Opinion Magazine
Number of visits: 9747559
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માસ્ક સાથેના હેવી ટાસ્ક વચ્ચે ફૂટી રહેલી જિંદગીની કૂંપળ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 November 2020

તહેવારનો મિજાજ જામ્યો છે ત્યારે ચિંતાઓ કોરાણે મૂકીને અને આ વર્ષ તો બહુ અણધાર્યું અને ન ગમે એવું ગયું એવો વિચાર ન કરીને એવી વાતો મમળાવીએ જે સાંભળીને સારું લાગે. ગૂડ ન્યૂઝ હવે તો જાણે કોરોનાના ઘટેલા આંકડા અને વેક્સિન સિવાય બીજા કોઇ આંખે ઊડીને નહીં વળગે એવી લાગણી થાય. એટલા ખાતર પણ આજે દેશમાં અને અન્ય રાષ્ટ્રોમાં સારું શું થયું તે જાણવાનો પ્રયત્ન કરીએ.

આમ તો યુનાટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં હજી બધું અધ્ધર તાલ છે, પેલા કેસરી ચહેરાવાળા ભાઇ કંઇ માનવા તૈયાર નથી એમાં એમને પાછા ટેકા મળ્યા છે. ટ્રમ્પ વ્હાઇટ હાઉસ ખાલી કરવા તૈયાર નથી, બિડેન ‘વર્ક ફ્રોમ હોમ’ કરી શકે એવી શક્યતાઓ અઘરી છે પણ મુદ્દો એ છે કે જે પરિવર્તન આવ્યું, જે ચર્ચાઓ થઇ, જે ઉત્સાહ તેની આસપાસ વર્તાયો એ મજેદાર તો રહ્યો જ. સત્તા પલટો ભલે અધિકૃત રીતે થયો નથી પણ એની શક્યતા સુધ્ધાં મજા કરાવે એવી છે. હા આ બધું ટ્રમ્પ સિઝન ટૂમાં બદલાઇ જાય એવી પૂરેપૂરી વકી છે જ પણ એવું સાવ થઇ જાય ત્યાં સુધીમાં જે બધો ‘ડ્રામો’ થાય છે એ ખેલ જોવાની ય આગવી મજા છે. અમેરિકા – મહાસત્તાનું જે થવાનું હશે એ થશે પણ ઘણા બધા દેશોને જલસો પડશે કારણ કે અમેરિકા પ્રત્યે લોકોનો, અન્ય રાષ્ટ્રોનો દ્રષ્ટિકોણ બદલાઇ જશે એ ચોક્કસ. વિશ્વની ગોઠવણ પર આ ખેલની અસર થશે, મોટાં પરિવર્તનો આવશે અને વૈશ્વિક સ્થળે રાજકીય સંઘર્ષનાં સમીકરણો બદલાશે. સારા સમાચાર એ છે કે આપણે આ ઐતિહાસિક બદલાવનાં સાક્ષી બની રહ્યા છીએ.

આમ તો ફાઇઝરે વેક્સિન શોધાયાની જાહેરાત કરી પછી લોકોમાં ઉત્સાહ બમણો થઇ ગયો અને માસ્ક કાઢીને થોડું છીંકી લેવાશે એની રાહત પણ અનુભવી. આ બાજુ અમેરિકાના મોડેર્નાએ પણ એવી જાહેરાત કરી છે કે તેઓ પણ કોરોના વેક્સિનની શોધની નજીક પહોંચી ગયા છે. હા, ફાઇઝરે બનાવેલા વેક્સિનને 70 સેલ્સિયસના સ્ટોરેજ પર રાખવું કંઇ આસાન નહીં હોય, અને ભારત માટે તો આ સવલત સંભાળવી મુશ્કેલ હશે જ પણ વેક્સિન શોધાઇ ગયાના સમાચાર તો હરખાવા જેવા છે જ, એની ના નહીં. આપણને જ્યારે ઇંજેક્શન મળે એ ખરું ,પણ બસ, એ લૅબમાં તૈયાર છે એ વાત નિરાંતની છે, હા, હજી ભારતમાં વેક્સિન નથી, બની શકે કે મોંઘું દાટ હોય પણ મુદ્દો એ છે કે વેક્સિન આખરે તૈયાર થઇ ગઇ છે.

રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટેલી હકારાત્મક ઘટનાઓની વાત આગળ કરીએ એ પહેલાં આપણે ફરી એકવાર ગુજરાતી દ્વારા, ગુજરાતી અંગે અને મનોરંજનના રસિયાઓ માટે બનેલી સિરિયલ સ્કેમ 1992એ ભલભલાની ઊંઘ ઉડાડી દીધી છે. ઊંઘ એટલા માટે ઊડી ગઇ કારણ કે મોટાભાગના લોકોએ ઉજાગરો કરીને એ વેબ સિરીઝ પૂરી કરી છે. હંસલ મહેતાએ મોટા ભાગના ગુજરાતી એક્ટર્સને લઇને બનાવેલી આ વેબ સિરીઝ માટે સુરતે તો બમણું હરખાવાનું છે કારણ કે પ્રતિક ગાંધી અને હેમંત ખેર જેમણે હર્ષદ મહેતા અને અશ્વિન મહેતાના પાત્રો ભજવ્યા છે તે બંન્નેનો સુરત સાથેનો નાતો મજબૂત છે.

ફરી એકવાર વિશ્વના સંજોગોની વાત કરીએ તો આફ્રિકાને તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો છે. 2016 પછી આફ્રિકામાં પોલિયોના એક પણ કેસ નથી નોંધાયો અને વાઇરસ ભલે હજી ધડિકા લે પણ આ સમાચાર પણ હકારાત્મક તો ખરા જ.

નોસ્ટાલ્જિયા કે સાદી ભાષામાં કહીએ જે પુરાણું હતું એ આપણને બધાને બહેતર લાગે જ છે. કોરોના વાઇરસને કારણે જે ડ્રાઇવ-ઇન થિએટર્સની પ્રથા વિદેશમાં સાવ બંધ થઇ ગઇ હતી તે ફરી પૉપ્યુલર થઇ રહી છે, ખાસ કરીને આયર્લેન્ડમાં. આપણે ગુજરાતમાં અમદાવાદનું ડ્રાઇવ-ઇન એક માત્ર અનુભવ રહ્યો છે. મનોરંજન ક્ષેત્રની વાત કરીએ તો નાટકોના પ્રયોગોને પણ ઓછા ઓડિયન્સ સાથે શરૂ કરવાની તજવીજ શરૂ થઇ ચૂકી છે. 

આપણે બધા ભલે બહુ બહાર જતા નથી અને જઇએ છીએ તો પચ્ચાસ જાતની તકેદારી રાખીને જઇએ છીએ, પ્રાઇવેટ કાર ચલાવવાનું પસંદ કરીએ છીએ અને આ ડ્રાઇવિંગના શોખીનોને ક્યારેક પર્યાવરણની ચિંતા પણ થઇ આવે છે અને તેમના માટે એક બહુ જ સારા સમાચાર એ છે કે 2030 સુધીમાં લક્ઝરી કાર બ્રાન્ડ બેન્ટલી દ્વારા ફુલ્લી ઇલેક્ટ્રિક કાર રેન્જ લૉન્ચ કરાશે.  આ કાર્સમાં પ્લગ ઇન હાઇબ્રિડ્ઝ અને ઇલેક્ટ્રીક કાર્સ તો 2026 સુધીમાં હશે પણ 2030 સુધીમાં બેન્ટલી 100 વર્ષ જૂની લક્ઝરી કારમાંથી એક નવી સસ્ટેનેબલ, એથિકલ રોલ મોડલ પ્રકારની કાર્સ બનાવીને લક્ઝરી કાર માર્કેટનો દ્રષ્ટિકોણ બદલશે.

આ તરફ વાઇરસ ઘણું બધું બદલી રહ્યો છે તો માણસો પણ વિચારવાની શૈલી બદલી રહ્યા છે કારણ કે યમન દેશમાં જ્યાં સ્ત્રીઓને માટે મનોરંજન કે રિક્રિએશનનું કોઇ સ્થળ હતું જ નહીં ત્યાં પણ ઉમ ફેરસે તેનો પોતાના કાફે લૉન્ચ કર્યો જેના દ્વારા તે મહિલાઓ દ્વારા ચલાવાતા બિઝનેસિઝ પ્રત્યે લોકોનો અભિગમ બદલવા પ્રયાસ કરી રહી છે.

કોરોના કાળમાં લોકો ફોન પર જેટલું જીવ્યા છે એટલું કશે જ નથી જીવ્યા અને માટે જ ઇન્ડોનેશિયામાં ઓનલાઇન શિક્ષણ મેળવવામાં જેમને તકલીફ હતી તેમને માટે એક જૂના ફોન એકઠા કરવાની પહેલ ચાલુ કરાઇ છે. આ માટે જકાર્તાના ડઝનેક પત્રકારોએ ભેગા થઇને  પહેલાં તો લોકોને ખાધા – ખોરાકી પહોંચાડી પણ પછી આ કામ દરમિયાન તેમને સમજાયું કે લોકો ઇચ્છતા હતા કે તેમનાં બાળકો ભણી શકે પણ ઓનલાઇન ક્લાસિઝ માટે કોઇ ફોનની સવલત નહોતી અને ત્યારે આ માટે જૂના ફોન ભેગા કરાયા અને લોકોને મદદ પહોંચાડાઇ, જેથી વંચિતાનો સંતાનોનું ભણતર ન છૂટી જાય.

આવી ઘણી ઘટનાઓ ભારતમાં પણ બની. ક્યાંક ખેતીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદ મળી તો ક્યાંક પુણેનાં યુગલે મલખંબને યુ.એસ.એ.માં પૉપ્યુલર બનાવ્યું જેની નોંધ આપણા દેશના વડાએ પણ લીધી. હા વાઇરસ છે અને હજી એ પોતાના પરચા બતાડ્યા કરે છે પણ નંબર્સ ઘટ્યા છે, હૉસ્પિટલમાં બધા જ આઇ.સી.યુ.ઝ ભરચક નથી, કોવિડમાંથી સાજા થયેલાઓની સંખ્યા પણ વધી છે. નવું વર્ષ છે ત્યારે સારા સમાચાર વાંચીએ અને આશા જન્માવીને હજી આગળને જેટલો સમય સાવચેતીમાં કાઢવો પડે તે માટે મનને તૈયાર કરી શકીએ એવી ઇચ્છા રાખીએ. તમને સૌને નવા વર્ષની શુભકામના.

બાય ધી વેઃ

સારી બાબત એ પણ છે કે નિરો ફિડલ વગાડે છે તો ફિડલ કેટલું બેસુરું છે એ કહેનારાઓના અવાજ માસ્ક ભેદીને લોકો સુધી પહોંચી રહ્યા છે. યોગ્ય અયોગ્ય વચ્ચેનો ભેદ ભૂલાઇ નથી ગયો. સારી બાબત  એ છે કે ઓટીટી પ્લેટફોર્મ્સ પર આઇ. એન્ડ બી. મિનિસ્ટ્રી નજર રાખશે એ સમાચારથી ભલભલાના નાકનાં ટિચકાં ચઢ્યા એટલે આશા રાખી શકાય કે લોકો હવે ક્રિએટિવ ફ્રિડમની વ્યાખ્યા વધારે સારી રીતે સમજશે. ગુડ ન્યૂઝ અને પૉઝિટીવ ન્યુઝ જાણવા જરૂરી છે પણ એમાં પાછું બધું સારું છે એમ સાંભળી કે વાંચીને એટલા રિલેક્સ ન થવું કે સામે ઊભેલી બિલાડી સામે આંખ બંધ કરીને ઊભેલા કબૂતરાં જેવો ઘાટ થાય. પરિસ્થિતિઓ બદલી શકે એ સાચા ગુડ ન્યૂઝ એમ મારું માનવું છે પણ હાલના સંજોગોમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડીનો વિચાર મનમાં રાખવો અને તહેવારો સલામતી, સેનિટાઇઝર, સોશ્યલ ડિસ્ટન્સિંગ વગેરે યાદ રાખીને પસાર કરવા.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 નવેમ્બર 2020

Loading

કોઈ પણ માણસની એટલી પ્રશંસા કરવી જેટલી કરવાને તે લાયક હોય

રમેશ ઓઝા|Opinion - Opinion|15 November 2020

૧૯૩૪ના પ્રારંભમાં ગાંધીજી દક્ષિણના પ્રવાસે હતા ત્યારે તેમણે પોંડીચેરી જઇને શ્રી અરવિંદને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શ્રી અરવિંદનો જાતે લખેલો ઉત્તર આવ્યો હતો કે તેઓ કોઈને મળતા નથી એટલે દિલગીર છે. ગાંધીજીએ શ્રી અરવિંદના શિષ્યા અને ઉત્તરાધિકારી માતાજીને મળવા લખ્યું તો તેમનો પણ કોઈ ઉત્તર ન આવ્યો એ જોઇને વલ્લભભાઇ પટેલને માઠું લાગ્યું હતું. વલ્લભભાઇનો ગાંધીજીને લખેલો પત્ર તો જોવામાં આવ્યો નથી, પણ ગાંધીજીએ વલ્લભભાઇને જે ઉત્તર આપ્યો હતો એના પરથી લાગે છે કે વલ્લભભાઇને આમાં ગાંધીજીનું અપમાન નજરે પડ્યું હોવું જોઈએ. તેમણે માતાજીને ‘માતાજી’ તરીકે સંબોધવામાં આવે એ પણ વિચિત્ર લાગ્યું હતું.

જવાબમાં ગાંધીજીએ પાંચમી ફેબ્રુઆરી ૧૯૩૪ના રોજ લખેલા પત્રમાં લખ્યું હતું કે, ‘’મધર’ને ‘મધર’ કહેવામાં આપણું કાંઈ જવાનું નથી. જેને જે ખિતાબ મળ્યો હોય એને એ નામે બોલાવવાનો વિનય તો ગોળમેજ ઉપર પણ જળવાયો હતો. તમે કદાચ કહેશો કે ગોળમેજનું અનુકરણ કરીએ તો બાર વાગે. કહેવાનો મતલબ એ છે કે ગોળમેજને પણ એ વિનય જાળવવો પડ્યો હતો.’ ગાંધીજીએ ઉક્ત પત્રમાં મધરનો ઉલ્લેખ માત્ર ‘મધર’ તરીકે નથી કર્યો, ‘રિવિયર્ડ મધર’ (શ્રદ્ધેય માતાજી) તરીકે કર્યો હતો.

વિનય. ગાંધીજી કહે છે કે એક બાજુએ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે અને બીજી બાજુએ વિનય છે. ગાંધીજી ધારત તો માતાજીને મિસ મીરા અલફાસ્સા (તેમનું મૂળ નામ) તરીકે સંબોધી શક્યા હોત, તેમનો તે અધિકાર હતો, પણ હાથમાં શું આવત? એમાં ગાંધીજીનો અવિનય પ્રગટ થયો હોત અને શ્રી અરવિંદ અને માતાજીના અનુયાયીઓ નારાજ થયા હોત. ગાંધીજીએ વિનાયક દામોદર સાવરકરને પણ ૧૯૪૦ના દાયકામાં લખેલા એક પત્રમાં ‘વીર સાવરકર’ તરીકે સંબોધ્યા હતા જ્યારે કે તેમને જાણ હતી કે સાવરકરે જિંદગીમાં કોઈ વીરતા બતાવી નથી. એ સમયે હિંદુ મહાસભાવાળાઓ સાવરકરને ‘વીર સાવરકર’ તરીકે ઓળખતા થયા હતા જેની સામે ગાંધીજીને કોઈ વાંધો નહોતો.

આને બીજે છેડે એક પ્રસંગ નોંધવા જેવો છે જે નારાયણભાઈ દેસાઈએ મને કહ્યો હતો. ગાંધીજી બહુ ખાસ કાંઈ કહેવાનું ન હોય અને ‘આ વખતે મળી શકાય એમ નથી’ એવી અમસ્તી જાણકારી આપવા પુરતો પત્ર લખવાનો હોય તો તેઓ સમય બચાવવા માટે બાજુમાં જે બેઠું હોય એને કહી દે કે ફલાણાભાઈને આટલું લખી નાખો. એક જાણીતા ગુજરાતી સાહિત્યકારને આવો એક પત્ર લખવાનું ગાંધીજીએ નારાયણભાઈને કહ્યું. નારાયણભાઈએ પત્ર લખીને ગાંધીજીને જોઈ જવા આપ્યો. પત્ર ટપાલમાં નાખવા આપતા પહેલાં ગાંધીજી જેને પત્ર લખવામાં આવ્યો હોય એને કરવામાં આવેલું સંબોધન અને સરનામું ધ્યાનથી જોઈ જતા. ગાંધીજીએ જોયું કે નારાયણભાઈએ એ સાહિત્યકારના નામની આગળ ‘મૂર્ધન્ય’ જેવું ભારેભરકમ વિશેષણ વાપર્યું હતું. ગાંધીજીએ સંબોધન વાંચીને કહ્યું, ‘બાબલા (નારાયણભાઈનું હુલામણું નામ), તને લાગે છે કે આપણા આ સાહિત્યકાર આટલા મોટા ગજાના છે? સંબોધનમાં કે પ્રશસ્તિમાં અતિશયોક્તિ કરવી એ અસત્ય છે. વળી તેઓ કહેશે કે ગાંધીએ તેમને મૂર્ધન્ય તરીકે ઓળખાવ્યા છે. તેઓ પોતે પોતાના વિષે ભ્રમમાં રહેશે અને બીજાને ભ્રમમાં નાખશે. કોઈ પણ માણસની એટલી જ પ્રશસ્તિ કરવી જોઈએ જેટલી કરવાને તે લાયક હોય.’

અહીં તેઓ વિનય અસત્યમાં ન ફેરવાય એનું ધ્યાન રાખે છે, પણ બીજા માટેનો વિનય કદાચ અસત્યયુક્ત હોય તો પણ જાળવવો જોઈએ. ગાંધીજીનો માતાજી વિશેનો શું અભિપ્રાય હતો એ આપણે જાણતા નથી. ગાંધીજી તેમના વિષે બોલ્યા નથી. ગાંધીજીનો સાવરકર વિશેનો શું અભિપ્રાય હતો એ આપણે જાણીએ છીએ. બહુ ઊંડા, ચાલાક, સાવધાન રહેવું પડે એવા જોખમી માણસ તરીકે ગાંધીજીએ સાવરકરને ઓળખાવ્યા છે. આમ છતાં ય ગાંધીજીને સાવરકરને ‘વીર’ તરીકે સંબોધવામાં વાંધો નથી, કારણ કે સાવરકરને અને તેમના અનુયાયીઓને એ ગમે છે. બીજી ગોળમેજ પરિષદમાં ઘણા ‘સર’, ‘રાવ બહાદુર’ અને ‘હીઝ હાઈનેસો’ને ગાંધીજીએ એ નામે સંબોધ્યા હતા. એ બધા ખોખલા અને ચાપલૂસ હતા એની જાણ તેમના સહિત આખી દુનિયાને હતી. આ સાથે તેઓ પોતે પોતાની જાતે કોઈને પણ માટે અતિશયોક્તિયુક્ત વિશેષણ વાપરતા નથી.

તો વાત એમ છે કે જીવનમાં ડગલે ને પગલે વિવેક કરવો પડતો હોય છે. વાણી સ્વાતંત્ર્ય અને વિવેક પરસ્પર વિરોધી વસ્તુ નથી. જો મુસલમાનોને પેગંબર મહમ્મદની તસ્વીર (કોઈ પણ સ્વરૂપમાં) ચીતરવામાં આવે એ ન ગમતું હોય અને એવી તેમની શ્રદ્ધા હોય તો વિનય-વિવેકના ભાગરૂપે ન જ ચીતરવું જોઈએ, પણ કોઈ જો મહમ્મદનું કે ઇસ્લામ ધર્મનું મૂલ્યાંકન કરવા માગતું હોય તો તે તેનો અધિકાર માન્ય કરવો જોઈએ. એમાં મુસલમાનોની લાગણીની ચિંતા કરવાની જરૂર નથી. લાગણી એટલી આળી ન હોવી જોઈએ કે કોઈનું મૂલ્યાંકન જ અશક્ય બની જાય. હવે મૂલ્યાંકનનો અર્થ તો તમે સમજતા જ હશો. પૂર્વગ્રહદૂષિત બદનક્ષી એ મૂલ્યાંકન ન કહેવાય.

ફ્રાંસમાં કાર્ટૂનિસ્ટોએ પેગંબર મહમ્મદનું કાર્ટૂન ચીતર્યું એ મૂલ્યાંકન હતું કે મસ્તી? એમ કરીને શું લાભ થયો, શું સિદ્ધ કર્યું? અવળચંડાઈ, ચીડવવાની વૃત્તિ અને મસ્તી સિવાય બીજો શું હેતુ હતો? જો એ મૂલ્યાંકન હોત તો વાણીસ્વાતંત્ર્યનો ભાગ બનત, આપણે તેમની પડખે ઊભા રહેત, પણ અહીં તો ઉઘાડો અવિવેક હતો. આનો બચાવ ન થઈ શકે.

સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એ ત્રણ જીવનમૂલ્યો જગતને ફાંસે આપ્યાં છે. ફ્રેંચક્રાંતિમાંથી મળ્યાં છે. ફ્રાંકોઇસ વોલ્તેર નામનો વિશ્વપ્રસિદ્ધ ફિલસૂફ, ઇતિહાસકાર અને લેખક એ ક્રાંતિનો પિતામહ હતો. વોલ્તેરે ૧૭૪૧ની સાલમાં ‘મોહમેત’ (મહમ્મદ) નામનું નાટક લખ્યું હતું જેણે પ્રચંડ વિવાદ પેદા કર્યો હતો. એમાં ઇસ્લામની અને પેગંબરની આકરી ટીકા કરવામાં આવી છે. ત્યારથી લઈને આજ સુધી ફ્રાંસ અને ઇસ્લામ વચ્ચે છત્રીસનો આકંડો છે. તમારે એ નાટક વાંચવું જોઈએ અને નક્કી કરવું જોઈએ કે એમાં મસ્તી છે કે મૂલ્યાંકન? સર્જકની સ્વતંત્રતાના પ્રશ્નો પણ ઉપસ્થિત કરવામાં આવે છે. સ્વતંત્રતાની સાથે બંધુતાની વાત પણ કરવામાં આવી છે જે વોલ્તેર સહિત કેટલાક ફ્રેન્ચો ભૂલી જાય છે.

આપણે ત્યાં ૧૯૨૦ના દાયકામાં લાહોરમાં આર્યસમાજી પ્રકાશક રાજપાલ એન્ડ સન્સના સ્થાપક રાજપાલ મહાશયે ‘રંગીલા રસૂલ’ નામનું પુસ્તક, તેનું શીર્ષક જ બતાવે છે એમ પેગંબરની ગંદી ઠેકડી અને ટીકા કરતું પ્રકાશિત કર્યું હતું. તેને કારણે પંજાબમાં કોમી હુલ્લડો થયાં હતાં અને રાજપાલની હત્યા થઈ હતી. પુસ્તકના લેખક પંડિત કૃષ્ણ પ્રસાદ હતા, પરંતુ પુસ્તકમાં લેખકનું સાચું નામ આપવામાં આવ્યું નહોતું એટલે તે બચી ગયા હતા. અદાલતે એ પુસ્તકને બદનક્ષી કરનારું ઠરાવીને લેખક અને પ્રકાશકની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. આજે તમે રાજપાલ એન્ડ સન્સની વેબ સાઈટ ઉપર જશો તો તેમાં તમને જોવા મળશે કે રાજપાલ મહાશયને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય માટે શહીદ થઈ ગયેલા પ્રકાશક તરીકે ઓળખાવવામાં આવ્યા છે.

અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય તો હોવું જ જોઈએ પણ સભ્યતા, વિનય અને વિવેકના ભોગે નહીં. ફ્રાંસમાં જે બની રહ્યું છે એ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની વાત નથી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 નવેમ્બર 2020

Loading

બંધવા મજદૂર ….

નારણ મકવાણા|Opinion - Opinion|15 November 2020

સળગાવી દો..
બધા બંધવા મજદૂરને …
એ પાછા નહીં ચૂકવી શકે તમારા પૈસા,
તમારાં રોજે રોજ વ્યાજ વધતાં પૈસા,
મફતમાં કામ કરાવ્યે રાખો,
ધમકાવો એ ગુલામને,એને પીટો,
એ ફાટી ગયો છે..(તમારા મતે)

૫૦૦૦ રૂપિયાની કિંમત શું?
એક જિંદગી શું જિંદગીભર તમારી ગુલામ?
કાયદાનો તમને ડર નથી,
ને અપરાધ તો જાણે રમત ..
ગરીબની જિંદગીનો રખેવાળ કોણ?

કમોતે, અત્યાચારી મોતે ગરીબ જ્યારે મરે,
એના ઘરે મોટાં મોટાં નેતાઓ આવે,
રાજકારણ ચલાવે,
સરકારી સહાય અપાવે,
ફોટા પડાવે, ટ્વીટ કરે ..
બસ …

ફટાકડા જેમ ફોડો જિંદગી મજૂરની,
એની વિધવા જીવતી મરશે,
જિંદગીભર તડપશે,
બાળકો માટે બધ્ધું જ કરશે
તમારાં બાપનું ક્યાં કૈં જશે ..
બસ ખાલી 
૫૦૦૦ રૂપિયામાં.!!!
ધિક્કાર છે તમને …
તમારી આવનારી પેઢીઓને 
આનું પરિણામ ભોગવવું જ પડશે …..

૯/૧૧/૨૦૨૦

e.mail : naranmakwana20@gmail.com

Loading

...102030...2,1492,1502,1512,152...2,1602,1702,180...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved