સાહિત્યની સંસ્થાની ચૂંટણીમાં ઊભેલા કોઈ પણ ઉમેદવારને પોતાની હેસિયતની મનોમન ખબર હોય છે, છતાં એ ઝંપલાવે છે.
એવા ઉમેદવારોના બે વર્ગ હોય છે :
એક વર્ગ છે વયોવૃદ્ધોનો. વયોવૃદ્ધને પોતાની શારીરિક મર્યાદાઓની ખબર હોય છે, છતાં એ પોતાના આદર્શો ઉચ્ચગ્રાહો તેમ જ પોતાની નાની-મોટી સાહિત્યિક સિદ્ધિને વિશે મુસ્તાક હોય છે. વળી એને વર્તમાન સાહિત્યિક પરિદૃશ્યથી સંતોષ નથી હોતો. કેટલાયે સાહિત્યકારોને એણે નથી સ્વીકાર્યા હોતા, કેટલાયથી એ સૂગાતો હોય છે. પરમ્પરાની બોલકી હિફાજત ખૂબ કરે છે પણ નવોન્મેષોને નથી જાણતો હોતો બલકે નગણ્ય ગણે છે. છતાં, એને અભરખો હોય છે કે સાહિત્યની છેલ્લી સેવા કરી લઉં. ઝુકાવે છે. પણ એ ઊભો હોય ત્યારથી મતદારોને ખબર હોય છે કે – આ તો નહીં જ જીતે. અને સાચું પડે છે. પણ વયોવૃદ્ધ કશી નાનમ નથી અનુભવતો. યથાશક્ય મથામણ કર્યાનો સંતોષ અંકે કરી ધીમે ધીમે, ઘરે પાછો ચાલી જાય છે.
આ વર્ગના ઉમેદવારોને મતદારસમાજની સૂઝબૂઝની કે વિવેકની ભાગ્યે જ કશી ગમ હોય છે.
બીજો વર્ગ છે સરખામણીએ જુવાનોનો. જુવાનને શારીરિક મર્યાદા જેવું કશું હોતું નથી. માનસિક જોર ઘણું હોય છે. એટલે અવનવું કરી નાખવાના ઉત્સાહથી ધમધમતો હોય છે. પ્રચાર વગેરે જરૂરી બાબતોમાં મચી પડે છે. પણ એને સંસ્થાના તેમ જ સાહિત્યના – બન્નેના – ઇતિહાસની પરખ નથી હોતી. સાહિત્યની સમગ્ર પરમ્પરા અને ઐતિહાસિક સિદ્ધિઓનાં એની પાસે લેખાંજોખાં પણ નથી હોતાં, એટલે શું બદલવાનું અને કેવી રીતે બદલવાનું તેની ગતાગમનો એનામાં અભાવ હોય છે. પણ મતદારોને એની આ અસલિયતની પાક્કી કે આછીપાતળી ખબર હોય છે. એટલે કેટલાક કહે – ભલે કાચો છે પણ કદાચ જીતી જાય; પણ કેટલાક એમ પણ કહે – કાચો છે એટલે જ કદાચ હારી જાય. બન્ને વખતે ‘કદાચ’ અચૂક પ્રયોજાય છે.
આ વર્ગના ઉમેદવારોને મતદારસમાજની કહેવાતી ઉદારતામાં અને ખાસ તો મિલીભગતમાં ભરોસો હોય છે. છતાં એ ભરોસો એમને જિતાડતો નથી. પરિણામ આવ્યે એમને એક પ્રશ્ન જરૂર થાય છે – વ્હૉટ વૅન્ટ રૉન્ગ?
તેમ છતાં એક વરવું સત્ય સમજવાલાક છે. દરેક ચૂંટણીમાં મતદારો પણ પેલા વયોવૃદ્ધને કે તેના કામને જાણ્યા-સમજ્યા વિના મત ઝીંકે છે. ને તેથી એ વયોવૃદ્ધ જીતી પણ જાય છે. એ જ ન્યાયે જુવાનને કે તેના કામને જાણ્યા-સમજ્યા વિના મતદારો મત ઝીંકે છે. ને તેથી જુવાન જીતી પણ જાય છે. આ છે અડસટ્ટો. લોકશાહીનું અંદરનું પોલાણ. કોઈપણ ઉમેદવારને એની ગુણવત્તા અનુસાર કેટલા મત મળ્યા ને કેટલા અડસટ્ટે મળ્યા તે કદી પણ જાણી શકાતું નથી. લોકશાહીનું બહારનું પોલાણ એ છે કે કોઈપણ લોકજનને એ ઉમેદવારી માટે તેમ જ મતદાન માટે લાયક ગણે છે.
માનવજાત હવે તો બરાબર સમજીને ચાલે છે કે સંસારમાં લોકશાહીથી વધારે સારી શાસનપ્રણાલિ એકે ય નથી. તેમ છતાં, લોકશાહી આ બેવડાં પોલાણો વચ્ચે પોતાના નાગરિકને નિરન્તરની પ્રક્રિયામાં સંડોવી રાખે છે ને હમેશાં એને ટટળતો રાખે છે. ભલા માનુષ સાહિત્યકારને અને નરવી નરદમ સાહિત્યકલાને એ જાતનો સકંજો શી રીતે પરવડે?
વળી, આમાં સાહિત્ય ક્યાં? સાહિત્યનું શું? સાહિત્યપદાર્થનાં રાખરખોપાંનું શું? કેમ કે ચૂંટણી તો હાર-જીત પછી પતી જાય છે. એ મહત્ કારણને લીધે વિજેતાઓ પણ ઇતિસિદ્ધમ્ કરીને પદપ્રાપ્તિના કૅફમાં રાચે છે. મીટિન્ગ છે મારે મીટિન્ગ છે કરતો ઠરાવોને ફાઈલોમાં ઠઠાડતો રહે છે. ઘણાને એવો ભાસ થાય છે કે પોતે ચૂંટણી જીત્યો એટલે થઈ ગયો સાહિત્યકાર ! કેટલાયે પ્રમુખોને અને મન્ત્રીઓને આજુબાજુવાળાઓ અહોભાવથી જોતા થઈ જાય છે. કેટલાયે ઉપપ્રમુખો અને મહામન્ત્રીઓ લોકને આપોઆપ મોટા સાહિત્યકાર લાગવા માંડે છે. બહાર રહેલા સાહિત્યકારોને પ્રશ્ન થાય છે – પોતે સાચા કે આ બધા સાચા? એ જાતનાં વરવાં પરિણામ છતાં લોકશાહી અને ચૂંટણીનું મહિમાગાન ચાલુ રહે છે. આ મુદ્દાનું તાત્પર્ય એ છે કે સાહિત્ય ક્રમે ક્રમે બાજુએ રહી જાય છે. મેં કહ્યું કે ચૂંટણી હાર-જીત પછી પતી જાય છે પણ મારે એમાં એ પણ ઉમેરવું છે કે ચૂંટણી પક્ષાપક્ષીનું દુખદ રાજકારણ પણ મૂકી જાય છે. એટલે, વળી પાછું એ જ કહેવાનું થાય છે કે – સાહિત્ય ક્રમે ક્રમે બાજુએ રહી જાય છે. સવાલ પાછો એ જ જાગે છે કે – આમાં સાહિત્યનું શું?
સાહિત્યની સંસ્થાઓમાં ચૂંટણી અને લોકશાહીથી અથવા લોકશાહી અને ચૂંટણીથી સાહિત્યિક પ્રવૃત્તિઓ જરૂર કરી શકાય. એથી સાહિત્યશબ્દ શિક્ષિતોમાં પ્રસરે. કલાને વિશેની પ્રજાકીય રસ-રુચિમાં સુધારા થાય, વધારા થાય. વ્યાપક સંસ્કૃતિ વચ્ચે સાહિત્યિક સંસ્કૃતિનો, સંભવ છે કે ક્રમે ક્રમે ઉદય થાય. સર્જક-શબ્દ સંસાર વચ્ચે અડીખમ ઊભો રહે.
પણ એથી કરીને સંસ્થા કોઈને લેખક સર્જક સમીક્ષક કે સિદ્ધાન્તકાર ન બનાવી શકે. અવળો સંભવ એ છે કે સંસ્થાપતિઓની દૃષ્ટિમતિ અનુસારની પદ્ધતિઓ વિકસે ને તેના માઠા પરિણામ રૂપે સાહિત્યકલાનું જ સંસ્થાકરણ થઈ જાય – સંસ્થા નક્કી કરે એ જ સાહિત્ય અને એ જેને ગણે તે જ સાહિત્યકાર. લોકશાહીમાં ઉચ્ચાવચતા ન હોય, પણ સંસ્થામાં પ્રમુખ ઉપ્રમુખ આદિ પદાધિકારીઓની હાયરાર્કી ડીફૉલ્ટ હોય છે, તેમાં – આ મોટા – આ નાના, જેવાં ઉમેરણ થાય છે. જો સાહિત્યિક સંસ્કૃતિ હોય, તો એમાં, સંસ્કૃતિ સંજ્ઞાની ફજેતી થાય એવા કુ-સંસ્કારો પણ સરજાય છે. પ્રમુખો તુમાખી દાખવે, ઝીલણહારા ઝીલે, બાકીના વગોવે, વગેરે. સરવાળે વાતાવરણ રાજકારણી રંગ પણ પકડે છે.
પાયાની વાત તો એ છે કે પ્રમુખ અને સૌ પદાધિકારીઓ પાસે સાહિત્યના પ્રસરણને માટેનું વિઝન જોઈશે. વિઝન માટે દેશવિદેશના સાહિત્યનું વાચનમનન જોઈશે. સંસ્થા બહારના પણ નીવડેલા સાહિત્યકારોના સાથસંગાથની તમા રાખવી જોઈશે. સંસ્થાની સમુચિત ટીકાટિપ્પણી કરનારાઓને શત્રુ સમજવાને બદલે મદદગાર ગણવા જોઈશે. પોતાના સાહિત્યિક સામયિકને સગવડિયું નહીં પણ સર્વાષ્લેશી બનાવવું જોઈશે. ઇન્ટનેટ અને બ્લૉગ્સ લગી વિકસી ગયેલા સાહિત્યનામી પરિદૃશ્યની મમતાપૂર્વક નુક્તેચિની કરવી જોઈશે.
અન્યથા, ચૂંટણીને વિશેનો ઉત્સાહ ગાંડા બાવળની જેમ વિસ્તરશે કેમ કે મતસંખ્યા સાહિત્યકારમાં ખપવા માટેનો સહેલો રસ્તો ગણાવા લાગી હશે. અને એક સમય એવો પણ આવશે કે સામાન્ય લેખક પણ મતસંખ્યાના જોરે પ્રમુખ બની જશે …
ત્યારે આપણે બધા રડી ન પડાય એટલા માટે હસવા મથતા હોઈશું …
= = =
(October 26, 2020: Peoria, IL, USA)