Opinion Magazine
Number of visits: 10081059
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અર્થપૂર્ણ જીવનનું દર્શન

હિદાયત પરમાર|Opinion - Opinion|13 October 2025

મેહુલ દેવકલાનો લોર્ડ ભીખુ પારેખ સાથેનો આ રસપ્રદ ઇન્ટરવ્યૂ ગાંધીજીની સ્થાયી પ્રાસંગિકતા અને સમકાલીન રાજકીય પડકારો અંગે ગહન આંતરદૃષ્ટિ આપે છે.

ગાંધીજીની સમકાલીન પ્રાસંગિકતા

લોર્ડ પારેખ, જેઓ હવે 90 વર્ષના છે અને હાઉસ ઓફ લોર્ડ્સમાં 25 વર્ષનો સમય ગાળ્યો છે, તેઓ ગાંધીજીને “બહુસાંસ્કૃતિકવાદના આદર્શ સંત” તરીકે રજૂ કરે છે, જેમની પદ્ધતિઓ આજે પણ ગહન રીતે પ્રાસંગિક છે. તેઓ સમજાવે છે કે ગાંધીજીનો સત્યાગ્રહનો અભિગમ જૈન દાર્શનિક પરંપરા ‘અનેકાંતવાદ’માંથી ઉદ્ભવે છે – એ વિભાવના કે સત્યના અનેક પરિમાણો હોય છે, જેમ કે અંધ વ્યક્તિઓ હાથીના વિવિધ ભાગો વિશે સમજાવે છે.

પારેખ દલીલ કરે છે કે ગાંધીજીનો સત્યાગ્રહ આપણા વિભાજિત વિશ્વમાં સંઘર્ષોનું નિરાકરણ લાવવા માટે એક વ્યવહારિક મોડેલ આપે છે, જેમાં વ્યક્તિ પોતાના સત્ય માટે બળનો ઉપયોગ કરવાને બદલે શાંતિપૂર્વક ઊભો રહે અને નૈતિક પ્રેરણા દ્વારા વિરોધીઓને બદલવા માટે ખુલ્લો રહે.આ અભિગમમાં દૃઢતા અને નમ્રતા બંનેની જરૂર છે – જે સમકાલીન નેતૃત્વ માટેના મુખ્ય ગુણો છે.

ગાંધીજીના દલિત હિમાયતનો બચાવ

જ્યારે ગાંધીજીના અનુયાયીઓએ દલિતોના કારણને દગો આપ્યો હોવાનો આરોપ લાગે છે, ત્યારે પારેખ નક્કર બચાવ આપે છે. તેઓ ભારપૂર્વક જણાવે છે કે ગાંધીજી તેમના સમયના મોટાભાગના નેતાઓ કરતાં આગળ ગયા હતા – 1932માં આમરણાંત ઉપવાસ કર્યા, સમાન અધિકારો માટે ઝુંબેશ ચલાવી, આશ્રમમાં દલિત નોકરો રાખ્યા અને લક્ષ્મીને પોતાની પુત્રી તરીકે અપનાવી.

પારેખ દલીલ કરે છે કે 2,000 વર્ષ જૂની પ્રથાને પડકારવા અને સ્વતંત્રતા ચળવળમાં એકતા જાળવવા માટે સાવચેતીભર્યું રાજકીય સંતુલન જરૂરી હતું. તેઓ નોંધે છે કે 1948માં ગાંધીજીની હત્યા પછી પણ, અનામત પ્રણાલી થકી દલિતોની સત્તાના હોદ્દાઓના હકો સુધી પહોચ બની રહી છે. 

મોદીના નેતૃત્વનું મૂલ્યાંકન

પારેખ વડા પ્રધાન મોદીના દસ વર્ષથી વધુના કાર્યકાળનું ન્યાયસંગત મૂલ્યાંકન આપે છે. તેઓ મોદીને “સારા વડા પ્રધાન” તરીકે સ્વીકારે છે, જેઓ લોકપ્રિય સમર્થન જાળવી રાખે છે, પોતાના મંત્રીમંડળ અને પક્ષને એકજૂથ રાખે છે, અને વિદેશ નીતિમાં સક્ષમતા દર્શાવે છે – જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે નિશ્ચિતપણે ઊભા રહેવાનો સમાવેશ થાય છે.

જો કે, પારેખ મોદીને “મહાન વડા પ્રધાન” કહેવાથી દૂરી બનાવી રાખે છે, તેઓ વર્તમાન ગરીબી, અસમાનતા અને ભ્રષ્ટાચારના મુદ્દાઓનો ઉલ્લેખ કરે છે. તેઓ મોદીની પત્રકાર પરિષદો ટાળવાની ટીકા કરે છે, દલીલ કરે છે કે લોકશાહી નેતા જે સંસદીય પ્રશ્નોનો સામનો કરી શકે છે તેણે પત્રકારોનો પણ સીધો સામનો કરવો જોઈએ.

લોકશાહી સંસ્થાઓ અને ચૂંટણીની પ્રામાણિકતા

રાહુલ ગાંધીના તાજેતરના ચૂંટણીમાં હેરફેરના આરોપોનો સામનો કરતાં, પારેખ ભારપૂર્વક જણાવે છે કે ચૂંટણી પ્રણાલીઓ “ન્યાયી, ખુલ્લી, નિષ્પક્ષ, પ્રામાણિક તરીકે જોવામાં અને સ્વીકારવામાં આવવી જોઈએ” જેથી સરકારોને વૈધતા પ્રદાન થાય. તેઓ ઉમેદવારોની ચકાસણી માટે વધુ મજબૂત સિસ્ટમ અને રાજકીય પક્ષોની તેમના ઉમેદવારોને પ્રમાણિત કરવામાં વધુ જવાબદારીની હાકલ કરે છે.

આંતરરાષ્ટ્રીય બાબતો: ગાઝા અને પેલેસ્ટાઇન

પારેખ ગાઝાની સ્થિતિ અંગે ગહન દુઃખ વ્યક્ત કરે છે, વિનાશને અનૈતિક ગણાવે છે – “80% ઇમારતો નિવાસયોગ્ય નથી, લોકો ભૂખે મરી રહ્યા છે” અને દરરોજ 25-50 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. તેઓ બ્રિટનની પેલેસ્ટાઇનની માન્યતાને મોડી અને મોટાભાગે પ્રતીકાત્મક ગણાવે છે, જેમાં અર્થપૂર્ણ જવાબદારીઓ કે ફરજોનો અભાવ છે.

તેઓ ખાસ કરીને અમેરિકાના ઇઝરાયેલ પ્રત્યેના એકપક્ષીય સમર્થનની ટીકા કરે છે, દલીલ કરે છે કે તે અમેરિકન અને ઇઝરાયેલી હિતોની વિરુદ્ધ છે અને આર્થિક દબાણ દ્વારા જનમતને “નિષ્ક્રિય” કરી દીધું છે.

ઐતિહાસિક માન્યતા: કરાર આધારિત મજૂરી

પારેખ કરાર આધારિત મજૂરીના ઇતિહાસની સંયુક્ત રાષ્ટ્રની માન્યતા માટે હિમાયત કરે છે, નોંધે છે કે 19મી સદીની યુરોપીય સભ્યતા મજૂરો અને કરાર આધારિત મજૂરોના લોહી પર નિર્માણ પામી હતી. તેઓ દલીલ કરે છે કે ભારત, 42 દેશોમાં વસતા ભારતીય ડાયસ્પોરાના પ્રવક્તા તરીકે, આ ઘણીવાર ભૂલી ગયેલા વૈશ્વિક વિકાસમાં યોગદાન માટે વળતરની માંગણીને બદલે ઐતિહાસિક માન્યતા મેળવવી જોઈએ.

અર્થપૂર્ણ જીવનનું દર્શન

ગુજરાતના ગામડાથી હાઉસ ઓફ લોર્ડ્સ સુધીની પોતાની યાત્રામાંથી પ્રેરણા લઈને, પારેખ અર્થપૂર્ણ જીવન માટે બે મુખ્ય સિદ્ધાંતો આપે છે : શરમ કે અપરાધનું કારણ બનતી ક્રિયાઓ ટાળવી (ઉત્પાદક કાર્ય માટે મનની શાંતિ સુનિશ્ચિત કરવી), અને અવરોધોની પરવા કર્યા વિના નિશ્ચય અને સખત મહેનતની ક્ષમતા જાળવવી.

આ ઇન્ટરવ્યૂ પારેખના અનન્ય દૃષ્ટિકોણને પ્રદર્શિત કરે છે, જેઓ પૂર્વીય અને પશ્ચિમી દાર્શનિક પરંપરાઓને જોડે છે અને સમકાલીન રાજકીય પડકારો સાથે ગાઢ રીતે જોડાયેલા રહે છે. તેમની ગાંધી વિદ્વત્તા ઐતિહાસિક ચળવળો અને વર્તમાન વૈશ્વિક સંઘર્ષોને સમજવા માટે મૂલ્યવાન આંતરદૃષ્ટિ આપવાનું ચાલુ રાખે છે. 

https://youtu.be/VeeesQr5670?si=5RGZLdUe_g_Vp0R2

સૌજન્ય : હિદાયતભાઈ પરમારની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જેન ગુડોલ; જેણે આપણને ચિમ્પાન્ઝીઓમાં માનવતાના ગુણ જોતાં શીખવ્યું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 October 2025

રાજ ગોસ્વામી

ગયા અઠવાડિયે, બ્રિટિશ પ્રકૃતિપ્રેમી જેન ગુડોલનું અવસાન થઇ ગયું. તેમની ઉંમર 91 વર્ષની હતી. જુનૂન, સખ્ત મહેનત અને સાચો પ્રેમ મનુષ્યને કેવી પ્રકૃતિ અને પ્રાણીઓની સંભાળ રાખવા માટે પ્રેરિત કરી શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ જેન ગુડોલ હતાં. 

તેમનો સૌથી મોટો પ્રેમ ચિમ્પાન્ઝીની પ્રજાતિ હતી, અને એટલે જેન પ્રાઈમેટોલોજિસ્ટ કહેવાતાં હતાં. ચિમ્પાન્ઝીને મનુષ્ય પ્રજાતિનું સૌથી નજીકનું પ્રાણી ગણવામાં આવે છે. જેનને ચિમ્પાન્ઝીમાં માણસો જેવું શું હોય છે તેનો અભ્યાસ કરવો હતો. તેમણે ઘણાં વર્ષો આફ્રિકાનાં જંગલોમાં ગાળ્યાં હતાં. તેમણે જોયું હતું કે ચિમ્પાન્ઝી માત્ર ફળ ખાતાં નથી, માંસ પણ ખાય છે, સાધનોનો ઉપયોગ પણ કરે છે, અને તેમનાં પણ અલગ-અલગ વ્યક્તિત્વ, મિત્રતા અને સંબંધો હોય છે. 

ગુડોલ પહેલી સંશોધક હતી જેણે જોયું હતું કે ચિમ્પાન્ઝી ઘાસની કડક પાંદડીઓ કાઢીને તેમને ઉધઈના દરમાં ઘુસાડતા હતા જેથી કીડાઓને પકડીને ખાઈ શકે. આ શોધ તે સમયે વૈજ્ઞાનિકો માટે ક્રાંતિકારી હતી કારણ કે ત્યાં સુધી એવું જ મનાતું હતું કે ઓજારો બનાવાની ક્ષમતા માત્ર મનુષ્યો પાસે જ છે.

શરૂઆતમાં જેનની પદ્ધતિની ટીકા પણ થઈ હતી, પરંતુ સમય જતાં તેમનું સંશોધન વિશ્વનો સૌથી લાંબો અને સૌથી વિગતવાર જંગલી અભ્યાસ પ્રોજેક્ટ બની ગયો. જેને ચિમ્પાન્ઝીઓને નંબરને બદલે નામો આપ્યાં હતાં અને તેમની દરેક ક્રિયા અને વર્તનનું કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યું કરીને વિજ્ઞાનની દુનિયામાં નવો દૃષ્ટિકોણ આણ્યો હતો અને પ્રાણીઓ પ્રત્યેના લોકોના અભિગમને બદલ્યા હતા.

જેન 1965માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મિસ ગુડોલ અને જંગલી ચિમ્પાંઝી’થી દુનિયાભરમાં પ્રસિદ્ધ થયાં હતાં, જેને નેશનલ જ્યોગ્રાફિક દ્વારા નિર્મિત કરવામાં આવી હતી. એક મહિલા જંગલમાં દિવસોના દિવસો સુધી રહે, અનેક પડકારોનો સામનો કરે, ચિત્ર-વિચિત્ર જનાવરો સાથે પનારો પાડે, ચિમ્પાન્ઝીઓ સાથે દોસ્તી કરે તે વાત આજે પણ નવાઈભરી છે.

ગુડોલે તે સમયની પ્રચલિત વૈજ્ઞાનિક રીતોને કિનારો કરીને પોતાની રીતે અને ખુલ્લા મનથી જંગલમાં અભ્યાસ કર્યો હતો. આ લેખ સાથે તેમની એક જગવિખ્યાત તસ્વીર છે, જે તેમના પતિ ડચ ફોટોગ્રાફર હ્યુગો વાન લાવિકે 1964માં લીધી હતી.

તેમાં ગુડોલ સાથે એક બાળ ચિમ્પાન્ઝી સાથે છે, જેને તેમણે ફ્લિન્ટ નામ આપ્યું હતું. તસ્વીરમાં, ગુડોલ ઝુકીને બેઠાં છે અને જમણો હાથ ફ્લિન્ટ તરફ લંબાવે છે. ફ્લિન્ટ તેનો ડાબો હાથ આગળ ધરે છે. આ તસ્વીર જ્યાં લેવામાં આવી હતી તે ગોમ્બે વિસ્તારમાં ગુડોલના પછી આવનારો આ પ્રથમ ચિમ્પાન્ઝી હતો. 

2023માં બી.બી.સી. સાથે વાતચીતમાં, ગુડોલે સમજાવ્યું કે આ ડિજિટલ ફોટોગ્રાફીના યુગ કરતાં ઘણી પહેલાની વાત હતી, એટલે તેને પ્રિન્ટ કરેલી તસવીરો જોવા માટે ઘણો સમય રાહ જોવી પડી હતી. “ઇન ફેકટ, મહિનાઓ લાગ્યા હતા,” તેમણે કહ્યું હતું, “કારણ કે એક્સ્પોઝ્ડ રોલ્સને પ્રોસેસિંગ માટે નેશનલ જિયોગ્રાફિકને મોકલવામાં સમય લાગ્યો હતો અને તેમણે પ્રિન્ટ્સ પાછી મોકલી તેમાં સમય ગયો હતો. મેં તસ્વીર જોઈ ત્યારે મને અંદાજ નહોતો કે આ યાદગાર બની જશે, પરંતુ તેણે મને માઇકલએન્જલોના એ પેઇન્ટિંગની યાદ અપાવી જેમાં ભગવાન હાથ લાંબો કરીને માનવ તરફ ઝુકે છે.”

આ તસ્વીરે લોકોને સ્ત્રીના સંશોધનાત્મક દૃષ્ટિકોણના મહત્વને સમજવામાં મદદ કરી. જેને સાબિત કર્યું હતું કે એક યુવાન મહિલા પણ આવું વિશેષ પ્રકારનું સંશોધન કરી શકે છે. તે સમય સુધી, પર્યાવરણ મોટાભાગે પુરુષપ્રધાન હતું. જેન ગુડોલનું કામ જોયા પછી ઘણી હાઈ-પ્રોફાઇલ મહિલાઓ આગળ આવી હતી.

જેન ગુડોલનો જન્મ 1934માં લંડનમાં થયો હતો. બાળપણથી જ તેમને પ્રાણીઓમાં બહુ દિલચસ્પી હતી. ચાર વર્ષની ઉંમરે, જ્યારે તેમણે પ્રથમ વખત મરઘીને ઇંડા આપતી જોઈ હતી, ત્યારે તેમની જિજ્ઞાસા વધુ ગાઢ બની. યુવાવસ્થામાં, તેમણે પ્રાણીઓ વચ્ચે રહેવા અને તેમના વિશે લખવા માટે આફ્રિકા જવાનું સપનું જોયું હતું. 1960માં, પ્રખ્યાત માનવશાસ્ત્રી લુઇસ લીકીની મદદથી, તેઓ તાંઝાનિયા પહોંચ્યાં અને તેમના ઐતિહાસિક સંશોધનની શરૂઆત કરી હતી. 

તેમના પરિવાર પાસે તેમને કોલેજ મોકલવા માટેની તાકાત નહોતી, એટલે તેમને ટાઈપિંગ અને શોર્ટહેન્ડ જેવી તાલીમ આપતી સ્કૂલમાં મુકવામાં આવ્યાં હતાં. તેમણે ઑક્સફર્ડમાં કામ કર્યું અને પછી લંડનમાં એક ડોક્યુમેન્ટરી ફિલ્મ કંપની માટે કામ કર્યું. 1956ના વેકેશનમાં ઘરે આવીને તેમણે વેઈટ્રેસનું કામ કર્યું હતું જેથી કેન્યા સુધી સમુદ્રી પ્રવાસ માટે પૈસા ભેગા થાય.

ગુડોલ કોઈ ઔપચારિક લાયકાત વગર, માત્ર પ્રકૃતિના પ્રેમના બળે, પૂર્વી અફ્રિકા ગયાં હતાં અને તેમણે ગોમ્બેમાં બે દાયકાથી વધુ સમય સુધી રહીને ચિમ્પાંઝીઓનો અભ્યાસ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.

લગભગ સાત દાયકાઓ લાંબી કારકિર્દીમાં, ડૉ. ગુડલે આપણને ચિમ્પાન્ઝીઓની અદ્ભુત બુદ્ધિમત્તાનો પરિચય કરાવ્યો હતો, પરંતુ વધતી ઉંમર સાથે બહેતર રીતે કેમ જીવી શકાય તે પણ શીખવ્યું હતું.

ડૉ. ગુડોલ વર્ષમાં અંદાજે 300 દિવસ મુસાફરી કરતાં હતાં અને તેમના કામ મારફતે આશાનો સંદેશો આપતાં હતાં. તેમના માટે નિવૃત્તિ જેવી કોઈ ધારણા નહોતી. ‘હેલ્થી ટૂ 100’ નામના પુસ્તકના લેખક કેન સ્ટર્ન કહે છે કે દુનિયાભરમાં લાંબા આયુષ્યવાળા લોકોના અભ્યાસ પરથી સાબિત થાય છે કે જે લોકો લાંબી ઉંમર સુધી કામ કરે છે, તેઓ સામાન્ય રીતે વધુ જીવે છે. “આપણે સામાન્ય રીતે કામને સ્ટ્રેસ સાથે જોડીએ છીએ,” સ્ટર્ન કહે છે, “પણ વાસ્તવમાં, મોટી ઉંમરે કામ કરવું સ્વસ્થ અને લાંબી આવરદા માટે લાભકારક છે.”

ગુડોલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “હું ઘરે હોઉં ત્યારે જ કામ નથી કરતી. સાંજ હું મારી બહેન અને પરિવાર સાથે વિતાવું છું. અને ત્યાં કોઇપણ કૂતરો હોય તો ફરવા લઇ જાઉં છું. મારી પાસે શોખ માટે સમય નથી. વીકએન્ડ કે રજા શું કહેવાય તે પણ ખબર નથી. મિટિંગ કરું છું, ઇન્ટરવ્યુ આપું છું, લેકચર આપું છું, લોકો સાથે વાતો કરું છું. આ જ મારું જીવન છે. હું મારા આરોગ્ય વિશે ચિંતા કરતી નથી, હું ફક્ત જીવી રહી છું.”

અવસાનના થોડા વખત પહેલાં એક અન્ય ઇન્ટરવ્યુમાં જેન ગુડોલે કહ્યું હતું, “ફિલસૂફીની દૃષ્ટિએ, તમે જેટલું લાંબુ જીવો એટલું બધું શીખો અને મને એવો દિવસ જોવો નથી જ્યાં હું કશું શીખી ન શકું – ભલેને સામાન્ય ચીજ હોય.”

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 12 ઑક્ટોબર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માણસ આજે (૩૨) 

સુમન શાહ|Opinion - Opinion|13 October 2025

સવાલ થાય કે માણસને આજે સાહિત્યકલા અને તેના મહિમાની જાણ છે ખરી. નોબેલ ઇનામ વિશ્વના જ્ઞાની-વિજ્ઞાનીઓ અને સાહિત્યકારોને દર વર્ષે અપાય છે એના સમાચારો એના સુધી પ્હૉંચે છે ખરા? પ્હૉંચે એ માટે એના કાન-આંખો ખુલ્લાં છે ખરાં? આ સવાલોના જવાબ રૂપે એક સાર્વત્રિક અજ્ઞાનની લહર અનુભવાય છે. ઇન્ફો એજમાં એ લહર અસ્વાભાવિક લાગે છે.

૨૦૨૫નું સાહિત્ય માટેનું નોબેલ હંગરીના સાહિત્યકાર László Krasznahorkai(1954 – )ને એનાયત થયું એ ઘટના અને અનોખી નવલકથાઓના એ સર્જક લાઝ્લો ક્રાઝ્નાહોર્કાઈની સૃષ્ટિ સંદર્ભે સ્વીડિશ અકાદમીએ કહ્યું કે for his compelling and visionary oeuvre that, in the midst of apocalyptic terror, reaffirms the power of art, એ ઉક્તિ ધ્યાનપાત્ર છે.

બાબુ સુથારે એ વિશે તરત અર્થપૂર્ણ નૉંધ લીધી એની આપણે સૌએ નૉંધ લેવી ઘટે છે. 

સ્વીડિશ અકાદમીના વિધાનનો મતલબ છે : લાઝ્લોની સૃષ્ટિમાં એવું વિચારણીય દર્શન છે કે ત્રાસ-સંત્રાસના આ apocalyptic સમય વચ્ચે કલાની સત્તાને એ એક વાર ફરીથી સુદૃઢ કરે છે. 

લાઝ્લો ક્રાઝ્નાહોર્કાઈ

પ્રતિભાવમાં લાઝ્લોએ એવા મતલબનું કહ્યું કે literature offers a way to survive “these very difficult times on Earth,” and that without reading, life would be “absolutely different.” એટલે કે ધરતી પરના આ કઠોર સમયમાં ટકી રહેવા માટેનો એક જ ઇલાજ વાચન છે, અને એથી જીવન ત્યારે સાવ જ જુદું અનુભવાશે.

‘ઍપોકલિપ્સ’ એટલે ગ્રીક મૂળ અનુસાર, પ્રાગટ્ય; એવું પ્રાગટ્ય જેમાં છુપાયેલા સત્યનો આપણને સાક્ષાત્કાર થતો હોય છે. આજકાલ ‘ઍપોકલિપ્સ’ સંજ્ઞા એવા મતલબ માટે પણ પ્રયોજાય છે કે એક એવું ભયાનક સંકટ કે દુર્ઘટના, જે સર્વનાશ અને વિશ્વના અન્તની આગાહી કરે છે. જાણીતું છે કે ‘ગીતા’-માં કૃષ્ણ સર્વનાશની સંભવિતતા સૂચવીને અર્જુનને એ મહાસંકટનો સાક્ષાત્કાર કરાવી શકેલા, જેને પરિણામે અર્જુન સ્વધર્મની સ્મૃતિને પુન:પ્રાપ્ત કરી શકેલો. લાઝ્લોની નવલકથાઓ એવી જ કશીક પ્રાપ્તિ માટે વાચકોને સંકોરે છે, સંડોવે છે.

વાત એમ છે કે સુખ્યાત વિદુષી સદ્ગત સુસાન સૉન્ટાગે વરસો પર લાઝ્લોને મહાસંકટ-પ્રાગટ્યના માસ્ટર કહેલા – the contemporary Hungarian master of apocalypse. લાઝ્લો વિશેના અનેક પ્રોફાઇલ્સ અને લેખોમાં આ સંકેતનો ઉલ્લેખ થયેલો છે, જે હવે સ્વીડિશ અકાદમીના વિધાનમાં પણ પ્રગટ્યો. સુસાને આ સંકેત લાઝ્લોની નવલકથાઓના અંગ્રેજી અનુવાદો સંદર્ભે, ખાસ તો, The Melancholy of Resistance અને War and War સંદર્ભે, ૨૦૦૦ આસપાસ કરેલો. મને એમાં સુસાનની એક સાહિત્યચિન્તક તરીકેની વિલક્ષણ પ્રતિભાની ઓળખ મળે છે.

લાઝ્લો યુરપની યુદ્ધોત્તર પેઢીના મહત્ત્વના સાહિત્યકાર છે. એમણે એકહથ્થુવાદી શાસનો અને સાંસ્કૃતિક પતનનો ઇતિહાસ માત્ર જાણ્યો નથી, પણ જીવી જાણ્યો છે.

મને લાઝ્લોની રચનાઓ વાંચવાની તક નથી મળી. સમાચારો અને લેખોને આધારે એમની વાત જરૂર થઈ શકે, પણ એમના સર્જન કે દર્શન વિશે હું હાલ કશું જ ન કહું કેમ કે સર્જનનાં ભાવન અને રસાનુભવ વિના કહેવું કે લખવું મારી દૃષ્ટિએ પ્રજ્ઞાપરાધ છે.

પરન્તુ લાઝ્લોનું દૃષ્ટાન્ત એક તરફથી વસ્તુ અને રૂપની – content અને formની – પરમ્પરાગત ચર્ચાને દૃઢ કરે છે, સમજાવે છે કે દર્શન અને સર્જનનું કલામય સાયુજ્ય અને તેની એકરૂપતા શું હોઈ શકે. એ પરોક્ષપણે સર્જકના ધર્મને તેમ જ તેના સર્જનકર્મને સૂચવે છે. સર્જક પોતાની સર્જકતાને પ્રતાપે સમગ્ર માનવસભ્યતામાં જામેલી કોઈપણ સિસ્ટમ વિશે પ્રશ્ન કરે, પ્રતિકાર કરે, તેને નકારે, અને કલારૂપ આપે એ સાહિત્યકલાની દુનિયાનો પાયો છે. એ અર્થમાં સર્જક સાત્ત્વિક વિદ્રોહી છે, પુણ્યપ્રકોપનો અધિકારી છે. લાઝ્લોની સૃષ્ટિના અનુભવીઓ કહી શકે કે તેઓ એ અધિકારના પૂરા અધિકારી છે. 

પણ બીજી તરફથી, લાઝ્લોનું દૃષ્ટાન્ત વાચકસમાજને પણ તેના ધર્મ ચીંધે છે. આપણે વાચકો પ્રસિદ્ધ દુરિતોને ઓળખીએ, માનવીય આન્તર-વેદના અને અસ્તિત્વ સામે ઊભા થયેલા ભયના વિધ વિધના કર્તાઓને અને તેમણે રચેલી સત્તાકીય ગતિવિધિઓને ઓળખીએ. લોકશાહો બહુમતિના જોરે મનઘડંત નિર્ણયો લઈને સિદ્ધ અને નીવડેલા પણ તેથી પ્રેરક માનવીય દ્રવ્યનો હ્રાસ કરી રહ્યા છે, એ દુ:સ્વપ્નને જાણીએ. એ દુ:સ્વપ્નના વિદારણ માટે જમણેરી-ડાબેરી પ્રવૃત્તિઓ કરવાની જરૂર છે ખરી પણ ધ્યાન રહે કે એનું ય રાજકારણ છે. 

કહેવાય છે કે લાઝ્લોના નાયકો ભાષા, તર્ક અને શ્રદ્ધાઓનો ધ્વંસ અનુભવતા હોય છે; આજે પ્રત્યેક માણસ પણ એ જ અનુભવે છે. કેટલીયે વ્યક્તિઓ અંધાધૂંધી એકલતા અને અસંગતિ કે અર્થહીનતાનો સામનો કરી રહી છે. લાઝ્લો કલાની સત્તાએ જોઈ શકેલા કે મનુષ્યજાતિ એથી ત્રાસ-સંત્રાસ વેઠી રહી છે, અને તેઓ સૂચવે છે કે તેનો સાક્ષાત્કાર કરીએ.

લાઝ્લોના કોઈપણ વાચકે જાતને પૂછવાની જરૂર છે કે પોતે એ ધ્વંસનો શિકાર બન્યો છે કે કેમ. એવું આત્મનિરીક્ષણ કશોક બોધ જનમાવશે, જેને સાહિત્યશાસ્ત્રીઓ ‘કાન્તાસમ્મિત ઉપદેશ’ કહે છે. 

કલાસર્જન જેવી કાન્તા એકે ય નથી, લાઝ્લોની સૃષ્ટિ એનું દૃષ્ટાન્ત ભાસે છે.  

 = = =

(121025A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...221222223224...230240250...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved