Opinion Magazine
Number of visits: 9843338
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વતંત્રતાનાં પગરણ સમયે

મનુબહેન ગાંધી|Gandhiana|8 July 2025

મનુબહેન ગાંધી અને ગાંધીજી

સાડા નવે ટ્રેન ઊપડ્યા પછી મેં બાપુજીને ખાવાનું આપ્યું. બધો સામાન બાજુના નાનકડા ખાનામાં મૂક્યો હતો. હું ખાવાનું લઈને આવી ત્યારે બાપુજીએ મને કહ્યું, “તું ક્યાં હતી?” મેં કહ્યું, “હું આપના માટે દૂધ ગરમ કરતી હતી.” બાપુજીએ બહાર જોવાનું કહ્યું, પણ હું સમજી નહીં. મને બાપુજીએ પૂછ્યું, “આ બીજા ખાના માટે તેં કોઈને કંઈ કહ્યું હતું?” મેં કહ્યું : “હા, બાપુજી, આપણે અહીં બધું રાખીએ તો આપને ગરબડ થશે, આથી મેં શ્રીબાબુને કહ્યું હતું કે બે ખાનાં હોય તો વધુ સારું.” 

આથી બાપુજી વધુ નારાજ થયા. “કેવો લૂલો બચાવ ? આંધળો પ્રેમ તે આનું નામ. તને ખબર છે ને કે વાઇસરોયે મને એરોપ્લેનમાં આવવાનું આગ્રહપૂર્વક કહ્યું, અને તેની મેં ના પાડી. એથી બિચારી મૃદુલાએ સ્પેશિયલ જોડાવવાની હું હા પાડું એટલા માટે પોતાની અનેક યુક્તિઓ અજમાવી, આજીજી કરી. પણ મેં સમજાવ્યું કે, એમાં કેટલી બધી ગાડીઓને મારી ગાડી માટે થોભવું પડે અને ખર્ચના ખાડામાં ઊતરવું પડે ! હિન્દુસ્તાનના હજારો ગરીબો જો એરોપ્લેનમાં ન બેસે તો મારાથી કેમ બેસાય ?”

“આથી સ્પેશિયલની તો ના જ પાડી. તેં આજે જેમ એક ખાનું વધારે માગ્યું છે તેમ જો મારા માટે સલૂન માગ્યું હોત તો તે પણ મળત. પણ એ તને અને મને શોભત? હું જાણું છું કે, તું મારા પરના પ્રેમને વશ થઈને મારી કાળજી રાખી રહી છે. પણ મારે તો તને ઊંચે ચડાવવી છે, નીચે નથી પાડવી.”

બાપુજી ખૂબ દુઃખથી—વ્યથાથી એકશ્વાસે બોલતા હતા. મારી આંખમાંથી આંસુની ધાર ચાલી. મેં મન ખૂબ મક્કમ રાખવા પ્રયત્ન કર્યો, પણ ન રહી શકયું.

બાપુજી કહે, “જો તું સમજી ગઈ હોત તો રડવું ન આવત.” મને ભય તો એ હતો કે, મારી ભૂલને માટે બાપુજી રખેને કંઈક આકરું પગલું ભરે – ઉપવાસ કરશે તો ? કારણ કે બાપુજી હંમેશાં બીજાની કરેલી ભૂલને પોતે જ ભૂલ કરી છે એમ માનતા અને એનું પ્રાયશ્ચિત્ત પોતે કરતા.

આમ કરતાં મિરજાપુર સ્ટેશન આવ્યું. માસ્તરને બોલાવ્યા. મારી બધી વાત કહી : “મારી પૌત્રી છે, બિચારી ભોળીભલી છે. મારા ઉપર પ્રેમ અને ભક્તિ રાખે છે, એટલે મને કેમ ઓછી તકલીફ થાય તે માટે પોતાની અક્કલ દોડાવ્યા કરે છે.  પણ એને ખબર નથી કે આમાં મને વધુ તકલીફ છે. હવે આ સામાન લઈ આ ખાનાનો ઉપયોગ બીજાં પૅસેંજરો માટે કરો.”

પરંતુ સ્ટેશન-માસ્તરે આજીજી કરી કે, “આપ કહો તો હું બીજો ડબો જોડી આપું.”

બાપુજી કહે, “બીજો ડબો તો જોડો જ; પણ જરૂરિયાત કરતાં વધુ ચીજો વાપરવી એ પણ હિંસા છે, ચોરી છે, પરિગ્રહ છે. અને મળતી ચીજોનો દુરુપયોગ કરાવી આ છોકરીને બગાડવા માગો છો?” અંતે સ્ટેશન-માસ્તર બિચારા શરમાઈ ગયા અને મેં તો ચુપચાપ સામાન ફેરવી નાખ્યો. અમારા ડબ્બામાં ભીડ તો થઈ છે, પણ તે બાપુજીને ગમ્યું. મને કહે, “મેં તને કેટલો મોટો પાઠ આપ્યો? તું એને સમજપૂર્વક લેવાને બદલે રડી પડી એ મને ન ગમ્યું.”

મેં કહ્યું,  મને બીક એ લાગી કે, મારા વાંકને આપ પોતે માથે ઓઢી લઈ ઉપવાસ કે કંઈક એવી જાતનું પગલું ભરો તો ?” મને પ્રેમથી થાબડીને કહે, “ એવો હું ગાંડો છું?”

**

પ્રાર્થનામાંથી આવીને બાપુજીએ પ્રવચન લખ્યું. ખૂબ ગરમીને કારણે ઠંડા પાણીને સ્પંજ કર્યો, માથા પર ઠંડા પાણીનાં પોતાં મૂક્યાં. ડૉકટર સાહેબે તો બરફ જ મંગાવ્યો હતો, પણ બાપુજીએ એવું ખોટું ખર્ચ કરવાની ના કહી અને માટલા ઉપર ભીના પાણીનો કટકો બંધાવ્યો. એ પાણીનાં જ પોતાં માથા પર મૂકાવ્યાં. એટલે અર્ધા-અર્ધા કલાકે બાપુજીનો ટુવાલ અને માટલાનો ટુવાલ બદલવાને રહે છે. ડૉ. સાહેબ મને કહે, “બાપુજીએ તારી પ્રવૃત્તિ વધારી દીધી. રોજ એક રૂપિયાને બરફ મંગાવી લે તો આખો દહાડો ચાલે ને ? અને બાપુજીને પણ ઠંડક વધુ મળશે.”

બાપુજીની સામે જ આ વાત કહી એટલે બાપુજી ખડખડાટ હસતા હસતા કહે, “તમે તો કમાઓ છો, તમારા દીકરાઓ પણ કમાય છે. પણ આ છોકરીને કે મને કોઈ પગાર દેતું નથી, એટલે એ છોકરી બરફ ક્યાંથી મંગાવે? અને આપણે ક્યાં એવાં સુંવાળાં છીએ કે એટલી બધી જરૂર પણ હોય? આ ભીનું કપડું વીંટાળીએ એટલે બરફનાં પાણીનું કામ સરે.”

08 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 357

Loading

આ બધા પુરસ્કાર શેના માટે?

રમેશ સવાણી|Opinion - Opinion|8 July 2025

રમેશ સવાણી

કોઈ પણ વ્યક્તિનું સન્માન થાય ત્યારે તેના ગામ / સમુદાય / દેશનું સન્માન થતું હોય છે. સન્માન માટે હંમેશાં અભૂતપૂર્વ કામગીરી / માનવ સમાજ માટે ઘસાઈને ઊજળા થવા માટે થતું હોય છે. સન્માન તો પરિશ્રમનો બદલો છે, મૂલ્યાંકન છે. 

નોબેલ પારિતોષિક જુદા જુદા ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી માટે આપવામાં આવે છે. જેમને આ સન્માન મળે છે તે વિશ્વ કક્ષાએ સન્માન પામે છે. સ્વીકૃતિ પામે છે. મેગ્સેસે પુરસ્કાર પણ જુદા જુદા ક્ષેત્રોમાં નોંધનીય કામગીરી માટે અપાય છે. જે પત્રકારત્વ ક્ષેત્રમાં રવિશકુમારને મળેલ છે. જો કે મેગ્સેસે પુરસ્કાર યોગ્ય વ્યક્તિને જ મળે છે એવું નથી. સામાજિક નેતૃત્વમાં પાંડુરંગ શાસ્ત્રીને મેગ્સેસે પુરસ્કાર મળ્યો હતો તે ખોટી પ્રચાર ઝૂંબેશના કારણે મળેલ. જો કે મોટાભાગે આ પુરસ્કારો યોગ્ય વ્યક્તિઓને મળતા હોય છે. 

દેશના વડા પ્રધાનને પણ બીજા દેશ તરફથી સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવે છે. આ પ્રકારના સન્માન / પુરસ્કાર કોઈ વિશિષ્ટ કામગીરી માટે નહીં પણ સન્માન મેળવનાર વડા પ્રધાનના હોદ્દા પર છે, એટલે આપવામાં આવે છે. આ એક પ્રોટોકોલ-રાજદ્વારી શિષ્ટાચાર છે. વડા પ્રધાન મોદીજીને જુલાઈ 2025 સુધીમાં 25 દેશોએ સર્વોચ્ચ નાગરિક સન્માન કે અન્ય સન્માનથી સન્માનિત કરેલ છે જેમાં Saudi Arabia / Afghanistan / Palestine / Maldives / United Arab Emirate s/ Bahrain / United States of America / Fiji / Papua New Guinea / Egypt / France / Greece / Bhutan / Russia / Nigeria / Dominica / Guyana / Kuwait / Barbados / Mauritius / Sri Lanka / Cyprus / Ghana / Trinidad-Tobagoનો સમાવેશ થાય છે. આ ઉપરાંત honorary doctorate degree આપવાનો પણ શિષ્ટાચાર છે. વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરનું કામ જ મોદીજી માટે પુરસ્કારની ભિક્ષા માંગવાનું હોય એવું લાગે છે !

2014માં, સધર્ન યુનિવર્સિટી તરફથી મોદીજીને માનદ્દ ડોક્ટરેટનું સન્માન આપવામાં આવેલ પણ તે સન્માન સ્વીકારવાનો તેમણે ઈન્કાર કર્યો હતો. 2016માં બનારસ હિન્દુ યુનિવર્સિટી તરફથી માનદ્દ ડોક્ટરેટ ઓફ લો સ્વીકારવાનો તેમણે ઇનકાર કર્યો હતો. ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ઘણી યુનિવર્સિટીઓએ માનદ્દ ડોક્ટરેટની પદવી આપવાનો નિર્ણય  કરેલ પણ તેમણે આ સન્માન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કદાચ યુનિવર્સિટીના નામથી જ મોદીજી ભડકી જાય છે !

મોદીજી વડા પ્રધાન છે એટલે આ સન્માન મળે છે. તેઓ RSSના માત્ર પ્રચારક હોત આ સન્માનો મળ્યા ન હોત ! એટલે કે આ સન્માનો સત્તાથી ખરીદાયેલા છે, કોઈ વિશિષ્ટ કામગીરી માટેના નથી. એટલું જ નહીં, જ્યારે ભારતે પાકિસ્તાન સામે ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું ત્યારે આ 25 સર્વોચ્ચ નાગરિક સન્માન આપનાર દેશો ભારતની પડખે ઊભા રહ્યા ન હતાં ! મોદીજી વડા પ્રધાન બન્યા બાદ 89 દેશોના મહેમાન બન્યા. આ 89 દેશોમાંથી પણ કોઈ ભારતની પડખે રહ્યા નહીં ! ટૂંકમાં વિદેશ પ્રવાસનો અને સન્માનનો ભારતને કોઈ લાભ થયો નહીં ! આ આપણી વિદેશનીતિની ભયંકર નિષ્ફળતા હતી. ‘મોદીજીએ ભારતનો વિશ્વમાં ડંકો વગાડ્યો છે’ તે માત્ર અંધશ્રદ્ધા છે. 

સન્માન મળે સારી બાબત છે, પરંતુ તે કામગીરીના આધારે મળે તો સોનામાં સુગંધ ભળે. મોદીજીએ 2014થી 2025 દરમિયાન દેશ માટે કોઈ ઉત્કૃષ્ટ કામગીરી કરી? માનવ સમાજ માટે ઘસાઈને ઊજળા થયા? તેમણે જે વચનો આપેલ તેમાંથી એકપણ વચનનો અમલ કર્યો? શું પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા? ડોલરના મુકાબલે રૂપિયો મજબૂત બન્યો? મોંઘવારી ઘટી? બેરોજગારી ઘટી? લોકશાહી મૂલ્યો મજબૂત થયાં? લોકોના હક્કો વિસ્તૃત બન્યા? શું ન્યાયતંત્ર / ચૂંટણીપંચ સ્વતંત્રપણે કામ કરી શકે છે? શું ભષ્ટ્રાચાર સહેજ પણ ઓછો થયો? શું યૌન શોષણની ફરિયાદ પોલીસ નોંધતી થઈ? શું વિપક્ષોનું ચરિત્રહનન ઓછું થયું? શું જૂઠાણાં ઓછા થયાં? શું ખેડૂતોની આવક બમણી થઈ? શું શ્રમિકોની સ્થિતિ સુધરી? શું સમાજમાં પ્રવર્તતા ઊંચનીચના ભેદભાવો ઓછા થયા? શું સમાજમાં પ્રગતિશીલ મૂલ્યો / વૈજ્ઞાનિક અભિગમની સ્થાપના થઈ? શું મીડિયા સ્વતંત્રપણે કામ કરી શકે છે? શું સરકારી ખર્ચે યોજાતી રેલી / સભામાં પક્ષનો પ્રચાર કરવાની અનૈતિકતા ઓછી થઈ? શું કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર કરનારને સજા થઈ? શું મહિલાઓની સુરક્ષા વધી? અનુસૂચિત જાતિ-જનજાતિ / નબળા વર્ગના લોકોની પ્રગતિ થઈ? જો આ બધાં પ્રશ્નોના જવાબ ‘ના’ હોય તો આ 25 સર્વોચ્ચ પુરસ્કાર શેના માટે અપાયા હશે?

નેતાનું સાચું માપ તેમની આંતરરાષ્ટ્રીય છબીમાં નથી, પરંતુ પોતાના રાષ્ટ્ર અને તેના લોકોના ઉત્થાનમાં રહેલું છે. વડા પ્રધાનને સત્તા મળે પણ લોકો માટે એનો ઉપયોગ ન થાય તો પુરસ્કારનો કોઈ અર્થ ખરો? રાજાનો વેશ ધારણ કરવાથી રાજા બની શકાતું નથી ! વડા પ્રધાનનો હોદ્દો મળે છતાં કોરાધાકોર રહી જવાય !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સબ કા અપના અપના નોર્મલ હૈ 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|8 July 2025

બહેરા દેડકાનું સાહસ …

રાજ ગોસ્વામી

એક જંગલમાં દેડકાઓનાં ટોળાં વચ્ચે ઊંચા નીલગિરી પર ચઢવાની હરીફાઈ યોજાઈ. બીજાં પ્રાણીઓ ત્યાં એકઠાં થયાં. કોઈને વિશ્વાસ નહોતો દેડકાઓ ઉપર ચઢી શકશે. તેમણે સલાહ આપી કે આવા અખતરા રહેવા દે, નહીં તો જીવ ગુમાવવો પડશે.

હરીફાઈ શરૂ થઇ. પ્રાણીઓ બોલવા લાગ્યાં; ‘કોઈ ઉપર નહીં ચઢી શકે …પડીને મરી ન જાય તો મને કહેજો …ઝાડ બહુ લીસ્સું છે અને આ લોકોમાં અક્કલ નથી.’

એકાદ બે દેડકાને બીક લાગી અને હરીફાઈમાંથી નીકળી ગયા. અમુક થોડુંક ચઢીને ગબડી પડ્યા અને મરી ગયા. જે જુસ્સાવાળા હતા તે ઝાડ પર ઊંચે ચઢ્યા. નીચેથી ટોળાંએ બૂમો ચાલુ રાખી; ‘આગળ ન ચઢતા, પડીને મરી જશો. તમારું ગજું નહીં.’ 

દેડકાઓએ વાત ન સાંભળી અને થોડા વધુ દેડકા પડીને મરી ગયા. 

પરંતુ એ બધામાં એક દેડકો ઊંચે ને ઊંચે ચઢવા લાગ્યો. તેનો જુસ્સો અને ગતિ બંને પ્રસંશનીય હતાં. નીચે રહી ગયેલા દેડકાઓ અને અન્ય પ્રાણીઓના આશ્ચર્ય વચ્ચે તે ઝાડની ટોચ પર ચડી ગયો.

બધાને નવાઈ લાગી. એ નીચે આવ્યો એટલે બધાએ તેને હરીફાઈ જીતવા માટે અભિનંદન આપ્યા, અને પછી પૂછ્યું કે ‘તને ના પાડી હતી તો’ય જાનનું જોખમ કેમ લીધું? અને તું એટલા ઊંચે ચડી શક્યો કેવી રીતે?’

વિજેતા દેડકાએ ભોળા ચહેરે તેમની તરફ જોઇને કહ્યું, ‘તમે મને ચેતવતા હતા? પણ હું તો બહેરો છું. મને એમ કે તમે બધા મારું સાહસ વધારી રહ્યા છો.’

————————–

આમિર ખાનની બહુચર્ચિત નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’નો એક સંવાદ લોકપ્રિય થયો છે : સબકા અપના અપના નોર્મલ હૈ. આ ફિલ્મ, માનસિક વિકાસ સંબંધી ડાઉન સિન્ડ્રોમ અને ન્યૂરો ડાઈવર્સી જેવા જટિલ વિષય પર પ્રકાશ પાડે છે. ફિલ્મના હીરો ગુલશનને જ્યારે આવાં સ્પેશ્યલ બાળકોને કોચિંગ આપવાની સજા સંભાળવવામાં આવે છે ત્યારે, ‘આ છોકરાં તો નોર્મલ નથી’ની તેની મૂંઝવણના જવાબમાં કમ્યુનિટી સેન્ટરનો સંચાલક ગુરપાલ સિંહ કહે છે, ‘સબ અપને-અપને નોર્મલ પે ટીકે બૈઠે હૈં, કોચ સાહબ. સબકા અપના-અપના નોર્મલ હોતા હૈ. આપ કા નોર્મલ આ પકા, ઉન કા નોર્મલ ઉન કા.’

ડાઉન સિન્ડ્રોમ વાળાં બાળકોને ‘અલગ’ અને ક્યારેક તો ‘ગાંડા’ ગણીને સમાજમાં આભડછેટ કરવામાં આવે છે. લોકો તેમને એબનોર્મલ માને છે કારણ કે તેમની દૃષ્ટિએ નોર્મલ એ છે જે તેમના જેવા છે. આમિરની ફિલ્મ આ માન્યતાને તોડવા પ્રયત્ન કરે છે. તે કહે છે કે સમાજનો બહુમતી વર્ગ નક્કી કરે તે નોર્મલ ન કહેવાય. દરેક વ્યક્તિ નોર્મલ જ છે, પણ પોતાની રીતે. તેની કોઈ એક વ્યાખ્યા નથી, જેમાં સર્વેને ફિટ કરી દેવામાં આવે. નોર્મલ શું છે તે સમાજ નક્કી નથી કરતો, તે વ્યક્તિ નક્કી કરે છે; સબ કા અપના-અપના નોર્મલ હોતા હૈ.

આમ તો આ શબ્દનો ઉપયોગ મેન્ટલ હેલ્થના સંદર્ભમાં કરવામાં આવે છે. પશ્ચિમના વિકસિત સમાજોમાં તો આજે ઘણી સજાગતા આવી છે, પરંતુ ભારત જેવા દેશોમાં હજુ પણ માનસિક સ્વાસ્થ્ય સંબંધી બાબતોને નકારાત્મક રીતે જોવામાં આવે છે. આપણે ત્યાં વિકલાંગ બાળકો અને સ્ત્રીઓને સમાજમાં બીજાં જેવાં નહીં હોવાની આકરી સજા ભોગવવી પડે છે. આપણે ત્યાં સ્ત્રીઓને આજે પણ ડિપ્રેશન કે હીસ્ટેરિયા જેવી સાધારણ ફરિયાદો બદલ ‘ગાંડા’માં ખપાવી દેવામાં આવે છે.

કોઈ વ્યક્તિને સ્કિઝોફ્રેનિયા હોય તો તેનો અર્થ એ નથી કે તે મનુષ્યમાં નથી. આપણે ત્યાં તેને સાંકળોથી બાંધી રાખવાના દાખલા પણ છે. કથિત રીતે નોર્મલ લોકો જેટલી હિંસા કરે છે તેની સરખામણીમાં, માનસિક રીતે અસ્વસ્થ અમુક લોકો જ આક્રમક હોય છે, તેમ છતાં આપણે તમામ ‘ગાંડા’ને સૌથી જોખમી ગણીએ છીએ. ગાંડાઓને પથ્થરો મારવાનું ચલણ આપણે ત્યાં જ છે. 

આ બધું આપણી નોર્મલની વ્યાખ્યાને કારણે છે. સમાજે નોર્મલની એક અવસ્થા સ્વીકારી લીધી છે. જે લોકો તેમાં ફિટ થાય તે નોર્મલ, અને ન થાય તે એબનોર્મલ. પ્રકૃતિ આવા ભેદ નથી કરતી. આ માનવસર્જિત ભેદ છે. વાસ્તવમાં, લોકો નોર્મલ કે એબનોર્મલ નથી હોતા, નેચરલ હોય છે. 

અને આ વાત માત્ર વ્યક્તિની માનસિક કે શારીરિક સ્થિતિ સુધી સીમિત નથી. દરેક સામાજિક વલણના નોર્મલ હોવા અંગે સવાલો ઊભા થાય છે. નોર્મલ હોવું એ સબ્જેક્ટિવ, એટલે કે વ્યક્તિપરક હોય છે કારણ કે માપદંડો દરેક વ્યક્તિએ વ્યક્તિએ, સમાજે સમાજે અલગ હોય છે. તે સમય પ્રમાણે બદલતા રહે છે. તમારા માટે જે નોર્મલ છે તે મારા માટે નથી, અને મારા માટે આજે જે નોર્મલ છે તે ગઈકાલે નોર્મલ નહોતું. 

આપણે આપણી માન્યતાઓ, દૃષ્ટિકોણ, માહોલ, ઉછેર, અનુભવ, પરિવાર, સમાજ અને જરૂરિયાતો અનુસાર શું નોર્મલ છે તે નક્કી કરીએ છીએ. પરંતુ આ માપદંડો શાશ્વત નથી. દાખલા તરીકે, સમલૈંગિકતા બહુ લાંબા સમય સુધી બીમારી અથવા વિકૃતિ ગણાતી હતી (આજે પણ ગણાય છે), પરંતુ વૈજ્ઞાનિક સમજના વિકાસની સાથે આપણે તેને પ્રાકૃતિક સમજતા થયા છીએ.

નોર્મલ શબ્દ આપણી બોલચાલમાં અને વિચારોમાં એટલો ઘૂસી ગયો છે કે આપણને તેનો અંદાજ પણ નથી. દાખલા તરીકે, આપણે કેટલી સહજતાથી આવાં વાક્યો બોલીએ છીએ અથવા આજુબાજુમાં લોકોને બોલતાં સાંભળીએ છીએ –

‘ફલાણાનો ઉછેર નોર્મલ નથી થયો.’

‘હું નોર્મલ માણસની જેમ કેમ ખાઈ ન શકું?’

‘મને કેમ નોર્મલ વિચારો નથી આવતા?’

‘ફલાણાનો વ્યવહાર નોર્મલ કેમ નથી?’

‘આજના લોકો નોર્મલ લગ્નો કેમ નથી કરતા?’

‘ફલાણો માણસ નોર્મલ જિંદગી કેમ જીવી શકતો નથી?’

અહીં, નોર્મલ એટલે સમાજનો બહુમતી વર્ગ જે રીતે જીવે છે અથવા કરે છે તે. આપણે તે ફૂટપટ્ટી વડે બીજાને અને ક્યારેક આપણને માપીએ છીએ. આપણે એક સમાજ કે સમુદાયમાં રહેતા હોઈએ ત્યારે તેમની સાથે તંદુરસ્ત લગાવ જાળવી રાખવા માટે અમુક નિયમો અથવા રિવાજોનું પાલન કરીએ તેમાં ખોટું નથી. દાખલા તરીકે, બધા સાડી પહેરતા હોય અથવા કૂર્તો-પાયજામો પહેરતા હોય તો તે નોર્મલ કહેવાય. અથવા થાળીમાંથી હાથ વડે ખાવું નોર્મલ છે. 

પરંતુ સાડી પહેરવી કે હાથ વડે ખાવું તે મારા નોર્મલ હોવાની નિશાની નથી. તે એક શોખ અથવા પસંદગીથી વિશેષ કશું નથી. સમસ્યા ત્યારે શરૂ થાય જ્યારે વ્યક્તિગત પસંદ (જે પ્રાકૃતિક પણ હોઈ શકે) એબનોર્મલ અથવા વિકૃતિમાં ગણવામાં આવે. 

આપણે ત્યાં તો અમુક પ્રકારની સ્વભાવગત ખાસિયતોવાળા લોકોને પણ એબનોર્મલ ગણવાની ટેવ છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ વધુ પડતી સંવેદનશીલ હોય, શરમાળ હોય અથવા અંતર્મુખી હોય તેને પણ નોર્મલમાં ગણવામાં નથી આવતી.

નોર્મલ ફેક્ટ નથી, ફિક્શન છે. તે પ્રાકૃતિક સત્ય નથી, સામાજિક કલ્પના છે. સમાજમાં ઘણાં મીથ હોય છે, તેવું તે એક મીથ છે. દરેક સમાજ નોર્મલની એક વાર્તા લખે છે અને આપણે તેમાં ફિટ થવાનું હોય છે. એ વાર્તા આપણને કહે છે કે સુખી અને સફળ જીવન કોને કહેવાય. એક ‘નોર્મલ’ માણસે કેવી રીતે જીવવું તેનું પ્રિસ્ક્રીપ્શન એ વાર્તામાં લખેલું છે. 

વાસ્તવિકતા એ છે કે આપણે સૌ અનન્ય અને અદ્વિતીય છીએ. અને આપણે કોણ છીએ અથવા કેવા છીએ, અથવા આપણા વ્યક્તિત્વનાં લક્ષણો શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. સૌનું એક સમાન સ્વાગત છે. 

અંદરથી સૌને ખબર છે કે જીવન આસાન નથી. સૌની કોઈને કોઈ કમજોરી હોય છે. છતાં, આપણે અનન્ય છીએ. આપણે સૌ આપણી રીતે અલગ છીએ. આપણા અનન્ય અનુભવો, આપણા સંજોગો, આપણું જ્ઞાન, આપણી તાકાત અને કમજોરીઓ આપણને આગવી ઓળખ આપે છે. 

આપણે મશીનમાં બનતા રોબોટ નથી, આપણે પ્રકૃતિના ખોળે ઉછરતા જીવ છીએ. દુનિયામાં કેટલાં ઝાડ છે? તેના પર કેટલાં પત્તાં છે? અને છતાં, એક પણ પત્તું તેના પાડોશી જેવું સમાન નથી. પ્રકૃતિએ પ્રત્યેક પત્તાને એક જુદો ચહેરો આપ્યો છે. તમે ક્યારે ય બજારમાં એક ખૂણે બેસીને સામેથી પસાર થતા લોકોને જોયા છે? ન જોયા હોય તો જો જો. પ્રત્યેક વ્યક્તિની ચાલ અલગ હશે. દુનિયામાં કોઇપણ બે વ્યક્તિ એક સરખું ચાલતા નથી. 

આપણે સૌ એકબીજા જેવા નોર્મલ નથી એટલે જ આપણી આગવી ઓળખ છે. આપણે એકબીજાથી અલગ છીએ એટલે જ દુનિયા આટલી ખૂબસુરત છે. આપણી કથિત એબનોર્માલિટી દુનિયા માટે ગિફ્ટ છે. દુનિયાને આપણી આગવી વાર્તાની જરૂર છે. આપણા સૌની વાર્તાઓ અલગ છે. આપણે એક સમાન નથી. સર્વસામાન્ય નોર્મલ જેવું કશું હોતું નથી. આપણે સૌ આપણું નોર્મલ બનાવીએ છીએ. સબ કા અપના અપના નોર્મલ હૈ. 

1980માં, નસીરુદ્દીન શાહની એક ફિલ્મ આવી હતી, ‘સ્પર્શ.’ તેમાં તે દૃષ્ટિહીન શિક્ષક છે અને  દૃષ્ટિહીન બાળકોની સ્કૂલમાં ભણાવે છે. તે સ્કૂલમાં બાળકોને ગાવાનું શીખવાડતી શબાના આઝમી એક દિવસ બોલે છે, ‘મૈં યહી ચાહુંગી કિ બેચારોં કો જ્યાદા સે જ્યાદા દે સકું.’

નસીર તેને ટોકે છે, ‘એક છોટી સી અર્જ હૈ. એક લફ્ઝ આપ જીતની જલ્દી ભૂલ જાયેં ઉતના અચ્છા હોગા – બેચારા. હમે મદદ ચાહિયે, તરસ નહીં. યે મત ભૂલીએ કી અગર આપ ઉન્હેં કુછ દેંગી તો વો ભી આપકો કુછ દેંગે. કિસી કા કિસી પર અહેસાન નહીં. કોઈ બેચારા નહીં. ઠીક?’

(પ્રગટ : ‘સુખોપનિષદ’ નામે સાપ્તાહિક કટાર, “ચિત્રલેખા”; 14 જુલાઈ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...274275276277...280290300...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved