Opinion Magazine
Number of visits: 10080937
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કામના કલાકો વધે, ઉત્પાદન વધે, કામદારો ઘટે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 November 2025

ચંદુ મહેરિયા

સિનેતારિકા દીપિકા પદુકોણે દીકરીના જન્મ પછી, તેની દેખભાળમાં વધુ સમય આપી શકાય એટલે ફિલ્મોના શુટિંગ માટે આઠ કલાકની વર્કશિફટની માંગણી કરી હતી. પરંતુ  જે નિર્માતાઓને તે મંજૂર નહોતું, તેમની ફિલ્મો દીપિકાએ છોડવી પડી છે. ફિલ્મ ઉદ્યોગમાં આઠ કલાકની પાળી માંગનાર દીપિકાને અનપ્રોફેશનલ ગણવાયાં હતાં. જ્યાં આઠ કલાકની પાળી પ્રથા અસ્તિત્વમાં છે, તેવા સતત પ્રક્રિયા ધરાવતા ઉધોગો અને અન્ય વ્યવસાયોમાં અનેક રાજ્યોએ તાજેતરમાં બાકાયદા કામના કલાકો વધારી દીધા છે. ગુજરાતમાં તો કામના કલાકો હવે એક પાળીમાં બાર કરવામાં આવ્યા છે. પહેલા વટહુકમ અને પછી અતિ ટૂંકા વર્ષા સત્રના છેલ્લા દિવસે ગુજરાત વિધાનસભાએ ફેકટરી અધિનિયમ ૧૯૪૮માં સુધારા કર્યા છે. જે રાજ્યના શ્રમ કાયદા અને નીતિમાં નોંધપાત્ર પરિવર્તન આણનારા છે. 

સતત પ્રક્રિયા ધરાવતા ઉદ્યોગો, કારખાનાં, ખાનગી કંપનીઓ, મનોરંજનનાં સ્થળો, દુકાનો, હોટલો અને બીજા વ્યવસાયોમાં દૈનિક કામના કલાકોમાં મોટો વધારો કરનારું ગુજરાત એકમાત્ર રાજ્ય નથી. મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ગોવા, તેલંગાણા અને ઓડિશા સરકારોએ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તથા ફેકટરી વર્કર્સના કામના કલાકો જે વરસોની શ્રમિક લડતો પછી આઠ મેળવ્યા હતા, તેને વધારીને દોઢા કરી દીધા છે. કામના કલાકોમાં વૃદ્ધિ કરનારમાં ભા.જ.પ., કાઁગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષોની રાજ્ય સરકારો પણ છે અને નાના-મોટા પ્રાદેશિક પક્ષોની સરકારો પણ છે. 

ગુજરાત અને બીજા રાજ્યોના શ્રમ કાયદાના વર્તમાન સુધારામાં બાર કલાકની પાળીની સતત  પ્રક્રિયા ધરાવતા ઉદ્યોગો અને બીજા વ્યવસાયોને પરવાનગી આપતી જોગવાઈ છે. ત્રણ મહિને ૧૨૫ કલાકના હાલના ઓવરટાઈમને વધારીને ૧૪૪ કલાક કરવામાં આવ્યા છે. બાર કલાકની શિફટ હોય તો પાંચ ને બદલે છ કલાકે કામદારોને રિસેસ મળશે તેવી જોગવાઈ છે. મહિલાઓને રાત પાળીમાં કામ કરવાની પણ જોગવાઈ કાયદો કરે છે. 

શ્રમ સુધારામાં કેટલીક મહત્ત્વની શરતો છે. જેમ કે બાર કલાક કામ માટે કામદારની સંમતિ લેવી આવશ્યક છે. મહિલાઓને રાતપાળીમાં કામ કરાવવા માટે વર્કપ્લેસને સુરક્ષિત અને સી.સી.ટી.વી.થી સજ્જ રાખવા, સલામત પરિવહનની વ્યવસ્થા કરવા તથા સતત ચાર દિવસ ૧૨ કલાક કામ કરનારને બે દિવસની રજા આપવાની પણ શરત છે. જો કે આ તમામ બાબતો તેના અમલીકરણના તબક્કે પોકળ સાબિત થતી હોય છે. કામદારોને નોકરી છૂટી જવાનો ડર એટલો બધો હોય છે કે તેઓ માલિકો ઇચ્છે તેવી સંમતિ આપતા હોય છે. 

કામના કલાકો અને ઓવરટાઈમમાં વૃદ્ધિ સાથે મહિલાઓને રાતપાળીમાં કામ કરવાની છૂટ આપતા હાલના કાયદા કે કાયદામાં સુધારાના ઉમદા ઉદ્દેશો વર્ણવવામાં આવી રહ્યા છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની નીતિને પ્રોત્સાહન, ઉદ્યોગો માટે રોકાણ આકર્ષવું, કામદારોની અછતનું નિવારણ, ઉદ્યોગોના સંચાલનમાં લવચીકપણું આણવું, ઉત્પાદનમાં વધારો કરવો, નવા રોજગારનું સર્જન અને આર્થિક વિકાસને વેગના હેતુથી આ કાયદા, નીતિ કે સુધારા થયા હોવાનો સરકાર પક્ષનો દાવો છે. 

કામદાર-કર્મચારી મંડળો ભલે આ સુધારાઓને તેમના હિત વિરોધી અને મૂડીપતિઓના લાભાર્થે થયેલા ગણાવે સરકારો તો તેને શ્રમિકોના અધિકારોનું રક્ષણ, ઓદ્યોગિક નિયમોને વધુ સરળ અને કામદારોને અનુકૂળ બનાવવા, ઘણા ઉદ્યોગો અને ધંધાઓમાં આમે ય કામદારો પાસે બારબાર કલાકનું વૈતરું ઓછા પગારમાં કરાવાય છે, ત્યારે આ સુધારો તેમના વેતનમાં વધારા માટે અને સરવાળે તેમના લાભમાં ઘડાયાનું ગાણું ગાવા સાથે તે આંતરરાષ્ટ્રીય માપદંડો સાથેના જોડાણનો હેતુ ધરાવતા હોવાનું કહેવાનું પણ ચૂકતા નથી.

મહિલાઓને રાત્રે કામ કરવાની મંજૂરી મળે તે પહેલી નજરે મહિલા સમાનતાની દૃષ્ટિએ પ્રગતિશીલ પગલું લાગી શકે છે. પરંતુ તે વાસ્તવિક કેટલું છે તેવો સવાલ પણ થાય છે. ફેકટરી એક્ટ ૧૯૪૮માં જેમ મહિલાઓ માટે રાતપાળીમાં કામ કરવું પ્રતિબંધિત છે તેમ જોખમી અને ભારે શ્રમનાં કામો પણ પ્રતિબંધિત છે. એટલે જ્યારે મહિલાઓ માટે રાતપાળીમાં કામ કરવાની મંજૂરી મળે છે, ત્યારે બાકીના પ્રતિબંધો પણ રહેતા ન હોય તેમ બનશે. પુરુષોની તુલનામાં મહિલાઓને ઘરનાં કામનો અનેક ગણો બોજો ઉઠાવવાનો હોય છે એટલે તે દિવસે ઘરના, ખેતરના, પતિ, બાળકો, વડીલોની સંભાળના કામો કરે અને રાત્રે કારખાનામાં કામ કરે તો તેના માથે બેવડો બોજો આવશે. 

આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાન (આઈ.એલ.ઓ.) આઠ કલાક કામ, આઠ કલાક આરામ અને આઠ કલાક કુટુંબ-સમાજ માટે તેમ ગણીને રોજના આઠ જ કલાકના કામને માન્ય ગણે છે. હાલ જે બાર કલાકની કામની પાળી નિર્ધારિત કરી છે તે કામદારો-કર્મચારીઓના શારીરિક, માનસિક અને કૌટુંબિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ગરીબ શ્રમિકો બે છેડા ભેગા કરવા વધુ કલાકો કામ કરશે તો ખરા પણ તે તેના આરોગ્યના ભોગે જ હશે. નિ:શંક ઉત્પાદનમાં વધારો થશે પણ તે નવા રોજગારનું સર્જન કરશે તેવા સરકારી દાવા સાચા નહીં ઠરે. જો હાલનો કામદાર બાર કલાક કામ કરવાનો હોય તો નવા ને માટે કોઈ તક રહેતી નથી. એટલે રોજગાર સર્જનનો દાવો ખોટો છે. ઉપરથી જો કામદારો બાર કલાક કામ કરે તો ત્રણને બદલે બે પાળી જ ચાલશે તેથી એક પાળીના કામદારોને બેકાર થવાનો વારો આવશે એટલે કામનાકલાકોની વૃદ્ધિ કામદારોમાં ઘટાડો અને ઉત્પાદનમાં વધારો બનશે. 

કેન્દ્ર સરકારની શ્રમસંહિતા અને ગુજરાત સરકારે ૨૦૧૫માં મજૂર કાયદામાં કરેલા સુધારા પછી હાલના કાયદાથી કામદારોમાં વધુ નિરાશા સર્જાઈ શકે તેમ છે. ૨૦૧૫માં લઘુતમ વેતનના ભંગને સજાપાત્ર ગુનામાંથી મુક્તિ આપવામાં આવી છે. હવે કામના કલાકોમાં વૃદ્ધિ માલિકોને વધુ મનમાની કરાવશે અને કામદારોનું શોષણ થશે. અઠવાડિક ૪૮ કલાકના કામના વૈશ્વિક માપદંડને બદલે ભારતનો કામદાર કાયદેસર ૬૦ કે ૭૨ કલાક કામ કરશે.

ઈન્ફોસિસના ચેરપર્સન નારાયણ મૂર્તિ અને એલ. એન્ડ ટી.ના એમ.એન. સુબ્રમણ્યમે કામદારો-કર્મચારીઓને અઠવાડિયે તેમની જેમ ૭૦ થી ૯૦ કલાક કામ કરવા સૂચન કર્યું હતું.  બેંગલુરુની મોબાઈલ ગેમિંગ એપ બનાવનારી એક કંપનીના સહસ્થાપક મોહન કુમારે તો તેમની કંપનીમાં બધા રોજ બાર કલાક કામ કરતા હોવાનું એક્સ (કે ટ્વીટર) પર જાહેર કર્યું છે. એટલે કામના કલાકોની વર્તમાન વૃદ્ધિ કેટલી કામદારોના હિતમાં છે અને કેટલી ઉદ્યોગપતિઓના હિતમાં છે તે વિચારણીય મુદ્દો રહે છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

જેન્ડર સ્ટીરિયોટાઈપ્સ – આરુષિ અને મેઘાની વાર્તા

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|13 November 2025

આરુષિ સંયુક્ત કુટુંબમાં રહેતી યુવાનીના ઉંબરે ડગ માંડતી કન્યા છે, જેણે હમણાં જ ૧૨મું ધોરણ પાસ કર્યું છે. આરુષિની ઇચ્છા આગળ ઉચ્ચ અભ્યાસ કરી પાઈલટ બનવાની છે, પણ તેના દાદીને લાગે છે કે આરુષિ હવે પરણવા લાયક થઈ ગઈ છે તેથી સારો મુરતિયો જોઈ તેની સાથે લગ્ન કરી દેવા જોઈએ, જેથી તેમના દીકરાને જવાબદારીમાંથી છુટકારો મળે. 

આરુષિની ગાઢ સખી મેઘા ખુલ્લા અને સ્વતંત્ર વાતાવરણમાં ઉછરેલ સુશિક્ષિત પરિવારની એકની એક દીકરી છે જે આરુષિના મનોભાવોને બહુ સારી રીતે સમજે છે, અને દરેક મૂંઝવણમાં આરુષિને મદદ કરે છે. 

દૃશ્ય: ૧

[ઘરના એક રૂમની અંદર આરુષિ અને તેના દાદીમા વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો છે]

આરુષિ : “દાદી, મારે આગળ વધુ અભ્યાસ કરીને પાઈલોટ બનવું છે, અને એ માટે ગમે તેટલી મહેનત કરવી પડશે તો પણ હું પાછી નહિ પડું.”

દાદી: “પણ, દીકરી એ માટે તો તારે હજી ઘણાં વર્ષો સુધી ભણવું પડશે, અને તારે વળી કમાઈને ક્યાં ઘર ચલાવવાનું છે કે તું પાઈલોટ બનવાની વાત કરે છે! તારા લગ્ન થઈ જાય પછી ઘર ચલાવવાની જવાબદારી તો તારા થનાર ઘરવાળાની રહેશે, તું શા માટે એ બધો ભાર તારા માથે લે છે?”

આરુષિ: “પણ દાદી…..!!!” 

દાદી: “પણ અને બણ, એક વાર કહ્યું ને કે તારે હવે આગળ નથી ભણવાનું એટલે નથી ભણવાનું! વડીલ કંઈ કહેતા હોય તો તમારા ભલા માટે કહેતા હોય એટલી સમજ તો તને હવે પડવી જોઈએ.”

[આ ચર્ચા ચાલતી હોય છે એ દરમિયાન આરુષિની સખી મેઘા અંદર પ્રવેશે છે]

મેઘા: “બા, તમને કોઈ વાંધો ના હોય તો હું આમાં કંઈક કહું?” 

દાદી: “હા, મને ખબર છે, તું તો આરુષિનો જ પક્ષ લઈશ, ના જોઈ હોય તો મોટી સલાહ આપવાવાળી, બોલ શું કહેવું છે તારે?” 

મેઘા: “બા, જુઓ .., સમય હવે બદલાઈ ગયો છે, ઘર ચલાવવા માટે હવે પુરુષની સાથે સાથે સ્ત્રીએ કમાવું પણ એટલું જ જરૂરી છે.” 

દાદી: “સ્ત્રી કમાવા જશે તો પછી ઘરનાં કામ કોણ કરશે?, પુરુષ થોડો કંઈ ઘરના કામ કરશે!” 

મેઘા: “કેમ નહિ કરે, બા! જો સ્ત્રી બહારના બધાં કામો કરી શકતી હોય તો પુરુષ ઘરનાં કામ કેમ ના કરી શકે?? ઘર ચલાવવાની જવાબદારી એકલી સ્ત્રીની ઓછી છે, જો ઘર વસાવવા માટે સ્ત્રી અને પુરુષ બંનેની જરૂર પડતી હોય તો ઘર ચલાવવા અને ઘરનાં કામો કરવા માટે પણ બંને એકસરખાં જવાબદાર ગણાય.” 

દાદી: “આરુષિના દાદાએ પણ મને ક્યારે ય ઘરની બહાર જવા દીધી નથી. મારે તો બસ એયને ઘરનાં નાનાં-મોટાં કામો કરવાના ને મોજમજા કરવાની.”

મેઘા: “બા, સાચું કહેજો, શું તમને પણ અંદરથી ક્યારે ય એવું થયું નહોતું કે હું પણ ઘરની બહાર નીકળું અને કંઈ કામકાજ કરી ઘરમાં આર્થિક ટેકો કરું?” 

દાદી: “મેઘા, બેટા એવો વિચાર તો આવ્યો હતો, પણ પછી થયું કે જો હું કમાવા જઈશ તો ઘરનાં કામો કોણ કરશે, મારું ઘર રઝળી પડશે, એમ વિચારી મેં મારું મન વાળી લીધું. પણ મેઘા, તે મારા મનની વાત તે કેવી રીતે જાણી લીધી?” 

મેઘા: “બા, આ વાત તમારાં એકલાની નથી, આ વાત દરેક સ્ત્રીની છે. ચાર દીવાલોની વચ્ચે કેદ દરેક સ્ત્રીને આ વાત લાગુ પડે છે. વાસ્તવમાં, આપણી સમાજ વ્યવસ્થા જ કંઈક એવી છે જેમાં સ્ત્રીને ખૂલીને પોતાના મનની વાત રજૂ કરવાની મોકળાશ નથી. ઘર હોય કે કુટુંબ, સમાજ હોય કે ગામ, સ્ત્રીના મનની અંદર શું ચાલી રહ્યું છે એ સાંભળવાની કોઈ કહેતા કોઈને દરકાર જ નથી. બા, શું તમે પણ એવું ઇચ્છો છો કે તમારા ઘરમાં એક દીકરીનાં અરમાનો, ઇચ્છાઓ અને આકાંક્ષાઓરૂપી પાંખોને ઉડવા માટે આકાશ મળે એ પહેલા જ તેની એ પાંખોને સંકુચિત વિચારશૈલીના દોરથી બાંધી ઘરની ચાર દીવાલોની અંદર તેને કેદ કરી દેવામાં આવે!”

દાદી: “ના બેટા, જરા ય નહીં. તારી વાત પરથી મને એમ લાગે છે કે મારી આરુષિ પણ હવે પોતાની ઇચ્છા મુજબ જેટલું ભણવું હશે એટલું ભણશે અને પોતાની મરજી મુજબ નોકરી કે વ્યવસાય કરશે. મારી જેમ એની ઇચ્છા, આકાંક્ષાઓ અને અરમાનોને હું હવે નહિ ગુંગળાવા કે મરવા નહિ દઉં. જરૂર પડશે તો હું એની પડખે ઊભી રહીશ.”

દાદી: “મને લાગે છે કે સ્ત્રીની અંદરની લાગણીઓને એક સ્ત્રી સિવાય બીજું કોઈ ના સમજી શકે. એક સ્ત્રી જો બીજી સ્ત્રીને મદદ કરશે તો પણ સ્ત્રીઓને થતા ઘણા અન્યાયો અને સ્ત્રી પ્રત્યેના અવિચારી પૂર્વાગ્રહો ઓછા કરી શકાશે. સ્ત્રીને પુરુષના સહકારની જેટલી જરૂર છે એથી વધુ જરૂર સ્ત્રીને સ્ત્રી તરફથી મળતા સહકારની પણ છે.”

[દાદીના મુખેથી આવા ચમત્કારિક શબ્દો સાંભળી એક આછા સ્મિત સાથે આરુષિની આંખના ખૂણા ભીના થયા].

મેઘા: “બા, મને લાગે છે કે આરૂષિનાં સપનાં હવે ઊંચી ઉડાન ભરશે.”

[ચહેરા પર આછેરા સ્મિતની રેખાઓ સાથે આરુષિ, મેઘા અને દાદી ત્રણેયની નજરો આકાશ તરફ લંબાય છે].

Email: h79.hitesh@gmail.com 

Loading

દલિત સાહિત્ય અંગે પ્રભાવશાળી અને ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ આંદોલન

નીલય ભાવસાર ‘સફરી’|Opinion - Opinion|13 November 2025

ભારતીય સાહિત્યમાં દલિત સાહિત્ય જેટલા પ્રભાવશાળી અને ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ આંદોલન ઘણાં ઓછા જોવા મળે છે. દલિત સાહિત્યની વિશેષતા એ છે કે તે જાતિગત દમનનો ભોગ બનેલા લોકોના અનુભવોમાંથી ઉદ્ભવે છે, જે તેને ઊંડાણપૂર્વકનું તેમ જ વધુ મૌલિક બનાવે છે. દલિત સાહિત્ય મુખ્ય પ્રવાહના ભારતીય સાહિત્યની પરંપરાઓને પડકારે છે તેમ જ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના જીવન અને સંઘર્ષને કેન્દ્રિત કરે છે. 

આ લેખકોને એવા પ્રકાશન જગતનો સામનો કરવો પડે છે જે દલિત વાર્તાઓને ફક્ત “એક તક” માને છે અને તેઓને મુખ્ય પ્રવાહના સાહિત્યના ભાગ તરીકે સ્વીકારવામાં પણ અચકાય છે. આજે પણ બજાર, દલિત લેખનને ફક્ત એક દેખાડા પૂરતી જગ્યા પૂરી પાડે છે, અને તેના યોગ્ય પ્રચાર તેમ જ અનુવાદમાં ઓછી રુચિ દાખવે છે. જ્યારે મરાઠી દલિત સાહિત્ય હવે અનુવાદ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે થોડી ઓળખ મેળવી રહ્યું છે, ત્યારે હિન્દી દલિત લેખકો સમાજની આંતરિક અને બાહ્ય સાંસ્કૃતિક વ્યવસ્થા સાથે મર્યાદિત સીમાઓમાં પોતાની લડત જાતે લડી રહ્યા છે. 

છેલ્લા દાયકામાં દલિત વિમર્શ અંગે ઘણી મહત્ત્વપૂર્ણ કૃતિઓ જોવા મળી છે, જેમ કે અજય નાવરિયાની Unclaimed Terrain (2013), યશિકા દત્તની Coming Out as Dalit (2019), શાહુ પટોલેની Dalit Kitchens of Marathwada (2024), યોગેશ મૈત્રેયની Water in A Broken Pot: A Memoir (2023) અને સુજાતા ગિડલાની Ants Among Elephants (2017)નો સમાવેશ થાય છે. આ પુસ્તકો દલિત સાહિત્યમાં જાતિગત હિંસાથી પર છે, જેમાં શહેરી એકલતા, પોતાની ઓળખની શોધ અને આધુનિક વૈશ્વિક સંદર્ભો સુધીનો વિસ્તાર જોવા મળે છે. વિહાગ વૈભવ, પરાગ પવન અને સુનિતા મંજુ જેવાં નવાં લેખકો હવે લેખનમાં ફક્ત દમનનું વર્ણન કરી રહ્યા નથી, પરંતુ સાંસ્કૃતિક સત્તા, મૂડીવાદી વિકૃતિ અને સાહિત્યિક ઓળખના રાજકારણ પર પણ સવાલ ઉઠાવી રહ્યાં છે. જેમ જેમ દલિત સાહિત્યનો વિકાસ થઈ રહ્યો છે, તેમ તેમ આજના લેખકો નવા પડકારોનો સામનો કરી રહ્યા છે, તેઓ દલિત સાહિત્યમાં આત્મકથાત્મક (Autobiographical) લેખનથી આગળ વધી રહ્યા છે. તેઓ આ સાહિત્યિક પરંપરાના બદલાતા જુસ્સા, સંઘર્ષ અને ભવિષ્ય પર વિવિધ દૃષ્ટિકોણ રજૂ કરે છે. વિહાગ વૈભવ જણાવે છે કે લાંબા સમયથી આત્મકથા દલિત સાહિત્યનો મુખ્ય પ્રકાર રહ્યો છે, જે જીવનની કઠોરતા અને તીવ્રતાને વ્યક્ત કરવાનું એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. આજનો સૌથી મોટો પડકાર આત્મકથાત્મક લેખનથી આગળ વધીને અન્ય સાહિત્યિક શૈલીઓને સ્વીકારવાનો છે. પરંતુ આ પરિવર્તન ફક્ત ત્યારે જ શક્ય છે, જો આપણે ઊંડાણપૂર્વક આત્મનિરીક્ષણ કરીએ અને આપણા દૃષ્ટિકોણ પર પુન:વિચાર કરીએ. તેઓ સાહિત્યમાં ઊંડાણ અને કલાત્મક વિવિધતા માટેની હિમાયત કરે છે. તેઓ કહે છે કે મૂડીવાદે આ ક્ષેત્રને પણ બદલી નાખ્યું છે. 

લેખિકા અનિતા ભારતી માને છે કે આજે દલિત સાહિત્ય ઘણી મજબૂત સ્થિતિમાં છે. તેઓના મત મુજબ દલિત સાહિત્યનું સર્જન ફક્ત હિન્દીમાં જ નહીં પરંતુ ઘણી અન્ય ભાષાઓમાં પણ ઝડપથી થઈ રહ્યું છે. ફક્ત કવિતાઓ અને વાર્તાઓ જ નહીં, પરંતુ ડૉ. બાબા સાહેબ આંબેડકરનાં લખાણો, દલિત ઇતિહાસ, સંસ્કૃતિ અને અન્ય વિષયો પર પણ મોટી સંખ્યામાં લેખન કાર્ય થઈ રહ્યું છે. અન્ય એક યુવા લેખકનું માનવું છે કે આજે પણ સાહિત્ય જગતમાં પ્રભાવશાળી વ્યક્તિઓનું વર્ચસ્વ છે અને દલિત સહિત હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયનો અવાજ આજે પણ પોતાની ઓળખ અને સ્વીકૃતિ માટે લાંબો સંઘર્ષ કરી રહ્યો છે. દલિત લેખિકા સુનિતા મંજુ જણાવે છે કે, “શરૂઆતમાં દલિત સાહિત્યને માન્યતા માટેનો સંઘર્ષ કરવો પડ્યો કારણ કે તે પારંપરિક સાહિત્યિક માપદંડો પર ખરું ઉતરતું નહોતું. પરંતુ, સમય જતાં હવે તેને સ્થાન અને સ્વીકૃતિ મળી છે.” જ્યારે બીજી બાજુ કોલકાતાની લેખિકા જણાવે છે કે “અમે તેઓની સાહિત્યિક પરંપરામાં સામેલ થવા માટે લખી રહ્યા નથી. અમે અમારી પોતાની પરંપરા બનાવવા માટે લખી રહ્યા છીએ.” 

દલિત સાહિત્યના પ્રકાશન બાબતે રાજકમલ પ્રકાશન તરફથી એવો દાવો કરવામાં આવે છે કે “રાજકમલ પ્રકાશન સમૂહે દયા પવાર, દલપત ચૌહાણ, પી.ઈ. સોનકાંબલે, રામ નાગરકર, નરેન્દ્ર જાધવ જેવા લેખકોના હિન્દી પુસ્તકો સૌપ્રથમ પ્રકાશિત કર્યા હતા. છેલ્લા એક દાયકામાં અમારા પ્રકાશનના 23 સૌથી વધુ વેચાયેલા પુસ્તકોમાંથી 6 દલિત-આંબેડકરવાદી સાહિત્ય પરના પુસ્તકો છે.” પરંતુ, આ બાબતે લેખિકા અનિતા ભારતી કહે છે કે, “પ્રકાશકો સામાન્ય રીતે ‘રોમાંચક’ અથવા ‘સનસનાટી’વાળી રચના પસંદ કરે છે, અને તેઓ જટિલ અથવા પ્રયોગાત્મક દલિત સાહિત્યમાં રોકાણ કરવા નથી ઇચ્છતા.” એક નવો ટ્રેન્ડ ઉભરી આવ્યો છે કે જેમાં ફક્ત અગાઉથી સ્થાપિત અને જાણીતા નામને જ તક મળે છે. જેથી નવા અથવા ઉભરતા દલિત લેખકો માટે મુખ્ય પ્રકાશકો સાથે જોડાવવાનું ઘણું મુશ્કેલ બની જાય છે. જેના પરિણામે ઘણાં દલિત લેખકોને તેમનાં પુસ્તકો જાતે જ પ્રકાશિત કરવાની અથવા નાના અને સ્વતંત્ર પ્રકાશકો પર આધાર રાખવાની ફરજ પડે છે કે જેમની પાસે મર્યાદિત સંસાધનો અને વિતરણ નેટવર્ક હોય છે. જેથી લેખનની પહોંચ પણ ઘણી મર્યાદિત થઈ જાય છે. દલિત દસ્તક અને દાસ પબ્લિકેશન્સના સ્થાપક સંપાદક કહે છે કે, “દલિત સાહિત્યને મર્યાદિત વિષય તરીકે જોવામાં આવે છે. દલિત સાહિત્યની નબળી વિતરણ વ્યવસ્થા અને જાણીતાં પુસ્તકોની દુકાનોમાં સ્થાન મેળવવામાં મુશ્કેલી જેવા પડકારોનો સામનો કરવો પડે છે. યોગ્ય મીડિયા કવરેજનો અભાવ હોય જેમાં વ્યાવસાયિક અને સામાજિક કારણો પણ જવાબદાર છે. આ તમામ કારણોસર બજારમાં દલિત સાહિત્ય મર્યાદિત પ્રમાણમાં જોવા મળે છે.” જો આપણે સામાજિક ન્યાયના વિચારમાં વિશ્વાસ રાખીએ છીએ અને દલિત લેખનને માત્ર વાંચવા નહીં પરંતુ, તેને સમજવા તેમ જ અનુભવવા માગીએ છીએ તો આ પ્રકારની ગંભીરતાથી આગામી સમયમાં દલિત સાહિત્ય ઘણું વિસ્તૃત થશે.

(સ્રોત – બી.બી.સી હિન્દી. http://bbc.com/hindi/articles/cq534ydx9l8o)
e.mail : nbhavsarsafri@gmail.com

Loading

...102030...188189190191...200210220...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved