Opinion Magazine
Number of visits: 9964993
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જૂઠ અને કલ્પનામાં ફર્ક એ છે કે જૂઠમાં તમને ખબર હોય કે તે સત્ય નથી, જ્યારે કલ્પનામાં તમને વિશ્વાસ હોય છે.

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 January 2021

અમેરિકન વ્યંગકાર માર્ક ટ્વેઇનના નામે એક કથિત વિધાન છે (કથિત એટલા માટે કે એવા જ મતલબનું વિધાન એન્ગલો-આઈરિશ લેખક જોનાથન સ્વિફ્ટ નામે અંકિત છે) : "સત્ય હજુ ચપ્પલ પહેરે તે પહેલાં જૂઠ અડધી દુનિયામાં પહોંચી જાય છે." કોરોનાની મહામારીમાં આ વિધાન સાચું પડ્યું છે. અમેરિકામાં એક સર્વેમાં બહાર આવ્યું છે કે આ મહામારી કોઈ કારસ્તાનના ભાગરૂપે ફેલાઈ છે તેવી માન્યતાના કારણે લોકો વાઈરસ ફેલાતો રોકાય તેવા (માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, લોક ડાઉન, હાથની સફાઈ વગેરે જેવા) ઉપાયોમાં સહકાર આપવા તૈયાર નથી થતા.

યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના અન્નેનબર્ગ પબ્લિક પોલિસી સેન્ટરે કરેલા આ સર્વેમાં અમેરિકન લોકોમાં કોરનાને લઈને કારસ્તાનની ત્રણ મુખ્ય શંકાઓ હતી : એક, ચીનની સરકારે તેની જૈવિક શસ્ત્રોની નીતિ હેઠળ લેબોરેટરીમાં કોરોના વાઈરસને પેદા કરીને છોડ્યો હતો. બે, યુ.એસ. સરકારના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી જીતીને ન આવે તે માટે કોરોનાનો વધારે પડતો હાઉ ઊભો કર્યો હતો, અને ત્રણ, ફાર્માસ્યુટિકલ કંપનીઓએ તેમની દવાઓ અને પાછળથી રસીઓ વેચવા માટે આ મહામારી ઊભી કરી છે.

દુનિયાના લગભગ દરેક દેશમાં, કોરોનાને લઈને લોકોમાં જાતભાતની માન્યતાઓ પ્રચલિત છે. દિલ્હીમાં તબલીગી જમાતના સંમેલનનો ફિયાસ્કો થયો, તે પછી આખા દેશમાં એવી માન્યતા ઘર કરી ગઈ હતી કે એ સંમેલનનો હેતુ જ કોરોના ફેલાવવાનો હતો. મીડિયાએ તેના માટે ‘સુપરસ્પ્રેડર’ શબ્દ ઘડી કાઢ્યો હતો. હવે એ શબ્દ ગાયબ થઇ ગયો છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને ભારતીય ન્યૂઝ ટેલિવિઝન પર બે મહિના સુધી રોજ એક નવી ‘થિયરી’ આવતી હતી.

અમેરિકાના ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્ર અનુસાર, કોરોનાના ઉદ્ભવને લઈને ટેલિવિઝન અને સોશ્યલ મીડિયા પર ૧૨ લાખ વખત માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સનું નામ સંડોવામાં આવ્યું હતું. કેમ? બિલ ગેટ્સે ૨૦૧૫માં વાનકોવરમાં યોજાયેલી ટેડ કોન્ફરન્સમાં સીધી જ ચેતવણી ઉચ્ચારી હતી કે, “આગામી થોડા દાયકાઓમાં કોઈ યુદ્ધ નહીં, પણ અત્યંત ચેપી વાઈરસના કારણે એક કરોડથી વધુ લોકો મરી જશે.” ગેટ્સનું ફાઉન્ડેશન એઈડ્સ અને બીજી મહામારી માટે થઈને આખા વિશ્વમાં કામ કરે છે. ગેટ્સ ફાઉન્ડેશન રોગોના અભ્યાસ પણ કરે છે, પરંતુ ‘વાંકદેખ્યા’ લોકોએ એવો કુતર્ક કર્યો કે ગેટ્સે ભવિષ્યવાણી કરી હતી કારણ કે તેમને કોરોનાના કારસ્તાનની આગોતરી જાણ હતી અને તેમનું ફાઉન્ડેશન કોરોનાની રસી વેચવા અને માઈક્રોચીપ બેસાડવા સક્રિય છે.

બિલ ગેટ્સ સાથેના જ એક પોડકાસ્ટમાં, ઇઝાયેલી ઇતિહાસકાર યુવલ નોઆ હરારીએ કહ્યું હતું કે આપણી સામે કોરોના વાઈરસ કરતાં ય સૌથી વધુ મોટો ખતરો કારસ્તાનની આવી થિયરીઓનો છે. તેમણે કહ્યું હતું કે જૂઠ અને કલ્પનામાં ફર્ક એ છે કે જૂઠમાં તમને ખબર હોય કે તે સત્ય નથી, છતાં તમે બીજા લોકોને છેતરવા માટે તેને ફેલાવો, જયારે કલ્પનામાં તમને વિશ્વાસ હોય અને બીજા લોકો તેને માને એટલા માટે તેને ફેલાવો. દાખલા તરીકે, ધર્મમાં કે ઈશ્વરના અસ્તિત્વમાં માનવું એ જૂઠ નથી, કારણ કે તેમાં ઈરાદો બીજા લોકોને છેતરવાનો નથી, પરંતુ જર્મનીમાં નાઝી શાસકોની વંશીય થિયરી (કે એક જાતિનું લોહી શ્રેષ્ઠ છે અને બીજી જાતિનું કનિષ્ઠ છે) શુદ્ધ રૂપે જૂઠ અથવા કારસ્તાન હતું.

સવાલ એ છે કે આપણી પાસે પૂરતા પ્રમાણમાં વૈજ્ઞાનિક જાણકારી છે, આપણે પ્રમાણમાં ઘણા શિક્ષિત છીએ, આપણી પાસે ટેકનોલોજીઓ છે, છતાં આપણે એવું કેમ માનવા પ્રેરાઈએ છીએ કે ચીની લોકોએ વિશ્વગુરુ બનવા માટે વાઈરસને છોડીને દુનિયાને નમાવી દીધી છે અથવા દવા કંપનીઓએ ભેગા થઈને રોગનું કારસ્તાન કર્યું છે?

તેનું એક કારણ છે કે મોટા ભાગના લોકોને સાદી રીતે સમજમાં આવે તેવી વાતો વધુ સાચી લાગે છે. આપણા દિમાગની આ એક વિશેષતા છે. આપણે દિમાગને દુનિયાનું સૌથી કાર્યક્ષમ અને સૌથી વિકસિત ‘યંત્ર’ ગણીએ છીએ, જે સાચું પણ છે, પરંતુ જ્યારે પરસ્પર વિરોધાભાસી માહિતીઓ આવતી હોય અથવા ગૂંચવાડાભરી પરિસ્થિતિ હોય, ત્યારે દિમાગ સૌથી સુસંગત જાણકારીને સાચી માની લે છે. આપણને અનિશ્ચિતતા ગમતી નથી. જગત જટિલ છે તે સાચું, પરંતુ આપણા માટે રોજેરોજ જગત સાથે પનારો પાડવાની અનિવાર્યતા હોય છે, એટલે એ જરૂરી બની જાય છે કે ગમે તેવી જટિલતા હોય, પણ આપણે તેને ‘આપણી રીતે’ બોધગમ્ય બનાવીને નિત્ય જિંદગી જીવતા રહીએ.

દાખલા તરીકે, કોરોના વાઈરસને લઈને એટલી બધી વિરોધાભાસી જાણકારીઓ છે (વૈજ્ઞાનિકો પણ એકરાર કરે છે કે તેમની પાસે હજુ વાઈરસના વર્તનને લઈને સંપૂર્ણ માહિતી નથી) કે મોટા ભાગના લોકો નિષ્ણાતોની જેમાં કપાળ પર આંગળી મુકીને વાઈરસનું વિજ્ઞાન શું છે, કોરોના કેવી રીતે વિકસ્યો હશે, તેની પહેલી જાણ કોને થઇ હશે, ચીનના વડાનો પહેલો પ્રતિભાવ શું હતો, ચીને બીજા દેશોને શું જાણ કરી હતી, વગેરે સવાલોનું વિશ્લેષણ કરવા બેસી રહેતા નથી.

તેના કરતાં ‘આ ચાઇનીઝ લોકો દુષ્ટ છે અને તેમને મહાસત્તા બનવું છે એટલે વાઈરસનું કારસ્તાન ઘડ્યું છે’ એવી વાત આસાનીથી સમજમાં આવે તેવી હોય છે. બીજું એક કારણ એ છે કે લોકો તેમની સમજને અનુકૂળ આવે તેવી વાત વધુ સ્વીકારે છે. દાખલા તરીકે, ચીન પ્રત્યે અમેરિકામાં વધુ નફરત છે એટલે ‘ચીનનું કારસ્તાન છે’-વાળી વાત અમેરિકનો વધુ માને. પાકિસ્તાનમાં ચીન માટે પ્રમાણ દુશ્મનાવટની ભાવના ઓછી છે એટલે ત્યાં આ થિયરીને હસી કાઢવામાં આવે.

વાસ્તવિકતા જ્યારે અસ્પષ્ટ અને અણધારી હોય ત્યારે આપણે સહજ રીતે એવું માનવા પ્રેરાઈએ છીએ કે તે ઘટના પાછળ કોઈ યોજના હશે. આપણે તેમાં અકસ્માતની કલ્પના કરી શકતા નથી. દાખલા તરીકે જેના કારણે પોણા બે કરોડ લોકો માર્યા ગયા હોય અને જે છેલ્લા એક વર્ષથી દુનિયાના તમામ દેશોને ધમરોળી રહ્યો હોય તેવો વાઈરસ એક સાધારણ અકસ્માત કેવી રીતે હોઈ શકે?

આપણે સ્કૂલમાં હતા ત્યારે આપણને ન ગમતા છોકરાઓ કે છોકરીઓ આપણી સામે કોઈ કાવતરું ઘડી રહ્યા છે એવા વિચારને પંપાળવાનું આપણને ગમતું હતું. ઘર કે ઓફિસ બહાર પાર્ક કરેલી આપણી કારના બોનેટ પર કોઈએ તીક્ષ્ણ વસ્તુથી કોઈ અક્ષર પાડ્યો હોય, તો તે મસ્તી-મજાકનું પરિણામ છે તેવું માનવાને બદલે આપણે તેમાં ‘છૂપો’ સંદેશો શોધવા પ્રયાસ કરીએ છીએ : મને હેરાન કરવા માટે હશે? મને ધમકી હશે?

કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ છુપી રીતે અમુક કામોને અંદાજ આપી રહ્યો છે તે વિચાર એટલો તાકતવર છે કે વૈજ્ઞાનિકોથી લઈને ઓફિસનું મેનેજમેન્ટ કે એક સરકાર આવી રીતે ષડ્યંત્રકારી તરીકે કોઈને પણ નજર આવી શકે.

કારસ્તાનની થિયરીની સૌથી મોટી સમસ્યા એ છે કે તેને (સાચી નહીં) ખોટી સાબિત ન કરી શકાય! જો કોઈ એમ કહે કે બિલ ગેટ્સ જેવો માણસ એમાં સામેલ ન હોય, તો તેની સામે દલીલ એવી આવે કે એ તો તમને ગેટ્સ ફાઉન્ડેશને પૈસા આપીને ખરીદી લીધા છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો વિશાળ ચાહક વર્ગ એવું માને છે કે પર્યાવરણનું સંકટ એ અમેરિકા વિરોધી દેશો, ઉધોગપતિઓ અને વૈજ્ઞાનિકોએ ઊભું કરેલું તુત છે. એટલા માટે ટ્રમ્પની સરકાર ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવા માટેની આંતરરાષ્ટ્રીય પેરિસ સંધીમાંથી નીકળી ગઈ હતી. જો બાઈડેનની સરકાર હવે તેમાં પાછી જોડાવાની છે.

આ જ ડોનાલ્ડ ટ્રમ્પે કોરના વાઈરસને ‘ચાઇનીઝ વાઈરસ’ કહીને તેને ચાઇનીઝ કારસ્તાનનો રંગ ચડાવ્યો હતો. પ્રોફેસર યુવલ નોઆ હરારી કહે છે કે, “કોરોના વાઈરસના ઉદ્દભવને લઈને કોઈ વ્યક્તિ તમને કોઈ થિયરી ગળે ઉતારવા મથતી હોય, તો તમારે એને કહેવું કે તમે મને વાઈરસ શું છે અને એ કેવી રીતે ફેલાય છે તે સમજાવી શકો? જો તમને એક સાદી બાયોલોજીમાં સમજણ ન પડતી હોય, તો તેમની થિયરી શું કામની !”

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 03 જાન્યુઆરી 2021

Loading

ગ્રામ સ્વરાજ સંઘ – નીલપર : સંક્ષિપ્ત કાર્ય-પરિચય

રમઝાન હસણિયા|Opinion - Opinion|5 January 2021

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, ‘ભારતનો જો સર્વાંગી વિકાસ કરવો હશે તો એના ગામડાંઓને વિકસિત કરવાં પડશે.’ ગ્રામોત્થાનમાં જ દેશોત્થાનનું સપનું જોનારા ગાંધીજીના આ વિચારને પોતાનો જીવનમંત્ર બનાવી, તેમના પગલે ચાલનારા કંઈ કેટલા ય લોકો ભારતના ખૂણે ખૂણે બેસીને ચૂપચાપ કામ કરી રહ્યા છે, – ગ્રામોત્થાનનું –દેશોત્થાનનું. આવું જ ખૂણે બેસીને ઝીણું કાંતનાર, સમાજના વિકાસ માટે જીવન સમર્પિત કરી દેનાર એક વિરલ વિભૂતિ એટલે મણિભાઈ સંઘવી. આવો, એમણે સ્થાપેલી સંસ્થા ‘ગ્રામ સ્વરાજ સંઘ'નો અને એની કામગીરીનો નાનકડો પરિચય મેળવીએ …

જે વયે સૌ નિવૃત્તિ ઝંખતા હોય છે, તે ઉંમરે કચ્છના એક અદના ગાંધીજન એવા મણિભાઈ સંઘવીએ મહેરામણ અને અફાટ રણથી ઘેરાયેલા કચ્છ જિલ્લાના વાગડ જેવા અતિ પછાત, દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં વસતા વંચિત સમુદાયોના સર્વાંગી વિકાસ માટે તથા ગામડાંઓમાં સાચું સ્વરાજ લાવવા, રાપર તાલુકાના નીલપર ગામના, સોનટેકરી પરિસર પર, ‘ગ્રામ સ્વરાજ સંઘ' નામની સંસ્થા સ્થાપીને સેવાની જે ધૂણી ધખાવેલી. તેને આજે ૪૧-૪૧ વર્ષનાં વાણાં વાઈ ગયાં છે. આટઆટલાં વર્ષોમાં વિભિન્ન પ્રકારે સાતત્યપૂર્ણ રીતે સેવાકીય પ્રવૃત્તિઓનો એક અખંડ પ્રવાહ વહેતો રહ્યો છે.

ગાંધી-વિનોબાના વિચારોથી રંગાયેલા અને નાનાલાલ વોરા તથા માવજીભાઈ વેદના હાથ નીચે ઘડાયેલા એવા મણિભાઈ સંઘવીએ પોતાના ગ્રામ સ્વરાજનાં સપનાંઓને સાકાર કરવા, આ વિસ્તારના વંચિતોને પગભર કરવા તથા ગ્રામ સ્વરાજની અનુભૂતિ કરાવવા સર્વોદય યોજના દ્વારા ૧૯૭૯માં અહીં વિવિધ કામોનો શુભારંભ કર્યો. ધીમે ધીમે પછી તો પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો રહ્યો. શિક્ષણ, પર્યાવરણસુરક્ષા, આરોગ્ય સુરક્ષા, લોક સંગઠનો દ્વારા લોકશક્તિ નિર્માણ કરવી, કુદરતી અને માનવસર્જિત આફતો વખતે અસરકારક કામગીરી કરવી તથા અનેકવિધ સેવાકીય કાર્યો કરવા એ સંસ્થાનું મુખ્ય પ્રવૃત્તિપુષ્પ બની રહ્યુ.

સંસ્થાના જન્મ સમયે એટલે કે વર્ષ ૧૯૭૯માં હજુ તો તે પાપા પગલી માંડતી થઈ હતી, ત્યાં જ અતિવૃષ્ટિમાં વિનાશક વરસાદને કારણે થયેલી મચ્છુ હોનારત થકી જે તારાજી સર્જાઈ ને બાપુજીની આગેવાની હેઠળ સંસ્થાના કાર્યકરો અને વિદ્યાર્થીઓ તાત્કાલિક સેવા અર્થે દોડી ગયા. આ હોનારતે રાપર-ભચાઉ તાલુકાના પણ અનેક ગરીબ પરિવારો પાસે ભાંગ્યાં-તૂટ્યાં ઘર અને ઘાસનાં ઝૂંપડાં પણ છીનવી લીધેલાં. તે વખતે સંસ્થા પાસે સાઈકલ લેવા માટેના નાણાના પણ ફાંફા હતા, પણ આવી પરિસ્થિતિ વખતે જંપીને બેસી રહે તો તે મણિભાઈ શાના ? તરત ટહેલ નાખી … મણિભાઈની આગવી સૂઝ અને ચીવટભર્યા આયોજન તથા કાર્યનિષ્ઠાને પરિણામે ઘરવિહોણાંને ઘર બનાવી આપવા રકમો આવતી થઈ, બહુ ટૂંકાગાળામાં મણિભાઈની દીર્ઘદ્રષ્ટિને પરિણામે રાપર-ભચાઉ તાલુકાના ૫૬ ગામોમાં ૩૯૬ મકાનો બનાવડાવી સંસ્થાએ આ પરિવારો પર છત્ર ધર્યું.

હજી તો નિરાંતનો શ્વાસ લે ન લે ને ત્યાં તો ઉપરાઉપર (વર્ષ – ૮૬-૮૭, ૯૩-૯૪, ૯૫-૯૬ના) દુષ્કાળો આવ્યા, પશુઓ અશક્ત થઈ ટપોટપ મરવા માંડયા … ફરી અપીલ, ફરી વણથાક્યા કામની શરૂઆત થઈ. પરિણામે ૧૭૫ પશુઓને ૯૦ દિવસ રોજ લીલાચારાથી ધરવ્યા. ૧,૨૫૦ બળદોને સાત માસ સુધી વિશેષરૂપે દરરોજ એક-એક કિલો ખાણ-દાણ આપી ટકાવી રાખ્યા. તે ઉપરાંત ચાર ગામની ૨૭૬ ગાયો અને ૨૮ બળદોને પણ જીવનદાન આપ્યું. સાથોસાથ આવા કારમા દુષ્કાળોમાંથી પાર ઉતારવા ખેડૂતોના કૂવાઓને ઊંડા કરાવવાની કામગીરી હાથ ધરી ને ૫૯ ગામોના ૪૫૦ કૂવાઓને રૂ. ૮,૩૫,૦૦૦/- ખર્ચે સજીવન કરાવી, તેમની વાડીઓમાં લીલો ચારો વવડાવી પશુઓને બચાવ્યા અને રોજગારીની તકો પણ પૂરી પાડી.

વાગડની આ ઊબળ-ખાબડ અને રેતાળ જમીન પિયત પાણીનો ખૂબ વ્યય કરે. તેથી પૂરતું વળતર ન મળે. તેનો ઉપાય શોધ્યો સિમેન્ટના પાઈપોથી વાડીઓમાં પાણી પહોંચાડવાનો. આ યોજના નીચે ૧૪૧ ગામોના ૧,૦૨૯ ખેડૂતોને ૪,૬૯,૭૩૩ ફૂટ સીમેન્ટ પાઇપ આપી લાખો રૂપિયાનું ઉત્પાદન વધાર્યું અને સેંકડો લોકોને રોજગારીની તક પૂરી પાડી દુષ્કાળમાં રોજગારી અર્થે થતાં સ્થળાંતરને અટકાવ્યું.

આવાં તો અનેકાનેક કામો થયાં પણ સંસ્થાના સ્થાપક મણિભાઈ સંઘવીએ પૂજ્ય માતાજીના જાણીતા વિધાન ‘તમારા કાર્યને જ તમારા વતી બોલવા દો’ને પોતાનો જીવનમંત્ર માનેલો. આ વિધાનને અનુસરીને ચૂપચાપ જે કામો થતાં રહ્યા તેની એક આછેરી ઝલક મેળવીએ.

શિક્ષણ

સમાજમાં ઈચ્છનીય પરિવર્તન લાવવા બાળકોને સુટેવોના ઘડતર સાથેની ગાંધી વિચારધારા મુજબની અનુબંધની કેળવણી આપવાના પણ મંડાણ કર્યા, તેના પરિપાક રૂપે આજે સંસ્થાના વલ્લભપુર અને નીલપર કેમ્પસના મળીને કુલ ૫૦૦ જેટલા વંચિત સમુદાયોનાં કુમાર – કન્યાઓ પ્રતિવર્ષ ઉત્તમ શિક્ષણનો લાભ મેળવી રહ્યાં છે. આ વિસ્તારના વંચિત સમુદાયોમાં કન્યા કેળવણીનું પ્રમાણ હજીએ નહિવત છે તેથી સંસ્થાએ કન્યા કેળવણી માટેનો એક વિશેષ યજ્ઞ આદર્યો છે, જેમાં સરકાર તરફથી કોઈ આર્થિક સહાય મળતી નથી. દાન આધારિત આ યજ્ઞમાં પ્રતિ વર્ષ ૧૨૫ બાળાઓને મફત નિવાસી શિક્ષણ આપવામાં આવે છે, ને તેની પાછળ દર વર્ષે રૂપિયા ૨૫ લાખ જેટલો ખર્ચ થાય છે.

પર્યાવરણ સુરક્ષા –

પર્યાવરણને સુરક્ષિત રાખવું એ હવે માનવધર્મ બની ગયો છે. સંસ્થાએ આ ક્ષેત્રે પણ ઉલ્લેખનીય કાર્ય કર્યું છે. ૨૨ ગામના ૧,૧૭૦ પરિવારોને નિર્ધૂમ ચૂલા બનાવી આપી પર્યાવરણને શુદ્ધ રાખવા જહેમત લીધી છે, તો બાર ગામના ૨૪૯ પરિવારો માટે સુલભ શૌચાલયો બનાવડાવી આપ્યા છે. વરસાદના વહી જતાં પાણીનો સંગ્રહ કરવા જુદા-જુદા ૧૪ જેટલા વિસ્તારોમાં ૧૮ લાખના ખર્ચે તળાવડાઓ બનાવી આપી, સેંકડો લોકો અને હજારો પશુ-પંખીઓની તૃષા છીપાવવાનું અદકેરું કામ સંસ્થા દ્વારા થઈ શક્યું છે. ભારતનાં સ્થાનિક વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે ત્યારે દેશી વૃક્ષો જેવાં કે લીમડો, બોરડી, વડ, ગુગળ, દેશી વગેરેનું જે લોકો મુખ્યત્વે વૃક્ષો કાપીને કોલસા બનાવે છે, એ લોકોમાં વૃક્ષો ઓછાં કપાય, દેશી વૃક્ષોને સમજીને કાપે ને કોલસા માટે માત્ર ગાંડા બાવળનાં વૃક્ષોનો ઉપયોગ કરે, આ જાતના સંસ્કાર પડે, પર્યાવરણ બાબત નિસ્બત કેળવાય અને લોક જાગૃતિ વિકસે એ પણ સંસ્થાનો મુખ્ય હેતુ છે. તે ઉપરાંત ખેડૂતોને ફળાઉ વૃક્ષોનાં છોડ આપીને તેમ જ વિદ્યાર્થીઓ દ્વારા સેંકડોની સંખ્યામાં વૃક્ષો ઉછેરીને વાતાવરણને શુદ્ધ બનાવવામાં સંસ્થાનું આગવું પ્રદાન રહ્યું છે.

રાહત પ્રવૃત્તિઓ –

કુદરતી અને માનવસર્જિત આપત્તિ ટાણે અસરગ્રસ્તોને તાત્કાલિક અને અસરકારક રીતે રાહત પૂરી પાડવામાં આપણી આ સંસ્થા હંમેશાં અવ્વલ રહી છે. પછી તે મચ્છુ હોનારત હોય, વારંવાર પડતા દુષ્કાળનો સામનો કરવાનો હોય, વિનાશક વાવાઝોડાની અસરો સામે ટક્કર ઝીલવાની હોય, ભયાવહ ભૂકંપ હોય, તમિલનાડુમાં આવેલ ત્સુનામી, કાશ્મીર ભૂકંપ, બિહાર પૂર હોનારત, નેપાળ ભૂકંપ હોય … બે-ચાર ઉદાહરણ લઈએ …. ઈ.સ. ૧૯૯૮ના વિનાશક વાવાઝોડાએ કાળો કેર વર્તાવી મકાનોને ધરાશયી કરી દીધેલા, ઘરવિહોણાં બની ગયેલાં લોકોને નાનકડું પણ પાકું મકાન બનાવી આપવા સંસ્થાએ સુલભ ગ્રામ આવાસ યોજના બનાવી. આ યોજના તળે રૂ. ૯૯,૯૭,૨૦૦/-ના ખર્ચે ૭૩ ગામના ૧,૦૯૮ પરિવારોને ઘરના ઘર બનાવી આપવામાં આવ્યા.

હાહાકાર મચાવેલા કચ્છ ભૂકંપ વખતે સંસ્થાએ કરેલી કામગીરીનું વર્ણન કરવા બેસીએ તો તો તેમાં કલાકો જાય. છતાં અતિ સંક્ષિપ્તમાં જણાવીએ તો ૧૪,૪૯૬ પરિવારોને તુરત સેમી-પરમેનન્ટ હાઉસ બનાવડાવી આપ્યા. હજારોની સંખ્યામાં ધાબળાઓનું વિતરણ કર્યું. ૨૫૦ સ્વયંસેવકોને માટે ત્રણ માસ સુધી વિનામૂલ્યે રસોડું ચલાવ્યું. સેંકડો લોકોને અંતરિયાળ વિસ્તારમાં જઈને રાશનકીટ પહોંચાડી, ચાર એમ્બ્યુલન્સ દ્વારા ૯૩ ગામોમાં જઈને લોકોને પ્રાથમિક સારવાર અને જરૂરી દવા આપવામાં આવી, ક્રાય સંસ્થાના સહયોગ થકી સેંકડો બાળકોને હૂંફભર્યો સધિયારો આપ્યો. ચાઈલ્ડ લાઈન સંસ્થા સાથે રહી બાળકોને રક્ષણ પૂરું પાડ્યું. જરૂરિયાતમંદ બહેનોને કપડાં સીવવાના સંચા આપ્યા, ૩૬ ગામની ૪૯ આંગણવાડીઓને વધુ સુસજ્જ બનાવડાવી સખીવૃંદ પ્રોજેક્ટ દ્વારા. ૨૨ ગામોમાં સખીવૃંદ કેન્દ્રો શરૂ કરાવી ૬૩૧ કિશોરીઓને શિક્ષણ, જીવન ઘડતર અને સામાજિક જાગૃતિ માટે કાર્યરત કરી. પારકરા કોલી સમુદાયના ૧,૨૦૦ પરિવારોને ભૂકંપ અને વાવાઝોડાં સામે રક્ષણ આપે તેવાં પાકાં મકાનો બનાવી આપ્યાં. ૨૬ ગામોની ૩૬ વાંઢોમાં ૪૮ બાળમિત્રો દ્વારા ૧,૦૪૯ બાળકોને શિક્ષણ આપવાનું કામ શરૂ કરાયું.

પોતાના વિસ્તારમાં તો સંસ્થાએ કામ કર્યું જ છે, પણ જે પ્રદેશની ભાષા પણ ન્હોતી આવડતી એવા તમિલનાડુમાં આવેલ ત્સુનામીમાં પણ સેવાર્થે દોડી જનાર સંસ્થાઓમાં આપણી સંસ્થા અગ્રેસર રહી છે. અજાણ્યા પ્રદેશમાં આરોગ્યસેવા, બાળકો માટે વિશેષ કામગીરી, રાહત છાવણીઓની સફાઈ, કામચલાઉ નિવાસોનું નિર્માણ, શાળાનું પાક્કું મકાન બાંધવું, કમ્પ્યુટર ક્લાસ ચલાવવા, તથા એન.જી.ઓ. સંકલન જેવાં અનેકવિધ મહત્ત્વનાં કામો થઈ શક્યાં તેનો આનંદ છે.

હજી તો કંઈકેટલું કહેવાનું બાકી રહી જાય છે. અરે ! હા .. કોરોના કેમ ભુલાય ? કોરોના કાળમાં જ્યારે લોકડાઉન જાહેર કરાયું ત્યારે રોજનું કમાઈને રોજ ખાનારા લોકોની ચિંતા કરવા માટે પણ સંસ્થા ખડેપગે ઊભી રહી. આસપાસની વાંઢોમાં રહેતા અત્યંત જરૂરિયાતમંદ એવા ૧,૨૦૦ પરિવારોને ૧૫ લાખના ખર્ચે રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત પણ જ્યારે જ્યારે જે જે પ્રકારે જરૂરિયાત ઊભી થતી ગઈ તે તે પ્રકારે ટૂંકાગાળાના તો કેટલાક લાંબા ગાળાના પ્રોજેક્ટ હાથ પર લઈને સમાજોપયોગી કાર્યો સંસ્થા દ્વારા થતા રહ્યા છે.

લોકજાગૃતિ અને લોકસંગઠન

અહીં અંતરિયાળ વાંઢો સુધી સરકારની યોજનાઓ પહોંચે અને લોકો યથાર્થ રીતે તેનો લાભ લઈ શકે તે માટે સંસ્થા વર્ષોથી લોકસંગઠન અને લોકજાગૃતિના કાર્ય કરે છે. ક્રાયના સહયોગ અને પ્રેરક માર્ગદર્શન હેઠળ અહીં શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા સામાજિક બદલાવ લાવવાનો સ્ટેપ નામનો પ્રોજેક્ટ પણ ચાલે છે. તેમનાં આ કામનું ક્ષેત્ર પણ ઘણું વિશાળ છે. તેમના પ્રયત્નો થકી ૪૫ વાંઢોમાં નવી પ્રાથમિક શાળાઓ શરૂ થઈ શકી છે. હજુ નવી ૧૬ વાંઢશાળાઓ શરૂ કરવવા મથામણ ચાલે છે. ૧૬૫ વાંઢના બાળકોને તથા ૬૧૦ ગર્ભવતી મહિલાઓને સમયસર રસીકરણ થાય તે માટે સક્રિય પ્રયત્નો કરવામાં આવ્યા છે. ૧,૨૨૦ પરિવારોને આરોગ્ય વિમા સાથે જોડાણ કરવામાં આવ્યું છે. ૧૪૦ વાંઢોમાં વીજળીનું જોડાણ અપાવવામાં આવ્યું છે. ૬૦૦ પરિવારોને રેશનકાર્ડનો લાભ અપાવવામાં આવ્યો છે, જ્યારે ૭૬ વાંઢને સરકારના સહયોગથી પાકા રસ્તા વડે જોડાણ કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ૯૦ વૃદ્ધોને પેન્શન, ૯૦ વિધવાઓને પેન્શન, ૨૦ વિકલાંગોને ઓળખકાર્ડ તથા ઇન્દિરા આવાસ યોજના તળે ૧૨૦ પરિવારોને મકાનો બનાવડાવી આપવામાં સંસ્થાના કાર્યકરોએ અહમ ભાગ ભજવ્યો છે. ૭૮ વાંઢોમાં પીવાના પાણીની કાયમી સવલત અપાવી સંસ્થાએ લોકોની તૃષા છીપાવી છે.

સેવાકીય પ્રવૃતિઓ

ભર ઉનાળે બે માસ સુધી ૨૦૦ પરિવારોને મફત છાશ, બે સ્થળોએ બારેમાસ પાણીની પરબ, પક્ષીઓને નિત્ય ચણ, અશક્ત અને અસહાય પરિવારોને નિયમિતરૂપે અપાતી રાશનકીટ, અસાધ્ય રોગોથી પીડાતા દરદીઓને સારવારમાં સહાય, જાહેર જગ્યાઓની સફાઈ, વરસાદ વખતે ઘાસથી છાજેલાં ઝૂંપડાંઓ પર નાખવા તાડપત્રીઓનું વિતરણ, કૂતરાઓને બારેમાસ રોટલાઓ વગેરે જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી સંસ્થા સતત ધમધમતી રહે છે.

પણ આ સઘળી પ્રવૃત્તિઓ અને કાર્યોના યશના ખરા ભાગીદાર છે સંસ્થાના કર્મઠ કાર્યકરો, મદદરૂપ થતી અનેક નામી-અનામી સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટો અને મૂક રહીને દાન આપનાર આપ જેવાં સૌ સ્નેહી દાતાઓ. જેની પાસે દાન સિવાય કોઈ આવકનો સ્રોત નથી, કે નથી કોઈ કોર્પસ ફંડ ને તેમ છતાં આપ સૌ જેવા કેટલાં ય સ્વજનોના હૂંફાળા પ્રતિસાદથી આ સંસ્થાની પ્રવૃત્તિ આજ પર્યંત ચાલી છે એ આપ સૌની સદ્દ પ્રવૃત્તિઓ પરની શ્રદ્ધા સૂચવી જાય છે. કહે છે કે સઘળાં સારાં કામ હરિના છે, કુદરત આપણને હરિના હાથા બનાવે ને આવા હરિના કામ કર્યા કરીએ …

બાપુજી એટલે કે મણિભાઈ સંઘવીને કોઈએ પૂછ્યું કે આટઆટલાં કામ તમે કઈ રીતે કરી શક્યા ત્યારે એમણે વિનમ્રભાવે જવાબ આપેલો કે, ‘ઈશ્વરની કરુણા, સાથીઓનો સદભાવભર્યો સહયોગ, પ્રેમાળ પુરુષાર્થ તથા માનવ માત્રમાં અતૂટ આસ્થા અદના આદમી પાસે મોટાં કામ કરાવી શકે છે …. બાપુજીના દેહાવસાન બાદ તેમનાં અનુગામીઓએ આ કાર્ય પરંપરાને જીવંત રાખી છે. આ બધું નજીકથી નિહાળવા આપ સૌ સંસ્થાની મુલાકતે આવશો તો અમને બહુ જ ગમશે ….

સૌને જય જગત ….

સૌજન્ય : રમઝાનભાઈ હસણિયાની ફેઈસબૂક દિવાલેથી સાભાર

https://www.youtube.com/watch?fbclid=IwAR2CEOq5wgfElx9z4ew7xZjRdDzHQeSvqwbkJMi9CxLTSuKE3vDaUp2ieo0&v=BWQspzqJj24&feature=youtu.be

Loading

રાજધાની દિલ્હીના નિર્માણનો સંવાદભર્યો ઇતિહાસ

કિરણ કાપુરે|Opinion - Opinion|4 January 2021

1910માં ઇંગ્લેન્ડના રાજા રહેલા જ્યોર્જ પાંચમા અવિભાજિત ભારતના પણ સર્વેસર્વા બન્યા હતા. પછીના એક જ વર્ષમાં તેમણે જે મહત્ત્વના નિર્ણય લીધા, તેમાં એક નિર્ણય હિંદુસ્તાનની રાજધાની કલકત્તાથી ખસેડીને દિલ્હી કરવાનો હતો. દિલ્હી અગાઉ મુઘલો અને સલ્તનતોનું શહેર રહ્યું હતું, જે હવે હિંદુસ્તાનની રાજધાની થવાની હતી. દિલ્હી કેવી રીતે રાજધાની બની અને તેનું આર્કિટેક કેવી રીતે નક્કી થયું તે વિશે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં અદ્રિજા રાયચૌધરીએ સુંદર લેખ લખ્યો છે. કેવી રીતે કોઈ શહેર એક ઓળખ મેળવે છે તેનું પણ તેમાં આલેખન છે. તે સમયે દિલ્હીમાં સંસદ ભવન સહિત અન્ય ઇમારતો નિર્માણ પામી રહી હતી. બ્રિટિશ આર્કિટેકોએ કેવી રીતે તેને આકાર આપ્યો હતો તેનું વિસ્તૃત વર્ણન અદ્રિજાએ કર્યું છે. હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીનાં સંસદ ભવન સહિત અન્ય સ્ટ્રક્ચરને નવો ઓપ આપવા માટે ભૂમિપૂજન કર્યું છે, ત્યારે ‘લ્યૂટન્સ દિલ્હી’ નામે ઓળખાતું આ ક્ષેત્ર કેવી રીતે ડેવલપ થયું હતું તે જાણવા જેવું છે.

દિલ્હીને રાજધાની તરીકે નિર્માણ કરવાનું જ્યારે નિશ્ચિત થઈ ગયું, ત્યારે જ્યોર્જ પાંચમાએ એક વાત ઠોસ રીતે જણાવી દીધી હતી કે, અહીંયા જે કોઈ સરકારી ઇમારતો નિર્માણ કરવામાં આવે તે આ પ્રાચીન શહેરને છાજે એવી હોવી જોઈએ. કલકત્તાથી રાજધાની દિલ્હી લાવવાનો નિર્ણય અંગ્રેજોએ રાતોરાત નહોતો કર્યો, પણ 1905માં બંગાળના ભાગલા થયા બાદ ત્યાં માહોલ સ્થિર નહોતો; ને ત્યાં અવારનવાર ઊભી થતી સ્થિતિથી અંગ્રેજોને વહીવટમાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ ઉપરાંત, દિલ્હીને રાજધાની તરીકે પસંદગી ઊતારવાનું એક કારણ ભારતીયો સાથે આ શહેરનું ઐતિહાસિક જોડાણ હતું. આ સમયગાળા દરમિયાન અંગ્રેજો હિંદુસ્તાનના પ્રાંતીય નેતૃત્વોની વધુ સામેલગીરી માટે તૈયારી દાખવી રહ્યા હતા. રાજધાનીનું સ્થાન બદલીને અંગ્રેજો પોતાના શાસનની ઢબ પણ બદલવાનો અવકાશ જોઈ રહ્યા હતા. પૂરા દેશમાં અંગ્રેજોને દિલ્હીના મુકાબલે આવે તેવું કોઈ અન્ય શહેર મળવાનું નહોતું. આમે ય તેરમી સદીથી વિવિધ શાસકોએ દિલ્હીને રાજધાની તરીકે અવારનવાર સ્થાન આપ્યું હતું.

દિલ્હીને રાજધાની તરીકે સ્થાપિત કરવાનું નક્કી થયું ત્યાર બાદ તેના પર કામ શરૂ થયું. અંગ્રેજો વતી એવું નક્કી થઈ ચૂક્યું હતું કે રાજધાનીનું મેકઓવર વધુ ‘ઇન્ડિયન ફ્રેન્ડલી’ હોવું જોઈએ. પછી જે વાત આવી તે હતી આર્કિટેક્ચર સ્ટ્રક્ચરની. આર્કિટેકમાં જ્યોર્જ કિંગે તો સૂચના તો આપી હતી, પણ સાથે-સાથે તે સૂચનાનો અમલ કરવા માટે તત્કાલિન વાઇસરોય લોર્ડ હાર્ડિંગે પણ પ્રયત્ન કર્યા. લોર્ડ હાર્ડિંગનો આગ્રહ હતો કે રાજધાનીનું આર્કિટેક યુરોપિયન ઢબની જેમ ભલે થાય, પણ તેમાં પૂર્વનો આત્મા ધબકવો જોઈએ. હાર્ડિંગ પૂરી બાબતને રાજકીય રીતે પણ મહત્ત્વની જોતા હતા. આ અંગે તેઓ એક અધિકારીને લખેલા જણાવે છે કે, હિંદુસ્તાનીઓને એમ ન લાગવું જોઈએ કે તેઓ રાજધાનીની ડિઝાઈનમાં ક્યાં ય નથી, છતાં તે માટે થનારા ખર્ચમાં તેમણે કિંમત ચૂકવવાની છે!

ચર્ચા આગળ વધી તેમાં આર્કિટેકોના નિષ્ણાતોનો મત એવો પણ આવ્યો કે, દિલ્હીને રાજધાની તરીકે નિર્માણ કરવા જઈ રહ્યા છે, ત્યારે મુઘલના હૃદયરૂપી આ સ્થાનને વધુ મજબૂત ઓળખથી ઊભી કરવાની તક છે. જેમ અકબરે ફતેહપુર સિકરી અને શાહજહાંએ શાહજહાનબાદ નિર્માણ કરાવ્યું હતું તે રીતે. દિલ્હી રાજધાની નિર્માણ પ્રક્રિયામાં અનેક નિષ્ણાતોનો અભિપ્રાયો મંગાવવામાં આવ્યાં હતાં. તેના પ્રતિક્રિયારૂપે ‘કલકત્તા સ્કૂલ ઓફ આર્ટ’ના નિવૃત્ત પ્રિન્સિપાલ ઇ.બી. હવેલે પણ પોતોની રજૂઆત મૂકી હતી. તેમણે કહ્યું હતું કે, દિલ્હીને નિર્માણ કરતી વેળાએ યુરોપિયન આર્કિટેક શૈલીનું ખરાબ અનુકરણ ન થવું જોઈએ. તેમણે તો ત્યાં સુધી લખ્યું હતું કે, બ્રિટિશ સરકારે આર્કિટેક માટે મંદિરનિર્માણ કરનાર બિલ્ડર્સની સેવા લેવી જોઈએ જેઓ મુઘલ ડિઝાઈને વધુ સારી રીતે લાવીને તેની શોભા વધારી શકશે.

રાજધાની નિર્માણમાં અંગ્રેજોની પ્રક્રિયા એટલી રસપ્રદ છે કે તેમાં સમાજ-સંસ્કૃતિ અને ભારતીયોની આશા-આકાંક્ષાનાં પ્રતિબિંબિત થાય છે કે નહીં; તે નિષ્ણાતો જોઈ રહ્યા હતા. જે હિંદુસ્તાન પર અંગ્રેજો શાસન કરી રહ્યા હતા, તે અંગ્રેજોમાંથી જાણીતા આર્ટિસ્ટ, સ્કોલર્સ અને સંસદસભ્યોએ મળીને હિંદુસ્તાનના વાઇસરોયની ઓફિસને એવો પત્ર લખ્યો હતો કે, નવી રાજધાની નિર્માણ માટે વધુને વધુ હિંદુસ્તાનીઓને સામેલ કરવા જોઈએ! એક તરફ રાજધાનીને હિંદુસ્તાનીઓ વડે અને તેનાં આર્કિટેક મુજબ નિર્માણ કરવાની વાત હતી, ત્યાં બીજી તરફ એક જૂથ તેના વિરોધમાં પણ હતું. આ વિરોધમાં મુખ્યત્વે એક હતા, એડવિન લ્યૂટન્સ અને બીજા હતા હાર્બર્ટ બેકર. આજે દિલ્હીમાં અંગ્રેજોના સમયની જે પણ ઇમારતો છે તેનો શ્રેય એડવિન લ્યૂટન્સને આપવામાં આવે છે, પરંતુ ઇન્ડિયન આર્કિટેક્ચર ટ્રેડિશનના સૌથી વધુ ટીકાકાર હોય તો તે એડવિન લ્યૂટન્સ  હતા. માર્ચ 1912માં જ્યારે તેઓ હિંદુસ્તાન આવ્યા ત્યારે તેમણે પત્નીને લખેલાં એક પત્રમાં જે વિગત મળે છે તે કંઈક આવી છે : ‘હું નથી માનતો કે વાસ્તવમાં કોઈ ભારતીય આર્કિટેક હોય અથવા તો તેમની ઇમારતોને અંગે કોઈ મહાન પરંપરા હોય.’ આજે દિલ્હીના સંસદથી માંડીને અન્ય રાજકીય ઇમારતોના ક્ષેત્રને ભલે લ્યૂટન્સ દિલ્હી તરીકે ઓળખ મળી હોય, પણ લ્યૂટન્સને યુરોપિયન આર્કિટેકના તરફદરાર રહ્યા હતા. આ જ કારણે તેમણે તત્કાલિન વાઇસરોય હાર્ડિંગની વાતને પણ ખારીજ કરી દીધી અને લખ્યું છે કે, 'હું જૂના ઇંગ્લન્ડને અહીં નિર્માણ કરવા માંગુ છું જેની મહાન પરંપરા રહી છે, ન કે મુઘલ-હિંદ સ્ટ્રક્ચર.’

આ અંગે ચર્ચા પછી એટલી આગળ વધી કે ત્યારે તે વાત ટાઉન પ્લાનિંગ કમિટિ સુધી પણ પહોંચી. જો કે હાર્બટ બેકરે એડવિન લ્યૂટન્સ અને વાઇસરોય હાર્ડિંગ વચ્ચેના આર્કિટેક સ્ટ્રેક્ચરના ગજગ્રાહનો વચલો માર્ગ કાઢી આપ્યો. હર્બટ બેકર વાઇસરોય હાર્ડિંગની એ વાતથી સહમત થયા કે દિલ્હીમાં સામ્રાજ્યની છબિ પ્રગટ થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આ ઉદ્દેશને પાર પાડવા અર્થે પૂર્વ-પશ્ચિમ બંનેની શૈલી ઝળકવી જોઈએ. જો કે હાર્બટ બેકર એ વાતથી લ્યૂટન્સના સમર્થક રહ્યા કે રાજધાનીમાં યુરોપિયન શૈલીની સર્વોપરિતા ઝળકવી જોઈએ અને તેમાં સજાવટની રીતે માત્ર ભારતીય પરંપરાનો ઉપયોગ થવો જોઈએ. દિલ્હી નિર્માણના પ્રોજેક્ટમાં એક અન્ય આર્કિટેક સ્ટિન્ટોન જેકબ હતા. તેઓએ ભારતીય આર્કિટક શૈલીમાં ઘણુ કામ કર્યું હતું, જેથી તેઓનો લ્યૂટન્સના દૃષ્ટિકોણ સામે ભારે વિરોધ હતો. તેઓનો આગ્રહ હતો કે આર્કિટેકમાં છજ્જા અને છત્રીનો ઉપયોગ થવો જોઈએ. જેકબનું માનવું હતું કે આમાં હિંદુસ્તાનના જાણીતા આર્કિટેકનો સમાવેશ થવો જોઈએ. તેમ ન થયું અને છેલ્લે જેકબે રાજીનામું આપ્યું હતું.

અંતે ભારતીય આર્કિટેક શૈલીને રાજધાનીના ડિઝાઈનમાં જગ્યા આપવાનું નક્કી થયું. આ માટે લ્યૂટન્સ અને બેકર હિંદુસ્તાનભરમાં ફર્યા અને સ્ટ્રક્ચરનો અભ્યાસ કર્યો. અને છેવટે છત્રી, છજ્જા અને જાળીનો ઉપયોગ થયો. તેમાં અર્ધગોળાકારનો પણ ઉપયોગ થયો, જે મહદંશે ભારતીય ડિઝાઈનની ઓળખ છે. આ રીતે રાજધાની દિલ્હી અને તેમાં નિર્માણ પામેલી અગત્યની ઇમારતો જેમ કે રાષ્ટ્રપતિ ભવન, સંસદની ઇમારતોમાં બ્રિટિશ ઢબની સાથે-સાથે ભારતીયપણું પણ દેખાય છે. સંસદ ભવનની ડિઝાઈન તો મધ્યપ્રદેશમાં મોરેના જિલ્લામાં આવેલા ચૌસઠ યોગિની મંદિરની જેમ કરવામાં આવી છે, તેવું અનુમાન અનેક નિષ્ણાતો લગાવે છે. અંગ્રેજોએ આર્કિટેકમાં જે ઉદારતા દાખવી હતી તેને અભ્યાસીઓ એ રીતે પણ જોવે છે કે, અંગ્રેજોને પણ એવો ખ્યાલ હતો કે તેમનું સામ્રાજ્ય લાંબા સમય સુધી ટકવાનું નથી. જો કે આ લાંબી ચર્ચા પછી રાજધાનીનું એક એવું મોડલ બન્યું જે ભારતીયોએ સ્વીકાર્યું અને આજ દિન સુધી તે આપણને પોતીકી લાગતું રહ્યું છે.

હવે આ ડિઝાઈનને ઘરમૂળથી ફેરફાર કરવાનો વર્તમાન સરકારે નિર્ણય લીધો છે. આ નિર્ણય સાચો હોય તેમ છતાં જે સંવાદ-ચર્ચાની પ્રક્રિયા થવી જોઈએ તે આ કિસ્સામાં ન થઈ. તેની બ્લ્યુ પ્રિન્ટ બનાવીને સીધી જાહેર કરવામાં આવી. ઉપરાંત જે રીતે આર્કિટેક બિમલ પટેલની કંપનીને આ પ્રોજેકટ મળ્યો છે તેને લઈને પણ સવાલ ઊઠી રહ્યા છે. જો કે વર્તમાન સરકાર ઊઠતાં સવાલોને અવગણીને આગળ વધવામાં માનતી આવી છે; પછી તે ખેડૂત બિલ હોય કે સંસદની નવી ઇમારતનું નિર્માણ.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...2,1522,1532,1542,155...2,1602,1702,180...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved