Opinion Magazine
Number of visits: 10081063
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 October 2025

1975માં કટોકટી જાહેર થઈ, ત્યારે આ ઘોર અન્યાય સામે પોતાનો વિરોધ નોંધાવવા દર્શકે સ્વરાજસૈનિક તરીકે મળેલું તામ્રપત્ર સરકારને પાછું મોકલી આપ્યું

જન્મ : 15-10-1914 • મૃત્યુ : 29-8-2001

દર્શક, આપણા મનુભાઈ પંચોળી સ્તો, આપણી વચ્ચે હોત તો આજે બરાબર એકસો અગિયાર વરસના થયા હોત! જો કે, અત્યારે હું લખી રહ્યો છું એમાં કોઈ જન્મજયંતી વિશેષ તરેહના ટાંચણટિપ્પણનો ખયાલ મુદ્દલ નથી. માત્ર, જૂન 1975થી માર્ચ 1977ના કટોકટીરાજના પચાસી ગાળામાં ત્યારે આપણા સારસ્વતો કેવી રીતે વ્યક્ત થયા હતા એની ઝલક ઝાંખી રૂપે થોડીક વાત કરવા વાસ્તે દર્શક સરખું રૂડું ઓઠું લેવું છે, એટલું જ.

હમણાં મેં ‘સારસ્વત’ એ પ્રયોગ કીધો પણ એમનાં અભિવચનોનો આ ગાળાનો પૂરા કદનો સંચય હજુ મળવાનો બાકી છે. ઉમાશંકરના ‘સમયરંગ’માં તેમ માવળંકરના ‘નો સર’માં આવી કેટલીક સામગ્રી જરૂર સચવાઈ ગઈ છે. 

પણ દર્શક જેવાને એ ગાળામાં જે લખવા-બોલવાનું થયું હશે, એ એમના સાહિત્યમાં કિંચિત સચવાયું હોય તો પણ વિશિષ્ટ સંચયોમાં તો તે પહોંચવું જ જોઈએ ને. અને હા, સ્વામી આનંદ જેવા લડવૈયા ને કરવૈયા એવા જ અનુત્તમ ગદ્યસ્વામીએ જીવનના આખર મહિનાઓમાં 1975ના જૂન-ડિસેમ્બરના ગાળામાં દિલ રેડીને જે લખ્યું, એની તો શી ખબર તે વખતના સીમિત દાયરા બહાર ક્યાં ય નોંધ પણ લેવાઈ હશે કે કેમ.

દર્શક બહારગામ હશે ને કટોકટી જાહેર થઈ. ઘરે, સણોસરા પહોંચ્યા ત્યારે ઘરમાં પ્રવેશતાં જ નજર એ તામ્રપત્ર પર પડી જે એમને સ્વાતંત્ર્યસૈનિકને નાતે મળ્યું હશે. સ્વાતંત્ર્યસૈનિક હોઈ પતિ-પત્ની બંને પેન્શનના અધિકારી હતાં, પણ ‘તે તો અમે નહોતું લીધું. દેશસેવાનું એટલું અલ્પ મૂલ્યાંકન કરવું નહોતું. પણ તામ્રપત્ર લીધું હતું. આપણાં સંતાનો, સંતાનોનાં સંતાનો જુએ, ગૌરવ લે, પ્રેરણા અનુભવે તેવી સમજથી લીધેલું. આની હવે જરૂર હતી ખરી? … થયું, ક્યાં છે તે સ્વરાજ જેમાં રવિ ઠાકુરે પ્રાર્થ્યું હતું કે ‘ચિત્ત જેથા ભયશૂન્ય, ઉચ્ચ જેથા શિર, જ્ઞાન જેથા મુક્ત…’ ક્યાં છે તે સ્વરાજ જેને માટે પંદર વર્ષની કિશોર વયે મારા ઊઘડતા આકાશ સમા ભાવિને નાખી દઈ અજાણ વાટે ચાલી નીકળ્યો હતો, જેને માટે મેં માથાં પછાડતી મારી બહેનને છોડી હતી? કટોકટીની તારીખે સ્વરાજ નાશ પામ્યું છે. અને મેં રાજ્યપાલશ્રીને પત્ર લખવા કલમ ઉપાડી …’

અને શું લખ્યું એમણે આ પત્રમાં –

‘સ્વરાજ લાવવા, ટકાવવા અને વિકસાવવામાં અલ્પ છતાં મારી શક્તિ મુજબનો બધો ફાળો આપનાર, દેશ અને દેશનાં ગરીબ ભાઈબહેનોને ચાહનાર દેશવત્સલ નાગરિક તરીકે મારાથી કહ્યા વિના રહેવાતું નથી કે દેશ પર લાદેલી કટોકટી સ્વરાજના હેતુ અને સ્વરાજના સિદ્ધાંતને ઉથલાવી મૃત:પ્રાય કરનાર છે.’

‘વર્તમાન સરકારની નીતિ અને વ્યવહાર સામે લોકો શાંત, અહિંસક વિરોધ કરતા હતા. લાખોનાં સરઘસો પટણા, દિલ્હી, કલકત્તામાં નીકળ્યાં હતાં, અને જે ગાંધીયુગનો હું સાક્ષી છું તેના કરતાંયે ચડી જાય એવી શાંતિ આ સરઘસો, સભાઓમાં જળવાયેલી, મેં બિહાર અને બીજે સ્થળે જોઈ છે.’

‘આ સ્થિતિમાં આંતરિક અશાંતિનો ભય હતો તેવું કોઈ સમજુ નાગરિકને ગળે ઉતરે તેવું નથી.’

‘કટોકટી વાજબી કારણે કે વાજબી સમયે મુકાઈ છે કે નહીં તે સંબંધમાં કોઈ અદાલતમાં પણ જઈ શકે નહીં, તેવો બંધારણીય સુધારો લાવી સરકારે પોતાની પાસે કોઈ આધાર નથી તેવું તો આડકતરી રીતે કબૂલ્યું ગણાય, પણ નાગરિકોના રાજ્યને પ્રશ્ન પૂછવાના કે યોગ્યતા તપાસવાના મૂળભૂત અધિકારને નઠોરતાથી ઝૂંટવી લીધો છે. આ સ્વરાજ નથી.’

‘સ્વરાજમાં નાનામાં નાના નાગરિકને સરકારને પૂછવાનો, ખુલાસો માગવાનો અધિકાર છે, કારણ કે સરકાર સંતાન છે, નાગરિકો તેના જન્મદાતા છે.’

‘આ સ્વરાજ નથી, કારણ કે પ્રજાની નાડીના ધબકારા દર્શાવનાર યંત્ર સમા વર્તમાનપત્રોને મોંએ તાળાં મરાયાં છે …’

‘હું કોઈ પક્ષમાં નથી. કોઈ પક્ષનાં હિતો માટે આ લખતો નથી. સ્વરાજ ઝંખતા, તે માટે યથાશક્તિ ભોગ આપેલા અને ભોગ આપવા ઈચ્છતા નાગરિક તરીકે આ લખું છું.’

‘અત્યારે આ નાગરિકતા કટોકટી, સેન્સરશિપ, મિસા, સંરક્ષણ ધારાના અવિચારી અમલ નીચે ડૂબી રહી છે તેવું લાગે છે. તેવે વખતે હું મૌન રહું તો મારા આજ સુધીના સમગ્ર જીવનને લાંછન લાગે … આથી હું આ બધાંનો વિરોધ કરું છું અને વિરોધ રૂપે મને અપાયેલ ‘સ્વરાજસૈનિક’ તરીકેનું તામ્રપત્ર આપના દ્વારા સરકારને પાછું મોકલું છું …’

દર્શકને પણ થોડાં અઠવાડિયાં ત્યારે જેલની હવા ખાવા મળેલી. ક્યારેક જે જેલમાં એમણે ‘દીપનિર્વાણ’ નવલકથા લખી હશે, જે વાંચીને ઉમાશંકરે એમનામાં ગોવર્ધનરામના સાક્ષર જીવનનો આદર્શ ચરિતાર્થ થતો જોયો હતો, એ જ જેલનાં આ અઠવાડિયાં એક જુદા જ સર્જનની સોગાત લઈને આવ્યાં : કેદીઓ પાસે મહાભારતનું પારાયણ કર્યું. દર્શકનો આ પ્રકારનો પહેલો જ પ્રયોગ હતો.

અનસૂય આનંદ છતાં કંઈક નાજુક અદેખાઈ, એવો એક હૃદયભાવ પ્રગટ કરું? દર્શક પકડાઈને અમારી વડોદરા સેન્ટ્રલ જેલમાં આવ્યા હોત તો! એ દિવસોમાં અમે બાબુભાઈ જશભાઈને અક્ષરશ: કંઠસ્થ ‘રઘુવંશ’નું આકંઠ પાન કર્યું હતું. દર્શક હોત અને મહાભારતનો સમો બંધાયો હોત.

જો કે, શરૂમાં હું પાલનપુર સબ જેલમાં હતો ત્યારેદ ર્શકની પરોક્ષ મુલાકાત યાદગાર બની રહી હતી. મહેન્દ્ર મેઘાણીએ  જે સાહિત્ય મોકલીઆપ્યું તેમાં દર્શકનાં મેઘાણી વ્યાખ્યાનો પણ હતાં. ન ભૂતો ન ભવિષ્યતિ એવું આ મેઘાણી-ઘટન હજુ સુધી તો છે, દર્શકના એકસો અગિયારમે!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 15 ઑક્ટોબર  2025

Loading

વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 October 2025

ચંદુ મહેરિયા

પણા દેશમાં પુસ્તકાલય આંદોલનનો આરંભ વ્યક્તિગત પ્રયાસોને કારણે શક્ય બન્યો છે. દેશના અનેક વિસ્તારોમાં ભૂતકાળમાં અને આજે પણ કેટલાક પુસ્તકપ્રેમીઓએ ખુદના કે મિત્રોનાં પુસ્તકો, સામયિકો, અખબારો દ્વારા નાના પાયે તેની શરૂઆત કરી હતી. એક સમય હતો જ્યારે અખબારો માત્ર અમીરોના ઘરની જ શોભા વધારતા હતા. સામાન્ય માણસો સુધી તેની પહોંચ નહોતી. માત્ર  કેરળના જ નહીં ભારતના પુસ્તકાલય આંદોલનના જનક કે.એન. પણિક્કરના ઘરે જ્યારે છાપું આવતું થયું ત્યારે તેમની આસપાસના પાંચ-પચીસ લોકો ભેગા થઈને તે વાંચતા-સાંભળતા. પછી તેમના ઘરે આવતા અખબારોની સંખ્યા વધી, વાંચનારા વધ્યા તો પુસ્તકો પણ આવ્યાં અને નાના પાયે પુસ્તકાલય શરૂ થયું હતું. લોકભાગીદારી કે સ્વયં લોકોએ શરૂ  કરેલી નાની-નાની લાઈબ્રેરી વાંચન સંસ્કૃતિના વિકાસનો પ્રાણ છે. 

આમ પણ દુનિયા આખી વાંચવાની બાબતમાં પછાત મનાય છે. તેમાં વળી મોબાઈલના વળગણે લોકોમાં વાચનની આદત ઓર ઘટાડી દીધી છે. અમેરિકામાં રોજ અચૂક વાંચતા લોકો ૨૦૦૪માં ૨૮ ટકા હતા. જે ઘણાં ઓછા કહેવાય. હવે લગભગ વીસ વરસો પછી ૨૦૨૩માં તે ઘટીને ૧૬ ટકા જ થઈ ગયા છે. અમેરિકામાં વાર્ષિક ત્રણ ટકાના દરે વાચન ઘટ્યું છે. તેને સંશોધકો ચોંકાવનારું અને ચિંતાજનક ગણાવે છે. એક સર્વેક્ષણ મુજબ ગુજરાતમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સમાં ભણતા ૧૬ થી ૨૦ વરસની ઉમરના ૬૧ ટકા કોલેજ વિદ્યા ર્થીઓ રોજ પાંચ કલાક ફોન મચડે છે. તેમાં ૬૩.૩૦ ટકા છોકરીઓ અને ૬૧.૩૩ ટકા છોકરાઓ છે. રજાઓમાં તો તેમનો સ્ક્રીન ટાઈમ ઘણો વધી જાય છે. માંડ ૨૯ ટકાને જ વાંચવું ગમે છે. હા, વાંચવું ગમે છે. વાંચે છે તેમ નહીં. 

સાક્ષરતાનું પ્રમાણ જ્યાં ઓછું છે તેવા ભારત સહિતના દેશોમાં વાચન પણ ઓછું હોય તે સ્વાભાવિક છે. પરંતુ સાક્ષરતા દરમાં થયેલી વૃદ્ધિના પ્રમાણમાં વાચન વધ્યું નથી. તેનું કારણ વાચન સંસ્કૃતિનો અભાવ તો છે જ પુસ્તકાલયોનો અભાવ પણ છે. એટલે સરકાર અને સમાજ બંને વાચન વધે તે દિશામાં પ્રયાસરત બન્યા છે. 

સાક્ષરતામાં ટોચે રહેલા કેરળે વિદ્યાર્થીઓમાં પાઠયપુસ્તકો સિવાયનું વાચન વધે તે માટે એકડે એકથી પ્રયાસો હાથ ધર્યા છે. ગયા શૈક્ષણિક વરસથી કેરળની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડ દીઠ એક અખબાર હોય તેવી વ્યવસ્થા કરી છે. વિદ્યાર્થીઓએ રોજ અખબાર વાંચવું તેને અભ્યાસક્રમનો હિસ્સો બનાવ્યો છે. જો કે તેના ધાર્યાં પરિણામો મેળવવા અને વિદ્યાર્થીઓમાં વાચનની નિયમિત આદત કેળવાય તે માટે મૂલ્યાંકન કસોટી અને ગ્રેસિંગ માર્કસની યોજના પણ કરવી પડી છે.

કેરળ વાચનમાં અગ્રેસર છે અને પુસ્તકાલયોનું પિયર છે. કેરળનું ભાગ્યે જ એવું કોઈ નગર કે કસ્બો હશે જ્યાં એકાદ જાહેર પુસ્તકાલય ન હોય. કેરળ સો ટકા સાક્ષર રાજ્ય હોવાનો આ જાહેર પુરાવો છે. કેરળમાં આજે ૯,૦૦૦ જાહેર પુસ્તકાલયો છે. આઝાદી પછી કેરળમાં સૌથી પહેલી સામ્યવાદી સરકાર રચાઈ હતી. કામદારો-કિસાનો જમીનદારીમાંથી મુક્ત થયા તેની સાથે તેમનામાં વાચન અને ચિંતનની પરિપાટી વિકસે તે માટે પણ પુસ્તકાલયો જરૂરી હતા. વળી ત્યાં સાક્ષરતાનો દર પણ સૌથી ઊંચો છે એટલે પણ વાચન વધારે છે. પણ આજે કેરળ જો વાચનની આદત કેળવવા અખબારોનું વાચન પ્રાઈમરી સ્કૂલોના અભ્યાસક્રમમાં સામેલ કરે તો સમજાય છે કે સ્થિતિ કેટલી ગંભીર છે. 

સયાજીરાવ ગાયકવાડ જેવા ઉદાર રાજાના પ્રતાપે ગુજરાતમાં આઝાદી પૂર્વે જ ગાયકવાડી ગામોમાં પુસ્તકાલયો સ્થપાયાં હતાં અને કથિત અસ્પૃશ્યો સહિતના બાળકો માટે શિક્ષણ ફરજિયાત હતું. આજે તો આપણે ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાતના યુગમાં છીએ. પણ ગુજરાતમાં સરકારી પુસ્તકાલયો ૧૯૭ જ છે. કદાચ આગામી એક બે વરસોમાં રાજ્યના તમામ તાલુકાઓ સરકારી પુસ્તકાલયોની સુવિધા મેળવી શકશે. ગુજરાતની અઢી ટકા શાળાઓમાં જ ડિજિટલ લાઈબ્રેરી છે. જે કેરળ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને પુડુચેરી કરતાં ક્યાં ય ઓછી છે. ‘ વાંચે ગુજરાત’નું અભિયાન તો થયું છે પરંતુ શું વાંચે અને ક્યાં વાંચેનો સવાલ નિરુત્તર છે. એ દૃષ્ટિએ ગુજરાતે વાચન સંસ્કૃતિના વિકાસ માટે ઘણી મોટી કામગીરી કરવાની બાકી છે. 

કેરળના કુનુર જિલ્લાના ચેરુપુઝા ગામમાં પુસ્તકદેવનું મંદિર છે મહારાષ્ટ્રનું ભિલાર બુક વિલેજ તરીકે પ્રખ્યાત છે. વિશ્વ પુસ્તક દિવસ (૨૩મી એપ્રિલ), રાષ્ટ્રીય વાચન દિન (૧૯મી જૂન) ઉજવાય છે. ૨૦૨૩માં કેરળના કુન્નુરમાં ઇન્ડિયન લાઈબ્રેરી કાઁગ્રેસનું અધિવેશન યોજાયું હતું. તેમાં ત્રણ હજાર ગ્રંથપાલો સાથે અધધધ પાંચ લાખ લોકો ઉપસ્થિત હતા. દેશમાં લાઈબ્રેરીઓ વધે, અંતરિયાળ ગામડાઓ અને આદિવાસી વિસ્તારો સુધી તે સ્થપાય તે માટે લાઈબ્રેરી કાઁગ્રેસ પ્રતિબધ્ધ છે. પુસ્તકાલયો માત્ર પુસ્તકની આપલેના કેન્દ્રો કે પુસ્તકોના સંગ્રહસ્થાનોને બદલે સાંસ્કૃતિક કેન્દ્રો બને અને તેમાં વાચન સંબંધી અનેક પ્રવૃતિઓ થાય તે દિશામાં કામ થવું જોઈએ. 

કર્ણાટકના મૈસુર નજીકના કેન્નાલ ગામે છોંતેર વરસના અનેક ગૌડાએ બાવીસ ભારતીય ભાષાઓ અને ઘણી વિદેશી ભાષાઓના પંદર લાખ પુસ્તકોની લાઈબ્રેરી ઊભી કરી છે તે માટે તેમણે જીવનભરની કમાણી આપી દીધી છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયરના અંકિત શર્માએ ઘરે ઘરે ફરીને પુસ્તકો ભેગા કરી ૩,૦૦૦ પુસ્તકોની લાઈબ્રેરી ઊભી કરી છે. તેર જ વરસની આકર્ષણ સતીષે તેલંગણા અને તામિલનાડુમાં ૨૧ લાઈબ્રેરી સ્થાપી છે. તે શાળા, હોસ્પિટલ અને અનાથાલયની નજીક પુસ્તકાલય સ્થાપે છે. જેથી યોગ્ય લાભાર્થી સુધી પુસ્તક પહોંચે. 

તમિલનાડુની જેલોમાં કેદીઓ માટે પુસ્તકાલયો શરૂ કરવામાં આવ્યા છે. તેના કારણે કેદીઓ વચ્ચેના ઝઘડા અને તણાવ ઘટ્યા છે. ઉત્તર પ્રદેશના કોમી હિંસાગ્રસ્ત બાગપત, મુઝફ્ફરનગર અને શામલીના ગામડાઓમાં બાળકો માટે બાઈક લાઈબ્રેરી શરૂ થઈ છે. આ પ્રયાસે બાળકો મોબાઈલ છોડી વાચન તરફ વળ્યા છે. મણિપુરના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પુસ્તક મેળાઓએ લોકોને રાહતનો માર્ગ દેખાડ્યો છે. એટલે પુસ્તકો માત્ર માહિતી, શિક્ષણ, જ્ઞાન માટે જ નહીં મનુષ્યજીવનના પ્રશ્નોને સુલઝાવવામાં પણ મદદગાર છે.

કવિવર દલપતરામે અમદાવાદમાં પહેલા પુસ્તકાલયની સ્થાપનાને વિદ્યા વધે એવી આશનું થાનક ગણ્યું હતું. વાચન સંસ્કૃતિનો વિકાસ આજે પણ વિદ્યા વધવાની આશા જન્માવે છે. 

e.mail : maheriyachandu@gmail.com 

Loading

દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)

સુમન શાહ|Opinion - Literature|14 October 2025

સાહિત્યકૃતિઓના દેરિદાના અધ્યયનને વિઘટનશીલ વાચન કહેવાય, કેમ કે એ અધ્યયનો એ દૃષ્ટિદોરથી થયાં હોય છે. કૃતિઅન્તર્નિહિત વિરોધાભાસો અને અસ્થિર અર્થોને પ્રકાશિત કરવા તેમ જ પરમ્પરાગત ઉચ્ચાવચ ક્રમોને પડકારવા, એ છે એ દૃષ્ટિદોર. આપણે જોઈ શકીએ કે એ વાચન વાચન નથી રહેતું પણ ઉત્તરોત્તર વિકસીને વિઘટનકર્મ બની જાય છે.

મને પ્રિય સાહિત્યકારોમાં માલાર્મે છે તેમ બીજા ઘણા છે. પરન્તુ આ લેખમાં વર્ણવું કે James Joyce (1882-1941) સંદર્ભે દેરિદા શું કહે છે.  

દેરિદાએ ૧૯૮૨માં સૅન્ટર જ્યૉર્જિસ પૉમ્પિડુ, પૅરીસમાં જૉય્યસની નવલકથા Finnegans Wake વિશે વ્યાખ્યાન આપેલું – Two Words for Joyce. ૧૯૮૪માં ફ્રૅન્કફર્ટમાં યોજાયેલા જૉય્ય્સ વિશેના આન્તરરાષ્ટ્રીય જ્ઞાનસત્રમાં જૉય્યસની બીજી નવલકથા Ulysses વિશે વ્યાખ્યાન આપેલું – Ulysse Gramophone. એ પછી બન્ને વ્યાખ્યાનો ફ્રૅન્ચમાં સંયુક્ત પ્રકાશિત થાય છે – Ulysse gramophone: Deux mots pour Joyce. એનો François Raffoul અંગ્રેજીમાં અનુવાદ કરે છે – Ulysses Gramophone: Hear Say Yes in Joyce. સાહિત્યના વિદ્વાન અને જૉય્યસના વિશેષજ્ઞ Derek Attridge એમાં જરૂરી સુધારાવધારા કરે છે અને પોતાના સમ્પાદન Acts of Literatureમાં ૧૯૯૨માં પ્રકાશિત કરે છે.

આ વ્યાખ્યાનોને અનુસરીને બન્ને નવલકથાઓના સંદર્ભમાં કેટલીક વાતો કરું:

Finnegans Wake : 

દેરિદા કહે છે કે આ કૃતિ ફિલસૂફને પડકારે છે છતાં જોડાવા માટે ફિલસૂફને નિમન્ત્રણ પણ આપે છે. અનેક ભાષાઓમાં સાગમટે લખાયેલું એ એક અવાચ્ય નિમન્ત્રણ છે.

કૃતિ પ્રયોગશીલ છે. જૉય્યસે એમાં લેટિન ગ્રીક ફ્રૅન્ચ જર્મન વગેરે અનેક ભાષાઓના શબ્દો તેમ જ અનેક કૃતિઓના સંદર્ભો વગેરે ઘણું ઘણું જોડ્યું છે. એ વૈવિધ્યસભર જોડાણ પરમ્પરાગત વાચનને પડકારે છે. વાચકને અનેક શ્લેષ અને અવનવાં ભાષિક સંયોજનોનો સામનો કરવો પડે છે: જેમ કે, એક ભાષાના અડધા શબ્દ સાથે ચૉંટાડેલો બીજી ભાષાનો અડધો, એવા ખીચડી-શબ્દો – portmanteau words; જેમ કે, ધ્વનિથી ભલે અમુક ભાષામાં શબ્દ ન બનતો હોય પણ બીજી ભાષાના શબ્દના ધ્વનિસામ્યને કારણે અર્થ ઊભો થતો હોય, તે; ક્યાંક કોઈ શબ્દગુચ્છ કે નામ સુગમ હોય, પણ જૉય્યસ એને શ્લેષથી કે ખોટી જોડણીથી દુર્ગમ કરી નાખે, તે. દાખલા તરીકે, હોય King Mark, પણ એ Kinmark કે Marktime બની જાય. એ જ પદ્ધતિથી કથામાં Bygmester શબ્દ આવે છે, એ byg અને meisterનું સંયુક્ત રૂપ છે. આમ તો એનો સંદર્ભ હૅનરિક ઇબ્સનના The Master Builder નાટકના નામ સાથે છે. પણ જૉય્યસ એને સંઘટ્ટન અને સર્જનકર્મ સાથે જોડે છે. 

એવાં બધાં ચાતુર્યો આ નવલમાં ચાવી રૂપ છે. અનેકાનેક સંદર્ભોના માધ્યમથી રચનાની સંદિગ્ધતાનું નિર્વહણ થયું છે. ઉપરાન્ત, નવલકથામાં ઇતિહાસ પુરાણગાથાઓ અને ફિલસૂફીમાંથી પણ અનેક સંકેતો ગૂંથાયા છે. 

એમ કહેવું જોઈએ કે કૃતિને જૉય્યસે હેતુપૂર્વક સંકુલ દુર્ગમ તેમ જ ચક્રાકાર રાખી છે. તેથી એના એક ચૉક્કસ અર્થઘટન લગી પ્હૉંચવું અશક્યવત્ છે. એ મુખ્ય કારણે દેરિદા જૉય્યસના નિમન્ત્રણને અવાચ્ય કહે છે. 

એક કુટુમ્બની છે આ કથા. જો કે જરા જેટલી ય માંડીને નથી રજૂ થઈ. જૉય્ય્સ કથા કહે છે, ફરી ફરી કહે છે, મચડે છે, જેમાં કથાનક અને સમય એકમેકમાં ઘૂસી જાય છે. એટલે કહેવાયું છે કે નવલમાં જૉય્યસે સ્વપ્નોની બહુસંકેતક ભાષાની નકલ કરવાની કોશિશ કરી છે. પણ એ જ કારણે, કથાનું કોઈ એક નિશ્ચિત સ્વરૂપ પકડાતું નથી. જૉય્યસે બધાં પાત્રોના જીવનમાં બનેલી ઘટનાઓના વીગતે ફોડ નથી પાડ્યા – ચોખ્ખું સમજાતું નથી કે હમ્ફ્રીનું પાતક તે આ. – ઍનાનો પત્ર પૂરો વંચાયો કે કેમ.  

હમ્ફ્રી ચિમ્પડેન પીઠું ચલાવે છે. હમ્ફ્રી સરેરાશ જન છે, ભલો છે, સમજો કે માનવ્યનું પ્રતીક છે. નવલમાં હમ્ફ્રી ધીમે ધીમે સ્વપ્ન સમો ભાસે છે. જૉય્યસે એના એક પાતકને વીગતે સ્પષ્ટ નથી કથ્યું પણ એ પાતક કૃતિની ગુનો અફવા અને ઉદ્ધારની ચક્રાકાર સંરચનાનું કેન્દ્ર બનીને કથામાં અવારનવાર ડોકાયા કરે છે. નગરમાં અફવા ફેલાઈ છે કે હમ્ફ્રીએ ફીનિક્ષ પાર્કમાં બે છોકરીઓ જોડે વ્યભિચાર કર્યો છે. પણ જૉય્યસે ખુલ્લું નથી કહ્યું કે એણે કેવા પ્રકારનો વ્યભિચાર કરેલો, છોકરીઓ ખરેખર બે હતી કે કેટલી તે પણ નથી કહ્યું. ત્યાં સૈનિકો પણ હતા. 

અફવા સંદિગ્ધ તો છે જ વિરોધાભાસી પણ છે. ખરી વીગતોના અભાવે સત્ય બહાર નથી આવતું. જો કે સરવાળે, હમ્ફ્રીનું પાતક અંગત નથી રહેતું પણ માણસ માત્રનું દીસે છે – the archetypal fall. વનદવની જેમ ફેલાઈ ગયેલી અફવા ઉત્તરોત્તર લોકકથા કે ગાણું બની જાય છે. પાતકનું એ સામાજિક સંઘટ્ટન સૂચવે છે કે અફવા અને ગપસપથી વાસ્તવિકતા સરજાતી હોય છે. ગુનાને વીગતોમાં નહીં બાંધીને જૉય્યસ વાચકોને ફરજ પાડે છે કે તેઓ માત્રભાષા અને કથનથી સરજાયેલા ગુનાને સમજે અને પ્રમાણે. 

હમ્ફ્રીની પત્ની અને બે પુત્રોની માતા ઍના લિવિયા પ્લુરાબેલ સમય નારીત્વ અને પુનર્ નવતાનું પ્રતીક છે. એ નદીના જળપ્રવાહની જેમ વહેતી રહે છે. જૉય્યસના ડબ્લિન નગરની નદીનું નામ પણ લિફી છે. ઍનાની અન્તિમ ઉક્તિ સાગર ભણી વહેતા ઝરણ જેવી છે. જાણે ઍના પણ એક સ્વપ્ન છે. સંભવ છે કે પત્ર લખીને એણે હમ્ફ્રીને ઉગારી લેવાની કોશિશ કરી હોય. પત્રમાં હમ્ફ્રી સાચો છે એમ પણ લખાયું હોય. જૉય્યસ એ વિશે પણ ચોખવટ નથી કરતા. પત્રને વારંવાર શોધી કાઢવામાં આવે, ફરી ફરીને એનો મતલબ પકડવાની મથામણ થતી હોય, વગેરે બન્યા કરે છે. તેમ છતાં વાચકો પણ એને પૂરેપૂરો ઉકેલીને પામી શકતા નથી. પત્રનો અર્થ દુર્ગ્રાહ્ય રહે છે, પાર વગરના મનોયત્ન માટે ખુલ્લો રહે છે. 

કુટુમ્બમાં બે ભાઇઓ છે – શેમ અને શૉન. શેમ Penman છે, કલમબાજ સર્જક, બૌદ્ધિક. ઘણા વિદ્વાનોએ શેમને જૉય્યસનું પ્રતિબિમ્બ ગણ્યો છે. શેમ પિતાના પાતકને પોતામાં સમાવી રાખે છે. ઇતરજન બનીને એકલો બધી વ્યથા વેઠે, ચિન્તન કરે, અને લેખન કરે. પણ એનો ભાઈ શૉન તેમ જ સમગ્ર સમાજ એની મશ્કરીઓ કરે છે. શેમની ગણતરી કદી સારા લેખકોમાં થતી નથી. શેમ સતત વિષાદ અને હિણપત અનુભવતો હોય છે. દુનિયાથી સંતાતો રહે છે પરન્તુ પોતાની હિણપતનું હમેશાં કલામાં રૂપાન્તર કરતો રહે છે. જૉય્યસ કહે છે કે એ પોતાના લેખન માટેની સાહી પોતાના ઉત્સર્ગમાંથી નીપજાવી લે છે. એનાં સર્જન અરૂઢ શૈલીનાં છે, પ્રયોગશીલ છે, અને તેથી અઘરાં છે. તેમ છતાં એનાં લેખનો ગર્ભિતે કલાપૂર્ણ છે, નવ્ય અર્થોની એમાં ભરપૂર શક્યતા છે. પણ એ બધાં રહસ્યોથી પ્રકાશિત થવું વાચક માટે બાકી રહે છે. 

ભાઈ શૉન Postman કહેવાયો છે. શેમથી એ સાવ જુદો છે – પરમ્પરાવાદી રૂઢિચુસ્ત અને લોકોના મતને આગળ કરનારો. એટલે સમાજને એ સ્વીકાર્ય થઈ પડ્યો છે. એણે કરેલી ઘોષણાઓ અને પત્રની ‘ડીલિવરી’ મહત્તાપૂર્ણ અને સરસ હતાં છતાં એમાં જાતદેખાડો હતો. પરિણામે શેમ સાથેની એની જુદાઈ ઘેરી બની ગયેલી. કથામાં એ દ્વન્દ્વ ઊપસ્યા કરે છે. 

કથાનક વહેતું રહે છે. પ્રતીકો એકબીજામાં ભળી જાય છે. એવું લાગે છે કે જૉય્યસ એક સ્વપ્નશીલ ચિત્તનું ભાષામાં ભાષા દ્વારા પુન:સર્જન કરી રહ્યા છે. પાતક ગુનો અને પુનરુદ્ધારના વિષયવસ્તુનું એમાં સમયના પટ પર નિરૂપણ થયું છે. એ નિરૂપણની પશ્ચાદ્ભૂમિકામાં માનવઇતિહાસ અને મનુષ્યચેતના છે. પરન્તુ એ બધું જ ભાષાના અસ્ખલિત પ્રવાહમાં વહે છે. નવલકથા એક અવગાહનક્ષમ  – immersive – અનુભવને આકારે છે, જેને વાચક અનુસરતો હોય છે. પરન્તુ વાચકની એ સંડોવણી માત્ર સંડોવણી જ રહી જાય છે કેમ કે એણે તો નવલની ભાષા વાંચવાની છે અને એ પ્રકારે સાંભળવાની પણ છે.

એક વાક્યના વચલા શબ્દ riverrunથી કથાનો પ્રારમ્ભ થાય છે અને એ જ વાક્યના પૂર્વભાગ A way a lone a last a loved a long theથી કથા સમાપ્ત થાય છે. આખું વાક્ય છે: A way a lone a last a loved a long the riverrun, past Eve and Adam’s… કૃતિની એવી આંટિયાળી સંરચના – looping structure – જૉય્યસની માન્યતાની સૂચક છે. માન્યતા એ છે કે ચેતના અવિરત વહેતી છે, માનવીય અનુભવો અને ઇતિહાસની ગતિ ચક્રાકારે વીંટાયા કરે છે. જીવન મૃત્યુ અને પુનર્જન્મ એક ચક્ર છે. જૉય્યસને આની પ્રેરણા સંભવ છે કે ઇતિહાસને ગતિમણ્ત ગણતા Giambattista Vicoના સિદ્ધાન્તથી મળી હોય.

જુઓ, કથાનક સ્વસૂચક અને પુનરાવર્તનીય છે, આગળ વધવાને બદલે આંટી મારતું પોતામાં પાછું ફરે છે. વિચારો કે પ્રતીકો પોતાને જ ઘડ્યા કરે છે. જાણે દરેક અરીસો બીજા અરીસાને ધરી રહ્યો છે. કોઈ જીવન્ત વસ્તુની જેમ નવલકથા જેમ જેમ વંચાતી જાય છે તેમ તેમ લખાતી જાય છે. 

જૉય્યસનાં પાત્રોને દેરિદા પ્રવાહી સંકેતકો ગણે છે. હમ્ફ્રી ક્રમે ક્રમે માત્ર પિતા નથી રહેતો પણ પતનશીલ મનુષ્યજાતિ તેમ જ સરેરાશ જનનો પ્રતિનિધિ ભાસે છે. ઍના માત્ર માતા નથી રહેતી પણ ઉત્તરોત્તર નારીત્વ અને નવતાની મૂર્તિ લાગે છે. શેમ અને શૉન માત્ર પુત્રો નથી રહેતા પણ બદલાતા બદલાતા તેઓ સર્જકતા અને રૂઢિના archetypes દીસે છે. 

દેરિદા પિતા/માતા, પતન/ઉદ્ધાર, કે કલાકાર/સંદેશક જેવાં વિરોધી દ્વૈતને છૂટાં નથી કરતા પણ જણાવે છે કે જૉય્યસ એ કોટિઓને સ્વીકારી લેતા નથી પણ એ સાથે સરસ રીતે રમી લે છે. એટલે સંદિગ્ધ અને સંકુલ આ નવલકથા અર્થઘટનો માટે ખુલ્લી રહે છે, વાચક માટે પડકાર બની રહે છે. દરેક વાચન અધૂરું રહેશે, દરેક અર્થઘટન નવા અર્થઘટનની અપેક્ષા ઊભી કરશે, વાચક નવલના કોઈ એક ચૉક્કસ અર્થ લગી પ્હૉંચી શકશે નહીં.

દેરિદા સૂચવે છે કે જૉય્યસની કૃતિમાં એકપણ સ્મરણ બાકી નથી – એમાં ઇતિહાસ પુરાણગાથા અને ભાષા બધું જ સંભરાયું છે. કૃતિ એક superconscious archive ભાસે છે. કોઈ એક અર્થ પર નથી પ્હૉંચાતું, અર્થ વિલમ્બિત રહે છે, એ હકીકતને દેરિદા પોતાની différance વિભાવનાનો અવતાર ગણે છે. એમણે જૉય્યસનો મહિમા દર્શાવવા એક વાર એમ પણ કહેલું કે ફિલસૂફના લેખન કરતાં જૉય્યસનું લેખન વધારે તાત્ત્વિક છે કેમ કે જૉય્યસે (ભાષા અર્થ કથા ઓળખ અને વાસ્તવિકતા વિશેના) નિયમો સંહિતાબદ્ધ થાય એ પૂર્વે જ વિખેરી નાખેલા – unwrote the rules before they were codified. 

આ મુદ્દા પરત્વે જૉય્યસ અને દેરિદાને સરખાવીએ:  

જૉય્યસમાં પુનરાવૃત્તિ – recursion – એટલે શું? ઇતિહાસ, ઓળખ અને ઘટનાઓનાં આવર્તન અને ગૂંથણી. દેરિદા કહે છે કે અર્થઘટન વડે અર્થ એક આંટી રૂપે વીંટાતો રહે છે. જૉય્યસમાં બહુભાષીય શ્લેષોની નદી રૂપે ભાષા માણસની ઓળખ બને છે. દેરિદા કહે છે કે ભાષા ઓળખને સરજે છે તેમ ઓળખમાં વિક્ષેપ પણ કરે છે. સ્વની છબિ જૉય્યસ અનુસાર સંદિગ્ધ છે. દેરિદા કહે છે કે સ્વને différance રચે છે. જૉય્યસમાં આન્તરકૃતિત્વ – intertextuality – પુરાણગાથા, બોધકથા અને ઇતિહાસ વડે સંયોજાય છે. દેરિદા કહે છે કે અર્થ કે અર્થાન્તરો કૃતિની મધ્યસ્થીને લીધે રચાય છે.

દેરિદાએ આ નવલકથા માટે સુન્દર વિધાન કર્યું છે: Finnegans Wake a 1000th generation computer, programmed to anticipate every interpretation. એ અતિશયોક્તિથી એમનું તાત્પર્ય એ છે કે આંટી વીંટાતી રહે, અપેક્ષા ઊભી થાય, અને અર્થનું સંસૃજન થયા કરે, કેમ કે કૃતિ એ પ્રકારે programmed થઈ હોય. એ અર્થમાં જૉય્યસની નવલની કૃતિ-તા સરજાઈ છે – જાણે એ ફિલસૂફીનું મશીન હોય. 

Ulysse – James Joyce:

જૉય્યસને ગ્રામોફોન ટેલિગ્રામ ફોનેટિક્સ વગેરે sound technologies બહુ ગમતી હતી. દેરિદા અવાજને એક યન્ત્ર કહેતા. એ રીતનું બન્નેમાં સામ્ય હતું. કહેવાય છે કે જૉય્યસમાં શબ્દાર્થોની જેટલી મહત્તા છે એટલી જ મહત્તા શબ્દોના ધ્વનિ, શબ્દોના આકાર અને પૃષ્ઠ પરના એમનાં સ્થાન આદિ ભાષાની materialityની એટલે કે ભાષાપદાર્થની છે. મતલબ એ કે વાક્યનો અર્થ સ્થિર નહીં રહે પણ સરકી જશે અથવા બદલાઈ જશે બલકે બહુવિધ થઈ જશે. પવિત્ર ગ્રન્થને કે અધિકૃત કૃતિને scripture – શાસ્ત્ર – કહીએ છીએ. પણ જૉય્યસના લેખનને વિદ્વાનોએ scriptural virusનો દરજ્જો આપ્યો છે. એમનું લેખન પરમ્પરાગત રીતનું સુસ્થિર નથી, એટલું જ નહીં, ચેપી છે, ભાષા અને વાસ્તવિકતા વિશેની વાચકની સમજદારીને છંછેડનારું છે, નવેસર ઘડનારું છે. જૉય્યસ Uncontainable લેખક છે – કશા એકમાં કદી સમાય નહીં.

નવલકથામાંથી હું પૂર્વાપર સંદર્ભ આપું: મૉલિને એના પતિ બ્લૂમે નાસ્તા માટે પૂછ્યું ત્યારે મૉલિને ઊંઘ ચડેલી, એટલે, એ બોલી, Mn.No. બ્લૂમને ‘અું ના’ જેવો અણસરખો જવાબ મળ્યો. વાત એમ હતી કે બ્લૂમ અને મૉલિનું દામ્પત્યજીવન શિથિલ થવા લાગેલું, મૉલિ કોઈ બીજાના પ્રેમમાં પડેલી. નાસ્તાનું પૂછીને બ્લૂમ સૂચવી રહેલો કે પોતે હજીયે મૉલિને ચાહે છે. મૉલિ બ્લૂમની એ ચેષ્ટાથી કે અન્યથા, બ્લૂમ સાથે વીતાવેલા જીવનની સ્મૃતિઓમાં ખોવાઈ જાય છે અને જલ્પનામાં બબડ્યા કરે છે. નવલકથાના અન્તિમ પ્રકરણ Penelopeમાં જૉય્યસે મૉલિની એ આન્તર એકોક્તિનું સરસ નિરૂપણ કર્યું છે. આઠ લીટીનું એ નિરૂપણ ચેતનાપ્રવાહ પદ્ધતિએ લખાયું છે, ક્યાં ય વિરામચિહ્ન નથી.

સ્વાભાવિક છે કે મૉલિના મનમાં વિચારો અને વિચારોના ટુકડા વ્હૅતા થયા હોય, ટુકડાઓમાં સારા-નરસા ભાવો ભળી જતા હોય, કશું રેખાબદ્ધ ન રહ્યું હોય, ગૂંચવાતું ચાલ્યું હોય. મૉલિનું ચિત્ત એ અખણ્ડ પ્રવાહમાં ડ્હૉળાઇ ગયું છે. અને છેવટે એ બોલે છે : …yes I said yes I will Yes – …હા મેં કહ્યું હા અને કહીશ હા. એની આ હા-માં બ્લૂમે તે દિવસોમાં મૂકેલા લગ્ન માટેના પ્રસ્તાવનો સ્વીકાર છે પણ એ ક્ષણે એમાં જીવન પ્રેમ સંવેદના અને સ્મૃતિ બધું એકબીજામાં રસાઈ ગયું તે પણ છે. મૉલિનું એ વચન સૂચવે છે કે એ હા વિશે પોતે પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે. ટૂંકમાં, મૉલિ એ ભૂતકાળને ફરીથી જીવી રહી છે. એમાં વ્યથા અને નિષ્ફળતા ભારોભાર છે. સમય એકાચાર છે કેમ કે ભૂત વર્તમાન અને ભવિષ્ય એકબીજામાં ગૂંચવાઈ ગયાં છે. દૂરનો ભૂતકાળ તો ખરો જ એમાં નજીકનો ભૂતકાળ પણ ઉમેરાયો છે – મૉલિ તાજેતરમાં જ પ્રેમી સાથે રાત ગાળીને આવી છે. વગેરે.

ચેતનાપ્રવાહ પદ્ધતિએ લખાયેલા એ નિરૂપણના એક જ અંશ yesને દેરિદા પોતાના એ વ્યાખ્યાનમાં ભાષા સમય અને સમ્મતિ વિશેના ચિન્તન માટેની જગ્યા – site – ગણે છે. તેઓ કહે છે કે જૉય્યસની કૃતિમાં થયેલો yesનો વિનિયોગ વિઘટનકારી છે. જૉય્યસને proto-deconstructionist ગણતું દેરિદાનું આ વિધાન સાંભળો: Deconstruction could not have been possible without Joyce. 

વીતેલા સમયના ઝૂરણ અને ભાવિના વચન વચ્ચે મૉલિની yes વલોવાઈ રહી છે. દેરિદા એને કશાકના પ્રતિભાવ રૂપે ઉચ્ચારાયેલી માત્રઉક્તિ નથી ગણતા પણ એ yesને આકાર પામતું જુએ છે. તેઓ એને સમયાન્કિત અનોખી ક્ષણ અથવા temporal signature ગણે છે. એ ક્ષણમાં ઉપસ્થિતિનું ધ્વનિમુદ્રણ છે તેમ અનુપસ્થિતિનું સૂચન પણ છે. એમાં ભાષા સ્મૃતિ અને ઓળખ એક બિન્દુએ ભેગાં થઈ ગયાં છે અને સંદર્ભમુક્ત થઈ બહાર વેરાઈ ગયાં છે. ગ્રામોફોનની રૅકર્ડ પર આંકા હોય છે એમ એમાં અર્થનાં નિશાન સમયમાં અન્કિત થઈ ગયાં છે. પરિણામે ત્રણેય કાળ એમાં એકરૂપ થઈ ગયા છે. તેથી દેરિદા એમાં પુનરાવર્તનોની શક્યતા પણ જુએ છે. 

અહીં signature સંદર્ભે દેરિદાના એક લેખનો ઉલ્લેખ કરવો મને જરૂરી લાગે છે. ૧૯૭૧માં મૉન્ટ્રિયલના જ્ઞાનસત્રમાં દેરિદાએ વક્તવ્ય રજૂ કરેલું – Signature Event Context. એ એમના Margins of Philosophyમાં અને Limited Inc.-માં દીર્ઘ લેખ રૂપે સંઘરાયું છે. અનુસંરચનાવાદ અને વિઘટનવિચાર સંદર્ભે મહત્તાપૂર્ણ ગણાતા એ લેખમાં J.L. Austinના વાગ્ક્રિયાવિષયક સિદ્ધાન્તની સમીક્ષા છે. સમીક્ષા એ કે વાણીની તુલનામાં લેખનની મહત્તા એ કારણે છે કે એ લેખક અને લેખકના આશયથી મુક્ત અને પુનરુચ્ચારણક્ષમ – iterabile – હોય છે, વગેરે. એ લેખથી અમેરિકન ફિલસૂફ John Searle સાથે તીવ્ર ચર્ચાનો પ્રસંગ પણ ઊભો થયેલો. લેખમાં દેરિદાએ Signatureને ઓળખનું ચિહ્ન જ નહીં પણ એક ક્ષણ ગણી છે. એવી ક્ષણ જેનો ફરીથી ઉલ્લેખ કરી શકાય અને દેખીતું છે કે ત્યારે એ પોતાના મૂળ સંદર્ભથી મુક્ત થઈને સ્વાયત્ત બની ગઈ હોય. મૉલિની yes માત્ર ઉચ્ચારણ નથી, વાતને પતાવી દેનારો ઉપસંહાર પણ નથી, વળી વળીને બોલાયેલું વચન બલકે એક performance અથવા પ્રસ્તુતિ અથવા રજૂઆત છે.

દેરિદાએ yesનું વિઘટન કરીને સૂચવ્યું કે મૉલિની એ અન્તિમ ઉક્તિ હકારને દૃઢ કરે છે પણ સાથોસાથ એને મુલતવી પણ રાખે છે. એનું ધ્વનિમુદ્રણ થઈ શકે છે તેથી પુનરાવર્તન થઈ શકે છે પણ એટલે મૉલિના મૂળ ઉચ્ચારથી તો એ કપાઇ જાય છે. પરિણામે, અર્થની અસ્થિર અને અનિર્ણયનીય પ્રકૃતિ વળી સામે આવીને ઊભી રહે છે. જૉય્યસમાં yes ભાવભાવનાના ઉચ્ચ સ્તરે છે પણ દેરિદાને મન તે એક તત્ત્વજ્ઞાનવિષયક ઘટના છે. દેરિદા એને ફિલસૂફીપરક પ્રતિધ્વનિ કહે છે. સાહિત્યકૃતિમાં જ્યાં પણ પ્રતિબદ્ધતા સ્મૃતિ અને પુનરાવર્તન સંભવ્યાં હોય ત્યાં એ સાંભળવા મળે છે. દેરિદાએ બૉદ્લેરની કવિતામાં, શેક્સપીયરનાં નાટકોમાં અને કાફકાના પત્રોમાં પણ આવા yesની નૉંધ લીધી છે.

ગ્રામોફોન અવાજ અને સ્મૃતિનું પુનરુત્પાદન કરી આપનારું યન્ત્ર છે. દેરિદા એનો રૂપક તરીકે વિનિયોગ કરતાં દર્શાવે છે કે ભાષા પણ ધ્વનિમુદ્રણ ને પુનરુચ્ચારણનો મામલો હોય છે, ભાષા ચોખ્ખી નથી હોતી. મૉલિની yes ‘ગ્રામોફોન્ડ’ છે – ઉચ્ચરિત છે તેમ અન્કિત પણ છે. મૉલિની એ yes અંગત છે અને સ્વાનુભવે ભાવસભર છે. એમાં પ્રેમ સ્મૃતિ અને ઇચ્છા રસાઈ ગયાં છે. એને ક્ષણ ઉપરાન્તની ક્ષણ પણ કહી શકીએ. 

પ્રતિધ્વનિ પુનરુચ્ચારણ અને વિવિધ નિર્દેશો અર્થ સરજે છે. એ દર્શાવવા દેરિદાએ ગણી જોયેલું કે નવલકથામાં yes કેટલી વાર આવે છે. એમણે દર્શાવેલું કે એ બધાં yes ગ્રામોફોનથી પ્રગટતા ધ્વનિ જેવાં છે, સમગ્ર નવલકથામાં હકારવાચક સમ્મતિને એ જુદી જુદી રીતે પ્રતિધ્વનિત કરે છે અને છેવટે મૉલિના Yes I said yes I will Yesની અવધિએ પ્હૉંચે છે. એથી એક ઇચ્છા વ્યક્ત થઈ છે, અન્કિત પણ થઈ છે. એમ પણ સૂચવાયું છે કે એક વચન નિભાવવું હજી બાકી રહે છે. દેરિદા એને અન્ત નથી ગણતા, નવ્ય પ્રારમ્ભ ગણે છે.

ગ્રામોફોન માનવીય ધ્વનિનો યન્ત્રાવતાર છે. એક વખત બોલાયેલી ઉક્તિને એ વારંવાર રજૂ કરી શકે છે, એને સ્થળ કે સમયની પેલે પાર વહેતી કરી શકે છે. સમજવાનું એ છે કે મૉલિની સ્વગતોક્તિ માત્ર એના પૂરતી છે, પણ જૉય્યસની નવલ વારંવારના વાચન અને પુનરુચ્ચારણની તક પૂરી પાડે છે. પ્રેમ સ્મૃતિ અને હકારાત્મક સમ્મતિની એ અંગત ક્ષણ સાહિત્યમાં પ્રતીક બની જાય છે, અને ત્યારે મૉલિના ભાવજગત જેવા મૂળિયાંથી વિયુક્ત થઈને સાર્વત્રિક બની રહે છે.

(ક્રમશ:)

વિશેષ વાચન માટે સૂચિ: 

1: Derrida, Jacques. Acts of Literature. Edited by Derek Attridge, Routledge, 1992.
2: Derrida, Jacques. Ulysses Gramophone: Hear Say Yes in Joyce. In Acts of Literature, edited by Derek Attridge, translated by François Raffoul, Routledge, 1992.
3: Derrida, Jacques. “Signature Event Context.” Trans. Alan Bass. Margins of Philosophy. University of Chicago Press, 1982. 
4: Zangouei, Javad. Joyce the Deconstructionist: Finnegans Wake in Context. K@ta, 2012. 
5: Ridgway, Maisie. Joyce the Technician and Algorithmic Agency in Finnegans Wake. In Joyce Without Borders, Florida Scholarship Online, 2022.
ગુજરાતી સાહિત્ય પરિષદ: “પરબ” – ઑક્ટોબર, 2025માં પ્રકાશિત લેખ —
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...220221222223...230240250...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved