Opinion Magazine
Number of visits: 9964993
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારી નાડ તમારે હાથ, હરિ સંભાળજો રે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|7 January 2021

હૈયાને દરબાર

મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે,
મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે.

પથ્યાપથ્ય નથી સમજાતું, દુ:ખ સદૈવ રહે ઊભરાતું,
મને હશે શું થાતું, નાથ નિહાળજો રે.

અનાદિ આપ વૈદ છો સાચા, કોઇ ઉપાય વિશે નહિ કાચા,
દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે.

વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો ?
મહા મૂંઝારો મારો નટવર, ટાળજો રે.

કેશવ હરિ મારું શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?
લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે.

•   કવિ : કેશવલાલ ભટ્ટ    •   ગાયિકા : પૌરવી દેસાઈ

https://www.pendujatt.net/gujarati-songs/song/mari-naal-tamare-haath-pauravi-desai-purushottam-upadhyay-gaurav-dhruv-ayiki.html

૩૧મી ડિસેમ્બરે એક મિત્રનો ફોન આવ્યો. "થર્ટીફર્સ્ટનો શું પ્લાન છે? મનમાં થયું, આખા વરસના બધાં પ્લાન તો કચરા-પોતાં, રાંધવું, વાસણ ઊટકવાં અને કપડાં ધોવામાં જ ધોવાઈ ગયા. હવે ૩૧મીએ વળી શું કરવાનું!! છતાં તાત્કાલિક જવાબ એક જ સૂઝ્યો, "દુનિયા પરનું સંકટ ટળે એ માટે યજ્ઞ-હવન અને સત્ય નારાયણની પૂજા જ કરવાની હવે બાકી છે. ૩૧મીએ એ જ કરી દઈએ.

જવાબ, અલબત્ત, હળવાશપૂર્ણ જ હતો, પરંતુ ખરેખર વિચારીએ તો ઉજવણી શેની કરવાની? હતાશા, નિરાશા, ચિંતા, ઉદ્વેગ, વ્યગ્રતા અને વિડંબનાઓમાં જ ૨૦૨૦ની સાલ વીતી ગઈ. રોજ સવાર પડતાં ધ્રાસ્કો પડતો અને સહુની સલામતીની પ્રાર્થના આપોઆપ થઈ જતી હતી.

બાકી, જવાની જાનેમન, હસીન દિલરૂબા … જેવાં તરબતર ગીતો સાથેની નશીલી, મદહોશ થર્ટીફર્સ્ટ નાઈટનો કેવો ઈન્તજાર રહેતો! મિત્રો, પ્રિયજનો-સ્વજનો સાથે મળીને આનંદ-પ્રમોદ સાથે નવા વર્ષનું સ્વાગત થતું. ૩૧મી ડિસેમ્બરે કરનારાઓએ તો ઉજવણાં કર્યાં, ૨૦૨૦ના વિકટ વર્ષને વિદાય કર્યું, પરંતુ દરેકના જીવને અંદરથી ચચરાટ તો હતો જ, ૨૦૨૧ કેવું જશે!

એટલે જ નાનપણમાં સાંભળેલી એક સુંદર પ્રાર્થના સાથે ૨૦૨૧ને આવકારવું છે ; મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે …! જેમના કુટુંબમાં સંગીતનો પ્રભાવ હશે એમણે પોતાની માતા, નાની કે દાદી પાસે આ પ્રાર્થના સાંભળી જ હશે. મારી માને કંઠે મેં કેટલી ય વાર આ પ્રાર્થના નાનપણમાં સાંભળેલી, પરંતુ સાસુમાં ઉષાબહેન પણ હલકદાર કંઠે આજે ૮૬ વર્ષની ઉંમરે ય સરસ ગાઈ શકે છે. રાગ દેશ પર આધારિત આ સુંદર પ્રાર્થના એમણે વીડિયો રેકોર્ડ કરીને તાજેતરમાં જ મોકલી ત્યારે આનંદ-આશ્ચર્ય બંને થયાં હતાં.

કવિ કેશવલાલ ભટ્ટે ઈશ્વરને વૈદ્ય બનાવીને એમના હાથમાં નાડ સોંપવાની વાત કરી છે. મનુષ્ય જાત અત્યારે ભયના ઓથાર નીચે જીવી રહી છે.

આ ભયરોગની દવા કોની પાસે છે? ઈશ્વર સિવાય આ દર્દ કોઈ દૂર ન કરી શકે. નિર્મળ મનથી ઈશ્વર પર શ્રદ્ધા રાખો તો પરિસ્થિતિ બદલાય કે ન બદલાય, ભયાવહ મન:સ્થિતિ તો બદલાય જ છે. કવિ તેથી જ કહે છે કે તમે દયાના સાગર છો, કૃપાનિધાન છો, ભક્તોના ભય હરો છો, અમારો મૂંઝારો તમે જ સમજો છો એટલે જ મારી નાડ તમને સોંપું છું. તમારા ઉપાય સચોટ છે, તમે જ જીવવાની અને જીતવાની શક્તિ પ્રદાન કરી શકો છો એમ કહીને છેવટે કવિ ભગવાનને જ ચેલેન્જ આપે છે કે તમે અમને ભયમુક્ત, રોગમુક્ત નહીં કરો તો તમારી જ લાજ જાશે. આમ, પ્રાર્થનાની શક્તિ દ્વારા કવિ ઈશ્વરને કહે છે કે, તું મને પોતાનો સમજીને મારો ઈલાજ કર.

આવી પ્રાર્થનાની શક્તિની આવશ્યકતા આજે પણ છે જ. વેક્સિન ભલે આવી ગઈ છે છતાં આંતરિક શક્તિ કેળવવી આજના સમયમાં અનિવાર્ય છે.

આ પ્રાર્થનાના કવિ તરીકે ક્યાંક ‘કેશવ’ અથવા ‘કેશવરામ’ એવો નામોલ્લેખ જોવા મળતો હતો, પરંતુ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જ્યાં ગૂગલ બાબા ન પહોંચે ત્યાં આપણા લેખક-વિવેચક દીપક મહેતા પહોંચી શકે. એમની પાસેથી કવિ કેશવલાલ હરિરામ ભટ્ટ (૧૮૫૧-૧૮૯૬) વિશેની યોગ્ય માહિતી તથા ફોટોગ્રાફ મળ્યાં એટલે દીપકભાઈનો ખાસ આભાર.

કવિ કેશવલાલ ભટ્ટ ૧૯મી સદીની સુધારા વિરોધી અને વૈદિક પરંપરાનો પુરસ્કાર કરતી સંસ્થા ‘વેદધર્મ સભા’ના વર્ષો સુધી મંત્રી તથા તેના મુખપત્ર ‘આર્યધર્મ પ્રકાશ’ના તંત્રી રહી ચૂક્યા હતા. એ સામયિક માટે તેમણે ઘણા લેખો લખ્યા, અનુવાદો કર્યા, પણ તેમાંનું ભાગ્યે જ કશું ગ્રંથસ્થ થયું છે. તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘કેશવકૃતિ’ ૧૮૯૯માં પ્રગટ થયો હતો. તેમાંની મોટા ભાગની કૃતિઓ ઈશ્વરસ્તુતિ, અધ્યાત્મ, નીતિબોધ, વૈરાગ્ય, પ્રકૃતિ વર્ણન, વગેરેને લગતી અને મધ્યકાલીન કવિતાની પરંપરાને અનુસરતી છે. એક જમાનામાં તેમનાં કેટલાંક ભક્તિકાવ્યો સારાં એવાં લોકપ્રિય થયાં હતાં. તેમનાં ચાર ભજનોને ગાંધી આશ્રમમાં ગવાતાં પ્રાર્થના, ભજનો, ગીતોના સંગ્રહ આશ્રમ ભજનાવલિમાં સ્થાન મળ્યું છે તેથી એ ભજનો વધુ પ્રચલિત થયાં. મારી નાડ તમારે હાથ … નો સમાવેશ પણ આશ્રમ ભજનાવલિમાં થયો છે.

દુનિયાના દરેક માણસે ભૌતિક સુખો પાછળ એવી તે દોટ મૂકી છે કે ખબર નહીં એ ક્યાં જઈને ઊભો રહેશે. જો કે, કોવિડ કાળમાં માણસજાતે પર્યાવરણ સાથે કરેલાં ચેડાંની ભૂલ ધીમે ધીમે એને સમજાઈ રહી છે. સંઘરાખોરી, પૈસાનો દુર્વ્યય, અતિ ભૌતિકવાદની કિંમત આજે કોડીની છે. પહેલું સુખ તે જાતે નર્યા … કહેવતનું મૂલ્ય આજે સમજાય છે. વૈશ્વિક મહામારીના આ કપરા કાળમાં મનુષ્યે આત્મોન્નતિ માટે પ્રાર્થનાના મહત્ત્વને સમજવું એટલું જ જરૂરી છે. મનની શાંતિ અને શુદ્ધતા માટે જરૂરી છે પ્રાર્થના. જે રીતે શરીરને સ્વસ્થ રાખવા માટે ખોરાકની જરૂર પડે છે તેમ આપણા હૃદયને સ્વસ્થ રાખવા માટે શુદ્ધ મનથી પ્રાર્થના કરવી પડે છે. પ્રાર્થનાથી જ આપણું મન પવિત્ર અને પ્રસન્ન બને છે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ કરીએ છીએ, કારણ કે પ્રાર્થનાથી મનમાં સકારાત્મક ઊર્જાનો સંચય થાય છે, પ્રાર્થનાથી આપણા દોષો જોઈ શકીએ છીએ, એને દૂર કરી શકીએ છીએ. એટલે જ સાહિત્યકાર કાકા કાલેલકરે કહ્યું છે કે, ‘પ્રાર્થના હૃદયનું સ્નાન છે.’

મારી નાડ તમારે હાથ … પ્રાર્થના ઘણા કલાકારોએ ગાઈ છે, પરંતુ આજે વાત કરવી છે વરિષ્ઠ ગાયિકા આદરણીય પૌરવી દેસાઈની. એમના કંઠે આ પ્રાર્થના નિખરી ઊઠી છે. પૌરવીબહેને ઘણી ભક્તિ રચનાઓ, સુગમ સંગીત તેમ જ રંગભૂમિનાં ગીતો-ગરબા ગાયાં છે. શાસ્ત્રીય સંગીતમાં ‘સંગીત અલંકાર’ થયેલાં પૌરવીબહેન કહે છે, "નાનપણથી જ ઘરમાં સંગીતનું વાતાવરણ, જે લગ્ન પછી વધારે સમૃદ્ધ થયું. દર શુક્રવારે પાંચ ભજન ગાવાનો અમારો નિયમ હતો. એ રીતે ભક્તિ ગીતો નાનપણથી જ કંઠસ્થ હતાં. મારી નાડ … ખૂબ ભાવસભર પ્રાર્થના છે. રાજકોટમાં પુષ્પા છાયા નામે રેડિયો સિંગર હતાં એમની પાસે પહેલી વાર હું આ ભક્તિગીત શીખી હતી. ગ્રેજ્યુએશન મેં જૂનાગઢમાં કર્યું અને માસ્ટર્સ ડિગ્રી મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી મેળવી. ૨૨ વર્ષની વયથી જ રેડિયો પર ગાવાનું શરૂ કરી દીધું હતું, જે ૭૫ વર્ષની વય સુધી ગાયું.

પૌરવી દેસાઈ આજે ૮૩ વર્ષની ઉંમરે પણ કાર્યરત છે. લોકડાઉનને લીધે એમના સુગમસંગીતના વર્ગો હમણાં બંધ છે, પરંતુ ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. પચાસેક શિષ્યોને એ તાલીમ આપી રહ્યાં છે. સાવ લો પ્રોફાઈલ રહીને સાઠ વર્ષથી તેઓ સંગીતનો યજ્ઞ અખંડપણે પ્રજવલિત કરી રહ્યાં છે. પૌરવીબહેનનું સૌથી લોકપ્રિય ગીત, વ્હાલમનું નામ એ તો મધમીઠું નામ … છે. કવિ ડૉ. સુધીર દેસાઈનાં આ ગીતને મુંબઈના સ્વરકાર રાસબિહારી દેસાઈએ સ્વરબદ્ધ કર્યું હતું. ગત નવરાત્રિ માટે ફાલ્ગુની પાઠકે વીડિયો દ્વારા ખાસ તૈયાર કરેલું ગીત ‘વ્હાલમનું નામ’ વળી પાછું લોકપ્રિય થયું અને એક અઠવાડિયામાં લાખો લોકોએ જોયું. ૪૫ વર્ષ પહેલાં રચાયેલું આ ગીત એ સમયે ‘વ્હાલમનું નામ …’ તરીકે જ પૌરવી દેસાઈએ પ્રચલિત કર્યું હતું અને એ જ નામે કેસેટ બહાર પાડી હતી.

પૌરવીબહેન કહે છે, "અમારી ’દેસાઈ’ ત્રિપુટી હતી. સુધીર દેસાઈ, રાસબિહારી દેસાઈ અને પૌરવી દેસાઈ. સુધીર દેસાઈ ગીત લખે, રાસભાઈ કમ્પોઝ કરે અને હું ગાઉં. એમ અમે ઘણાં ગીતો તૈયાર કર્યાં હતાં. રાસબિહારીભાઈ સંગીતના મર્મજ્ઞ. સમર્થ કલાકાર પાસે ગવડાવવાનું પસંદ કરે. એ રીતે આશિત દેસાઈ અને મને એમણે ઘણાં ગીત શીખવાડ્યાં હતાં. નિનુ મઝુમદારે મારી પાસે પહેલવહેલું મારું મનડું મૂંઝાણું, પંડિત વિનાયક વોરાએ યમુનાને આરે ગીત ગવડાવ્યાં હતાં. આ ઉપરાંત દિલીપ ધોળકિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, નવીન શાહ સહિત અનેક સ્વરકારોનાં ગીતો મેં ગાયાં છે.

પૌરવી દેસાઈએ ‘મનગમતાં ગીતો’ પુસ્તકનું સંપાદન કર્યું છે. થોડાં વર્ષો પહેલાં ‘મહાવીર દર્શન’ નામે ઓલ ઇન્ડિયા રેડિયો પર નવીન શાહની રાહબરીમાં એક કલાકનું રેડિયોરૂપક રજૂ થયું હતું, જેમાં પૌરવી દેસાઈ અને જગજિત સિંહ લીડ સિંગર્સ હતાં. પૌરવીબહેન શાસ્ત્રીય સંગીતનાં પરીક્ષક પણ રહી ચૂક્યાં છે. એમની ‘વ્હાલમનું નામ’ કેસેટમાં જુદા જુદા સંગીતકારોનાં ગીતોનું સંકલન છે, જેની અરેન્જમેન્ટ આશિત દેસાઈએ કરી છે. જૂની રંગભૂમિના સુરેશ કુમારે પૌરવી દેસાઈનાં ગીતો રેકોર્ડ કર્યાં છે.

વીજલ પટેલ, મનીષા ડૉક્ટર જેવાં સજ્જ શિષ્યો તૈયાર કરનાર પૌરવીબહેન પાસે ખેવના દેસાઈ જેવી યુવા પ્રતિભાઓ પણ તાલીમ લઈ રહી છે. આવાં પૌરવી દેસાઈને કંઠે એમનાં જ ગીતો સાંભળવા હોય તો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે જ. બાકી, આજે તો પૌરવી દેસાઈના આ ભક્તિ ગીત દ્વારા ઈશ્વરને હ્રદયપૂર્વક પ્રાર્થના કરીએ કે; મારી નાડ તમારે હાથ, હરિ સંભાળજો રે ..! આ લખાઈ રહ્યું છે ત્યારે મારાં સ્કૂલ ટીચર જયશ્રીબહેન મહેતાએ ઓડિયો ક્લિપ દ્વારા એક સરસ પ્રાર્થના ગાઈને મોકલી છે; દીનાનાથ દયાળુ નટવર હાથ મારો મૂકશો મા! બન્ને પ્રાર્થનાનું હાર્દ એક જ છે એ સુભગ યોગાનુયોગ! નવા વર્ષની, સ્વસ્થ જીવનની સૌને શુભકામનાઓ! વેલકમ ૨૦૨૧!

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”; 07 જાન્યુઆરી 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=672665

Loading

દર્પણ

દેવિકા રાહુલ ધ્રુવ|Poetry|6 January 2021

એવું કોઈ દર્પણ લઈ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

દીવડાની ઝીણી આશકાને નિરખી,
ભીતરના ઓજસની ઝાંખી કરી,
તન–મનની શુદ્ધિની આરતી ઉતારે.
એવું કોઈ દર્પણ લઈ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

 

રસ્તે પડેલા કો’ કંકરને હાથ ધરી,

હળવેથી ઊંચકી, સાચવી સાચવી,

મૂર્તિ બનાવી, એમાં પ્રાણ પૂરી આપે.
એવું કોઈ દર્પણ લઈ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

 

કાગળ પર ફરતી કલમની કમાન,
કાપે છો જોજન આ શબ્દો ચોપાસ,
અક્ષર એક પામે જ્યાં સત્ય આરપાર,
એવું એક દર્પણ મળી આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

 

જાન્યુઆરી 05, 2021

 

e.mail : ddhruva1948@yahoo.com

Loading

જૂઠ અને કલ્પનામાં ફર્ક એ છે કે જૂઠમાં તમને ખબર હોય કે તે સત્ય નથી, જ્યારે કલ્પનામાં તમને વિશ્વાસ હોય છે.

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 January 2021

અમેરિકન વ્યંગકાર માર્ક ટ્વેઇનના નામે એક કથિત વિધાન છે (કથિત એટલા માટે કે એવા જ મતલબનું વિધાન એન્ગલો-આઈરિશ લેખક જોનાથન સ્વિફ્ટ નામે અંકિત છે) : "સત્ય હજુ ચપ્પલ પહેરે તે પહેલાં જૂઠ અડધી દુનિયામાં પહોંચી જાય છે." કોરોનાની મહામારીમાં આ વિધાન સાચું પડ્યું છે. અમેરિકામાં એક સર્વેમાં બહાર આવ્યું છે કે આ મહામારી કોઈ કારસ્તાનના ભાગરૂપે ફેલાઈ છે તેવી માન્યતાના કારણે લોકો વાઈરસ ફેલાતો રોકાય તેવા (માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, લોક ડાઉન, હાથની સફાઈ વગેરે જેવા) ઉપાયોમાં સહકાર આપવા તૈયાર નથી થતા.

યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના અન્નેનબર્ગ પબ્લિક પોલિસી સેન્ટરે કરેલા આ સર્વેમાં અમેરિકન લોકોમાં કોરનાને લઈને કારસ્તાનની ત્રણ મુખ્ય શંકાઓ હતી : એક, ચીનની સરકારે તેની જૈવિક શસ્ત્રોની નીતિ હેઠળ લેબોરેટરીમાં કોરોના વાઈરસને પેદા કરીને છોડ્યો હતો. બે, યુ.એસ. સરકારના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી જીતીને ન આવે તે માટે કોરોનાનો વધારે પડતો હાઉ ઊભો કર્યો હતો, અને ત્રણ, ફાર્માસ્યુટિકલ કંપનીઓએ તેમની દવાઓ અને પાછળથી રસીઓ વેચવા માટે આ મહામારી ઊભી કરી છે.

દુનિયાના લગભગ દરેક દેશમાં, કોરોનાને લઈને લોકોમાં જાતભાતની માન્યતાઓ પ્રચલિત છે. દિલ્હીમાં તબલીગી જમાતના સંમેલનનો ફિયાસ્કો થયો, તે પછી આખા દેશમાં એવી માન્યતા ઘર કરી ગઈ હતી કે એ સંમેલનનો હેતુ જ કોરોના ફેલાવવાનો હતો. મીડિયાએ તેના માટે ‘સુપરસ્પ્રેડર’ શબ્દ ઘડી કાઢ્યો હતો. હવે એ શબ્દ ગાયબ થઇ ગયો છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને ભારતીય ન્યૂઝ ટેલિવિઝન પર બે મહિના સુધી રોજ એક નવી ‘થિયરી’ આવતી હતી.

અમેરિકાના ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્ર અનુસાર, કોરોનાના ઉદ્ભવને લઈને ટેલિવિઝન અને સોશ્યલ મીડિયા પર ૧૨ લાખ વખત માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સનું નામ સંડોવામાં આવ્યું હતું. કેમ? બિલ ગેટ્સે ૨૦૧૫માં વાનકોવરમાં યોજાયેલી ટેડ કોન્ફરન્સમાં સીધી જ ચેતવણી ઉચ્ચારી હતી કે, “આગામી થોડા દાયકાઓમાં કોઈ યુદ્ધ નહીં, પણ અત્યંત ચેપી વાઈરસના કારણે એક કરોડથી વધુ લોકો મરી જશે.” ગેટ્સનું ફાઉન્ડેશન એઈડ્સ અને બીજી મહામારી માટે થઈને આખા વિશ્વમાં કામ કરે છે. ગેટ્સ ફાઉન્ડેશન રોગોના અભ્યાસ પણ કરે છે, પરંતુ ‘વાંકદેખ્યા’ લોકોએ એવો કુતર્ક કર્યો કે ગેટ્સે ભવિષ્યવાણી કરી હતી કારણ કે તેમને કોરોનાના કારસ્તાનની આગોતરી જાણ હતી અને તેમનું ફાઉન્ડેશન કોરોનાની રસી વેચવા અને માઈક્રોચીપ બેસાડવા સક્રિય છે.

બિલ ગેટ્સ સાથેના જ એક પોડકાસ્ટમાં, ઇઝાયેલી ઇતિહાસકાર યુવલ નોઆ હરારીએ કહ્યું હતું કે આપણી સામે કોરોના વાઈરસ કરતાં ય સૌથી વધુ મોટો ખતરો કારસ્તાનની આવી થિયરીઓનો છે. તેમણે કહ્યું હતું કે જૂઠ અને કલ્પનામાં ફર્ક એ છે કે જૂઠમાં તમને ખબર હોય કે તે સત્ય નથી, છતાં તમે બીજા લોકોને છેતરવા માટે તેને ફેલાવો, જયારે કલ્પનામાં તમને વિશ્વાસ હોય અને બીજા લોકો તેને માને એટલા માટે તેને ફેલાવો. દાખલા તરીકે, ધર્મમાં કે ઈશ્વરના અસ્તિત્વમાં માનવું એ જૂઠ નથી, કારણ કે તેમાં ઈરાદો બીજા લોકોને છેતરવાનો નથી, પરંતુ જર્મનીમાં નાઝી શાસકોની વંશીય થિયરી (કે એક જાતિનું લોહી શ્રેષ્ઠ છે અને બીજી જાતિનું કનિષ્ઠ છે) શુદ્ધ રૂપે જૂઠ અથવા કારસ્તાન હતું.

સવાલ એ છે કે આપણી પાસે પૂરતા પ્રમાણમાં વૈજ્ઞાનિક જાણકારી છે, આપણે પ્રમાણમાં ઘણા શિક્ષિત છીએ, આપણી પાસે ટેકનોલોજીઓ છે, છતાં આપણે એવું કેમ માનવા પ્રેરાઈએ છીએ કે ચીની લોકોએ વિશ્વગુરુ બનવા માટે વાઈરસને છોડીને દુનિયાને નમાવી દીધી છે અથવા દવા કંપનીઓએ ભેગા થઈને રોગનું કારસ્તાન કર્યું છે?

તેનું એક કારણ છે કે મોટા ભાગના લોકોને સાદી રીતે સમજમાં આવે તેવી વાતો વધુ સાચી લાગે છે. આપણા દિમાગની આ એક વિશેષતા છે. આપણે દિમાગને દુનિયાનું સૌથી કાર્યક્ષમ અને સૌથી વિકસિત ‘યંત્ર’ ગણીએ છીએ, જે સાચું પણ છે, પરંતુ જ્યારે પરસ્પર વિરોધાભાસી માહિતીઓ આવતી હોય અથવા ગૂંચવાડાભરી પરિસ્થિતિ હોય, ત્યારે દિમાગ સૌથી સુસંગત જાણકારીને સાચી માની લે છે. આપણને અનિશ્ચિતતા ગમતી નથી. જગત જટિલ છે તે સાચું, પરંતુ આપણા માટે રોજેરોજ જગત સાથે પનારો પાડવાની અનિવાર્યતા હોય છે, એટલે એ જરૂરી બની જાય છે કે ગમે તેવી જટિલતા હોય, પણ આપણે તેને ‘આપણી રીતે’ બોધગમ્ય બનાવીને નિત્ય જિંદગી જીવતા રહીએ.

દાખલા તરીકે, કોરોના વાઈરસને લઈને એટલી બધી વિરોધાભાસી જાણકારીઓ છે (વૈજ્ઞાનિકો પણ એકરાર કરે છે કે તેમની પાસે હજુ વાઈરસના વર્તનને લઈને સંપૂર્ણ માહિતી નથી) કે મોટા ભાગના લોકો નિષ્ણાતોની જેમાં કપાળ પર આંગળી મુકીને વાઈરસનું વિજ્ઞાન શું છે, કોરોના કેવી રીતે વિકસ્યો હશે, તેની પહેલી જાણ કોને થઇ હશે, ચીનના વડાનો પહેલો પ્રતિભાવ શું હતો, ચીને બીજા દેશોને શું જાણ કરી હતી, વગેરે સવાલોનું વિશ્લેષણ કરવા બેસી રહેતા નથી.

તેના કરતાં ‘આ ચાઇનીઝ લોકો દુષ્ટ છે અને તેમને મહાસત્તા બનવું છે એટલે વાઈરસનું કારસ્તાન ઘડ્યું છે’ એવી વાત આસાનીથી સમજમાં આવે તેવી હોય છે. બીજું એક કારણ એ છે કે લોકો તેમની સમજને અનુકૂળ આવે તેવી વાત વધુ સ્વીકારે છે. દાખલા તરીકે, ચીન પ્રત્યે અમેરિકામાં વધુ નફરત છે એટલે ‘ચીનનું કારસ્તાન છે’-વાળી વાત અમેરિકનો વધુ માને. પાકિસ્તાનમાં ચીન માટે પ્રમાણ દુશ્મનાવટની ભાવના ઓછી છે એટલે ત્યાં આ થિયરીને હસી કાઢવામાં આવે.

વાસ્તવિકતા જ્યારે અસ્પષ્ટ અને અણધારી હોય ત્યારે આપણે સહજ રીતે એવું માનવા પ્રેરાઈએ છીએ કે તે ઘટના પાછળ કોઈ યોજના હશે. આપણે તેમાં અકસ્માતની કલ્પના કરી શકતા નથી. દાખલા તરીકે જેના કારણે પોણા બે કરોડ લોકો માર્યા ગયા હોય અને જે છેલ્લા એક વર્ષથી દુનિયાના તમામ દેશોને ધમરોળી રહ્યો હોય તેવો વાઈરસ એક સાધારણ અકસ્માત કેવી રીતે હોઈ શકે?

આપણે સ્કૂલમાં હતા ત્યારે આપણને ન ગમતા છોકરાઓ કે છોકરીઓ આપણી સામે કોઈ કાવતરું ઘડી રહ્યા છે એવા વિચારને પંપાળવાનું આપણને ગમતું હતું. ઘર કે ઓફિસ બહાર પાર્ક કરેલી આપણી કારના બોનેટ પર કોઈએ તીક્ષ્ણ વસ્તુથી કોઈ અક્ષર પાડ્યો હોય, તો તે મસ્તી-મજાકનું પરિણામ છે તેવું માનવાને બદલે આપણે તેમાં ‘છૂપો’ સંદેશો શોધવા પ્રયાસ કરીએ છીએ : મને હેરાન કરવા માટે હશે? મને ધમકી હશે?

કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ છુપી રીતે અમુક કામોને અંદાજ આપી રહ્યો છે તે વિચાર એટલો તાકતવર છે કે વૈજ્ઞાનિકોથી લઈને ઓફિસનું મેનેજમેન્ટ કે એક સરકાર આવી રીતે ષડ્યંત્રકારી તરીકે કોઈને પણ નજર આવી શકે.

કારસ્તાનની થિયરીની સૌથી મોટી સમસ્યા એ છે કે તેને (સાચી નહીં) ખોટી સાબિત ન કરી શકાય! જો કોઈ એમ કહે કે બિલ ગેટ્સ જેવો માણસ એમાં સામેલ ન હોય, તો તેની સામે દલીલ એવી આવે કે એ તો તમને ગેટ્સ ફાઉન્ડેશને પૈસા આપીને ખરીદી લીધા છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો વિશાળ ચાહક વર્ગ એવું માને છે કે પર્યાવરણનું સંકટ એ અમેરિકા વિરોધી દેશો, ઉધોગપતિઓ અને વૈજ્ઞાનિકોએ ઊભું કરેલું તુત છે. એટલા માટે ટ્રમ્પની સરકાર ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવા માટેની આંતરરાષ્ટ્રીય પેરિસ સંધીમાંથી નીકળી ગઈ હતી. જો બાઈડેનની સરકાર હવે તેમાં પાછી જોડાવાની છે.

આ જ ડોનાલ્ડ ટ્રમ્પે કોરના વાઈરસને ‘ચાઇનીઝ વાઈરસ’ કહીને તેને ચાઇનીઝ કારસ્તાનનો રંગ ચડાવ્યો હતો. પ્રોફેસર યુવલ નોઆ હરારી કહે છે કે, “કોરોના વાઈરસના ઉદ્દભવને લઈને કોઈ વ્યક્તિ તમને કોઈ થિયરી ગળે ઉતારવા મથતી હોય, તો તમારે એને કહેવું કે તમે મને વાઈરસ શું છે અને એ કેવી રીતે ફેલાય છે તે સમજાવી શકો? જો તમને એક સાદી બાયોલોજીમાં સમજણ ન પડતી હોય, તો તેમની થિયરી શું કામની !”

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 03 જાન્યુઆરી 2021

Loading

...102030...2,1512,1522,1532,154...2,1602,1702,180...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved