Opinion Magazine
Number of visits: 9680528
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વાયત્તતા મુદ્દે જનજાગૃતિ આંદોલન જારી રહેશે : પ્રકાશ ન. શાહ

મુલાકાત : દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|27 October 2020

‘અકાદમીની સ્વાયત્તતા મુદ્દે ચૂંટણીમાં મત સ્વરૂપે અમને નિર્ણાયક સ્વીકૃતિ મળી છે. સ્વાયત્તતા જેવા મુદ્દે જાગૃતિ ઝુંબેશ પરિષદના વિકાસની જ પ્રક્રિયા છે’

(નવરંગપુરા, અમદાવાદના પોતાના નિવાસસ્થાને (પ્રકાશ બંગલો) હીંચકા પર ઝૂલતા પ્રકાશભાઈની 2018ના વર્ષમાં તેમના જન્મદિવસ નિમિત્તે લીધેલી તસવીર. તસવીરકાર : બિનીત મોદી)

‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની પ્રમુખ પદની ચૂંટણીના ત્રિપાંખિયા જંગમાં વિજેતા બન્યા પછી પ્રકાશ ન. શાહે ‘દિવ્ય ભાસ્કર’ને પોતાની સૌપ્રથમ વિસ્તૃત મુલાકાત આપી હતી. પોતાના ઇન્ટરવ્યૂમાં તેમણે પરિષદના વિકાસથી માંડીને સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા મુદ્દે સંઘર્ષ અંગે તેમનાં આગામી આયોજનો અને રણનીતિ અંગે વિગતે વાતો કરી હતી.

• તમે અગાઉ અન્ય લોકો માટે ઉમેદવાર પદેથી ખસી ગયા હતા, તો આ વખતે એવું તે કયું જુનૂન સવાર થયું કે ઉમેદવારી માટે છેક સુધી મક્કમ રહ્યા?

પ્રશ્ન જુનૂનનો નહિ, દૃઢતાનો હતો અને છે. છેલ્લાં વર્ષોમાં બે-એક વાર મારું નામ સૂચવાયું ત્યારે જે સંજોગો હતા, એમાં મને વ્યક્તિગત ઉમેદવારી રૂપે દરમિયાન થવા જેવું લાગ્યું નહોતું. હું સ્વાયત્તતાના સંદર્ભે આંદોલનમાં સંકળાયો, તેના ભાગ રૂપે ટોપીવાળા ને સિતાંશુના સમર્થનમાં રહેવાનું નક્કી કરેલું. મારું નામ સૂચવનારાઓને આ મુદ્દે સમજાવેલા. આ વખતે જોયું કે અકાદમીની સ્વાયત્તતા મુદ્દે ઝીંક ચાલુ રાખે એવી ઉમેદવારી નથી. એથી મને પૂછવામાં આવ્યું ત્યારે મેં હા પાડી. જો કે, આ ચર્ચા અગાઉ થઈ શકી નહોતી, એટલે થોડા મોડા પડ્યા હતા. અમે ચૂંટણીમાં ઝંપલાવવાનું વિચાર્યું ત્યારે હર્ષદભાઈ અને તેમના સાથીદારો – ડંકેશ ઓઝા અને કિરીટ દૂધાત વગેરેએ કામગીરી શરૂ કરી દીધી હતી.

બીજું કે હું નિર્ણય લીધા પછી પાછી પાની કરતો નથી. મેં મારા નિર્ણયની કસોટી હાર-જીત રાખ્યાં નથી. કરવા જેવું લાગે, તે હું હાર-જીતની પરવા કર્યા વિના કરું છું.

• આજે રાજ્ય-દેશની રાજકીય-સામાજિક-સાહિત્યિક પરિસ્થિતિમાં તમે તમારી જીતને કેવી રીતે જુઓ છો?

સામાન્ય રીતે રાજકીય પક્ષના અર્થમાં નહિ, પણ લોકશાહી સમાજના વ્યાપક દર્શન માટે ઊભા રહેવું, એવું મનોબંધારણ અને 40-50 વર્ષના જાહેરજીવનના સંધાનનું આ પરિણામ છે. અને સ્વાયત્તતા એ માત્ર કોઈ એકલદોકલ સંસ્થાનો સવાલ નથી, પરંતુ એકદંર અભિગમ અને આબોહવાનો સવાલ છે. એટલે લોકશાહી મોકળાશની માગણીની તરફેણમાં આ પરિણામ આવ્યું ત્યારે મને હરિકૃષ્ણ પાઠકની પંક્તિ યાદ આવે છે : ‘ઘેઘુર ઘેન મત્ત મહુડો ચુગે, ભળભાંખળું થયું છે, સૂરજ કદાચ ઊગે … તમે નોંધ્યું હશે કે ચૂંટણી લડનારાઓમાં હું અને હરિકૃષ્ણ સ્વાયત્તતા બાબતે પહેલેથી આગ્રહી રહ્યા છીએ, ચૂંટણીમાં મત સ્વરૂપે અમને નિર્ણાયક સ્વીકૃતિ મળી છે, એમાં હું ઊંડે ઊંડે અક્ષરજીવન અને જાહેરજીવનની એક નિરામય મોકળાશના એંધાણ જોઉં છું.

• સાહિત્ય પરિષદના પ્રમુખ માટે એવું કહેવાય છે કે તેણે અધ્યક્ષીય પ્રવચન આપવા અને ‘પરબ’ના તંત્રીલેખ લખવાથી વિશેષ કશું કરવાનું હોતું નથી. તમે શું માનો છો અને શું કરવા ધારો છો?

વ્યાપક દર્શન અને એ માટેનું નેતૃત્વ, એ પરિષદ પ્રમુખનું દાયિત્વ છે. પ્રમુખે કશું કરવાનું નથી રહેતું, એમ કહેવામાં અતિશયોક્તિ અને અલ્પોક્તિ બન્ને છે. હા, હું માનું છું કે પરિષદ પ્રમુખને વહીવટી કામો સાથે ગોટવી ન દેવો જોઈએ. જાહેરજીવનમાં સાહિત્ય પરિષદ એ કંઈ ‘હી/શી ઓલ્સો રેન’ જેવી અમથી અમથી સંસ્થા નથી કે એ કિટી પાર્ટી પણ નથી, એની નક્કર હાજરી અને ભૂમિકા છે. એ અંગેની દિશા-દોરવણી, એ પરિષદ પ્રમુખનું પરમ કર્તવ્ય ગણાવું જોઈએ.

 • ‘પરબ’ના પ્રમુખીય(તંત્રીલેખ)માં તમારી આગવી ભાષા બરકરાર રહેશે કે તમે સરળ ભાષા અપનાવશો?

મારી ભાષા જુદી છે, એથી સરળ નથી, એવું નથી. મારી વાત લોકો સુધી પહોંચે છે. વળી, હાલના પ્રમુખ સિતાંશુની ભાષા લોકો સુધી પહોંચી હોય તો પ્ર.ન. શાહની ન પહોંચવાનું કોઈ કારણ નથી. ભાયાણીસાહેબ કહેતા કે તમારી આ જે ભાષા છે, તે કોઈ પણ કહે તો છોડશો નહીં, કેમ કે, એમાં ગુજરાતી છાપાની પ્રિડાઇજેસ્ટેડ ફૂડ જેવી ભાષા કરતાં એક જુદી જ સોડમ છે.

• છેલ્લાં વર્ષોમાં સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દે તમે નેતૃત્વ લીધેલું છે. પ્રમુખ તરીકે સ્વાયત્તતાના મુદ્દે સંઘર્ષ હવે કોઈ નવું સ્વરૂપ ધારણ કરશે?

આમાં બે-ત્રણ વસ્તુ છે. પહેલું કે એને હું સંઘર્ષ કહેવાની ઉતાવળ નહીં કરું. સ્વાયત્તતા મુદ્દે જનજાગૃતિ આંદોલન જારી રાખવાનું રહેશે. આ લડતને મેં આંતરબાહ્ય સ્વાયત્તતા માટેની લડત તરીકે જોઈ છે, જે કદી પૂરી થતી નથી અને પ્રેમની જેમ સતત સાધ્ય કરવી રહે છે. બીજું ગુજરાતમાં એટલું થયું કે પરિષદની ચૂંટણીમાં સ્વાયત્તતાના મુદ્દે પ્રમુખ પદ શક્ય બન્યું. સરકારને આ અંગે એકથી વધુ વાર કહેવાનું બન્યું છે. વળી, અકાદમીમાંથી સાહિત્યકારોનાં રાજીનામાં પડ્યાં છે, તેમ છતાં સરકારની પોતાની સંવેદનશીલતા અને વ્યાપક જનજાગૃતિ ઓછાં પડે છે, એટલે એ દિશામાં વધારે સક્રિય રહેવું પડશે. હકીકતે થોડા મહિના પર સિતાંશુ યશશ્ચંદ્રના નેતૃત્વમાં પાલનપુર – પ્રસ્તાવમાં અમે રોડમેપ નિર્ધાર્યો હતો, પણ કોરોનાને કારણે એમાં આગળ વધાયું નથી, એમાં વહેલી અનુકૂળતાએ એ દોર સાંધી લઈશું. પાલનપુર પ્રસ્તાવ મુજબ પરિષદ સ્વાયત્તતાના મુદ્દે લડતને આગળ ચલાવાશે.

• પરિષદ પ્રમુખ તરીકે તમારું ફોકસ પરિષદનો વિકાસ રહેશે કે અકાદમી મુદ્દે સંઘર્ષ?

સ્વાયત્તતા જેવા મુદ્દે જાગૃતિ ઝુંબેશ પરિષદના વિકાસની જ પ્રક્રિયા છે. અક્ષરજીવન અને જાહેરજીવન ભેગા મળે, એ સંગમભૂમિ પર પરિષદે પોતાની હાજરી અને વજૂદ પુરવાર કરવાનાં છે, એટલે એને પરિષદના ચાલુ કામમાંથી જુદા પાડીને જોવાની જરૂર નથી. એ સાથે લોકો અને સાહિત્ય વચ્ચે એક પ્રકારે પારસ્પર્ય વિકસે, વિસ્તરે અને વિલસે એ જોવાની અમારી કોશિશ રહેશે.

• પરિષદની નિયમિત પ્રવૃત્તિઓ સિવાય તમે કઈ કઈ નવી પ્રવૃત્તિઓ શરૂ કરવા ધારો છો?

સૌથી પહેલાં તો નિયમિત પ્રવૃત્તિઓને વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ રહેશે. પરિષદ પ્રવૃત્તિઓ કરે છે, પરંતુ તેની નોંધ લેવાતી નથી. એ માટે અમે મીડિયાનો પણ સહયોગ ઇચ્છીએ છીએ. આવનારા સમયમાં અમે પ્રવૃત્તિઓને વેગ આપીશું અને વધુ ને વધુ લોકોને સાંકળવા પ્રયાસો કરીશું.

• ડિજિટલ-સોશિયલ મીડિયાના યુગમાં પરિષદની બદલાયેલી ભૂમિકાને કેવી રીતે જુઓ છો?

પરિષદની પોતાની વેબસાઇટ તો ઘણાં વર્ષોથી છે. તાજેતરમાં વેબપત્રિકા શરૂ કરી છે. નવા લોકો સુધી પહોંચવા માટે નવાં નવાં માધ્યમોને વધારે અજમાવીશું.

• પરિષદને યુવાનો માટે પણ ફેવરિટ ડેસ્ટિનેશન બનાવવા માટેની તમારી કેવી રણનીતિ રહેશે?

સોશિયલ મીડિયા અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ થકી યુવાનોનો સંપર્ક વધારીશું. પરિષદના કાર્યક્રમોમાં યુવાનોનું ઇન્ટરેક્ટિવ પાર્ટિસિપેશન થાય, એવી અમારી કોશિશ રહેશે.

• પરિષદ સામેનો સૌથી મોટો પડકાર આર્થિક છે. પરિષદના આર્થિક પ્રશ્નો ઉકેલવા માટે તમે કેવા ઉપાયો અજમાવશો? તમે આ અંગે કોઈ ઉકેલ વિચાર્યા છે?

પરિષદનો વહીવટ એકંદરે સીમિત સાધનોથી ચાલે છે. જાહેર સંસ્થાઓમાં સરકારના અનુદાનનો નિયમસર મળવાપાત્ર હિસ્સો મોડો અને અનિયમિત પહોંચતો હોય એવો અનુભવ છે, એમાં પરિષદ પણ બાકાત નથી. લોકસહયોગ તથા બિનસરકારી સહાય મેળવવા માટે અમારી કોશિશ રહેશે. પરિષદે સ્વાયત્તતાના મુદ્દે જે સહજ સ્ટેન્ડ લીધું, એને પગલે અકાદમી મારફત મળતો આર્થિક ટેકો એણે જતો કર્યો છે. આ એક એવો નૈતિક નિર્ણય છે, જેની કદર મહાજન ગુજરાત મોડા-વહેલા પણ કરશે અને હાલના ટેકાને વધુ સુદૃઢ કરશે, એવી અમને ઉમેદ છે. સુરતની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી કે પાલનપુરના વિદ્યામંદિરે તાજેતરનાં વર્ષોમાં પરિષદનાં સત્ર કે અધિવેશન અંગે જે જવાબદારી નિભાવી, તેમાં ગુજરાતની ઉજમાળી પરંપરાના દર્શન થાય છે.

• દલિત-આદિવાસી-નારીવાદી-ડાયસ્પોરા સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે તમે શું શું કરવા માગો છો?

તમે જોશો તો છેલ્લાં વર્ષોમાં આ તમામ માટે કંઈ ને કંઈ વિભાગીય કામગીરી પરિષદ દ્વારા કરવામાં આવી છે. આવાં ઉપક્રમોને વધારે સઘન અને વ્યાપકપણે ચલાવવાની કોશિશ કરીશું.

નર્મદે એના સમયમાં પ્રશ્ન પૂછેલો કે ‘કોની કોની છે ગુજરાત …’ પછી એણે જ જવાબ આપેલો, ‘સૌની છે ગુજરાત …’ સૌની ગુજરાતમાં જવાબ શોધવાનો આપણા સમયનો વિશેષ મેન્ડેટ છે. આ સમય ખરા અર્થમાં જનયુગ છે.

• પરિષદના વહીવટમાં પારદર્શકતા આવે, એ માટે લોકપાલ-તટસ્થ ઓડિટ જેવી કોઈ કામગીરી તમારા એજન્ડામાં છે?

પરિષદમાં નિયમિતપણે ઑડિટ થાય છે, એટલે અત્યારે ઑડિટ નથી થતું, એવો પ્રશ્ન નથી. બધા મિત્રોને ઠીક લાગે તો મારા મતે કોર્પોરેટ અને અન્ય ક્ષેત્રોની જેમ સોશિયલ ઑડિટ કરાવવાનો વિચાર કરવો જોઈએ. હું પદભાર સંભાળું પછી, સાથીઓ, મધ્યસ્થ સમિતિ, ટ્રસ્ટી ગણ વગેરે સાથે પરામર્શ કરીને પછી આ અંગે નિર્ણય લેવાનું બની શકે.

(તા. 25 ઑક્ટોબર, 2020ને રવિવારના ‘દિવ્ય ભાસ્કર’ની અમદાવાદ આવૃત્તિના સિટી ભાસ્કરના પ્રથમ પાને પ્રકાશિત ઇન્ટરવ્યૂ. સ્થળસંકોચને કારણે અખબારમાં સમગ્ર મુલાકાત પ્રકાશિત થઈ શકી નહોતી, તેને અહીં વાંચકો માટે ઉપલબ્ધ કરાવી છે.)

http://samaysanket.blogspot.com

સૌજન્ય : “સમયસંકેત”, 26 ઑક્ટોબર 2020

Loading

‘અચ્છે દિન’ના હિસ્સેદાર બનવા માગતા દલિતોને શું મળ્યું?

મનીષા પાંડેય|Opinion - Opinion|27 October 2020

ચાર વરસ પહેલાંની વાત છે. મેં સોશિયલ મીડિયા પર લખ્યું, ‘બ્રાહ્મણોએ પોતાની સ્ત્રીઓને બરાબરીનો હક નથી આપ્યો. બ્રાહ્મણ પુરુષો ભલે ઊંચી જાતિના હોવાનો બિલ્લો લગાવીને ફરે, તેમની સ્ત્રીઓ માટે તો તે કોઈ ગૌરવની વાત નથી”. આ વાંચીને એક માણસે મને ઇન બૉક્સમાં આવીને ભૂંડી ગાળો દીધી. એનો પ્રોફાઇલ તપાસતાં હું એક એવા પેજ પર પહોંચી, જેમાં દેશના તમામ બ્રાહ્મણોને એક થવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય બ્રાહ્મણ એકતાનું આહ્વવાન એટલા માટે અપાયું હતું, કારણ કે તેમના પર કોઈ અદૃશ્ય આફત આવવાની હતી. જે ૪૦ લાખ લોકોએ આ પેજને લાઇક કર્યું હતું, તેમાં મારા પરિચિત ઘણા લોકો હતા.

આ પેજના કવર પર રામની તસવીર હતી. તેમના હાથમાં ધનુષ્ય હતું, બાણ ચઢાવેલું હતું, પ્રત્યંચા ખેંચેલી હતી અને આંખો ગુસ્સાથી લાલઘૂમ હતી. રામનું આ રૌદ્ર રૂપ ૧૯૯૨ પહેલાં આપણી ચેતન-અચેતન સ્મૃતિમાં ક્યાં ય ન હતું. રામની આંખોમાં મને એ જ લોહી ધસી આવેલું દેખાતું હતું, જે મૅસેજમાં મારા પર ગેંગરેપનું આહ્વવાન કરનારમાં હતું.

વિકાસથી હિંદુ રાષ્ટ્ર સુધી

૨૦૧૬માં રામમંદિર આંદોલનથી જાણીતા થયેલા પક્ષને સત્તામાં આવ્યે બે વરસ થઈ ગયાં હતાં. સત્તામાં આવવું હતું ત્યારે તે વિકાસનો વાયદો કરતા હતા, પણ તે જોતજોતામાં ક્યારે હિંદુ રાષ્ટ્રના એજેન્ડામાં ફેરવાઈ ગયો તેની ખબર જ ન પડી. વર્ષ ૨૦૧૪ પહેલાં બ્રાહ્મણવાદનો વિરોધ કરવા બદલ કોઈ આવી ગંદી ગાળોથી નવાજતું ન હતું. મોં મચકોડનારા ત્યારે પણ હતા. છતાં, સાચું લખી શકાતું હતું. ખોટું થતું હોય તો સવાલ કરી શકાતા હતા. કમ સે કમ, આપણે બ્રાહ્મણવાદને કેટલો નજદીકથી નિહાળ્યો છે તેના અનુભવ કહી શકતા હતા. કોઈ એમ તો નહોતું જ કહેતું કે તારા પર બળાત્કાર કરીશું.

૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લાના રાપરમાં ફેસબુક પર બ્રાહ્મણવાદનો વિરોધ કરનાર એડવોકેટ દેવજી મહેશ્વરીની હત્યા કરી નાંખવામાં આવી. હત્યારો તેમના જ ગામનો બ્રાહ્મણ, ભરત રાવલ છે. દેવજીભાઈ ફેસબુક પર ‘બ્રાહ્મણોની વિરુદ્ધ’ લખે, તે વાતે તેને વાંકુ પડતું હતું. જો કે તેઓ લખતા તો હતા બ્રાહ્મણવાદના વિરોધમાં, પણ ભરત રાવલને લાગતું હતું કે તેઓ બ્રાહ્મણોની વિરુદ્ધ લખે છે. હત્યા પૂર્વેની મહેશ્વરીની છેલ્લે ફેસબુક પોસ્ટ ‘દલિતો હિંદુ નથી’ તેમ જણાવતી વામન મેશ્રામની એક વીડિયો હતી.

ભરત રાવલે ઘણી વાર દેવજીભાઈને બ્રાહ્મણો વિરુદ્ધ ન લખવા ચેતવ્યા હતા. પણ દેવજીભાઈએ તેની ચેતવણી ગણકારી નહીં અને કહેતા રહ્યા કે “તારાથી જે થાય તે કરજે.” એટલે રાવલે તેનું ધાર્યું કર્યું. તે મુંબઈના મલાડથી રાપર ગયો, દેવજીભાઈની ઓફિસમાં ઘૂસીને ચાકુના ઘા પર ઘા કરીને તેમને મારી નાખ્યા. પોલીસે રાવલની ધરપકડ કરીને તેના પર કાયદેસરની કડક કલમો પણ લગાવી છે. પરંતુ તેનાથી આ સરકારના રાજમાં રોજેરોજ જે સવાલો ઊઠે છે તેનો જવાબ ક્યાં છે ?

હાથરસમાં એક દલિત યુવતી પર બળાત્કાર અને હત્યા પછી જાતિનો સવાલ એક વખત મુખ્ય ધારાની ચર્ચામાં આવ્યો છે. હાથરસની આસપાસનાં બાર ગામોના કથિત ઊંચી જાતિના લોકોએ પંચાયત બોલાવીને બળાત્કારના અરોપીઓને સાથ આપવાનું અને તેમના સમર્થનમાં આંદોલન કરવાનું એલાન કર્યું છે. આરોપીઓના ઘરવાળાઓનું કહેવું છે કે, “તેઓ નીચી જાતિના લોકો છે. અમે તેમનું પાણી પણ ના પીએ, તો પછી તેમની છોકરીઓને કઈ રીતે અડકીએ.”

દલિત સમાજમાં સૌથી કમજોર અને શોષિત વર્ગ પહેલાં પણ હતો, અત્યાચારો પહેલાં પણ થતાં હતાં. પરંતુ આ વખતે જે આત્મવિશ્વાસ સાથે સવર્ણ સમાજ એકત્ર થયેલો જોવા મળે છે, એવું પહેલાં થતું નહોતું.

દલિતો પરના અત્યાચારોમાં વધારો

બે વરસ પહેલાંના, ૨૦૧૮ના, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા અનુસાર ગયાં દસ વરસમાં દલિતો પરની હિંસામાં ૬૬ ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં જ્યાં ભા.જ.પ.ની કે ભા.જ.પ.-સમર્થિત પક્ષોની સરકારો છે, તે રાજ્યોમાં દલિત અત્યાચારોના સૌથી વધુ બનાવો નોંધાયા છે. ચૂંટણીના આંકડા જોઈએ તો લાગે છે કે જ્યારે દલિતો ભા.જ.પ. ભણી ખેંચાયા ત્યારે તેમનો વિશ્વાસ અને આશા કંઈક જુદાં જ હતાં.

આઝાદ ભારતના ઇતિહાસમાં ૨૦૧૪ની ચૂંટણીઓ એવો પહેલો અવસર હતી, જ્યારે દલિતોએ સૌથી વધુ સંખ્યામાં કમળનું બટન દબાવ્યું હતું. લોકસભાની કુલ ૫૪૩માંથી દલિતો માટે ૮૪ અનામત બેઠકો હતી. તેમાંથી ૪૦ બેઠકો ભા.જ.પે. જીતી લીધી. આટલી મોટી સંખ્યામાં ભા.જ.પ.ના દલિત સાંસદો બન્યા, તે લોકતંત્રમાં પહેલીવાર બન્યું હતું. વિકાસ અને ‘અચ્છે દિન’નું સપનું એટલું તો સોનેરી હતું કે વિકાસમાં સૌથી તળિયે રહેલા દલિતો પણ તેમાં પોતાની હિસ્સેદારી માગવા માટે જોડાઈ ગયા.

પરંતુ તેમના હાથમાં આખરે શું આવ્યું ? જ્ઞાતિની શ્રેષ્ઠતાના અહંકારમાં ગળાડૂબ પાર્ટીની રાજનૈતિક વિચારધારા દિનબદિન મજબૂત થતી ગઈ. સમાજનો એક વર્ગ જે પહેલાં કાયદાના ડરથી દલિતો વિરુદ્ધ ખુલ્લેઆમ બોલતાં ડરતો હતો, તે ખુલીને બોલતો થયો. ખૂબ જ ઝનૂનથી ગૌરી લંકેશ, ગોવિંદ પાનસરે અને કલબુર્ગી જેવાં લોકોની હત્યા કરવામાં આવી. મુંબઈમાં દલિત મહિલા ડોંક્ટરને કશા ડર કે ખચકાટ વિના કહેવામાં આવ્યું કે તે અનામતથી બનેલાં ડૉક્ટર છે, મૅરિટવાળાં નથી.” ગુજરાતના ઉનામાં ગૌહત્યાના ખોટા આળથી દલિતોની બર્બર મારઝૂડ જેવી ઘટનાઓ સામાન્ય બની રહી છે. યુનિવર્સિટી કેમ્પસમાં રોહિત વેમુલાને આત્મહત્યા કરવા મજબૂર કરાયા હતા.

આ જે કંઈ બન્યું તે અંગે મારી  આસપાસના કોઈ  ભાગ્યે જ ચિંતા કરતા કે દુ:ખી થતાં જોવા મળે છે. મારા પરિવારના પંડિતજીઓ આજે પણ કાન પર જનોઈ ચઢાવી, પોતાની જાંઘો ખંજવાળતા ખંજવાળતા એમ જ કહેતા સંભળાય છે કે મોદીજી આવી ગયા છે. હવે અનામત પણ ગઈ સમજો. મારા નાતીલા બ્રાહ્મણોના મતે આ દેશમાં બે જ સમસ્યાઓ છે : અયોધ્યામાં રામમંદિર બની જાય અને કાયદાની કિતાબોમાંથી અનામતનું નામોનિશાન મિટાવી દેવાય.

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં આવેલું છે મારું ગામ. લગભગ ૩૦ વરસો પહેલાં ઘરથી પાંચસો ડગલાં દૂર, ખેતરની પેલે પાર એક વસ્તી હતી. મારી દાદી એને જે નામે ઓળખતાં, તે શબ્દ હવે ગેરકાયદે ગણાય છે. પણ દલિત કવિ નીરવ પટેલે તેમની એક કવિતામાં તેને ‘ફૂલવાડો’ કહ્યો છે. અમને ત્યાં જવાની સખત મનાઈ હતી. એમ તો ઘરનું આગણું છોડવાની પણ મનાઈ હતી જ ને? પણ ખેતરની પેલી મેર જવાની તો જરા ય મંજૂરી નહોતી.

ક્યારેક દલિતોની વસ્તીમાંથી કોઈ અમારે ત્યાં આવે તો હાથ જોડીને, શરીર સંકોરીને એક બાજુ જમીન પર બેસે. પંડિતજી ખાટલે બેસી હુક્કો ગગડાવે ને બાપડો દલિત ગભરાતો-ગભરાતો કંઈક બોલે. એક વાર કાકા ક્યાંક જતા હતા. એટલે હું એમની ભેળી ગઈ. જેવા અમે દલિત વસ્તીમાં ગયાં કે જે દલિતો ખાટલા પર  બેઠા હતા, તે ફટાફટ ઊભા થઈ ગયા. હું અને કાકા ખાટલે બેઠા અને બુઢ્ઢા દલિત જમીન પર. પંડિતજી માટે દલિત વસ્તીમાં પણ ખાટલો અનામત હતો. હું નાની બાળકી હતી, પણ શક્તિ અને અહંકારનું જે રૂપ મેં એ સમયે (ત્રણ દાયકા પહેલાં ) જોયું તે મને સારું નહોતું લાગ્યું.

અઢાર વરસ પછી ફરી એક વાર ગામ જવાનું થયું. ત્યાં સુધીમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. મંડલ કમિશનનો અમલ થઈ ચૂક્યો હતો. ઉત્તર પ્રદેશના રાજકારણમાં બ્રાહ્મણોનો દબદબો પહેલા જેવો નહોતો રહ્યો. ગામથી શહેર ભણવા ગયેલો દલિત યુવાન સરકારી નોકરી મેળવી ‘સાહેબ’ બનીને ગામમાં આવ્યો હતો. આ વખતે હું ચહીને દલિત વસ્તીમાં ગઈ. દલિત વસ્તીની સૂરત બદલાઈ ગઈ હતી. ઘર પાકાં ઈંટેરી બન્યાં હતાં. પરસાળમાં મોટરસાઇકલ પડી હતી. દસ ઘરની એ દલિત વસ્તીની વચ્ચોવચ્ચ એક છાપરા નીચે સૂટ પહેરેલા અને હાથમાં બંધારણ સાથેના ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા હતી. આ જ એ બદલાવ હતો, જે ગામના બ્રાહ્મણોને ખૂંચતો હતો. હવે બુઢા દલિત એમના માટે ખાટલા પરથી ઊભા થતા નહોતા. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા, એ વખતે વરસોથી અમેરિકામાં રહેતા મારા એક ઇન્ડિયન દોસ્તને એક ગોરા અમેરિકને પેટ્રોલ પંપ પર ખીજાઈને સંભળાવેલું, “ગેટ રેડી ટુ ગો બૅક” (બિસ્તરાપોટલાં બાંધવા માંડો અને તમારા દેશમાં જવાની તૈયારી કરો.)

ગામના બ્રાહ્મણો ત્યારથી એવા મોકાની રાહમાં છે કે ક્યારે તેઓ દલિતોને ‘ગો બેક’ કહી શકે. પણ શું ઘડિયાળના કાંટા ઊંધા ફેરવી શકાય?

(સૌજન્યઃ ‘ધ પ્રિન્ટ’-હિંદી, અનુવાદઃ ચંદુ મહેરિયા)

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 26 ઑક્ટોબર 2020; પૃ. 11-13

Loading

આપણે વિકાસના નામે શાનો વિનાશ કરીએ છીએ?

લેખક : તુષાર ગાંધી • અનુવાદક : આશા બુચ|Opinion - Opinion|26 October 2020

“બાઇબલમાંનું એક સ્ત્રોત્ર, ‘વૃક્ષો પાસેથી શિક્ષા લો’ એ સહુના હૃદયમાં ઉતારવા યોગ્ય છે. વૃક્ષો સૂર્યનો આકરો તાપ સહન કરે છે અને આપણને શીતળતા આપે છે. પણ આપણે શું કરી છીએ?” 

— એમ.કે. ગાંધી

– બાપુકે આશીર્વાદ, 01 ડિસેમ્બર 1944

“વૃક્ષો આપણી માફક જ જીવંત સૃષ્ટિ છે. એ આપણી જેમ શ્વાસ લે છે, ખોરાક અને પાણી લે છે. આપણી માફક તેમને પણ ઊંઘની જરૂર પડે છે. એ જ્યારે રાત્રિના આરામ કરતાં હોય ત્યારે ઝાડનાં પાંદડાં તોડવાં એ હલકું કામ છે.” 

— એમ.કે. ગાંધી

‘યંગ ઇન્ડિયા’, 05 ડિસેમ્બર 1929

બહુ ઘણાં વર્ષોથી માનવ જાત સ્વકેન્દ્રી અને સ્વાર્થી બનીને પોતાનું અસ્તિત્વ ટકાવી રહી છે. આખર આપણે પ્રકૃતિનું ઉત્તમ સર્જન છીએ એટલે બાકીની તમામ વસ્તુઓ આપણા ઉપભોગ માટે, તેનું શોષણ કરવા અને તેનો દુરુપયોગ કરવા માટે છે. આપણે દયાળુ હોવાનું ગૌરવ લઈએ છીએ, પણ એ દયા આપણી જાતના લોકો માટે, પોતાના સમૂહો માટે, આપણાં જેવાં સ્ત્રીઓ કે પુરુષો માટે અને ભારતીય હો તો પોતાની જ્ઞાતિના લોકો સુધી સીમિત હોય છે. બીજું કોઈ કે કશું મહત્ત્વનું નથી. આપણે પોતાની જાતને ખાતરી કરાવી દીધી છે કે આપણા સર્જનહારે આપણને સહુથી મોટા ગ્રાહક બનવા માટે જ નિર્માણ કર્રી છે અને બધી વસ્તુઓ આપણા વપરાશ અને આનંદ માટે જ છે. 

સદીઓથી આપણે આપણા કુદરતી સ્રોતોની લૂંટ ચલાવી અને જે નથી વાપરતા તેને ઝેરી બનાવી દીધું, ગંદુ કરી મેલ્યું અને વિચાર્યા વિના પ્રદૂષિત કરી મૂક્યું. સદા અતૃપ્ત રહેતી લોભવૃત્તિને પરિણામે પૃથ્વીના વાયુ મંડળ(ઓઝોન લેયર)માં મોટું કાણું પાડી દીધું.

આપણી વિકાસ વિશેની વિભાવના જ સ્વાર્થી છે. આપણે નક્કી જ કરી લીધું કે માત્ર માનવ જાતને જ વિકાસ કરવાનો અધિકાર છે અને તે પણ બીજી બધી જીવસૃષ્ટિના ભોગે. આપણા મહાનગરો કુદરતી ભૌગોલિક સમૃદ્ધિ અને અન્ય જીવો સાથેના જૈવિક સંબંધોના વિનાશ ઉપર જ રચાયાં છે. આવી કુદરતી સંપદાનું નિર્માણ થતાં યુગો થયા, પરંતુ તેનો નાશ થોડાં વર્ષોમાં થઇ ગયો. આપણે નાળાંઓને સુકવી દીધાં અને ખબોચિયાં પૂરી દીધાં. આપણે દરિયાના છીછરા ભાગ, અખાત, ખાડીઓ અને કળણો પૂરીને જમીન બનાવી કાઢી. આપણી અમર્યાદિત ભૂખને સંતોષવા એક જ પ્રકારનું અનાજ પેદા કરતાં ખેતરોને પાણી મળી રહે અને દિન બ દિન વધતી રહેતી અને કદી ન સંતોષતી એવી વીજળીની ભૂખને સંતોષવા આપણી નદીઓ પર બંધ બાંધીને તેને હાનિ પહોંચાડી. આપણે પેટાળમાંનાં પાણીના ભંડારને વાપરીને ખતમ કરી નાખ્યા તે આપણી તરસ છીપાવવા નહીં, પણ બે ગેલન પાણી વાપરતા ટોયલેટના ફ્લશ માટે.  

અશ્મિલ ઇંધણ(ફોસિલ ફ્યુઅલ)ની શોધની સાથે જ આપણે માત્ર આપણા કુદરતી સ્રોતોનો જથ્થો જ ન ઘટાડ્યો, પણ આપણી ધરતીના નઝારાની સુંદરતા નાશ પામી, જળાશયો અને ખુદ હવા પણ પ્રદૂષિત થયા. જ્યારે પણ આપણે વિકાસની દિશામાં એક કદમ આગળ વધ્યા, ત્યારે પ્રકૃતિ અને અન્ય જીવસૃષ્ટિનો ભોગ લેવાયો છે કે જેને આપણા જેટલો જ જીવવાનો અને ટકી રહેવાનો અધિકાર છે. પરંતુ આપણે તેની જરા પણ તમા નથી કરતાં. આપણે તો ઉત્તમ યોનિમાં જન્મ લીધો છે, સૃજનકર્તાનું ઉત્તમ સર્જન!

‘વિકાસ’ની કિંમત

આપણે જો માત્ર આપણા દેશ અને પોતાના શહેરની જ વાત કરવા જઈએ તો દૂર જોવાની જરૂર નથી. ‘વિકાસ’ એ છેલ્લા થોડા દયાકા દરમ્યાન ખૂબ જ લોકપ્રિય થયેલું સૂત્ર છે. જરા થોભી જઈને વિચારીએ કે આપણા ઝડપી વિકાસની લાલસાને પરિણામે આપણે આપણી પ્રકૃતિ માતાની ધરોહરની કેટલી કિંમત ચૂકવી છે અને તેનું મૂલ્ય બધા પ્રકારનાં અન્ય જીવોએ પણ ચૂકવવું પડ્યું છે.

પશ્ચિમ ઘાટ એક મહત્ત્વના સૃષ્ટિમંડળ તરીકે ઓળખાય છે, જ્યાં હજુ ઓળખવાના બાકી હોય તેવાં અસંખ્ય જીવો પોતાનું ઘર બનાવીને રહે છે. પણ આપણે તેમની સંભાળ લઈએ છીએ? આપણે રસ્તાઓ પહોળા કરવા છે, કેમ કે આપણને દૂર સુધી અને ઝડપથી સફર કરવી છે. આપણને વધુ ટ્રેઈન જોઈએ છે, એટલે પર્વતોને દારૂગોળાથી ઉડાવી દઈને એ જમીનને સપાટ કરવી જોઈશે, તેમાં સુરાખ પાડીને માર્ગ કાઢવો પડશે. કેટલીક જીવસૃષ્ટિ માટે એ પર્વતો અસ્તિત્વ ટકાવી રાખવાનું ઠેકાણું હોય તે આપણા માટે મહત્ત્વનું નથી. એ પર્વતોને જમીનદોસ્ત કરીને કેટલાંક જીવો અને વનસ્પતિઓનું નામ નિશાન ભૂંસી નાખીએ તેનો કશો વાંધો નહીં. મહત્ત્વનું એ છે કે મુંબઈ અને પણજી વચ્ચેની મુસાફરીનો સમય થોડા કલાક જેટલો ઓછો થાય.

હાલમાં આપણે આપણી વીજ શક્તિની પ્યાસને બુઝાવવા અણુ વીજ મથક અને ખનીજ તેલનાં કારખાના આ નાશ પામતા સૃષ્ટિમંડળમાં બાંધવા માંગીએ છીએ. જો સમુદ્રો ઝેરી બની જાય, જંગલો વસ્ત્રવિહીન થઇ જાય અને હજારો જીવસૃષ્ટિનાં જાન લેવાઈ જાય તો પણ ભલે. આપણે આપણા લૅપટૉપ અને સ્માર્ટ ફોન અને નવી ‘રિસ્પોન્સિબલ’ વીજળીથી ચાલતી કાર ચાર્જ કરવા છે.

શહેરીકરણનું સ્વપ્ન દુઃસ્વપ્નથી અગ્રક્રમે આવે છે

મારા શહેરને મેટ્રો રેલની જરૂર છે, તેથી હજારો વૃક્ષો કાપી નાખવાં બરાબર છે. એ કંઈ સામૂહિક હત્યા નથી, કેમ કે વૃક્ષો એ જીવિત સૃષ્ટિ છે તેમ હું નથી સ્વીકારતો. વૃક્ષો આ ધરતી પર હજારો વર્ષથી રહેતાં આવ્યાં હોય તો શું થયું? હવે મારે આ વિસ્તરની જરૂર છે જેથી મારા લોકો ઝડપી વાહનવ્યવહારની મજા માણી શકે. એ સૂક્ષ્મ જીવો, જંતુઓ, પક્ષીઓ અને પ્રાણીઓ કે જે એ જંગલને પોતાનું ઘર માનીને જીવતાં હતાં તેની કશી વિસાત નથી. એ ઝાડ-પાન, ફૂગ, શેવાળ, ઘાસ એ બધાનું કશું મહત્ત્વ નથી. એ મારા શહેરનાં ફેફસાં છે ખરાં, પણ મારી જમીન મેળવવાની લાલસા મારી પ્રાણવાયુ મેળવવાની જરૂરિયાત કરતાં વધુ મહત્ત્વની છે.

મારા શહેરમાં કારની માલિકી ધરાવનારાઓ વાહનોથી ચિક્કાર ભરાઈ ગયેલા રસ્તાઓથી પરેશાન થાય છે, અને તેમનો આવન-જાવનનો સમય વધતો જાય છે. એથી જ તો પરાંઓને જોડતી રેલ અને મેટ્રો નેટવર્ક બાંધું તો શું થઇ ગયું? ઉચ્ચ વર્ગ તરફ કૂચ કરતો મધ્યમ વર્ગ અને ધનિક લોકોને પોતાની અંગત કાર ચલાવવાની પણ જરૂરિયાત છે. મારે વધુ અને પહોળા રસ્તાઓની અને દરિયા કિનારે ફ્રીવેની પણ જરૂર છે.

સદીઓથી મારું શહેર માછીમારોથી વસેલું હતું, જેઓ આસપાસના દરિયાઈ વિસ્તારોમાં પેદા થતી મચ્છીઓ પકડીને ગુજરાન ચલાવતા હતા, હવે મારે એમની પરાંપરાગત માલિકીની વિશાળ જમીન અને દરિયાનો પણ થોડો ભાગ સુંદર રસ્તાઓ બનાવવા માટે જોઈએ છે. આથી વધુ દરિયાનો ભાગ કબજે કરવો જ જોઈશે, વધુને વધુ કળણ વાળી જમીન સુકવી નાખવી જોઈશે, હજુ વધુ ઉષ્ણ કટિબંધની વનરાજીનો નાશ કરવો જોઈશે. આ ઉષ્ણ કટિબંધની વનરાજીમાં ઘણાં દરિયાઈ જીવો ઉછેરે છે અને તેનો નાશ થવાથી પુષ્કળ પ્રમાણમાં દરિયાઈ વનસ્પતિ અને જીવો સદંતર નાશ પામશે, પણ તેનો કશો વાંધો નહીં. પરંપરાથી આ કાંઠા વિસ્તારમાં રહેતા આવેલા લોકો વિસ્થાપિત થઇ જશે અને પોતાની આજીવિકાના સાધનો ગુમાવશે તેનું કોઈ મહત્ત્વ નથી. 

ઉષ્ણ કટિબંધની વનરાજીનાં જંગલો કાંઠા વિસ્તારને ધોવાઈ જતા અટકાવે છે, એ જાણતા હોવા છતાં તેનો નાશ થાય તો કંઈ વાંધો નહીં.  જો એમ બનશે તો હું દરિયામાં કદરૂપા સિમેન્ટ કોંક્રિટના સ્તંભો નાખીશ, પરંતુ આ ઉષ્ણ કટિબંધની વનરાજી તો નાશ કરી શકાય તેવી છે. જો જળસૃષ્ટિના કેટલાક વર્ગોનાં પ્રાણી, થોડા પરવાળાના ખડકો અને દરિયા કાંઠાના વિસ્તારમાં જીવતાં થોડાં હજાર સૂક્ષ્મ જીવાણુંઓ લુપ્ત થઇ જાય તો તેનું મહત્ત્વ નથી. માત્ર મારી મહત્તા છે. મહત્ત્વનું એ છે કે મારો બોરીવલીથી નરીમાન પોઇન્ટ સુધીની સફરનો સમય અર્ધા કલાક જેટલો ઓછો થાય.

આપણે આટલાં સ્વાર્થી થઇ ગયાં છીએ. આપણા લોભને સંતોષવા પાછળ આપણે પ્રકૃતિના આ નિયમને વિસરી ગયા છીએ : તમામ જીવો એકબીજાં સાથે સંકળાયેલાં છે, કશું જ તદ્દન સ્વતંત્ર નથી. ઉત્ક્રાંતિની પ્રક્રિયા સાબિત કરે છે કે આપણું અસ્તિત્વ એવા ઘટકો પર આધારિત છે જેમાં અન્ય જીવસૃષ્ટિનો ફાળો હોય. જ્યારે એ જીવો નાશ પામે ત્યારે પત્તાના મહેલની માફક બધાં જીવોના વિનાશની અસર આપણા ખુદના વિનાશ સુધી આવી પહોંચશે. આપણને એ પણ જાણ નથી કે આપણે એ પત્તાના મહેલમાં છેલ્લી હરોળમાં હશું કે ક્યાંક વચ્ચે ફસાયેલા હશું.

આપણા અહંકારે આપણા અસ્તિત્વનું સાતત્ય બીજાં તમામ જીવોની સુરક્ષા પર આધારિત છે એ હકીકત પણ તદ્દન ભુલાવી દીધી છે. બધાં પ્રકારનાં જીવોનું મહત્ત્વ છે કેમ કે આપણું મહત્ત્વ છે.

આપણે એક માત્ર એવાં જીવો છીએ જેને પોતાના વારસાની જાળવણી સાથે નિસબત છે. અને છતાં આપણું જીવન માત્ર વર્તમાન સાથે સંબંધ ધરાવે છે. આપણે આપણી  5,000 વર્ષ જૂની સભ્યતા પર ગૌરવ લઈએ છીએ, પરંતુ આપણો વારસો સાચવવાની કંઈ તમા નથી.

એવા સમાચાર મળ્યા છે કે વર્ધાથી સેવાગ્રામ – કે જ્યાં મહાત્મા ગાંધીનો આશ્રમ છે એ માર્ગમાં આવતાં 300થી વધુ વૃક્ષો કાપી નાખવામાં આવશે, જેથી એ રસ્તો પહોળો કરી શકાય. કારણ : આશ્રમ જોવા આવનારાઓ માટે સુગમતા વધે. સરકારને એ વાતની મહત્તા નથી સમજાઈ કે જે વૃક્ષો કાપી નાખવામાં આવે છે તે ખુદ ગાંધી અને એમના સાથીઓએ જ વાવ્યાં અને ઉછેર્યાં હતાં જેથી વર્ધાથી સેવાગ્રામ ચાલીને આવતા મુલાકાતીઓને તેની છાયામાં બેસી શકે. એ વિશ્રાંતિનું સ્થાન બને.

ગાંધીએ સેવાગ્રામ સુધીની મુસાફરીને આરામદાયી બનાવવા આ વૃક્ષોને કાપી નાખવાની અનુમતિ ક્યારે ય ન આપી હોત.

ગાંધીએ કહેલું, ઝાડ પરથી એક પાન પણ તોડવું એ ગુનો અને પાપ છે. પરંતુ આજે તેમણે જ વાવેલાં વૃક્ષો વિકાસનાં નામે કાપવામાં આવી રહ્યાં છે.

તુષાર ગાંધી : મહાત્મા ગાંધીના પ્રપૌત્ર. કર્મશીલ, લેખક અને ગાંધી ફાઉન્ડેશનના પ્રમુખ.

તસવીર સૌજન્ય : વિકિમીડિયા, પિકિસ્ટ 

e.mail : 71abuch@gmail.com

મૂળ અંગ્રેજી લેખની લિંક :

http://www.allindiansmatter.in/what-we-destroy-in-the-name-of-development/

Loading

...102030...2,1482,1492,1502,151...2,1602,1702,180...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved