Opinion Magazine
Number of visits: 9842846
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 September 2025

ખાલી કપ …

એક સફળ ડોકટર તેની વ્યસ્તતાથી થાકી ગયો. તે સતત દબાવ અને સ્ટ્રેસમાં કામ કરતો હતો. તેની ઊર્જા ઓછી થઇ રહી હતી. લાંબા કલાકો કામ કરીને તેનું ઊંઘવાનું અને ખાવા-પીવાનું અનિયમિત થઇ ગયું હતું. થાકી હારીને તે એક ઝેન ગુરુ પાસે ગયો.

તેણે ગુરુને તેની સિદ્ધિઓ અને જવાબદારીઓ વિશે વાત કરી અને કહ્યું કે તેની રાહત મહેસૂસ નથી કરતો. 

ગુરુએ શાંતિથી તેની વાતો સાંભળી અને પૂછ્યું કે ચા પીશો? ડોકટરે હા પાડી એટલે ગુરુએ જાતે ચા તૈયાર કરીને કપમાં રેડવાની શરૂ કરી. ડોકટર તાજ્જુબ બનીને ગુરુની હરકત જોતો રહ્યો. તેણે જોયું કે કપ ભરાઈ ગયો હતો, પણ ગુરુનું એમાં ધ્યાન નહોતું.

‘અરે! ઊભા રહો, કપ છલકાઈ ગયો,’ તેણે કહ્યું.

ગુરુએ શાંતિથી તેની સામે જોયું અને કહ્યું, ‘એ જ તો વાત છે. તું પણ આ કપ જેવો છે. એકદમ ભરાઈ ગયેલો – સતત કામમાં, વિચારોમાં, આયોજનોમાં વ્યસ્ત … આરામ, આનંદ કે જીવન માટે જગ્યા જ નથી. તારા કપને ખાલી કર.’

—————————————————

રાજ ગોસ્વામી

થોડા દિવસ પહેલાં, મોનિકા ચૌધરી નામની એક 29 વર્ષીય આંત્રપ્રિન્યોરે ઇન્સ્ટાગ્રામ પર તેની કેફિયત બયાન કરીને તહેલકો મચાવી દીધો હતો કે કામના લાંબા કલાકો, સ્ટ્રેસ અને બર્નઆઉટના પગલે તેની તંદુરસ્ત જીવનશૈલી ખરાબે ચઢી ગઈ હતી અને અંતત: તે ચોથા સ્ટેજના કોલોન (આંતરડાના) કેન્સરનો ભોગ બની હતી. 

સંશોધન કહે છે કે નિયમિત સ્ટ્રેસ અને બર્નઆઉટથી શરીરમાં હોર્મોનલ સંતુલન ખોરવાય છે અને ઇન્ફલેમેશન વધે છે, જેનાથી હૃદયની બીમારીઓ, ડાયાબિટીસ અને હવે કેન્સરની સંભાવનાઓ વધી જાય છે.

‘મારા સ્વાસ્થ્યનો સવાલ છે ત્યાં સુધી,’ મોનિકાએ લખ્યું હતું, ‘હું બહુ ચીવટવાળી હતી. હું તંદુરસ્ત આહાર લેતી હતી અને ડાયટનું ધ્યાન રાખતી હતી. હું તળેલું કે તેલવાળું ખાતી નહોતી. મેં જ્યારે મારી વેબસાઈટ માટે કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે મને ખ્યાલ નહીં આવ્યો કે તેમાં કેટલી બધી બાબતોનો ભોગ લેવાશે. એમાં નસીબનો વાંક નહોતો. એ લાંબા સમય સુધીના સ્ટ્રેસ, બર્નઆઉટ અને શરીરની સંપૂર્ણ ઉપેક્ષાનું પરિણામ હતું.’

મોનિકાએ એક શબ્દ વાપર્યો હતો; બર્ન-આઉટ. ઓક્સફર્ડ શબ્દકોશ અનુસાર, બર્નઆઉટ એટલે કામ કરીને શારીરિક અને માનસિક રીતે થાકી જવું. આવું દરેક વ્યક્તિ સાથે કોઈને કોઈ તબક્કે થાય છે. અમુક લોકોને એક અથવા થોડા દિવસ માટે આવો અનુભવ થાય છે, બીજા લોકોને વર્ષો સુધી થાય છે. 

આપણે કામ કરવાની, લોકોને મદદ કરવાની, પરિવારની સંભાળ રાખવાની, સંબંધો ટકાવી રાખવાની, પોતાની અને બીજાઓની લાગણીઓનો સામનો કરવાની રોજિંદી જવાબદારીઓમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આરામ, રાહત કે જાતનું ધ્યાન રાખવાનું નકારતા જઈએ છીએ. ત્યારે જ “બર્નઆઉટ” થવાનું શરૂ થાય છે.

મોનિકાના કિસ્સામાં બન્યું હતું તેમ બર્નઆઉટની સ્થિતિ સ્ટ્રેસના કારણે આવી શકે, પરંતુ એ બંને એક નથી. સ્ટ્રેસ વધુ પડતા માનસિક અને શારીરિક દબાણ અને તમારા સમય અને શક્તિના વધુ પડતા વ્યયના પરિણામે થાય છે. બર્નઆઉટ વાસ્તવમાં અભાવનું પરિણામ છે; લાગણીનો અભાવ, મોટિવેશનનો અભાવ, દરકારનો અભાવ વગરે. સ્ટ્રેસ તમને વ્યાકુળ કરી નાખે, બર્નઆઉટ તમને ખાલી કરી નાખે.

બર્નઆઉટ મોટાભાગે ધંધા-રોજગાર-વ્યવસાય સંબંધી હોય છે, પરંતુ તેની અસર અંગત જીવન, જેમ કે પરિવાર સાથેના સંબંધો પર પણ પડે છે. ઘણીવાર અંગત જીવનની મુશ્કેલીઓ પણ કામમાં બર્નઆઉટની સ્થિતિને જન્મ આપે છે. આ બધું ભેગું થઈને વ્યક્તિની શારીરિક અને માનસિક તંદુરસ્તીને અસર કરે છે.

સામાન્ય રીતે, માણસ શારીરિક અને માનસિક રીતે ઘણો દૃઢ હોય છે. તે સંઘર્ષોથી પાછો નથી પડતો. ભારતમાં એવા લાખો લોકો છે જે બે ટંક ભેગી કરવા માટે રાતદિવસ કાળી મજદૂરી કરે છે. તેમને ન તો સ્ટ્રેસ નડે છે કે ન તો ડિપ્રેશન. તેનું કારણ એ છે કે તેમના સંઘર્ષમાં એક હેતુ છે, પ્રયોજન છે, અર્થ છે. તમારી મહેનતમાં તમને કોઈ અર્થ નજર આવે ત્યારે તે તમારા માટે ‘રમત’ બની જાય છે. 

જેમ કે બાળકને જન્મ આપવો અને તેને મોટું કરવું તે એક સ્ત્રી માટે શારીરિક અને માનસિક રીતે થકવી નાખે તેવી જવાબદારી છે, પરંતુ તેમાં તેને એક સાર્થકતાનો અહેસાસ થાય છે, અને એટલે જ તે સ્ટ્રેસ કે બર્નઆઉટ મહેસૂસ નથી કરતી.

કોઇપણ કામ અથવા જવાબદારીમાં બર્નઆઉટ ત્યારે શરૂ થાય જ્યારે તે નિરર્થક લાગવા માંડે. વર્ષોથી સરકારી નોકરી કરતા એક મિત્રએ એકવાર પૂછ્યું હતું, ‘કેરિયર, નોકરી, ધંધો એક તબક્કે આવીને નિરર્થક કેમ લાગે? સફળતા કે પ્રમોશન માટેનો સંઘર્ષ અર્થહીન કેમ લાગે? કશું મળી ગયા પછી કેમ એવું લાગે કે એ ખાસ અગત્યનું નહોતું?’

આ બર્નઆઉટનાં લક્ષણ છે. કામકાજમાં દીર્ઘકાલીન સ્ટ્રેસના પગલે ત્રણ ચીજો ઘટે છે : થકાવટ (કામ કરવાનો ઉત્સાહ ન હોય), ભાવશૂન્યતા (કામ સાથે લગાવ ન હોય) અને અક્ષમતા (વ્યવસાયિક ક્ષમતામાં ઘટાડાનો અહેસાસ). 

તેના માટે જોબ બર્નઆઉટ શબ્દ છે. 1974માં, હર્બટ ફ્રોડેનબર્ગર નામના જર્મન-અમેરિકન મનોવિજ્ઞાનીએ, Burnout: The High Cost of High Achievement નામના પુસ્તકમાં પહેલીવાર આ શબ્દ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કામ કર્યા પછી મળતા વળતર, સન્માન અને વિશ્રામની સરખામણીમાં કામનું ભારણ, ડેડલાઈન, કામના કલાકો અને સ્ટ્રેસ વધી જાય ત્યારે બર્નઆઉટ થવાય. 

તમને કોઈ વ્યક્તિને જાણતા હોવ પણ નામ યાદ આવતું ન હોય તેવું બન્યું છે? અથવા તમને કોઈ ફિલ્મના જાણીતા ગીતના શબ્દો સૂઝતા ન હોય? અથવા કોઈ જગ્યાએ તમે ગયેલા હોવ પણ એનું નામ જીભ પર આવતું ન હોય? તેને હૈયે છે પણ હોઠે ન આવવું કહે છે.

ફ્રોડેનબર્ગર તેમની પાસે આવતા લોકોની સમસ્યાને આ રીતે સમજતા હતા. એ લોકો તેમના જીવનમાં ‘કશું’ શોધી રહ્યા હતા. ‘શું’ તે ખબર નહોતી. તેમને લાગતું હતું કે તેઓ એક ઔર સિદ્ધિ કે સફળતા હાંસલ કરશે, તો તેઓ જે શોધી રહ્યા છે તે મળી જશે. પરંતુ સિદ્ધિનું દરેક પગથિયું સર કર્યા પછી પણ એ ‘કશાક’ની ખોટ સાલતી રહેતી હતી.

આધુનિક વર્ક કલ્ચરની સમસ્યા એ છે કે એ તમને કશું હાંસલ કર્યાંનો ક્ષણિક સંતોષ આપે છે, પરંતુ લાંબા ગાળે તમને થકવી નાખે છે. 1936માં, ચાર્લી ચેપ્લિનની એક ફિલ્મ, મોડર્ન ટાઈમ્સ, આવી હતી. ઔધોગિક ક્રાંતિએ પ્રોડકશનની એક એવી તોતિંગ ચક્કી ઊભી કરી હતી કે તેમાં કામ કરતા માણસો મશીનનો જ એક હિસ્સો બની ગયા હતા. ફિલ્મમાં ચેપ્લિને એક એવા કામદારનો કિરદાર કર્યો હતો, જે રાક્ષસી મશીનમાં કામ કરીને પાગલ થઈ જાય છે. મશીન યુગ પર આ ફિલ્મ એક સટિક વ્યંગ્યાત્મક કૉમેન્ટ હતી.

એ સાચું કે શોખ જ વ્યવસાય બની જાય તેનાથી ઉત્તમ જીવન બીજું ન હોય, પરંતુ મોટાભાગના લોકો બોરિંગ કામમાં વ્યસ્ત હોય છે, કારણ કે ભૌતિક સુખ-સુવિધા આપણો નંબર વન હેતુ છે. આપણે દેખાદેખીથી જીવીએ છીએ. આપણે સરખામણીમાં જીવીએ છીએ. ખૂબ બધા પૈસા કમાવાના પ્રેશરમાં આપણે, ચેપ્લિનની જેમ, રોજ એક મશીન જેવા રૂટિનમાં જીવીએ છે.

ભારતની ખબર નથી, પણ 43 ટકા અમેરિકનો અને 87 ટકા ઓસ્ટ્રેલિયન મેનેજરો ફરિયાદ કરે છે કે તેમના કર્મચારીઓ કામથી કંટાળેલા છે. 63 ટકા અમેરિકનો તેમના અંગત જીવનમાં બોરડમનો અનુભવ કરે છે. યુનિવર્સિટી ઓફ લેંકેશાયરનો સર્વે કહે છે કે ઇંગ્લેન્ડમાં વર્કપ્લેસ પર બોરડમ બીજા નંબરની સોથી વધુ વ્યક્ત થતી લાગણી છે. પહેલા નંબરે ગુસ્સો છે.

દરેક વ્યક્તિ સમય-સમય પર કંટાળી જતી હોય છે. એવું કેમ થાય છે તે સમજવા માટે વ્યક્તિએ ખુદની અંદર ઝાંખવું જોઈએ. અલગ-અલગ કારણોસર વ્યક્તિ ગમતા કામમાં મગ્ન ન થઈ શકે અથવા કામને ગમતું ન કરી શકે.

1. સ્ટ્રેસ અને એન્ગઝાઈટીને હેન્ડલ કરતાં ન આવડે તો કામ પર અસર પડે. વ્યક્તિની પારિવારિક, આર્થિક, ભાવનાત્મક પરિસ્થિતિ સ્ટ્રેસ અને એન્ગઝાઈટી માટે કારણભૂત હોય શકે. સ્ટ્રેસ-ફ્રી જીવન વધુ પ્રોડક્ટિવ અને ક્રિએટિવ હોય છે.

2. આત્મ-સન્માનની સમસ્યા હોય. ઘણીવાર વ્યક્તિ આજુબાજુના લોકોમાં ફિટ-ઇન ન થઈ શકતી હોય તો તેના આત્મવિશ્વાસ પર અસર પડે અને તે વળતામાં કામને અસર કરે. કામ આત્મસન્માનનો સોર્સ બનવું જોઈએ.

3. બોરિંગ રૂટિન હોય. માણસોને ઉત્તેજનાની બહુ જરૂર હોય છે. એનું જીવન જો ઘાંચીના બળદની જેમ એકધાર્યું થઈ ગયું હોય, નોવેલ્ટીનો અભાવ હોય, પડકારની ગેરહાજરી હોય તો પણ ઝડપથી કંટાળો આવે.

4. ઘણીવાર જે કામ કરતા હોઈએ તે ક્ષમતા, સ્કિલ અને ઇન્ટરેસ્ટ કરતાં ઉતરતું હોય. આપણું કામ અને આપણું લક્ષ્ય આપણા કરતાં મોટું હોવું જોઈએ.

5. વધારે પડતો ફ્રી ટાઈમ હોય. માણસે પ્રોડક્ટિવ રહેવા માટે વ્યસ્ત રહેવું પડે, ડેડલાઈનમાં કામ કરવું પડે, કામની ગુણવત્તાને લઈને અસલામતી અને ડર હોવો જોઈએ. બધું જ જો સરળતાથી મળતું હોય તો માણસ તેનું બેસ્ટ ન આપી શકે.

6. ફિઝિકલ ફિટનેસનો પ્રભાવ આપણા વિચારો, લાગણીઓ અને મનોભાવો પર પડે છે. ઘણા લોકોને ખબર નથી કે ફિઝિકલ ફિટનેસ અને મૂડસને ઘેરો સંબંધ છે. શરીરમાં સ્ફૂર્તિ ન હોય, શરીરમાં પરેશાનીઓઓ હોય તો મન પણ તેજ ન રહી શકે.

(પ્રગટ : ‘સુખોપનિષદ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ચિત્રલેખા”; 29 સપ્ટેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—307

દીપક મહેતા|Opinion - Opinion|21 September 2025

કમાન્ડર નાણાવટીનો ખટલો બોમ્બે હાઈ કોર્ટથી પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં      

સ્થળ : બોમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસનો કોર્ટ રૂમ

સમય : સવારના અગિયાર 

લાલ પોશાકવાળો ચોપદાર જમણા હાથમાં સોનેરી મૂઠવાળો ન્યાયદંડ લઈને દાખલ થાય છે અને એ સાથે જ કોર્ટ રૂમમાં હાજર રહેલા સૌ કોઈ ઊભા થાય છે. એ વખતનાં છાપાંનો પ્રિય શબ્દ વાપરીને કહીએ તો આજે આ કોર્ટ રૂમ’ હકડે ઠઠ’ ભરાઈ ગયો છે. બોમ્બે હાઈ કોર્ટની ફુલ બેન્ચના નામદાર ન્યાયાધીશો છેલ્લા કેટલાક દિવસથી જુદા જુદા પક્ષોની રજૂઆત સાંભળી રહ્યા હતા. સુનાવણી પૂરી થઈ ગઈ હતી અને આજે બોમ્બે હાઈ કોર્ટની ફુલ બેન્ચનો ચુકાદો જાહેર થવાનો હતો. કોર્ટ રૂમાં એક પછી એક દાખલ થયા મિસ્ટર જસ્ટિસ જે.આર. મુધોલકર, મિસ્ટર જસ્ટિસ એસ.ટી. દેસાઈ, મિસ્ટર જસ્ટિસ કે.ટી. દેસાઈ, અને મિસ્ટર જસ્ટિસ બી.એન. ગોખલે. સૌથી છેલ્લે દાખલ થયા બોમ્બે હાઈ કોર્ટના હોનરેબલ ચીફ જસ્ટિસ એચ.કે. ચૈનાની. 

૧૯૫૮માં નીમાનાર ઓનરેબલ મિસ્ટર હશમતરાય ખૂબચંદ ચૈનાની બોમ્બે હાઇ કોર્ટના ૧૪મા ચીફ જસ્ટિસ હતા. તેઓ ઓનરેબલ ચીફ જસ્ટિસ એમ.સી. ચાગલાના અનુગામી હતા. આઈ.સી.એસ. કેડરની વ્યક્તિની નિમણૂક બોમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે થઈ હોય તેવો આ પહેલો જ દાખલો હતો. જન્મ, ૧૯૦૪ના ફેબ્રુઆરીની ૨૯ તારીખે. ૧૯૨૫માં ગ્રેટ બ્રિટનથી બી.એ. ૧૯૨૬માં આઈ.સી.એસ.ની પરીક્ષામાં સફળતા. ૧૯૨૭માં સ્વદેશ પાછા ફર્યા પછી શોલાપુર, નાશિક, ખાનદેશ, પૂનાના અસિસ્ટંટ કલેકટર. પછી ૧૯૩૩માં તેમની બદલી જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટમાં થઈ અને પૂનાના અસિસ્ટન્ટ જજ નિમાયા. વચમાં બીજા કેટલાક સરકારી હોદ્દા પર કામ કર્યા પછી ૧૯૪૮ના ઓગસ્ટની ૨૮મી તારીખે તેમની નિમણૂક બોમ્બે હાઈ કોર્ટના એક જજ તરીકે થઈ. ૧૯૫૮માં તેઓ બોમ્બે હૈ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. ૧૯૬૫ના નવેમ્બરની ૨૮મી તારીખે તેમનું અવસાન થયું. 

જસ્ટીસ ચૈનાની

મુંબઈની એલ્ફિન્સ્ટન સ્કૂલ અને એલ્ફિન્સ્ટન કોલેજના વિદ્યાર્થી જનાર્દન રઘુનાથ મુધોલકર આગળ જતાં બાર-એટ-લો થયા હતા. ૧૯૫૬થી ૧૯૬૦ સુધી તેઓ બોમ્બે હાઈ કોર્ટના જજ હતા. ૧૯૬૦ના ઓક્ટોબરની ત્રીજીથી ૧૯૬૪ના ડિસેમ્બરની ૧૪મી સુધી તેઓ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જજ બન્યા હતા. ૧૯૮૩ના જુલાઈની ૨૭મી તારીખે તેમનું અવસાન થયું. તેમના પિતા રાવ બહાદુર રઘુનાથ નરસિંહ મુધોલકર ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસના ૧૯૧૨માં બાંકીપુર ખાતે ભરાયેલા અધિવેશનના પ્રમુખપદે બિરાજ્યા હતા. 

સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ ૧૯૫૨થી ૧૯૬૦ના એપ્રિલની ૩૦મી સુધી બોમ્બે હાઈ કોર્ટના જજ હતા. મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ રાજ્યોની સ્થાપના થતાં ૧૯૬૦ના મેની પહેલી તારીખથી તેમની નિમણૂક નવી સ્થપાયેલી ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે થઈ હતી. ૧૯૬૧ના જાન્યુઆરીની ૨૫મી સુધી તેઓ આ પદે રહ્યા. ૧૯૯૨ના એપ્રિલની ૧૨મી તારીખે તેમનું અવસાન થયું. જસ્ટિસ બી.એન. ગોખલે ૧૯૫૫થી ૧૯૬૧ સુધી બોમ્બે હાઈ કોર્ટના જજ હતા.   

ચીફ જસ્ટિસ ચૈનાની બોલવાનું શરૂ કરે તે પહેલાં કોર્ટ રૂમમાં હાજર રહેલા લોકોમાં ધક્કામુક્કી અને બોલચાલ થઈ હતી. પરિસ્થિતિને થાળે પાડતાં પાંચેક મિનિટ લાગી. કોર્ટના માર્શલ્સને બોલાવીને કોર્ટ રૂમની બહારની લોબીમાં તૈયાર રાખવામાં આવ્યા હતા. સલામતીની મુશ્કેલી ધ્યાનમાં રાખીને કમાન્ડર ને કોર્ટમાં હાજર રાખવામાં આવ્યા નહોતા. કોર્ટ રૂમમાં શાંતિ સ્થપાયા પછી ચીફ જસ્ટિસ ચૈનાનીએ બોમ્બે હાઈ કોર્ટની ફુલ બેંચનો ચુકાદો આપવાનું શરૂ કર્યું. તેમણે સૌથી પહેલાં કહ્યું કે આ કેસના ચુકાદાની બાબતમાં ફુલ બેંચના પાંચે જજ વચ્ચે સહમતી સાધી શકાઈ નથી. મારા વિદ્વાન સાથીઓ મિસ્ટર જસ્ટિસ મુધોલકર, મિસ્ટર જસ્ટિસ એસ.ટી. દેસાઈ, અને મિસ્ટર જસ્ટિસ બી.એન. ગોખલે એવા નિર્ણય પર આવ્યા છે કે કમાન્ડર નાણાવટીને આર્થર રોડ જેલને બદલે નેવલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપતો ગવર્નરનો વટ હુકમ ગેરકાયદે કે અવૈધ છે એમ કહી શકાય તેમ નથી. જ્યારે હું (એટલે કે ચીફ જસ્ટિસ ચૈનાની) અને જસ્ટિસ એસ.ટી. દેસાઈ એવા નિર્ણય પર આવ્યા છીએ કે ગવર્નરના વટ હુકમમાં જે શરત મૂકવામાં આવી છે તે તથા ખુદ વટ હુકમ પોતે પણ કાયદા દ્વારા ગવર્નરને અપાયેલી સત્તાની ઉપરવટ જાય છે અને તેથી તે બંને અવૈધ ઠરે છે અને તેથી રદબાતલ થવા લાયક છે. 

આટલું સાંભળતાં જ કોર્ટ રૂમમાં હાજર રહેલા કેટલાક લોકો અકળાઈને ઘોંઘાટ કરવા લાગ્યા. 

બહાર ઊભેલા માર્શલે કોર્ટ રૂમમાં દાખલ થઈને હાજર રહેલા લોકોને મૂંગા રહેવાની ફરજ પાડી. ચીફ જસ્ટીસે પોતાનું વક્તવ્ય આગળ ચલાવ્યું. મારા સાથી મિસ્ટર જસ્ટિસ એસ.ટી. દેસાઈને અને મને પોતાને અમારા ત્રણે સાથી જજની કાયદાની જાણકારી, અને તટસ્થ તથા નિષ્પક્ષપાત નિર્ણયશક્તિ માટે પૂરેપૂરું માન છે. વળી એવો સ્થાપિત નિયમ છે કે જ્યારે બે મત જુદા પડતા હોય ત્યારે સંબંધિત વ્યક્તિની તરફેણમાં હોય તે મત સ્વીકારવો જોઈએ. એટલે મારા સાથી જસ્ટિસ એસ.ટી. દેસાઈએ અને મેં પોતે નક્કી કર્યું છે કે આ કોર્ટના બહુમતી જજના ચુકાદાથી અમે બંને જુદા પડીને અમારો અલગ ચુકાદો નહિ આપીએ. એટલે બોમ્બે હાઈ કોર્ટની આ ફુલ બેંચ એવા નિર્ણય પર આવી છે કે મુંબઈના ગવર્નરનો વટહુકમ કે તેમાંની શરતો ગેરકાનૂની કે અવૈધ હોવાનું પુરવાર થતું નથી. અમારા પાંચ જજની બનેલી ફુલ બેન્ચનો આ સર્વાનુમતિ ચુકાદો છે. જો કે અમે સાથોસાથ એ પણ જણાવવા માગીએ છીએ કે બંધારણની કલમ ૧૬૧ દ્વારા રાજ્યના ગવર્નરને અપાયેલી સત્તા કે વિશેષાધિકાર કેવળ અસાધારણ સંજોગોમાં અને પૂરેપૂરી તટસ્થ અને ન્યાયબુદ્ધિ પૂર્વક જ વાપરવા જોઈએ. આ વિશેષાધિકાર આપવા પાછળનો હેતુ ન્યાયની પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવાનો છે અને તેનો ઉપયોગ ન્યાય અને અદાલતોની ઉપરવટ જઈને કરવો જોઈએ નહિ. અમે એમ પણ માનીએ છીએ કે કમાન્ડર નાણાવટીને રાહત આપવા માટે વટ હુકમ ઉપરાંત બીજા માર્ગો પણ હતા અને તેનો લાભ લેવાનું પણ વિચારી શકાયું હોત. અમે એમ પણ માનીએ છીએ કે આ કિસ્સામાં નામદાર ગવર્નરે જે રીતે તેમને બંધારણની કલમ ૧૬૧ નીચે મળેલી સત્તાનો ઉપયોગ કર્યો તે રીત અસાધારણ છે અને તેનો આ રીતે ઉપયોગ અગાઉ ક્યારે ય થયો હોવાનું જાણમાં નથી. છતાં અમે એવા નિર્ણય પર આવ્યા છીએ કે ગવર્નરનો વટહુકમ ગેરબંધારણીય કે દેશના કાયદાથી વિરુદ્ધનો હતો એવું સિદ્ધ થતું નથી. અને એટલે અમે તેમાં કોઈ રીતે દખલ કરવાનું જરૂરી કે યોગ્ય માનતા નથી.

*

પણ હવે થોડી વાર માટે જઈએ મુંબઈથી દિલ્હી.

સુપ્રીમ કોર્ટના ઉદ્ઘાટનનો અખબારી અહેવાલ

બોમ્બે હાઈ કોર્ટની સરખામણીમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ઉંમરમાં તો ઘણી નાની. પણ આખા દેશની એ સર્વોચ્ચ અદાલત. સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ આપણા દેશના બંધારણની ૧૨૪મી કલમ દ્વારા. અને એ બંધારણ અમલમાં આવ્યું ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે. એટલે પ્રજાસત્તાક ભારતનો જન્મ દિવસ તે જ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાનો પણ જન્મ દિવસ. જન્મ ૧૯૫૦માં થયો, પણ છેક ૧૯૫૮ સુધી સુપ્રીમ કોર્ટને પોતાનું મકાન નહોતું. એટલે તે એ વખતના પાર્લામેન્ટ હાઉસના મકાનમાં બેસતી. સુપ્રીમ કોર્ટની વિધિવત્ શરૂઆત ૧૯૫૦ના જાન્યુઆરીની ૨૮મી તારીખે સવારે પોણા દસ વાગે થઈ હતી. એ વખતે દેશના પહેલવહેલા ચીફ જસ્ટિસ હતા હરીલાલ જે. કણિયા. શરૂઆતનાં વરસોમાં સુપ્રીમ કોર્ટને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. બંધારણમાં માત્ર આઠ જજની નીમણૂકની જ જોગવાઈ હતી. આ આઠ જજ પણ કેસની સુનાવણી માટે વરસમાં માત્ર ૨૮ દિવસ જ બેસતા, અને એ પણ દિવસના ફક્ત ચાર કલાક! આજે સુપ્રીમ કોર્ટમાં ૩૪ જજ છે અને તેઓ વરસના ૧૯૦ દિવસ કામ કરે છે. અને છતાં ચુકાદાની રાહ જોતા સેંકડો કેસ વરસો સુધી પડ્યા રહે છે.  

ગવર્નરના વટ હુકમને પ્રતાપે કમાન્ડર નાણાવટી જેલમાં જવામાંથી તો બચ્યા, પણ હજી બોમ્બે હાઈ કોર્ટે કરેલ આજીવન કેદની સજાને કારણે આર્થર રોડ જેલ તો ગુનેગાર કેદીની રાહ જોતી જ હતી. એટલે કમાન્ડર નાણાવટીએ ધા નાખી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં. કાયદાની બારીકીઓ, આંટીઘૂંટી, નીચલી અદાલતોએ જે કર્યું કે ન કર્યું તેની કાનૂની યોગ્યાયોગ્યતા, વગેરે અંગે ત્યાં લાંબી ચર્ચાઓ ચાલી. ૧૯૫૯ના કેસ નંબર ૧૫૯ની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં શરૂ થઈ ત્યારે બંને પક્ષે અત્યંત નામાંકિત વકીલોની ફોજ ખડી થઈ ગઈ હતી. કમાન્ડર નાણાવટી તરફથી : જી.એસ. પાઠક, એસ.જી. પટવર્ધન, બેરિસ્ટર રજની પટેલ, પોરસ એ. મહેતા, જે.બી. દાદાચાનજી, રવીન્દ્ર નારાયણ, અને ઓ.સી. માથુર.

તો સામે પક્ષે ઊભા હતા : એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા એમ.સી. સેતલવડ, સી.એમ. ત્રિવેદી, વી.એચ. ગુમાસ્તે, બી.આર.જી.કે. આચર, અને આર.એચ. ઢેબર.

અને સુપ્રીમ કોર્ટના ન્યાયાસને બિરાજ્યા હતા ઓનરેબલ જસ્ટિસ કોકા સુબ્બા રાવ, ઓનરેબલ જસ્ટિસ એસ.કે. દાસ, અને ઓનરેબલ જસ્ટિસ રઘુવર દયાળ.  

જસ્ટીસ કોકા સુબ્બારાવ

જસ્ટીસ કોકા સુબ્બા રાવ (૧૯૦૨-૧૯૭૬) અગાઉ આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટના ચીફ જસ્ટીસ હતા. સસરા પી. વેંકટ રમણ રાવની ઓફિસથી તેમની કારકિર્દી શરૂ થઈ. આંધ્ર પ્રદેશનું અલગ રાજ્ય સ્થપાયું ત્યારે તેની હાઈ કોર્ટના પહેલા ચીફ જસ્ટિસ બન્યા સુબ્બા રાવ. ૧૯૫૮માં તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા. ૩૦ જૂન ૧૯૬૬ના દિવસે તેઓ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બન્યા. પણ ૧૯૬૭ના એપ્રિલની ૧૧મી તારીખે એ પદેથી રાજીનામું આપી ભારતના રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં વિરોધ પક્ષોના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું. પણ ડો. ઝાકિર હુસેન સામે તેઓ હારી ગયા. નાણાવટી કેસ ઉપરાંત તેમણે આપેલા મહત્ત્વના ચુકાદાઓમાં ગોલકનાથ કેસનો સમાવેશ થાય છે. 

સુપ્રીમ કોર્ટનું મકાન અને નવી મૂકાયેલી ન્યાયની દેવીની પ્રતિમા

પટના હાઈ કોર્ટના ચીફ જસ્ટીસ સુધાંશુ કુમાર દાસ(૧૮૯૮-)ની નિમણૂક સુપ્રીમ કોર્ટના જજ તરીકે ૩૦ એપ્રિલ ૧૯૫૬ના દિવસે થઈ. ૧૯૬૩ના ઓગસ્ટથી તેમણે સુપ્રીમ કોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કામ કર્યું. રઘુવર દયાળ ૧૯૬૦થી ૧૯૬૬ સુધી સુપ્રીમ કોર્ટના જજ હતા. 

બે ન્યાયાધીશોની બનેલી બોમ્બે હાઈ કોર્ટની બેન્ચે પ્રેમ આહુજાના ખૂન માટે કમાન્ડર નાણાવટીને આજીવન કેદની સજા કરેલી. ગવર્નરના વટહુકમને કારણે નાણાવટીને કામચલાઉ  રાહત મળેલી. પણ હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચે કરેલી સજાની તલવાર તો માથે લટકતી જ હતી. એટલે બોમ્બે હાઈ કોર્ટના ચુકાદા સામે નાણાવટીએ સુપ્રીમ કોર્ટને કરેલી આ અપીલની સુનાવણીમાં ફરી ઘણા બધા કાનૂની મુદ્દા અંગે ચર્ચા થઈ અને એ ચર્ચાને અંતે સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશોએ પોતાનો ચુકાદો જાહેર કર્યો.

એ ચુકાદાની વાત હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 20 સપ્ટેમ્બર 2025

Loading

દાદાનો ડંગોરો

બિપિન પટેલ|Opinion - Short Stories|20 September 2025

બિપિન પટેલ

“આ બાપુજી તો જુઓ ?” સ્મિતાએ ત્રીજીવાર કહ્યું ત્યારે છાપામાંથી મોં બહાર કાઢીને અનંગે સ્મિતા સામે જોતાં, “બાપુજીનું શું છે પાછું ?“ પૂછ્યું.

કંઈ નહિ, આ તો એમનું વર્તન બદલાતું જાય છે.

અનંગે બાપુજીના રૂમના બારણા તરફ જોતાં કહ્યું, “હવે તો એ બારણું બંધ રાખે છે, કાયમ. ઘરમાં દેખાતા જ નથી. એમના રૂમના પાછળના દરવાજેથી આવ જા કરે છે. બાના ગયા પછી એમનો સદાયનો એકમાત્ર સાથી ડંગોરો પાસે ને પાસે રાખે છે.”

આ બંગલામાં રહેવા આવ્યાં કે બાપુજીએ વિશાળ ડ્રોઈંગરૂમમાં, દીવાલ ભરી દેતા સોફાના ડાબા છેડે જમાવી દીધી. ત્યારના સવારે બરાબર છ વાગે સોફામાં બેઠાં બેઠાં ઘડિયાળમાં જોયા કરે. નિવૃત્તિ પછી એમને સમયની એવી તથા નહિ, પણ સ્મિતા ક્યારે જાગે, ને ફળફળતી ચા મળે એની રાહ જોતા. એમને ખબર હતી કે સ્મિતા સાડા છ વાગે જ જાગે છે, તો પણ એકીટશે ઘડિયાળવાળી દીવાલ પરથી નજર ન ખસેડે. ટ્રાન્ઝિસ્ટર બાજુમાં હોય, સવારનું શહનાઈવાદન, સમાચાર, સમાચારમાં એમને એવો રસ ન પડે, ચીડાય, કારણ પેલા માણસનાં ગાણાં ગવાતાં હોય, પણ એમને ઓસ્ટ્રેલiયામાં ભારત સાથે રમાતી મેચની તાજાખબર જાણવી હોય. એ રેડિયો ન ચાલુ કરે, વખત છે ને સ્મિતા જાગી જાય ને આંખો ચોળતી ચોળતી ધબ ધબ નીચે આવે, ને અનંગ પણ એની પાછળ પાછળ આવી નાનકડું ભાષણ ફટકારે, “બાપુજી, જલસાથી સૂઈ રહેતા હો તો, હવે ક્યાં બસ પકડવાની છે; બાપુજી ?

બાપુજી, ત્રિકમલાલ વળતો જવાબ ન વાળતા, કારણ રહેતાં રહેતાં ટેવાઈ ગયા હતા. 

એમનો અલાયદો રૂમ હતો, પણ આખો દિવસ સોફામાં એમના સ્થાને ઠબાવે. બપોરના વામકુક્ષી માટે અર્ધો કલાક એમના રૂમમાં જાય એ માપ.

ડ્રોઈંગરૂમમાં સ્મિતા અને બાળકોને ટી.વી. જોવું હોય તો ધીમેથી ત્રિકમભાઈને સૂચવે કે, એમને  રસ નહિ પડે, એમના રૂમમાં જવા કહે.

ત્રિકમભાઈ બેઠાં બેઠાં જ કહે, “નહિ ગમે તો આંખો મીંચી દઈશ.” અનંગના મહેમાન આવે, સ્મિતાની બહેનપણીઓ આવે, પણ ત્રિકમભાઈ બુદ્ધની જેમ આંખો મીંચીને બેસી રહે.

પછી તો બાપુજી અને સોફાને ફાવી ગયું. ઘરનાં સહુ ટેવાતાં જતાં હતાં. અનંગ – સ્મિતાનાં મિત્રોની પાર્ટી હોય ત્યારે, “બધાંને મળીને મારા રૂમમાં જઉં” એમ કહી બેઠા રહે. જ્યારે એમનાં નસકોરાં બોલે ત્યારે સ્મિતા એમનો હાથ પકડી, “ચાલો, બાપુજી, મૂકી જાઉં, ત્યારે રોકડો જવાબ, “હું તો ઊંઘ્યો છું જ નહિ, મનન કરું છું. બધા પ્રહર જાગતો રહું છું. દેશની પરિસ્થિતિ જ એવી છે.” 

બધાં આવી જાય, અને જગ્યા ખૂટે ત્યારે અનંગ અને એના મિત્રો ખભેથી પકડે કે તરત ડંગોરો લઇ ને બોલે, “આઈ કેન વોક એલોન,” પછી અસ્પષ્ટ બબડતા, 

“સત્યાનાશ .. દેશનો દાટ … એના કરતાં જીવન” … એમ એમના રૂમમાં ગયા ને ધડામ દેતું એમનું બારણું બંધ થતાં, આ વિશ્વ સાથે એમનો સંવાદ તૂટી જાય.

 લેન્ડલાઈન ફોન ડ્રોઈંગરૂમમાં હતો, ત્યારે એમના મિત્રો સાથે ઘાંટા પાડી પાડીને વાતો કરે. એ સતત પેલા માણસની વાતો કર્યા કરતા. એમના રૂમ બહારની દુનિયામાં, “ગાણું અધૂરું મેલ્ય મા”ની જેમ પેલો માણસ બધે જામતો જતો હતો.

એક દિવસ સવારે સ્મિતાએ અનંગના કાનમાં કંઇક કહ્યું, ને અનંગે બાપુજી પાસે જઈ બે હાથ જોડીને વિનંતી કરી, “આજે નગરપાલિકાના પ્રમુખ, આપણી પાર્ટીવાળા આવવાના છે.

–     તારી પાર્ટી હોઈ શકે, મને એમાં ના ભેળવીશ.

–     હા બાપુજી, એ આવે ને તમે કંઇક બોલી બેસો તો અમારા સંબંધોની પત્તર ઠોકાઈ જાય.

–     તારી ભાષામાં પણ પાછલે બારણેથી હિંસા પ્રવેશી ગઈ છે.

–     તમને મહેશભાઈના વગ – વસીલાની ખબર ન હોય એ સ્વાભાવિક છે. એ કામનો માણસ છે.

અનંગને સાંભળ્યા પછી પણ બાપુજી બેઠા રહ્યા. પાછા બોલ્યા, “મહેશ વળી ક્યારનો મોટો થઇ ગયો ? એ પણ પેલા માણસનું કતીલું જ છે. દેશ આખો આવાં કતીલાંથી ઉભરાઈ ગયો છે. 

આન્યા અને રુચિર ‘કતીલું’ શબ્દ સાંભળી ખડખડાટ હસી પડ્યાં, ને પૂછયું, “એટલે શું દાદાજી ?”

–     તમે રમાડતાં નથી, એ ગલુડિયું ? એ મોટાં થઈને ઘણે ભાગે ડાઘિયો થઈને રહે. પણ અત્યારનો વાસ્તો જુદો છે. પશુ, પંખી એમ સહુની પ્રકૃતિ બદલાઈ છે. હવે કતીલાં, કતીલાં જ રહે છે. હા, થોડા ડાઘિયા ફરે છે, આસપાસ ચોપાસ.  

બંને બાળકો એકસાથે મોટેથી બોલી ઉઠ્યાં, “તો તો દાદાજી મજા પડી જાય. આખો દિવસ રમાડ્યા જ કરીએ !”

એટલામાં મહેશભાઈ આવી ગયા. દાદાને વંદન કરી એમની પાસે જ બેઠા. દાદાના હાથ વ્હાલથી પકડીને નગરપાલિકાએ કરેલાં અને હવે કરવાનાં કામોની યાદી આપી. એમની વાતોમાં ‘વિકાસ’ શબ્દ રણક્યા કર્યો. દાદાએ સહન થાય ત્યાં સુધી કર્યું. પછી આંચકા સાથે ઊભા થઇ ગયા, પગ આમતેમ થયા, ડંગોરો શોધવા ફાંફાં માર્યાં, આન્યાએ દોડીને, “Here is your walking stick” કહી એમના હાથમાં ડંગોરો પકડાવી દીધો. દાદાજી અર્ધા ધ્રુજતાં બોલ્યા, “I can stand straight…, શેનો વિકાસ, કોનો વિકાસ ?” મનમાં એક સાથે વંતાક, રીંગણાં શબ્દો ફૂટી નીકળ્યા, પણ હિંસક ન ગણાઈ જવાય તેથી આટલું બોલીને ચૂપ રહ્યા. મહેશભાઈ ભોંઠા પડી ગયા, અનંગ, સ્મિતા એમની પાસે દોડી ગયાં, “ચલો બાપુજી તમને લઇ જઈએ …”

–     સહેજે ય નહિ, જુઓ હું ચાલ્યો, મારા રૂમમાં ચાલી જઈશ, તદ્દ દૂરે, તદ્દ દૂરે …

મહેશભાઈ, “બાકીની વાતો કરવા વળી પાછો આવીશ” કહી ગયા પછી અનંગ – સ્મિતા એકબીજાં સામે જોતાં બેઠાં ને અનંગે પૂછ્યું, “શું કહેતી હતી ?”

– તમે જૂની વાતો કાઢી મૂળ વાત ભૂલવાડી દીધી. થોડીવાર મૌન રહી, એ સફાળી જાગી હોય એમ સોફામાં ટટ્ટાર થઈને બોલી, “આજે સવારે ચા લઈને એમના રૂમમાં ગઈ ત્યારે બધી બારીઓના પર્દા પાડી દીધેલા. બારણાની ધારે ધારે કપડું ખોસી દીધેલું, બારીઓની ધારમાં પણ છાપાંની પાતળી સફાઈદાર પટ્ટીઓ ખોસેલી. પંખો એકની સ્પિડે ફરતો હતો, માત્ર ડિમલાઈટ હતી, મારા હાથમાં ટ્રે અને ચારેબાજુ અંધારું ઘોર. મારો પગ સહેજ લથડ્યો, દાદા વીડિયો પર ડિબેટ સાંભળતા હતા. મેં ગભરાઈને પૂછ્યું, “બાપુજી આમ કેમ અંધારે બેઠા છો ?”

– બહારે ય અંધારું જ છે ને ?

– બહાર તો બધે ઝગમગાટ છે !

-એમ ? મને તો ભળાતો નથી.

– બાપુજી, ઘડપણમાં કશું બરાબર ન દેખાય, બહાર અને અંદર.

– ‘તારું કામ પતી ગયું હોય તો જા,’ એમ કહી રીતસર કાઢી મૂકી. સાવ લાગણી વગરના થઇ ગયા છે. બહાર જતી મને પાછા કહે, ‘આજથી સાંજનું જમવાનું બંધ.’

– કેમ ? 

– મન નથી થતું, પચતું પણ નથી.

– તે ઉકળાટ ઓછો કરો ને ? આપણા કહ્યે દુનિયા થોડી સુધરી જવાની ?

– તારી વાત સાચી છે. એક પા વહેતા વાવડાને રોકી શકે તો એક હિમાલય રોકી શકે. સામાન્ય માણસનું શું ગજું ?

  અનંગની આંખો મીંચાઈ ગઈ હતી. સ્મિતાએ મોટા સાદે પૂછ્યું, “સાંભળો તો છો ને ?”

–     હા, એકે એક શબ્દ. મને લાગે છે કે બાપુજીને એમના હાલ પર છોડી દેવા જોઈએ.

–     એમ છોડી કેમ દેવાય ? લોકો મને સંભળાવે છે, ‘દાદાને ખરા તડકામાં, મધરાતે ચાંદનીમાં ચાલતા જોયા હતા.’ મારે કેટલાનું સાંભળવું ? ‘

–     એમને સમજાવીને એમના રૂમના પાછળના દરવાજે તાળું મારી દે. બપોરે પણ મુખ્ય દરવાજો લોક રાખતી જા. ઘરમાં ભલે નાટક કર્યા કરે.

અનંગ અને સ્મિતાના ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ, સવારના સાડા આઠે આવી ગયા. એમણે ડો. પ્રતાપ મહેતાને સવારે નવ વાગે આવવાનું કહેલું. દાદાના અંધારા ઓરડામાં સ્મિતા એક બે વાર જઈ આવી. દાદા વીડિયો સાંભળતા રહ્યા. ત્રીજીવાર સ્મિતાએ એમને કહ્યું કે, “બાપુજી ડોક્ટર નવ વાગે આવવાના છે.:

–     કેમ ?

–     કંઈ તકલીફ હોય તો ડોક્ટર વાતચીત કરી સાજા કરી દે.

–     પણ હું માંદો છું જ નહીં. નખમાં ય રોગ નથી. તમે બધાંએ પૂરી રાખ્યો છે, બાકી ઘોડા જેવો છું.

–     તમે સાજા જ છો. ડોક્ટર સાથે વાત કરવામાં શું વાંધો ? મહેશભાઈના મિત્ર છે.

–     આ મહેશ તમારો તારણહાર હશે, મારો નહીં. વીડિયો સાડા દસે પૂરો થાય પછી વાત.

–     ત્યાં સુધી ડોક્ટરને બેસાડી રખાતા હશે ?

–     ‘ઈટ ઈઝ યોર પ્રોબ્લેમ’ કહી મોબાઈલનું વોલ્યુમ વધાર્યું.

ડોક્ટર બરાબર નવ વાગે આવી ગયા. સ્મિતાએ અનંગને કહેલું, તેથી દાદાને બોલાવવા જવાની હિંમત ન કરી. મહેશભાઈએ ડોક્ટરને આજીજી કરી, “દાદાજી જિદ્દી છે.” “હાર્ડ નટ ટુ ક્રેક”, બોલી હસતાં હસતાં ડોકટરે ઊભા થઇ કહ્યું, “એમાં શું આપણે એમના રૂમમાં જઈએ.”

સંઘ દાદાના રૂમમાં પહોંચ્યો. દરવાજો ખોલતાં જ દાદાની આંખ મીંચાઈ ગઈ. ખુલ્લા બારણાના અજવાળામાં દેખાયેલા સ્વીચબોર્ડ પર જેવા ડોક્ટર સ્વીચ ઓન કરવા ગયા કે, દાદાએ ગર્જના કરી, “યુ કેન નોટ ટચ એની ઓબ્જેકટ ઓફ માય રૂમ, જેન્ટલમૅન.”

–     પણ દાદા તમારી સાથે મૈત્રી કરતાં પહેલાં તમને ઓળખવા તો જોઈએ ને ?

–     નોટ નેસેસરી.

–     સારું, કહી ડોકટરે પહેલો પ્રશ્ન પૂછ્યો, “હાઉ આર યુ ?”

–     બેટર ધેન યુ.

–     તો પછી મને કેમ બોલાવ્યો ?

–     મેં ક્યાં બોલાવ્યા છે ? કોણે બોલાવ્યા ? એમને પૂછો, કોની તપાસ કરવાની છે ?

–     સારું દાદા, આપણે વાતો કરીએ.

–     તમે જ દાદા લાગો છો ને મને દાદા કેમ કહો છો ?

–     કેમ એમાં શું ખોટું છે ?

–     એવરીથિંગ, એવરિવ્હેર ઈઝ રોંગ. સમથીંગ ઈઝ રોટન ઇન ધ સ્ટેટ ઓફ ડેન્માર્ક.

ડોકટરે અનંગને પૂછ્યું, “ દાદાનું અંગ્રેજી સારું છે. શું ભણ્યા છે ?

અનંગ જવાબ આપે તે પહેલાં દાદાએ જવાબ આપ્યો, “ બી. એ. ઇન ઇંગ્લિશ. “

–     દાદા આટલી બધી નેગેટીવિટી સારી નહિ.

–     યુ આર ટુ યંગ ટુ એડવાઈઝ મી. એની વે, માયસેલ્ફ ઈઝ ત્રિકમ કાનજીભાઈ જાકાસણિયા.

–     હા, ત્રિકમભાઈ, એની પ્રોબ્લેમ ? આપણે સોલ કરી દઈએ.

તમે શું સોલ કરશો ? ચોમેર ગરીબી, ભૂખમરો, ધર્માંધતા, નફરત …. દાદાની છાતી દોડવીરની જેમ ધબકતી હતી, હોઠ શબ્દ વગર ફફડવા લાગ્યા. ડોળા ઉપર ચડી ગયા. ડોક્ટર સાથે સહુ ઊભાં થઇ ગયાં. સ્મિતા એમના બરડે હાથ હાથ ફેરવવા લાગી. બહાર જઈને ડોકટરે ધીમા અવાજે અનંગ સામે જોઈ કહ્યું, “એકાદ બે સીટીંગ કરી જોઈએ. ફરક નહિ પડે તો એડમિટ કરી દઈશું.”

ડોક્ટર ગયા પછી બધાં માથે મણનો ભાર હોય તેમ ક્યાં ય સુધી મૂંગાં બેસી રહ્યાં.

ડોકટરે સૂચના આપી હતી કે, આપમેળે, સ્મિતાએ ગુપ્તરીતે દાદા જે કંઈ બોલે એનું રેકોર્ડિંગ કરવા એક ડિવાઈસ લગાડી દીધી. એમના મિત્રો સાથેની વાતોમાંથી કંઇક મળી આવે તો ડોક્ટરને સારવારની દિશા સૂઝે.

ડોક્ટરની વિઝીટ પછી એમનો દરવાજો ખખડે તો કિ હોલમાંથી જોઈ, એમના માટે જમવાનું લઈને આવેલી સ્મિતા દેખાય તો બારણું ખોલે, એ થાળી મૂકે ન મૂકે ને બોલે, “તારું કામ પતી ગયું તો જા.” કોઈકવાર ખરાબ મૂડ હોય તો ફૂટાસ કહેતા ત્યારે સ્મિતાને બહુ ખરાબ લાગતું. એ અનંગ પાસે રડતી ત્યારે અનંગ સધિયારો આપતો, “એડમિટ કરીએ ત્યાં સુધી સહન કરી લે. એકવાર ડોક્ટરની દવા શરૂ થશે પછી બોલવા, હાલવા, ચાલવાના હોશ નહિ રહે.” સ્મિતાએ હતાશામાં ઉમેર્યું, “છોકરાંઓને પણ બારણું સહેજ ખોલીને કહી દે, “યોર ગ્રાન્ડપા ઈઝ યુઝલેસ, હેલ્પલેસ, હોપલેસ; જાઓ રમો, મજા કરો.” અનંગે એને સાંત્વન આપ્યું, “મને પણ ક્યાં પેસવા દે છે ? લટકામાં ઉમેરે, “ભળી જાઓ સમૂહમાં. વહેતા પ્રવાહમાં વહેવાની મજા જ કંઈ ઓર હોય છે. જાઓ, વત્સ જાઓ, શિવાસ્તે પન્થાઃ”

ડોકટરની પહેલી વિઝીટ પછી પંદર દિવસે અનંગ અને સ્મિતા રેકોર્ડેડ સી.ડી. લઈને ગયાં. આખા દિવસની વાતો નહિ, પણ એમણે સાંભળી સાંભળીને મહત્ત્વની વાતોનું અલગ ફોલ્ડર બનાવીને ડોક્ટરને સંભળાવ્યું: “આપણા રાષ્ટ્રના ઇતિહાસમાં એવાં કલંકિત પ્રકરણો ઉમેરાઈ રહ્યાં છે, જે આવનારી પેઢીઓ માટે ક્ષોભ અને ગહન ચિંતનનો વિષય બની રહેશે ….”

ડોકટર પ્રતિભાવ આપે તે પહેલાં સ્મિતા ખુરશીમાં આઘીપાછી થતાં બોલી, “મારી જ સર્કિટો બળી ગઈ, તો સામેવાળાનું શું થયું હશે ?”

અનંગે ડોક્ટર સામે જોઈ, “સામે બાપુજી જેવી જ ખોપડી હશે, કેમ ડોક્ટર સાહેબ ?”

ડોકટરે એમનું ‘મહાભારત’નું જ્ઞાન તાજું કર્યું, “આવા લોકો સહદેવની જેમ અતિજ્ઞાનથી પીડાતા હોય છે. જ્ઞાનનો ભાર વધે એટલે ડિપ્રેશન આવે, ક્યારેક કેમિકલ લોચા પણ થાય. દાદાજી આ બંને સ્થિતિની વચ્ચે ક્યાંક ઊભા છે. તમે સમયસર ચેતી ગયાં તેથી દાદા બચી જશે.”

અનંગે એકાદ સ્પીચ સંભળાવવા પૂછ્યું ત્યારે ડોકટરે ‘હવે છેલ્લી’ કહ્યું ને અવાજ શરૂ થયો, “આ ઉન્માદને શું કહીશું ? આખા વિશ્વને એક ઉન્માદગ્રસ્ત, ક્રૂર સંહાર અને વેરની આગમાં ધકેલી સત્તાધારીઓ ટૂંકી દૃષ્ટિએ તાત્કાલિક નફા નુકસાનને ‘સ્ટ્રેટેજીક ગેઈન’ બતાવી, અમાનવીય વર્તનને આકાર આપી રહ્યા છે.”

ડોકટરે દાદાની ફાઈલ બંધ કરી, અનંગને આપતાં કહ્યું, “ધીસ ઈઝ ઈનફ ટુ ડિસાઈડ હિઝ કેસ.” સ્મિતાએ વચ્ચે ભજિયું તળ્યું, “બાપુજી સાથે વાતો કરતા એમના વહાલેશ્રીઓના જવાબોનું અલગ ફોલ્ડર બનાવ્યું છે, તે સાહેબને સંભળાવોને ?”

અનંગ અને ડોક્ટર એકસાથે બોલ્યા, “એની જરૂર નથી.”

સ્મિતા વહેલી હતી તેથી બાપુજીના રૂમનું બારણું ધીમેથી ખખડાવ્યું. થોડીવાર રહીને બારણું ખૂલ્યું. હવે સ્મિતા ટેવાઈ ગઈ હતી તેથી ચાની ટ્રે લઈને ટિપોય પાસે પહોંચી ગઈ. બાપુજીએ મોબાઇલમાં ચાલતા વીડિયોને અટકાવી આશ્ચર્ય વ્યક્ત કરતાં પ્રશ્ન કર્યો, “શું જગત વહેલું જાગી ગયું ? ના, ના હું ખોટો છું. જગત તો જાગેલું જ છે.”

–     હા આજે અમે બંને વહેલાં જાગી ગયાં, તે થયું, તમને પણ વહેલી ચા આપી દઈએ. તમે તો વહેલાં જાગી જાઓ છો ને, બાપુજી ?

–     અહીં ઊંઘે છે જ કોણ ?

–     તો બાપુજી સાડા આઠે તૈયાર રહેજો.

–     હું તો તૈયાર જ હોઉં છું. તમે બધાં ઉતાવળ કરજો.

–     આઠ વાગે એમના રૂમનો દરવાજો ખખડ્યો. બારણું ખૂલતાં જ અજવાળાનો ધોધ  ધસી આવ્યો. સ્મિતાની આંખો અંજાઈ ગઈ. અનંગે બાપુજીને મદદ કરવા હાથ લંબાવ્યો. એમણે ડંગોરો ઉઠાવીને બંનેને આગળ જવા, ડંગોરાથી જ ઈશારો કર્યો. બંને ચુપચાપ આગળ ચાલ્યાં. બાપુજી રાજાની જેમ ડંગોરો ઠપકારતા છટાથી આગળ વધ્યા. સોફામાં એમના નિશ્ચિત સ્થાને, રાજદંડ પકડ્યો હોય એમ ટટ્ટાર બેઠા. ચહેરો કડક પણ આંખોમાં મશ્કરી.  સ્મિતા અને અનંગ બંને આડું જોઇને મંદ મંદ સ્મિત ફરકાવતાં હતાં, તે બાપુજીએ ત્રાંસી નજરે જોઈ લીધું હતું.

ત્યાં જ ‘લાઈફલાઈન’ હોસ્પિટલની એમ્બ્યુલન્સ સાયરન વગાડતી એમના બંગલાના દરવાજે આવીને ઊભી રહી. ડ્રાઈવર નીચે ઉતરી મોટેથી બોલ્યો, “ત્રિકમભાઈ કાનજીદાસ જાકાસણિયા ?” સ્મિતા – અનંગ હરખમાં બાપુજી પાસે દોડી ગયાં. સ્મિતાએ કહ્યું, “બાપુજી ચિંતા ન કરતા. થોડા દિવસમાં સારું થઇ જશે. “પણ બાપુજી ઊભા ન થયા.

અનંગે કહ્યું, “આ ભાઈ તમારી રાહ જોતો ઊભો છે.”

–     કોની ?

–     તમારી.

–     થોડી વધારે રાહ જુઓ.

એટલામાં ‘સંજીવની’ હોસ્પિટલની એમ્બ્યુલન્સ સાયરન વગાડતાં, અગાઉ આવેલી એમ્બ્યુલન્સની પાછળ ઊભી રહી. એનો ડ્રાઈવર ગેઇટ પાસે ઊભા રહી બોલ્યો, “અનંગભાઈ ત્રિકમભાઈ જાકાસણિયા અને સ્મિતાબહેન અનંગભાઈ જાકાસણિયા, તમારે દાખલ થવાનું છે.”  સ્મિતા અને અનંગ પહેલાં એકબીજા સામે અને પછી બાપુજી સામે જોઈ રહ્યાં હતાં. બાપુજીએ એમનો ડંગોરો મજબૂતાઈથી પકડી રાખ્યો. આ વખતે બાપુજી  મૂછમાં હસતા હતા. બંને ડ્રાઈવરો પહેલાં એકબીજા સામે, પછી એ ત્રણેય સામે અને અંતે ગેઇટ તરફ જોતાં વિમાસણમાં ઊભા રહ્યા.

સમાપ્ત
e.mail : bipinthereader@gmail.com

Loading

...102030...188189190191...200210220...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved