Opinion Magazine
Number of visits: 9843024
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તારીફ કરું ક્યા ઉસકી, જિસને ટેરિફ બઢાયા : તારીફથી ટેરિફની 1,200 વર્ષની યાત્રા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 August 2025

રાજ ગોસ્વામી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી આવતા માલ-સમાન પર ટેરિફની ઘોષણા કરી ત્યારે, ભારતીય મીડિયામાં એક હેડલાઈન ચાલી હતી; તારીફ કરું ક્યા ઉસકી, જિસને ટેરિફ બઢાયા. શમ્મી કપૂરની ફિલ્મ ‘કશ્મીર કી કલી’માં મહમ્મદ રફીના યાદગાર ગીત ‘તારીફ કરું ક્યા ઉસકી, જિસને તુજે બનાયા’ની આ પેરોડી હતી. 

ટેરિફ અને તારીફનો આ પ્રાસ ભલે વ્યંગાત્મક હતો, યોગાનુયોગ એક ઐતિહાસિક સંબંધ પણ નીકળે છે. જેમ આપણા દાદા-પરદાદાના કાકા-મામાના માસાનાં સગાંના વંશમાંથી કોઈ આપણને અચાનક મળે અને ઓળખાણ કાઢે કંઇક એવું જ આમાં પણ છે. તારીફ શબ્દ, જે ઉર્દૂ-હિન્દી છે અને જેનો અર્થ પ્રશંસા થાય છે, તેના દૂરનાં સગાં-વહાલાંમાં અરબી ભાષાની ‘અરાફા’ ધાતુ છે. આ ‘અરાફા’નો એક બીજો વંશ અંગ્રેજી ટેરિફને મળે છે. ‘અરાફા’નો મૂળ અર્થ થાય છે ‘જાણવું, પરિચિત થવું, જાગૃત થવું.’ 

પણ આપણે તારીફ અને ટેરિફની સગાઇ શોધીએ તે પહેલાં, ટેરિફની પોતાની સ્વતંત્ર જન્મકૂંડળી શું છે તે પણ વાંચી લઈએ. જબરદસ્ત છે. ઓક્ટોબર 2024માં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “મારા માટે, ડિક્શનરીમાં સૌથી ખૂબસૂરત શબ્દ ટેરિફ છે, અને તે મારો સૌથી ફેવરિટ પણ છે.” છ મહિના પછી તેમણે અનેક દેશોના આયાતી માલ-સામાન પર તીવ્ર ટેરિફ જાહેર કરીને એક નવી નીતિના શ્રીગણેશ કર્યા. 

ટેરિફ આયાતી સામાન પર લાગતો કર છે, જેનો ઉદેશ્ય સરકારની આવક વધારવાનો અને સ્થાનિક ઉદ્યોગોને વિદેશી ઉદ્યોગોની સ્પર્ધાથી બચાવવાનો છે. આ એક એવો શબ્દ છે જે સભ્યતાઓ વચ્ચે વેપારને આસાન અને પારદર્શક બનાવાની જરૂરિયાતમાંથી જન્મ્યો હતો અને આજે તે આંતરરાષ્ટ્રીય વેપારમાં દીવાલો ઊભી કરવા માટે થઇ રહ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પને ખબર પણ નહીં હોય કે તેમનો ફેવરિટ શબ્દ અરબી ભાષામાંથી અંગ્રેજીમાં આવ્યો છે. વાસ્તવમાં, ટેરિફ સાત ઘાટનાં પાણી પીને અંગ્રેજીમાં આવ્યો છે. તે સાત ઘાટ એટલે અરબી, ફારસી, તુર્કીશ, લેટિન, ઇટાલિયન, ફ્રેંચ અને યુરોપિયન ભાષાઓ. અને તેની એ યાત્રામાં લગભગ 1,200 વર્ષ લાગ્યાં છે. 

ભાષાવિદો ટેરિફના ચાર મુખ્ય ભાષાકીય પડાવ જુવે છે. વર્તમાનમાં, અંગ્રેજી ટેરિફ ફ્રેંચ ટારિફ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે સ્થિર કિંમત (ફિક્સ્ડ પ્રાઈઝ). ફ્રેંચમાં તે ઈટાલિયન ટારિફા પરથી આવ્યો હતો, જેનો અર્થ થતો હતો લાદેલી કિંમત, એટલે કે ટેક્સનું શેડ્યુલ અને કસ્ટમ ડ્યુટીઝ.

તેનું મૂળ મિડલ લેટિન ટારિફે શબ્દમાં છે. લેટિનમાં આ શબ્દ તુર્કીશ લોકો સાથેના સંપર્કમાંથી આવ્યો હતો. તુર્કીમાં અધિકૃત ભાષાને ઓટ્ટોમાન તુર્કીશ કહેવાય છે, જે ઓટ્ટોમાન સામ્રાજ્ય વખતે ઘડાઈ હતી. ઓટ્ટોમાન તુર્કીશમાં કિંમતોની સૂચિ અને સીમાશુલ્કના દરો માટે તા’રિફ શબ્દ હતો.

આ તા’રિફ પણ ફરતો ફરતો ફારસી અથવા પર્સિયન ભાષાનું પાણી પીને આવ્યો હતો. ફારસીમાં સ્થિર કિંમત અથવા રસીદ માટે એક શબ્દ હતો તા’રેફે. ફારસીનો બહેનપણાં અરબી સાથે છે અને અરબીમાં એક શબ્દ હતો તા’રિફુન. તેનો અર્થ થતો હતો પરિચય અથવા પરિભાષા. અરબીમાં તા’રિફુન શબ્દ ‘અરાફા’ પરથી બન્યો હતો – જેનો અર્થ થતો હતો બનાવવું, નક્કી કરવું, પરિચય કરવો, જાણવું, શોધવું, સમજવું. 

અરાફા શબ્દ, મધ્ય-પૂર્વ એશિયા અને ઉત્તરી આફ્રિકાની અનેક ભાષાઓના સામી ભાષા-પરિવારનો સભ્ય છે. તે ત્રણ અક્ષરોવાળા ‘એન રા ફા’માંથી આવે છે. પરિચય કરવો, જાણવું, શોધવું જેવા સમજવું જેવા અમૂર્ત વિચારનો સંબંધ ટેક્સ જેવા આર્થિક સાધન સાથે કેવી રીતે બેઠો? તેના માટે આરબ લોકોની સોદાગરીને સમજવી જરૂરી છે.

મધ્ય યુગમાં ભૂમધ્ય સાગર વેપારનો માર્ગ હતો. તેના માધ્યમથી આખી દુનિયામાં માલ-સમાનની અવરજવર થતી હતી. તે વખતનાં બંદરો પર વસ્તુઓ પર મનસ્વીપણે કર લેવામાં આવતા હતા. એટલે બધા વેપારીઓને કરની જાણકારી રહે એટલા માટે શાસન દ્વારા વખતો વખત વસ્તુઓના કરની એક અધિકૃત સૂચિ તૈયાર કરવામાં આવતી હતી. ધીમે ધીમે આ પ્રક્રિયાના દસ્તાવેજો પણ મળવા લાગ્યા. તેમાં દરેક વસ્તુના કરનો પરિચય મળતો હતો એટલે અરબી ‘અરાફા’નો અર્થ કરની માહિતી બની ગયો.

વિવિધ દેશોના વેપારીઓ વચ્ચે સંપર્કના કારણે આ શબ્દ ફરતો ફરતો ફ્રેંચ ભાષામાં પહોંચ્યો હતો. ત્યાં સુધી તેનો અર્થ કરની સૂચિ અથવા રેડી રેકનર તરીકે જ થતો હતો, પરંતુ 1590માં જ્યારે તે ટેરિફ બનીને અંગ્રેજીમાં આવ્યો, ત્યારે તેનો અર્થ બદલાઈને ‘આયાત-નિકાસ પર લાગતા કરની અધિકૃત સૂચિ’ થઇ ગયો હતો. આજે ટેરિફનો કરવેરા થાય છે અને તે અર્થ 18મી-19મી સદીમાં આવ્યો હતો. 

આપણે આગળ રફીના ગીત ‘તારીફ કરું’ની વાત કરી. તે તારીફની એક અલગ કહાની છે અને તેની સગાઇ દક્ષિણ સ્પેનમાં ‘તારિફા’ નામના જાણીતા બંદર સાથે નીકળે છે. આ બંદર વિન્ડસર્ફિંગ માટે આજે પણ મશહૂર છે.  તે આફ્રિકાના કિનારાથી 13 કિલોમીટર અને ઈબેરિયન પ્રાયદ્વીપના છેડા પર છે. ઐતિહાસિક રીતે તે અનેક ખંડોને જોડે છે. 

એક કિવદંતી અનુસાર, ઇસવીસન 710માં બર્બર સેનાપતિ તારિફ ઈબ્ન મલિકના નામ પરથી આ શહેરનું નામ પડ્યું હતું. તારિફ ઈબ્ન મલિક ઈબેરિયન પ્રાયદ્વીપની જમીન પર પગ મુકનારો પહેલો મુસ્લિમ સેનાપતિ હતો. તેના આગમનના કારણે બંદરનું નામ તારિફા પડ્યું હતું. અરબીમાં, તારિફાને જઝીરાત તારિફા પણ કહે છે – તારિફાનો ઉપખંડ. 

ડેવિડ ડે નામના ઓસ્ટ્રેલિયાના એક ઇતિહાસકાર લખે છે કે આ સેનાપતિની રહેમનજર હેઠળ આ બંદર પર ચાંચિયાઓ વેપારી જહાજો પાસેથી ખંડણી વસુલતા હતા. બીજી એક વાર્તા અનુસાર, આ બંદર પર જહાજો લાંગરવાની ફી વસુલવામાં આવતી હતી. ટૂંકમાં, ખંડણી કે ફીની વસુલાત સાથે સેનાપતિ તારિફનું નામ જોડાયું અને તે યુરોપમાં ટેરિફ તરીકે જાણીતું થયું.

આ વાર્તા સાંભળવામાં દિલચસ્પ છે, પરંતુ ભાષાશાસ્ત્રીઓ તેને લોકવાયકા ગણે છે. તેમના મતે ટેરિફનું મૂળ અરબી તારીફ(માહિતી)માં છે. એવું પણ શક્ય છે કે ટેરિફ અને તારિફા બંદર બંને શબ્દોનું મૂળ એક જ હોય, અરબી ‘અરાફા’. 

ભારતીય સંસ્કૃતિને લગતી માહિતીસભર અને રસપ્રદ વાર્તાઓ અને કિસ્સાઓનું વર્ણન કરતી ‘પેપરક્લિપ’ નામની એક વેબસાઈટ આ કહાનીમાં ઉમેરો કરતાં લખે છે કે ઉર્દૂ-હિન્દી ‘તારીફ’ (પ્રસંશા)નું મૂળ પ્રાચીન અરબી ભાષાના ‘તા’રિફ’ શબ્દમાં છે, જે વળતામાં અરબી અરાફા (જાણવું) ધાતુ પરથી આવે છે. આ જ ધાતુ પરથી ટેરિફ આવે છે. 

કેવું કહેવાય કે જે શબ્દ, ટેરિફ, 1,200 વર્ષથી દુનિયાને જોડવાનું કામ કરતો હતો, તે આજે ટ્રમ્પ સાહેબની મહેરબાનીથી દુનિયાને તોડવાનું કામ કરી રહ્યો છે! તેમના આ ટેરિફ માટે ટ્રમ્પની તારીફ કરવી કે નહીં તેને આપણે અમેરિકનો પર છોડીએ. 

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ” નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 24 ઑગસ્ટ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આપણે સ્કૂલો હત્યા કે આત્મહત્યા માટે ખોલીએ છીએ ….?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 August 2025

રવીન્દ્ર પારેખ

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના 8માંના વિદ્યાર્થીએ, અઠવાડિયા પહેલાં થયેલી ધક્કામુક્કીનો બદલો,  10માંના વિદ્યાર્થીની, તીક્ષ્ણ હથિયાર(બોક્સ કટર)થી હત્યા કરીને લીધો. એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતાર્યો એ ઘટના ચોંકાવનારી ને તીવ્ર આઘાત આપનારી છે, એ સાથે જ સ્કૂલોના કારભાર બાબતે ચિંતા વધારનારી પણ છે. સ્કૂલમાં મૃતક વિદ્યાર્થી ઘવાઈને 38 મિનિટ સુધી લોહી નીંગળતી હાલતમાં, મદદની રાહ જોતો પડી રહ્યો, પણ કોઈએ તેને હોસ્પિટલ લઈ જવાની દરકાર ન કરી, એટલું જ નહીં, મૃતકની માતા આવી ને તેણે પોતાના દીકરાને હોસ્પિટલ પહોંચાડવા મદદ માંગી, પણ કોઈ વહારે ન આવ્યું. એવું ન હતું કે સ્કૂલ કેમ્પસમાં કોઈ હતું નહીં. શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ હતા જ, પણ કોઈને મદદ કરવાનું ન સૂઝ્યું. માતા દીકરાને લઈને હોસ્પિટલ પહોંચી, ત્યાં સુધીમાં પેટમાં જ અઢી લિટર લોહી જમા થઈ ગયું હતું. સમયસર સારવાર મળી હોત તો મૃતકને બચાવી શકાયો હોત, પણ સ્કૂલ અને કેમ્પસની બેદરકારીને લીધે વિદ્યાર્થીને મરવાનું થયું. એમ લાગે છે, જાણે મૃતકને મરવા માટે જ છોડી દેવાયો હતો. એ રીતે એ હત્યા જ નહીં, સામૂહિક હત્યા પણ છે.  

સ્કૂલના આચાર્ય, શિક્ષકોમાંથી કોઈનું જ રૂંવાડું ફરક્યું નહીં, એ તો ઠીક, એક શિક્ષિકાએ તો ત્યાં સુધી કહ્યું કે હથિયાર મારવાની ઘટના સ્કૂલની બહાર બની છે. મતલબ કે તેની જોડે સ્કૂલને કોઈ લેવાદેવા નથી, એવું? ને બહાર એટલે સ્કૂલના પાર્કિંગમાં જ ને ! ઘટના બહાર બની, પણ વિદ્યાર્થી તો સ્કૂલનો હતો ને ! એ પણ જવા દો, સ્કૂલ કેમ્પસમાં, સ્કૂલનો જ વિદ્યાર્થી 38 મિનિટ સુધી લોહીલુહાણ હાલતમાં પડી રહ્યો તે સ્કૂલને દેખાયું હતું કે કેમ? દેખાયું હતું, તો તેનો જીવ બચાવવાની ફરજ સ્કૂલની હતી કે કેમ? સિક્યુરિટી ગાર્ડે સ્કૂલને અને પોલીસને જાણ કરી, પછી પણ કોઈ ઘાયલ વિદ્યાર્થી સુધી ન પહોંચ્યું એ ગુનાહિત બેદરકારી છે. જો કોઈ જવાબદારી સ્કૂલની ન હતી, તો પાર્કિંગમાં ટેન્કર બોલાવીને લોહીના ડાઘ ધોવડાવવાનું સ્કૂલની ફરજમાં કઈ રીતે આવ્યું? પુરાવા જોડે છેડછાડ કરવાની સ્કૂલની ફરજ હતી, એમ?

આ મામલે પોલીસ પણ સક્રિય ઓછી જ જણાઈ છે, એટલે જ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો છે. ક્રાઈમ બ્રાન્ચે, બે વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. જે વિદ્યાર્થીએ હત્યા કરી તેણે કટર નજીકની સ્ટેશનરીની દુકાનેથી ખરીદ્યું હોવાનું બહાર આવ્યું છે. આ સાથે જ રાબેતા મુજબ સ્કૂલ સામે આક્રોશ ભભૂકી ઊઠ્યો છે. વાલીઓએ સ્કૂલમાં ઘૂસી તોડફોડ કરી ને આચાર્ય સહિત શિક્ષકોને ઠમઠોર્યા છે. રાજકીય પક્ષો પણ વિરોધમાં જોડાયા છે. શોકસભામાં સ્કૂલ બંધ કરવાની વાતો પણ થઈ છે. રેલીઓ નીકળી છે, બંધ પળાયો છે ને સંચાલકો સામે ગુનો નોંધી, સરકાર હસ્તક વહીવટ ચાલે એવી માંગ પણ કરાઈ છે. આટલું બન્યું, પણ સ્કૂલે DEOને જાણ કરવાનું મુનાસિબ માન્યું નથી. આ સ્કૂલ સામે અગાઉ પણ ફરિયાદો થઈ છે, પણ વિદ્યાર્થીની થયેલ હત્યા સંદર્ભે ભયંકર નિષ્ઠુરતા દાખવીને સ્કૂલે આડો આંક વાળી દીધો છે. જો કે, DEOએ પોતાની રીતે તો સ્કૂલને નોટિસ ફટકારીને રૂબરૂ હાજર રહી રિપોર્ટ કરવા જણાવ્યું છે. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીના નિર્દેશ મુજબ DEOએ પોતે સ્કૂલની મુલાકાત લીધી, પણ ત્યાં મેનેજમેન્ટના સભ્ય કે શૈક્ષણિક સ્ટાફ જોવા ન મળતા પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય લીધો હતો, તો સુરતના DEOએ તો વિદ્યાર્થીઓની સલામતીની વ્યવસ્થા ગોઠવવાનો પત્ર તમામ સ્કૂલોને મોકલ્યો છે. જો કે, ઘણા DEOને અઘરું થાય એવું ઘણું ઘણું થઈ રહ્યું છે –

સેવન્થ ડેનો 19 ઓગસ્ટ ને મંગળવારનો મામલો થાળે પડવાની વાત તો દૂર રહી, બાલાશિનોરના  પ્રાથમિકના ધોરણ આઠના વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીને ચપ્પુના પાંચ ઘા મારી દીધાની ઘટના 21મી ને ગુરુવારે સામે આવી છે. એ સાથે જ ભુજની વી.ડી. હાઈસ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી પર ધોરણ 11ના વિદ્યાર્થીએ મિત્રોને બોલાવીને હુમલો કરાવ્યાના સમાચાર પણ છે. એ જ 21મીએ ઉત્તરાખંડના કાશીપુરમાં, ધોરણ 9ના વિદ્યાર્થીએ એક શિક્ષકની પીઠ પર ગોળી મારી દીધી હતી. કેમ? તો કે, શિક્ષકે પૂછેલા પ્રશ્નનો જવાબ ન આવડતા શિક્ષકે તેને લાફો માર્યો હતો. બે દિવસ પછી વિદ્યાર્થીએ ટિફિનબોક્સમાં સંતાડી રાખેલી પિસ્તોલમાંથી ગોળી મારી હતી. 22 ઓગસ્ટે સાબરકાંઠાના વડાલીની શેઠ સી.જે. હાઈસ્કૂલમાં ધોરણ 7ના બટકા વિદ્યાર્થીને છોટિયો કહીને ચીડવ્યા બાદ ૩ વિદ્યાર્થીઓએ ન્હોર મારીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 4 મહિના પહેલાં પણ આ જ રીતની ધમકી અપાતાં વિદ્યાર્થીના વાલીએ શિક્ષકોનું ધ્યાન દોર્યું હતું, પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી. એ જ દિવસે વડોદરા આજવા રોડ પર આવેલી પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 7ના વિદ્યાર્થીએ પોતાના જ ક્લાસમાં ભણતા એક વિદ્યાર્થી પર ચાકુ સ્કૂલે લાવવાનો આક્ષેપ મૂક્યો હતો. વિદ્યાર્થીએ વર્ગના વિદ્યાર્થીને બેંચ પાસેથી ખસવાનું કહેતાં તેણે ઉશ્કેરાઈને ચહેરે નખ માર્યા હતા. તેની પાસે ચાકુ પણ હતું જે તે બીજા વિદ્યાર્થીઓને બતાવતો રહેતો હતો. આ અંગે મેડમનું ધ્યાન દોરવામાં આવ્યું તો તેમણે ફોટો પાડીને વાલીને મોકલી આપ્યો હતો. એ સિવાય કોઈ કાર્યવાહી કરી ન હતી. આની સામે સ્કૂલના પ્રવક્તા કહે છે કે આક્ષેપ ખોટો છે. બેગમાં કોઈ ચાકુ ન હતું, આ તો સ્કૂલને બદનામ કરવાનો પ્રયાસ છે. હશે, એવું જ હશે, પણ પ્રવક્તાશ્રીને પૂછી શકાય કે મેડમે શેનો ફોટો પાડીને વાલીને મોકલ્યો હતો? શનિવાર 23 ઓગસ્ટે અમદાવાદના રાયખડમાં આવેલી આઈ.પી. મિશન સ્કૂલમાં 12માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તેના જ ભૂતપૂર્વ મિત્રે ઇન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વિદ્યાર્થીને મેસેજમાં, ‘તું હિસાબ મેં બાત કર ….. તેરી ફિલ્ડિંગ મૈને પહલે સે હી સેટ કર લી હૈ …’ જેવી વાત કરી હતી. આ ભાષા વિદ્યાર્થિની છે કે ટપોરીની તે નક્કી કરવાનું મુશ્કેલ થઇ પડે એવું છે. વિદ્યાર્થીએ પિતાને જાણ કરતાં પોલીસ ફરિયાદ નોધવામાં આવી છે.

ઉત્તરાખંડની ઘટનાને બાદ કરતાં બાકીની બધી ઘટનાઓ ગુજરાતની છે. ગરવી ગુજરાતની આ વરવી વાતો 19 ઓગસ્ટથી 23 ઓગસ્ટ, 2025 દરમિયાન છાપાંમાં આવેલી નોંધ માત્ર છે. એ સિવાય પણ કંઇ બન્યું હશે ને મીડિયા સુધી નહીં પહોંચ્યું હોય એમ બને. જે બન્યું છે તે ઓછું જોખમી છે, એવું નથી. એ દુ:ખદ છે કે સેવન્થ ડેના ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા 8ના વિદ્યાર્થીએ કરી, પણ હત્યા કરતાં પણ જે બેદરકારી સ્કૂલ અને ત્યાં હાજર સૌએ દાખવી છે તે વધારે હિંસક અને ઘાતક છે. 9,000 વિદ્યાર્થીઓની સ્કૂલના આચાર્ય, તેના શિક્ષકો, તેના વિદ્યાર્થીઓ, તેના વાલીઓ આટલાં સંવેદનહીન અને વિવેકહીન હોઈ શકે એ હત્યા કરતાં વધુ આઘાત આપનારી બાબત છે. 38 મિનિટ સુધી ઘાયલ વિદ્યાર્થી લોહીલુહાણ પડી રહે છે ને કોઈને જ તેની મદદે આવવાનું સૂઝતું નથી એ લાગણીશૂન્ય થઈ રહેલાં જગતનો જીવંત પુરાવો છે. હવે તો કોઈ, કોઈનું ખૂન કરતું હોય તો તેને રોકવાને બદલે, એ ઘટનાનો મોબાઈલમાં વીડિયો ઉતારવાનું વધારે મહત્ત્વનું અને સમાજ સેવાનું કામ ગણાય છે. આપણે હવે એટલા સ્વાવલંબી થઇ ગયા છીએ કે કોઈની મદદની, લાગણીની, સેવાની જરૂર જ ન રહી હોય તેમ એકલપેટા જીવવાનું ગૌરવ લઈએ છીએ. કાલ ઊઠીને આંસુ જ ન આવે એવી સ્વસ્થતા સૌ ધારણ કરી લે તો નવાઈ નહીં !

બીજી જે ઘટનાઓ બની છે તે જોઈએ તો સ્કૂલના વિદ્યાર્થીઓ માટે હથિયાર ફરજિયાત હોય તેમ સૌ શસ્ત્ર સજ્જ છે. અમેરિકામાં તો શસ્ત્રની છૂટ છે, પણ ભારતમાં ય હોય તેમ વિદ્યાર્થીઓ ચપ્પુ, પિસ્તોલ રાખવા લાગ્યા છે. નજીવી બાબતમાં હથિયાર ચલાવવાનું પણ ફાવી ગયું છે. કોઈ ધમકી આપે છે, તો કોઈ ખરેખર તેનો ઉપયોગ પણ કરે છે. કેમ જાણે હથિયાર વગર જીવાય એમ જ ન હોય એવા ગુંડારાજમાં સૌ રહેતાં ન હોય ! દુ:ખદ એ છે કે એ રેલો બાળકો સુધી આવ્યો છે. તે કોઈ પુખ્તવયના ન લે એવું અચૂક નિશાન સાધે એવા શિક્ષિત છે. સ્કૂલમાં બીજું કંઇ શીખે કે ન શીખે, પણ હથિયાર વાપરવાનું તો સૌ શીખવા લાગ્યાં છે.

માબાપ પણ બાળકોનું જતન કરે છે. તે સ્કૂલે લંચબોક્સની સાથે એ પણ જોઈ લેતાં હશે કે સંતાને ચપ્પુ કે પિસ્તોલ કે અન્ય શસ્ત્ર લીધું તો છે ને ! એક વાર ચોપડાં ભૂલી જશે તો ચાલશે, પણ જાત બચાવતું શસ્ત્ર લેવાનું ન ભૂલાય એ તો જોવું પડશે ને ! હજારો લાખોના ખર્ચ પછી હવે શિક્ષણ સંસ્કારની જ નહીં, અગ્નિસંસ્કારની ગરજ પણ સારે છે ….

                                                                                                                                 000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 ઑગસ્ટ 2025

Loading

દલપતરામનો ‘જ્ઞાતિ નિબંધ’

રાજેશ લકુમ|Opinion - Opinion|24 August 2025

રાજેશ લકુમ

ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ (૧૮૫૧માં) ‘જ્ઞાતિ વ્યવસ્થા’ પર સારો નિબંધ લખે તેને રૂ. ૧૫૦નું ઈનામ આપવાનું ઠરાવ્યું. ૧૯મી સદીમાં રાજ્ય કક્ષાની નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. દલપતરામના ‘જ્ઞાતિ નિબંધ’ને રૂ. ૧૫૦નું ઈનામ પ્રાપ્ત હતું. આ નિબંધમાં જ્ઞાતિની ઉત્પતિ, જ્ઞાતિભેદ, જ્ઞાતિના આચાર-વિચાર અને જ્ઞાતિના ફાયદા અને ગેરફાયદા વિશે સવિસ્તાર માહિતી દર્શાવી છે. ડૉ. ગૌરાંગ જાની જણાવે છે કે ‘દલપતરામનો જ્ઞાતિ નિબંધ એટલે ગુજરાતી જ્ઞાન પરંપરા છે. કવિ હોવાથી સાથે દલપતરામ એક વિચારક અને સુધારક પણ હતા. ગુજરાતમાં જ્ઞાતિ વિશે અભ્યાસપૂર્ણ લખાણની શરૂઆત દલપતરામે કરી એ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી’ (જાની, ૨૦૨૩). પ્રસ્તાવનાની શરૂઆતમાં લેખક કહે છે કે “વેદમાં લખ્યું છે કે પરમેશ્વરે પોતાના મુખમાંથી બ્રાહ્મણ, બાહુમાંથી ક્ષત્રિય, પેટમાંથી વૈશ્ય અને પગમાંથી શુદ્રને ઉપજાવ્યા તે લખવાનો મતલબ એમ સમજાવો કે એ તો કવિએ કલ્પના કરી છે (પૃ. ૪-૫). તો અર્થ એમ કરી શકાય કે પ્રાચીન ગ્રંથોની રચના પણ કવિની કલ્પના જ છે. પરતું પ્રસ્તાવનાના અંત ભાગમાં લેખક પોતે જણાવે છે કે “ઘણું કરીને અસલ હિન્દુશાસ્ત્રથી વિરુદ્ધ વાતો નહિ લખું, તે એટલા સારું કે તેણે કરીને મારા પંડિત સ્વદેશિયો આ ગ્રંથ વાંચીને પ્રસન્ન થાય” (પૃ. ૮). પ્રસ્તુત ‘જ્ઞાતિ નિબંધને બૌદ્ધિક (Rational) અને સમીક્ષાત્મક (Critical) અભિગમ દ્વારા મૂલવીએ. પુસ્તકમાં શું છે? તે કઈ રીતે બન્યું? તેમ બનવાનું કારણ શું? આ સવાલો દ્વારા આપણે જ્ઞાતિ ઉત્પતિ, જ્ઞાતિભેદ, જ્ઞાત્યાચાર (જ્ઞાતિના આચાર-વિચાર) અને જ્ઞાતિના ફાયદા/ગેરફાયદાઓ વગેરે માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું.  

·      જ્ઞાતિ ઉત્પતિ: 

પુસ્તકના ભાગ ૧માં “પેહેલો સવાલ જેમ – ઘણું કરીને નાતો બાંધવાનું કારણ શું છે? તે બાબતે તમો જાણવા હો તો કહો” તે વિશે જવાબમાં લેખકે પ્રથમ બાર પ્રકરણમાં જ્ઞાતિ ઉત્પતિમાં બ્રાહ્મણો, ઔદિચ્ય બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ અને અન્ય બ્રાહ્મણોની ઉત્પતિ તેમ જ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વગેરેની ઉત્પતિ વિશે ધર્મગ્રંથોમાં કેવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે તેની માહિતી પાનાં નંબર ૦૧થી ૫૯ સુધી આપવામાં આવી છે. લેખક પ્રકરણ ૧માં ‘બ્રાહ્મણોની ઉત્પતિ’ વિશે શ્લોક દ્વારા જણાવે છે કે ब्राह्मक्षात्रतथावैश्यं, शौर्द्रकर्म्मचतुष्टयं ॥ सृष्टंजनेच्योलोकेस्मि, न्येनतंप्रणमाम्यहम् १ (પૃ. ૧). અને તેનો અર્થ આપ્યો છે, ઉત્તમ, મધ્યમ, કનિષ્ટ, અને અધમ, એ ચાર પ્રકારના ધંધા, જગતમાં લોકો વાસ્તે જેણે રચ્યા, તેને હું નમસ્કાર કરું છું’. કર્મશીલ રાજુ સોલંકી કહે છે કે શું દલપતરામ ખરેખર સમાજ સુધારક હતા? પુસ્તકના શરૂઆતમાં જ કહે છે કે “બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર પ્રકારના ધંધા જગતમાં લોકો વાસ્તે જેણે રચ્યા છે એને હું નમસ્કાર કરું છું”. તેઓ પ્રારંભમાં જ બ્રાહ્મણ એટલે ઉત્તમ, ક્ષત્રિય એટલે મધ્યમ, વૈશ્ય એટલે કનિષ્ઠ અને શુદ્ર એટલે અધમ આવો અર્થ આપીને દલપતરામે સ્પષ્ટ કરી દીધું કે તેઓ મનુસ્મૃતિ પ્રેરિત વર્ણ વ્યવસ્થામાં માને છે. આવા જાતિવાદી વિચારો પેટમાંથી ઉપજે છે અને પછી ગુદામાંથી નીકળે છે, ત્યારે સમગ્ર નભોમંડળ, સચરાચરના પ્રાણીમાત્ર તેની દુર્ગંધથી સ્તબ્ધ થઈ જાય છે” (સોલંકી, ૨૦૨૫). 

બ્રાહ્મણ એટલે કોણ? તેના જવાબમાં લેખક લખે છે કે “નાસ્તિકપણું જેમાં ન હોય, ને સદા આસ્તિક હોય, એ બ્રાહ્મણના સ્વભાવનું કર્મ છે એટલે એવા ગુણ જેમાં હોય તે બ્રાહ્મણ કહેવાય (પૃ. ૧૦). બીજા શબ્દોમાં કહીએ તો “અસલમાં કોઈ કુળનું નામ બ્રાહ્મણ નહોતું, પણ કે વિદ્યા ભણીને અક્રોધપણા આદિક ગુણ મેળવીને લોકોને ધર્મનો ઉપદેશ કરતાં હતા, તેઓ બ્રાહ્મણ કહેવાતા હતા” (પૃ. ૧૧). શંકરસ્વામી મુજબ સારા ગુણ આવે તે બ્રાહ્મણ થાય. પછી એવા એક જથો બંધાયો હશે તે બ્રાહ્મણ જાતિ કહેવાયા (પૃ. ૧૨). સમાન ગુણવાળા અને રોજગારવાળી જુદી જુદી નાતો ભેગા થઈને બેસે છે. જેમ કે વિવાહના કામમાં પોતાની નાતમાં પણ વિદ્વાનની દીકરી વિદ્વાનને ધેર દેવાય. અને વેપારીની દીકરી વેપારીને ધેર જાય તો લોકો પરસ્પર ઘણા રાજી થાય છે. એ જ બ્રાહ્મણની નાત બાંધવાનું મૂળ કારણ જણાય છે (પૃ. ૧૩). હર્બર્ટ રીઝલે (H.H. Risley) કહ્યું છે કે ‘ભારતમાં જાતિ અને વ્યવસાય એકબીજા સીધા જોડાયેલા છે. અને વ્યવસાય પણ ચોક્કસ જ્ઞાતિ મુજબ હોય છે’ (રીઝલે, ૧૮૯૧). આગળ પુસ્તકમાં લેખક જણાવે છે કે બ્રાહ્મણના ધર્મનો મૂળ દિવસ એટલે બળેવ. તે દિવસે બ્રાહ્મણો જૂની જનોઈ કાઢીને નવી પહેરે છે ત્યારે ઋષિનું પૂજન કરે છે (પૃ. ૧૪). આમ બ્રાહ્મણ ઉત્પતિ વિશે પૃ. ૯થી ૧૪ સુધીમાં ધર્મગ્રંથો જેવા કે ભગવત ગીતા, મોક્ષધર્મ અને વર્જાસૂચિકોપનિષદ વગેરેમાં બ્રાહ્મણ જ્ઞાતિના કર્મ, ગુણો અને ઋષિઓની ચર્ચા કરી છે.

પ્રકરણ ૨માં કેવી રીતે જુદી-જુદી નાતો પ્રમાણે જુદા-જુદા મત બંધાયા તેના વિશે માહિતી આપવામાં આવી છે. લેખકના મતે જુદા જુદા મતવાળાને ભેગા કરવા “વિક્રમથી અગાવ આશરે વર્ષ ૧૦૦ ઉપર શંકરાચાર્ય સંન્યાશીનો ધર્મ ચલાવીને જૈનમતને હઠાવ્યો. અને બ્રાહ્મણોમાં સંપ કરાવીને એકબીજા મતની નિંદા કરવી નહિ, અને જે-જે ઋષિના મતને જેઓ માનતા હોય તેના વંશના જે થાય તેઓએ એ જ મત માનવો એવો ઠરાવ કરીને ટંટો (સમસ્યાનું) સમાધાન કીધો હોય એમ જણાય છે” (પૃ. ૧૮). આગળ પ્રકરણ ૩માં જૂના પુસ્તકો જેવા કે વાલ્મિકીનું ‘રામાયણ’, પાણિની ‘વ્યાકરણ’, મહાભારત, પુરાણો અને સ્મૃતિઓ વિશે થોડી સમજૂતી આપવામાં આવી છે. પ્રકરણ ૪માં બ્રાહ્મણોમાં ૮૪ નાત્યો કેવી રીતે બંધાય તેની માહિતી આપેલ છે. પ્રકરણમાં ૫માં લેખકે ઔદિચ્યની ઉત્પતિ વિશે મૂળગ્રંથ પ્રબંધચિંતામણિ, કુમારપાળચરિત્ર વગેરે ગ્રંથોમાંથી માહિતી મેળવીને લખે છે કે ટોળકિયા ઔદિચ્ય, સિહોરા ઔદિચ્ય, સિદ્ધપુરા ઔદિચ્ય વગેરે એમ બ્રાહ્મણોની ત્રણ મુખ્ય નાતો એકબીજા ઘેર જમવા બેસે અને સગપણ સંબંધ પણ કરે છે (પૃ. ૨૮. ૨૯). પ્રકરણમાં ૬માં શ્રીમાળી બ્રાહ્મણ તથા વાણિયાની ઉત્પતિ વિશે માહિતી સ્કંદપુરાણમાં ‘શ્રીમાળમહાત્મ્ય’ ગ્રંથમાં આપવામાં આવી છે. શ્રીમાળનગર (હાલ ભીનમાલ) ત્યાં બ્રાહ્મણોને બોલાવી વસાવ્યાં (પૃ. ૩૧). પ્રકરણમાં ૭માં નાગર બ્રાહ્મણોની ઉત્પતિ વિશે સ્કંદપુરાણમાં ‘નગરખંડ’ ગ્રંથ મુજબ વડનગરમાં થઈ હતી (પૃ. ૩૫). વર્ષ ૨૦૦ અથવા ૪૦૦ની અંદર તો એક-એક નાત્યમાંથી જુદા-જુદા સભા અસ્તિત્વમાં આવી છે. જેમ કે અમદાવાદી સભા, સુરતી સભા, ઇડરીયા, જૂનાગઢીયા વગેરે જુદી-જુદી સભામાં નાગરોનું સામાજિક બંધારણ બંધાયું છે (પૃ. ૩૮). પ્રકરણમાં ૮માં પરચૂરણ બ્રાહ્મણોની ઉત્પતિ વિશે જણાવે છે જે મોઢ બ્રાહ્મણ ‘મોઢેરા ગામ’માંથી, ત્રિવેદી ‘ત્રણ વેદ ભણનાર’, ચાતુર્વેદી ‘ચાર વેદ ભણનાર’ વગેરે ઉત્પતિ થઈ હતી (પૃ. ૩૯-૪૦). આ પુસ્તકના પૃ. ૧૧થી ૪૨ સુધી બ્રાહ્મણોની ઉત્પતિ વિશે વર્ણન કરેલ છે.  

જ્યોતિરાવ ફુલે

પ્રકરણમાં ૯માં ક્ષત્રિયોની ઉત્પત્તિ વિશે શ્રીમદ્દભાગવત, પૃથીરાજ રાસા અને રત્નકોશ ગ્રંથોમાં માહિતી આપી છે. લેખક કહે છે કે “બ્રાહ્મણ વંશમાં કેટલાએક પુરુષો એવા થાય કે, પોતાના શરીરના જોરથી માણસોને મારીને પોતાને તાબે કરવા લાગ્યા. ત્યારે એ કામ બ્રાહ્મણોના મતથી ઊલટું થયું, તેથી એ બે પ્રકારના જથા બંધાયા, તે બ્રાહ્મણ અને ક્ષત્રી. અને તેઓ પ્રથમ તો વિધ્યાચલ પર્વત, અને હિમાળાની વચ્ચે, જે આર્યાવર્ત ક્ષેત્ર કહેવાય છે, ત્યાં રહેતા હતા …. જમદગની ઋષિના દીકરા પરશુરામ ઋષિના વખતમાં બ્રાહ્મણો તથા ક્ષત્રિયોની વચમાં મોટી લડાઈ ચાલી હતી. પણ આખર રામચંદ્રજીએ પરશુરામને જીત્યા. એ વખતમાં એ રીતે મૂળ બ્રાહ્મણના વંશમાંથી ક્ષત્રી થતા હતા, અને ક્ષત્રીના વંશમાંથી બ્રાહ્મણ થતાં હતા. અને એક બીજાની કન્યા લેતા દેતા હતા, અને ધર્મ તો વેદનો એ બંને માનતા હતા (પૃ. ૪૨-૪૩). મહાત્મા જ્યોતિરાવ ફુલે કહે છે પરશુરામે સેંકડો લોકોની હત્યાઓ કરીને તેમની પત્ની-બાળકોની ભયંકર ખરાબ હાલત કરી હતી (ફુલે, ૧૮૭૩). પ્રકરણમાં ૧૦માં વૈશ્યની ઉત્પતિ વિશે લેખક કહે છે વૈશ્ય એટલે કે જે મુખ્ય તો ખેતી કરનારા તથા ગાયો પાળનારા કારીગર લોકો સર્વે, વેપાર કરનારા, તેઓ વૈશ્ય જાતિ કહેવાય. વેપાર રોજગારમાં મુખ્ય વાણીઆની નાતો ૮૪ છે. તેઓની ઉત્પતિ પણ ક્ષત્રીના વંશમાંથી જણાય છે (પૃ. ૪૬). આ નાત્યોમાંથી કેટલીએક નાત્યોમાં દશા, તથા વીશા એવા ભેદની બે-બે નાત્યો છે. વળી જુદા ધર્મના કારણથી તથા જુદે ગામ વસવાથી એક એક નાત્યમાંથી બીજી ઘણી નાત્યો થઈ છે (પૃ. ૪૮-૪૯).  

પ્રકરણમાં ૧૧માં શુદ્ર વર્ણની ઉત્પતિ વિશે લેખક જણાવે છે કે “જે લોકોના ધંધામાં કાંઇ વિદ્યા ભણવાની જરૂર નથી, પારકા હૂકમથી ફક્ત શરીરની મહેનત કરવી પડે છે, અને ઘણી બુદ્ધિ પણ વાપરવી પડતી નથી, એવા જે હજામ, ધોબી, વઘારી, ભીલ, ઢેડિયા વગેરે તે સર્વે શુદ્ર જાતિ કહેવાય …. હાલ સુધી હિંદુસ્તાનના રાજાઓની પણ એવી રીત છે કે, કોઈ હજામ, કુંભાર વગેરે પોતાનો ધંધો છોડીને બીજો વેપાર રોજગાર કરવા ચહાય, તો રાજા તેને શિક્ષા કરે છે. અને એ શુદ્ર લોકો પોતાને રહેવા ઘણાં સારાં ઘર બનાવે, અથવા જરિયાનનાં લૂગડાં વગેરે પેહેરે, તો પણ રાજા તેને શિક્ષા કરે છે. એ રીતે તેઓને શુદ્રપણામાં રાખેલાં છે (પૃ. ૪૯-૫૦). લેખક દલિતો વિશે જણાવે છે “ઢેડ લોકોમાં પણ ચાવડા, ચુહાણ, વાઘેલા વગેરે અટકવાળા છે, અને તેઓના વૈવંચા પણ છે. તે એમ કહે છે કે એ પણ સર્વે અસલ રાજપૂત હતા, પણ ગરીબ અવસ્થામાં આવ્યાથી એવો ધંધો કીધો, અને શુદ્ર થયા. વળી ઢેડનાં ગોર જે (ઢેડગરોડા) તે પણ કહે છે કે, એમ ઋષિનાં વંશના છૈયે. અને એ ઢેડગરોડા જનોઈ પહેરે છે. જોતિષ તથા રામકથા વગેરે ભણે છે, અને ઘણી કરીને કબીરનાં ધર્મને તેઓ માને છે. તેઓમાં પણ ઢેડ, અને ઓળગાણા (ભંગિયા), એવી બે જાતો છે. જેમાં ઢેડ ઓળગાણાથી વટલાય છે” (પૃ. ૫૦). લેખક કહે છે કે હિંદુ લોકોમાં એકબીજાની નાત્યનું પાણી પીવાથી વટલાયાનો ચાલ ચાલ્યો, તેનું મૂળ એ છે કે, જ્યારે જૈન મતવાળાઓએ પોતાનો ધર્મ હિંદુઓમાં ઘણો ફેલાવ્યો, ત્યારે, તથા ત્યારબાદ, મુસલમાનોએ હિંદુઓને વટલાવવા માંડયા, ત્યારે હિંદુઓના કેટલાએક આચારજોએ એવો બંદોબસ્ત કીધો કે અજાણ્યાની જોડે બેશીને જમવું નહિ, તથા તેનું પાણી પીવું નહિ અને જે સારો આચાર (નહાવા ધોવા વગેરે) પાળે નહિ તે નાત્યવાળા સાથે પણ ખાવાપીવાનો વહેવાર રાખવો નહિ. હિંદુશાસ્ત્રમાં પણ ભંગિયા જેવી (શુદ્ર) જાતવાળાનું પાણી પીવું નહિ, એટલું જ ફક્ત સ્મૃતિમાં લખેલું છે …. હિંદુશાસ્ત્રમાં પતિત થવાના કારણો, જે મોટાં મોટાં પાપ, મદ્યપાન, સોનાની ચોરી વગેરે લખ્યાં છે, તે બંધ થઈને ફક્ત પાણી પીવાથી તથા જમવાથી જ પતિત થાય છે, એટલું રહ્યું, તેનું કારણ એ છે કે, લોકો વિદ્યા ભણ્યા નથી, તેઓને માલમ નથી, કે આપણા ધર્મશાસ્ત્રમાં શું લખ્યું છે, અને આપણે શી રીતે ચાલીયે છીએ (પૃ. ૫૧-૫૨). શુદ્રોની દશા વિશે મહાત્મા જ્યોતિરાવ ફુલે કહે છે કે “વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઈ; નીતિ વિના ગતિ ગઈ, ગતિ વિના સંપત્તિ ગઈ, સંપત્તિ વિના શુદ્ર નાસીપાસ થયો, આટલો મોટો ઘોર અનર્થ; એકલી વિદ્યા વિના થયો” (બૌદ્ધ, ૨૦૨૪). લેખકે આ ભાગમાં ઔદિચ્ય બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ અને અન્ય બ્રાહ્મણોની ઉત્પતિ તેમ જ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર-એમ ચાર વર્ણની ઉત્પતિ વિશે પોતાનો મત ધર્મશાસ્ત્રો મુજબ આપ્યો છે. 

·      જ્ઞાતિ ભેદ:      

પુસ્તકના ભાગ ૨માં “બીજો સવાલ – જાતોમાં વિભાગ થવાની કેટલીક બાબતો સાબેતી વાળી હોય, તેનું વર્ણન કરો, ને શા કારણથી વિભાગ થયા, તે વાત પણ કહો”. તેના જવાબમાં લેખક જણાવે છે કે નાત્યો જુદી થવાનું કારણ એ છે કે, એક ધંધો કરનારાઓની એક નાત્ય થઈ સઘળી નાત્યો જુદી થઈ. ગ્રંથો કરનારા લખે છે કે, એક વર્ણનાં પુરુષ બીજા વર્ણની સ્ત્રી સાથે અનુલોમ, પ્રતિલોમ લગ્ન કીધા. તથા વ્યભિચાર અને જારકર્મથી ઉપજેલી જાતિઓ પ્રગટ થઈ. પરતું નાત્યો બાંધવાનું મૂળ કારણ બ્રાહ્મણો છે. કેમ કે સૌ પહેલી બ્રાહ્મણોની નાત્ય બંધાઈ (પૃ. ૫૮). બ્રાહ્મણ પોતાનું ગુજરાન ચલાવવા અન્ય જાતિનાં ગોર થયા. ત્યારબાદ બંદોબસ્ત કરીને નાતો બાંધી. પ્રકરણમાં ૧૫માં જોઈએ તો નાગરી નાત્યોમાંથી જુદા સંભા બંધાયાનું કારણ દર્શાવે છે કે આનર્ત દેશનાં રાજાને ચમત્કાર બાદ નાગની ઉત્પતિ ઘણી થઈ, તેઓએ ઘણાં માણસોને કરડી ખાધાં, તેથી કેટલાક બ્રાહ્મણો નાશી છૂટ્યા. પછી એક અપમાન કરેલે બ્રાહ્મણે (ત્રિજાતકે) મંત્રણો ઉપાય કર્યો, તથા એ સઉ બ્રાહ્મણોએ મળીને લાકડી પથરા વગેરેથી હજારો નાગરે મારી નાંખ્યા. ત્યારે એ શહેરનું નામ નગર (ઝેર વિનાનું) ઠર્યું, ને તે બ્રાહ્મણો નાગર કહેવાયા (પૃ. ૬૧). નાગરો વિશેની આ એક કપોળ વાર્તા જ છે. એટલે કે આ વાર્તામાં ‘નાગ’ નહિ, પરતું ‘નાગ વંશ’ વિશે છે. જેઓ ભારતમાં એક સમયે રાજશાસકના વંશજો હતા. પ્રકરણ ૧૬માં રાજપૂત, કારડીયા રાજપૂત, વગેરે રાજભ્રષ્ટ થયાથી પોતાની નાત્ય જુદી બાંધીને પોતાની જ નાત્યમાં દીકરીનો વિવાહ કરે છે તથા નતરાં કરે છે. પણ બીજા રાજપૂતો સાથે જમવાનો વહેવાર રાખે છે (પૃ. ૬૭). જ્યારે પ્રકરણમાં ૧૭માં વાણિયાની નાત્યોમાંથી જુદી નાત્યો થવાનું કારણ હતું કે જેઓનું કુલ દશવશા ઉત્તમ, અને જેઓનું વીશવસા ઉત્તમ હતું, તે ‘દશા’ અને ‘વીશા’ થયા. મહાજન ભેળું થાય ત્યારે વીશા વાણિયાને પ્રથમ ચાંદલો થાય છે. ‘દશા’ અને ‘વીશા’ એકબીજાની દીકરી લેતા દેતા નથી (પૃ. ૬૮). પ્રકરણમાં ૧૮માં સુતાર વગેરે નાત્યોમાં પણ ભેદ જોવા મળે છે. સુતાર ત્રણ જાત છે. ૧. ગુજર સુતાર, ૨. સઈ સુતાર, ૩. મેવાડા સુતાર. ગુજર સુતાર સઈ સુતારથી વટલાય છે (પૃ. ૭૦). પ્રકરણમાં ૧૯માં સુરતનું નાત્યો વિશે ૧૮૨૭માં સુરતનાં બારડોલ સાહેબે નાત્યોનાં શિરસ્તા લખાવ્યાં છે. જેમાં સુરત શહેરમાં ૨૦૭ જેટલી જુદી જુદી નાત્યો છે, તેટલી ગુજરાતનાં બીજા કોઈ શહેરમાં નથી (પૃ. ૮૨). પ્રકરણમાં ૨૦માં એ નાત્યોનાં નામ લખવાનું કારણ જણાવે છે. લેખકે કહે છે કે “એક એક નાત્યમાંથી કેટલી-કેટલી નાત્યો થઈ છે! તે કાંઇ પરમેશ્વર જુદી પાડી નથી, માણસોએ જ જુદી પાડી છે. અને સુરત આશરે ૫૦૦ વર્ષ થયા વશ્યું છે … કદાપિ આપણને પરમેશ્વર સહાયતા આપે, ને આપણે માંહો-માંહી ભાઈયોનાં જેવુ હેત કરીને બે નાત્યોની એક નાત્ય કરીએ અથવા એક નાત્યનો બ્રાહ્મણ બીજી નાત્યનાં બ્રાહ્મણની કન્યા લાવે, તો તેમાં પરમેશ્વરનો ગુન્હો શો થશે? કાંઇ નહિ થાય (પૃ. ૮૩). સ્વદેશમાં અથવા પરદેશમાં તે ઔદિચ્ય બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણને દુ:ખમાં શી સહાયતા કરી શકે? કેમ કે તેની બનાવેલી રસોઈ નાગરે ખવાય નહિ. એ વહેમ આપણાં દેશમાંથી ક્યારે જાય અને લોકોનું કલ્યાણ થાય! (પૃ. ૮૪). 

છેલ્લે લેખકના કહે છે કે હિંદુશાસ્ત્રમાં શી રીતનો ધર્મ લખ્યો છે? અને માણસોએ હાલમાં શા શા બંદોબસ્ત કીધા છે? તે વાત મારે સારી પેઠે તપાસવી. પછી તો યમસ્મૃતિ, શાતાતપસ્મૃતિ, વ્યાસસ્મૃતિ, અંગિરાસ્મૃતિ, યાજ્ઞવાલ્કયસ્મૃતિ, મનુસ્મૃતિ વગેરે જેટલી સ્મૃતિઓ મળી શકી, તેટલી વાંચીને મે સારી પેઠે નિશ્ચય કીધો કે, બ્રાહ્મણ વગેરેની નાત્યોમાંથી જુદા જુદા વિભાગ થયા, તેનું કારણ તો વહેમ તથા લડાઈ છે, બીજું કાંઇ નથી (પૃ. ૮૬). આમ જ્ઞાતિભેદનાં કારણો બીજા નાત્યો કરતાં સારો આચાર, નહાવા અને ધોવાના વ્યવહાર તથા અલગ વસવાટ અને ધર્મનાં સંઘર્ષ દ્વારા નાતો જુદી થઈ છે. 

·      જ્ઞાત્યાચાર (જ્ઞાતિના આચાર–વિચાર):           

પુસ્તકના ભાગ ૩માં “ત્રીજો સવાલ – એક નાતના લોકોનો ચાલ બીજી નાતના લોકોના ચાલથી જૂદો પડે છે તે કહો. ને એ જૂદો પાડવાનું કારણ શું હશે તે બતાવો”. તેના જવાબમાં બ્રાહ્મણો કેવી રીતે વ્યક્તિ, વસ્તુઓથી અભડાઇ જાય છે તે દર્શાવ્યું છે. પ્રકરણ ૨૪માં બ્રાહ્મણોની નાત્યોની જમવા બેસવાની રીત. બ્રાહ્મણ સ્ત્રી અને પુરુષોએ કેવા કપડાં પહેરી અને કોની સાથે જમવા બેસાય તેની વાત કરી છે. પ્રકરણ ૨૫માં વાગડ, પારકર, પ્રગણાનાં બ્રાહ્મણોનો જમવા બેસવાના આચારમાં કપડાંનું મહત્ત્વ નથી તેની જાણકારી મળે છે (પૃ. ૯૬). પ્રકરણ ૨૬માં બ્રાહ્મણોની રસોઈની જગ્યા તથા વાસણ બાબતમાં ઘર બહારથી આવેલ વાસણને લીપણ કરીને ઉપયોગમાં લે છે. પ્રકરણ ૨૭માં એઠવાડ બાબત એટલે કે ઘઉં, બાજરી વગેરે અનાજનો લોટ હોય, તેમાં પાણીનો છાંટો પડે તો તે એઠવાડ કહેવાય છે. અથવા આખું અન્ન ચાવ્યા પછી એઠું કહેવાય છે. પ્રકરણ ૨૮માં તળેલું, શેકેલું, દૂધ વગેરેથી બાંધેલું પવિત્ર ગણાય. કેમ કે લોટમાં પાણીનો છાંટો પડ્યાથી અભડાય છે. એટલે કે સમાજશાસ્ત્ર હટ્ટને (Hutton) આ સંદર્ભમાં કાચું ભોજન અને પાકું ભોજન પરના પ્રતિબંધ વિશે વાત કરી છે. પ્રકરણ ૨૯માં પાણી બાબતનો એક એક નાત્યથી જુદો ચાલ. તેમ જ નિમ્ન જ્ઞાતિ વાળા પાણી ભારે તો ઊંચ જ્ઞાતિ વાળા પાણી ભરતા નથી. મૃત્યુ પ્રસંગ જો કોઈ પાણી ભરેલું બેડું લઈને સામું મળે તો બેડું નાંખી દે છે અથવા અવળા ફરી જાય છે (પૃ. ૧૧૪). પ્રકરણ ૩૦માં વિવાહ સંબંધી જુદા ચાલ વિશે ચર્ચા કરી છે (પૃ. ૧૨૧-૧૨૨). અમેરિકન સમાજશાસ્ત્રી કોલેન્ડા(Pauline Kolenda)એ ભારતમાં જાતિ આધારિત આહાર અને લગ્નના રિવાજો, વારસાહીક અશુદ્રતા એ જાતિ વ્યવસ્થાને મજબૂત કરે છે. આ ભાગમાં લેખક કહે છે કે “હરેક નાત્યના ચાલ જુદા જુદા પરણેતર ક્રિયા, નાત્યવરા વગેરેના છે … જેટલા ચાલ વહેમ ભરેલા છે. એવા એવા જુદા ચાલ, જે એકબીજાનું પાણી પીવું નહિ, એક બીજાથી અભડાવું, દીકરીઓના નાનપણમાં પરણાવીને દુ:ખમાં નાંખવી; ફલાણાની બાઈડીઓ રેશમી લૂગડાં પહેરીને જમતી નથી. વાસ્તે તે ભ્રષ્ટ છે અને રેશમી પહેરે છે તે આચારવાળાં છે, એવા એવા વહેલ ભરેલા ચાલ એક-એક નાત્યથી તથા ગામથી જુદા-જુદા છે … આ જુદા-જુદા ચાલ નાત્યોના બંધાયા છે, એ કાંઇ ધર્મની વાત નથી. એ તો માણસોની મરજી પ્રમાણે ચાલ બંધાયા છે. વાસ્તે જે-જે ચાલથી હરકત પડે છે, તે ચાલ આપણે ફેરવીને સુધારીએ તો કાંઇ પણ પાપ લાગશે નહિ” (પૃ. ૧૨૧-૧૨૨). 

·      જ્ઞાતિના ફાયદા/ગેરફાયદાઓ

ભાગ-૪માં “ચોથો સવાલ – નાતના કાયદાથી ધરમેળે તથા જાહેરાંત સર્વ મનુષ્ય પ્રાણી ઉપર શો દોર ચાલે છે, તે વર્ણવો. ને નાતથી કાયદા ને ગેરફાયદા થતા હોય તે બતાવો”. તેના વિશે માહિતી આપી છે. પ્રકરણ ૩૩માં નાત્યથી ફાયદા બાબતમાં લેખક જણાવે છે કે સર જમસેદજી જીજીભાઈ મોટા તાલેવંત થયા છે. તેઓએ પોતાની નાત્યના ગરીબોને બક્ષિત આપીને મોટા ફાયદો કરાવ્યો છે (પૃ. ૧૨૫). આગળ લેખક લખે છે કે “બીજું એ કે, અમદાવાદ વગેરેના ઢેડિયાઓમાં જેને ઘણાં પાયખાનાઓનું કામ કરવું પડે છે, તે એની નાત્યમાં મોટો ગરાશીયો કહેવાય છે, ને તે બાપદાદાના ઊઘમમાં આનંદ પામે છે. પણ જો ઢેડની નાત્ય ના બંધાઈ હોય તો, એનું કામ ગરીબ અવસ્થામાં આવેલા ખાનદાનના ફરજંદોએ કરવું પડે, ત્યારે તેના દીલમાં ઘણું માઠું લાગે, ને તેને કોઈ પોતાની દીકરી પરણાવે નહિ” (પૃ. ૧૨૬-૧૨૭). રાજુ સોલંકીની આ વિષય પરની ફેસબૂક પોસ્ટની કોમન્ટમાં વિરોધરૂપે કર્મશીલ ડૉ. જયંતિલાલ માંકડિયા લખે છે કે “ભારતમાં જેને ‘સાક્ષર’ કહેવાયા તે બધા આવા નીચલા સ્તરના નીચ છે. એને મોકો મળે એટલે એનું વર્ણભિમાન અને જાતિગત નીચતાની વિષ્ટા વિખેરતા રહ્યાં છે”. આ સિવાય સુતાર, લુવાર, સોની વગેરે કારીગર જ્ઞાતિઓ પોતાનું જાતિગત વ્યવસાય પોતાના બાળકોને શીખવાડવો. એ રીતે નાત્યો બાંધનારાઓએ તો સારા વિચારથી બાંધી હશે (પૃ. ૧૨૭). પ્રકરણ ૩૪માં નાત્યોના ગેરફાયદામાં લેખક લખે છે કે  “નાત્યોના હાલના કાયદાથી હિન્દુ ધર્મને પણ ઘણું નુકસાન લાગે છે કેમ કે હિંદુ શાસ્ત્રમાં લખ્યું છે, “દીકરા વિનાનું માણસ મરી જાય તેનો મોક્ષ થાય નહિ, ને સ્વર્ગને પણ ન  પામે તે ન જ પામે. વાસ્તે જે તે ઉપાયથી પણ પુત્રની ઉત્પત્તિ કરવી. હવે એ લખવાની મતલબ તો એવી છે કે પોતાના વર્ણની કન્યા મળે નહીં તો બીજા વર્ણની કન્યા લાવીને પણ પુત્રની ઉત્પત્તિ કરવી. કદાપિ એક સ્ત્રી મરી જાય તો બીજી સ્ત્રી પરણીને પણ પુત્રની ઉત્પત્તિ કરવી. તેમ જ ધણી મરી જાય તો દિયર વગેરે કુંવારો હોય, તેને પરણીને સ્ત્રીયે પણ પુત્રની ઉત્પતિ કરવી. એ જ રીતે જૂના હિંદુશાસ્ત્રમાં લખેલું છે. અને આજ તો કાયદો એવો છે કે એક નાત્યમાંથી કન્યા મળે નહીં, તો બીજી પોતાના વર્ણની નાત્યમાંથી પણ કન્યા લેવાય નહીં ત્યારે એ બિચારો પુત્રની ઉત્પત્તિ શા ઉપાયે કરે?” (પૃ. ૧૨૮). કર્મશીલ રાજુ સોલંકી જણાવે છે કે દલપતરામ બિચારા પુત્રની ઉત્પતિ વિના કેટલા દુ:ખી દુખી હતા! (સોલંકી, ૨૦૨૫). લેખક પર માર્મિક કટાક્ષ કરે છે. બ્રાહ્મણોને કેવા પ્રશ્નો નડે છે તેની વાત કરે છે. જેમ કે ઘરમાં મૃત્યુ થયું હોય ત્યાર પરનાતની વ્યક્તિ કામ આવતી નથી. કોના ત્યાં પાણી પીવી અને કોના ત્યાં પાણી ન પીવી તેની ચાલ. જ્યારે કોઈ રસોઈ બનાવનાર બ્રાહ્મણ જ્ઞાતિનો વ્યક્તિ ન મળે ત્યારે જાતે જ રસોઈ બનાવવી પડે છે. વધારે કામના કારણે ફુરસદ માનતી નથી. તે ગેરફાયદો થયો છે (પૃ. ૧૩૨). પ્રકરણ ૩૫માં ગામ નંદબારના શ્રીમાળીને નાત્યથી હરકત થઈના તેનો દાખલો આપે છે. કેવી રીતે નાતનો કાયદો તોડે તો તેને નાત બહાર મૂકવામાં આવે છે. પ્રકરણ ૩૬માં ગુરુ શિષ્યનો સંવાદમાં લેખક કહે છે એક પંગતીમાં સો પચાસ બ્રાહ્મણો ઊભા હોય, ને તે સર્વેના હાથમાં સોટીઓ હોય, તેણે કરીને એક એકને અદકેલા હોય, તેમાંથી એકજાણ ઢેડિઓ અડકે, તો તેઓમાંથી કેટલા જાણ અભડાય? …. એના જવાબમાં જણાવે છે કે એક બીજાને અડનાર જણ ૩ સુધી નહાવું. પણ ઘાસ, લાકડાં, વગેરેથી અડકે, તો એકે જ નાહાવું બીજાએ આચમન કરવું (પૃ. ૧૩૭). આગળ ગુરુ શિષ્યનો સંવાદમાં લેખક જણાવે છે કે કોઈ બ્રાહ્મણ ભંગિયાનું એઠું અન્ન ખાય તો એ પાપ કેવું હશે? અંગીરા ઋષિના વચન એ વિશે સ્મૃતિમાં લખ્યાં છે કે, એવા પાપથી એક મહિનાની મહેનતે બ્રાહ્મણ છૂટે, ને ક્ષત્રી સાત દિવસે છૂટે, વૈશ્ય ૬ દાહાડાની મહેનતે છૂટે, ને શુદ્ર ૩ દાહાડે છેડે (પૃ. ૧૩૮). પ્રકરણ ૩૭માં જૈનમતમાં જાતિભેદનો વિચારમાં લેખક લખે છે કે શ્રાવક ઢેડિયાને અડકે છે, ત્યારે પાણી અથવા અગ્નિને અડકે છે; કોઈ તો મુસલમાનને અડકે તો ત્યારે તેનો વહેમ મટે છે. ઢેડિયા ઉપર પાણીનો છાંટો અથવા અગ્નિનો તણખો નાંખીને પછી લે છે (પૃ. ૧૪૬). રાજુ સોલંકીની આ વિષય પરની ફેસબૂક પોસ્ટની કોમન્ટમાં ડૉ. મનીષ સોલંકી લખે છે કે આજના સમયમાં આ કાકો હયાત હોત તો એના એવા હાલ થાત કે એનું નામ દલપતરામથી બદલીને તડપત-રામ થઈ જાત!.

દલપતરામ અને જાતિબા ફુલે વચ્ચે તુલના કરતાં કર્મશીલ, રાજુ સોલંકી જણાવે છે કે “દલપતરામ જન્મ ૧૯૨૦માં અને જાતિબા ફુલેનો જન્મ ૧૮૨૭માં એટલે બંને સમકાલીન સમાજ સુધારકો અને અંગ્રેજી શાસનના સમર્થકો. પરતું બંનેના દૃષ્ટિકોણમાં આભજમીનનો ફરક છે. દલપતરામે અંગ્રેજ કલેક્ટરને ગુજરાતી શીખવાડવાની જહેમત કરી, જ્યારે જોતિબા ફુલે સાવિત્રીબા ફુલેએ વંચિત સમુદાયોને કલમ દિક્ષા આપી. દલપતરામે કોળી ભીલને ભાંડ્યા, જ્યારે જોતિબાએ એ જ સમુદાયોને જાગૃત કર્યા. જોતિબાએ ‘ગુલામગીરી’ (૧૮૭૩) પુસ્તક લખ્યું અને શુદ્રો અને અતિશુદ્રોનું વૈચારિક રતાંધળાપણું દૂર કર્યું. અંગ્રેજ રાજમાં પણ યથાવત રહેલી વર્ણવ્યવસ્થાની નાગચૂડનો પર્દાફાશ કર્યો. આજે જોતિબાના વૈચારિક વારસદારો દેશભરમાં મચી પડ્યા છે બહુજન ક્રાંતિને સાકાર કરવા. અને દલપતરામના વૈચારિક વંશજો એમના જ નાટક મિથ્યાભિમાનના નાયક જીવરામ ભટ્ટની જેમ રતાંધળા બનીને વિધવિધના વૈભવમાં મહાલી રહ્યા છે. આજે આપણા સૌનું વૈચારિક રતાંધળાપણું દૂર થાય તેવી શુભેચ્છા” (સોલંકી, ૨૦૨૫).

મહાત્મા જ્યોતિરાવ ફુલેએ ‘ગુલામગીરી’ (૧૮૭૩) પુસ્તકમાં ભારતના સૌથી શોષિત અને ઉપેક્ષિત સમાજના અછૂતો અને શુદ્રોના અધિકારોની ઘોષણા કરી હતી. ‘બ્રાહ્મણ સંસ્કૃતિ’ની કલ્પિત અને હાસ્યાસ્પદ કહાનીઓમાં ન ફસાવવા અને તાર્કિક અભિગમ અપનાવવા સ્પષ્ટ રજૂઆત કરે છે. મહાત્મા ફુલે કહે છે કે પ્રાચીન ભારતની હિન્દુ સમાજ-વ્યવસ્થા, જાતિ-વ્યવસ્થા બીજું કાંઇ જ નહીં, બલ્કે વાસ્તવમાં ગુલામીની જ વ્યવસ્થા હતી. શુદ્રો અને અતિશુદ્રને કેવી રીતે ગુલામ બનાવવામાં આવ્યા તથા તેમની સંપત્તિ, માલ-મિલકત, જમીન-જાયદાદ અને શિક્ષણથી કેવી રીતે વંચિત કરવામાં આવ્યા, તેની તાર્કિક અને તથ્યસભર રજૂઆત કરી છે (બૌદ્ધ, ૨૦૨૪). છેલ્લે જ્ઞાતિ નિબંધ પુસ્તક ઉપરથી કહી શકાય કે આ જ્ઞાતિ નિબંધ નથી પણ “બ્રાહ્મણ જ્ઞાતિ નિબંધ” છે. કેમ કે મોટાભાગની જ્ઞાતિની ચર્ચા બ્રાહ્મણને લક્ષ્યમાં રાખીને જ કરવામાં આવી છે. બીજી બાબત લેખકને વર્ણ અને જ્ઞાતિ વચ્ચેનો ભેદ વિશે સમજ ખરી? મોટાભાગની માહિતી ચાર વર્ણ વિશે જ આપવામાં આવી છે. આ ફક્ત જ્ઞાતિ નિબંધ નહિ, ‘ચાતુર્વર્ણ્ય જ્ઞાતિ’ નિબંધ કહી શકાય? 

સંદર્ભસૂચિ: 

1)     દલપતરામ. (૧૮૮૭). જ્ઞાતિ નિબંધ (ચોથી આવૃતિ). આર્યોદય પ્રેસ.

2)     જાની, ગૌરાંગ. (૨૦૨૩, નવેમ્બર ૮). ગુજરાતની જ્ઞાતિ પરંપરા: દલપતરામનો જ્ઞાતિ નિબંધ. દીવાદાંડી કૉલમ, ફૂલછાપ, પંચામૃત, પૃ. ૨.

3)     હટ્ટન, જે. એચ. (૧૯૪૬). ભારતમાં જાતિ: તેનું સ્વરૂપ, કાર્ય અને ઉદ્ભવ. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.

4)     કોલેન્ડા, પૉલિન. (૨૦૦૩). કાસ્ટ, મેરેજ એન્ડ ઇનઇક્વાલિટી: એસેઝ ઑન નૉર્થ એન્ડ સાઉથ ઇન્ડિયા. રાવત પબ્લિકેશન્સ.

5)     ફૂલે, જ્યોતિરાવ. (૧૮૭૩/૨૦૨૪). ગુલામગીરી (ગુજરાતી અનુવાદ: હરપાલ બૌદ્ધ). નવભારત સાહિત્ય મંદિર. (મૂળ ગ્રંથ પ્રકાશન ૧૮૭૩)

6)     રીઝલે, એચ. એચ. (૧૮૯૧). બંગાળની જાતિઓ અને વર્ણો: માનવશાસ્ત્રીય આંકડા, ૧. કલકત્તા.

7)     સોલંકી, રાજુ. (૨૦૨૫, ઓગસ્ટ ૧૫–૧૬). દલપતરામ, જોતિબા ફૂલે અને બહુજનોની આઝાદી [ફેસબુક પોસ્ટ]. ફેસબુક.

[ડૉ. રાજેશ લકુમ, સમાજશાસ્ત્રી, અમદાવાદ]
e.mail : rajesh.cug@gmail.com

Loading

...102030...217218219220...230240250...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved