Opinion Magazine
Number of visits: 9843123
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિલેક્ટિવ વિરોધ કેમ? સિલેક્ટિવ મૌન કેમ?

રમેશ સવાણી|Opinion - Opinion|27 August 2025

રમેશ સવાણી

ફિલ્મ કલાકારોને ફિલ્મને લગત એવોર્ડ મળે તે બરાબર છે. પરંતુ કોઈ વખત એમને રાષ્ટ્રીય પુરસ્કાર અપાય છે તે ઉચિત છે કે કેમ તે પ્રશ્ન ઉદ્દભવે છે. રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર લોકો માટે આદર્શ બનતાં હોય છે. અન્યાય સામે ચૂપ રહેનાર કલાકારને રાષ્ટ્રીય પુરસ્કાર મળે તે ઉચિત કહી શકાય નહીં. મહિલા પહેલવાનોનું યૌન શોષણ સામે આંદોલન હોય કે કિસાન આંદોલન હોય જો કલાકાર સરકારથી ડરીને ચૂપ રહે તો તે સમાજને અન્યાય સામે ચૂપ રહેવાનો સંદેશો આપે છે. ગરીબી / મોંઘવારી / બેરોજગારી / શિક્ષણ અને હોસ્પિટલના માફિયાનો ત્રાસ / દલિત-વંચિત પ્રત્યેનો ભેદભાવ / આદિવાસી શોષણ વગેરે સમસ્યા અંગે જો કલાકારો ચૂપ રહે તો તે આદર્શ બની શકે નહીં. 

હિન્દી ફિલ્મ કલાકાર અમિતાભ બચ્ચનનું ઉદાહરણ લઈએ. મનમોહન સિંઘની સરકાર વખતે તેમણે પેટ્રોલના ભાવ વધારા સામે ઝૂંબેશ કરી હતી, તે સારી બાબત હતી. પરંતુ મોદીજી વડા બનતા અચ્છે દિનના બદલે ખરાબ દિવસો જોવાનો સમય આવ્યો. મોંઘવારી વધી / બેરોજગારી વધી / પેટ્રોલ-ડીઝલની કિંમત વધી / ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન થયું / હત્યારા અને બળાત્કારીઓને જેલ મુક્ત કર્યા / મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરનારને બરાબર છાવર્યો / કિસાન આંદોલન દરમિયાન 750 કિસાનોના જીવ ગયા / ઈલેક્ટોરલ બોન્ડ સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠરાવ્યા / 12 જાન્યુઆરી 2018ના રોજ સુપ્રીમકોર્ટના ચાર ન્યાયાધીશો – જસ્તી ચેલમેશ્વર, રંજન ગોગોઈ, મદન લોકુર અને કુરિયન જોસેફે અભૂતપૂર્વ પ્રેસ કોન્ફરન્સ કરી લોકશાહી બચાવોનો પોકાર કર્યો / મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ અને ગેંગ રેપ થયાં / મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરનારને મોદીજીએ છાવર્યો છતાં અમિતાભ બચ્ચને એક શબ્દ ઉચ્ચારવાની હિમ્મત કરી નહીં ! ફિલ્મી પરદે અન્યાય સામે ઝઝૂમતા અમિતાભે વાસ્તવિક જિંદગીમાં લોકોની વેદનાને બદલે સત્તાની ચાપલૂસી પસંદ કરી ! ભવિષ્યમાં તેમને ‘ભારત રત્ન’નો પુરસ્કાર અપાય તો લોકો તેમાંથી શું પ્રેરણા મેળવે? એ જ કે સત્તાની ચાપલૂસી કરવાથી પુરસ્કાર મળે છે ! 

બોલીવુડ ફિલ્મોને ઘણીવાર સપનાં વેચતી ફિલ્મો તરીકે વર્ણવવામાં આવે છે કારણ કે તે પ્રેક્ષકો માટે પલાયનવાદ અને કાલ્પનિકતા પ્રદાન કરે છે, જે ગ્લેમર, રોમાંસ અને જૂઠા જીવનની વાર્તાઓમાં દર્શકોને ગૂંચવી રાખે છે. લોકો ફિલ્મોમાં મનોરંજન અને તેમની દૈનિક વાસ્તવિકતાઓથી કામચલાઉ છટકબારી શોધે છે. બોલિવૂડ ફિલ્મોમાં વારંવાર ભવ્ય સેટ, વિદેશી સ્થાનો અને નાટકીય વાર્તાઓ દર્શાવવામાં આવે છે જે દર્શકોને તેમના રોજિંદા જીવનથી દૂર દુનિયામાં લઈ જાય છે. ઘણી બોલિવૂડ ફિલ્મો આદર્શ રોમેન્ટિક સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ઘણીવાર સુંદર અભિનેતાઓ અને અભિનેત્રીઓ સાથે, અને પ્રેમ, ઝંખના અને અવરોધોને દૂર કરવાના વિષયો હોય છે અને તેમનો ઉપાય અવાસ્તવિક હોય છે. ફિલ્મો ઘણીવાર સંપત્તિ, ફેશન અને ઐશ્વર્યની દુનિયા દર્શાવે છે, જે પ્રેક્ષકોમાં મહત્ત્વાકાંક્ષા રોપે છે. લાર્જર-ધેન-લાઇફ કથાઓ હોય છે. ભવ્યતા અને ઉત્તેજનાની ભાવના હોય છે. કાલ્પનિક તત્ત્વો હોવા છતાં, બોલીવુડ ફિલ્મો ઘણીવાર પ્રેમ, હતાશા, આનંદ અને દુ:ખ જેવી સાર્વત્રિક માનવ લાગણીઓને નાટકીય પરિસ્થિતિઓ સાથે મૂકે છે. જેથી પ્રેક્ષકો પાત્રો અને તેમના અનુભવો સાથે જોડાઈ જાય છે. ફિલ્મો વાસ્તવિક જીવનથી થોડીવાર દૂર લઈ જાય છે. ફિલ્મો લાગણીઓનો અનુભવ કરવાની, નાટકીય કથાઓ જોવાની અને સુંદરતા અને કાલ્પનિક દુનિયામાં ડૂબકી લગાવવાની તક પૂરી પાડે છે. ફિલ્મો સપનાઓ વેચે છે, તેની સામે વાંધો નથી પરંતુ ફિલ્મો નફરત પણ વહેંચે છે. પ્રોપેગેન્ડા ફિલ્મો એવા શાસકો ઊભા કરે છે જેને માનવમૂલ્યો / બંધારણીય મૂલ્યો સાથે દુ:શ્મનાવટ હોય. માનસ પ્રદૂષણ કરનારી આવી અનેક ફિલ્મો આવી અને આવી રહી છે પરંતુ અમિતાભ બચ્ચન ચૂપ છે. 

અમિતાભ બચ્ચન /અક્ષય કુમાર / અનુપમ ખેર 2014 પહેલા સરકારનો વિરોધ કરતા હતા; પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ કરતા હતા. આજે પેટ્રોલ-ડીઝલના ભાવ લિટરના 100 રૂપિયાને ક્રોસ કરી ગયા છે; છતાં અમિતાભ બચ્ચન / અક્ષય કુમાર / અનુપમ ખેર ચૂપ છે. લોકોની પીડા આ કલાકારોને સ્પર્શી શકતી નથી ! 24 મે 2012ના રોજ અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું : “પેટ્રોલમાં રપિયા 7.5નો વધારો ! પંપ એટેન્ડન્ટ : ‘કેટલાનું નાખું?’ મુંબઈવાસી : ‘2-4 રૂપિયાનું કાર ઉપર છાંટી દે, ભાઈ ! સળગાવવી છે !” એ વખતે પેટ્રોલની કિંમત 64 રૂપિયા હતી. અક્ષયકુમારે 27 ફેબ્રુઆરી 2012 ના રોજ ટ્વીટ કર્યું હતું ; “સાયકલ સાફ કરી લો; પેટ્રોલમાં બીજો ભાવવધારો આવી રહ્યો છે !” 14 ઓક્ટોબર 2012ના રોજ અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું : ‘“મેં મારા ડ્રાઇવરને પૂછ્યું : ‘મોડો કેમ આવ્યો?’ ‘સર, હું સાયકલ ઉપર આવ્યો !’ ‘કેમ? તારી મોટર સાયકલને શું થયું?’ ‘સર, હવે તેને ઘેર મૂકી દીધી છે; શોપીસ તરીકે !’ 26 ઓગસ્ટ 2025ના રોજ મુંબઈમાં લિટર પેટ્રોલની કિંમત 103.5 છે. 2012માં એમને 64 રૂપિયાનું પેટ્રોલ મોંભ લાગતું હતું, હવે સસ્તું લાગે છે ! અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ 20 ઓગસ્ટ 2013ના રોજ કહ્યું હતું : “આજે હું હસવું રોકી શકી નહીં. રૂપિયાને બચાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે ડોલરને રાખડી બાંધવીને કહેવું મેરી રક્ષા કરના !” તેણે 24 સપ્ટેમ્બર 2013ના રોજ કહેલ કે : “આપણે સુધારણા માટે ફુગાવા અને બેરોજગારી પર ચર્ચા કરવી જોઈએ.” પણ 2014થી તે ચૂપ છે ! કેવી દંભની પરાકાષ્ઠા !

ફિલ્મ કલાકારો આપણને છેતરે છે ! અમિતાભ બચ્ચન / અનુપમ  ખેર / પ્રીતિ ઝિન્ટાએ બોલવું જોઈએ તેવો આગ્રહ નથી. પરંતુ સિલેક્ટિવ વિરોધ કેમ? સિલેક્ટિવ મૌન કેમ?

26 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

નરેન્દ્ર મોદીનું સ્વદેશી એટલે પ્લાસ્ટિકનું બેશરમ સફરજન

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|27 August 2025

હેમન્તકુમાર શાહ

આજકાલ નરેન્દ્ર મોદીના સ્વદેશીની ચર્ચા ચાલુ થઈ છે. જુઠ્ઠાણાંનો જમાનો છે આ. મોદી પોતે કેટલી વિદેશી ચીજો વાપરે છે એ તો એક જુદો જ મુદ્દો છે. પોતે વિદેશી ચીજો વાપરે અને બીજાને શિખામણ આપે એ તો સાવ જ બનાવટ અને તરકટ કહેવાય. સાચું સફરજન ખાવામાં કામ લાગે, પ્લાસ્ટિકનું સફરજન દેખાડો કરવામાં, શણગાર કરવામાં. નરેન્દ્ર મોદીનું સ્વદેશી આવા પ્લાસ્ટિકના સફરજન જેવું છે. વાસ્તવિકતા કરતાં કંઈક જુદી જ જાતનો ભ્રમ ઊભો કરવો એ મોદી શૈલીનું આગવું રાજકારણ છે. 

જરા હકીકતો જોઈએ :

(૧) કોરોનાના પહેલા જ લોકડાઉન દરમ્યાન તેમણે તરત જ ૧૦૦ કરોડ ડોલરની લોન ભારતમાં આરોગ્યની સારી સેવાઓ ઊભી કરવા લીધેલી. 

(૨) મોદીની સરકારનું એક પણ બજેટ એવું નથી કે જેમાં તેમણે કરોડો રૂપિયાની વિદેશી લોન લીધી ન હોય.

(૩) ભારતમાં અત્યારે ૫,૪૦૦થી વધુ વિદેશી કંપનીઓ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે. એમાંની અનેક કંપનીઓને મોદી સરકારે પોતે જ ભારતમાં બોલાવી છે. 

(૪) ૨૦૧૫માં મોદી સરકારે વિદેશી મૂડીરોકાણ માટે અદ્ભુત વ્યવસ્થા કરી! કોઈ પણ વિદેશી કંપનીને ભારતમાં રોકાણ કરવું હોય તો ભારત સરકાર અને રિઝર્વ બેંકની મંજૂરી લેવાની જરૂર જ નહિ! આને ‘ઓટોમેટિક રૂટ’ કહે છે. આવો, જેને આવવું હોય એ આવો, અને અમને લૂંટો! 

(૫) ૨૦૨૪માં વિદેશી કંપનીઓના રોકાણમાં દુનિયામાં ભારત ૧૫મા ક્રમે હતું એમ UNCTADનો એક અહેવાલ કહે છે. 

(૬) માળખાગત સવલતો, રેલવે, વીજાણુ ચીજો, વાહનો, દવાઓ, રસાયણો, સેવાઓ, કાપડવસ્ત્ર, એરલાઈન્સ – તમે કોઈ પણ ક્ષેત્રનું નામ આપો અને એમાં વિદેશી કંપની ના હોય એવું ન બને. આ શું સ્વદેશી છે?

(૭) એપ્રિલ-૨૦૧૪થી માર્ચ-૨૦૨૫ સુધીમાં એટલે કે મોદીના ૧૧ વર્ષના શાસનકાળમાં ૭૪૯ અબજ ડોલરનું એટલે કે ૬૭ લાખ કરોડ રૂપિયાનું વિદેશી કંપનીઓનું રોકાણ ભારતમાં થયું છે. આને સ્વદેશી કહેવાય!

(૮) ભારતનું વિદેશી દેવું ૨૦૧૪માં ૪૪૬ અબજ ડોલર હતું અને તે ૨૦૨૫માં વધીને ૭૩૬ અબજ ડોલર થયું છે. ૧૧ વર્ષમાં ૬૫ ટકાનો આ વધારો મોદી સરકારની નીતિઓને લીધે નહીં તો શું નેહરુની નીતિઓને લીધે થયો? 

(૯) ભારતના શેરબજારમાં ૧૧,૨૦૦ વિદેશી કંપનીઓ રોકાણ કરેલું છે હાલ. એ બધી બહુ સહેલાઈથી આવે એના રસ્તા મોદી સરકારે જ તૈયાર કર્યા છે! 

મોરારજી દેસાઈના ૧૯૭૭-૭૯ના પ્રધાનમંડળમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ ઉદ્યોગ પ્રધાન હતા. તેમણે કલમના એક ઝાટકે રાતોરાત અમેરિકન કંપની કોકા કોલાને દેશની બહાર તગેડી મૂકી હતી. નરેન્દ્ર મોદીની છાતી ખરેખર ૫૬ ઈંચની હોય તો એને ફરીથી તગેડી મૂકે અને બધાને સુરતનો સોસ્યો પીવડાવે! ૫,૪૦૦ વિદેશી કંપનીઓમાંથી આ એકને તો તેઓ હાંકી કાઢી બતાવે. 

‘સ્વદેશી’ શબ્દ વાપરતાં મોદીને અને પેલા ગગજી સુતરિયા જેવા અંધભકતોને શરમ નથી આવતી? મહાત્મા ગાંધીનું સ્વદેશી એ સાચું સફરજન હતું, નરેન્દ્ર મોદીની આત્મનિર્ભરતા એ પ્લાસ્ટિકનું સફરજન છે! મોદીની આત્મનિર્ભરતા એ કપટી રાજકીય શણગાર છે. 

તા.૨૭-૦૮-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બુદ્ધ અને મહાવીર : ક્ષત્રિયજાયા લોકતંત્રનાં સંતાન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 August 2025

મહાવીરે અર્ધમાગધીમાં તો બુદ્ધે પાલીમાં. અડધોઅડધ મગધ જે ભાષા વાપરતું હતું એ લોકભાષાનો પ્રયોગ કર્યો આ બંને વિભૂતિએ. તથાગત ને તીર્થંકર બંનેએ લોકભાષા મારફતે રોડવ્યું એ તો સાદો પણ બિલકુલ બુનિયાદી દાખલો છે

પ્રકાશ ન. શાહ

કેમ કે પર્યુષણનો માહોલ છે, થાય છે, થોડી વાત મહાવીર વિશે કરું – અને તે પણ બને તો નાગરિક છેડેથી.

બુદ્ધ હો કે મહાવીર, આપણા સમયમાં એમને વિશે ને મિશે વાત કરવાનું મને સદૈવ આકર્ષણ રહ્યું છે, કેમ કે તથાગત ને તીર્થંકર, બુદ્ધ ને મહાવીર, બેઉ રાજકુળના હશે તો હશે (બલકે છે જ); પણ બંને ક્ષત્રિયજાયા લોકતંત્રનાં સંતાન છે.

બેઉ વિભૂતિઓની, જેમ કે, ઉપદેશભાષા જ જુઓ ને : જ્ઞાનચર્ચા આખી સંસ્કૃતમાં ચાલતી’તી પણ એમ વેંત ઊંચે ડહાપણ ડહોળવાને બદલે એમણે લોકભાષામાં વાત કરવાનું પસંદ કર્યું. મહાવીરે અર્ધમાગધીમાં તો બુદ્ધે પાલીમાં અડધોઅડધ મગધ જે ભાષા વાપરતું હતું, અર્ધમાગધી, મહાવીરે એમાં કામ લીધું. મગધ પંથકનો કેટલોક ગ્રામવિસ્તાર (પલ્લી) જે ભાષા વાપરતો હશે, પાલી, બુદ્ધે એમાં કામ લીધું.

તીર્થંકર મહાવીર

તથાગત ને તીર્થંકર બંનેએ લોકભાષા મારફતે રોડવ્યું એ તો છેક જ સાદો પણ બિલકુલ બુનિયાદી દાખલો છે. જે વજ્જી ગણરાજ્ય સાથે (જેની રાજધાની વૈશાલી હતી એની સાથે) બેઉ પોતપોતાને છેડેથી સંકળાયેલા હતા. એમાં પણ મહાવીર તો વૈશાલીના ઉપનગર વત્ ક્ષત્રિયકુળના હતા – જ્યાં તે કાળની મર્યાદામાં પ્રાતિનિધિક રૂપે કામ ચાલતું. મર્યાદિત પણ જે મતદારો હતા તે ‘રાજા’ને ચૂંટતા. બુદ્ધ ને મહાવીર બંને આ રીતે રાજઘરાનાના હતા; પણ પ્રથા તો ગણરાજ્યની હતી એટલે એમનો મિજાજ કોઈ ઉપરથી પરબારા ઊતરી આવેલ જણનો (આજકાલ જેમ નૉનબાયોલોજિકલ વિભૂતિયે જોવા મળે છે એવો) નહોતો.

પોતે જે પ્રથાનું સંતાન હતાં તેને વિશે એમનો ખયાલ કેવો હશે તે બૌદ્ધ પરંપરામાં સચવાયેલ એક સંવાદ પરથી સમજાય છે. રાજા અજાતશત્રુ, કેમ કે તે રાજાશાહી રાજા છે, યુદ્ધ તો એમનો ખાનદાની પેશો કહેવાય. આ અજાતશત્રુ, પોતાના મંત્રી વર્ષકારને બુદ્ધ પાસે મોકલે છે કે અમે વજ્જી ગણરાજ્ય પર આક્રમણ કરવા ઈચ્છીએ છીએ તો આપના આશીર્વાદની જરૂર છે. વાતે સાચી, રાજા મુઆ છીએ તો યુદ્ધ તો કરવું જ પડે. અને એ ય સાચું કે તમે ભગવાન થયા હો એટલે આંખ મીંચીને આશીર્વાદે ટટકારવા પડે!

તથાગત બુદ્ધ

પણ બુદ્ધ જેનું નામ, તમે જુઓ, ડાબે વર્ષકાર ઉભેલ છે અને જમણે શિષ્ય આનંદ છે – તો એ આનંદને સંબોધીને વાત શરૂ કરે છે :

‘વજ્જીઓ નિયમિત સભા રૂપે મળી વિચાર વિનિમયપૂર્વક નિર્ણય કરે છે?’

‘હા.’

‘સભામાં અને નગરજીવનમાં વૃદ્ધોનું સન્માન જળવાય છે?’

‘હા.’

‘ગણરાજ્ય આખામાં સ્ત્રીઓની સલામતી સચવાય છે?’

‘અને નાનાવિધ લોકસ્થાનકોનું સન્માન અનુભવાય છે?’

‘હા.’

આ સંવાદ પછી (ભલે આનંદ સામે જોતે છતે) વર્ષકાર જોગ બુદ્ધનો જવાબ શો હોય, સિવાય કે ‘તો પછી, એમને કોણ જીતી શકે!’

મહાવીરચર્ચાને પૂરક-પોષક બૌદ્ધ પરંપરાની વાત નીકળી જ છે તો આપણે ત્યાં દલાઈ લામાની હિજરતી તિબ્બત સરકારોનોયે એક દાખલો આપી જ દઉં. જરૂર પડ્યે શસ્ત્ર સજી શકનાર એક બગાવતી મિજાજના બૌદ્ધ લેખકે અજાતશત્રુ સંદર્ભે ચાલેલ સંવાદનું અભિનવ અર્થઘટન પણ કીધું છે : તમારાં ઉપલાં / નીચલા ગૃહ બરાબર મળતાં રહે છે? તમારાં સ્થાનકો (યુનિવર્સિટી, લાઈબ્રેરી, મ્યુઝિયમ વ.) સચવાય છે? તમારા ‘વૃદ્ધો’ એટલે કે સર્જકો, કલાકારો, વિચારકો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતોનું માન જળવાય છે? એમની સલાહ કાને ધરાય છે? (મહાભારત સાંભરે છે – તે સભા, સભા નથી જેમાં વૃદ્ધો નથી. તે વૃદ્ધો, વૃદ્ધો નથી જે ધર્મ એટલે કે સત્ય વદતા નથી.)

વારુ, આ જે ગણરાજ્યનો લોકમિજાજ એમાંથી યુદ્ધ અંગે કેવોક અભિગમ વિકસે? રાજ્યો વચ્ચે, ખાસ કરીને સામ્રાજ્યશાહી તો તે વિના ચેન જ ન પડે. મુસોલિની કહેતો, સ્ત્રીને સારુ જેમ માતૃત્વ તે રાજ્યને સારુ યુદ્ધ એ સહજ ઘટના છે! પણ મહાવીરનો ઉપદેશ જે રાજાઓ સ્વીકારતા ગયા તે શો હતો? વૈશાલી ગણતંત્રના રાજા ચેટક અનાક્રમણનું વ્રત લે છે. મતલબ, પોતાના ઉપર પ્રહાર ન થાય ત્યાં સુધી સામા પર પ્રહાર કરવો નહીં. રાજ્યનું શસ્ત્રો પરત્વે વલણ કહેવું હોય તો કહ્યું કે અવ્યાપારનું. વળી ઉમેર્યું, અવિતરણનું – અને હા, શસ્ત્રોના અલ્પીકરણનું (આજની ભાષામાં નિ:શસ્ત્રીકરણનું.)

નવાઈ લાગે પણ સ્વાતંત્ર્યનો ખયાલ તો એવો કે મહાવીરે કોઈની પાસે ‘દીક્ષા’ લીધી નથી. આગળ ચાલતાં પોતે સંઘ રચ્યો ત્યારે પણ સંઘમાં જોડાયા વિનાયે કોઈ જ્ઞાની (અશ્રુત્વા કેવળી) થઈ શકે એમ અક્ષરશ કહ્યું. વળી સ્પષ્ટ કર્યું કે મારા ધર્મસંપ્રદાયમાં આવો તો જ મુક્તિ, એવું નથી.

ધર્મતત્ત્વ, કહો કે સત્ય, અનેક છેડેથી જોઈ અને સમજી શકાય છે. કોઈ એક જ છેડો તે સાચું નથી. બધા મળીને સમગ્ર ચિત્ર બને છે. આ જે અનેકાન્ત દૃષ્ટિ, એ જૈન પરંપરાનો અભિગમવિશેષ છે.

બુદ્ધ અને મહાવીરની પરંપરામાં આપણા સમયમાં ગાંધીનું આવવું એ નવી સહસ્ત્રાબ્દી જોગ શુભ શકુન છે. ચારેક દાયકા પર સરસ કહ્યું હતું, એકાવન જેટલી નોબેલ પ્રતિભાઓએ કે માનવ સંસ્કૃતિએ આગે બઢવા સારુ ‘બે જ ચાવીઓ છે – શાંતિમય સહઅસ્તિત્વ અને સવિનય કાનૂનભંગ. ગાંધીપરંપરામાં નેલ્સન મંડેલા આવ્યા અને નાગરિક જીવનમાં ક્ષમાપના પર્વને નવી ઓળખ મળી – ટ્રુથ એન્ડ રીકન્સિલિએશન કમિશન.

મહાવીરનું અગ્રચરણ સ્તો!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 27 ઑગસ્ટ 2025

Loading

...102030...216217218219...230240250...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved