સારાંશ
પ્રસ્તુત લેખ ક્ષેત્રકાર્ય પર આધારિત છે. કોરોના દરમિયાન ભોગ બનેલ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોના અનુભવો તેમ જ શ્રમિક સંગઠનોની ભૂમિકા અને સ્વૈચ્છિક સંગઠનોના યોગદાન વિશે ચર્ચા કરવામાં આવી છે. અસંગઠિત ક્ષેત્રમાં શ્રમિકો મુખ્યત્વે ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશા (ઓરિસ્સા), ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને આસામમાંથી સ્થળાંતર કરે છે. ગુજરાતના અલગ-અલગ જિલ્લામાંથી વિપુલ પ્રમાણમાં શ્રમિકો સ્થળાંતર કરે છે. જેમાં ખાસ કરીને શ્રમિકો બાંધકામ ક્ષેત્રમાં, ખેતીમાં, ઈંટના ભઠ્ઠામાં, જીનિંગ ઉદ્યોગ અને અન્ય નાના ઉદ્યોગ-ધંધામાં શ્રમ કરે છે. કોરોના લૉકડાઉન દરમિયાન અને ત્યારબાદ શ્રમિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેમનાં દુ:ખભર્યા અનુભવો અને બિન-સરકારી સંસ્થાની કામગીરી ઉપર પ્રકાશ પાડવાનો ઉદ્દેશ રહેલો છે.
ચાવીરૂપના શબ્દો : અસંગઠિત ક્ષેત્ર, સ્થળાંતર, શ્રમિકો, અનુભવો અને સ્વૈચ્છિક સંગઠનો.
પ્રસ્તાવના :
ભારતીય સમાજમાં મૂડીવાદ અને જાતિવાદની નવીન સમસ્યા નથી. કોરોના મહામારીમાં આ સમસ્યાઓને નવા સ્વરૂપે બહાર આવી છે. સમાજમાં મહામારીના કારણે સામાજિક, આર્થિક અને રાજકીય ફેરફારો આવ્યા. કોરોનાની વિપરીત અસર શ્રમિકો, ગરીબો, વંચિતો, દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો ઉપર વધારે થઈ. જેમાં ખાસ કરીને સ્થળાંતરિત શ્રમિકોની પરિસ્થિતિ ગંભીર થઈ છે. જેઓ સૌરાષ્ટ્ર, કચ્છ અને મહાનગરોમાં શ્રમિકો મજૂરી મેળવવા અર્થે સ્થળાંતર કરે છે. સ્થળાંતર શ્રમિકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં સ્થળાંતરની સ્થિતિ જોઇએ તો, 2011ના વસ્તી-ગણતરીનાં આંકડા અનુસાર ભારતમાં સ્થળાંતરિત લોકોની સંખ્યા જોઇએ તો, ઉત્તર પ્રદેશમાંથી 40.20 લાખ, બિહારમાંથી 36.16 લાખ, બંગાળમાંથી 18.44 લાખ, ઓડિશામાંથી 5.03 લાખ જનારા લોકો છે (કુમાર, 2020 : 10). સ્થળાંતર કરવા પાછળ અનેક પરિબળો જવાબદાર હોય છે. વેંકટેસ નાયકનો “વૈશ્વિક અધિકાર અને સ્થાનિક અત્યાચારનો આંધ્ર પ્રદેશનાં પલામૂર મજૂરોના અભ્યાસ” મુજબ ઓછી આવક, બેરોજગારી, ખેતી કરવા માટે અપૂરતી જમીન, સારી રોજગારી મેળવવા, દેવું, દુકાળ / પૂર, વારસાઈ ધંધાની ઓછી માંગ જેવા પરિબળોને લીધે સ્થળાંતર કરતાં હોય છે (Nayak, 2015: 201-235). એમ.એસ.એ. રાવના મતે આંધ્રપ્ર દેશમાં કમ્મા સમુદાય દ્વારા મૂળ વતનથી નવીન જગ્યાએ સ્થળાંતર કરી ત્યાં જ સ્થાયી થાય છે. ત્યાર બાદ તેમનાં સગાં-સબંધીઓને પણ ત્યાં વસવાટ કરવા બોલાવે છે. સ્થાન અને સમય પ્રમાણે સ્થળાંતરની પ્રક્રિયા સતત ચાલુ રહે છે (Rao, 1981: 34). ચિન્મય તુંબેનાં અભ્યાસ “India Moving: A History of Migration” મુજબ દેશમાં 40 કરોડ જેટલા સ્થળાંતરિત શ્રમિકો છે. જેમાં 10 કરોડ જેટલા ફરવા સ્થળાંતરિત શ્રમિકો છે. જે પોતાના રાજ્યમાંથી બીજા રાજ્યમાં કામ કરે છે. આ શ્રમિકો મોટા ભાગે ઉત્તર પ્રદેશથી માંડી બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા અને ઝારખંડથી આવતાં હોય છે (વ્યાસ, 2020). કિરણ દેસાઇના મતે ગુજરાતનાં સુરતમાં અસંગઠિત ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં મહિલા શ્રમિકો નાના અને મધ્યમ ઉદ્યોગમાં કામ કરે છે. આ સિવાય હોટેલમાં, બાંધકામમાં, સિક્યોરિટી ગાર્ડમાં, શોપિંગ મોલમાં, ઈંટભઠ્ઠામાં અને વસ્તુઓનું વેચાણ વગેરે કામ કરે છે. મજૂર બજારમાંથી જરૂરિયાત મુજબ શ્રમિકોને લોકો મજૂરીએ લઈ જાય છે (Desai, 2020: 14).
જાન બ્રેમનના મતે અમદાવાદની ટેક્સટાઇલ મિલોમાં મોટા પ્રમાણમાં શ્રમિકો કામ કરતાં હતા. લગભગ 1,25,000થી વધારે શ્રમિકોએ મિલમાંથી નોકરી ગુમાવી અને શહેરનું અર્થતંત્ર દબાણપૂર્વક ચાલવા લાગ્યું. સંગઠિત ક્ષેત્રની પોલિસીના કારણે અસંગઠિત ક્ષેત્રના કામ કરતાં મિલોના શ્રમિકોનું ક્રમબધ્ધ વિભાજન થયું. શ્રમિક ખરીદ ક્ષમતા પણ ઘટી. આજીવિકા માટે શ્રમિકોએ પોતાની શ્રમ શક્તિને નિમ્ન મજૂરી આપવાનું શરૂ કર્યું હતું (Breman, 2004: 1-2). આવી રીતે કોરોના લૉકડાઉન બાદ શ્રમિકોની નોકરી છૂટી ગઈ. શ્રમિકો આજીવિકા મેળવવા પોતાની શ્રમ શક્તિ કે મજૂરીના બદલામાં ઓછી મજૂરીએ પણ કામ કરવાની શરૂઆત કરી છે. કોરોના મહામારીમાં શ્રમિકો માટે ગુજરાન ચલાવવું પણ અઘરું થઈ ગયું છે. હર્ષ મંદરના મતે કોરોનામાં ભારતમાં સ્થળાંતરિત શ્રમિકોને ગૌરવપૂર્ણ જીવન (Life with Dignity) આપવામાં પાછળ રહ્યું છે (Mander, 2020). જયરામ, જૈન અને સુગઠન દ્વારા બાંધકામ ક્ષેત્રમાં કામ કરતી 100 સ્થળાંતરિત આદિવાસી મહિલાના અભ્યાસ કરવામાં આવ્યો હતો. બાંધકામ ક્ષેત્રમાં કામમાં મહિલાના અધિકારો અને અનુભવો અંગે પ્રવર્તતી અસમાનતા અને ભેદભાવ ચિત્ર રજૂ કરવામાં આવેલ છે. જેમાં આજીવિકા બ્યૂરો અને બાંધકામ મજૂર વિકાસ સંગઠન(BMVS)નો સાથે જોડાયેલ મહિલાની સ્થિતિ વિશે સંશોધન કર્યું હતું. અમદાવાદની વાત કરીએ તો લગભગ 2,25,000થી વધારે બાંધકામની જગ્યાઓ પર (Sites) શ્રમિકો દ્વારા બાંધકામ ચાલે છે. શહેરમાં 80 ટકાથી વધારે શ્રમિકો બાંધકામમાં જોડાયેલા છે. 30 ટકા મહિલા શ્રમિકો બાંધકામમાં જોડાયેલા છે. મહિલા શ્રમિક સાથે થતાં ભેદભાવ અંગેની જાગૃતિ આવે. સાથે-સાથે રહેણાંક વિસ્તાર અને કાર્યસ્થળ બંનેમાં યોગ્ય સુવિધા મળે (Jayaram, Jain & Sugathan, 2019: 85-104). તેમ જ કોરોના પરિસ્થિતિમાં મહિલાના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં માટે આયોજન કરવું જોઈએ.
બંધારણની કલમ 23 મુજબ કોઈ પણ સ્વરૂપના દબાણપૂર્વકની મજૂરીને નિષેધ જાહેર કરેલ છે. સરકારની સ્થળાંતરિત શ્રમિકોના અધિકારોની રક્ષણ કરવાની જવાબદારી છે. તેમ જ શ્રમિકોની ગરીબી દૂર કરવા પગલાં ભરવાં જોઇએ. ભારતમાં ગરીબીની વાત કરીએ તો, 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 21.9 ટકા લોકો ગરીબી રેખા નીચે હોવાનું મનાયું હતું. વર્ષ 2019માં જાહેર કરાયેલ ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 117 દેશની રેંકિગમાં ભારતનું સ્થાન 102મું હતું. યુ.એન. હેઠળ કામ કરનારી ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગનાઇઝેશન દ્વારા 2019માં જાહેર કરાયેલ આંકડા મુજબ 2016-18 વચ્ચે ભારતમાં 14 ટકા લોકોને પોષણયુક્ત ભોજન મળતું ન હતું. 135 કરોડની વસ્તીની રીતે જોઈએ તો આવા લોકોની સંખ્યા 18.90 કરોડની છે (કુમાર, 2020: 10). કોરોના દરમિયાન ગરીબીની સ્થિતિ વધારે દયનીય બની. ખાસ કરીને, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં ગરીબ વર્ગને કોઈ સુરક્ષા મળતી નથી. જ્યારે સંગઠિત ક્ષેત્રના કામ કરતાં મધ્યમ વર્ગને નોકરીની સુરક્ષા અને રજાઓમાં પણ પગાર મળે છે. દેશમાં આર્થિક સ્તરે ક્રમિક અસમાનતાના લીધે ગરીબ વધારેને વધારે ગરીબ બનતો જાય છે. દારુણ ગરીબીમાં કોરોના સામે લડવું અશક્ય જ લાગે છે.
ગોવાભાઇ રાઠોડ, સામાજિક કાર્યકરના મતે ગુજરાતમાં કોરોના મહામારીની અસર આદિવાસી શ્રમિકો ઉપર વધારે થઈ છે. આદિવાસી વિસ્તારોમાં (Tribal Belt) ઓછી જમીન છે, ઉદ્યોગ નથી, સ્કિલ નથી. ખાસ કરીને ગુજરાતનો મધ્ય વિસ્તાર દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર અને મહીસાગર વિસ્તારના આદિવાસીઓ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેતીના કામ માટે સ્થળાંતર કરે છે. આ ઉપરાત દાહોદમાં ખાસ કરીને ઝાલોદ, ફતેપુરા, દાહોદ અને ગરબાડા – મોટા ભાગે બાંધકામ ક્ષેત્રમાં (Construction) રોકાયેલા છે. ગુજરાતના ચાર મહાનગરો જેવા કે સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કામ કરવા જાય છે. કામ દરમિયાન કાર્યસ્થળે જ રહે છે. મોટાભાગના શ્રમિકો અસંગઠિત ક્ષેત્રમાં જોડાયેલા છે. આ સ્થળાંતરિત શ્રમિકો ત્રણ પ્રકાર હોય છે. પ્રથમ, નાકાના મજૂરો. તે મહાનગરોમાં રહી છૂટક મજૂરીએ જાય છે. મજૂરી મેળવવા શ્રમિક બજારમાં જાય છે. બીજા, બાંધકામનાં શ્રમિકો. આ શ્રમિકો જે-તે બાંધકામ સ્થળે (Site) રહે છે. એટલે કે ખુલ્લામાં જ રહેવાનુ હોય છે. જેમ-જેમ ચણતર થતું જાય તેમ-તેમ અલગ માળ પર રહેતા હોય છે. અને ત્રીજા, ફરતા શ્રમિકો, આ પ્રકારના શ્રમિકો ખુલ્લી બસ્તી, રસ્તા કે ઝૂંપડામાં રહેતાં હોય છે. મોટાભાગે આ શ્રમિકો બાંધકામ ક્ષેત્રમાં જોડાયેલા હોય છે. આ સિવાય બીજા ખેતીના શ્રમિકો બે પ્રકારના હોય છે. એક, ભાગિયા શ્રમિકો. જે ખેતીકામ કરવા જાય છે. ભગિયા શ્રમિકોને લૉકડાઉનમાં ખાસ સમસ્યા નથી થઈ. બીજા, સિઝનના શ્રમિકો. ઉદાહરણ તરીકે ઘઉં પાકની કાપણીનો સમય હોય ત્યાં એકસાથે બધા શ્રમિકો ખેતમજૂરી જાય છે. કોરોના સમયમાં કાપણીના શ્રમિકો ખેતમજૂરી એ કામ કરવા પહોંચી ગયા હતા. અને પછી અચાનક લૉકડાઉન થયું. એટલે કે જ્યાં ખેતરમાં કામ પૂરું થઈ ગયું હતું ત્યાં તેમને (મજૂરોને) ખેતીકામના સ્થળેથી કાઢી મૂક્યા. માલિકોને ડર હતો કે શ્રમિકોથી કોરોના ફેલાશે. આવા સંજોગોમાં પોતાના વતન આવવા માટે કોઈ વાહનવ્યવહારની વ્યવસ્થા ન હતી. હજારો શ્રમિકો અલગ-અલગ જગ્યાથી પોતાના વતન આવવા નીકળી પડ્યા. અનેક શ્રમિકોને પોલીસે રોક્યા. છતાં અનેક લોકો ભૂખ્યા અને તરસ્યા છેક પોરબંદરથી ઝાલોદ/સંતરામપુર સુધી મહામારી વચ્ચે વતન આવ્યા. સરકારે પોત-પોતાની રીતે અપીલ કરી. પરંતુ તે બધી અપૂરતી હતી. અચાનક નિર્ણયથી શ્રમિકો હેરાન થઈ ગયા. આવી જ સ્થિતિ બાંધકામ ક્ષેત્રના શ્રમિકોની છે. મહાનગરોમાં કરફ્યુ જેવી સ્થિતિ હતી. કોરોનાના કારણે પોતાના ઘરમાં જ રહેવાનું બહાર નીકળવા પર પ્રતિબંધ હતો. પરંતુ મોટા મહાનગરોમાં લાખો/હજારો શ્રમિકો એવા હતા કે તેમની પાસે પોતાનું ઘર જ ન હતું. અનેક જગ્યાએ શ્રમિકોએ પોલીસનો માર ખાધો. અમદાવાદ આઇ.આઇ.એમ.(IIM)માં કામ કરતાં શ્રમિકો ઉપર પોલીસે કેસ કર્યો છે. શ્રમિકોએ અસંખ્ય પીડાઓનો સામનો કર્યો છે. સરકારે ઉતાવળું પગલું ભર્યું છે. કોઈપણ પ્રકારની વ્યવસ્થા વગર લૉકડાઉન જાહેર કરી નાખ્યું[i]. ક્ષેત્રકાર્ય દરમિયાન અખબાર નગર કડિયા નાકાએ સવારે શ્રમિકો સાથે વાતચીત કરી ત્યારે શ્રમિકનું સૌપ્રથમ વાક્ય હતું કે “સાહેબ, કામ છે. કોરોના સમયમાં બહુ કોન્ટ્રાક્ટર પણ આવતા નથી. એટલે કામ મળતું નથી”. કોરોના હોવાથી શ્રમિકો પણ પોતાના વતનથી પાછા આવ્યા નથી. શ્રમિકો પોતાના બાળકોને સાથે લઈને કડિયા નાકે ઊભા હતા. સામાન્ય સંજોગોમાં સવારના સમયની આસપાસ શ્રમિકો કામે જતાં રહ્યા હોય છે. પરંતુ કોરોનાની અસર પગલે શ્રમિકોને રોજગારી મળતી નથી. એટલે શ્રમિકો કડિયા નાકે ઉપર વધારે દેખાય છે[ii].
પ્રસ્તુત લેખના મુખ્ય ત્રણ વિભાગમાં વહેચવામાં આવ્યો છે. વિભાગ એકમાં ભારતમાં અને ગુજરાતમાં સ્થળાંતરિત શ્રમિકોને પડેલ હાલાકી અને અસહ્ય વેદનાના બનાવો અને સંપૂર્ણ પરિસ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી છે. લેખના વિભાગ બેમાં લૉકડાઉન દરમિયાન અને લૉકડાઉન બાદ એમ – બે બનાવની ચર્ચા કરવામાં આવેલ છે. પ્રથમ બનાવ લૉકડાઉન દરમિયાન ચોટીલાની કંપનીમાં સ્થળાંતરિત શ્રમિકો બળજબરીપૂર્વક રાખી કામ કરાવવામાં આવ્યું હતું. બીજો બનાવ કોરોના લૉકડાઉન બાદ શ્રમિકોએ કામ ચાલુ કર્યું. અમદાવાદમાં પીપળજ પાસે આવેલ કેમિકલ કંપનીમાં કેમિકલ મિશ્રણથી થયેલ વિસ્ફોટમાં 12થી વધારેનું મૃત્યુ અને અને અનેક ઇજાગ્રસ્ત થયાં છે. આ બંને બનાવમાં શ્રમિક સંગઠનની સામાજિક દરમ્યાનગિરી અને વ્યવસ્થા તંત્રની ભૂમિકાની સવિસ્તાર વિશ્લેષણ કરવામાં આવ્યું છે. લેખના વિભાગ ત્રણમાં બિન-સરકારી સંસ્થાઓ અને શ્રમિક સંગઠનોની કોરોના દરમિયાન શું ભૂમિકા રહી. તેની ચર્ચા કરવામાં આવેલ છે. જેમાં ખાસ કરીને હ્યૂમન ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટર (HDRC), સેન્ટર ફોર લેબર એક્શન એન્ડ રિસર્ચ (CLAR) અને મજૂર અધિકાર મંચ વગેરેની વિસ્તૃત ચર્ચા પ્રસ્તુત લેખમાં કરવામાં આવી છે.
વિભાગ-1
કોરોના લૉકડાઉન દરમિયાન શ્રમિકોની પરિસ્થિતિ :
ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કોરોના મહામારી પગલે આરોગ્યના પ્રશ્નો ઉજાગર થયા છે. સાથે-સાથે સ્થળાંતરિત શ્રમિકોના વિવિધ પ્રશ્નો જેવા કે ગરીબી, ભૂખ, ભેદભાવ, અકસ્માત, યૌન શોષણ, કૌટુંબિક કલેહની વિવિધ સમસ્યા સામે આવી છે. આ સિવાય સ્થળાંતરિત શ્રમિક માટે અનેક જરૂરિયાતો જેવી કે આરોગ્યની સામગ્રી, વાહનવ્યવહાર, એકસમાન વ્યવહાર, સંવેદનશીલતા અને માનસિક શાંતિ વગેરે ઝડપી પરિપૂર્ણ થવી જોઇએ. સ્થળાંતરિત શ્રમિકની પ્રાથમિક જરૂરિયાત જેવી કે ભોજન, પાણી અને રહેઠાણની વ્યવસ્થા કરવી જોઈએ. કોરોનામાં દેશ અને રાજ્યના સ્થળાંતરિત શ્રમિકોની પરિસ્થિતિ વિશે વિગતે ચર્ચા નીચે મુજબ કરવામાં આવી છે.
Ø ભારતમાં લૉકડાઉન દરમિયાન શ્રમિકોની પરિસ્થિતિ :
લૉકડાઉન અસર પગલે રાજ્યની સીમાઓ બંધ કરી દેવામાં આવી, વાહનવ્યવહારની સુવિધા પર પ્રતિબંધ, ફેક્ટરી, દુકાનો, રેસ્ટોરન્ટ અને તમામ આર્થિક ગતિવિધિ બંધ કરી દેવામાં આવી. ફક્ત જરૂરી સેવાઓ જ નાગરિકો માટે ખુલ્લી રાખવામાં આવી હતી. પરિણામે રોજમદાર સ્થળાંતરિત શ્રમિકોએ આજીવિકા ગુમાવી અને અસ્તિત્વ સામે જ પડકાર ઊભો થયો. ખાસ કરીને ખોરાક, રહેઠાણ, કોરોનાની ભીતિ, માનસિક તંગદિલી અને રોજીરોટી વગેરેની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ. જેના લીધે શ્રમિકો શહેરોમાંથી પોતાના વતન તરફ જવા હિજરત કરવા લાગ્યાં (Bhagat, R.S., Sahoo & Roy, 2020: 4). એક બનાવ ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી સામે આવ્યો છે. શ્રમિકો કામ અર્થે રાજ્ય બહાર સ્થળાંતર કરેલ હતું. લૉકડાઉન ઘોષણા બાદ આજીવિકા કેવી રીતે ચલાવવીએ પ્રશ્ન ઊભો થયો એટલે સેંકડો કિલોમીટર ચાલીને શ્રમિકો પોતાનાં રાજ્ય તરફ જતા હતા. એક પરપ્રાંતીય કામદારોના જૂથને બેસાડીને જીવાણુનાશક કેમિકલયુક્ત દવાનો છંટકાવ કરવામાં આવ્યો. જેથી કોરોનાના જીવાણુ સામે લડી શકાય. પરંતુ આ કેમિકલયુક્ત દવાનો છંટકાવ ગરીબ લોકો ઉપર જ શા માટે? કેમ કે તેઓ ગરીબ છે એટલે શું તેમનું સ્થળાંતર વાયરસ ફેલાવી રહી છે?. તેઓ ડર અને ભૂખના માર્યા વતન પાછા ફરતાં આવું ક્રૂર અને અમાનવીય કૃત્ય સરકારી આરોગ્ય ખાતા દ્વારા કરવામાં આવ્યું છે. બરેલીની ઘટનાની ઉગ્ર નિંદા કરી સામાજિક સંગઠનો દ્વારા વખોડીને વિરોધ કરવામાં આવ્યો છે[iii]. પરંતુ જો વિદેશથી કોરોના લઈને આવેલ અમીર લોકો પર પહેલાથી ધ્યાન રાખવામાં આવ્યું હોત તો અને કોરોના નાશક દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો કદાચ ભારતની આ સ્થિતિ ન હોત. આવા બેવડા માપદંડ શા માટે? આજે ભારતનું આરોગ્ય પરદેશથી આવેલ ભારતીય લોકોના કારણે જોખમમાં લાવી દીધું છે. જેની આડ અસર રૂપે સ્થળાંતરિત શ્રમિકોને વેઠવું પડી રહ્યું છે.
વ્યવસ્થા તંત્ર દ્વારા રસ્તા પર ચાલતાં શ્રમિકોને કોરોનાના કારણે પરેશાન કરવામાં આવે છે. શ્રમિકોને રસ્તાના બદલે રેલવેના માર્ગે જવાનું પસંદ કર્યું હતું. આવા સંજોગોમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદ-જાલાન રેલવેલાઇન પર પાટા પર સૂતેલા શ્રમિકોને માલગાડીએ કચડયા જેમાં 16નાં મોત થયાં છે. જે શ્રમિકો મધ્ય પ્રદેશના વતની હતા[iv]. શ્રમિકો રસ્તાના બદલે રેલવે માર્ગ પર ચાલવાનું મુખ્ય કારણ પોલીસ દ્વારા થતી હેરાનગતિ છે. આ સિવાય દિલ્હીના શ્રમિકની ઘટના સામે આવી છે. કોરોનાના લીધે દિલ્હીથી ચાલતા પોતાના વતન આવતા એક યુવાનનું મૃત્યુ થયું હતું. મૃતકનાં બહેને જણાવ્યુ કે ‘અમારા પિતા પણ વહેલા મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ ભાઈએ ઘરની જવાબદારી સંભાળી હતી. ઘરની દીવાલ બનાવવા દોઢ લાખનું દેવું કર્યું હતું. જે તેઓ ચૂકવતા હતા. હવે ઘરમાં કોઈ કમાનાર નથી રહ્યું. હું મારા ઘરે જાઉં છું ત્યારે ખબર નથી પડતી કે આગળ શું થશે. અમારી ઉપર કેવું કષ્ટ એ અમે જ જાણીએ છીએ’ (પ્રકાશ, 2020). આ સિવાય રાષ્ટ્રીય મહિલા પંચ મુજબ લૉકડાઉનનાં કારણે મહિલા પર ઘરેલુ હિંસાના કેસમાં વધારો થયો છે. ફક્ત ઉત્તર પ્રદેશમાં જ 90 કેસ નોધાયા છે[v]. તેમની સાથે મહામારીમાં પણ ગૌરવભર્યું વર્તન કરવામાં આવતું નથી. કોરોના વાયરસના પગલે કરવામાં આવેલ લૉકડાઉનનાં સમયે ઝારખંડના દુમકા જિલ્લામાં તા. 24 માર્ચ 2020ના રોજ પોતાના ગામ જઈ રહેલ 16 વર્ષની વિધાર્થીની ઉપર 10 યુવકોએ સામૂહિક બળાત્કાર કર્યો અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટના ગડિયાપાણી જંગલમાં બની હતી. સામૂહિક બળાત્કારના લીધે યુવતી બેભાન થઈ ગઈ હતી બીજા દિવસ જંગલમાંથી ચાલતા બહાર આવી અને ગ્રામીણ લોકોએ એના પરિવારને જાણ કરી ત્યાર બાદ પોલીસને જાણ કરી અને દુમકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. દુમકા એસ.પી.એ તપાસના આદેશ આપવામાં આવેલ છે. પરંતુ કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. મહિલા પર થતી હિંસા કે બળાત્કાર કોરોના સમયે પણ અનેક ઘટનાઓ સામે આવી છે. ભારતમાં કોરોનાના પગલે આરોગ્યની લડાઈ સાથે-સાથે અન્ય પ્રશ્નો જેવા કે શ્રમિકો સાથે ભેદભાવવાળું વર્તન, શ્રમિકોનું અકસ્માતમાં મૃત્યુ, મહિલાઓનું યૌન શોષણ અને કૌટુંબિક અને આર્થિક સમસ્યા સામે આવી છે. ગુજરાતમાં શ્રમિકોની સ્થિતિ વિશે જાણકારી મેળવીએ.
Ø ગુજરાતમાં લૉકડાઉન દરમિયાન શ્રમિકોની પરિસ્થિતિ:
કોરોના પગલે રાજ્યમાં પુન: સ્થળાંતરની પ્રકિયા ચાલુ થઈ ગઈ છે. સમાજ અને રાજ્ય દ્વારા સ્થળાંતરિત શ્રમિકો માટે ચોક્કસ પગલાં ભરવામાં અસમર્થ રહ્યા હોય તેવું દેખાય છે. શ્રમિકો માટે ખોરાક અને પાણીની અછત તેમનો વિનાશ સર્જી શકે છે. પરિણામે શ્રમિકોએ હિજરત કરવાનું ચાલુ કર્યું છે. પરંતુ સ્થળાંતરનાં પગલે કામદારો જૂના રોગો જેવા કે ઝાડા, કોલેરા અને અન્યના લીધે બીમારીનો ભોગ બની રહ્યાં છે. બીજી તરફ કોરોનામાં સફાઈકામ કરતાં લોકો માટે કોરોના સુરક્ષા કીટની અછત સર્જાય છે. આવી જ ઘટના રાણપુર શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ કામદારને સુરક્ષા કીટ આપવામાં આવી નથી. આખરે સફાઈ બંધ કરી દીધી છે. રાણપુરની લગભગ 25,000ની વસ્તી છે. કોરોનાકાળમાં રોગચાળા ફેલાવાની દહેશત વર્તાય છે[vi]. સફાઈ કર્મીઓ પોતાનું આરોગ્ય જોખમમાં રાખી રોગચાળાના સમયે કાર્ય કરી રહ્યા છે. જ્યારે તંત્ર દ્વારા કોરોના કીટ આપવામાં પણ ભેદભાવ કરતી હોય તેવા અનેક બનાવો જુદાં-જુદાં શહેરમાં સામે આવ્યા છે.
સ્થળાંતરિત શ્રમિકોની રોજ બ રોજ ગુજરાન ચાલી શકે તેવી થોડી બચત હતી તે પણ પૂરી થઈ ગઈ હોવાથી તેમની સામે અસ્તિત્વના પ્રશ્નો ઊભા થયાં. સ્થળાંતરિત શ્રમિકોને પોતાના વતન જવા ન મળતાં અને વિલંબ થતાં સુરતના પાંડેસરા પોલિસ્ટ કોલોની વિસ્તારમાં રહેતાં અંદાજે 70થી 80 શ્રમિકોએ મુંડન કરવીને અનોખી રીતે વિરોધ કર્યો અને તેમની માંગણી છે કે કોરોના પરિસ્થિતિની ગંભીરતા સમજી શ્રમિકો તરફી યોગ્ય નિર્ણય કરે. અનેક શ્રમિકોને પોતાના વતન ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડનાં જવા દેવાની અપીલ કરી રહ્યા છે[vii]. જ્યારે બીજી બાજુ સુરતના વરાછાથી ધામદોડ ચેક-પોસ્ટનાં 44 કિલોમીટરનું 40 જણનું ભાડું 22 હજાર ચુકવવું પડ્યું. એક શ્રમિક દીઠ 4 હજાર રૂપિયા આપવામાં આવ્યાં છે. સાંસદની ઑફિસમાંથી ફોર્મ ભરાવ્યાં પણ તેના પર કોઈના પણ સહી-સિક્કા ન હતા. શ્રમિકોએ પોતાના વતન જવા વધારે ભાડું ચૂકવ્યું છે[viii]. તો પણ ફોર્મ ન ચાલતા ચેક-પોસ્ટ પરથી બસ પાછી ફરી છે. આવા સમયમાં સ્થળાંતર શ્રમિકો માટે વ્યવસ્થા કરવાના બદલે છેતરપિંડી અને વિપુલ પ્રમાણમાં ભ્રષ્ટ્રાચારના બનાવો સામે આવ્યાં છે. આક્રોશમાં શ્રમિકો લોકશાહી ઢબે વિરોધ પણ કરી રહ્યા છે.
સ્થળાંતરિત શ્રમિકો ગુજરાતમાં સુરતથી વડોદરા અને સૌરાષ્ટ્ર તરફ લોકો હિજરત કરી જતાં હતાં. પરંતુ અચાનક કોરોના ફેલાવવાની દહેશતના કારણે ભરુચ પાસેનાં સરદાર અને ગોલ્ડન બ્રિજ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. પરિણામે અનેક શ્રમિકો રસ્તામાં અલગ-અલગ સ્થળો પર અટકાવાયા હતાં. વ્યવસ્થા તંત્ર દ્વારા અનેક રસ્તોઓ સદંતર બંધ કરવામાં આવ્યાં હતાં. વૈકલ્પિક વ્યવસ્થા વિના નિર્ણય કરવો એ સ્થળાંતરિત શ્રમિકોના હિતમાં નથી. કોઈપણ નિર્ણય કરતાં પહેલા શ્રમિકોની સુરક્ષાના નક્કર પગલાં ભરવાં જોઇએ. આ સિવાય આરોગ્ય બાબતે પણ હોસ્પિટલની અનેક બેદરકારી સામે આવી છે. જેમ કે, અમદાવાદની શારદાબહેન હોસ્પિટલમાં તગેડી મૂકેલ દરદીને કોરોના હોવાથી મૃત્યુ થયું છે. 47 વર્ષીય દરદી ઇંદૌરથી પરત આવેલ હતો. આ ગોમતીપુરનો દરદી ત્રણ કલાક લાઇનમાં ઊભો રહ્યો છતાં તેનો ઉપચાર ન થયો. આરોગ્ય કર્મચારી તંત્રની બેદરકારીને લીધે દરદીનું મોત થયુ[ix]. અન્ય ઘટના સુરતની છે. કોરોનાના કારણે હીરા ઉદ્યોગ બંધ થઈ ગયો હતો. લૉકડાઉનનાં લીધે વાહન બંધ થઈ ગયાં હતાં. પરંતુ હિમ્મત હાર્યા વગર ચાલતા એક યુવાન[x] સુરતથી થરાદ ચાર દિવસે ઘરે આવ્યો. તેમને લગભગ 250થી વધારે કિલોમીટરનું અંતર કાપ્યું. તેમને ઘરે પહોચી ગયા હોવાથી તેમનો પરિવાર ખુશ છે[xi]. અન્ય એક દુ:ખદ ઘટના એક યુવાન છોટા-ઉદેપુર પોતાના વતન જવા માંગતો હતો. જામનગરમાં લૉકડાઉનના લીધે બહાર ન જવા મળતાં એક કંટાળેલા યુવાને ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. તે વ્યસન અને ઘરકંકાસથી ગ્રસ્ત હતો[xii]. કોરોનામાં સ્થળાંતરિત શ્રમિકો માટે અગમચેતી વિચાર કરીને પગલાં ભરવા જોઈએ.
કોરોના મહામારીમાં રાજ્યની નજરમાં દરેક નાગરિક એક સમાન હોવો જોઇએ. બેવડા માપદંડ શા માટે રાખવામાં આવે છે. એક તરફ, અમદાવાદ શહેરમાંથી લગભગ 3,500થી વધારે નાગરિકોને મ્યુનિસિપલ અને પોલીસ ટીમ દ્વારા શ્રમિકોને જે હિજરત કરવા માંગતા હતાં તેમને રાત્રે ધરે પાછા મોકલ્યા. આ નાગરિકો રાજસ્થાન, બિહાર અને મધ્ય પ્રદેશના વતની હોવાનું જણાયું હતું[xiii]. જ્યારે બીજી તરફ સરકાર કોરોના વાયરસની સમસ્યા વકરી ન હતી તે પૂર્વે અમદાવાદ, રાજકોટ, ખેડા, સુરત, ભાવનગર, જામનગર સહિતના ગુજરાતના વિસ્તારોમાંથી ઉત્તર ભારતના વિસ્તારોમાં તથા નેપાલ ફરવા ગયેલા અને પરત ન ફરી શકેલા 1,800 જેટલા ગુજરાતીઓને 32 બસના માધ્યમથી ગાંધીનગર લાવવામાં આવી રહ્યા હતાં. તો સરકાર પરપ્રાંતીય હોવાના લીધે અસમાન વ્યવહાર કેમ રાખવામાં આવે છે. તંત્ર દ્વારા શ્રમિકોને પાછા મોકલવાની જગ્યાએ તેમના વતન જવા માટે વ્યવસ્થા કરવી જોઈએ. ધાર્મિક કાર્ય અર્થે ગયેલ લોકોને વ્યવસ્થા તંત્ર દ્વારા વ્યક્તિઓને લાવી શકે છે તો શું આ સ્થળાંતરિત કામદારોને તેમના વતન જવા માટે કેમ તાત્કાલિક વ્યવસ્થા ન કરી શકાય.
કોરોના મહામારી વચ્ચે પોલીસ તંત્રને છૂટો-દોર મળી ગયો હોય તેમ નાગરિકો પ્રત્યે મનફાવે તેમ વર્તન કરતા હતાં. અમદાવાદમાં કૃષ્ણનગરના પોલીસ ઈન્સ્પેકટર (પી.આઇ.) વી.આર. ચૌઘરીએ પહેલાં શાકભાજીની લારીઓ પર દંડા માર્યા પછી ઊથલાવી દીધી અને તમામ શાકભાજી રોડ પર ઢોળી દીધી. વીડિયો વહેતો થતાં પોલીસ કમિશનરે તાત્કાલિક ધોરણે પગલાં ભરી પોલીસને સસ્પેન્ડ કરી દીધા હતા. ગુજરાતના ડી.જી.પી.એ જણાવ્યુ કે ખાખી વર્દી અને હાથમાં દંડો આવી ગયો તેનો મતલબ એ નથી કે તમે ગમે તેનાં ઉપર વીંઝો. ગરોબો સાથે તો સંવેદના રાખો. આવો વ્યવહાર ચલાવી નહિ લેવાય[xiv]. આવી ઘટના આ અગાઉ પણ ઘણીવાર બને છે. આવી રીતે પોલીસ કર્મચારીનાં ગેર-વર્તણૂકની ગંભીરતા સમજી કાર્યવાહી કરવામાં આવે તો જ સામાન્ય વ્યક્તિને લાગે કે પોલીસ લોકોના રક્ષણ માટે હોય છે નહિ કે તેમના પર દમન કરવા માટે વર્દી આપી છે. સરકાર ચોક્કસ નિયમો દ્વારા અમર્યાદિત સત્તા ઉપયોગ કરતાં પોલીસકર્મી પર કાર્યવાહી કરવામાં આવે. તો જ પોલીસનો ડર લોકોમાંથી ઓછો થાય. આ સિવાય સરકારે લૉકડાઉન દરમિયાન જાહેરાત કરી હતી કે કોઈપણ વ્યક્તિ પોતાની અનિવાર્ય જીવન જરૂરિયાત ચીજ-વસ્તુઓ માટે બહાર જઈ શકે છે. પરંતુ અમદાવાદમાં શાકભાજી લેવા નીકળેલા થલતેજના યુવાનને પોલીસ કોઈ પણ દલીલ સાંભળ્યા વગર દંડા માર્યા (પરીખ, 2020). પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષ કોઈ નવી વાત નથી. સુરતમાં પાંડેસરાના વડોદ ગામમાં પોલીસ અને લોકો વચ્ચે ધર્ષણ થયું. મોટી સંખ્યામાં એકઠા થઈને ગામ તરફ જતાં લોકોને પોલીસે અટકાવ્યા તો સ્થાનિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે હવામાં કરેલું ફાઇરિંગ અને ઘટનામાં 200થી વધુ લોકોના ટોળાં સામે રાયોટિંગનો ગુનો પણ નોધાયો છે. તેમ જ પોલીસે કોમ્બિંગ કરીને 80થી વધારે લોકોની અટકાયત કરી લીધી છે[xv]. મહામારી સમયમાં પોલીસની જવાબદારી વધી જાય છે. પોલીસનો અભિગમ લોકો પ્રત્યે કરુણા, સહાનુભૂતિ અને રક્ષણનો હોવો જોઈએ. પરંતુ આવા સમયમાં પણ દંડાત્મક પગલાં ભરવાં કેટલાં યોગ્ય તે વિચારવું જ વ્યવસ્થા તંત્રએ રહ્યું.
કોરોનામાં શ્રમિકો માટે આરોગ્ય વર્ધક સામાન, જરૂરિયાત મુજબ વાહનવ્યવહારની સુવિધા, બે નાગરિકો વચ્ચે સમાન વ્યવહાર, પોલીસની સંવેદનશીલતા અને માનસિક તણાવની મુક્તિ વગેરે માટે રાજ્ય સરકારે ગંભીરતાથી પગલાં ભરવાં જોઈએ. સાથે-સાથે સ્થળાંતરિત દરેક શ્રમિકને નાગરિકો માટે પૂરતું ભોજન, પાણી અને રહેવાની વ્યવસ્થા કરી આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે. ઉપરના બનાવો સામે આવ્યાં એ નિંદનીય બાબત છે.
વિભાગ-2
સ્થળાંતરિત શ્રમિકોના અનુભવો :
સ્થળાંતરિત શ્રમિકોના લૉકડાઉન દરમિયાન ચોટીલાની ઝીનિંગ કંપનીમાં બળજબરીપૂર્વક રાખવામા આવ્યાં હતાં. તેમને વેતન પણ આપવામાં આવ્યું ન હતું. આખરે 100થી વધારે સ્થળાંતરિત શ્રમિકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. આ શ્રમિકોના અનુભવો બનાવ એકમાં દર્શાવ્યા છે. જેમાં, સ્થળાંતરિત શ્રમિકોને કેવી રીતે પોતાનો અવાજ પ્રશાસન સામે રજૂ કરી પોતાનાં વતન જવાનો માર્ગ મોકળો બનાવ્યો. બીજો બનાવ કોરોના લૉકડાઉન બાદ શ્રમિકોએ કામ ચાલુ કર્યું હતું. એક ખાનગી કંપનીમાં ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદમાં પીપળજ-પીરાણા રોડ નજીક આવેલ કેમિકલ કંપનીમાં વિસ્ફોટમાં 12થી વધારેનું મૃત્યુ અને અનેક ધાયલ થયાં છે. તેમની ન્યાય મળે તેવી માંગણી સાથે વી.એસ. હોસ્પિટલ બેઠેલ પીડિત પરિવારના અનુભવો અને વ્યવસ્થા તંત્રની ભૂમિકાનું વર્ણન કરેલ છે. તો આપણે પ્રથમ બનાવ વિશે માહિતી મેળવીએ.
Ø બનાવ-1: સ્થળાંતરિત શ્રમિકોની પરિસ્થિતિ ચોટીલાની એક કંપનીનો બનાવ
કોરોના લૉકડાઉનમાં સ્થળાંતરિત શ્રમિકો અનેક પીડા અને દયનીય હાલતનો ભોગ બન્યા છે. તેમના અનુભવોનો ચિતાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્થળાંતરિત શ્રમિકો શ્રી સિદ્ધનાથ કોટેક્ષ પ્રા. લિ. થાનગઢ રોડ, ગામ : નાવા, તા. ચોટીલા ખાતે ઝીનિંગનું કામ કરતાં હતાં. તેઓ મુખ્યત્વે ઝારખંડ, મધ્ય પ્રદેશ અને બિહાર પ્રદેશમાંથી આજીવિકા અર્થે આવ્યાં હતાં. તા. 11 જૂન 2020એ શ્રમિકોના કંપનીમાંથી વેતન ન ચૂકવતાં અને કંપનીમાં તેમની ઈચ્છા વિરુદ્ધ તેમણે રોકી રાખી કામ કરાવતાં અને પોતાનાં વતન ન જવા દેવાનાં પ્રશ્નો સામે આવ્યાં હતાં. જેમાં મુખ્યત્વે સ્થળાંતરિત લોકોમાંથી 80થી વધારે ઝારખંડના શ્રમિકો, 20-25 બિહારનાં શ્રમિકો, મધ્ય પ્રદેશનાં 4-5, ઉત્તર પ્રદેશ 2-3 લોકો હતાં. ઝીનિંગ કંપનીમાં પરપ્રાંતીય શ્રમિકોને દબાણપૂર્વક કામ કરવામાં આવતું હતું.
શ્રમિકોનાં અનુભવો :
સ્થળાંતરિત શ્રમિકો ચોટીલાની જીનિંગ કંપનીમાં દોરાનું કામ કરતાં હતાં. તેવો છેલ્લાં છ મહિનાથી ગુજરાતમાં સ્થળાંતર કરી કામ કરતાં હતાં. સ્થળાંતરિત શ્રમિક મનોજ કુમારના મતે “અમે ચોટીલામાં દોરા-ધાગા લાઇનમાં 100થી વધારે લોકો કામ કરતાં હતા. લૉકડાઉન પૂરું થયું એ પછી અમને કંપનીમાંથી નિકાળી દીધા અને પગાર પણ ન આપ્યો. લાંબી લડાઈ બાદ અડધો પગાર આપ્યો હતો. હજુ સુધી ચાલુ મહિનાનો પગાર આપ્યો નથી. અત્યારે અમે સુવિધા કરીને અમદાવાદ આવ્યાં છીએ. અમારે ઝારખંડના અમારા ગામ જવું છે તેના માટે અમારે બસની સુવિધા જોઇએ છીએ”[xvi]. આ સિવાય અન્ય શ્રમિક પપ્પુ કુમાર સિંગના મત મુજબ “હું બિહારથી આવ્યો છું. મારી સાથે અહીં બિહારના 15-20 બીજા શ્રમિક લોકો છે. પહેલાં બે લૉકડાઉનની પછી અમે કહ્યું કે અમારે ઘરે જવું છે. પરંતુ કંપનીએ છોડ્યા જ નથી. અમે કેટલા ય સમયથી ઘરે જવા માંગતા હતા. કારણ કે અમારાં ઘરના લોકો વારંવાર અમને બોલાવી રહ્યાં હતા. છેક અત્યારે (જૂન મહિનામાં) અમને છોડ્યા છે પરંતુ પગારના અડધા પૈસા આપ્યા છે. અડધા બાકી છે”[xvii]. અન્ય એક શ્રમિક કુંદન કુમારના મતે “કંપનીમાં અમારાં ભોજનના પૈસા પણ વધારે કાપી લીધા છે. પહેલા મહિના 1,500 રૂપિયા ભોજનના કાપતાં હતા. પરંતુ કોરોના બાદ મહિનાના ભોજનના 4,000 હજાર રૂપિયા કાપી લીધા. અત્યારે હિસાબ કર્યો તો સમજાયું ક્યારે 4,000ના લેખે પૈસા કાપ્યા હતા”[xviii]. આમ, કોરોના લૉકડાઉનમાં શ્રમિકોને ઈચ્છા વિરુદ્ધ કામ કરાવ્યું અને સાથે નિયત કરેલ વેતન પણ આપવામાં આવ્યું ન હતું.
પરપ્રાંતિક શ્રમિક ભૂપેન્દ્ર યાદવ મુજબ “અમે ભોજન ખરાબ ખાઈને પરેશાની થઈ ગયા છીએ. ઘણાં શ્રમિકો બીમાર થઈ ગયાં હતાં. અમે ઘણી દવાઓ ખાધી છે હવે બહુ દિવસ ગુજરાતમાં નહીં રહી શકીએ. અમે ઝારખંડ અમારાં ઘરે જવા માંગીએ છીએ પણ જઇ શકતા નથી. માલિક દ્વારા એમ કહેવામાં આવતું કે લૉકડાઉનમાં કામ ચાલુ છે એટલે અત્યારે ક્યાં જશો. અમારી એક માંગણી છે કે બસની વ્યવસ્થા કરો તો અમારે ફક્ત ઘરે જવું છે”[xix]. સ્થળાંતરિત શ્રમિક સંજય માંઝી મુજબ “અમારાં ઘરેથી ફોન આવે છે કે ઝડપથી ઘરે આવી જાવ. અમારાં ઘરે પણ કુટુંબવાળા બીમાર છે. ચોટીલા અમે ઘરે જવાની રાહ જોઈને ચાર દિવસ બેઠા હતાં. અમારાં પૈસાથી ખરીદીને ખાતા હતા. હવે અહીંયાં પણ ચાર દિવસ બેસીશું તો અમારું શું થશે પૈસા પણ અમારી પાસે નથી”[xx]. ફસાયેલ શ્રમિકોના પરિવાર ચિંતા અને આધાતથી ત્રસ્ત છે. જ્યારે જીવન ચલાવવા માટે ખોરાકની પણ સુવિધા નથી. આરોગ્ય સામે કોરોના અને ભૂખ-એમ બંનેનો સામનો શ્રમિકો કરી રહ્યા છે.
શ્રમિકોને છેલ્લા બે મહિનાના વેતનની પૂરેપૂરી ચૂકવણી કરવામાં આવી ન હતી. તેઓને બળજબરીપૂર્વક રાખવામાં આવ્યાં હતાં. મનોજ કુમાર યાદવના કહેવા પ્રમાણે “અમારે ઘરે જવું હતું તો પણ કામ કરવાં માટે અમને કંપનીમાં બળજબરીપૂર્વક રાખ્યા. અમારે પોતપોતાનાં વતન જવું હતું. પરંતુ કંપનીવાળા કહેતાં હતાં કે ગામ જઈને શું કરશો. કામ થઈ રહ્યું છે તો કામ જ કરો. અમે ચાર-પાંચ વખત ઘરે જવા બસ કરવા ગયા તો માલિકે બસ રદ (કૅન્સલ) કરાવી દીધી. ત્યાર બાદ બીજી વખતે અમે ખાનગી બસ કરાવવા ગયાં ત્યારે બસવાળાએ કહ્યું કે કંપનીમાંથી પરમિશન લઈને આવો. ત્યાર બાદ જ અમે તમને ઝારખંડ લઈને જઈશું. ત્યારબાદ અમે કંપનીના માલિક પાસે ગયાં. તો કંપનીના માલિકે કહ્યું કે જો હું લેટર પેડ પર લખી આપીશ તો ત્યારે જ કંપનીમાંથી બહાર કાઢી નાંખીશ. એકવાર અમે પોતાની રીતે ઘરે જવાનું પ્રયત્ન કર્યો. એક રાજકોટના બસવાળાને લગભગ એપ્રિલમાં 35,000 ડિપોઝિટ પણ આપી. પરંતુ માલિકે તે બસવાળાને પણ કહી દીધું કે બસ અહીંથી નહિ નીકળે. ત્યાં પણ અમારી ડિપોઝિટ ફસાઈ ગઈ. ત્યારે માલિકે અમને કહ્યું કે બીજા શ્રમિકો આવા દો પછી તમને છોડી દઇશું. ત્યાં સુધી અમને નહિ છોડ્યા. કંપનીવાળાએ કહ્યું કે તમે જે કામ કરો છો એના પૂરા પૈસા આપી શકીશું નહિ. લૉકડાઉન પહેલાં અમારો 470 પગાર હતો પરંતુ લૉકડાઉન બાદ પગાર 380 કર્યો. 3-4 હજારના વધારાના મહિના પગાર કાપી લીધાં હતાં. કંપનીમાં લૉકડાઉન દરમિયાન અમારે જે પસંદ હતું એ ખાવાનું મળતું હતું. જે મળ્યું એ ખાતા હતા”[xxi]. શ્રમિકો દ્વારા વારંવાર પોતાના વતન જવા માટે પ્રયત્ન કરતાં હતા. પરંતુ કંપનીના માલિકો દ્વારા મનાઈ કરવામાં આવતી. પરિણામે શ્રમિકોના પ્રયાસો નિષ્ફળ નિવડ્યા હતા.
લૉકડાઉન દરમિયાન પોતાના વતન જવા માટે પ્રશાસન અધિકારીને રજૂઆત કરી હતી. પરંતુ ત્યાં પણ તેમણે કહ્યું કે ‘કંપનીથી લેટર પેડ આપો તો જ અમને ઘરે જવાની પરવાનગી આપીએ’ અને શ્રમિકોને પ્રશાસન ઓફિસમાં પણ બેસવાં દીધા નહિ. ત્યારબાદ અમદાવાદ ખાતે આવેલ સેન્ટર ફોર લેબર રિસર્ચ અને એક્શનનો સંપર્ક કર્યો. સંસ્થા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી. તેમની ખૂબ જ મદદ દ્વારા ચોટીલાના પ્રશાસન પણ હરકતમાં આવી શ્રમિકોને મદદ કરી. ત્યારબાદ કંપની દ્વારા અડધો હિસાબ કરી પગાર આપ્યો છે અને અડધો રોકી રાખ્યો છે. એક શ્રમિકના મતે “અત્યારે અમારી પાસે પૈસા નથી અમે પાછા કેવી રીતે જઈશું. અમારી પાસે વધારે પૈસા બચ્યા નથી. અમારી પાસે બહુ થોડા જ રૂપિયા વધ્યાં છે. અમારી માંગણી છે કે જેવી અમારી સુવિધા હોય એવી રીતે અમને ઝારખંડ પાછા મોકલી આપો”[xxii]. લૉકડાઉનમાં પગારની રકમ નિર્વાહમાં જતી રહી. કોઈપણ સંજોગોમાં શ્રમિકો વતન જવાની માંગણી કરી રહ્યાં છે.
સ્થળાંતરિત શ્રમિકના મતે ‘કંપની અમને છોડી રહી ન હતી. છેલ્લા બે મહિનાથી અમે કહી રહ્યાં હતા. અમને છોડી દીધા હોત તો અમે કેટલાં ય સમય પેલા ઘરે જતાં રહ્યાં હોત. બસવાળાએ કહ્યું કે કંપનીમાંથી પરમિશન લઈને આવો. ત્યારબાદ જ અમે તમને બસ દ્વારા ઝારખંડ લઈને જઈશું. માલિકે કહ્યું કે બીજા શ્રમિકો આવા દો પછી તમને છોડી દઇશું. અમને નહિ છોડ્યા. પોલીસ અને વ્યવસ્થા તંત્રની સહાયથી અમદાવાદ શેલ્ટર હોમ સુધી આવ્યા છીએ. પરંતુ વધારે શેલ્ટર હોમમાં રહેવા માંગતા નથી. અહીં અમને સારું લાગતું નથી. શેલ્ટર હોમમાં એક જગ્યાએ બધા માણસો ભર્યા છે. વરસાદ થવાના કારણે બધા લોકો ભેગા થઈ ગયા છે. અમારે રહેવાની યોગ્ય સુવિધા જોઇએ છે. આ લૉકડાઉનમાં અમે મજબૂરીમાં ફસાઈ ગયા છીએ. શેલ્ટર હોમમાં સફાઈનો પ્રશ્ન છે અને સૂવા માટેના ગાદલાંમાંથી દુર્ગંધ આવે છે. ખીચડી અને કઢી અમને પસંદ નથી. સંડાસ-બાથરૂમમાં પાણીની થોડી સમસ્યા છે. સૂવાનો અને ખાવાનો પ્રશ્ન છે. ગાદલાં પાથર્યા હતા ત્યારે વરસાદ આવ્યો એટલે પાણી આવી ગયું એટલે આખી રાત જાગ્યા છીએ અમે આ રેન બસેરામાં. એટલે જ અમે વિચારીએ છીએ કે અમને ઝારખંડ પાછા મોકલી આપે તો વધારે સારું છે. અઢી મહિનાથી અમે પરેશાન છીએ. કંપનીમાં ઉત્પાદન ઓછું થઈ જશે તમે જતાં રહેશો તો’[xxiii]. શ્રમિકો કંપનીમાંથી સંધર્ષ કરી અમદાવાદ આવે છે ત્યારે રહેવા લાયક વ્યવસ્થા નથી. શ્રમિકો મહામારીમાં વતન પહોચવા અનેક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.
સામાજિક દરમ્યાનગીરી અને વ્યવસ્થા તંત્ર :
સ્થળાંતરિત શ્રમિકોના પ્રશ્નોની રજૂઆત સેન્ટર ફોર લેબર રિસર્ચ અને એક્શન, અમદાવાદના માધ્યમથી પ્રશાસન તંત્રને જાણ કરવામાં આવી. ત્યાર બાદ વ્યવસ્થા તંત્રએ પગલાં ભર્યા. પરપ્રાંતીય શ્રમિકને લૉકડાઉન સમયમાં બિનજરૂરી રોકી રાખવાના કામે અને તેમણે પૂરતું વેતન ન આપવાના કામે બોન્ડેડ લેબર એબેલેશન એક્ટ, આંતર રાજ્ય સ્થળાંતરિત શ્રમિક કાયદો તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કાયદાની જોગવાઈનો ભંગ તેમ જ નામદાર સુપ્રિમ કોર્ટ, નામદાર હાઇકોર્ટ સબંધિત કોવિડ-19 સંદર્ભે જુદા જુદા ચુકાદાઓના ભંગ બદલ ધોરણસર કાર્યવાહી કરવા મદદની ઇન્સીડન્ટ કમાન્ડર અને મામલતદાર, ચોટીલા દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો[xxiv].
આ મુદ્દે એસ.ડી.એમ. ચોટીલાને પોલીસ અને મામલતદારે વધારે તપાસ હાથ ધરવા જણાવ્યું અને પ્રશાસન દ્વારા કંપનીની મુલાકાત લેવામાં આવી હતી. તપાસ દરમિયાન માહિતી બહાર આવી કે માર્ચ 2020થી મે 2020ની વિગતો મુજબ જાણ થઈ કે માલિક દ્વારા મે 2020નો પગાર ચૂકવેલ નથી. 12 જૂન સુધી પણ પગાર ચૂકવાયેલ નથી[xxv]. જેના લીધે 12 જૂને વ્યવસ્થા તંત્રની સહાયથી 104 શ્રમિકોને 8 લાખથી વધારે ચૂકવણી કરવામાં આવી. શ્રમિક અધિકારના કર્મશીલ અશોક સમ્રાટના કહેવા પ્રમાણે કંપની માલિકને તો પણ વેતન ઓછું આપ્યું હતું. ત્યારબાદ મામલતદારએ પોલીસ અને શ્રમિક અધિકારીને આદેશ કરી બાકી રહેતી મજૂરીની ચુકવણી કરી આપી. એસ.ડી.એમ.(SDM)એ માહિતીને આધારે એફ.આઇ.આર (FIR) નોંધવા સૂચન કર્યું. પોલીસ અને મામલતદારને કંપનીએ બીજી નોટીસ આપી. ડી.વાય.એલ.સી. (Dy.SP) રાજકોટને પૂરી ઘટનાની જાણ કરવામાં આવી. આખરે સમાધાન કરી કંપનીના એચ.આર. મેનેજર દ્વારા શ્રમિકોને જબરદસ્તીથી બસ બોલાવીને અમદાવાદ મોકલવા ઉતાવળ કરતાં હતાં. ત્યાર બાદ મામલતદારે જાણ કરી અને તેમણે પોલીસને જાણ કરી આદેશ કરી શ્રમિકોને તાત્કાલિક ન મોકલવા કહ્યું. પ્રશાસન, પોલીસ અને શ્રમિકો વચ્ચે વારંવાર ચર્ચા અને શ્રમિકને ન્યાય તેવો પ્રયત્ન કર્યા. પરંતુ છેલ્લે સ્થળાંતરિત શ્રમિકો દ્વારા કહેવામાં આવ્યું કે ‘હવે અમે ક્યારે ય ચોટીલાની કંપનીમાં કામ કરવા જઈશું નહિ’. આ સમગ્ર ઘટનાક્રમમાં સ્થળાંતરિત શ્રમિકોને કામનું વેતન મેળવવા, વતન જવા વાહનવ્યવહારની સુવિધા માટે, ભોજન માટે, વધારાનો ખર્ચ અને વ્યવસ્થા તંત્રના પ્રાથમિક અનુભવોમાં યાતનાનો જ શ્રમિકોના ભાગે આવી છે. સામાજિક સંસ્થા અને સંગઠનોનો સહયોગ મળ્યો ન હોત તો આ શ્રમિકોની સ્થિતિ વિશે કલ્પના કરી કરી શકાય તેમ નથી. કોરોના લૉકડાઉન બાદ શ્રમિકોને પોતાનું કાર્ય ચાલુ કર્યું હતું. ત્યારે બીજા બનાવ સામૂહિક મનુષ્યવધની ઘટના આપણે સામે આવી છે.
Ø બનાવ-2: પીપળજની કેમિકલ કંપનીના વિસ્ફોટમાં સામૂહિક મનુષ્યવધ ઘટના
અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલ સાહિલ એન્ટરપ્રાઇઝ કેમિકલ ફેક્ટરીમાં ધમાકા સાથે વિસ્ફોટ થયો. જેના લીધે કર્ણિકા ટેક્સી કાપડ ફેક્ટરીમાં દીવાલ પડી જવાના કારણે 30થી શ્રમિકોને અસર થઈ છે. કોરોના લૉકડાઉન બાદ કાપડ ફેક્ટરીમાં મજૂરો કામ કરતાં હતા. આ ઘટના અગાઉ પણ સાહિલ એન્ટરપ્રાઇઝમાં 15 દિવસ પહેલા પણ રાત્રે બે વાગ્યે આગ લાગી હતી પરંતુ ફાયર વિભાગને જાણ કરી ન હતી. તે આગ કયા કારણથી લાગી તે જાણવાની કંપનીના માલિકે નોધ લીધી ન હતી[xxvi].
પીપળજ રેવાભાઈ એસ્ટેટમાં શેડ નંબર-12માં વિસ્ફોટક કેમિકલ બનાવતા 30 સેકન્ડમાં છ પ્રચંડ બ્લાસ્ટ અને બાજુના 4 ગોડાઉનની છત પડી. જેમાં 5 મહિલા અને 7 પુરુષો ઘટનાસ્થળે કુલ 12 શ્રમિકો મૃત્યુ[xxvii] અને 3 મહિલા અને 7 પુરુષો કુલ 9ને ઇજા[xxviii] થઈ છે[xxix]. ગંભીરરૂપથી ધવાયેલી વ્યક્તિઓને એલ.જી. હોસ્પિટલમાં લઈ જવાઈ છે. આ વિસ્ફોટના અવાજ બે કિ.મી. સુધી સંભળાયો અને તીવ્રતાથી શરીરના ચીથરા ઉડ્યા હતા[xxx]. અગ્નિકાંડમાં મુખ્ય કેમિકલ હાઇડ્રોલિયમ પેરોક્સાઈટ, મીથાઇલ, ઈથાઇલ કીટોન, ઇથાઈલ ગ્લાયકોન-એમ ચારના મિશ્રણ કરતી વખતે 295 ડિગ્રી તાપમાન હોવું જોઈએ. પરંતુ તાપમાન વધી ગયું હોવાનો બનાવ બન્યો છે. કેમિકલનું મિશ્રણ કરનાર વ્યક્તિના શરીરના ટુકડા થઈ ગયા. કંપનીમાં એક વખતમાં 260 લીટર કેમિકલ બનાવતા હતા. પરિણામે હાઈડ્રોલિયમ પેરોકસાઈટનું પ્રમાણ વધી ગયું હોવાથી મોટો વિસ્ફોટ થયો[xxxi]. પોસ્ટ-મોર્ટનમાં લાવવામાં આવેલ મૃતદેહમાંથી ખોપડી, પગ અને આંતરડા છૂટા પડી ગયા હતા. મૃતકના સગાં-સબંધી વી.એસ. હોસ્પિટલ આરોપી વિરુદ્ધ ફરિયાદ કરવા માંગ કરી હતી[xxxii].
ગુજરાતમા 31,500 ફેક્ટરીઓ છે જેમાં 16.93 લાખ શ્રમિકો કામ કરે છે. રાજ્યમાં અનેક ફેક્ટરીમા ફાયર સેફ્ટીથી માંડીને શ્રમિકોની સુરક્ષાને લઈને કોઈ વ્યવસ્થા જ નથી. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 1,239 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. ઔદ્યોગિક સલામતીના નિયમોની અવગણનાને લીધે શ્રમિકોની મોતમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું છે. છેલ્લા ચાર અઠવાડિયામાં જ આઠથી વધુ ઔદ્યોગિક અકસ્માતમાં 24 શ્રમિકોના મોત નીપજ્યાં હતા. ભ્રષ્ટ્રાચારનાં લીધે આવી અનેક દુર્ધટના બની રહી છે[xxxiii]. વર્ષ 2020ના 10 મહિનામાં છ જીવલેણ આગમાં 39 જીવ ગુમાવ્યા અને 3 પ્રોસેસ હાઉસમાં 26નો ભોગ લેવાયો છે. જેમાં પિરાણામાં આગમાં 12 મોત, નવરંગપુરા શ્રેય હોસ્પિટલમાં 8 કોરોના દરદીના મૃત્યુ, નારોલ ચિરિપાલ ફેક્ટરીમાં આગમાં 8 કર્મચારીના મૃત્યુ, ધોળકા વિશાળ ફેબ્રિક્સમાં આગથી 6ના મોત, ઓઢવ લોટસ લેબલ ઇન્ડસ્ટીઝમાં આગથી 3ના મોત અને ગોતા ગણેશ જીનેસીસ ટાવરમાં આગ બેનાં મોત જેવી અનેક ઘટનાઓ બની છે[xxxiv]. આ ઘટના બાદ તંત્ર દ્વારા લાંભામાં મંજૂરી વિના ગેરકાયદે ચાલતી અને કોઈપણ ફેક્ટરી પાસે લાઇસન્સ કે પરવાના હતા નહિ એવી કેમિકલની 6[xxxv] ફેક્ટરીઓ સીલ કરી દેવાઈ હતી[xxxvi]. આ સિવાય અન્ય 7[xxxvii] વેરહાઉસ પાસેથી લાઇસન્સ કે એન.ઓ.સી. ન હોવાથી સીલ કર્યા છે[xxxviii].
પીડિત શ્રમિકોના અનુભવો :
પ્રથમ દિવસે જ પીડિત પરિવારના સભ્યો અને અમુક સંગઠનોએ નક્કી કર્યું હતું કે કોઈ પાર્ટીનું બેનર જોઇએ નહિ. ફક્ત સામૂહિક રીતે લડત આપવાની છે. તેમનો મુખ્ય આશ્રય સામાજિક ન્યાયનો છે. આ ઘટનાના લગભગ એક અઠવાડિયામાં તા. 10 નવેમ્બર 2020માં મૃતક પરિવારની સાથે મુલાકાત લીધી અને વાર્તાલાપ શરૂ કર્યો ત્યારે તરત જ મૃતક નીતિનના પિતાએ કહ્યું “તમે ક્યાંથી આવ્યા છો? અમે રાજકારણમાં કે કોઈ પક્ષમાં રચ્યા પચ્યા નથી. અમારું આંબેડકર જૂથ છે. તેમની પાસે માહિતી લઈ લ્યો ને. એ માહિતી આપી દેશે”. ત્યારબાદ તેમને એક વ્યક્તિને બોલાવીને કહ્યું “આમને કઈ માહિતી માંગે છે. તેમની જોડે વાત કરી લો ને”. એક ભાઈએ પણ એવું કહ્યું કે “એક બેન આવે પછી આવો”. મૃતક નીતિનના પિતાએ કહ્યું “આપણને બોલતા આવડે નહિ. મે મારા દલિત સમાજને સોપી દીધું છે. મારો સમાજ કરે એ મારે કરવાનું છે. અમારે મનમાં એમ જ છે કે સમાજનો છોકરો મર્યો છે. તમારે જોઈએ એ જવાબ સંગઠન આપી દેશે”[xxxix]. વધારે ચર્ચા બાદ તેમને વિશ્વાસ આવ્યો. ત્યારબાદ જ માહિતી આપવાની શરૂઆત કરી.
કેમિકલ વિસ્ફોટમાં મૃત્યુ પામેલ નીતિનના પિતા અશોકભાઈ ગણેશભાઈ પરમાર સાથે વાત કરવાની ચાલુ કરી. તે પેન્ડલ રિક્ષા ચલાવે છે. નવરંગપુરાની બાજુમાં આવેલ ફર્નિચરની દુકાન બહાર ફેરા મારી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ગણેશનગર રહે છે. જે અમદાવાદમાં આવેલ પીરાણાથી નજીક છે. તેમનું મૂળ વતન જૂના માંકા ગામ છે. જે હારીજ તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે. સામાજિક પ્રસંગો પોતાના વતનમાં જ કાઢતા હતા. જ્યારે તેઓ બીમાર હતા ત્યારે તેમના શરીરમાં 2017થી (સાડા ત્રણ વરસથી) સ્ટેન્ટ મૂકાયેલું છે. તેમના બે પુત્ર અને બે પુત્રી એમ ચાર બાળકો હતાં. બધા જ બાળકો માધ્યમિકથી વધારે શિક્ષણ લીધું નથી અને બાળકોએ અધવચ્ચેથી શિક્ષણ છોડી પણ દીધું છે. મૃતક નીતિનના લગ્ન થયા હતા પરંતુ લગ્ન સામ-સાટા પદ્ધતિથી કર્યા હતા એટલે એક જોડાને સરખાઈ ન આવતા. બીજા લગ્નના પણ છૂટાછેડા થઈ ગયાં. પરિવાર નીતિનના માટે લગ્નમાં છોકરીની શોધમાં જ હતા. એટલે સગાં-સબંધીઓ દ્વારા આવતી લગ્નની વાતોમાં તેમણે વ્યસ્ત હતા. કોરોના બાદ કાપડ કંપનીમાંથી ઘરે લેવા આવ્યા હતા. તેમનું ઘર અને ફેક્ટરી વચ્ચે દસ મિનિટનો જ રસ્તો છે. ફેક્ટરી ચાલુ હોય ત્યારે બપોરે ઘરે ખાવા આવે છે. ખાઈને નોકરી પર હાજર થઈ જાય છે. કોરોનાની અસહ્ય પીડા હજુ પૂરી થઈ ન હતી ને અચાનક કેમિકલ વિસ્ફોટની ઘટનામાં મજૂરો મૃત્યુ પામ્યા.
પીડિત પરિવાર એવાં મૃતકના પિતાના કહેવા મુજબ “મારી ઉંમર 53 વર્ષ છે. હું મજૂરીકામ કરું છું. મારો છોકરો નીતિન 8 ધોરણ ભણેલો હતો. ત્યારબાદ અભ્યાસ છોડી દીધો. તેની ઉંમર 21 વર્ષ હતી. કાપડ ફેક્ટરીમાં પાંચ વર્ષથી મજૂરી કામ કરતો હતો. કોરોના લૉકડાઉનમાં કામ બંધ થઈ ગયું હતું. ત્યારબાદ અન-લૉકડાઉનમાં મારા છોકરાને કામે બોલાવ્યો એટલે ફેક્ટરી કામ ચાલુ કર્યું હતું. મારો છોકરો જે કાપડની ફેક્ટરીમાં કામ કરતો હતો. તે કાપડ ફેક્ટરી બાજુમાં કેમિકલ કંપનીમાં વિસ્ફોટ થયો. કાપડ ફેક્ટરી અને કેમિકલ કંપનીની દીવાલ એક જ હતી. બોઈલર કે ગેસ કે કેમિકલના લીધે કંઈક ફાટ્યું. એટલે આ કાપડની ફેક્ટરીની દીવાલને ધ્રાસ્કો માર્યો. એટલે આ દિવાલે કાપડ ફેક્ટરીને દબાવી દીધી. એટલે આ છોકરાઓ પર વધારે વજન આવી ગયું એટલે બધા દબાઇ ગયાં. મારાં કુટુંબના ચાર છોકરા કામ કરતાં હતા. પણ બે પાણી પીવાં ગયા એટલે એ બે છોકરા બચી ગયા. બે છોકરા મરી ગયા”[xl].
પીડિત પરિવાર એવાં મૃતકના પિતાના કહેવા મુજબ “કોરોનામાં હું કે મારા છોકરા ક્યાં ય રોજગારીએ ગયાં જ નથી. કોરોના લૉકડાઉન ગાળામાં ખાવા, પીવા અને બીજી બધી બહુ જ તકલીફો હતી. કોઈ કીટો આપવા માટે આવે ત્યારે કેટલીયવાર પોલીસના દંડા પણ ખાધા હતા. તો પણ કીટો હાથમાં આવતી ન હતી. તો પણ માંડ માંડ ખાવાનું બધુ પૂરું કર્યું હતું. તો પણ અમે જીવ્યાં છીએ. અમે ગણેશ નગરમાં 12 વર્ષથી (2008થી) રહીએ છીએ. પહેલા અમે ખોડિયારનગર વસવાટ કરતાં હતા. ત્યારબાદ સરકાર દ્વારા ત્યાંથી ગણેશ નગર વસવાટ કરાવાયો. 15 X 10ના ગાળાની જગ્યામાં અમે વસવાટ કરીએ છીએ”[xli].
ભોગ બનનાર મૃતકના પિતાના કહેવા મુજબ “મારો મૃતક છોકરો જ્યારે 6 વર્ષનો હતો ત્યારે તેને વી.એસ. હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. કમરમાંથી પાણી ખેચાયું હતું. મગજમાં ચેપી રોગ હતો. 6 મહિના સુધી દવાખાનું ચાલુ રહ્યું હતું. એટલે તેને વધારે વજન ઉંચકવાવાળી નોકરી કરતો નહિ. હું જીવું છુ ત્યાં સુધી પૈસા નહિ લાવે તો ચાલશે. આ ઘટનામાં મારો છોકરો ગુમાવ્યો છે. હવે મારો એક છોકરો વધ્યો છે”. મૃતકના પિતાના કહેવા મુજબ “મને ન્યાય આપો. જે કાયદેસર છે તે. કાં તો મારો છોકરો આપો. મારે કોઈ લાંચ લેવી નથી કે બીજું કશું જ નહિ. રૂપિયા તો 25 કરોડ આપશો તો પણ ખાવા બેસશું તો પાંચ વર્ષમાં નવરા થઈ જશે”. તેમનું કહેવું છે કે “તમે એસ્ટેટ બનાવો ત્યારે એન.ઓ.સી. આપો છો. ત્યારે ફાયર સેફટી પણ આપો. જો નુકશાન થાય એવી વસ્તુઓ રાખતો જાય તો ગોરખધંધા ચલાવો છો શા માટે?. અમારા જેવાને 50,000ની લોન લેવી હોય તો કેટલા જણાની સાક્ષી માંગે છે. તો સુરક્ષા સાધનો વગર ફેક્ટરી ઊભી કરાવી નાખો છો. આ કેવી રીતે થાય છે? આ ગોરખધંધા જ કાઢવા છે. રાજકીય પક્ષોમાં મારાં સબંધીઓ છે. તો પણ મે તેમને પુછ્યું નથી. આ મારો સમાજ કરે એ જ સહી. રાજકીય પક્ષોવાળા આવ્યા હતા એમને કહ્યું સરકાર સુધી વાત પહોચાડીશું. પણ આજ ચાર દિવસ થયા એ આઈને ગયા. આ રાજકારણીઓનું શું કરવાનું”[xlii].
મૃતક પરિવારના મતે “આઠ લાશો લઈ ગયાં. અમારી ચાર લાશો જ પડી છે. આમાં બધું અલગ પડી એટલે આવું થયું. જો ઇ બધા હોત તો આટલા દાહડા (દિવસ) થાત જ નહિ. તો તો બીજા દિવસે આવી જાત નિકાલ. આટલા દિવસથી ઉપવાસ પર બેઠા છીએ પણ કઈ જવાબ આપતા નથી. અમારી માંગણી છે કે અમને ન્યાય આપો અને જો ન્યાય ન આપી શકતા હોય તો અમારા છોકરા જીવતા અમને આપો. અમારી ન્યાયની માંગણી આ જ છે. જે ત્રણે લોકોને પકડ્યા છે જો તે ગુનેગાર હોય તો તેમણે કડકમાં કડક સજા કરવામાં આવે”[xliii]. મૃતકના સબંધીના કહેવા મુજબ “મૃતક હિતેશની ઉંમર 14ની હતી. તે ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. કોરોના કારણે અત્યારે સ્કૂલો બંધ છે. લૉકડાઉનના લીધે આર્થિક કટોકટીને નિવારવા નોકરી ચાલુ કરી. મૃતક હિતેશના માતાને ટી.બી. અને તેના પિતા વિકલાંગ હોવાથી ઘરમાં પૂરું નથી થતું. તેના માતા પણ કામે જતાં હતાં. પણ સબંધી મૃત્યુ પામ્યા એટલે કામે જતાં ન હતાં. પૈસાની જરૂરિયાત માટે કાપડની કંપનીમાં કામ કરવાનું ચાલુ કર્યું. લગભગ 100ની હાજરીમાં મજૂરીએ લાગ્યો હતો. થોડા પૈસા આવે તો ઘરમાં થોડો ટેકો થાય. કોરોનામાં કામધંધો ન હતો એટલે રોજગારી મેળવવા કામ ચાલુ કર્યું. વિસ્ફોટ ના કારણે હિતેશનું મૃત્યુ થયું. ન્યાય મળે તે માટે અમારો સમાજ અને ધારાસભ્ય અહીં બેઠા છે. એ કરે એ જ સહી”[xliv]. બનેલ ઘટનામાં સામાજિક સંગઠન અને રાજકીય પક્ષોનાં લોકો મદદ કરવા આવી ગયાં હતાં.
મૃતકના સબંધીના મતે “ન્યાય માટે એક અઠવાડિયાથી વી.એસ. હોસ્પિટલમાં ઉપવાસ પર બેઠા છે. વી.એસ. હોસ્પિટલમાં બધી તકલીફો જ છે. રાત્રે સંગઠનની છોકરી પણ રાત રોકાય છે. હજુ સુધી પોલીસવાળા અમને કઈ પૂછવા જ નથી આવતા. બીજા લોકોએ એવું લાગે કે પોસ્ટ-મોર્ટનમાં મૂક્યા હશે. એટલે અહીં બેઠા છે. મારા બેટા, સરકાર કઈ જવાબ આપતા નથી”[xlv]. આ ઉપરાંત 4 પીડિત પરિવાર 8 દિવસથી પોસ્ટ-મોટર્ન (પી.એમ. રૂમ) થયેલ મૃત શરીર લીધું નથી. જેમાં, 1. નીતિન અશોક પરમાર, 2. હિતેશ વસંતભાઈ પરમાર, 3. અંજલિ ચાવડા 4. માથુરભાઈ ચાવડા વગેરે. સૌ પ્રથમ FIR માટે લડત ચલાવવામાં આવી હતી. ત્યાર બાદ એફ.આઇ.આર. નોધવામાં આવી. વિમાનની દુર્ઘટનામાં મૃત્યુ પામેલને 20 લાખની સહાય આપવામાં આવે તો મજૂરોને કેમ નહિ? 12.11. 2020એ મૃત શરીરનો સ્વીકાર કરવામાં આવશે. પરંતુ માંગણી સ્વીકારવામાં ન આવે તો 1 ડિસેમ્બર 2020 થી આંદોલન કરવામાં આવશે.
વ્યવસ્થા તંત્રની ભૂમિકા:
આ ઘટનામાં વ્યવસ્થા તંત્રની ખામી જોઈએ તો, પ્રચંડ વિસ્ફોટકો ભરેલું ગોડાઉન 3 વર્ષથી ચાલતુ હતું. 12ના મોત માટે આ 4 વિભાગો જવાબદાર છે. જેમાં, ફાયર વિભાગ દ્વારા ગોડાઉન પાસે એન.ઓ.સી. ન હોવા છતાં કાર્યવાહી કરાઇ નહિ. ડાઇરેક્ટર ઓફ ફેકટરીઝએ પણ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું ન હતું. તો પણ કંપની સામે કોઈ પગલાં ન લેવાયાં. ગુજરાત પ્રદૂષણ બોર્ડની (જી.પી.એસ.સી.) જવાબદારી હોય છે કે ઉદ્યોગમાં પ્રદૂષણના નિયમોની અમલવારી કરાવવાની અને ચકાસણી કરવાની હોય છે. પરંતુ કોઈપણ કિસ્સામાં ગોડાઉનનું ક્યારે ય ચેકિંગ કર્યું ન હતું. સોલિડ વેસ્ટ વિભાગમાં ત્રણ વર્ષથી લાઇસન્સ વગર ગોડાઉન ચાલતું રહ્યું પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી[xlvi].
વી.એસ. હોસ્પિટલમાં પીડિત પરિવારના ધરણાં બાદ પીરાણા બ્લાસ્ટ દુર્ઘટનાના આરોપી વિરુદ્ધ IPC કલમ 304 હેઠળ ગોડાઉનના માલિક[xlvii] અને સાહિલ એન્ટરપ્રાઇઝના માલિક[xlviii] વિરુદ્ધ ફરિયાદ થઈ છે. ઘટનાના મામલે માલિક સહિત ત્રણ વિરુદ્ધ સદોષ મનુષ્યવધ ગુના નોધવામાં આવ્યો છે જેમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે[xlix]. પરંતુ આ ગુનાની નોંધણી નારોલ પોલીસ સ્ટેશને વિસ્ફોટ બાદ 31 કલાકે ગોડાઉન-ફેકટરી માલિક[l] વિરુદ્ધ કરી હતી. ત્યારબાદ મેટ્રો કોર્ટે સાહિલ એન્ટરપ્રાઇઝના માલિક હેતલ સુતરિયાને 5 દિવસ, ગોડાઉનના માલિક નાનું ભરવાડને 1 દિવસ અને પ્રદીપ ભરવાડને 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે[li]. ઘટનાની યોગ્ય તપાસની માંગ સાથે 12માંથી 5 મૃતદેહ લેવાનો પરિવાર ઇન્કાર કર્યો છે. ડે. કમિશનરની અધ્યક્ષ સ્થાને કમિટી બનશે. જે સરકારને રિપોર્ટ સોંપશે તેવું જાણવા મળ્યું છે[lii].
પીપળજ ઘટનાના પીડિત પરિવારે 20 લાખની વળતરની ફરિયાદ નોધવા પરિવારજનોની માંગણી કરી છે. તેમ જ FSL રિપોર્ટની પ્રાથમિક તપાસમાં રસાયણિક પ્રક્રિયાના કારણે વિસ્ફોટ થયાનું બહાર આવ્યું છે. પીરાણા દુર્ઘટનાને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સૂઓમોટો કેસ તરીકે લીધો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોડ, ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ, અમદાવાદ કલેક્ટર તેમ જ ગોડાઉન ભાડે રાખનાર ફેક્ટરી સાહિલ એન્ટરપ્રાઇઝીસના માલિક હેતલ ગિરીશ સુતરિયા શો-કોઝ નોટિસો આપવામાં આવી છે[liii]. આ સિવાય ગેરકાયદેસર ચાલતા ગોડાઉનો વિરુદ્ધ આવશ્યક પગલાં ભરવાં રાજ્ય સરકાર દ્વારા બે સિનિયર આઇ.એ.એસ. અધિકારીઓની તપાસનીશ સમિતિએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સૂચના આપી છે. આવી ઘટના ન બને તે માટે જે વેરહાઉસિસમાં જોખમી રસાયણો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાય છે ત્યાં ના વાંધા પ્રમાણપત્ર અપાયા છે કે કેમ તેની પણ ચકાસણી કરી પગલાં ભરશે. જી.પી.એસ.બી., પોલીસની ટીમો તથા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરશે[liv].
વડા પ્રધાન મોદીએ ઘટના બન્યાની સાંજે ટ્વિટર ઉપર ટ્વિટ કરીને ઊંડું દુ:ખ વ્યક્ત કરી શોક સંતપી પરિવારોને દિલાસો પાઠવ્યો છે. સત્તાવાળાઓને જરૂરી સહાય પહોંચતી કરવા જણાવ્યુ છે. ત્યાર બાદ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પ્રત્યેક મૃતકના વારસને રાજ્ય સરકાર તરફથી 4 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. પરંતુ પીડિત પરિવારની 20 લાખની સહાય માટે માંગણી કરી છે. અમદાવાદ મેયરે 12 નિર્દોષ વ્યક્તિના મોતને ‘સામાન્ય ઘટના’ જણાવી. સરકારે 2013માં ગુજરાત ફાયર પ્રીવેન્શનલ એન્ડ લાઇફે સેફ્ટી એક્ટ બનાવ્યો હતો. આ એક્ટનો આશય આગ લાગે નહિ તે માટે નિયમોનું પાલન કરાવવાનો છે. પરંતુ કાયદાનો અમલ છેક 2020માં શ્રેય હોસ્પિટલની ઘટના વખતે હાઇકોર્ટે ઝાટકણી કાઢી બાદ કાયદો લાગુ પડી અમલ શરૂ કર્યો હતો[lv]. ફાયર ચીફ ઓફિસર, એમ.એફ. દસ્તુરના મતે સાહિલ એન્ટરપ્રાઇઝ નામની કેમિકલ ફેક્ટરી પાસે ફાયર એન.ઓ.સી. નહિ. શહેરમાં 17 હજારથી વધારે ફેક્ટરી છે તેની સામે માત્ર 1,065 જેટલી ફેક્ટરીમાં જ ફાયર એન.ઓ.સી. ધરાવે છે. જોઇન્ટ પોલીસ કમિશનર, ગૌતમ પરમારના મતે સાહિલ એન્ટરપ્રાઇઝના માલિક પાસે કોઈ પણ પ્રકારના લાઇસન્સના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. એસ્ટેટમાં CNG સિલિન્ડર ટેસ્ટિંગ થાય છે. આ જ એસ્ટેટમાં સી.એન.જી. સિલિન્ડર ટેસ્ટિંગ પ્લાન્ટ સુધી બ્લાસ્ટથી તીવ્રતા પહોચી હોત તો આનાથી મોટી દુર્ઘટના સર્જાઇ હોત[lvi].
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની દિલ્લી સ્થિત પ્રિન્સિપાલ બેન્ચે દિલ્લી હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ બી.એસ. પટેલનાં વડપણ હેઠળ છ સભ્યોની તપાસની સમિતિને તપાસ કરી આદેશ કરવા જણાવ્યુ છે. તેમ જ સાહિલ ફેક્ટરીના માલિકો દસ દિવસની સમયમર્યાદામાં જિલ્લા કલેક્ટર સમક્ષ રૂપિયા 5 કરોડનો દંડ જમા કરાવે. આ સિવાય દરેક મૃતક પરિવારને રૂપિયા 15 લાખ અને ઇજાગ્રસ્તોને પાંચ લાખનું વળતર ચુકવવામાં આવે. જો વળતર ફેક્ટરીના માલિકો આપવામાં નિષ્ફળ રહે તો રાજ્ય સરકારે વળતર ચૂકવવાનું રહેશે. ગુજરાત ચીફ સેક્રેટરીને આદેશ કર્યો છે કે કાયદાકીય મંજૂરી વિના ફેક્ટરી ચાલુ રહેવા દેનારા સત્તાતંત્ર સામે તપાસ કરી બે મહિનામાં રિપોર્ટ રજૂ કરવામાં આવે[lvii]. આ ઉપરાંત મ્યુનિસિપલ તંત્રએ શ્રમ અને રોજગાર ખાતાને સુપરત કરેલો અહેવાલમાં અમદાવાદના દક્ષિણ વિસ્તારમાં કુલ 48 ફૅક્ટરીને સીલ મારી દીધા છે. જ્યારે હેલ્થ લાયસન્સ વગરના 18 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમ જ બે ગોડાઉન અને 10 ફેક્ટરીને ફાયર બ્રિગેડે ઓળખ કરી છે[lviii].
સામાજિક દરમ્યાનગીરી :
દુર્ઘટનાને લઈને અનેક સામાજિક સંગઠન, કર્મશીલો અને રાજકીય પાર્ટીના સભ્યોએ સહયોગ આપ્યો હતો. જેમાં સૌથી વધારે મજૂર અધિકાર મંચનું યોગદાન રહ્યું. જે બનાવના પ્રથમ દિવસથી જ મૃતક પરિવારની લડતમાં સામેલ હતા. મજૂર અધિકાર મંચના સભ્યોને આવેદનપત્ર આપી વિરોધ અને માંગણી દર્શાવી છે. હીરાભાઈ સોલંકી, પ્રમુખ, મજૂર અધિકાર મંચના કહેવા મુજબ “જે દિવસે બનાવ બન્યો તે દિવસે એફ.આઇ.પી. દાખલ થઈ ન હતી. પરંતુ મજૂર અધિકાર મંચની ટીમ પીડિત પરિવારની સાથે છે. જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે પીડિત પરિવાર સાથે સંગઠનો અને સંસ્થાઓ જોડાયેલ છે. શરૂઆતમાં બનાવને તેમને રફેદફે કરવાના ફિરાક હતા. પરંતુ અમે મક્કમ હતા. તંત્રને દબાણવશ કરીને એફ.આઇ.આર. નોધવામાં આવી હતી”[lix]. હીરાભાઈ સોલંકી કહેવા મુજબ “મજૂર અધિકાર મંચનું કામ ગરીબ અને શોષિત પરિવારનું કામ છે. શ્રમિકો સાથે વર્ષોથી કામ કરીએ છીએ. બનાવની શરૂઆતથી અમે પીડિત પરિવાર સાથે છીએ. ગરીબ પરિવારને ઝડપથી ન્યાય એ અમારો આશ્રય છે. શ્રમ ભવનમાં પણ જાણ કરી આવ્યા છીએ. મળવા પાત્ર રકમની વ્યવસ્થા કરી તેમની માંગ પૂરી કરવામાં આવે. એ અમારી માંગણી છે”[lx].
હીરાભાઈ સોલંકી, પ્રમુખ, મજૂર અધિકાર મંચના કહેવા મુજબ “કંપનીમાં ગરીબ પરિવારમાં મજૂરો કામ કરતાં હતા. જેને સરકારે નક્કી કરેલ લઘુત્તમ વેતન પણ મળતું ન હતું. કેમિકલ કંપની અવેધરૂપથી ચાલતી હતી. એટલે બ્લાસ્ટ થયો. જે બહુ દુ:ખદ ઘટના છે. 12-12 નિર્દોષ પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. પોતાના ઘરનું ગુજરાન ચલાવતાં લોકો જ મૃત્યુ પામ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી પોતાની માંગ સાથે વી.એસ. હોસ્પિટલ બેઠા છે. તેમની માંગણી છે કે તેમનાં સંતાનો પાછા આવતા નથી પણ તેમનું માન-સન્માન જળવાય એ રીતે સરકાર સહાય કરે. પરંતુ સરકાર ગંભીરતા લેતું નથી. જે ઓથોરિટીની નજર નીચે આવા ગોરખધંધા ચાલતા હોય. ત્યારે વધારે ગરીબ, શોષિત, શ્રમિક માણસો જ ભોગ બનતા હોય છે. સરકારને નથી આંખ કે નથી કાન. એક બાજુ આંધળી છે અને બીજું બાજુ સાંભળવા પણ માંગતી નથી. ત્યારે આ સ્થિતિનું નિર્માણ થયું છે. ભૂખ્યો પરિવાર એક 5-5 દિવસથી બેઠો છે. આ સરકાર સંવેદનશીલ નથી પણ સંવેદનહીન સરકાર છે. અતિ-ગરીબ પરિવારને મળવા સરકારનો કોઈ માણસ આવ્યો નથી. સરકારના નિયમ મુજબનું મહેતાણું પણ કંપનીમાં આપવામાં આવ્યું નથી. આવા બીજા અનેક બનાવો હશે. બે પરિવાર જૂના માંકા, હારીજ, પાટણ જિલ્લાના છે. બીજો પરિવાર કડી તાલુકાના સુજાતપુર ગામનો. આ બંને પરિવારો છે. અત્યારે ચાર ભોગ બનતા વી.એસ. હોસ્પિટલ ખાતે બેઠેલા છે. ચાર પરિવાર અનુસૂચિત જાતિમાંથી આવે છે”[lxi]. પીડિત શ્રમિકો પરિવારોની માંગણી સંતોષવા વ્યવસ્થાતંત્ર તરફથી પ્રાથમિક તબક્કે સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરંતુ સામાજિક સંગઠનનાં આંદોલનનાં લીધે પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
હીરાભાઈ સોલંકી, પ્રમુખ, મજૂર અધિકાર મંચના કહેવા મુજબ ‘જો સમાજે મત આપીને ચૂંટેલા ધારાસભ્યો જો કરોડોમાં વેચતા હોય છે. ત્યારે પીડિત પરિવાર માટે 4 લાખની જ જાહેરાત કરી છે. સરકારનું વલણ એવું જ હતું કે ચાર લાખની જાહેરાત કરી ચૂક્યા છે. પરંતુ તેમનો નિર્વાહ થઈ શકે તેવી જાહેરાત કરવી જોઇએ. શ્રમિકોએ નોકરી કે કરોડો રૂપિયાની માંગ કરી નથી. પરંતુ તેમણે સન્માનજનક રાશિની સહાય આપવી જોઇએ. કેમ કે ઘરનો મુખ્ય કમાનાર જ જતો રહ્યો હોય તો થોડા સમય તેમનો નિર્વાહ ચાલી શકે તેવી સહાય કરવી જોઇએ. મજૂરો આવી ઘટનાથી નિરાધાર બની જાય છે. જે-તે ઓથોરિટીની હદે આવતી કંપનીમા શ્રમિકોની સુરક્ષાના માટે સુરક્ષાવર્ધક (સેફ્ટીનાં) સાધનો સરકાર દ્વારા આપવામાં આવે અને ચોક્કસ નિયમોનું પાલન કરવામાં આવે. મજૂરની માહિતી સરકાર પાસે હોવી જોઇએ. કઈ કઈ અવૈધ કંપનીમાં શ્રમિક લોકો કામ કરે છે તેની જાણ સરકાર પાસે હોવી જોઇએ આવું ફરીવાર ન બને તે માટે સંવેદનાની જરૂર અને લોકોને જાગવાની જરૂર છે. ઘટનામાં ભોગ બનેલ લોકો ઠંડી, તડકામાં ન્યાય માટે લડત આપતા હોય છે. અત્યારે મજૂરોના વિકાસ માટે ‘સબકા સાથ અને સબકા વિકાસ’ વાળા કોઈ દેખાતા નથી’[lxii].
ભૂપતભાઈ સોલંકી, સામાજિક કાર્યકર, મજૂર અધિકાર મંચ, ‘મારું નામ ભૂપત સોલંકી છે. હું મજૂર અધિકાર મંચ સાથે કામ કરું છું. ફૅક્ટરીમાં બોયલર ફાટવાથી 12 લોકોના મૃત્યુ થયા. ત્યાર બાદ ઘરણાનો આજે આઠમો દિવસ છે. બનાવના પ્રથમ દિવસથી જોડાયો છું. મારું એક જ કામ છે કે કોઈ બહારની વ્યક્તિ આવીને ગુમરાહ કરી ન જાય. હજુ સુધી અમે મૃત શરીર સ્વીકાર્યું નથી. કાયદાકીય ન્યાય મળે અને પૂરતું વળતર મળે. એ અમારી માંગણી છે. તેની સતત કામગીરી રહી છે. ઘટનામાં કુલ 12 શ્રમિકોનું મૃત્યુ થયું હતું. જેમાંથી તા. 6 નવેમ્બર 2020ના રોજ મૃતકના પરિવારો 4 લાશો લઈ ગયા. ઘટના બાદના બે-ત્રણ દિવસમાં મૃત પરિવારની 12માંથી 8 લાશો તેમનાં પરિવાર લઈ ગયા હતા. બાકીના 4 લાશોના મૃતકોની માંગણી માટે અમે અહીં બેઠા છીએ. મજૂર અધિકાર મંચ દ્વારા પીડિત પરિવારની માંગણીની સાથે રહ્યા. તેમને હૂંફ અને સહકાર આપ્યો. સરકારી તંત્રોમાં આવેદન આપવામાં આવ્યા. ગૃહ મંત્રી, ગૃહ સચિવ, સામાજિક અધિકારિતા વિભાગ, શ્રમ આયોગ, પોલીસ કમિશ્નનર, કલેક્ટરને આવેદન આપવામાં આવ્યા છે. અને રૂબરૂ લેબર ઓફિસર અને કંપનીની મુલાકાત પણ લીધી છે. મજૂર અધિકાર મંચ દ્વારા સતત વાટાઘાટો કરી કાયદેસર કાર્યવાહીની માંગણી કરી છે. પ્રથમ એફ.આઇ.આર. નોધવામાં આવી. ત્યાર બાદની માંગણી હતી કે તપાસ અધિકારી ઉપર દેખરેખ માટે પણ એક તપાસનીસ અધિકારીની નિમણૂકની માંગ કરી હતી. તેમાં પણ સફળતાની શક્યતા છે. વળતર માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT)નું નિવેદન આવ્યું છે. સરકારમાંથી SPM (અનશોયા ઝા) આવ્યા હતા. વળતરમાં વધારો કર્યો છે. પણ કેટલો કર્યો તેની જાહેરાત કરી નથી. આ લડત માટે શરૂઆતથી વાદ-વિવાદ થાય નહિ તે માટે કોઈ બૅનર રાખવામા આવ્યું નથી. બધા સાથે રહીને લડત આપવામાં આવી છે. ઝડપથી ન્યાય મળે અને જો પીડિત પરિવારને ન્યાય ન માટે તો 1 ડિસેમ્બર 2020થી આખા ગુજરાતમાં રાજ્ય વ્યાપી આંદોલન કરવામાં આવશે. જવાબદાર અધિકારીની ધરપકડ કે સજા તપાસનીશ અધિકારી(Investigation Officer)ની તપાસ પર આધારિત છે. તપાસના રિપોર્ટ પર વધારે ખ્યાલ આવશે’[lxiii].
વિભાગ-3 :
સ્વૈચ્છિક સંગઠનોની ભૂમિકા :
ગુજરાતમાં અનેક સ્વૈચ્છિક સંગઠનોએ કોરોના મહામારીમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. જેમાં ખાસ કરીને સ્થળાંતરિત શ્રમિકોની સમસ્યા નિવારણ માટે પ્રયાસ સેન્ટર ફોર લેબર રિસર્ચ અને એક્શન (PCLRA), હ્યૂમન ડેવલપમેન્ટ અને રિસર્ચ સેન્ટર, આજીવિકા બ્યૂરો, હેબિટેટ (ગ્યૂમિનિટી) ઇન્ડિયા, સેન્ટર ફોર ડેવલોપમેન્ટ (CFD), સાથ, એક્શન એઇડ, સહયોગ, જન-વિકાસ, માનવ ગરિમા, સિટીઝન એલાઇન્સ ફોર શેલ્ટર (Citizens Alliance for Shelter- CHISHA), ઉદ્યોગ સાહસિકોની સંસ્થાઓ, ઇંટભઠ્ઠા મજૂર યુનિયન, મજૂર અધિકાર મંચ, ગુજરાત દલિત સંગઠન, સૌરાષ્ટ્ર દલિત સંગઠન, બનાસકાંઠા દલિત સંગઠન, દલિત પેંથર, આદિવાસી સર્વાગી વિકાસ સંધ, બામસેફ, જમાતે ઊલેમા હિન્દ અને અન્ય સામાજિક સંગઠનો વગેરે વિપુલ પ્રમાણમાં કામગીરી કરી છે. કોરોના મહામારીમાં સ્થળાંતરિત શ્રમિકો માટે કામ કરતી સંસ્થા અને સંગઠનો જેવા કે હ્યૂમન ડેવલપમેન્ટ અને રિસર્ચ સેન્ટર (HDRC), સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શન (CLRA) અને મજૂર અધિકાર મંચ વગેરે ભૂમિકાની વિગતે ચર્ચા કરવામાં આવી છે.
હ્યૂમન ડેવલપમેન્ટ અને રિસર્ચ સેન્ટર (HDRC) :
હ્યૂમન ડેવલપમેન્ટ અને રિસર્ચ સેન્ટર પહેલાં બિહેવિયર સાઇન્સ સેન્ટર (BSC) નામે ઓળખાતું હતું. બિહેવિયર સાઇન્સ સેન્ટર(BSC)ની શરૂઆત 1977માં થઈ છે. આ સંસ્થા વંચિત, મહિલાઓ, આદિવાસી, શ્રમિકો અને અન્ય પછાત વર્ગોના પ્રશ્નોનાં નિરાકરણ માટે કાર્યરત છે. કોરોના દરમિયાન પણ સંસ્થાએ વંચિત સમુદાયના પ્રશ્નો માટે અસરકારક ભૂમિકા ભજવી છે. ખાસ કરીને સ્થળાંતરિત શ્રમિકો માટે પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવી છે. સંસ્થાના દરેક સભ્યએ શ્રમિકોને ખોરાકની વ્યાવસ્થા, કીટ વિતરણ, આરોગ્યવર્ધક સાધનોની સુવિધા, વાહન વ્યવહાર અને પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. આ સિવાય સ્થળાંતરિત શ્રમિકોની વિવિધ બાબતો જેવી કે લધુતમ વેતન, સલામતીના પ્રશ્નો, બાળકો અને મહિલાના પ્રશ્નો તેમ જ અત્યાચાર વગેરે પર કામ કરે છે.
માનવ વિકાસ અને સંશાધન કેન્દ્રના ડાયરેક્ટર એલીશ મોરીશના મતે કોરોના મહામારી અગાઉ પણ ધરતીકંપમાં, 2002ના રમખાણોમાં, બનાસકાંઠામાં અતિવૃષ્ટિમાં પણ કામ કર્યું છે. અમારા અનુભવો બાદ આપતકાલીન સમસ્યા માટે થોડા પૈસા રાખીએ છીએ. પરંતુ અમારું બજેટ ઓછું હોય છે. સ્થાનિક સંગઠનો દ્વારા મદદની અપીલ આવી. ત્યારબાદ ખાસ કરીને કોરોના દરમિયાન વિધવા, નિરાધાર, મહિલા, વિકલાંગ, બાળકો, અસંગઠિત કામદારો, રોજમદારો વગેરે સ્થિતિ પર કામ કર્યું છે. સ્થાનિક લોકોની માંગણી આધારિત તાત્કાલિક જરૂરિયાતમંદને સહાય પહોંચાડી છે. પ્રાદેશિક વિસ્તાર આધારે રાશન કીટ બનાવવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને શહેરી વિસ્તારની કીટો અલગ અલગ છે. જે કીટોનું વિતરણ સ્થાનિક સ્તરે થયું હતું. સ્થળાંતરિત શ્રમિકો માટે સ્વૈચ્છિક સંગઠન, સંસ્થાઓ, વિધાર્થીઓ અને સેવાભાવી વગેરેએ સાથે મળીને કામ કર્યું છે. તેમનાં સુધી ફૂડ કીટ અને આરોગ્ય સભર વસ્તુઓ પહોચાડી છે[lxiv].
સામાજિક કાર્યકર, હિતેન્દ્રભાઈ રાઠોડના મતે સંસ્થા અને લોક સંગઠન વતી અસંગઠિત શ્રમિકો સાથે સવિશેષ કામગીરી કરી છે. જરૂરિયાતમંદ શ્રમિકોની યાદી બનાવી અલગ-અલગ સંસ્થા પાસે સહયોગ માંગ્યો. ત્યારબાદ જ્યારે સહાય મળી ત્યારે તેને વંચિત અને શ્રમિક સમુદાય સુધી પહોચાડવાની વ્યાવસ્થા કરી છે. જેમાં સ્વૈચ્છિક નાગરિકોની મદદથી કરિયાણાંની કીટ વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શ્રમિકોને પોલીસ દ્વારા ખોટી હેરાનગતિ કરી કસ્ટડીમાં લેવામાં આવતા હતાં. તેમની મદદ કરી પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરાવી અને વતન મોકલ્યા. સાથે-સાથે અનેક શ્રમિકોના બાકી મજૂરીનો હિસાબ કરવાની ચૂકવણી કરાવી હતી. લૉકડાઉનમાં ફસાયેલા શ્રમિકને મદદ કરી વતન જવા માટેની સુવિધા કરી આપી હતી. સરકાર સાથે દરમિયાનગીરી કરી શ્રમિકોને શ્રમિક રેલની સવલત કરી આપી. સામાજિક કર્મશીલ, સંગઠનો, સંસ્થાઓ સાથે સંકલન કરી શ્રમિકોને ભાડાંની વ્યવસ્થા, ખોરાક, પાણી અને રહેઠાણની વ્યવસ્થા કરી આપી હતી. સમગ્ર કોરોના લૉકડાઉનમાં હ્યૂમન ડેવલપમેન્ટ અને રિસર્ચ સેન્ટર થકી સ્થળાંતરિત શ્રમિકોની સમસ્યાના નિરાકરણ માટે અગ્રિમ ભૂમિકા અદા કરી છે. તેમ જ કોરોના લૉકડાઉન બાદ કડિયા નાકામાં મોટી સંખ્યામાં શ્રમિકોને કામ મળી રહ્યું નથી. સવારે આવે પછી કામ ન મળે ઘરે પાછા આવે એવી વિકટ પરિસ્થિતિનો સામનો શ્રમિકો કરી રહ્યા છે. સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાની સહાય શ્રમિકો સુધી પહોંચતી નથી. સહાય માટે ઓનલાઇન સિસ્ટમમાં કરી હોવાથી શ્રમિકો સાથે કામ કરવામાં મુશ્કેલી ઊભી થઈ છે. ઘણીવાર યોજનાના ફોર્મ જમા થતાં નથી અને શ્રમિક કાર્ડ રીન્યૂ થયેલ નથી. આ કાર્ડ મોટી સંખ્યામાં મજૂરોને આપતાં નથી. આજે શ્રમિકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. લૉકડાઉન બાદ પરિસ્થિતિ વધારે વણસી છે[lxv]. અમદાવાદના 16[lxvi] કડિયા નાકા (મજૂર નાકા) ઉપર પણ રસોડા અને ભોજન કાર્યક્રમ કોરોના લૉકડાઉન દરમિયાન કરવામાં આવ્યું હતું. આ સિવાય દીપક સોલંકી, સામાજિક કાર્યકરના મત મુજબ કોરોનાની પરિસ્થિતિ દરમિયાન જાહેર કરેલ સરકારી યોજનાનાં અમલીકરણ વિશે શ્રમિકોમાં જાણકારી નહિવત છે. શ્રમજીવી યોજનામાં રાહત અંતર્ગત 1,000 રૂપિયા શ્રમ વિભાગ દ્વારા આપવામાં આવે છે. આ યોજના બાબતે ધણા બધા લોકો પાસે પૂરતા આધાર પુરાવા નથી. હવે આ યોજના કેટલી કારગર છે તે ખ્યાલ નથી આવતો. સરકાર દ્વારા યોજનાની જાગૃતિ આવે એવી કોશિશ કરવામાં આવતી નથી[lxvii]. સ્થળાંતરિત શ્રમિકોના અધિકારો માટે જાગૃતિ લાવવા પ્રયત્ન કરવો જોઈએ.
સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શન (CLRA) :
અમદાવાદમાં આવેલ સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શન (CLRA) ગુજરાતમાં અસંગઠિત મજૂરોને સંગઠિત કરવાનું કાર્ય કરે છે. વર્ષ 1979 સ્થપાયેલ પ્રયાસ સંસ્થા દ્વારા આ સેન્ટર સ્થાપનામાં સહયોગ કરવામાં આવ્યો હતો. આ સેન્ટરની મુખ્ય રણનીતિ જોઇએ તો, સંગઠનનું નિર્માણ કરવાનું, મજૂરોના કાર્યક્ષેત્ર અને મુખ્ય વતન સ્થળ-બંને જગ્યાએ કામ કરવાનું, મજૂરોના વતનના સ્થળે અપૂરતી જરૂરિયાત પૂરી કરવા કાર્ય કરવું, રાજ્ય સરકારની કાયદાઓની અમલવારી કરવા લોકપેરવી કરવી, નિરંતર શ્રમિકો સાથે કામ કરવું. સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શન(CLRA)નાં મતે ગુજરાતમાં ઈંટનાં ભઠ્ઠામાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અન ગુજરાતમાંથી લગભગ 2 લાખ શ્રમિક પરિવાર કામ કરવા આવે છે. અમદાવાદ અને સુરતમાં બાંધકામ ક્ષેત્રમાં કામ કરતાં શ્રમિકોની સંખ્યા લગભગ 2 લાખ છે. ગુજરાતમાં ખેતીકામ કરતાં શ્રમિકો જેવા કે ઉત્તર ગુજરાતમાં કપાસ બીજ ફાર્મમાં દર વર્ષે આદિવાસી વિસ્તારથી લગભગ 2 લાખ શ્રમિકો કામ કરવાં આવે છે. આદિવાસી પૂર્વ પટ્ટીમાંથી ભાગીય શ્રમિકો ગુજરાતનાં મેદાન વિસ્તારમાં ખેતમજૂરી કરે છે. મધ્ય ગુજરાતની કોટન ઝીનિંગ કંપનીઓમાં રાજસ્થાન, બિહાર અને ગુજરાતમાંથી લગભગ 20,000 શ્રમિક કામ કરે છે[lxviii]. આ સેન્ટર મજૂરો સંધ જેવા કે મજૂર અધિકાર મંચ અને અન્ય મજૂર સંઘોનાં નેજા હેઠળ શ્રમિકોને સંગઠિત કરવામાં સફળ રહ્યાં છે. શ્રમિકો વેતન વધારવા હડતાળ કરી વેતનમાં વૃદ્ધિ કરાવી છે. શ્રમિકો શોષણ પણ અંશત પ્રમાણમાં ઓછું કરાવ્યું છે. ઈંટનાં ભઠ્ઠામાં વર્ષ 2010માં લગભગ 50,000 હજાર શ્રમિકોએ હડતાળ કરી હતી. વેતન વધારો કરવામાં સફળ રહ્યા હતા.
કોરોના લૉકડાઉન દરમિયાન સંસ્થા સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શન(CLRA)એ સિટીઝન એલાયન્સ ફોર શેલ્ટર (Citizens Alliance for shelter- CISHA) સાથે સંકલન કરી જરૂરિયાતમંદ અસંગઠિત કામદારોને રાહત કાર્ય કર્યું છે. ખાસ કરીને ખોરાક, રહેઠાણ, બસ સેવા, અને બાકી પગારની ચૂકવણી કરાવી પોતાના વતન મોકલ્યા હતાં. સંસ્થા સી.એલ.આર.એ. દ્વારા ખાસ કરીને રાજસ્થાનમાં ઉદેપુર અને અજમેર, અને ગુજરાતમાં સુરત, દાહોદ અને કડીમાં કામ કર્યું છે. આ સિવાય સરકાર દ્વારા જાહેર કરેલ સસ્તા અનાજની દુકાનમાં રાશન વિતરણ યોગ્ય રીતે અમલવારી માટે દેખરેખ ટીમ તૈયાર કરી હતી. ગુજરાતમાં અસંગઠિત અને સ્થળાંતરિત શ્રમિકોના પ્રશ્નો માટે પ્રયાસ, સી.એલ.આર.એ., મજૂર અધિકાર મંચ અને આઇ.બી.એમ.યુ. (ઈંટ ભઠ્ઠા મજૂર યુનિયન- IBMU) વગેરે સંકલન કરીને એક નેટવર્ક બનાવ્યું જે સ્થળાંતરિત શ્રમિકોના પ્રશ્ને કોરોના મહામારીમાં કામ કરે છે. આ નેટવર્ક દ્વારા સુરતના હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, સાલ-કામ ઉદ્યોગ અને ભારત કામમાં જોડાયેલા લાખો શ્રમિકો માટે પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવાની કોશિશ કરી છે. ફક્ત સુરતમાં સ્થળાંતરિત શ્રમિકો 12 લાખ અને 5 લાખ ઈંટ ભઠ્ઠામાં તેમ જ સુગર ફેકટરીમાં જોડાયેલા શ્રમિકો માટે વતન જવા માટે વાહન વ્યવહારની સુવિધા કરી આપવા સંકલન કર્યું છે. આ કાર્ય લોક-સંગઠન સહયોગ વિના અશક્ય હોત (CLRA, Covid-19 Impact and Intervention Report). જેમાં મજૂર અધિકાર મંચનો વિશેષ ફાળો આપ્યો છે. કોરોના મહામારીમાં કામ કરતાં મજૂર અધિકાર મંચની કામગીરી અને અનુભવોની વિગતે સમજ મેળવીએ.
મજૂર અધિકાર મંચની ભૂમિકા :
શ્રમિક અધિકાર મંચની સ્થાપના 2007થી કરવામાં આવી છે. ગુજરાતમાં કામ કરતાં અસંગઠિત મજૂરોનું આ સંગઠન છે. બાંધકામના મજૂરો, ખેતીના શ્રમિકો અને અન્ય અસંગઠિત શ્રમિકો માટે લઘુતમ વેતન, પગારધારા (ચુકવણી) અને અત્યાચાર વગેરે જેવા પ્રશ્નો માટે કાર્ય કરે છે. આ સિવાય સરકાર તરફથી મળતી સેવાઓ/યોજનાઓ શ્રમિકો સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે. શ્રમિક અધિકાર મંચ એક સંગઠનરૂપે મજૂરોનો અવાજ છે. આ સંગઠન મુખ્ય મુદ્દાઓ પર કામ કરે છે :
1. અકસ્માત સમય વળતર અંગે કાનૂની મદદ,
2. મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તેમ જ અન્ય શ્રમિક યોજનાઓનો ચુસ્તપણે લાભાર્થીઓને લાભ મળે,
3. મજૂરોએ કરેલી કામની મજૂરી ચૂકવાઈ ના હોય તેવા કિસ્સામાં કાનૂની મદદ,
4. અસંગઠિત ક્ષેત્રના મજૂરોમાં આરોગ્ય બાબતે,
5. પાણી, રહેઠાણ અને આંગણવાડી જેવી પ્રાથમિક સુવિધાઓ બાબત,
6. તંત્ર દ્વારા થતી હેરાનગતિ,
7. રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા ઓળખના પ્રશ્ને,
8. જાતીય શોષણના પ્રશ્ને,
9. મજૂરોને આરોગ્ય વિમાનો લાભ મળે તે માટે,
10. મજૂરોને પેન્શનનો લાભ મળે તે માટે,
11. મહિલા સુરક્ષા અને અધિકાર માટે,
12. બાલ અધિકાર વગેરે પ્રશ્નો ઉપર કામ કરે છે.
શ્રમિક અધિકાર સંગઠન અનેક કાર્યો કરે છે જેવાં કે
-
- મજૂરોની એકતા કરવી,
- સરકારની વિવિધ યોજનાઓ અને કાનૂન અંગેની જાગૃતિ ઊભી કરવી,
- લોક નેતૃત્વ ઊભું કરવું,
- સરકાર, સમુદાય અને સંગઠનો સાથે સંકલન કરવું,
- સબંધિત વિભાગો અને વિવિધ હિતધારકોમાં લેખિત રજૂઆત કરવી,
- જાહેર હિત અંગેની અરજી કરવી,
- માહિતી એકત્રીકરણ અને સંશોધનાત્મક અભ્યાસ કરવા વગેરે.
- શ્રમિકો માટે સંવેદનશીલ કોઈપણ વ્યક્તિ સંગઠનમાં જોડાઇ શકે છે[lxix].
હીરાભાઈ સોલંકીના મતે “શ્રમિક અધિકાર મંચ સાથે જોડાયેલ છું. મજૂરોમાં વધારે જાગૃત્તતા લાવવા અમારું સંગઠન કામ કરી રહ્યું છે. આખા ગુજરાતમાં કામ કરે છે. ખાસ કરીને સુરત, અમદાવાદ, વડોદરા અને દાહોદ કેન્દ્રસ્થાને છે. બીજા અન્ય શહેરોમાં પણ કામ કરે છે. અમારા સંગઠનમાં અનેક લોકો જોડાઈને શ્રમિકો સાથે કામ કરે છે. મુખ્ય મજૂરોની શી પરિસ્થિતિ છે તેની ગંભીરતાથી નોંધ લઈને સરકાર સામે રજૂઆત કરીએ છીએ. શ્રમિક અધિકાર મંચ દ્વારા કોરોનાકાળમાં તાત્કાલિક મદદ માટે ફૂડ કીટની વહેચણી કરવામાં આવી હતી. જે શ્રમિક વિસ્તારોમાં કીટો આપી અને કોઈ બીમાર હોઈ તો વ્યવસ્થા કરી છે. લૉકડાઉનમાં સતત બે મહિના ખૂબ જ મોટા પાયે કામ કર્યું છે. શ્રમિક સુધી પહોચીને મજૂરોને અનાજની જરૂરિયાતનું ધ્યાન રાખીને સત્વરે ફૂડ કીટ પહોચાડી છે”[lxx].
શ્રમિક અધિકાર મંચના સામાજિક કાર્યકર ગોવાભાઈ રાઠોડ કહે છે કે “સાચું કહું તો લૉકડાઉન આવ્યું ત્યારે એક પ્રકારનું ટેન્શન આવી ગયું. લૉકડાઉનમાં સૌથી વધારે અસર મજૂરોને થવાની છે. અચાનક લૉકડાઉન કરી નાખ્યું એટલે એ લોકો અસહાય થઈ ગયાં. તેમને ખબર ન હતી કે હવે શું કરીશું. લૉકડાઉનના પ્રથમ અઠવાડિયે જ હું ખેડબ્રહ્માના મામલતદારને મળ્યો. ત્યારબાદ મને એક મુસાફરી માટેનો પાસ બનાવી આપવા અપીલ કરી. મેં કહ્યું મારે દાહોદ જવું છે. મામલતદારે કહ્યું ‘તારે ત્યાં શા માટે જવું છે’. મે કહ્યું કે ‘હું શ્રમિકો સાથે કામ કરું છે. આવી પરિસ્થિતિમાં હું ત્યાં હોઉં તો તેમની વધારે મદદ કરી શકીશ’. તેમણે મને ત્યાં સુધીની પરમીશન આપી અને ફોટાવાળો પાસ બનાવીને આપ્યો. બાઇક લઈને ખેડબ્રહ્માથી દાહોદ ગયો. શરૂઆતમાં સતત 14 દિવસ કામ કર્યું. જ્યારે 15 દિવસ બાદ ફિલ્ડમાંથી ઘરે જવાની હિમત કરી. બે-ત્રણ જિલ્લામાં ફરી સાબરકાંઠા પહોચ્યો ત્યારે ત્યાં કોરન્ટાઇન કરી દીધો. ત્યાં 14 દિવસ સુધી ઘરે જ રહેવું પડ્યું. તે દિવસો દરમિયાન ઘરવાળા સાથે રહેવામાં જોખમ તો હતું જ. શરૂઆતના દિવસોમાં કોરન્ટાઇન કર્યો ત્યારે ઘરના પણ ડરતા હતા. ઘરની બાજુવાળા પણ બોલાવે નહિ. કોરોનાએ એક પ્રકારના અનટચેબલ બનાવી દીધા હતા. માનસિક મજબૂત હતો એટલે કંઈ બીમારી થઈ ન હતી. સામેવાળા લોકોનું વર્તન આપણાં માટે બદલી ગયું હતું. કોઈ આપણાં ઘરે આવે નહિ. આપણે કોઈના ઘરે જવાનું નહિ. હું બીજા માળે રહું એટલે નીચે પણ ઉતરવાનું નહિ. કોરોના મજૂરોને થયો હોય તેમ લાગતું નથી. પરંતુ તેમણે કોરોનાના કારણે હેરાન સૌથી વધારે થયા છે. મને હજુ પણ એવું લાગે છે કે કે લૉકડાઉન કરતાં પહેલા માત્ર 8 દિવસની મજૂરોને પોતાના વતન જવાની છૂટ આપી હોત. તો શ્રમિકો પોતપોતાનાં ઘરે જતાં રહ્યા હોત. તો કદાચ આ શ્રમિકો પરેશાન થયા ન હોત અને શ્રમિક લોકોના અકસ્માત થયા ન હોત. વ્યક્તિગત રીતે મને એવું લાગે છે. અમે મજૂરોના મુદ્દે ધણુ કામ કર્યું છે. મજૂરોની સમસ્યા છે એ આખા દેશમાં અને દુનિયામાં ઉજાગર થઈ છે”[lxxi].
ગોવિંદભાઇ રાઠોડ, સામાજિક કાર્યકરના મતે મજૂર અધિકાર મંચ દ્વારા કોરોના લૉકડાઉન દરમિયાન GIDS ચાંગોદર ખાતે કામ કરતી લીમખેડાની 36 છોકરીને રેસ્ક્યુ કરી પોતાનાં વતન મોકલી હતી. તેઓ ચોકલેટ કંપનીમાં કામ કરતા હતાં. લૉકડાઉનના લીધે છોકરીઓ ત્યાં સ્થગિત થઈ. આખી કંપનીના માત્ર એક ઇનચાર્જ હતા. તેમનાં મમ્મી-પપ્પાએ અમારો સંપર્ક કર્યો. અમે છોકરીઓ માટે રાશન કીટ મોકલાવી. અમે ત્યાંના Dy.SP અને SP સાથે વાત કરી. ત્યારબાદ બીજે દિવસે અમે તે છોકરીને વાહન કરાવીને તેમના વતન મોકલી. આવું કામ મજૂર અધિકાર મંચે જામનગર જિલ્લામાં કર્યું છે. જામનગર શહેરમાં ઝારખંડના 6 છોકરાઓ કામ કરતા હતા. તેમણે ઘરે જાવું હતું. પરંતુ કોઈ વાહન વ્યવસ્થા હતી નહિ. લૉકડાઉનના કારણે પૈસા વપરાઇ ગયાં હતા. ભાડાંના પણ પૈસા હતાં નહિ. તેથી જામનગરથી અમદાવાદ આવવા માટેની રકમના પૈસા ઓનલાઇન મોકલ્યા. ત્યારબાદ તેમણે શ્રમિક રેલમાં તેમનાં વતન મોકલી દીધા. તે શ્રમિકો રડતાં રડતાં ગયા. તેઓ કહેતાં ગુજરાતમાં આખું વર્ષ કામ કર્યું. જે પૈસા જમા કર્યા હતાં તે લૉકડાઉન દરમિયાન ખર્ચ થઈ ગયાં. જ્યારે શ્રમિક શક્તિમાં મંજૂરી મળી ત્યારે 6 મજૂરોને પોતાના ઘરે મોકલ્યા. અન્ય બનાવ અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારનો છે. શ્રમિકો ભાડાના મકાનમાં રહેતા હતાં. તેમના પગારના પૈસા ભાડું આપવામાં જતા રહ્યાં. તેમણે માનસિક રીતે બહુ જ દબાણ હતું. તેઓ કહેતા કે ‘અમે ઘરે શું પૈસા લઈને જઈશું’. ત્યારબાદ શ્રમિક ટ્રેનમાં વતન મોકલ્યા હતાં. આવા પ્રકારના અસંખ્ય પ્રકારના બનાવ બન્યા છે[lxxii].
હીરાભાઈ સોલંકીના મતે ગુજરાતમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહારનાં સ્થળાંતરિત શ્રમિકો છે. જે લૉકડાઉન દરમિયાન ચાલતા કે બસમાં પોતાના વતન જતાં રહ્યાં. કોરોના લૉકડાઉન બાદ કડિયાનાકા પર અત્યારે સ્થાનિક શ્રમિકો વધારે છે. જે ખાસ કરીને દાહોદ, ગોધરા, પંચમહાલ, હાલોલ-કાલોલનાં એ શ્રમિકો વધારે દેખાય છે. લૉકડાઉન પહેલાં 350થી 400 મજૂરી મળતી હતી. અત્યારે લોકોને મજૂરી પૂરી મળતી નથી અને કામ જ નથી મળતું. મજૂરીએ કોઈને તો લઈ જવા પડે ને. તેમના મતે લૉકડાઉન બાદ મજૂરોની પરિસ્થિતિ વધારે ખરાબ છે. જે મહેનતાણું એમને મળતું નથી. રોકડિયા શ્રમિક કડિયા નાકે બપોર સુધી બેસતા હોય છે પણ તેમને રોજગારી મળતી નથી. શ્રમિકો રોજ લાવીને રોજ ખાવાવાળા છે. મોટો પ્રશ્ન ખાવાનો છે. સામાન્ય રીતે ઘરમાં 5-6 સભ્યોથી વધારે લોકો હોય છે. જો તે કમાય નહિ તો સાંજે તેનો ચૂલો સળગતો હોતો નથી. તે મોટી તકલીફ હોય છે. સવારે કડિયાનાકે મજૂરી માટે આવે ત્યારે મોતનો ડર હોય છે કે સાંજે હું શું લઈને જઇશ. આજે મોઘવારીમાં તેલનાં ભાવ આસમાને છે. શાકભાજી પણ બહુ મોંઘી મળતી હોય છે. 100-200 રૂપિયાનું મજૂરીનું કોઈ નામ જ નથી. મજૂરોમાં શિક્ષણના અભાવના કારણે યોગ્ય નોકરી મળતી નથી. બાળકોનું શિક્ષણ પણ અંધકારમય હોય છે. જ્યારે શ્રમિકો જ બાંધકામ અને રંગકામથી શહેરોને ચમકાવે છે. કોઈ માલિક મજૂરીકામ કરતું નથી. મારે મન મજૂરોને સર્વોપરી માન-સન્માન મળવું જોઇએ. પ્રાથમિક સુવિધા તેમના પરિવાર માટે કરવી જોઇએ[lxxiii].
ગુજરાતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 10 રૂપિયામાં ભોજન વિતરણ કાઉન્ટર લગાવવામાં આવે છે. પરંતુ ભોજનની ગુણવતા નહિવત હોય છે. આ સિવાય મજૂરોને ખોરાકની ટેવ આધારિત ભોજન હોતું નથી. ક્ષેત્રકાર્યની નોંધ મુજબ અન્નપૂર્ણા ભોજન વિતરણની કાઉન્ટર પણ કોઈ શ્રમિકો ભીડ જોવા મળતી નહતી. આ કાઉન્ટર પર કુલ કામ ત્રણ લોકો કરે છે. ઓછા પગારમાં કામ કરે છે. અન્નપૂર્ણા ભોજન વિતરણની કાઉન્ટરના વિતરક સાથે વાત કરી. ત્યારે જાણવા મળ્યું કે કોરોનાના લીધે લગભગ 30 શ્રમિક લોકો જ ભોજન લે છે. તે પણ નોંધાયેલા શ્રમિકો છે. તેમને શ્રમિક કાર્ડ આપવામાં આવે છે. કાર્ડ વગરના શ્રમિકને ભોજન આપવામાં આવતું નથી. શ્રમિકોની સંખ્યા કડિયા નાકે વધારે સંખ્યા હોવા છતાં ભોજન લેવા આવતાં નથી. દીપક સોલંકી, સામાજિક કાર્યકરના કહેવા મુજબ અમુક પ્રવાસી મજૂર ભોજનનો લાભ લે છે. અહી તેમના સાંસ્કૃતિક ખોરાક પણ નથી મળતો. અમદાવાદનો ખોરાક જુદો છે. આદિવાસી વિસ્તારનો ખોરાક જુદો છે. સાંસ્કૃતિક ખોરાક (Cultural Food) આપતા નથી. ખોરાક વિશે હીરાભાઈ રાઠોડના મત મુજબ “વધારે મકાઇનો રોટલો બનાવે અને પોતે બનાવેલ ભોજન લે છે. અહિયાં તીખું ભોજન નથી મળતું. જે કસ જોતો હોય એ કસ મજૂરોને નથી મળતો. સિવિલ હોસ્પિટલમાં આપતાં હોય એવું ભોજન આપતાં હોય એવું લાગતું હોય છે. તીખું મરચુંવાળું કડક ભોજન જોતું હોય છે. ડુંગળી, લસણ વાળું ભોજન હોય છે. એટલે એ લોકો નથી જમતાં હોતાં. બીજું, ભોજન વિશે કહીએ તો, રાત્રે 10 વાગે રોટલી બનાવે છે અને બીજા દિવસે 1-2 વાગે જમે તો એ રોટલી વાસી થઈ ગઈ હોય છે. બે હાથે તોડતા હોય તો પણ નથી તૂટતી જેમ કે તેમાં ચિંગમ ચોટાડેલ હોય તેમ. એ લોકો તો તાજો મકાઇનો રોટલો બનાવી ને ખાવાવાળા છે. રોટી બનાવીને ખાવાવાળા છે. તે ‘રોટો’ કહે છે તે મરચું અને રોટો ખાવા વાળા છે. આ ભોજન એ લોકો નથી લેતા હોતાં”[lxxiv]. આ પ્રશ્ન શ્રમિકો જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાંથી આવતા હોવાથી ખોરાકની રુચિ અને ટેવ અલગ હોય છે. શ્રમિકોને આપવામાં આવતું ભોજન અનુકૂળ આવતું નથી. મજૂરોને સર્વસામાન્ય ખોરાક ટેવો આધારિત ભોજન આપવું જોઇએ.
મજૂર અધિકાર મંચના સામાજિક કાર્યકર હિતેન્દ્રભાઈ રાઠોડના મતે વર્તમાન સમયમાં સરકાર દ્વારા નવા મજૂર કાયદા ધડવામાં આવ્યાં છે. તેના વિશે બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઉપક્રમે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ મજૂર કાયદાના સુધારાના લીધે મજૂર અદાલતો બંધ જવાના આરે આવી જશે તેના બદલે સરકાર પોતાના ફેસિલેટરની નિમણૂક કરશે. તે કાયદા કોન્ટ્રાક્ટ પ્રથાને કાયદેસરતા આપી દીધી છે. શ્રમિકોનો હડતાળનો અધિકાર છીનવી લીધો છે. શ્રમિકોનું લધુત્તમ વેતન સરકાર નહિ પણ જે-તે માલિક નક્કી કરશે. કામના કલાકો માલિકો કે કોન્ટ્રાક્ટ નક્કી કરશે. કાયમી નોકરીની જોગવાઈ નાબૂદ કરી છે. 300થી ઓછા મજૂરો હોય તો તેમને કાઢવા પર સરકારની મંજૂરીની જરૂર નથી. 40થી ઓછા મજૂર હોય તો કોન્ટ્રાક્ટ કોઈ રજિસ્ટેશનની જરૂર નથી. શ્રમિકોને એડવાન્સ આપવાની પ્રથાને પહેલા ગુનો હતો. પરંતુ અત્યારે માન્યતા આપવામાં આવી. ગુજરાત સરકાર બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડનું ફંડ સરકારે મજૂર સિવાયના અન્ય કાર્ય માટે ઉપયોગ કર્યો. એક સંસ્થા દ્વારા તેના PIL કરવામાં આવી છે. શ્રમયોગી બોર્ડનું ફંડ આત્મનિર્ભર યોજનામાં વાપરવાનો નિર્ણય કર્યો. આ સિવાય 2006ના મજૂર કાયદા અન્વયે બાંધકામ શ્રમિક બોર્ડ બન્યું હતું તેની યોજનાઓ અને હેતુઓ સારા છે. પરંતુ અમલીકરણ અનેક મુશ્કેલી ઊભી થતી હતી. કાયદાના લીધે જે બોર્ડ બન્યું હતું એ કાયદો જ રદ કરવામાં આવ્યો હોય તો બોર્ડ જીવિત રહેશે કે નહિ તે પ્રશ્ન સમાન છે. ગુજરાતના તમામ મજૂરો ભેગા થઈને બોર્ડને બચાવવા પ્રયત્ન કરે. શ્રમિક બોર્ડ બચવાની શક્યતા નહિવત દેખાય છે. આમ આવા અનેક નવા કાયદાના સુધારા નામે શ્રમિકના અધિકારો છીનવવા માટેની વ્યૂહરચના બનાવવામાં આવી છે[lxxv].
ઉપસંહાર :
કોવિડ-19 મહામારીએ સમગ્ર દેશમાં દરેક નાગરિક સામે આરોગ્યના પ્રશ્નો ઊભા થાય. આરોગ્યની કટોકટી વચ્ચે સ્થળાંતરિત શ્રમિકોની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ. તાત્કાલિક પગલાંની જરૂરિયાત ઊભી થઈ. જેમાં સામાજિક સંગઠનો અને સંસ્થાઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. શ્રમિકોને પ્રાથમિક જરૂરિયાત જેવી કે ભોજન, પાણી અને રહેઠાણ ઉપલબ્ધ કરાવવા મદદરૂપ થયા છે. કોરોના લૉકડાઉનમાં અને લૉકડાઉન બાદ શ્રમિકો માટે અનેક જરૂરિયાતો જેવી કે મુક્ત આરોગ્યની સેવાઓ, અવર-જવરની સેવાઓ, ગૌરવપૂર્ણ વ્યવહાર, કાનૂની સેવાઓ, ન્યાય અને અન્ય માંગણીઓ સંતોષવા માટે રાજય સરકાર દ્વારા માળખું ઊભું કરવું જોઇએ. સ્થળાંતર શ્રમિકોના આર્થિક પ્રશ્નો બાબતે અનૂપ ખન્નાના મતે કોરોના મહામારીમાં વર્તમાન અર્થતંત્ર વચ્ચે લોકો કેવી રીતે નિર્વાહ કરે છે. તેના માટે સરકાર દ્વારા સ્થળાંતર, આર્થિક અને આરોગ્ય વિશે નક્કર પગલાં ભરવા જોઈએ. ખાસ કરીને રાષ્ટ્રીય સ્થળાંતર પોલિસી વિષે પુન:વિચાર કરવાની જરૂર છે. ખોરાકની અસુરક્ષા(Food Insecurity)ના નિરાકરણ માટે ખોરાક વ્યવસ્થા(Food Systems)નું સશક્ત માળખું ઊભી કરવું જોઈએ (Khanna, 2020: 190). શ્રમિકોની સમસ્યા બાબતે ભગત, રેશ્મી, સાહૂ અને રોયના મતે શહેરોમાં સ્થળાંતરિત શ્રમિકો માટે આરોગ્ય સેવા અને સામાજિક સુરક્ષાના કાર્યક્રમ ખુલ્લા મૂકવા જોઈએ. શહેરી સમાજમાં સામાજિક સમાવેશની ઉણપના લીધે શ્રમિકોને લાભ મળતો નથી. આ સિવાય ચૂંટણી દરમિયાન મત આપવાનો રાજકીય અધિકાર પણ મળતો નથી (Bhagat, R.S., Sahoo & Roy, 2020: 3). આ સિવાય હીરાભાઈ સોલંકી, શ્રમિક કાર્યકરના મતે શ્રમિકો ઈમાનદારીથી કામ કરે છે. શ્રમિકો પોતાની મજૂરીનાં પૈસાથી જ સંતોષ માનતાં હોય છે. કોરોના મહામારીમાં સરકારે વારંવાર ‘શ્રમિક નાકા’ની મુલાકાત લઈને સરવે કરવો જોઇએ. કોરોના દરમિયાન મજૂરોની શું પરિસ્થિતિ છે તેની જાણ થાય. તેઓ કેવી પરિસ્થિતિમાં કામ કરે છે તે જાણ સમાજને અને સરકારને થાય. જેના થકી નક્કર આયોજન વિશે સરકારે વિચારવું જોઈએ[lxxvi]. કોરોના મહામારીમાં સ્થળાંતરિત શ્રમિકોના અનુભવો, સામાજિક સંસ્થા અને સામાજિક સંગઠનોની ભૂમિકા મહત્ત્વની રહી છે. શ્રમિકોના બંધારણીય અધિકારોનું હનન ન થાય તે અર્થે પુન: વિચાર કરી સમાજ અને રાજ્ય પોતાના જવાબદારીનો સ્વીકાર કરવો જોઇએ.
[રિસર્ચ એસોસિયેટ, હ્યૂમન ડેવલપમેન્ટ અને રિસર્ચ સેન્ટર, સેંટ ઝેવિયર કોલેજ કેમ્પસ, અમદાવાદ 380 009]
e.mail : rajesh.cug@gmail.com
પ્રગટ : “માધુકરી”, વર્ષ -6, અંક – 1; જૂન 2021; પૃ. 39-61
————————
[i] મુલાકાત (Interview) ગોવાભાઇ રાઠોડ, સામાજિક કાર્યકર, મજૂર અધિકાર મંચ, તા. 3 નવેમ્બર 2020, નવા વાડજ.
[ii] અખબાર નગર શ્રમિક નાકાની મુલાકાત, તા. 21 જુલાઇ 2020નાં ક્ષેત્રકાર્ય દરમિયાન અમદાવાદ.
[iii] Aljazeera News Paper, 30 March 2020, India: https://www.aljazeera.com/news/2020/03/migrants-india-sprayed-disinfectant-fight-coronavirus-200330135052425.html?xif=%20access%20Date%203-4-2020 Access Date 4 April 2020.
[iv] સમાચાર 8 મે 2020ના રોજ જી.એસ.ટી.વી. અને વી.ટી.વી. દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા.
[v] સંદેશ, 4 એપ્રિલ 2020, પાનાં. 11.
[vi] દિવ્ય ભાસ્કર, 30 માર્ચ, 2020, પાનાં. 4.
[vii] ગુજરાત સમાચાર, 4 મે 2020, પાનાં. 2.
[viii] ગુજરાત સમાચાર, 4 મે 2020, પાનાં. 2.
[ix] સંદેશ, 30 માર્ચ 2020, પાનાં. 2.
[x] વર્ધાજી માનજી રાજપૂત, દૂધવા ગામ, થરાદ તાલુકો, બનાસકાંઠા.
[xi] ગુજરાત સમાચાર ન્યુઝ પેપર, અમદાવાદ આવૃતિ, તાં. 3 એપ્રિલ 2020, પાનાં. 4.
[xii] દિવ્ય ભાસ્કર, 29 માર્ચ, 2020, પાનાં. 14
[xiii] ગુજરાત સમાચાર, 20 માર્ચ 2020, પાનાં. 2.
[xiv] દિવ્ય ભાસ્કર, 1 એપ્રિલ 2020, અમદાવાદ.
[xv] 30 માર્ચ 2020, ટીવી 9 ન્યુઝ, https://tv9gujarati.in/surat-amid-lockdown-miscreants-attack-police-at-vadod-village-near-pandesara-surat-police-ane-loko-vache-gharshan-police-e-hava-ma-karyu-firing/ Access Date 4 એપ્રિલ 2020.
[xvi] મુલાકાત મનોજ કુમાર યાદવ, 21 વર્ષ, સ્થળાંતરીત શ્રમિક, મૂળ વતન બગ્ઝોપા, મધુબન, દેયોઘર જિલ્લા, ઝારખંડ, મુલાકાત સમય: 14 જૂન 2020ને સવારે 11 વાગ્યેની આજુબાજુ, સ્થળ: જીવરાજ પાર્ક, અમદાવાદ.
[xvii] મુલાકાત પપ્પુ કુમાર સિંગ, 22 વર્ષ, સ્થળાંતરીત શ્રમિક, મૂળ વતન મહદેવા, રોહતાસ, નરસીરગંજ જિલ્લા, બિહાર, મુલાકાત સમય: 14 જૂન 2020, સ્થળ: જીવરાજ પાર્ક, અમદાવાદ.
[xviii] કુંદન કુમાર કુમાર રાવ, 26 વર્ષ ઉમર, મુ. અને પોસ્ટ ટોળા નિમિયાતંદ, દેયોઘર જિલ્લો, ઝારખંડ, મુલાકાત સમય: 14 જૂન 2020, સ્થળ: જીવરાજ પાર્ક, અમદાવાદ.
[xix] મુલાકાત ભુદેવ યાદવ, 22 વર્ષ, સ્થળાંતરીત શ્રમિક, મૂળ વતન બગ્ઝોપા, મધુબન, દેયોઘર જિલ્લો, ઝારખંડ, મુલાકાત સમય: 14 જૂન 2020, સ્થળ: જીવરાજ પાર્ક, અમદાવાદ.
[xx] મુલાકાત સંજય માંઝી, 21 વર્ષ, સ્થળાંતરીત શ્રમિક, મૂળ વતન નાકલી અમજોરા, લાખોરિયા, સરવા, દેયોઘર જિલ્લા, ઝારખંડ, મુલાકાત સમય: 14 જૂન 2020, સ્થળ: જીવરાજ પાર્ક, અમદાવાદ.
[xxi] મુલાકાત મનોજ કુમાર યાદવ, 21 વર્ષ, સ્થળાંતરીત શ્રમિક, મૂળ વતન બગ્ઝોપા, મધુબન, દેયોઘર જિલ્લા, ઝારખંડ, મુલાકાત સમય: 14 જૂન 2020ને સવારે 11 વાગ્યેની આજુબાજુ, સ્થળ: જીવરાજ પાર્ક, અમદાવાદ.
[xxii] મુલાકાત મનોજ કુમાર યાદવ, 21 વર્ષ, સ્થળાંતરીત શ્રમિક, મૂળ વતન બગ્ઝોપા, મધુબન, દેયોઘર જિલ્લા, ઝારખંડ, મુલાકાત સમય: 14 જૂન 2020ને સવારે 11 વાગ્યેની આજુબાજુ, સ્થળ: જીવરાજ પાર્ક, અમદાવાદ.
[xxiii] મુલાકાત મનોજ કુમાર યાદવ, 21 વર્ષ, સ્થળાંતરીત શ્રમિક, મૂળ વતન બગ્ઝોપા, મધુબન, દેયોઘર જિલ્લા, ઝારખંડ, મુલાકાત સમય: 14 જૂન 2020ને સવારે 11 વાગ્યેની આજુબાજુ, સ્થળ: જીવરાજ પાર્ક, અમદાવાદ.
[xxiv] તા. 12-06-2020નો પરિપત્ર, મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રીટ કચેરી, ચોટીલા
[xxv] તા. 12-06-2020નો પરિપત્ર, મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રીટ કચેરી, ચોટીલા
[xxvi] સંદેશ, 5 નવેમ્બર 2020, પાનાં. 2.
[xxvii] મૃતકોના નામ 1. કલુવા બુન્દુ (41), 2. યુનુસભાઈ મલેક (52), 3. જેકલીન ક્રિશ્વિયન (17), 4, રાગિણી ક્રિશ્વિયન (50), 5. રામરામ દેવાશી (26), 6. નઝમુંન્નિશા શેખ, 7. મુસ્તુફા સૈયદ, 8. મથુરભાઇ ચાવડા, 9. નીતિનભાઈ પરમારમ 10. રંજનબેન ગેડીયા, 11. હેતેશ પરમાર, 12. એન્જલીના ચાવડા. જેમાં 7 પુરુષ અને 5 મહિલાના મોત થયા.
[xxviii] ઇજાગ્રસ્તોના નામો 1. શાંતિબેન કહારી (50), 2. હેતલબેન પ્રજાપતિ (18), 3. શમશાદ મન્સૂરી, 4. રિઝવાના શેખ (16), 5. અશ્વિન પંચાલ (42), 6. નરેશ સોલંકી, 7. રોહણ ચૌહાણ (18), 8. સુબ્રમણિયમ ક્રિશ્નમુર્તિ (47), 9. સુરેન્દ્ર ચૌહાણ (62)
[xxix] સંદેશ, 5 નવેમ્બર 2020, પાનાં. 14.
[xxx] ગુજરાત સમાચાર, 5 નવેમ્બર 2020, પાનાં. 1
[xxxi] સંદેશ, 8 નવેમ્બર 2020, પાનાં. 2.
[xxxii] સંદેશ, 6 નવેમ્બર 2020, પાનાં 2.
[xxxiii] ગુજરાત સમાચાર, 6 નવેમ્બર 2020, પાનાં. 2.
[xxxiv] ગુજરાત સમાચાર, 5 નવેમ્બર 2020, પાનાં. 16
[xxxv] જેમાં 1. શાહ વેર હાઉસ, 2. સુંદરકુમાર એમ. અગ્રવાલ, આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, 3. સુભાષ અગ્રવાલ, શ્રી શ્યામ ગ્લોબલ, 4, પંકજભાઈ જૈન શ્રી શક્તિની બાજુમાં, 5. ગાયત્રી માર્કેટિંગ, અને 6. ઓમકાર કેમિકલ વગેરેને સીલ કરવામાં આવી હતી.
[xxxvi] દિવ્ય ભાસ્કર, 7 નવેમ્બર 2020, પાનાં. 2.
[xxxvii] જેમાં સુરેશ વેર હાઉસ, બાલાજી એન્ટરપ્રાઇઝ, પ્રેમલ વી. શાહ (47 કેલિકોનગર), પ્રેમલ વી. શાહ (નં 54-55, કેલોકો નગર), સંજયકુમાર વી. ગર્ગ, સતિષ ભાઈ પટેલ વગેરેના ગોડાઉન હતા.
[xxxviii] દિવ્ય ભાસ્કર, 8 નવેમ્બર, પાનાં. 2.
[xxxix] મુલાકાત ભોગ બનનાર મૃતક નીતિનભાઈના પિતા અશોકભાઈ ગણેશભાઈ પરમાર, તા. 10 નવેમ્બર 2020, સ્થળ: વી.એસ. હોસ્પિટલ, અમદાવાદ
[xl] મુલાકાત ભોગ બનનાર મૃતક નીતિનભાઈના પિતા અશોકભાઈ ગણેશભાઈ પરમાર, તા. 10 નવેમ્બર 2020, સ્થળ: વી.એસ. હોસ્પિટલ, અમદાવાદ
[xli] મુલાકાત ભોગ બનનાર મૃતક નીતિનભાઈના પિતા અશોકભાઈ ગણેશભાઈ પરમાર, તા. 10 નવેમ્બર 2020, સ્થળ: વી.એસ. હોસ્પિટલ, અમદાવાદ
[xlii] મુલાકાત ભોગ બનનાર મૃતક નીતિનભાઈના પિતા અશોકભાઈ ગણેશભાઈ પરમાર, તા. 10 નવેમ્બર 2020, સ્થળ: વી.એસ. હોસ્પિટલ, અમદાવાદ
[xliii] મુલાકાત ભોગ બનનાર મૃતક નીતિનભાઈના પિતા અશોકભાઈ ગણેશભાઈ પરમાર, તા. 10 નવેમ્બર 2020, સ્થળ: વી.એસ. હોસ્પિટલ, અમદાવાદ.
[xliv] મુલાકાત મૃતકના સબંધી, આલાભાઈ નોખાભાઈ પરમાર, ઉમર 60, તા. 10 નવેમ્બર 2020, સ્થળ: વી.એસ. હોસ્પિટલ, અમદાવાદ
[xlv] મુલાકાત મૃતકના સબંધી, આલાભાઈ નોખાભાઈ પરમાર, ઉમર 60, તા. 10 નવેમ્બર 2020, સ્થળ: વી.એસ. હોસ્પિટલ, અમદાવાદ
[xlvi] દિવ્ય ભાસ્કર, અમદાવાદ ફંટ પેજ, તા. 5 નવેમ્બર 2020.
[xlvii] બુટ્ટા ભરવાડ.
[xlviii] હેતલ સુતરીયા
[xlix] ગુજરાત સમાચાર, 6 નવેમ્બર 2020, પાનાં. 2.
[l] માલિક નાનુભાઈ ધેલભાઈ ભરવાડ, પ્રદીપભાઇ ઉર્ફે બુટાભાઈ રેવાભાઈ ભરવાડ અને સાહિલ એન્ટરપ્રાઇઝના માલિક હેતલ ગિરીશભાઈ સુતરીયાને આરોપી તરીકે દર્શાવ્યા છે.
[li] દિવ્ય ભાસ્કર, 7 નવેમ્બર 2020, પાનાં, 1.
[lii] દિવ્ય ભાસ્કર, 6 નવેમ્બર 2020, પાનાં. 4.
[liii] સંદેશ, 6 નવેમ્બર 2020, પાનાં 2.
[liv] સંદેશ, 6 નવેમ્બર 2020, પાનાં, 2.
[lv] સંદેશ, 5 નવેમ્બર 2020, પાનાં. 2
[lvi] સંદેશ, 5 નવેમ્બર 2020, પાનાં. 2.
[lvii] ગુજરાત સમાચાર, અમદાવાદ આવૃતિ, 13 નવેમ્બર 2020, પાનાં. 2
[lviii] ગુજરાત સમાચાર, અમદાવાદ આવૃતિ, 14 નવેમ્બર, 2020, પાનાં. 2.
[lix] મુલાકાત હીરાભાઈ સોલંકી, પ્રમુખ મજૂર અધિકાર મંચ, તા. 9 નવેમ્બર 2020, વીએસ. હોસ્પિટલ, અમદાવાદ
[lx] મુલાકાત હીરાભાઈ સોલંકી, પ્રમુખ મજૂર અધિકાર મંચ, તા. 9 નવેમ્બર 2020, વીએસ. હોસ્પિટલ, અમદાવાદ.
[lxi] મુલાકાત હીરાભાઈ સોલંકી, પ્રમુખ મજૂર અધિકાર મંચ, તા. 9 નવેમ્બર 2020, વીએસ. હોસ્પિટલ, અમદાવાદ.
[lxii] મુલાકાત હીરાભાઈ સોલંકી, પ્રમુખ મજૂર અધિકાર મંચ, તા. 9 નવેમ્બર 2020, વીએસ. હોસ્પિટલ, અમદાવાદ.
[lxiii] મુલાકાત ભૂપતભાઇ સોલંકી, મજૂર અધિકાર મંચ, તા. 11.11.2020, વી.એસ. હોસ્પિટલ, અમદાવાદ.
[lxiv] મુલાકાત અલીશ મોરીશ, ડાયરેક્ટર માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર, તા. 23 ઓક્ટોબર 2020, સમય: 4:00 થી 4:34 PM, HDRC ઓફિસ, અમદાવાદ.
[lxv] મુલાકાત, હિતેન્દ્રભાઈ રાઠોડ, શ્રમિક અધિકાર મંચ, તા. 21 જુલાઇ 2020, અખબાર નગર શ્રમિક નાકા, સમય 7:30 થી 9:00, અમદાવાદ.
[lxvi] આંબાવાડી, મજૂરગામ, ઘાટલોડિયા, ગુરુકુળ, પાલડી, સુખરામનગર, રાયપુર, બુટભવાની, વાસણા, સાબરમતી, જુહાપુરા, અખબારનગર, સી.ટી.એમ., સરખેજ અને ચાંગોદર વગેરે શ્રમિક નાકા પર કામ કરે છે.
[lxvii] મુલાકાત, હિતેન્દ્રભાઈ રાઠોડ, શ્રમિક અધિકાર મંચ, તા. 21 જુલાઇ 2020, અખબાર નગર શ્રમિક નાકા, સમય 7:30 થી 9:00, અમદાવાદ.
[lxviii] સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શન (CLRA)ની પત્રિકા (poster)
[lxix] શ્રમિક અધિકાર મંચની પત્રિકા (પોસ્ટર)
[lxx] મુલાકાત હિરાભાઈ સોલંકી, પ્રમુખ, શ્રમિક અધિકાર મંચ, તા. 21 જુલાઇ 2020, અખબાર નગર શ્રમિક નાકા, સમય 7:30 થી 9:00, અમદાવાદ.
[lxxi] મુલાકાત ગોવાભાઇ રાઠોડ, અગ્ર સામાજિક કાર્યકર, શ્રમિક અધિકાર મંચ, તા. 3 નવેમ્બર 2020, જૂના વાડજ, અમદાવાદ.
[lxxii] મુલાકાત ગોવાભાઇ રાઠોડ, અગ્ર સામાજિક કાર્યકર, શ્રમિક અધિકાર મંચ, તા. 3 નવેમ્બર 2020, જૂના વાડજ, અમદાવાદ.
[lxxiii] મુલાકાત હીરાભાઈ સોલંકી, પ્રમુખ, શ્રમિક અધિકાર મંચ, તા. 21 જુલાઇ 2020, અખબાર નગર શ્રમિક નાકા, સમય 7:30 થી 9:00, અમદાવાદ.
[lxxiv] મુલાકાત હીરાભાઈ સોલંકી, પ્રમુખ, શ્રમિક અધિકાર મંચ, તા. 21 જુલાઇ 2020, અખબાર નગર શ્રમિક નાકા, સમય 7:30 થી 9:00, અમદાવાદ.
[lxxv] મુલાકાત, હિતેન્દ્રભાઈ રાઠોડ, સામાજિક કાર્યકર, મજૂર અધિકાર મંચ, 27.10.20, સ્થળ: અમદાવાદ.
[lxxvi] મુલાકાત હીરાભાઈ સોલંકી, પ્રમુખ, શ્રમિક અધિકાર મંચ, તા. 21 જુલાઇ 2020, અખબાર નગર શ્રમિક નાકા, સમય 7:30 થી 9:00, અમદાવાદ.
References:
Bhagat, R.S., Sahoo & Roy. (2020). The Covid-19, Migration and Livelihood in India . International Institute for Population Sciences , 4 .
Breman, J. (2004). the Making and Unmaking of an Industrial Working Class: Siding Down the Labour Hierarchy in Ahmeabad. 2004 : Oxford University Press.
CLRA. ( Covid-19 Impact and Intervention Report). 2019-20. Ahmedabad: Centre for Labour Reserch and Action.
Desai, K. (2020). Exploitation and Liberation: Case study of Women Workers in Surat’s Unorganised Sector. Journal of Social Change , 14 .
Jayaram, Jain & Sugathan. (2019). No Citiy for migrant women: constrction workers’ experiences of exclusion from urban governance and discrimination in labour markers in ahmedabad. Gender and Development , 85-104 .
Khanna, A. (2020). Impact of Migration of Labour Force due to Global Covid-19 Pandemic with Reference to India . Journal of Helath Management,181-191 .
Mander, H. (2020, May 05). Corona Virus crisis, Harsh Mander: For India’s Migrant workers, the prospect of life with dignity has become more remore. Retrieved November 17, 2020, from Scroll.in.
Nayak, V. (2015). Globalized Rights and Localised Violation: A Study Of Palamur Labour in Andhra Paradesh. In Y. C. Karakoti, Dimension of Social Exclusion: Caste, Class and Gender . Delhi : Meena Book Publication.
Rao, M. (1981). Some Asppects of Sociology of Migration. Sociological Bulletin , 34 .
કુમાર, અ. (2020, માર્ચ 29). શ્રમિકોની સ્થિતિ. અમદાવાદ: દિવ્ય ભાસ્કર.
પરીખ, ભ. (2020). કોરોના વાઇરસ: ગુજરાત પોલિસ લૉકડાઉનમાં બળપ્રયોગ કેમ કરે છે? Retrieved એપ્રિલ 4, 2020, from બીબીસી ગુજરાતી : https://www.bbc.com/gujarati/ india -52065370
પ્રકાશ, અ. (2020, એપ્રિલ 1). કોરોના વાઇરસ: લૉકડાઉનમાં પગપાળા ઘરે મૃત્યુને ભેટેલા રણવીરના છેલ્લા શબ્દો શું હતા? Retrieved એપ્રિલ 4, 2020, from બીબીસી ગુજરાતી: https://www.bbc.com/gujarati/india-52113765
વ્યાસ, જ. (2020, જૂન 5). કોરોના વાઇરસ: પ્રવાસી મજૂરોની સામાજિક અને આર્થિક સુરક્ષા આજના સમયનો તકાજો છે. Retrieved નવેમ્બર 21, 2020, from બીબીસી ગુજરાતી .