૧૯૩૪ના પ્રારંભમાં ગાંધીજી દક્ષિણના પ્રવાસે હતા ત્યારે તેમણે પોંડીચેરી જઇને શ્રી અરવિંદને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શ્રી અરવિંદનો જાતે લખેલો ઉત્તર આવ્યો હતો કે તેઓ કોઈને મળતા નથી એટલે દિલગીર છે. ગાંધીજીએ શ્રી અરવિંદના શિષ્યા અને ઉત્તરાધિકારી માતાજીને મળવા લખ્યું તો તેમનો પણ કોઈ ઉત્તર ન આવ્યો એ જોઇને વલ્લભભાઇ પટેલને માઠું લાગ્યું હતું. વલ્લભભાઇનો ગાંધીજીને લખેલો પત્ર તો જોવામાં આવ્યો નથી, પણ ગાંધીજીએ વલ્લભભાઇને જે ઉત્તર આપ્યો હતો એના પરથી લાગે છે કે વલ્લભભાઇને આમાં ગાંધીજીનું અપમાન નજરે પડ્યું હોવું જોઈએ. તેમણે માતાજીને ‘માતાજી’ તરીકે સંબોધવામાં આવે એ પણ વિચિત્ર લાગ્યું હતું.
જવાબમાં ગાંધીજીએ પાંચમી ફેબ્રુઆરી ૧૯૩૪ના રોજ લખેલા પત્રમાં લખ્યું હતું કે, ‘’મધર’ને ‘મધર’ કહેવામાં આપણું કાંઈ જવાનું નથી. જેને જે ખિતાબ મળ્યો હોય એને એ નામે બોલાવવાનો વિનય તો ગોળમેજ ઉપર પણ જળવાયો હતો. તમે કદાચ કહેશો કે ગોળમેજનું અનુકરણ કરીએ તો બાર વાગે. કહેવાનો મતલબ એ છે કે ગોળમેજને પણ એ વિનય જાળવવો પડ્યો હતો.’ ગાંધીજીએ ઉક્ત પત્રમાં મધરનો ઉલ્લેખ માત્ર ‘મધર’ તરીકે નથી કર્યો, ‘રિવિયર્ડ મધર’ (શ્રદ્ધેય માતાજી) તરીકે કર્યો હતો.
વિનય. ગાંધીજી કહે છે કે એક બાજુએ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે અને બીજી બાજુએ વિનય છે. ગાંધીજી ધારત તો માતાજીને મિસ મીરા અલફાસ્સા (તેમનું મૂળ નામ) તરીકે સંબોધી શક્યા હોત, તેમનો તે અધિકાર હતો, પણ હાથમાં શું આવત? એમાં ગાંધીજીનો અવિનય પ્રગટ થયો હોત અને શ્રી અરવિંદ અને માતાજીના અનુયાયીઓ નારાજ થયા હોત. ગાંધીજીએ વિનાયક દામોદર સાવરકરને પણ ૧૯૪૦ના દાયકામાં લખેલા એક પત્રમાં ‘વીર સાવરકર’ તરીકે સંબોધ્યા હતા જ્યારે કે તેમને જાણ હતી કે સાવરકરે જિંદગીમાં કોઈ વીરતા બતાવી નથી. એ સમયે હિંદુ મહાસભાવાળાઓ સાવરકરને ‘વીર સાવરકર’ તરીકે ઓળખતા થયા હતા જેની સામે ગાંધીજીને કોઈ વાંધો નહોતો.
આને બીજે છેડે એક પ્રસંગ નોંધવા જેવો છે જે નારાયણભાઈ દેસાઈએ મને કહ્યો હતો. ગાંધીજી બહુ ખાસ કાંઈ કહેવાનું ન હોય અને ‘આ વખતે મળી શકાય એમ નથી’ એવી અમસ્તી જાણકારી આપવા પુરતો પત્ર લખવાનો હોય તો તેઓ સમય બચાવવા માટે બાજુમાં જે બેઠું હોય એને કહી દે કે ફલાણાભાઈને આટલું લખી નાખો. એક જાણીતા ગુજરાતી સાહિત્યકારને આવો એક પત્ર લખવાનું ગાંધીજીએ નારાયણભાઈને કહ્યું. નારાયણભાઈએ પત્ર લખીને ગાંધીજીને જોઈ જવા આપ્યો. પત્ર ટપાલમાં નાખવા આપતા પહેલાં ગાંધીજી જેને પત્ર લખવામાં આવ્યો હોય એને કરવામાં આવેલું સંબોધન અને સરનામું ધ્યાનથી જોઈ જતા. ગાંધીજીએ જોયું કે નારાયણભાઈએ એ સાહિત્યકારના નામની આગળ ‘મૂર્ધન્ય’ જેવું ભારેભરકમ વિશેષણ વાપર્યું હતું. ગાંધીજીએ સંબોધન વાંચીને કહ્યું, ‘બાબલા (નારાયણભાઈનું હુલામણું નામ), તને લાગે છે કે આપણા આ સાહિત્યકાર આટલા મોટા ગજાના છે? સંબોધનમાં કે પ્રશસ્તિમાં અતિશયોક્તિ કરવી એ અસત્ય છે. વળી તેઓ કહેશે કે ગાંધીએ તેમને મૂર્ધન્ય તરીકે ઓળખાવ્યા છે. તેઓ પોતે પોતાના વિષે ભ્રમમાં રહેશે અને બીજાને ભ્રમમાં નાખશે. કોઈ પણ માણસની એટલી જ પ્રશસ્તિ કરવી જોઈએ જેટલી કરવાને તે લાયક હોય.’
અહીં તેઓ વિનય અસત્યમાં ન ફેરવાય એનું ધ્યાન રાખે છે, પણ બીજા માટેનો વિનય કદાચ અસત્યયુક્ત હોય તો પણ જાળવવો જોઈએ. ગાંધીજીનો માતાજી વિશેનો શું અભિપ્રાય હતો એ આપણે જાણતા નથી. ગાંધીજી તેમના વિષે બોલ્યા નથી. ગાંધીજીનો સાવરકર વિશેનો શું અભિપ્રાય હતો એ આપણે જાણીએ છીએ. બહુ ઊંડા, ચાલાક, સાવધાન રહેવું પડે એવા જોખમી માણસ તરીકે ગાંધીજીએ સાવરકરને ઓળખાવ્યા છે. આમ છતાં ય ગાંધીજીને સાવરકરને ‘વીર’ તરીકે સંબોધવામાં વાંધો નથી, કારણ કે સાવરકરને અને તેમના અનુયાયીઓને એ ગમે છે. બીજી ગોળમેજ પરિષદમાં ઘણા ‘સર’, ‘રાવ બહાદુર’ અને ‘હીઝ હાઈનેસો’ને ગાંધીજીએ એ નામે સંબોધ્યા હતા. એ બધા ખોખલા અને ચાપલૂસ હતા એની જાણ તેમના સહિત આખી દુનિયાને હતી. આ સાથે તેઓ પોતે પોતાની જાતે કોઈને પણ માટે અતિશયોક્તિયુક્ત વિશેષણ વાપરતા નથી.
તો વાત એમ છે કે જીવનમાં ડગલે ને પગલે વિવેક કરવો પડતો હોય છે. વાણી સ્વાતંત્ર્ય અને વિવેક પરસ્પર વિરોધી વસ્તુ નથી. જો મુસલમાનોને પેગંબર મહમ્મદની તસ્વીર (કોઈ પણ સ્વરૂપમાં) ચીતરવામાં આવે એ ન ગમતું હોય અને એવી તેમની શ્રદ્ધા હોય તો વિનય-વિવેકના ભાગરૂપે ન જ ચીતરવું જોઈએ, પણ કોઈ જો મહમ્મદનું કે ઇસ્લામ ધર્મનું મૂલ્યાંકન કરવા માગતું હોય તો તે તેનો અધિકાર માન્ય કરવો જોઈએ. એમાં મુસલમાનોની લાગણીની ચિંતા કરવાની જરૂર નથી. લાગણી એટલી આળી ન હોવી જોઈએ કે કોઈનું મૂલ્યાંકન જ અશક્ય બની જાય. હવે મૂલ્યાંકનનો અર્થ તો તમે સમજતા જ હશો. પૂર્વગ્રહદૂષિત બદનક્ષી એ મૂલ્યાંકન ન કહેવાય.
ફ્રાંસમાં કાર્ટૂનિસ્ટોએ પેગંબર મહમ્મદનું કાર્ટૂન ચીતર્યું એ મૂલ્યાંકન હતું કે મસ્તી? એમ કરીને શું લાભ થયો, શું સિદ્ધ કર્યું? અવળચંડાઈ, ચીડવવાની વૃત્તિ અને મસ્તી સિવાય બીજો શું હેતુ હતો? જો એ મૂલ્યાંકન હોત તો વાણીસ્વાતંત્ર્યનો ભાગ બનત, આપણે તેમની પડખે ઊભા રહેત, પણ અહીં તો ઉઘાડો અવિવેક હતો. આનો બચાવ ન થઈ શકે.
સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એ ત્રણ જીવનમૂલ્યો જગતને ફાંસે આપ્યાં છે. ફ્રેંચક્રાંતિમાંથી મળ્યાં છે. ફ્રાંકોઇસ વોલ્તેર નામનો વિશ્વપ્રસિદ્ધ ફિલસૂફ, ઇતિહાસકાર અને લેખક એ ક્રાંતિનો પિતામહ હતો. વોલ્તેરે ૧૭૪૧ની સાલમાં ‘મોહમેત’ (મહમ્મદ) નામનું નાટક લખ્યું હતું જેણે પ્રચંડ વિવાદ પેદા કર્યો હતો. એમાં ઇસ્લામની અને પેગંબરની આકરી ટીકા કરવામાં આવી છે. ત્યારથી લઈને આજ સુધી ફ્રાંસ અને ઇસ્લામ વચ્ચે છત્રીસનો આકંડો છે. તમારે એ નાટક વાંચવું જોઈએ અને નક્કી કરવું જોઈએ કે એમાં મસ્તી છે કે મૂલ્યાંકન? સર્જકની સ્વતંત્રતાના પ્રશ્નો પણ ઉપસ્થિત કરવામાં આવે છે. સ્વતંત્રતાની સાથે બંધુતાની વાત પણ કરવામાં આવી છે જે વોલ્તેર સહિત કેટલાક ફ્રેન્ચો ભૂલી જાય છે.
આપણે ત્યાં ૧૯૨૦ના દાયકામાં લાહોરમાં આર્યસમાજી પ્રકાશક રાજપાલ એન્ડ સન્સના સ્થાપક રાજપાલ મહાશયે ‘રંગીલા રસૂલ’ નામનું પુસ્તક, તેનું શીર્ષક જ બતાવે છે એમ પેગંબરની ગંદી ઠેકડી અને ટીકા કરતું પ્રકાશિત કર્યું હતું. તેને કારણે પંજાબમાં કોમી હુલ્લડો થયાં હતાં અને રાજપાલની હત્યા થઈ હતી. પુસ્તકના લેખક પંડિત કૃષ્ણ પ્રસાદ હતા, પરંતુ પુસ્તકમાં લેખકનું સાચું નામ આપવામાં આવ્યું નહોતું એટલે તે બચી ગયા હતા. અદાલતે એ પુસ્તકને બદનક્ષી કરનારું ઠરાવીને લેખક અને પ્રકાશકની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. આજે તમે રાજપાલ એન્ડ સન્સની વેબ સાઈટ ઉપર જશો તો તેમાં તમને જોવા મળશે કે રાજપાલ મહાશયને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય માટે શહીદ થઈ ગયેલા પ્રકાશક તરીકે ઓળખાવવામાં આવ્યા છે.
અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય તો હોવું જ જોઈએ પણ સભ્યતા, વિનય અને વિવેકના ભોગે નહીં. ફ્રાંસમાં જે બની રહ્યું છે એ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની વાત નથી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 નવેમ્બર 2020