશે. વળી કોઈને તઘલખ થવાનું મન થાય ને તેને લાગે કે એકમ કસોટી જ જરૂરી છે, તો બેગલેસનો ઉલાળિયો થઈ જાય એમ બને. જો થોડી પણ અક્કલ વાપરવાનું મન થાય તો એકમ કસોટી પર કાયમી ચોકડી મારવા જેવી છે. કોઈ તઘલખને લાગે કે શનિવારે જ બેગ ભરીને બાળકોએ આવવું ને બાકીના દિવસે બેગલેસ ! તો, તે ય શક્ય છે. આ તો રાજા, વાજા ને વાંદરા છે. કૈં કહેવાય નહીં !

બેગલેસનો હેતુ ખરેખર ઉમદા છે. બાળકો એક દિવસ પીઠને બોજ વગરની રાખે તે સારું જ છે. આ બધું સારું જ છે, પણ ખાટલે મોટી ખોડ અમલીકરણની છે. શિક્ષણખાતાને તો એમ જ છે કે પરિપત્રો બહાર પડે એટલે કામ થઈ ગયું. તુક્કા, પ્રચાર, વિચારની ચરબીથી શિક્ષણ વિભાગ પીડાય છે, પણ આચારમાં તો તે સૂકતાનથી પીડાય છે. અમલ તેના સ્વભાવમાં જ નથી. જે થાય છે, તેણે ‘થવું’ છે, એટલે થાય છે, એમાં શિક્ષણ વિભાગનો ફાળો નહિવત છે.

રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ શનિવારે દફતર વગર ચાલે અને બાળકો હસતાં રમતાં આવે કે શારીરિક માનસિક વ્યાયામમાં પ્રવૃત્ત થાય ને શનિવાર આનંદદાયી નીવડે એનાથી રૂડું કૈં નથી. વારુ, એનો અમલ જુલાઇના પહેલા જ વીકથી થાય એ પણ આવકાર્ય, કારણ ફાંફાં જ અમલના છે, એ સ્થિતિમાં 1 તારીખે પરિપત્ર બહાર પડે ને 4 તારીખથી જ અમલનો આદેશ અપાય એનાથી વધુ ઝડપી બીજું શું હોય, તો એમાં ટીકા કરવા જેવું કૈં છે? છે –

સવાલ એ છે કે 5મીએ પરિપત્રનો અમલ થયો ખરો? વાત એવી હતી કે 5 જુલાઈએ શનિવારે બેગ વગર આવીને બાળકોએ રમતગમત, સાંસ્કૃતિક, યોગની, ચિત્રની પ્રવૃત્તિઓ કરવાની હતી, પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ જ અમદાવાદમાં, ખાનગી, સરકારી સ્કૂલોમાં બાળકો દફતરનો બોજ ઉપાડતાં જ આવ્યાં. એનો અર્થ એ કે અમદાવાદની સ્કૂલોમાં પરિપત્ર પહોંચ્યો નથી. બાકી, ના પાડી હોય ને બાળકો દફતર લઈને દોડે એટલા સુંવાળા તો નથી જ ! ટૂંકમાં, પરિપત્ર સ્કૂલ સુધી પહોંચ્યો નથી ને અમલમાં અખાડાનો આ તાજો દાખલો છે.

વેલ, સુરતમાં બાળકો બેગ તો લાવ્યાં, પણ પુસ્તકોને બદલે તેમાં વોટર બોટલ અને ટિફિન હતાં. એ સાથે જ તેઓ ભણતરને બદલે વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત જણાયાં. શિક્ષણ વિભાગ ગાંધીનગરમાં છે ને પરિપત્રનો અમલ નજીકના અમદાવાદમાં ન થતાં દૂરનાં સુરતમાં થયો એનું આશ્ચર્ય જ છે ! રાજકોટમાં પણ બેગલેસ ડે ઉજવાયો. બાળકો બેગ વગર આવ્યાં ને સેટરડેને જોયડેમાં ફેરવ્યો. તેમણે સ્કૂલમાં સંગીત, નૃત્ય, યોગ જેવી પ્રવૃત્તિ આનંદ અને ઉત્સાહથી કરી. વડોદરામાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 123 સ્કૂલોમાં બેગલેસની શરૂઆત થઈ હતી ને એકાદ સ્કૂલમાં તો AIનુ શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું.

ભારે વજનની બેગ, બાળકોમાં કરોડરજ્જુની મુશ્કેલી ઊભી કરી શકે, એવામાં બાળકો અઠવાડિયે એક દિવસ બોજ વગર આવે તેવો સરકારનો નિર્ણય ચોક્કસ જ આવકાર્ય છે, પણ તેના અમલમાં જીવ રેડવો જોઈએ ને મુશ્કેલી જ ત્યાં છે. આમ તો સારી શરૂઆત થઈ, પણ તે લાંબી ટકે એ પણ જરૂરી છે. આપણે આરંભે છવાઈ તો જઈએ છીએ, પણ પછી ફોલોઅપના પ્રશ્નો રહે જ છે. સૌથી મોટો પ્રશ્ન શિક્ષકોની ભરતીનો છે. 2017થી ચાલી આવતી શિક્ષકોની અછત બાબતે શિક્ષણ વિભાગ પૂરી ખંધાઈથી ઉદાસીન છે. બેગલેસ ડેની જાહેરાત થઈ તે સાથે જ શિક્ષણ સાથે સંકળાયેલા ભાવિક ભક્તો બહુ મોટું કામ થયું હોય તેમ ડાકલાં વગાડતા હતા, ત્યારે તેમને એ વિચાર આવતો ન હતો કે ઓછા શિક્ષકોથી બાળકોને ભણતર વગર પ્રવૃત્ત કઈ રીતે રાખી શકાય? ઈતર પ્રવૃત્તિ માટે પણ સાધન-સામગ્રી તો જોઇએને ! તે કેવી રીતે શક્ય બનશે એ અંગે પણ ફોડ પાડીને શિક્ષણ વિભાગે વાત કરી નથી.

આજે પણ 40,000 હજાર શિક્ષકોની અછતથી સરકાર ચલાવે છે, તેમાં પણ બેગ વગરનાં શનિવારને જોગવવા વ્યાયામ, સંગીત, ચિત્ર શિક્ષકો પૂરતી સંખ્યામાં નથી. સાચું તો એ છે કે છેલ્લાં પંદર વર્ષથી વ્યાયામ, સંગીત, ચિત્રના શિક્ષકોની ભરતી જ થઈ નથી. આ શિક્ષકો હોય જ નહીં, તો વ્યાયામ, સંગીત, ચિત્ર શીખવવાનું શું? તે વગર શિક્ષકે શીખવી શકાશે એવું સરકારને કઈ રીતે લાગે છે? જો કે, વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા સરકારે એક કમિટીની રચના કરી છે. કમિટી રચાતી રહે છે, પણ નિમણૂકોનું ઠેકાણે પડતું નથી. 15 વર્ષથી નિમણૂક થઈ નથી, એવું દુનિયા જાણે છે, પણ નિમણૂકને બદલે સમિતિ રચાય છે. કમિટી શું કરશે? તો કે, વ્યાયામ શિક્ષકોની ભરતી અંગેના નિયમો કે પગાર વગેરે નક્કી કરશે. તે અગાઉ ભરતી થઈ જ નથી, વ્યાયામ શિક્ષકોની? તેના નિયમો અગાઉ ન હતા કે બધું નવે નામે કરવું પડે? આ બધું રાતોરાત થવાનું નથી, એટલે જેની તાત્કાલિક જરૂર છે તે નિમણૂકો થતાં બીજો કેટલો સમય ખવાશે તે નક્કી નથી. વળી આ કમિટી માત્ર વ્યાયામ શિક્ષકો માટે જ છે. તે પણ એટલે રચાઈ કે આંદોલન થયેલું. એમ તો ચિત્ર-સંગીત શિક્ષકોની નિમણૂક પણ બાકી છે, તો નોકરી તો ઠીક, કમિટી રચાવવા, તેમણે પણ આંદોલન કરવું પડશે? કારણ, આંદોલન વગર કામ થતાં નથી તે સરકાર સિવાય બધાં જાણે છે.

ખરી ભવાઇ ચાલે છે !

બાળકોને વ્યાયામ  કરાવવાનો છે, પણ સરકાર જાણે છે કે 6,921 પ્રાથમિક શાળાઓને મેદાન જ નથી? મેદાન પર માટી વાળો, પણ આખી સ્કૂલો પણ કેટલી? ખંડેર જેવી હાલતમાં જોખમો વચ્ચે કેટલી ય સ્કૂલો ચાલે છે. એક જ વર્ગમાં એકથી વધુ ધોરણ ભણાવાતાં હોય કે કેટલી ય સ્કૂલો શોપિંગ કોમ્પ્લેક્સમાં ચાલતી હોય, ત્યાં વ્યાયામ માટે અલગ મેદાનનું તો સપનું ય પડે એમ નથી. આ પરિસ્થિતિ હોય તો વિદ્યાર્થીઓ વ્યાયામ ક્યાં કરશે એનો જવાબ સરકાર આપી શકે એમ છે? શિક્ષકોની હાજરી વગર પણ શિક્ષણ થાય એવો પ્રયોગ ગુજરાતમાં જ શક્ય છે. અન્ય દેશ કે રાજ્યોમાં આવું હોય તો ભડકો થયા વગર ન રહે. પ્રવેશોત્સવ દ્વારા રાજકારણીઓની આરતી ઉતરાવાય છે, તેને બદલે શિક્ષકોનો પ્રવેશોત્સવ ઉજવાય તો દા’ડો વળશે, બાકી, આવી હાલતમાં બેગલેસ ડે ચમત્કાર વગર સફળ થાય એ વાતમાં માલ નથી.

હકીકત એ છે કે બાળકો બેગ લઈને આવે એ દિવસોમાં પણ હાલત બેગલેસથી બહુ સારી હોતી નથી, કારણ પુસ્તકો તો હોય છે, પણ તેને ભણાવનારા શિક્ષકો હોતા નથી. હોય તો તે ઈતર પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત રખાતા હોય છે. એટલે ભરેલી બેગે પણ હાલત તો ખાલી બેગ જેવી જ હોય છે ને વધારામાં બેગનું ભારે વજન ઉપાડીને ઘરે ઢસડાવાનું તે નફામાં !

કોઈ પણ બાબત લાગુ કરતી વખતે તેનો ગંભીરતાથી અભ્યાસ કરવાનું કે જે તે સ્થિતિમાં તેનો અમલ કરાવવાનું કે તેનાં સંભવિત પરિણામો અંગે આગોતરું વિચારવાનું શિક્ષણ વિભાગના લોહીમાં જ નથી. એ તો પડશે તેવા દેવાશે – એ રીતે ચાલે છે ને એનો ભોગ નિર્દોષ બાળકો બને છે.

એટલું સમજી લઈએ કે બાળકો, શિક્ષણ વિભાગના અખતરાઓ કરવાની પ્રયોગશાળા નથી … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 જુલાઈ 2025

Loading

...102030...275276277278...290300310...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved