Opinion Magazine
Number of visits: 10081146
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશમાં વડાપ્રધાન કેટલા છે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 October 2025

રવીન્દ્ર પારેખ

ભારતમાં વડા પ્રધાન એક જ છે ને તે છે આદરણીય નરેન્દ્ર મોદી, પણ મોદી ન વર્તે એવી રીતે બની બેઠેલા ઘણા નેતાઓ અને લોકો વડા પ્રધાન તરીકે વર્તતા જણાય છે. એવું નથી કે ભારતમાં કંઇ થતું નથી, થાય છે ને ઘણું થાય છે. એ હકીકત છે કે ભારતના વિદેશો સાથેના સંબંધોમાં ઘણો સુધાર થયો છે. આ જ વડા પ્રધાનને એક કાળે અમેરિકા નકારતું હતું ને હવે સ્થિતિ એ છે કે અમેરિકા ભારતનો એકડો કાઢી શકે એમ નથી. અત્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી છે. નથી મોદીનો પૂરો સ્વીકાર કરી શકતા કે નથી મોદીનો એકડો કાઢી શકતા. 48 વખત ટ્રમ્પ બોલી ચૂક્યા છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ તેમણે પોતે કરાવ્યું છે ને બીજાને ગળે ઊતરે કે ન ઊતરે, પોતાને જ ઠસાવવા ટ્રમ્પ હજી બે’ક વખત બોલીને હાલ્ફ સેન્ચુરી કરે તો નવાઈ નહીં. ભારત એ સ્વીકારતું નથી, એટલે ટ્રમ્પ છાશવારે ટેરિફની ધમકી આપ્યા કરે છે. મોદી પણ પવન જોઇને વહાણ હંકારે છે. ટૂંકમાં, નોંધ લીધા વગર કોઈ દેશને ન ચાલે એવું વાતાવરણ ભારતે વિશ્વમાં ઊભું કર્યું છે.

તો, દેશમાં પણ ઘણું થઈ રહ્યું છે. તાજા જ સમાચાર ‘મિસિસ યુનિવર્સ’નો તાજ ભારતની શેરી સિંહને મળ્યાના છે. 7 વર્ષના દીકરાની માતા શેરી સિંહે ‘મિસિસ યુનિવર્સ’નો તાજ પહેરીને ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. બીજી તરફ રાજરાણી કોચિંગ સંસ્થાના ફેશન શોમાં 7,000થી વધુ લોકોએ ભાગ લઈ ફેશન જગતમાં નવો વિશ્વ વિક્રમ કર્યો ને તેની નોંધ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ લેવાઈ. રાષ્ટ્રપતિએ ગુજરાત વિદ્યાપીઠના 71માં પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહી 71૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી. આ વખતે ‘ફિલ્મફેર એવોર્ડ’ અમદાવાદમાં યોજાયો અને અનેક ફિલ્મી હસ્તીઓની વચ્ચે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ ‘લાપતા લેડીઝ’ને મળ્યો. આ ઉપરાંત એ ફિલ્મને બીજા 11 એવોર્ડ્સ મળ્યા, જેમાં સંવાદ માટેનો એવોર્ડ એક ગુજરાતણ સ્નેહા દેસાઈને મળ્યો. બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ કિરણ રાવને ‘લાપતા લેડીઝ’ માટે અને બેસ્ટ એક્ટરનો એવોર્ડ ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યન અને ‘આઈ વોન્ટ ટુ ટોક’ માટે અભિષેક બચ્ચનને અપાયો, જયારે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ ‘જિગરા’ માટે આલિયા ભટ્ટને જાહેર થયો.

અમેરિકી રાજદૂતે પણ જાહેર કર્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ મોદીને ખાસ મિત્ર માને છે. ટ્રમ્પ પોતે પણ મોદીને વખાણતા રહે છે, તો મોદી પણ લાગ જોઇને સોગઠી મારતા રહે છે. તાજેતરમાં જ મોદીએ ઊંઝા APMC ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ખેડૂતો માટે 42,00૦ કરોડની યોજનાઓ ખુલ્લી મૂકી. ગયા શનિવારે ઓછું પ્રદર્શન કરતાં 100 જિલ્લાઓમાં મોદીએ કઠોળના ઉત્પાદનને વેગ આપવા અને કૃષિ ક્ષેત્રના વિકાસમાં સુધારો કરવા 35,440 કરોડની બે મુખ્ય કૃષિ યોજનાઓ શરૂ કરી. કહેવાનું એ છે કે દેશમાં અનેક યોજનાઓ આમ વખતોવખત જાહેર થતી રહે છે. કોઈ દેશ 81.5 કરોડ લોકોને મફત અનાજ આપતો નથી, ભારત આપે છે. એ સારી જ વાત છે, પણ મફત અનાજ મેળવનારાઓ હવે કામ કરવા તૈયાર નથી. કેટલાક વિસ્તારોમાં નાનું કામ કરનારાઓ એટલે મળતા નથી, કારણ મફત અનાજથી ધરાયેલા લોકો આળસાઈ ગયા છે.

એ પણ છે કે કેટલાક મંત્રીઓ, સાંસદો, વિધાયકો, કાર્યકરો બેફામ લવારા કરે છે, પણ એટલાથી વાત અટકતી નથી. હવે તેઓ છુટ્ટા હાથની મારામારી કરવામાંયે શરમાતા નથી. વડા પ્રધાનને નથી લાગતું કે પોતે વડા પ્રધાન છે, પણ કેટલાક મંત્રીઓ, સાંસદો પોતે વડા પ્રધાન હોય તેમ મનસ્વી રીતે વર્તી રહ્યા છે. તેમની ભાષામાં સ્વસ્થતા નથી. તેમના વર્તનમાંથી ગૌરવને બદલે ગર્વ પ્રગટે છે. ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી વિષે તો એવું પણ કહેવાયું છે કે તેઓ કાર્યકારી વડા પ્રધાનની જેમ વર્તી રહ્યા છે અને વડા પ્રધાને તેમનાથી ચેતવું જોઈએ. આશ્ચર્યજનક વાત એ છે કે વડા પ્રધાન તેનાથી અજાણ નથી. આવું તો ઘણું છે. વડા પ્રધાન નથી વર્તતા એવી ઉદ્ધતાઈથી શાસકો વર્તી રહ્યા છે. આ બધા પછી પણ ભારત દુનિયાની નજરમાં વિકાસ કરી રહ્યો છે ને એ કેટલીક હદે સાચું પણ છે, પણ દેશની અંદર રહેલી જનતાને લાગે છે કે છે ત્યાં ઘણું છે ને નથી ત્યાં ઘણું પોલું છે.

142 કરોડથી વધુ વસ્તી ધરાવતા દેશમાં એક તરફ અનેક શિક્ષિતોને પાત્રતા છતાં નોકરી નથી અને બીજી તરફ નોકરી કરતા કર્મચારીઓની છટણીની વાતો છે. કાલના જ સમાચાર છે કે ટી.સી.એસ. સહિતની આઈ.ટી. કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. એ રીતે 50,000 કર્મચારીઓ પર નોકરીનું સંકટ ઊભું થયું છે. બીજું બધું તો સમજ્યા, સેનામાં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી છે. આ કમી રાખીને આપણે આતંકીઓ અને ઘૂસણખોરોને તક આપવાની છે? દેશ વિકાસ કરી રહ્યો છે, તો તે અનેક જગ્યાઓ ખાલી રાખીને જ પ્રગતિ કરવાનો છે? એ તો ખરુંને કે સરહદ સાચવવા સૈનિકો જોઈએ, ગુનાખોરી રોકવા પોલીસ જોઈએ, ન્યાય માટે જજ જોઈએ, પણ દસ લાખની વસ્તી પર ખાલી 15 જજો છે. ભણાવવા શિક્ષકો જોઈએ, ત્યાં 2017થી હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી જ છે. વળી શિક્ષકો છે, ત્યાં શિક્ષણ સિવાયની 56 સરકારી કામગીરીઓ કરાવવામાં આવે છે. આ કામગીરીઓ કારકૂનો રાખીને કરાવી શકાય. એમ થાય તો અનેક બેકારોને કામ મળે ને શિક્ષક વર્ગખંડમાં ભણાવી શકે, પણ એમ થતું નથી. યુનિવર્સિટીમાં અધ્યાપકોની 75 ટકા જગ્યાઓ ખાલી છે. ભરતીની જાહેરાતો તો થાય છે, પણ જગ્યાઓ ખાલી રહે છે. આમ બધી જગ્યાઓ ખાલી રાખવાથી જ વિકાસ થશે એવું સરકારને કેવી રીતે લાગે છે તે નથી સમજાતું. સરકારને એની ચિંતા ન હોય તો પણ, નોકરી ન મળવાને કારણે ઘણાં કુટુંબનો નિભાવ મુશ્કેલ થાય છે ને હતાશ વ્યક્તિ આત્મહત્યા કરે છે કે કુટુંબની સામૂહિક હત્યા કરે છે. આ બધું રોકી શકાય એમ છે, પણ સરકાર નોકરી ન આપીને ઘણાં કુટુંબોનું જીવવું હરામ કરી રહી છે. આ ઠીક નથી. ગમ્મત તો એ છે કે ગુજરાતના સચિવાલયમાં નવા અધિકારીઓની ભરતી કરવાને બદલે નિવૃત્ત અધિકારીઓને જ એક્સ્ટેન્શન આપીને કામ કઢાઈ રહ્યું છે. એમ લાગે છે સચિવાલય વૃદ્ધાશ્રમમાં ફેરવાઈ રહ્યું છે.

ચિંતા ઉપજાવનારી બીજી એક સ્થિતિ છે, તે કોમી વૈમનસ્યની. સરકાર એમાં કેટલી સક્રિય છે તે નથી ખબર, પણ રાજકીય અને ધાર્મિક સંગઠનો દ્વારા બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય વધતું જ રહે એને માટે જે મહેનત થાય છે તે અટકવી જોઈએ. એમાં સામાન્ય નાગરિકો, પક્ષના કાર્યકરો ઉશ્કેરણી કરવાના સભાન પ્રયત્નો સોશિયલ મીડિયામાં કરે છે. એમાં પણ કેટલુંક દેખાદેખી ચાલે છે. આવેલા મેસેજ જોયા મૂક્યા વગર ફોરવર્ડ કરવાની એક પ્રથા પડી છે. આજે તો આખી ફોરવર્ડિયા સંસ્કૃતિ પેદા થઈ છે. તેને ખબર જ નથી કે તે શું કરી રહી છે ને તેનાં સંભવિત પરિણામો કેવાંક હોઈ શકે છે ! એક કોમ બીજી કોમ વિષે જે ઝેર ઓકે છે તેનાથી તેઓ ઇચ્છે તેવાં પરિણામ આવે એમ નથી, કમ સે કમ તેમનાથી તો આવે એમ જ નથી, છતાં બધું ફોરવર્ડ કરતાં રહે છે ને તે કોઈ રીતે ઉપકારક થી જ ! જે આવે છે તે કોઈ આવેલા કે પોતે સર્જેલા વીડિયો પર પોતાની તીખી ટિપ્પણીઓ, સલાહો, ઉપદેશો ઠપકારવા લાગે છે ને દેશસેવાનું મહાન કાર્ય કર્યું હોય તેવા વહેમમાં રાચે છે. પોતે વડા પ્રધાન હોય કે દેશનેતા કે ધાર્મિક વડા હોય તેમ ઉશ્કેરણીજનક નિવેદનો કરતાં રહે છે, ત્યારે સવાલ થાય કે દેશમાં વડા પ્રધાન કેટલા છે? આવાં નિવેદનોથી કોઈ સેવા તો થતી નથી, હા, વૈમનસ્ય જરૂર વધે છે. આનાથી રાજકીય કે ધાર્મિક હેતુઓ ભલે સરતા હોય, પણ સામાન્ય માણસ ભયભીત થાય છે, તેને કુટુંબની ચિંતા રહે છે. સાચું તો એ છે કે દેશમાં સ્વસ્થતા નથી. એક વર્ગ સરકારી અને ધાર્મિક પ્રચારથી સંતુષ્ટ છે, તો બીજો એક વર્ગ ચોક્કસ પ્રકારના ભય અને ઉચાટમાં જીવે છે. આ અસલામતી દૂર થવી જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ઑક્ટોબર 2025

Loading

મુંબઈની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રાંતિઃ એરપોર્ટ અને મેટ્રોનો ઉત્સાહ ખરો પણ વિકાસની વાસ્તવિકતા શું?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 October 2025

ત્રીસ વર્ષ રાહ જોયા પછી, નવી મુંબઈમાં એરપોર્ટ ખુલ્યું અને દાયકાની મહેનત પછી મેટ્રો લાઇન પૂરી થઈ. કામ જોરદાર લાગે છે પણ શહેરો ખરેખર ભવિષ્યની ગણતરી સાથે બની રહ્યા છે? 

ચિરંતના ભટ્ટ

8 ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે મેટ્રો લાઇન 3નો છેલ્લો તબક્કો પણ ચાલુ થયો. ઉજવણી થઈ, ફોટા પડ્યા, ભાષણો થયાં. આપણે ખુશ છીએ પણ તો પણ એવો વિચાર આવે કે આટલો વિલંબ શા માટે? આ જે બન્યું છે એ કેટલું લેખે લાગશે?

નવી મુંબઈ એરપોર્ટની વાત 1997થી એટલે કે 28 વર્ષથી ચાલી રહી હતી. આમાં પેલી ગઝલ યાદ આવે – થાય સરખામણી તો ઉતરતા છીએ – કારણ કે ચીને બેઇજિંગ ડેક્સિંગ – વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ – પાંચ વર્ષમાં બાંધી દીધું. મેટ્રો લાઇન 3ને તૈયાર થતાં લગભગ દાયકો થયો, અને બજેટ ₹37,270 કરોડથી વધીને ₹42,000 કરોડે પહોંચ્યું. દિલ્હી મેટ્રોના પ્રારંભિક તબક્કા આનાથી ઝડપથી પૂરા થયા હતા, અને ત્યારે વિવાદો પણ ઓછા થયા હતા. આપણા દેશના આર્થિક પાટનગર મુંબઈમાં કામગીરીને આટલો સમય શા માટે લાગ્યો?

નવા એરપોર્ટની વાત કરીએ તો 2010 સુધીમાં મુંબઈનું વર્તમાન એરપોર્ટ 35 મિલિયન મુસાફરો સંભાળતું હતું જો કે તેની ક્ષમતા 40 મિલિયનની હતી. એરફોર્સ બેઝ, ઝૂંપડપટ્ટી, અને સમુદ્ર વચ્ચે ફસાયેલા એરપોર્ટનું વિસ્તરણ અશક્ય હતું. આ સમસ્યાનો ઉકેલ સ્પષ્ટ હતોઃ બીજું એરપોર્ટ બાંધો.

પણ યે મેરા ઇન્ડિયા એટલે કે ભારતમાં સ્પષ્ટ એટલે સરળ નહીં. જમીન સંપાદનને મામલે આખો મામલો અટવાયો. પર્યાવરણને લગતી મંજૂરીઓ મુકદ્દમાઓમાં ફેરવાઈ. 3,500થી વધુ પરિવારો વિસ્થાપિત થયાં, અને તેમના વળતરની વ્યવસ્થનો વિવાદ હજી યથાવત્ છે. રાજકીય ઇચ્છાશક્તિ દરેક સરકારના બદલાવ સાથે ડગમગતી રહી.

2017માં અદાણી ગ્રુપે 74% હિસ્સો મેળવ્યો ત્યારે ફેરફારની શક્યતા લાગી. સરકારી ક્ષેત્રની અસમર્થતાનો છેદ તો ન ઉડ્યો, પણ ખાનગી મૂડીએ તાકીદ અને વિરોધને કચડી નાખવાનું રાજકીય આવરણ આપ્યું.

નવું એરપોર્ટ અત્યારે 1,160 હેક્ટરમાં ફેલાયેલું છે, પૂરી રીતે ચાલુ થશે ત્યારે 90 મિલિયન મુસાફરોની ક્ષમતા હશે. જરૂરી નિયમનકારી મંજૂરીઓ મળી ગઈ છે. લોકો ખુશ છે પણ ઉદ્ઘાટનની તસવીરો જે નથી દેખાતા એ સત્યો આ છેઃ કનેક્ટિવિટી હજી તૂટકતૂટક છે. દક્ષિણ મુંબઈથી પહોંચવામાં 90+ મિનિટ લાગી શકે છે. નવી મુંબઈ મેટ્રો પૂરી નથી બની. ટ્રાન્સ-હાર્બર લિંક પૂરી રીતે એકીકૃત નથી. બસ સર્વિસ ઠીક જ છે. આપણે વર્લ્ડ-ક્લાસ ટર્મિનલ બાંધ્યું જે ટાપુ બની જાય એવું જોખમ છે. ટાપુઓ પર પહોંચવું પણ અઘરું જ હોય છે. 

પર્યાવરણનો ખર્ચ અધિકૃત વાર્તાઓમાં દાટી દેવાયો છે. મેન્ગ્રોવ્ઝનું નુકસાન, ભૂગર્ભજળ ઘટવું, થાણે ક્રીક ફ્લેમિંગો સેન્ક્ચ્યુઅરી પર અસર – આ ફક્ત એક્ટિવસ્ટના દાવા નથી, હકીકતો છે. મુંબઈ શહેરને આ કિંમત ચૂકવવી પડે છે અને આપણે તેનો ઇમાનદારીથી હિસાબ કર્યો નથી.

‘ધ પ્રિન્ટ’ના શેખર ગુપ્તાએ તેમના એક વીડિયોમાં સરસ વાત કરી કે વિકાસની સફળતા માટે ત્રણ ચીજો જરૂરી છેઃ નાણાં, રાજ્યની તૈયારી, અને રાજકીય ઇચ્છાશક્તિ. એરપોર્ટને આખરે ત્રણેય મળ્યાં. પણ 30 વર્ષનો વિલંબ ગણતરીમાં લઇએ તો અમુક બાબતો દેખાઈ આવે છેઃ ખાનગી દબાણ કે ચૂંટણીલક્ષી મજબૂરી વગર, ભારતીય સત્તાધિશો નિષ્ક્રિય થઈ જાય છે.

મેટ્રો લાઇન 3ની વાત અલગ છે – ભારે દબાણ હેઠળ પ્રમાણમાં સક્ષમ અમલીકરણ થયું છે. કફ પરેડથી SEEPZ સુધી 33.5 કિ.મી., 27 સ્ટેશન્સ, કેટલાંક 30 મીટર અંડરગ્રાઉન્ડ બંધાયા છે. દક્ષિણથી પશ્ચિમ મુંબઈનો મુસાફરી સમય 22 મિનિટ, જે રસ્તેથી પહોંચવામાં કલાકનો સમય લાગતો. આ નવાં સ્ટેશનોની નજીક પ્રોપર્ટીના ભાવ 18-25% વધી ગયા છે.  આર. શ્રીધરન – ભારતના “મેટ્રો મેન” કહેવાય છે કારણ કે દિલ્હી મેટ્રો તેમનું કામ હતું – તેમણે પણ મુંબઈમાં જે રીતે કામ થયું છે તેનાં વખાણ કર્યાં છે – જો કે રાઇડરશીપ – કેટલા લોકો તેનો ઉપયોગ કરે છે તે જોવું રહ્યું એવું પણ તેમણે કહ્યું.

બ્રિટિશ કંપનીએ બનાવેલી નવી મેટ્રો ચકાચક છે પણ આરેનો વિવાદ હજી જેમ હતો તેમનો તેમ જ છે. 2019માં અડધી રાતના ઓપરેશનમાં 2,700 વૃક્ષો કાપવામાં આવ્યાં, વિરોધ અને સર્વોચ્ચ અદાલતની દખલગીરી પછી કાર શેડ બદલાયો, 18 મહિના અને ₹2,000 કરોડ તેમાં ગયા એ લટકામાં.

આ પહેલાં જે નવી મેટ્રોલાઇન શરૂ થઇ તેના થોડા જ દિવસોમાં મુસાફરોએ સ્ટેશનો વચ્ચે સંપૂર્ણ મોબાઇલ નેટવર્ક બ્લેકઆઉટની ફરિયાદ કરી. કૉલ્સ ડ્રોપ થયા, ડિજિટલ પેમેન્ટ નિષ્ફળ થયા. કારણ? મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન અને ટેલિકોમ સર્વિસિઝ વચ્ચે પૂરતું જોડાણ જ નહોતું થયું.  “વર્લ્ડ-ક્લાસ” અને “ડિજિટલ-ફર્સ્ટ” તરીકે માર્કેટિંગ કરાયું એ પછી આ સ્થિતિ શરમજનક હતી.  આજે પણ મેટ્રો નજીક રહેનારાઓ વેન્ટ શાફ્ટ ટેક્નિકલ ટાવર્સને લીધે પેદા થતી ગરમીની ફરિયાદો કરે છે. આ કોઈ સ્થળાંતરનો ખેલ નથી – આ રોજિંદી સમસ્યાઓ છે અને એટલે જે શરૂઆતી ઉત્સાહ થોડા સમય પછી ઠંડો પડી જાય એમ બની શકે. 

મેટ્રોનું અધિકૃત બજેટ ₹37,270 કરોડ છે અને વાસ્તવિક ખર્ચ ₹42,000 કરોડ જેટલો છે જે સિંગાપોર, ટોક્યો જેવાં શહેરો કરતાં ઘણો વધારે છે. પૂરી રીતે મેટ્રો ચાલુ થશે ત્યારે 17 લાખ લોકો તેનો ઉપયોગ કરશે એવી ગણતરી હતી, અત્યારે ચાર લાખ લોકો રોજ પ્રવાસ કરે છે પણ જો આ આંકડો નહીં વધે તો નાણાંકીય મોડલ પડી ભાંગે.

જો કે મુંબઈમાં શું બરાબર થયું એ જોવું હોય તો, કોલકાતાએ શું બાફ્યું એ જોવું પડે.

કોલકાતાની મેટ્રો ભારતની સૌથી જૂની મેટ્રો છે. 1984માં તેનું ઉદ્ઘાટન થયું. પછી દાયકાઓ સુધી તે અટકી. ડાબેરી સરકાર (1977-2011) મેટ્રો વિસ્તરણને વિચારધારાગત શંકાથી જોતી હતી. મોટા માળખાકીય પ્રોજેક્ટ્સ ગરીબોને વિસ્થાપિત કરનારા અને ભદ્રજનોને લાભ આપનારા ગણાતા અને મૂડીવાદી મનાતા.

પરિણામ? 2010 સુધીમાં કોલકાતા પાસે 27 કિ.મી.ની એક લાઇન હતી જ્યારે મુંબઈ, દિલ્હી, બેંગલોર જેવાં શહેરો આગળ વધ્યાં. ઇસ્ટ-વેસ્ટ મેટ્રો, 2008માં મંજૂર થઈ, સતત વિલંબનો પછી તે આંશિક રીતે છેક 2020માં ખુલી.

આજે કોલકાતા તેની સિસ્ટમ્સ પર સલાહ લેવા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનની મદદ માગે છે- એક સમયે કોલકાતા મોખરે હતું પણ પછી ઢસડાવાનો વારો આવ્યો. આ દૃષ્ટાંત પરથી સમજવું જોઇએ કે વિકાસને વિચારધારાને આધારે તટસ્થ ન થઇ શકે. ભારતના શહેરોને વિકાસ વગરની રાજકીય વિચારધારા હોવાની લક્ઝરી પોસાય તેમ નથી. 

મુંબઈની આ નવી સુવિધાઓ ભારતીય માપદંડ પ્રમાણે પ્રભાવશાળી છે પણ વૈશ્વિક સ્તરે પૂરતી છે. સિંગાપોરે વિસ્થાપન વગર એરપોર્ટ બનાવ્યું, દુબઈએ છ વર્ષમાં ડ્રાઇવરલેસ મેટ્રો ખડી કરી અને શાંઘાઈ 99.9% સમયસર 800+ કિ.મી. પર રોજના 10 મિલિયન મુસાફર લઇ જાય છે.

મુંબઈની મેટ્રો લાઇન 3નો ખર્ચ ₹1,253 કરોડ પ્રતિ કિલોમીટર છે તેની સામે શાંઘાઈમાં પ્રતિ કિલોમીટર ખર્ચ ₹400-500 કરોડ થયો હતો. આ તફાવત માત્ર નાણાંનો નથી. તે સિસ્ટમ્સ થિંકિંગનો પણ છે. સિંગાપોર, દુબઈ, શાંઘાઈએ મેટ્રો, એરપોર્ટ, રસ્તા, રહેણાક વિસ્તારો તમામને ગણતરીમાં લઇને એક આખી ઇકોસિસ્ટમ ખડી કરી. મુંબઈ હજી પણ આ તમામ પાસાને અલગ ટેન્ડર્સ, અલગ એજન્સીઓ, અલગ રાજકીય ક્રેડિટની તકો તરીકે ગણે છે.

જ્યાં સુધી ભારતનાં શહેરો એક સજીવ તંત્રની નહીં પણ સંસ્થાકીય ચાર્ટની જેમ બનતાં રહેશે ત્યાં સુધી આપણે વર્લ્ડ ક્લાસ ટૂકડાઓ બનાવશું – જે હશે જોરદાર પણ એકબીજા સાથે બંધબેસતા નહીં હોય. આપણને ગતિશીલતા કે વાહન-વ્યવહારને મામલે જે એક હોય એવા વહીવટની જરૂર છે. મેટ્રો, બસ, ટેક્સી, ચાલનારાઓનું માળખું બધું એક છત નીચે હોય તે જરૂરી છે. એજન્સીઝ પોતાના એરિયા માટે લડવાનું બંધ કરશે તો આનો કોઇ ઉકેલ આવશે. 

પર્યાવરણની જવાબદારી, કડક જાળવણીના નિયમો, અને પારદર્શકતા – આ ત્રણેય વગર માળખાકીય સુવિધાને વર્લ્ડ-ક્લાસથી થર્ડ-ક્લાસ બનતો વાર નહીં લાગે. રિયલ-ટાઇમ મેઇન્ટેનન્સ ડેશબોર્ડ્ઝ થવા જોઇએ. વિકાસમાં ટેક્સ પેયર્સનો પોતાનો હિસ્સો હોય છે, તેમને માટે જે થાય તે પારદર્શક રીતે થવું જોઇએ. ₹1,000 કરોડથી ઉપરના પ્રોજેક્ટનું જાહેર ડેશબોર્ડ હોવું જોઇએ- લાઇવ બજેટ ટ્રેકિંગ, કોન્ટ્રાક્ટર વિગતો, માસિક પ્રગતિ, ફરિયાદ નિવારણ જેવી સવલતો હશે તો નાગરિકોને પણ પોતે આ તમામનો હિસ્સો છે એમ લાગશે. તેમને પોતાની જવાબદારી પણ સમજાશે.

અહીં વાત મુંબઈ એરપોર્ટ કે મેટ્રો લાઇન પૂરતી નથી – આપણે સમજવાનું છે કે આપણને કેવાં શહેરો જોઇએ છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સેવા માત્ર એમને મળવી જોઇએ જેમને પોસાય? કે પછી દરેકને મળવી જોઇએ? વિકાસ પર્યાવરણને અવગણે તો ચાલશે કે પર્યાવરણની દરકાર થાય એ રીતે વિકાસ થવો જોઇએ? આપણને નવી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વૈશ્વિક સ્તરની હોય એવી જોઇએ છે કે પહેલાં કરતાં સારી હશે તો ચાલશે? આ સવાલના જવાબો ઉદ્ઘાટનોમાં નથી પણ કાર્યક્રમો પત્યા પછીની જાળવણી, લોકોનો સમાવેશ, જવાબદારીઓ કેવી રીતે પૂરી કરાય છે તેમાં છે. 

મુંબઈ પાસે નાણાં, રાજ્યની તૈયારી અને રાજકીય ઈચ્છાશક્તિ છે પણ એક વસ્તુની ખામી છે – સારાં શહેરનાં સપનાં જોવાની ક્ષમતા.આપણને અફરાતફરી અને અંધાધૂંધ વ્યવસ્થા ન ફાવતી હોય તો એ સત્તાધીશોને આપણે જ સમજાવવું પડશે – સત્તાધીશોના કાન મોટેભાગે કામ નથી કરતા. મોટું અને ઝડપી શહેર હોય તે પૂરતું નથી, તે સુઆયોજિત અને ન્યાયી પણ હોવું જોઇએ – વિકાસના ચમકારા સામે માનવતા આંધળી થઇ જશે તો નહીં ચાલે. આ સમજનું માળખું કોઇ ઉદ્ધાટન સમારોહથી નહીં આવે. 

બાય ધી વે:

સર્વાંગી વિકાસમાં વિસ્થાપિતોનું ગૌરવ, પર્યાવરણની જાળવણીને ગણતરીમાં લેવાશે તો આ ઉદ્ઘાટનોનો અર્થ છે. વર્લ્ડ ક્લાસમાંથી થર્ડ ક્લાસ બનતા વાર નથી લાગતી. આપણને સર્વાંગી સમાવિષ્ટ અભિગમ ધરાવતાં શહેરોની જરૂર છે. ભારતનું શહેરી ભવિષ્ય અત્યારે, મુંબઈની ટનલો અને ટર્મિનલ્સમાં લખાઈ રહ્યું છે. ડ્રાફ્ટ આશાસ્પદ છે પણ અધૂરો. હા, સમય સાથે વ્યાકરણ સુધરી રહ્યું છે પણ હજી ઠેબાં ખાઈએ છીએ. પ્લોટમાં સંભાવના છે પણ કડક એડિટિંગની સખત જરૂર છે. મુંબઈ સપનાંનું શહેર છે. જો આગળનું પગલું યોગ્ય લેવાશે તો દરેક ભારતીય શહેર માટે દૃષ્ટાંત બનશે. પણ યાદ રાખવું – શું નવું બનાવ્યું તેના કરતાં વધારે જરૂરી છે કે શું ટકાવી રાખીએ છીએ. આ આપણાં શહેરો છે, રાજકીય મહત્ત્વાકાંક્ષાના સ્મારકો નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 ઑક્ટોબર 2025

Loading

મોદીજીની જાદુઈ કળા !

રમેશ સવાણી|Opinion - Opinion|12 October 2025

મોદીજી સરકારી પૈસે રેલી / સભાનું આયોજન કરે અને તેમાં વિપક્ષનું ચરિત્રહનન કરે ! છતાં મોદીજી કહે હું ખાતો નથી, હું ખાવા દેતો નથી !

મોદીજીએ PM CARES-Prime Minister’s Citizen Assistance and Relief in Emergency Situations ફંડ ઊભું કર્યું. અને કહી દીધું કે આ સરકારી ફંડ નથી ! અગાઉ PMNRF-પ્રાઈમ મિનિસ્ટર રિલીફ ફંડ 1948માં સ્થાપિત થયું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ કુદરતી આફતો – પૂર, ભૂકંપ, ચક્રવાત, દુર્ઘટનાઓ કે રમખાણોમાં પીડિતોને તાત્કાલિક રાહત આપવાનો છે. આ ફંડ સરકારી ફંડ છે, જેનું નિયંત્રણ પ્રધાન મંત્રીના વિશેષ વિવેકથી થાય છે, અને તેમાં દાનદાતાઓને આવકવેરા રાહત મળે છે. જ્યારે PM CARES ફંડની રચના 27 માર્ચ 2020માં કોવિડ-19 મહામારીને કારણે કરવામાં આવી હતી, જેનો વિશેષ ઉદ્દેશ આવી સ્થિતિમાં લોકોને વ્યાપક રાહત, આરોગ્ય સુવિધાઓનું નિર્માણ / અપગ્રેડ, સંશોધન અને અન્ય મદદ પૂરી પાડવાનો છે. આ ફંડ એક ખાનગી ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે નોંધાયેલું છે, જેમાં પ્રધાન મંત્રી ચેરમેન છે અને રક્ષા, ગૃહ અને વિત્ત મંત્રીઓ ટ્રસ્ટી છે. તેમાં વિદેશી દાન (FCRA હેઠળ) અને CSR દાન પર 100% વેરા છૂટ મળે છે, જે PMNRFમાં નથી. 2020-21માં PM CARESમાં 10,990 કરોડ રૂપિયાના દાન આવ્યા હતા. સરકાર કહે છે કે “CAG-કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા નિયંત્રિત નથી અને તેના ખર્ચની વિગતો પૂરી રીતે જાહેર થતી નથી. PM CARES ફંડ ખાનગી હોવાથી ઝડપી નિર્ણયો લઈ શકાય છે !” 

જો પી.એમ. કેર્સ ફંડ સરકારી નથી તો સરકારી વેબસાઇટ, અશોક ચક્ર અને વડા પ્રધાનના ફોટાનો ઉપયોગ શા માટે?

જો પી.એમ. કેર્સ ફંડ સરકારી નથી તો સરકારી કર્મચારીઓના પગારમાં કાપ મૂકીને બળજબરીથી પૈસા એકત્ર કેમ કરવામાં આવ્યા? શું આને ‘સ્વૈચ્છિક યોગદાન’ કહેવાય? રેલવે કર્મચારીઓ પાસેથી ₹ 146 કરોડ 72 લાખ એકત્ર કરવામાં આવ્યા ! અવકાશ વિભાગના કર્મચારીઓ પાસેથી ₹ 5 કરોડ 18 લાખ કાપવામાં આવ્યા. રક્ષા મંત્રાલયના કર્મચારીઓનો એક દિવસનો પગાર બળજબરીથી કાપવામાં આવ્યો, જે કુલ ₹ 500 કરોડ છે. સુપ્રીમ કોર્ટના અધિકારીઓનો ત્રણ દિવસનો પગાર, નોન-ગેઝેટેડ અધિકારીઓનો બે દિવસનો પગાર અને ગ્રુપ ‘સી’ના કર્મચારીઓનો એક દિવસનો પગાર કાપવામાં આવ્યો.

જો પી.એમ. કેયર્સ ફંડ પ્રાઈવેટ હોય તો કોર્પોરેટ ડોનેશન માટે માન્ય રહી શકે નહીં ! CSRની રકમ એ કામો માટે ખર્ચ કરવાની હોય છે જેથી લોકોના સામાજિક / આર્થિક / શૈક્ષણિક / નૈતિક અને સ્વાસ્થ્યના સ્તરમાં સુધારો થાય. એટલે 26 મે 2020ના રોજ કેન્દ્ર સરકારે કંપની એક્ટ 2013માં પણ સુધારો કરી CSRમાં પી,એમ, કેયર્સ ફંડનો સમાવેશ કરી દીધો ! 

આ ભંડોળને ખાનગી ટ્રસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ સરકારી વિભાગોમાંથી પૈસા લૂંટવામાં આવ્યા હતા. સ્વૈચ્છિક રીતે નહીં, ફરજિયાતપણે વસૂલાત કરવામાં આવી હતી. એક ખુલ્લેઆમ જૂઠાણું, સ્પષ્ટપણે ગુનાહિત યુક્તિ.

આ ફંડ ક્યા વાપર્યું, કેવી રીતે વાપર્યું તેનું કોઈ ઓડિટ નહીં ! એટલું જ નહીં, આ અંગે કોઈ માહિતી RTI હેઠળ કોઈ માંગી ન શકે ! લૂંટને ઢાંકી રાખવાનો સજ્જડ બંદોબસ્ત ! શું આને સુશાસન / ગુડ ગવર્નન્સ કહેવાય?

હવે વિચારો, ઝડપી નિર્ણયો લઈ શકાતા હોય તો 2021થી 2025 દરમિયાન, PM CARES ફંડમાંથી ગુજરાતને કોઈ ફાયદો થયો? કોઈ નવી હોસ્પિટલો બની? કોઈ નવું સંશોધન થયું? લોકોને રાહત મળી?

મોદીજીની જાદુઈ કળા તો જૂઓ : આ ટ્રસ્ટ, ડોનેશન ઉઘરાવે ત્યારે સરકારી અને હિસાબ આપવાનો થાય ત્યારે પ્રાઈવેટ !

11 ઓક્ટોબર 2025. 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...222223224225...230240250...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved