Opinion Magazine
Number of visits: 9747816
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ તમારા ઐશ્વર્યનું નહીં, તમે કરેલા પ્રજાના શોષણનું પ્રદર્શન છે

રમેશ ઓઝા|Opinion - Opinion|15 November 2020

ગાંધીજીએ પહેલું રાજકીય નિવેદન કર્યું ૧૯૧૬ની છઠ્ઠી ફેબ્રુઆરીએ બનારસમાં બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારંભમાં. એ નિવેદન નહોતું, દમદાર માણસના દમદારપણાનો અને એ સાથે આપણા કામનો નહીં હોવાની જાહેરાતનો બુંગિયો હતો. સમારંભમાં ભભકાનો પાર નહોતો. ઉદ્ઘાટન માટે આવેલા ગવર્નરની સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. શહેરમાં ચારે બાજુ પોલીસ હતી. સમારંભમાં ભાષણોની ધાણી ફૂટતી હતી અને બધા જ વક્તાઓ અંગ્રેજીમાં બોલતા હતા. સમારંભમાં કિંમતી આભૂષણો પહેરીને રાજા-મહારાજો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીજી આની વચ્ચે અકળામણ અનુભવતા હતા.

ગાંધીજીનો જ્યારે બોલવાનો વારો આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ભારતે જો સ્વરાજ મેળવવું હશે તો ભારતની પ્રજા જે ભાષામાં બોલે છે, સમજે છે અને વિચારે છે એ ભાષામાં બોલવું પડશે. એના સિવાય રાષ્ટ્રીય સ્તરે એકવાક્યતા ન સ્થપાઈ શકે. એ પછી તેમણે ગવર્નર માટેની સલામતી વ્યવસ્થાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આટલા ભય હેઠળ જીવવું એ જીવતર નથી. જો તેમને ભય લાગતો હોય તો તેમણે તેમના વતન પાછા જતા રહેવું જોઈએ. તેમણે શ્રોતાઓ દ્વારા ભારતીય પ્રજાને ઉદ્દેશીને કહ્યું હતું કે જો ગવર્નર આપણા કારણે ભય અનુભવતા હોય તો એ આપણા માટે શરમજનક છે. આપણને ગવર્નરની આંખમાં આંખ નાખીને આત્મવિશ્વાસ સાથે આપણી વાત કહેતા આવડવું જોઈએ. નથી ડરવાની જરૂર કે નથી ડરાવવાની જરૂર. આગળ જતા ગાંધીજીએ રાજા-મહારાજાઓનાં આભૂષણનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આ તમે પ્રાપ્ત કરેલાં ઐશ્વર્યનું પ્રદર્શન નથી, પરંતુ તમે કરેલા પ્રજાનાં શોષણનું પ્રદર્શન છે.

આવું જાહેરમાં મંચ ઉપરથી મોઢામોઢ ગાંધીજી બોલ્યા હતા. એ બેઠકની અધ્યક્ષતા દરભંગાના મહારાજા કરતા હતા અને બીજા કેટલાક રાજવીઓ મંચ ઉપર અને મંચની સામે પહેલી હરોળમાં બેઠા હતા. ગાંધીજીને આ રીતે મોઢામોઢ બોલતા જોઇને મંચ ઉપર ઉપસ્થિત એની બેસન્ટે ગાંધીજીને તેમનું પ્રવચન પૂરું કરવાની સલાહ આપી હતી. સામે પ્રેક્ષકો ગાંધીજી ભાષણ ચાલુ રાખે એવો આગ્રહ રાખતા હતા. એની બેસન્ટે બીજી વાર ગાંધીજીને બેસી જવા કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘જો અધ્યક્ષ મને ભાષણ ટૂંકાવીને બેસી જવા કહેશે તો હું બેસી જઈશ.’ સામેથી લોકોનો હર્ષનાદ એટલો હતો કે ગાંધીજીને બેસી જવા માટે કહેવાની અધ્યક્ષની હિંમત ચાલી નહોતી. થોડી વારે એની બેસન્ટ વિરોધના ભાગરૂપે મંચ ઉપરથી ઊતરી ગયાં હતાં અને એ પછી રાજવીઓ મંચ છોડીને જતા રહ્યા હતા.

ગાંધીજી વિષે જે વાયકાઓ સાંભળવા મળતી હતી એની ભારતની પ્રજાને પ્રતીતિ થઈ. આ માણસ પ્રજા સાથે એકાકાર થઈ શકે છે. આ માણસ સામાન્ય માણસની ભાષામાં સામાન્ય માણસના હિતની વાત કરે છે. આ માણસ જે વિચારે છે એ જ બોલે છે અને કરે પણ છે. આ માણસ નિર્ભીક છે, પણ અભિમાની કે તોછડો નથી. આ માણસ નાની કે કોઈ ખાસ વર્ગ વિશેષના સ્વાર્થની વાત કરતો નથી, પણ સઘળાનો વિચાર કરે છે. ભારતની પ્રજાને લાગ્યું કે આ દમદાર માણસ આપણા કામનો છે. બીજા શબ્દોમાં કહીએ તો દમદાર હોવા છતાં જે માણસ પ્રસ્થાપિત નેતાઓને કામનો નહોતો લાગ્યો એ ભારતની સામાન્ય પ્રજાને કામનો લાગ્યો હતો. એ ઘટના પછી ગાંધીજી ભારતના એકમેવ નેતા તરીકે સ્થાપિત થવા લાગ્યા અને એમ પણ કહી શકાય કે એ ઘટના પછીથી ગાંધીજીને સતાવવાની પણ શરૂઆત થઈ.

ગાંધીજીના એ ભાષણના દેશભરમાં પડઘા પડ્યા હતા. ખરી તાકાત જીગરમાં રહેલી છે, સંખ્યામાં કે સમૂહમાં નથી એ તેમણે બતાવી આપ્યું. ગાંધીજીનાં એ ભાષણ પછી બીજા મહિને વિનોબા ભાવે શાસ્ત્રોનો અભ્યાસ કરવા કાશી ગયા હતા. કાશીમાં સર્વત્ર ગાંધીજીનાં ભાષણની ચર્ચા ચાલતી હતી. ત્યારે વિનોબાજી હજુ ગડમથલમાં હતા કે દેશને મુક્ત કરવા ક્રાંતિનો માર્ગ અપનાવવો કે પછી જીવનને સંસારના બંધનોથી મુક્ત કરવા સંન્યાસ લેવો. તેમણે જ્યારે ગાંધીજીનું આખું ભાષણ વાંચ્યું ત્યારે તેમને સમજાઈ ગયું કે આમાં તો બન્ને સમાહિત છે. દરેક અર્થમાં મુક્ત માણસ જ આવાં વચન જાહેરમાં બોલી શકે. આ માણસ મારા દેશને પણ મુક્ત કરી શકે એમ છે અને મારા જીવનને પણ બંધનમુક્ત કરીને જીવન સાર્થક કરી શકે એમ છે. ક્રાંતિ અને શાંતિનો સમન્વય જોવા મળે એમ છે. વિનોબા ભાવેએ ગાંધીજીને પત્ર લખ્યો, મળવાની ઈચ્છા બતાવી અને જૂન ૧૯૧૬માં કાયમ માટે ગાંધીજીના થઈ બેઠા. પાછળથી ગાંધીજીએ વિનોબાને પોતાના આધ્યાત્મિક વારસ જાહેર કર્યા હતા.

બેરિસ્ટર વલ્લભભાઇ પટેલ ગુજરાત ક્લબમાં ગાંધીજીની કાયમ ઠઠ્ઠા કરતા. એક વાર ક્લબમાં ગાંધીજીનું ભાષણ હતું. વલ્લભભાઇ અને તેમના મિત્ર ગણેશ વાસુદેવ માવલંકર ક્લબમાં પત્તા રમતા હતા. ગાંધીજી આવ્યા ત્યારે માવલંકરે વલ્લભભાઇને કહ્યું કે ગાંધીજી આવી ગયા છે, ચાલો અંદર ભાષણ સાંભળવા નથી જવું? વલ્લભભાઇએ તેમની લાક્ષણિક શૈલીમાં કહ્યું કે, ‘તમે જાવ મારે નથી આવવું. તેઓ શું બોલવાના છે એ હું તમને જણાવી દઉં. ઘઉંમાંથી કાંકરા વીણવાથી સ્વરાજ મળવાનું છે.’ અને પછી તેઓ હસવા લાગ્યા. એ જ વલ્લભભાઇએ ગાંધીજીના બનારસના ભાષણના સમાચાર વાંચ્યા ત્યારે તેઓ બોલી ઉઠ્યા હતા કે, ‘માવલંકર, આ માણસ સ્વરાજ અપાવશે.’

ઘનશ્યામદાસ બિરલા કલકત્તાના ઊગતા ઉદ્યોગપતિ હતા. આગલા વરસે ૧૯૧૫માં ગાંધીજી કલકત્તા ગયા હતા ત્યારે મારવાડી યુવક સંઘના યુવકોએ ગાંધીજીની ઘોડાગાડીના ઘોડા છોડી નાખીને ગાડી જાતે ખેંચી હતી. એ યુવકોમાં એક ઘનશ્યામદાસ બિરલા પણ હતા. તેમણે પણ ગાંધીજીનું બનારસનું ભાષણ વાંચીને મિત્રોને કહ્યું હતું કે બસ, તૈયારી કરો આઝાદી મળવાની છે.

પણ પ્રસ્થાપિત નેતાઓને તો હજુ પણ આ માણસ કામનો નહોતો લાગતો. સમસ્યા એ હતી કે માણસ દમદાર હતો અને હવે તો પ્રજાને પણ કામનો લાગવા માંડ્યો હતો. યાદ રહે, વિનોબા ભાવે, વલ્લભભાઇ પટેલ, ઘનશ્યામ દાસ બિરલાએ આ માણસ અનોખો છે એવા ઉદ્ગાર કાઢ્યા ત્યારે તેઓ પણ પ્રજાનો હિસ્સો હતા, નેતા નહોતા. લગભગ આવા જ પ્રતિભાવો બીજા અનેક જણે આપ્યા હતા જે આગળ જતા રાજકીય નેતા કે ગાંધીજીના સહકારી કે પ્રતિષ્ઠિત મહાનુભાવો નીવડ્યા હતા. પ્રસ્થાપિત નેતાઓ માટે સમસ્યા હતી કે આ માણસનું કરવું શું? આ આપણી ભાષા બોલતો નથી અને આપણે જે રાજકારણ કરીએ છીએ એ નકારે છે. આ માણસને નકારી શકાય એમ પણ નથી, કારણ કે પ્રજા સ્વીકારે છે.

૧૯૧૬-૧૯૨૦. ભારતના પ્રત્યેક નેતાએ, ફરી કહું છું અપવાદ વિના, પ્રત્યેક નેતાએ ગાંધી નામની કવરાવતી વાસ્તવિકતાનું કરવું શું એનો નિર્ણય લેવો પડ્યો હતો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 નવેમ્બર 2020

Loading

ચલ મન મુંબઈ નગરી—70

દીપક મહેતા|Opinion - Opinion|14 November 2020

હાંડીઓ અને કાચના ગ્લાસમાં મલોખાંના દીવાથી ઝગમગતું મુંબઈ

ચીનાબાગની લાઈટો જોવા આખું મુંબઈ ઉમટે

મરાઠી દિવાળી અંકોની ૧૧૧ વરસ જૂની પરંપરાના મૂળમાં ગુજરાતી માસિક  

ઓગણીસમી સદીના મુંબઈમાં દિવાળી

દિવાળીના દિવસોમાં મુંબઈમાં જેટલો ઉત્સાહ જોવા મળે છે તેટલો આખી દુનિયામાં બીજે ક્યાં ય જોવા મળતો નહિ હોય. આ ઉત્સવ સતત પાંચ દિવસ ચાલે છે અને એ જોવા લોકો દૂર દૂરથી મુંબઈ આવતા હોય છે. જાતજાતનાં ચિત્રો, અરીસા, હાંડીઓ, ઝુમ્મર વગેરેથી ઘરોનાં દિવાનખાના, પેઢીઓ, વગેરે એટલાં તો શણગારાય છે કે તેની સામે શ્રીમંતોના આરસમહેલ તો પાણી ભરે. કિલ્લામાં, બજારોમાં, રસ્તાઓ અને ગલ્લીઓ પર, ઘરોમાં અને ઘરોની બહાર, હાંડીઓ અને કાચના ગ્લાસમાં મલોખાંનાં દીવા ઝગમગતા જોવા મળે છે. આ જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડે છે અને ઠેર ઠેર ઘોડા ગાડીઓની લાંબી હાર જોવા મળે છે. ચોપડા પૂજનની સાંજે તો પેઢીઓમાં જે ઉજવણી થાય છે તેનું વર્ણન કરવું અશક્ય છે. નવા આણેલા ચોપડાઓનું પૂજન દરેક પેઢીમાં થાય છે. તે સાંજે તો કોટ અને બજાર વિસ્તારમાં એટલા લોકો હોય છે કે તેમની ગાડીઓની લાંબી લાંબી કતાર જાણે નદીમાં પૂર આવ્યું હોય તેમ આગળ ને આગળ ધપતી જોવા મળે છે.

તે દિવસે ગુજરાતી ઘોડાવાળાઓ એક સરખો પોશાક પહેરી એકઠા થાય છે અને પગે ઘૂઘરા અને કમ્મરે કમરબંધ બાંધી, હાથમાં બે બે લાકડી લઈ ઘરે ઘરે જઈ નાચતા હોય છે અને ગાતા હોય છે. તેમને આઠ આના-રૂપિયાની બક્ષીસ આપીને લોકો રાજી કરતા હોય છે. બલિપ્રતિપદા એ ગોવાળિયાઓ માટે બહુ મોટો તહેવાર હોય છે. તે દિવસે પોતાનાં ગાય-ભેંસને શણગારીને તેઓ પંચવાદ્ય વગાડતા ઘરે ઘરે ફરે છે. લોકો પંચારતી (પાંચ દીવાવાળી આરતી) કરીને તેમને વધાવે છે. 

દિવાળીના દિવસોમાં અડોશપડોશનાં બૈરાંઓ સાંજે ભેગાં મળીને કેવળ મોજ ખાતર જાતજાતનાં ગીતો ગાય છે. જેમ કે,

મુંબઈ શે’રની મોજ માણવા
નીકળ્યાં બૈરાં ઘરની બા’ર,
મુંબઈમાં બઈ, જહાં જુઓ ત્યાં રસ્તાનો નહિ પાર.
બંને બાજુ ઘર છે મોટાં, શોભે નકશીદાર.
ઘરને રંગ્યાં અનેક રંગે, રંગોનો શણગાર.
મુંબઈ તો છે ભપકાદાર, મુંબઈ તો છે ઠસ્સાદાર.
મુંબઈ શે’રની મોજ માણવા ..

મુંબઈમાં તો અલી! જુઓ ને શોભે તૈણ બજાર,
ભાયખળામાં શાક સવારે, ફૂલ, ફળોની હાર,
માર્કેટની બાજાર, તહીં કીડિયારું અપરંપાર.
માળી ઘરે ન આવતા, મુંબઈ શે’ર મોઝાર.
ફૂલ લાવવા જવું પડે બઈ ઠેઠ ચીરાબાઝાર.
ગુલાબ દેશી, વેલાતી ચંપો,
આસોપાલવનાં તોરણની ઠેર ઠેર છે હાર.
મુંબઈ શે’રની મોજ માણવા ..

મુંબઈમાં તો એક નહિ, પણ બબ્બે છે દરબાર,
ટંકશાળમાં સિક્કા ને નોટોની છે લંગાર,
ટૌન હોલમાં જહાં જુઓ ત્યાં ચોપડીઓની હાર.
મુંબઈના દરિયાને કાંઠે બંદર તો છે સાત,
બોરીબંદર, ચીંચબંદર, કોયલાબંદર,
ઉરણબંદર ચાર,
માહિમનું ને ભાયખળાંનું બંદર,
અને સાતમું ભાઉચા ધક્કાનું બંદર
છે મુંબઈ મોઝાર.  
મુંબઈ શે’રની મોજ માણવા
નીકળ્યાં બૈરાં ઘરની બા’ર,
મુંબઈમાં બઈ, જહાં જુઓ ત્યાં રસ્તાનો નહિ પાર.

(૧૮૬૩માં પ્રગટ થયેલ ગો.ના. માડગાંવકરના મરાઠી પુસ્તક ‘મુંબઈચે વર્ણન’માંથી મુક્ત અનુવાદ)

મુંબઈની દિવાળી ગાંધીજીની નજરે

હવે દિવાળી આવી પહોંચી. શહેરની શેરીઓ બધી આંખને આંજી નાખનારી રોશનીથી ઝળાંહળાં થઈ રહી છે. અલબત્ત, જેણે લંડનના રિજન્ટ સ્ટ્રીટ અથવા ઓક્સફર્ડ સ્ટ્રીટ જોયાં જ નથી તેને જ એ આંજી નાખનારી લાગે, અને તેની સરખામણી ક્રિસ્ટલ પેલેસ પર જે પ્રમાણમાં રોશની કરવામાં આવે છે તેની સાથે કરવાની હોય નહિ. મુંબઈ જેવાં મોટાં શહેરોની વાત વળી જુદી છે. પુરુષો, સ્ત્રીઓ, અને બાળકો પોતાનાં સારામાં સારાં વસ્ત્રો પહેરી ફરવા નીકળે છે. એ વસ્ત્રોના રંગોની વિવિધતાનો પાર નથી. તેથી અદ્ભુત એવી ચિત્રવિચિત્ર અસર પેદા થાય છે ને બધાં વસ્ત્રો એકઠાં મળી સુમેળવાળું અખંડ રંગબેરંગી સુંદર દૃષ્ય ઊભું કરે છે. વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા પણ આજે રાતે કરવાની હોય છે. વેપારીઓ ત્યારે નામાનો પહેલો આંકડો પાડી નવા ચોપડા શરૂ કરે છે. પૂજા કરાવનારો સર્વવ્યાપી બ્રાહ્મણ પૂજામાં થોડા શ્લોકો બબડી જઈ દેવી સરસ્વતીનું આવાહન કરે છે. પૂજા થઈ રહે એટલે છેક અધીરાં થઈ ગયેલાં બાળકો દારૂખાનું ફોડવા મંડી પડે છે અને આ પૂજાનું મુહૂર્ત આગળથી નક્કી થયેલું હોવાથી શહેરની બધી શેરીઓ ફટાકડાઓના અને બીજા દારૂખાનાના ફૂટવાના ફટફટ ને સૂ સૂ અવાજોથી ગાજી ઊઠે છે. ધાર્મિક વૃત્તિના લોકો પછી મંદિરોએ દર્શને જાય છે પણ ત્યાંયે આ રાતે તો આનંદ અને ઉત્સાહ આંજી નાખનારી રોશની અને જાતજાતની શોભા વગર બીજું કંઈ જોવામાં આવતું નથી.

– ગાંધીજી

(લંડનના સામયિક ‘ધ વેજિટેરિયન’ના એપ્રિલ ૪, ૧૮૯૧ના અંકમાં લખેલા લેખના અનુવાદના સંકલિત અંશો)

***

ચીનાબાગની લાઈટો જોવા આખું મુંબઈ ઉમટે

જરા મોટપણે જોયેલા ચીનાબાગના ઓચ્છવ-જમણવારો પણ મને બરાબર યાદ છે. દિવાળી ટાણે ચીનાબાગની લાઈટો જોવા આખું મુંબઈ ચાર દિવસ ઉમટે. ચીનાબાગમાં જમણ હોય. ગીરગામમાં એકજથ્થે સેળભેળ વસતાં અને મોરારજી ગોકુળદાસની નોકરીઓ કરતાં અમારા પાંચ-સાત દખણી ગુજરાતી કુટુંબોને સાકટમે નોતરાં હોય. જમણ પછી નાના શેઠિયાઓને હાથે પુરુષવર્ગને અને ધનીમા તરફથી પાછળ બૈરાંઓને નવાજેશો થાય. બંગલાના કિમતી પર્શિયન ગાલીચા બિછાવેલા મોટા હોલમાં મખમલ મશરૂથી મઢેલાં કોચ ગાદીતકિયા પર, કપાળે કેસરપીળ કાઢેલા નાના શેઠિયાઓ અઢેલીને પૂર દમામથી બેસે, ને અમારા મહેતા-કારકૂન કુટુંબોના વડીલો બધા બેઉ બાજુ ધોળી ફૂલ ખોળો ચઢાવેલી ઊજળી દૂધ ગાદીઓની બિછાયતો પર ઠેઠ દેશી પોશાકોમાં (અહીંની જ નવાજેશોમાં મળેલાં પાઘડી, અંગરખા, ઉપરણા ને ત્રણ આંગળ પહોળી લાલ રેશમી કિનારનાં નાગપુરી ધોતિયામાં) હારબંધ બેસે. અમે નાના છોકરાઓ બધા તેમની આગલી બાજુએ અદબપૂર્વક બેસીએ.

પછી અકેક કુટુંબનો વડીલ ઊઠીને અકેક છોકરાને અગાડી કરે. લાવીને શેઠિયાઓ સન્મુખ ઊભો રાખે, ને દર વખતે નવેસર ઓળખ કરાવે! અમને તો આ પ્રસંગે કેમ ઊભા રહેવું, કેમ જવાબ દેવા, કેમ લળીલળીને હાથ જોડવા, શેઠિયાઓ આપે તે ભેટની વસ્તુ કેવી નમનતાઈથી નીચા નમીને લેવી, ને કપાળે અડકાડી પાછે પગે પોતાની જગાએ જઈને કેમ બેસવું, એવી અકેક બાબતની દિવસોના દિવસો અગાઉથી અમારા ઘરોમાં તાલીમ અપાઈ હોય, ને રિહરસલો પણ કરાવી હોય! વરસોવરસનો આ ક્રમ તે મુજબ જ બધું કરવાનું.

પછી ભરજરીના તોરાવાળી નવીનકોર લાલ ચણોઠી જેવી પાઘડીઓ અને કોરી કડકડતી બાસ્તા જેવી ધોળી જગન્નાથનાં ચૂડીદાર ટૂંકા અંગરખાં પહેરેલા સતારા મામલેસરના ધિપાડ ધિંગા ઘાટીઓને હાથે પાનબીડાંના થાળ ફરે. સોનવાણી ગુલાબદાનીઓમાંથી ગુલાબજળ છંટાય. મોંઘા અત્તરના મઘમઘાટથી હોલ બહેકી ઊઠે, ને અમને દરેકને અમારા નાના શેઠિયાઓને હાથે સપરમા દિવસની નવાજેશો થાય. ઘરની મિલોના વણાટની કોરી ધોતલીઓના જોટા, ઝીકભરતની કે રેશમી ભરતની ગોળ મખમલ-ટોપીઓ, રેશમી રૂમાલ, સાવલિયાં, ને વડીલ વર્ગને મિલનાં કે નાગપૂરી હાથવણાટનાં કિમતી ધોતી જોટા, લાલ પાઘડીપાગોટાં, જગન્નાથીના તાકા, — એવું એવું મળે.

પાછલી પરસાળે ધનીમા કુંવારકા છોકરીઓને ચણિયાઓઢણી, અને મોટાંને બબ્બે છાયલ ને ચોળખણ આપે. વડીલ બઈરાંઓને દખણી હાથવણાટનાં ને કાળી કે લાલ સળીનાં સોલાપૂરી લૂગડાં, ને ક્યારેક શાલજોડી મળે. સોભાગવતીની ઓટી પુરાય. હલદીકંકુના પડા, ને ક્યારેક કાળી ચંદ્રકળાઓ પણ મળે.

(નોંધ: સ્વામી આનંદની પોતીકી જોડણી વ્યવસ્થા હતી, અને તેના તેઓ આગ્રહી હતા. એટલે ઉપરના લખાણમાં ભાષા-જોડણી મૂળ પ્રમાણે રાખ્યાં છે.)

(સ્વામી આનંદ કૃત નિબંધ ‘ધનીમા’માંથી)

મરાઠી દિવાળી અંકોની ૧૧૧ વરસ જૂની પરંપરા

આજે તો મરાઠીમાં દર વર્ષે લગભગ દોઢ સો જેટલા દિવાળી અંક પ્રગટ થાય છે. તેમાં માસિક-સાપ્તાહિકના વિશેષાંકો તો ખરા જ પણ વરસમાં એક જ વાર પ્રગટ થતા હોય તેવા દિવાળી અંકોની સંખ્યા ઘણી મોટી. મરાઠી દીવાળી અંકોની પરંપરાને આ વરસે ૧૧૧ વરસ પૂરાં થયાં. ૧૯૦૯ની દિવાળી વખતે ‘મનોરંજન’ માસિકનો દિવાળી અંક પ્રગટ થયો તે મરાઠીનો પહેલો દિવાળી અંક. કાશીનાથ રઘુનાથ આજગાંવકર (મિત્ર) નામના ૨૩ વરસના છોકરડાએ ૧૮૯૫ના જાન્યુઆરીમાં ૧૨ પાનાંનો ‘મનોરંજન’ માસિકનો પહેલો અંક મુંબઈથી બહાર પાડ્યો. પણ આવો વિચાર તેને સૂઝ્યો કઈ રીતે? આપણી ગુજરાતી ભાષામાં મુંબઈથી પ્રગટ થતું ‘પખવાડિયાની મજાહ’ નામનું પાક્ષિક જોઈને. બીજી ઘણી બાબતોની જેમ હળવું (હલકું નહિ) મનોરંજન આપતાં સામયિકોની બાબતમાં પણ પારસીઓએ પહેલ કરી હતી. છેક ૧૮૮૫ના ફેબ્રુઆરીની પહેલી તારીખે જીજીભાઈ ખરશેદજી કાપડિયાએ ‘પખવાડિયાની મજાહ’ નામનું પાક્ષિક મુંબઈથી શરૂ કર્યું હતું. લગભગ ત્રણ વરસ તેમણે તે ચલાવ્યું અને પછી તે વખતના ખૂબ જાણીતા પ્રકાશક જાંગીરજી બેજનજી કરાણીની કંપનીને વેચી દીધું. મરાઠી માસિક શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે પહેલાં તો આજગાંવકરે તેનું નામ ‘માસિક મૌજ’ રાખવાનું નક્કી કર્યું હતું. એ નામવાળાં જાહેરાતનાં હેન્ડ બિલ પણ વહેંચ્યાં હતાં. પણ આ નામ પોતાના સામયિકને ઘણું મળતું આવે છે એમ જણાવી જહાંગીર કરાણીએ મરાઠી સામયિકનું નામ બદલવા જણાવ્યું. એટલે પછી નામ રાખ્યું ‘મનોરંજન.’ પોતાનું પાક્ષિક વેચી દીધા પછી જીજીભાઈએ ૧૮૯૦માં ‘ગમ-ગોસાર’ નામનું માસિક કાઢેલું. આ ઉપરાંત ‘એ તે બૈરી કે …’ ‘વેલાતી મલાઉન’ નામનાં કથાત્મક પુસ્તકો પણ તેમણે લખેલાં. 

ત્યારથી શરૂ થયેલી મરાઠી દિવાળી અંકોની પરંપરા આજે તો ઘણી સમૃદ્ધ થઈ છે. છેલ્લાં કેટલાંક વરસથી છાપેલા અંકની સાથોસાથ તેની ડિજિટલ આવૃત્તિ પણ ઘણાં દિવાળી અંકોએ શરૂ કરી છે, તો કેટલાક હવે માત્ર ડિજિટલ આવૃત્તિ જ પ્રગટ કરે છે. બીજો એક નવતર પ્રયોગ પણ શરૂ થયો છે, ઓડિયો દિવાળી અંકોનો. આનો લાભ એક બાજુથી ઘડપણને લીધે વાંચવાની તકલીફ હોય તેવા લોકો લઈ શકે છે, તો બીજી બાજુ અંગ્રેજી માધ્યમને કારણે મરાઠી ભાષા લખી-વાંચી શકતા નથી, પણ સમજી અને બોલી શકે છે તેવા યુવક-યુવતી લે છે. અને મરાઠી દિવાળી અંકોમાં માત્ર કવિતા, વારતા, લેખ, વગેરે જ હોય છે એવું ય નથી. કુટુંબજીવન, લગ્નજીવન, કમ્પ્યુટર શિક્ષણ, સમતોલ આહાર, સ્ત્રીઓના પ્રશ્નો, ઇતિહાસ, વિજ્ઞાન જેવા કોઈ એક વિષય પરના લેખો અને માહિતી આપ્યાં હોય એવા દિવાળી અંકો પણ દર વરસે પ્રગટ થાય છે અને સારા એવા વેચાય છે પણ ખરા. ગિરગામ, દાદર, પાર્લા ઇસ્ટ, જેવા વિસ્તારોમાં આવેલી સરક્યુલેટિંગ લાઈબ્રેરીઓમાંથી પાંચ-છ મહિના સુધી લાવીને દિવાળી અંકો વાંચનારો પણ મોટો વર્ગ છે. દર વરસે પ્રગટ થયેલા દિવાળી અંકોની સ્પર્ધા પણ થાય છે, અને ઇનામો અપાય છે. પણ આં સમૃદ્ધ પરંપરાના મૂળમાં એક પારસી નબીરાએ શરૂ કરેલું ગુજરાતી સાપ્તાહિક રહેલું છે એ હકીકત આજે ભાગ્યે જ કોઈ જાણતું હશે.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 14 નવેમ્બર 2020

Loading

ફાધર વાલૅસ નહીં પણ ફાધર “વ્હાલેશ”

લિપ્યંતર : રૂપાલી બર્ક|Opinion - Interview|14 November 2020

શ્રદ્ધાંજલિ

અતિથિ કાર્યક્રમમાં દેવાંગ ભટ્ટને આપેલી જૂની મુલાકાત [14 જુલાઈ 2014]

નોંધ : ૯મી નવેમ્બર, ૨૦૨૦ના રોજ, સ્પેનના મૅડરિડ શહેરમાં, “ગુજરાતના ઘેરઘેર અને હૈયેહૈયે વસેલા”* ફાધર કારલૉસ ગોંઝાલેઝ વાલૅસ એસ. જે.નું ૯૫ વર્ષે નિધન થયું. સવાયા ગુજરાતી સ્વ. ફાધર વાલૅસને વંદન. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે. એમણે કરેલી વાતોની પુન:મુલાકાત કરીને એમને યાદ કરવાનું યોગ્ય લાગ્યું. અંગ્રેજીમાં એમનાં લખાણો, વિચારો, માર્ગદર્શન એમની official website www.carlosvalles.com પર ઉપલબ્ધ છે. Website પર મુલાકાતીઓના સ્વાગતમાં એમના પુલકિત વ્યક્તિત્વનો રણકો ધરાવતા ઉત્સાહી શબ્દો નીચે મુજબ લખેલાં છે:

Good that we meet. On screen and heart. In electronic company. In Peace and Joy.

— રૂપાલી બર્ક

~ ~ ~ ~ ~ ~

દેવાંગ ભટ્ટ : નમસ્કાર મિત્રો, ‘અતિથિ’માં ફરી એકવાર તમારું સ્વાગત છે. ‘અતિથિ’ ઓટલો એવો કાર્યક્રમ કે જે વિશિષ્ટ વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવે છે. આજે ‘અથિતિ’માં એવી વિશિષ્ટ વ્યક્તિ સાથે અંતરંગ વાતો કરવાની છે કે જે બોલેને ત્યારે એમને સાંભળવા પણ ગમે અને તેમને વાંચવા પણ ગમે. બહુ જ ઓછા એવા સિદ્ધહસ્ત લેખકો હોય છે જેમની વાણી પણ આપણા કાને પડે તો મજા આવે અને ખાસ કરીને તેમના શબ્દો પણ નજરે ચડે તો મજા પડે તેવાં અનેક યુવાનોના પ્રેરક જેઓ બન્યા છે, તેવા ફાધર વાલૅસ અમારી સાથે હાજર છે. ફાધર, આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં. (ફાધર નમસ્તેમાં હાથ જોડે છે.) ફાધર, સૌથી પહેલા તો, ક્યાંથી સફર શરૂ થઈ? (ફાધરનું ઝીણું હાસ્ય સંભળાય છે.) હિન્દુસ્તાનની સફર ક્યાંથી શરૂ થઈ?

ફાધર વાલૅસ : ક્યાંથી? (સ્મિત સાથે) હવે તો યાદ મારે કરવી પડે છે. ૧૯૬૦માં હું આવ્યો હતો. કેટલા વરશ (ફાધર ‘વરશ’ ઉચ્ચાર કરે છે.) થયાં તમે પૂછ્યું. એટલે લગભગ ૫૦ ઉપર વધારે વરશો હું અહીંયા જ અને ખાસ કરીને, વિશેષ કરીને અમદાવાદમાં જ હું રહ્યો. અમદાવાદમાં મારા જીવનનાં ઉત્તમ ૪૦ વરશ થયાં. એ જ મારા મનમાં ખાસ યાદમાં છે. ખાસ પ્રસંગ છે, ખાસ મારું જીવન છે. અમદાવાદના પેલા ૪૦ પૂરાં વરશ. 

દેવાંગ ભટ્ટ : જ્યારે સ્પેનથી આવ્યા ત્યારે ક્યાંક પ્રશ્ન થયો હશે ભાષાનો. પસંદગી કરી અમદાવાદ કે ગુજરાતની. પરંતુ વાત આવીને અટકે છે ભાષાની. હંમેશાં એવું કહેવાય છે કે બુદ્ધિશાળી જે વ્યક્તિ હોય છે એને કોઈ ભાષાનાં કોઈ બંધનો નડતાં નથી. પરન્તુ, પરન્તુ, લોકો સુધી પહોંચવા માટે સ્થાનિક ભાષાનો ઉપયોગ તો કરવો જ પડે. અને એના માટે આપે કોઈકનો સહારો લીધો હશે. જો મારી ભૂલ ના થતી હોય તો કદાચ ચંદ્રકાંત શેઠ. આપ ગુજરાતી ભાષા કોની પાસેથી શીખ્યા?

ફાધર વાલૅસ : (હસતાં) જુઓ, આટલો સરસ પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપીશ તો કલાક લાગે કારણ એની અંદર લગભગ મારી આખી આત્મકથા આવી જાય છે. એ આકર્ષણની પાછળ ઘણી બધી … હું જરા લાંબુ કરું પણ તમે વચ્ચે વચ્ચે બોલો નહીં તો આખું ભાષણ થઈ જશે. (દેવાંગ ભટ્ટ કહે છે ‘ઓકે ઓકે’. બન્ને હસે છે.) પહેલી વાત. હું નાનો હતો, એટલે ૮૦ જેટલાં વરશ પહેલાંની વાત કરું છું. મારા બાપુજી, ઍન્જીનિયર, સ્પેનમાં. એમણે શું કર્યું ભાષાઓના માટે, ખબર છે? અમારી માતૃભાષા સ્પૅનિશ. સ્પૅનિશ તો ખરું, એ તો ચાલે. પછી કઈ સ્કૂલમાં … હું પાંચ વરશનો હતો ત્યારે મારા બાપુએ મને મોકલ્યો. નવાઈ લાગે હું તમને કહું. પચાસ વરસ … એંસી વરશ પહેલાંની વાત છે. જર્મન સ્કૂલમાં મને મૂકી દીધો  કારણ કે એ વખતે યુરોપની અંદર બીજી કોઈ ભાષા કરતાં સૌથી અગત્યની, સૌથી ઉમદા, સૌથી ઊંચી ભાષા જર્મન. અંગ્રેજીનું કોઈ મહત્ત્વ ન હતું. નવાઈ લાગે છે હું તમને કહું. તો સાંભળો શું થયું તે. સ્પૅનિશ, સ્પૅનિશ ઉપરથી જર્મન અને જર્મન પછી એક શિક્ષક બોલાવીને ઘેર ફ્રૅંચના ક્લાસ કરે. સ્પૅનિશ, જર્મન, ફ્રૅંચ. એ વખતે મારા બાપુજીનું એવું કેવું વલણ હતું, કેવી જાગૃતિ હતી કે નાના છોકરાઓને ત્રણ ભાષા. પછી મને કહે, તમને હસવું આવશે, તમારું સ્પૅનિશ તો છે, જર્મન તો સ્કૂલમાં પાક્કું થશે અને આ ફ્રૅંચ પણ ખરું. કદાચ, પાછળથી, ના કરે ભગવાન ને અંગ્રેજીની જરૂર પડે તો તમે શીખી શકશો. (ફાધર એવી રમૂજી નાટ્યાત્મક્તાથી બોલે છે કે દેવાંગ ભટ્ટ હસી પડે છે.) એ વખતે અંગ્રેજીનું મહત્ત્વ નહોતું અત્યારે છે તેમ. હવે તો ક્યાં જર્મન, ક્યાં ફ્રૅંચ, અંગ્રેજી, અંગ્રેજી, અંગ્રેજી. બીજી વાત કહું. કહું એટલે મારો ઇતિહાસ આવી જાય. કહું છું આ તો કે અંગ્રેજી શીખવાનું પા….પ મેં ભારતમાં આવીને કર્યું … (દેવાંગ ભટ્ટ સૂચક રીતે “ઓ…” બોલે છે.) અંગ્રેજી હું અહીં આવીને શીખ્યો,સમજ્યા. તે વખતે જરા વધારે પ્રસિદ્ધ …

દેવાંગ ભટ્ટ : ફરી વાર કહું, રિપીટ કરું, રિપીટ કરું આપના શબ્દો, તો અંગ્રેજી શીખવાનું પા…પ, આપે કીધું પા…પ એમ ખેંચીને (ફાધર ખડખડાટ હસે છે.) Do you feel કે એ પાપ હજી પણ ભોગવી રહ્યા છે હિન્દુસ્તાનીઓ?

ફાધર વાલૅસ : સાચી વાત. પા…પ શબ્દ તમે ઉચ્ચાર્યો, બરાબર નકલ કરી. જરા રમૂજ સાથે. પાપ શા માટે કહું છું, આપણને જાણે દુ:ખ છે કે હવે તો આખી દુનિયામાં અંગ્રેજી, અંગ્રેજી. અંગ્રેજી એ ઉત્તમ ભાષા છે. શેક્સપિયર છે ને બધાં છે, એની ના નથી, જરૂર. પરંતુ જે રીતે અંગ્રેજી બોલાય — પ્રથમ તો એક અંગ્રેજી ભાષા નથી, બહુ અંગ્રેજી ભાષાઓ હોય છે. બીજું કહું છું, અંગ્રેજી ભાષા તો ખરી પણ એનો ઉચ્ચાર કેવો? ખરેખર શરમ આવે એવું. ગુજરાતીમાં હોય તો ક, ખ, ગ, ઘ … આ બધું સ્પષ્ટ આવી જાય છે. સ્પૅનિશ ભાષા હોય તો જેવી લખાય એવી બોલાય. એમાં આ સ્વર છે — આ, ઍ, ઈ, ઑ, ઉ. બીજું કશું નહીં. અંગ્રેજીમાં જે ગોટાળા આવે છે એ તમે જાણો છો, હું જાણું છું, બધાં જાણીએ છે. અહીંયા હું છું, (ફાધર હસી પડે છે.) આજે સવારે મને ટાવલ જોઈએ છે, ટાવલ. ટુવાલ લાવો. ટાવલનું ટુવાલ. (બન્ને હસે છે.) જુવલરી-જૂલરી — એ બધું થઈ જાય છે. એ તો અંગ્રેજીનું પાપ છે. તમે જરા સ્પષ્ટ કહો ને, ભાઈ.

દેવાંગ ભટ્ટ : જેવું લખ્યું છે એવું બોલો.

ફાધર વાલૅસ : એવું બોલો.

દેવાંગ ભટ્ટ : Fine. મારો basic પ્રશ્ન એ હતો કે ગુજરાતી ભાષા કોણે શીખવી અને કઇ રીતે ગુજરાતી પ્રત્યેનો પ્રેમ વિશેષ થયો.

ફાધર વાલૅસ : બરાબર છે. મારી આત્મકથામાં, ભાષાની આત્મકથામાં આગળ આવી જાય છે. હું ભારતમાં આવું, અંગ્રેજી શીખવાનું પાપ કરી લઉં અને મારા મનમાં તો એમ હતું કે અહીં અંગ્રેજી ચાલશે. બીજું, હું અહીંયા આવ્યો તે ગણિતના શિક્ષક તરીકે યુનિવર્સિટીમાં. અને મારા મનમાં ત્યારે એવું હતું કે ગુજરાતીમાં ગણિતનો વર્ગ ચાલશે તો અંગ્રેજીમાં એટલે મારે બીજી કોઈ ભાષા શીખવાની જરૂર નથી, પરંતુ ઘણી ડિગ્રી માટે મેં પૂછ્યું કે ભારતમાં અત્યારે યુનિવર્સિટી સારી કઈ? મદ્રાસ યુનિવર્સિટી. ચેન્નાઈ હું ગયો. લોલવાલા કૉલૅજ હું ગયો અને ત્યાં ગણિતમાં હું દાખલ થયો. બધું તો સ્પષ્ટ અને શુદ્ધ અંગ્રેજીમાં, પરંતુ, મેં એક વાત જોઈ. હું વર્ગમાં જઉં, બધાં વિદ્યાર્થીઓ, સાચું કહું, મારા બધાં ત્યાંના, ઘણા આદમી તો કેવા હતાં, ખબર છે? દક્ષિણના બ્રાહ્મણ લોકો. રામાનુજન. મજા તો પૂરી પૂરી આવી. ઘણાં બધાં પ્રસંગ મનમાં આવે. એક વખત શિક્ષક ભણાવતા હતાં અને કહ્યું અંગ્રેજીમાં “Today we have to teach the napkin-ring problem. Napkin-ring problem.” પછી કહે નૅપ્કીન-રીંગ શું છે મને ખબર નથી. પણ પ્રૉબ્લૅમ શું છે એ હું બતાવી આપું. એટલે મેં હાથ ઊંચો કર્યો કે સાહેબ, મને ખબર છે કે નૅપ્કીન-રીંગ પ્રૉબ્લૅમ શું છે. હા, તમે સમજાવો. નૅપ્કીન-રીંગ પ્રૉબ્લૅમ શું છે એ તમને ખબર છે? અહીં તો હવે વાપરીએ છીએ નૅપ્કીન-રીંગ પણ અમે જ્યારે નાનાં હતાં ત્યારે યુરોપમાં જે કરતાં હતાં તમે લોકો કરતાં નહોતાં. નૅપ્કીન-રીંગ તો ગોળ હોય છે, નહીં? અને જમવાના ટેબલ ઉપર એ જાતનું cloth હોય છે, નહીં? પછી અમે શું કરતાં કે નૅપ્કીન રીંગ કાઢીને ટેબલ ઉપર મૂકીને, પછી આમ ગોળ હોય (હાથથી આકાર બનાવી, ઈશારાથી સમજાવતા જાય છે) એ ઉપરથી તમે આમ કરો તો પછી એ આગળ જાય પણ સાથે સાથે એનો પાછળ આવવાનો ધ્યેય આપ્યો એટલે એ જરા આગળ આવી ને પછી પાછો આવી જાય, તમે જોયું હશે. (દેવાંગ ભટ્ટ કહે છે “જી, જી”.) એ નૅપ્કીન-રીંગ પ્રૉબ્લૅમ. ગણિતમાં કરવાનું કે આટલા માપનું છે એટલે એનું વજન આટલું, એટલે લંબાઈ આટલી અને એને એટલું જોર મળે તો ક્યાં સુધી જશે અને ક્યારે પાછું આવશે. એવું ગણિત કરવાનું. (બોર્ડ પર લખવાનો અભિનય કરે છે.) એ બધું શિક્ષકે બરાબર બતાવ્યું. પછી મેં કહ્યું કે રીંગ તો આ છે. એટલે આ ભાષા ને આ ગણિત ને (હસી પડે છે.) … પણ મૂળ વાત ઊપર આવું છું. હું તો મદ્રાસ યુનિવર્સિટીમાં. સારાસારા અધ્યાપકોની સાથે. અંગ્રેજી શુદ્ધ બોલે, ભલે નૅપ્કીન-રીંગની વાત જાણતા ના હોય, પરંતુ મારા મનમાં એ વાત આવી, અને એ અગત્યની વાત છે. કેવી રીતે જીવનમાં બદલાવ જોવા મળે છે, બીજું મેં એ જોયું કે વર્ગમાં તો બધું શુદ્ધ અંગ્રેજીમાં ચાલે છે, ઉત્તમ રીતે, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ સરસ રીતે, પરંતુ ઘંટ વાગે, પિરિયડ પૂરો થાય, વિદ્યાર્થીઓ બહાર પગ મૂકે કે તરત જ એમની પોતાની માતૃભાષા તામિલમાં બોલવા જાય. અહંહં … મનમાં કાંઈક આવ્ચું કે પેલું ગણિત અહીંયા ચાલ્યું, બહાર જઈએ તો … ત્યારે મારા મનમાં બેસી ગયું, જાણે વ્રત મેં લીધું. મને હવે અમદાવાદ જઈને ગણિત ભણાવવાનું છે યુનિવર્સિટીમાં. મારા ખ્યાલ પ્રમાણે … (કાનમાં કહેતા હોય એવો અભિનય કરે છે.) જે ખ્યાલ પાછળથી ખોટો પડ્યો, સમજાવું. એમ હતું કે યુનિવર્સિટીમાં ગણિત ભણાવવાનું તો અંગ્રેજીમાં હશે, પછી અંગ્રેજીનું ગુજરાતી યુનિવર્સિટીમાં પણ થઈ ગયું (આંખો મિચકારીને ધીમું ધીમું હસે છે.) પણ એ વાત પાછળ મૂકીએ. મારા મનમાં તો એમ કે મારું ભણાવવાનું કામનું, ગણિતનું કામ તો અંગ્રેજીમાં ચાલશે પરંતુ મારે કામ સાથે, ગણિત સાથે નહીં, મારું કામ કાળા પાટિયા સાથે નહીં, વિદ્યાર્થીઓની સાથે છે અને વિદ્યાર્થીઓના મગજ સાથે નહીં, વિદ્યાર્થીઓનાં હૃદય સાથે છે. (દેવાંગ ભટ્ટ “Okay” કહી પ્રતિસાદ આપે છે.) એ હૃદયમાં પહોંચવાનો રસ્તો કેવો? (સહેજ મોં બગાડીને બોલે છે.) અંગ્રેજીમાં? (દેવાંગ ભટ્ટ બોલે છે “No way”.)  માતૃભાષા. (ખૂબ જુસ્સાથી અને મક્કમતાથી બોલે છે.) ત્યારથી, મારા મનમાં એ નિર્ણય લીધો, એક વ્રત લીધું કે હું ગુજરાતમાં જઈશ તો હું ગુજરાતી શીખીને જઈશ.

દેવાંગ ભટ્ટ : ફાધર, હું તમને અહીંયા રોકીશ.

દર્શક મિત્રો, ખૂબ જ રોચક વાત. શા માટે ગુજરાતી? એક સ્પૅનિશ કે જેમણે જન્મ લીધો સ્પેનમાં. એમણે કીધું એ પ્રમાણે એમના પિતાજી એક અલગ વિચારધારાવાળા વ્યક્તિ હતા, તેમણે જર્મન લૅંગ્વૅજ શીખવાડી અને કીધું અંગ્રેજી તો જરૂર આવશે ત્યારે શીખી લઈશું. બહુ સૂચક વાત કરી કે અંગ્રેજી શીખવાનું પાપ તેમણે ભારતમાં આવીને કર્યું. ચેન્નાઈમાં તેમણે પ્રયત્ન કર્યો ગણિત શીખવાનો અંગ્રેજીમાં. પરંતુ ત્યારે મનમાં ગાંઠ વાળી લીધી કે મારે અમદાવાદ જાવું છે, ગુજરાતી માતૃભાષા છે, ચોક્કસપણે ગુજરાતીમાં જ આ વાત હું શીખવીશ. આના પછીની ઘણી બધી રસપ્રદ વાતો એક નાનકડા બ્રેક બાદ. દર્શકમિત્રો, સમય થયો છે વિરામનો …

વિરામ બાદ ફરી વખત તમારું સ્વાગત છે ‘અતિથિ’માં. વાત કરી રહ્યાં છીએ આપણે ફાધર વાલૅસ સાથે. … ફાધર, નક્કી કરી જ લીધું કે ગુજરાતી શીખવું છે પણ કોની પાસે? એ પણ પ્રશ્ન આવ્યો હશે. (ફાધર હસી પડે છે ને હકારમાં માથું હલાવે છે.) કોણ શીખવાડે આ સ્પેનથી આવેલા ગોરી ચામડીવાળા કોઈ ભાઈને, કોણ ગુજરાતી શીખવાડશે? એને શોધવાનું પણ એક અઘરું કામ હશે. અને કદાચ, શોધી લીધા પછી એમના માટે પણ વધું અઘરું થઈ ગયું કે આ વ્યક્તિને ગુજરાતી શીખવાડવાનું. (ફાધર ટૂંકું ખડખડાટ હસે છે.) કોણ હતું એ? આ ભગીરથ કામ ઉપાડવાવાળું?

ફાધર વાલૅસ : (હસતાં હસતાં બોલે છે.) ભાષાની આત્મકથાનાં પ્રકરણ આગળ વધતાં જાય છે. પણ ઠીક ઠીક  કહેવાનું છે મારે. અમે જે પ્રદેશથી, સ્પેનથી આવતાં હતાં, મારા જેવા ફાધરોની સાથે એક ભાષા શાળાની વ્યવસ્થા કરી હતી જેમાં એક વરશ દરમ્યાન એક ગુજરાતી શિક્ષક આવીને અમને ગુજરાતી શીખવાડે. અમને ક, ખ, ગ, ઘ — કશું આવડતું નથી, પહેલેથી જ માંડીને એક વરશ સુધી બધા સાથે મળીને પાયામાંથી ગુજરાતી ભાષા શીખ્યા. એટલે એમાં હું ગયો. એમાં કોઈ ખાસ શિક્ષક સારા-ખરાબ નહીં, સામાન્ય હતા. બતાડતા હતા. અમે પ્રયત્ન કરતા હતા. અને એ વરશ પૂરું થયું ને બધા મારા જે સાથીઓ હતા એમને સંતોષ થયો. અમે કોર્સ કર્યો. પ્રમાણપત્ર મળ્યું. એક વરશ દરમ્યાન ગુજરાતીનો અભ્યાસ કર્યો. કેટલું આવડ્યું, કેટલું આવડ્યું નહીં, એનું કારણ નહીં પણ પેલું પ્રમાણપત્ર આવ્યું, certificate છે એ આવી ગયું. એ લઈને અમે બહાર જઈએ, આગળ જઈએ. અમારી કારકિર્દી બહુ લાંબી હોય છે, હં, બહુ વરશ થાય એટલે એ લોકોને ઉતાવળ છે કે બધું પૂરું કરીને કામ ઉપર આવીએ. અને મારી કારકિર્દી પણ લાંબી હતી, એ મદ્રાસમાં ગણિતના અભ્યાસને લીધે વધારે લાંબી થઇને! એટલે બધા રાહ જોતા હતા કે ભાઈ, તમે તો મોડા છો હવે જલદી કરો. મેં શું કર્યું? મેં કહ્યું કે ભાઈ, તમારી સાથે હું વરશ સુધી ગુજરાતમાં શીખવા રોકાઉં. વરશ પછી મને ખાતરી થઈ કે આ પૂરતું નથી. (દેવાંગ ભટ્ટ “Okay” બોલે છે.) પ્રયત્ન બહુ કર્યો પરંતુ પાછળથી મારા વિશે યશવંત શુક્લ કહેવાના હતા એ અત્યારે કહું, “ગુજરાતી એ કોઈ પરદેશીના હાથમાં જાય એ કોઈ ભાષા નથી. (દેવાંગ ભટ્ટ આશ્ચર્યના ભાવથી “Oh!” બોલે છે.)

પરદેશીના હાથમાં જાય એ કોઈ ભાષા નથી. પ્રસંગ પણ કહું પછી મૂળ વાત પર આવી જાઉં. હું એમની કૉલૅજમાં પ્રવચન કરતો હતો અને પ્રવચન કરતાં કરતાં ગુજરાતીમાં મેં એક પ્રયોગ વાપર્યો કે ગુજરાતમાં આ બાજુ આમ છે, આ બાજુ આમ છે (બે હાથથી વારાફરતી ત્રાજવાનાં પલ્લાં ઊંચાંનીચાં થતાં હોય એવું કરી બતાવે છે.) એટલે એનો ધડો કરવા … એટલે યશવંતભાઈએ મારી સામે વળીને કહ્યું કે ધડો શબ્દ પરદેશીના હાથમાં જાય એવો નથી. (બન્ને હસે છે.) સાચું છે, નથી? ગુજરાતી આવડે, કેમ છો? સારું છે. પણ ધડો કરવા જરા … (દેવાંગ ભટ્ટ બોલે છે “હટ કે”) એનો ભાગ જોડણીકોષમાં જોવો પડે છે, આવે તો સારું. એટલે એ રીતે, મૂળ વાત ઉપર આવું. મારા સાથીઓ ગયા. મને હસી કાઢીને ગયા. તમે ફસાઈ જશો. એક વરશ બગાડ કર્યો. હું બીજું વરસ રોકાવાનો છું. એક વરશ સુધી હું શીખતો હતો, પૂરતું નથી. અને મારા બાપુજીના તરફથી એવા સંસ્કારો મળ્યા હતા કે ભાઈ, તું જે કામ કરશે તે કરશે પણ જે કરીશ તે સારી રીતે કરીશ. શ્રેષ્ઠતાનો પાઠ પહેલેથી, નાનપણથી. ગુજરાતીને વરશ સુધી કર્યું, સંતોષ નથી, બીજું વરશ મને આપો અને હું બીજા વરશ માટે રોકાયો. ને હું કહું છું કે બધાં મારા સાથીઓ મારી હાંસી કરતા હતા અને મને કહેતા હતા કે તમે પસ્તાઈ જશો. એક વરશ બગાડી  નાખો છો. શું કામ રોકાવ છો? એટલે સહેલું ના હતું તો ય મેં નક્કી કર્યું તમે જાવ (એકદમ કડકાઇભર્યાં સ્વરે ને હાવભાવ સાથે બોલે છે.) તમારે કામ હોય તો જાવ.હું એક વરશ માટે રોકાઈ જઉં છું. અને એક વરશ માટે, વાત પૂરી કરવા માટે, વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટી છે ને? એમાં હું ગયો. અમારી પેલી, મેં તમને કહ્યું બધાની સ્કૂલ હતી એમાં બધું ભેગું હતું, અંગ્રેજી, સ્પૅનિશ, ગુજરાતી. જ્યારે હું વલ્લભ વિદ્યાનગર ગયો ત્યાં સવારથી સાંજ ગુજરાતી, ગુજરાતી, ગુજરાતી. હું છોકરાઓની હૉસ્ટૅલમાં રૂમ રાખીને રહેતો …

દેવાંગ ભટ્ટ : અહીંયા, અહીંયા હું રોકું છું. અહીં એક પ્રશ્ન મને પુછવાનું મન થાય. Being a priest you had been over here. અહીં આવ્યા, આપ. આપને એવું નથી લાગતું કે ગુજરાતી ભાષા પ્રત્યેનો કદાચ પ્રેમ અથવા તો ગણિત પ્રત્યેનો પ્રેમ, એના કારણે, ખરેખર priestનું જે કામ હતું એ ક્યાંક થોડું ઓછું થયું  એના કારણે ઘણાં પ્રશ્નો પણ સર્જાયા હશે. આપને જે સંસ્થાએ મોક્લ્યા’તા, એ લોકોએ પણ પૂછ્યું હશે કે ફાધર, આપ અહીંયા ગુજરાતી ભાષા શીખવા આવ્યા છો એમાં ક્યાંક you are wasting your years. ઘણો બધો સમય આપનો waste કરી રહ્યા છો એવો પ્રશ્ન પણ આવ્યો હશે.

ફાધર વાલૅસ : બધાથી સારી વાત કરી, એકદમ સાચી વાત છે. હું અહીં આવ્યો ત્યારે મન ખુલ્લું રાખીને, ખુલ્લું રાખીને મારે કબૂલ કરવું પડે કારણ કે એ વખતનું વાતાવરણ પણ એવું હતું. મારો ધર્મ સાચો, બીજા બધા ખોટા. લોકોને સમજાવું ઘણું, તમે કહો છો કે મારું કામ એ મિશનરીનું કામ. એ બધું લઈને પેલું હતું. હવે મેં ધીરે ધીરે જોયું, એટલે તમે જે કહ્યું અને બહુ સાર્થક રીતે કહ્યું કે priestનું કામ ઓછું અને પછી આ સંસ્કાર-સંસ્કૃતિનું કામ વધારે. Priestનું કામ ઓછું એમ હું નથી કહેતો પણ priestનું ખરું કામ વધારે થાય કારણ કે priestનું ખરું કામ એ ધર્માંતર કરાવવાનું નહીં, એ લોકોને સારા બનાવવાના છે.

દેવાંગ ભટ્ટ : પણ ફાધર, આ જ વિચારના કારણે લોકોને આ વિચાર નહીં ગમ્યા હોય આપના.

ફાધર વાલૅસ : એવું બન્યું નથી, કોઈ જગ્યામાં, એવું બન્યું નથી. કદાચ, મને એક વાત કહેવા દો, મારી નથી, કાકાસાહેબની વાત છે. મારા વિશે વાતો કરતા એમણે શું કહ્યું હતું એ તમને કહું. બનતા સુધી બધું સ્પષ્ટ થઈ જશે, નહીં તો તમે પૂછતા રહેજો. બહુ જ સારી રીતે કરો છો તમે. એમની વાત મને આટલી બધી ગમી અને આ જાણે સ્પષ્ટ કરી દેશે. ટૂંકમાં કહું. કોઈ સંજોગોમાં અમે ભેગા થયા કરતા હતા, (ચહેરા પર છલકાતી પ્રસન્નતા સાથે ઉષ્માભેર બોલે છે.) કાકાસાહેબની સાથે મારે બહુ સંબંધ, હં, ખૂબ, પહેલેથી. અને એ ચુસ્ત હિન્દુ તરીકે અને હું ચુસ્ત નહીં પણ ખ્રિસ્તી તો ખરો (બન્ને થોડું હસે છે.) બીજી કાકાસાહેબની વાત, ફાધર વાલૅસ હિન્દુઓને ઇસુ ખ્રિસ્તને ચાહતા બનાવે છે, ખ્યાલ આવ્યો, એમાં મારું જીવન. એ કર્યું. પેલો કોઈનો પ્રચાર, આગળપાછળ કોઈનું સારુંખોટું, એવું નહીં. પણ તમે જેવા છો, ત્યાં છો, મારા સંપર્કમાં આવ્યા એટલે તમારું જીવન કંઈક ઊંચું આવે, બીજું શું પણ તમને વાંચ્યાનો આનંદ થાય. લોકો મને પૂછે છે લોકો તમારાં પુસ્તકો બહુ  વાંચે છે, તમારે શું જોઈએ છે? હું કહું છું કે મારું પુસ્તક લખીને કંઈ નહીં તો એક કલાક કે એક દિવસ માટે એને જરા આનંદ થાય. એમાંથી કશું પમાય તો ઠીક છે. એને પુસ્તકોમાંથી કશું લેવાનું, શીખવાનું નહીં પરંતુ વાંચીને તમે ખુશ થઈ જાવ કલાક માટે તો સાર્થક થયું પુસ્તક.

દેવાંગ ભટ્ટ : અહીંયા રોકીશ again, again, again. લાગણીસભર વાતો, દિલ ખોલીને વાતો, અંતરંગ વાતો, છેલ્લાં તબક્કાની વાતો એક નાનકડા વિરામ બાદ.

વિરામ બાદ ફરી એક વખત સ્વાગત છે આપનું કાર્યક્રમ ‘અતિથિ’માં. ફાધર, ઘણાં લોકો કહે છે મજાકમાં આપનું એક પુસ્તક લગ્નજીવન પર સરસ આવ્યું છે (ફાધર ખિલખિલાટ હસવા લાગે છે.) ફાધર કુંવારા પણ સલાહ બહુ સરસ આપી છે. કઈ રીતે આ બન્યું? How it’s possible?

ફાધર વાલૅસ : (હસતાં હસતાં) મેં લગ્ન તો કર્યા નથી.

દેવાંગ ભટ્ટ : એટલે જ ને.

ફાધર વાલૅસ : લોકો મને બહુ પૂછતા હતા. લગ્ન તો કર્યા નથી અને આટલું બધું … કારણ તો એ છે કે લગ્ન મેં કર્યા નથી એટલા માટે છોકરા-છોકરીઓ આવે મારી પાસે સલાહ પૂછવા માટે કે મારા ઘરમાં આમ થાય છે, મારા પતિ આમ છે, મારી પત્ની આમ છે, બધી વાતો તો આવ્યાં જ કરી છે અને મેં બોલવાનું, જાણવાનું, સલાહ આપવાની વાત આવે એટલે બધું આવી જાય છે. એક મજાનો પ્રસંગ તમને કહું. એક દિવસ એક યુવાન માણસ મારી પાસે આવે. “તમારું કહું છું પેલું લગ્ન વિશે ‘લગ્નસાગર’ (બે હાથ ફેલાવી વિશાળતા દર્શાવે છે.) સાગર છે. ‘લગ્નસાગર’ તમારું પુસ્તક એ હું બહુ જ વાંચું છું, એટલું જ નહીં પણ કાંઇક લગ્નના પ્રસંગે જઈએ ત્યારે ભેટ લઈને હું આપું છું.” માટે બહુ સુંદર, સુશોભિત આવૃત્તિ પણ કાઢી છે અમે તો. પછી કહ્યું … “હવે હું ફરીથી કોઈ તમારું પુસ્તક ભેટ આપવાનો નથી.” કેમ? કહે કે “હું તો એટલા માટે કે હું જ્યારે લાઈનમાં હતો ત્યાં વર-કન્યાની આગળ, મારા હાથમાં તમારું પુસ્તક લઈને, મારી આગળ બે-ત્રણ માણસો એ જ પુસ્તક લઈને ઊભાં હતાં. (બન્ને જોરથી હસી પડે છે.) એટલે હું  ફરીથી લેવાનો નહીં.

દેવાંગ ભટ્ટ : અંતિમ સવાલ. છેલ્લાં પાંચ-છ સવાલ. જે આપની પાસે માર્ગદર્શક એકએક lineના જવાબ મને જોઈએ છે. (ફાધર ગંભીર બની તત્પરતા બતાવે છે.) કોઈ પણ યુવાનનો આદર્શ goal કયો હોવો જોઈએ? ધ્યેય કયો હોવો જોઈએ?

ફાધર વાલૅસ : (ઊંડો શ્વાસ છોડતાં માથું ધુણાવતા જાય છે.) મને દિલમાં લાગે છે એટલી વાત તમને કહી દઉં. તમને ખબર પણ નથી કે કેટલી અસર થઈ મારા ઉપર. લગભગ ગળગળો થઇ ગયો છું કારણ કે અમે નાના હતા, જુવાનો હતા, પેલી વાત, તમે કરી હતી તે જ. દિલમાં, મનમાં, કેટલી વાર, ગુજરાતીમાં પણ એ શબ્દ વાપર્યો છે — આદર્શ, ધ્યેય, લક્ષ્ય, goal. નાનપણથી જ, પહેલેથી જ અમને કહેતા હતા (ઊંડો શ્વાસ છોડે છે ને તીવ્ર નિસ્બતના ભાવથી સ્વરમાં મક્કમતા લાવીને, હાથ ઊંચો કરીને બોલે છે.) ક્યાં ય જવાનું હોય તો પસંદ કરવાનું છે કે ક્યાં જવાનું છે… એટલે એ ધ્યેય, એ લક્ષ્ય, એ goal પહેલું હોવું જોઈએ તમારા મનમાં, દિલમાં, અને પછી શું છે કે આમ હોય ત્યારે પછી ગમે તે પ્રયત્ન, ગમે તે સાધના કરવાની હોય તો ત્યાં જવાનું છે એટલે હું કરી દઈશ. પણ પેલું ના હોય તો (ગતાગમ ના પડતી હોય એવો અભિનય કરે છે.) ક્યાં જવાનું હોય, ખબર નહીં. એટલે કહું છું મને દિલ સ્પર્શે એ વાત તમે કરી કે (પાછી અવાજમાં મક્કમતા સાથે.) જીવનમાં એ નક્કી કરીએ તો પછી એ જ કરવાની … દુ:ખ તો એ છે તમે જોયું તે, મને જે સંસ્કારો મળ્યા એ હું નથી જોતો કે આજના યુવાનોને એ મળતા હોય. તેમને પૂછું તમારું ધ્યેય શું જીવનમાં. ધ્યેય? (માથું ખંજવાળીને વિચારવાનો અભિનય કરતા.) કહે અહીંયા છું, પાસ કરવાનો છું, પછી નોકરી લાગીશું, છોકરી લાઈશું, કોઈ નક્કી નથી. એટલે એક goal નથી તમે કહ્યું એમ. એક ધ્યેય નથી, એક લક્ષ્ય નથી. ઉપર જવાની નેમ નથી એટલે પછી એવું થાય છે. માટે દિલથી, મારા જીવનથી, અનુભવથી તમે કહ્યું કંઈ કરવાનું હોય તો જીવનમાં એ જાતનું ધ્યેય, એ જાતનું લક્ષ્ય. જીવન તો નાનું છે, જીવીને શું કરવું છે મારે? કોઈ વખત પૂછે છે તમે મરી જાવ પછી લોકો તમારા વિશે શું કહે એ તમારી એક જ ઈચ્છા છે. લોકો તમારી … તમને યાદ રાખે તો શા માટે યાદ રાખે? એવું કાંઇક મનમાં  બેસાડો તે તમે તો જુઓ. એ જ સૌથી અગત્યનું છે આ જુવાન લોકોના માથે.

દેવાંગ ભટ્ટ : ફાધર, આપના મત મુજબ દુનિયામાં મોટામાં મોટું પાપ કયું?

ફાધર વાલૅસ : (ઊંડો શ્વાસ ખેંચે છે.) પાપની વાત કરવાનું હવે તો મેં બહુ ટાળ્યું છે. પરન્તું જે મોટી … એના કરતાં તમને બીજી એક વાત … એક બીજો શબ્દ વાપરવા દો … જો એની વાત નથી, આટઆટલા પ્રશ્નો પૂછ્યા પણ એક પણ વાત મારા મનમાં નાની નથી. યુરોપમાં પાપ, પાપ, પાપ, બધે ચાલે છે. I am a  sinner, sinner, sinner. એ બધું એ ઉપરથી મળ્યું છે. આપણી ભાષામાં પાપ શબ્દ છે પણ સંસ્કારમાં, પ્રાર્થનામાં પાપ નથી અને બીજો શબ્દ વાપરીએ છીએ અને એ વધારે મજાનો છે. આપણી ભૂલ.

દેવાંગ ભટ્ટ :  જી. કઈ મોટામાં મોટી ભૂલ આપને લાગે છે જે નહીં કરવી જોઈએ? જી.

ફાધર વાલૅસ : ભૂલ, ભૂલ. એ આખું વાતાવરણ બદલાય. હા ભઈ, (બે હાથ જોડી પ્રાર્થના કરવાનો અભિનય કરતા.) હે ભગવાન … ભૂલ એટલે માણસ માત્ર ભૂલને પાત્ર.

દેવાંગ ભટ્ટ : Fine, fine. Father, last question, last question. આ programme અંતરંગ વાતો કરવા માટે જાણીતો છે. અનેકો લોકોએ પોતાના દિલની વાત, દિલ ખોલીને આ કાર્યક્રમમાં કરી છે. અંતિમ સવાલ. કોઈ એવું confession કરવા માગો છો આજે? On screen? જે કદાચ આજ સુધી કોઈને કીધું ના હોય.

ફાધર વાલૅસ : (ખૂબ એકાગ્રતાથી સાંભળીને. ખૂબ ગંભીર મુખમુદ્રા સાથે વાત કરે છે.) એની વાત … હું તો … મારું મન એકદમ ખુલ્લું છે, ખુલ્લું છે. દરેક રીતે, દરેક બાબતમાં. સ્પષ્ટતા અને ખાસ કરીને પારદર્શક્તા એ મારો ખૂબ વહાલો ગુણ છે એ જોઈએ છીએ. કોઈ સંતાડવું, કોઈક … કોઈ ના જાણે એવું કહેવાનું, એ મારા વાતમાં, હું વિચાર કર્યા જ કરું છું અત્યારે. તમને ખરી વાત કહું અને એ સાચો જવાબ છે. મારા જીવનમાં બતાવ્યું એ છે પણ એનું એક મુખ્ય કારણ કે મારા જીવનમાં મિત્રતા બહુ વહાલી અને ઉત્તમ અને જરૂરી વસ્તુ છે. અને એ મિત્રોની સાથે, મિત્રતા એટલે શું? તમે કહ્યું તેમ કે હું કોઈ વાત સંતાડતો નથી. ગમે તે થયું હોય. ગમે છે, ગમતું નથી. યોગ્ય કર્યું છે કે ખોટું કર્યું છે. એ બધાં મિત્રોની સાથે cool, દિલ ખુલ્લું મુકીને. ગમે તે … જો એમણે આ ભૂલ કરી તો આ થયું. કહું છું. જરા મેં ખોટું કર્યું તો સંતાડીને કર્યું હોય એવું મને યાદ નથી. એટલે મનમાં વિચાર કરી કરીને બીજી રીતે તમે કહો તો ના થયું હોય તો સારું એવો વિચાર કરાવીશું તો સાચું કહું મને એવું જડતું નથી. મારું સિદ્ધાંત તો આ છે જીવવા માટે. અને આને માટે હું ધર્મ કે ભગવાન કે ઈશ્વર ઇચ્છા એ વચ્ચે લાવતો નથી હં, જેથી બધાંને માટે ખુલ્લું છે. જીવન મને લઈ જાય ત્યાં જઈશ. ઉપર, નીચે, દૂર, નજીક, ક્યાં છે મને ખબર નથી પણ મારી તૈયારી છે જ. અને આજ સુધી હું જોઉં તો પણ એવું થયું. મને પૂછ્યું હોત કે તમે ભારત શા માટે આવ્યા? મને મોક્લ્યો એટલા માટે. તમે ગણિત શા માટે લીધું? મને ત્યાં મોક્લ્યો એટલા માટે. હું અમદાવાદમાં આવ્યો, મને સૂઝ્યું એટલે જે થયા. જે થાય છે અંદરથી એ તૈયાર રહેવાનું. કોઈ દબાવવાનું નહીં. કહેવાય નહીં પણ નજરે જોઈને જીવન મને લઈ જાય છે તો લઈ જવા દેવાનો. એ મારો  મોટો સિદ્ધાંત છે. એ સિદ્ધાંત ઉપરથી હું અહીંયા સુધી લાવ્યો છે. જીવન મને અહીંયા સુધી, ટી.વી. સુધી, તમારા સુધી લઈ આવ્યો છે.

દેવાંગ ભટ્ટ : (હાથ મિલાવતાં.) Father, thank you very much, thanks a lot.

દર્શક મિત્રો, એક પ્રેરક વ્યક્તિ,એક જીવન, એક ખરેખર કહી શકાય કે પથદર્શક બને છે. ફાધર વાલૅસની લખેલી વાતો, એમનાથી બોલાયેલી વાતો અથવા એમના વિશે સાંભળેલી વાતો જે કદાચ એમણે કીધું કે જીવનમાં પારદર્શક્તા, કદાચ આ જ, આ જ, આ જ ગુણ એમને આટલા સ્વસ્થ અને આજની તારીખમાં પણ ક્યાંક આપણને ઇર્ષા થાય તે પ્રકારનું સ્મિત, તે પ્રકારનું સ્વાસ્થ્ય અને આશા રાખીએ પ્રભુ પાસે હજુ પણ અનેકો વર્ષો સુધી ફાધર આપણી વચ્ચે રહે, સ્વસ્થ રહે અને ફરી વાર ચોક્કસપણે સમય મળશે ત્યારે ઘણી બધી વાતો એમની સાથે કરીશું. પરંતુ અહીંયા સમય થયો છે આપથી વિદાય લેવાનો. ફરી મળીશું next episodeમાં નવા ‘અતિથિ’ સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, Thnk you very much. Thanks a lot, again.

ફાધર વાલૅસ : (હાથ જોડીને.) નમસ્તે.

ફાધર વાલૅસને અર્પેલી શ્રદ્ધાંજલિમાં ગુજરાતના આર્ચબિશપ ટોમસ મૅકવાનના શબ્દો  (https://youtu.be/34go0_178ZU)

સ્રોત: Devang Bhatt youtube channel

https://www.youtube.com/watch?v=QmVFmO5A3lc

Loading

...102030...2,1502,1512,1522,153...2,1602,1702,180...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved