Opinion Magazine
Number of visits: 10080921
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વૈશ્વિક સ્તરે નારી-હત્યા નાં ચોંકાવનારા આંકડા

નેહા શાહ|Opinion - Opinion|6 December 2025

નેહા શાહ

૨૦૨૪માં દુનિયામાં આશરે ૮૩,૦૦૦ મહિલા કે છોકરીની ઈરાદાપૂર્વક હત્યા થઇ! તેમાંથી લગભગ ૫૦,૦૦૦થી વધુ એટલે કે ૬૦ ટકા હત્યા કરનાર પતિ / પાર્ટનર કે કુટુંબના કોઈ સભ્ય હતા, એટલે કે લગભગ દર દસ મિનિટે એક ! ૨૫ નવેમ્બરે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘મહિલા વિરુદ્ધ હિંસા નાબૂદી’ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ પ્રસંગે બહાર પાડેલા રિપોર્ટમાં આપેલા આ આંકડા ચોંકાવનારા છે. નારી-હત્યા એ સ્ત્રી વિરુદ્ધ હિંસાનું સૌથી ભયાનક સ્વરૂપ છે. ઉત્તરોત્તર સ્ત્રીઓની પ્રગતિ વધી રહી હોવા છતાં મહિલા વિરુદ્ધની હિંસા ઓછી થવાનું નામ લેતી નથી !

‘નારી-હત્યા’ માટે વપરાતો શબ્દ ‘ફેમીસાઈડ’નો આધુનિક ભાષામાં પ્રયોગ ૧૯૭૦ના દાયકામાં વૈશ્વિક નારીવાદી ચળવળની સાથે શરૂ થયો. એને લિંગ-સંબંધિત પ્રેરણા સાથે ઇરાદાપૂર્વકની હત્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. મહિલાઓની હત્યા પાછળ પુરુષપ્રધાન માનસિકતામાંથી ઊભા થતા સત્તાનાં સમીકરણ કામ કરતાં હોય છે. ભારતમાં પ્રશ્ન પેચીદો છે. માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા તો મા-બાપ કે ભાઈ નારાજ થઇ જાય, પતિના અહંકારને પડકારે એવી કોઈ વાતથી પતિ કે પાર્ટનર ગુસ્સે થઇ જાય, દહેજ સંબંધી હત્યા બંધ નથી થઇ, દીકરાને જન્મ આપવાની જવાબદારી પત્નીને જ ખભે હોય તો દીકરીને જન્મ આપતી પત્ની બોજો બની જાય, બળાત્કારનો ભોગ બનતી સ્ત્રી ગુનાની સાક્ષી બની જુબાની આપે તો ખતરો બની જાય, સેક્સ વર્કરની ગણતરી તો ઘણી વાર ‘માણસ’ તરીકે જ નથી થતી એટલે તેમને અવારનવાર હિંસક વૃત્તિનો સામનો કરવો પડે. આમ, સ્ત્રી વિરુદ્ધની હિંસા માટે એમનું સ્ત્રી હોવું પૂરતું હોય છે. એની પાછળ સ્પષ્ટ સામજિક-રાજકીય ચિત્ર ઊભું થાય છે એ ફેમીસાઈડને અન્ય હત્યા કરતાં અલગ તારવે છે. ભારતમાં દરેક હત્યાને ‘માનવ-વધ’ ગણવામાં આવે છે, પોલીસના રેકોર્ડમાં નારી-હત્યાનું અલગ નોંધ નથી એટલે કુલ હત્યામાંથી ફેમીસાઈડને અલગ તારવી એનું પ્રમાણ સમજવું અઘરું બને છે. વળી, ભારતમાં મહિલાઓ ઘરેલું હિંસા અંગે ખૂલીને વાત પણ નથી કરતી – એ અંગે ફરિયાદ કરવી તો દૂરની વાત છે.

ડીજીટલ ટેકનોલોજીના યુગમાં સ્ત્રી સામેની હિંસા નવા રૂપ લઇ રહી છે. સંમતિ વિના ફોટા શેર કરવા, ડોક્સિંગ અને ડીપફેક વીડિયો જેવી હિંસાનાં નવાં સ્વરૂપોને પણ જન્મ આપ્યો છે. અજાણી વ્યક્તિ સાથેની સોશ્યલ મીડિયા પરની આછી પાતળી વાતચીત બાદ ટ્રોલીન્ગ થાય કે ફોન પર સતામણી થાય એ તો ઘણું સામાન્ય બની ગયું છે, ઘણીવાર સતામણી ડીજીટલ માધ્યમ પૂરતી મર્યાદિત ના રહેતા મહિલાનો પીછો પણ શરૂ થઇ શકે છે! કોઈ અજાણી વ્યક્તિ તમને મેસેજ કરી તમે શું પહેર્યું છે, કે તમે કોને મળ્યા છો જેવી વિગતો આપી તમને જણાવતી હોય કે એ સતત તમારા પર નજર રાખે છે તો ડરવું જરૂરી બની જાય છે. ઘણીવાર પીછો કરતી વ્યક્તિ જ પછી મોતની ધમકી આપવા લાગે છે! નામ-ઠામ વગરની વ્યક્તિ સામે કોઈ પગલાં લેવામાં પોલીસ પણ ઝાઝી મદદ કરી શકતી નથી, કારણ કે ડીજીટલ હિંસા સામે હજુ સ્પષ્ટ કાનૂની પાયા અને નિયમો નથી. આ પરિસ્થિતિ દુનિયાના બધા દેશોમાં છે.

ફેમીસાઈડના સંદર્ભે શ્રદ્ધા વાલકર-વાળો કિસ્સો યાદ કરવો અગત્યનો છે. “લવ – જીહાદ’નું એ સીમા ચિહ્ન બની રહેલો આ કિસ્સો કોઈ ભૂલ્યું નહિ હોય. આંતર ધર્મ લગ્નને રોકવા આ કિસ્સાને ટાંકીને વિરોધ કરવામાં આવે છે. બદનસીબી એ છે કે શ્રદ્ધાના અપમૃત્યુની ચર્ચા માત્ર એના કોમી રંગને લીધે થઇ. એનું પોતાના પાર્ટનર પર નિયંત્રણ રાખતા વર્તનને એટલું પ્રાધાન્ય ના મળ્યું. શ્રદ્ધાની જગ્યાએ કોઈ સમ્-ધર્મી પાર્ટનર હોત, તો પણ આફતાબનું વર્તન આ જ રહ્યું હોત, કારણ કે હત્યાનું કારણ ધર્મ નહિ, પણ બંને વચ્ચે વધી રહેલા મતભેદ હતું. એ જ અરસામાં બીજા કેટલા બધા કિસ્સા બન્યા. અંકિતા ત્યાગીની હત્યા એના પુરુષ મિત્રએ કરી કારણ કે એણે લગ્ન કરવાની ના પાડી! કોન્ગરા નાગમણી કે ઐશ્વર્યાની હત્યા એમના માતા-પિતાએ કરાવી કારણ કે તેમણે દલિત પુરુષ સાથે લગ્ન કર્યા! મનોજ સાને નામના આધેડ પુરુષે એની પાર્ટનરની હત્યા કરી કારણ કે એણે એની સાથે શારીરિક સંબંધ બાંધવા ઇનકાર કર્યો ! રાધિકા યાદવની હત્યા એના પિતાએ કરી કારણ કે એની પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવા માંગતા હતા! 

આવા કિસ્સાઓની યાદી હજુ ઘણી લાંબી છે. આ દરેક કિસ્સામાં હત્યા ઘરમાં જ થઇ છે અને નજીકની વ્યક્તિ દ્વારા થઇ છે. ઘરની ચાર દીવાલ જ સ્ત્રીઓ માટે જોખમી સાબિત થઇ છે, જ્યારે હિંસા તેમને ડરાવવા, અપમાનિત કરવા અને ખાસ કરીને ચૂપ કરાવવા માટે થઇ છે. જો પ્રશ્નનું નિદાન યોગ્ય હશે તો એનો ઉકેલ યોગ્ય દિશામાં શોધીશું. નારી-હત્યાને પુરુષ-પ્રધાન સામાજિક ઢાંચાના ભાગ તરીકે સમજવો પડશે, એનું યોગ્ય રીપોર્ટીંગ કરવું પડશે, આંકડાઓનું યોગ્ય દસ્તાવેજીકરણ કરી એ આધારે જરૂરી કાયદા ઘડી યોગ્ય પાલન કરવું પડશે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓમાં વ્યાપેલું મીંઢાપણું ઘાતક છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 December 2025

રવીન્દ્ર પારેખ

ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ વેન્ટિલેટર પર હોવાનો વહેમ પડે છે. તે વખતના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં એક સાહિત્યિક કાર્યક્રમમાં કહેલું કે હું તો પાર્ટ ટાઈમ રાજકારણી છું. તેમનો ઈશારો એ હતો કે સાહિત્યકારો ફૂલ ટાઈમ રાજકારણી છે. એમાં અતિશયોક્તિ હોય તો પણ, એ ઈશારો તથ્ય વિહીન ન હતો. ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ અને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ વચ્ચે સ્વાયત્તતાને મુદ્દે વર્ષોથી ગજગ્રાહ ચાલે છે, એથી અકાદમીનો તો કાંગરો ય ખર્યો નથી, પણ પરિષદ છાશવારે તેના સભ્યોને, પદાધિકારીઓને પદ પરથી દૂર કરતી આવી છે. તેનું કારણ એટલું જ છે કે જે તે સભ્યે અકાદમીના કોઈ કાર્યક્રમમાં ભાગ લીધો હોય કે કોઈ ઇનામ અકરામ લીધાં હોય. એમાં પાછા અપવાદો છે. પરિષદના કોઈ ટ્રસ્ટી કે પૂર્વપ્રમુખ અકાદમીમાં ઉપસ્થિત રહે તો તે ક્ષમ્ય છે.

આ જ કારણથી છેલ્લે પરિષદના ચૂંટાયેલા ઉપપ્રમુખને અકાદમીમાં હાજરી પુરાવવા બદલ ખદેડી મૂકવામાં આવ્યા ને ગમ્મત તો એ થઈ કે એ ઉપપ્રમુખની ચૂંટણીમાં, એ જ ઉપપ્રમુખની સામે હારી ગયેલા સભ્યને ઉપપ્રમુખ પદે આરૂઢ કરવામાં આવ્યા. આવા તો ઘણાં સભ્યોને અકાદમીના કાર્યક્રમમાં હાજરી આપવા બદલ ભૂતકાળમાં હાંકી કાઢવામાં આવ્યા છે. એ જ ગુજરાત સાહિત્ય અકાદમીની લાખોની સહાય પરિષદે ભૂતકાળમાં લીધી છે ત્યારે, અકાદમી સામે વાંધો નથી પડ્યો. અકાદમીમાં ઉચ્ચ હોદ્દે રહી ચૂકેલા હોદ્દેદારો પરિષદમાં હાલ હોદાઓ પર છે, તે પણ પરિશુદ્ધ થયા હોય તેમ ચાલે છે, પણ બીજું કોઈ કામ ન હોય તેમ થોડે થોડે વખતે સ્વાયત્તતાનું ભૂત પરિષદમાં ધૂણતું રહે છે. અકાદમી સ્વાયત્ત હોય તે અપેક્ષિત છે, પણ તેને માટે પરિષદની સ્વાયત્તતા દાવ પર ન લાગવી જોઈએ, એ તો ખરું કે કેમ ?

એક બાબત સ્પષ્ટ છે કે એક વખતે પરિષદમાં અધ્યાપકો પણ ચૂંટાઈને આવતા હતા, (અત્યારે પણ હશે જ) એ વખતે (ને અત્યારે પણ) પરિષદ, કોઈ અધ્યાપકે તેની સંસ્થામાં સાહિત્યિક કાર્યક્રમો  કરવા હોય તો આર્થિક સહયોગ કરી શકતી નથી, એવે વખતે જે તે અધ્યાપકે આર્થિક સહયોગ મેળવવા અકાદમી તરફ જ હાથ લંબાવવો પડે. એવું થાય તો તે પરિષદને પરવડે નહીં, કારણ અકાદમીમાં હાજરી આપવાથી જ જો પરિષદના સભ્યોને હાંકી કઢાતા હોય, તો પરિષદનો કોઈ સભ્ય તેની આર્થિક સહાય લે તે તો સાંખી જ કેમ શકે? પરિષદે જરૂર પડે તો બંધારણમાં સુધારા કરીને પણ આ મામલે ગંભીર વિચારણા કરવા જેવી છે.

પરિષદના જ મુખપત્ર ‘પરબ’ના ઓક્ટોબર, 2025ના અંકમાં ચંદ્રકાંત ટોપીવાળાનો એક પત્ર પ્રગટ થયો છે. એમાં તેમણે ‘છેલ્લાં કેટલાંક વરસોથી ગુજરાત ક્ષેત્રે નોબેલ ગણાતા ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અપાતો અટકી ગયો છે’, એવું યાદ અપાવતાં ઉમેર્યું છે, ‘૨૦૧૬માં છેલ્લે કુમારપાળ દેસાઈએ નાટ્યાત્મક રીતે લીધેલા રણજિતરામ ચંદ્રક પછી આ ચંદ્રક અદૃશ્ય થઇ ગયો છે.’ આ વિધાન સૂચક છે. રણજિતરામ ચંદ્રક ગુજરાત વિદ્યાસભા તરફથી અપાય છે. 2015 પછી રણજિતરામ અને ચંદ્રકનો હેતુ પૂરો થઈ ગયો હોય તેમ ચંદ્રક અપાવો બંધ થઈ ગયો છે. ગુજરાતના નીવડેલાં સર્જકોનું એ રીતે સન્માન થતું અટકી જાય તે ચિંત્ય છે. એવું નથી કે ગુજરાતમાં 2015 પછી સર્જકો નથી થયા. 2025 સુધીના બીજા દસેક સર્જકો ચંદ્રકથી પોંખી શકાયા હોત, પણ કમનસીબે તેવું થયું નથી. 2015 સુધીમાં દર વર્ષે 1928થી માંડીને 88 સર્જકોને રણજિતરામ ચંદ્રક એનાયત થયો હોય ને પછી 10 વર્ષ સુધી એક પણ ચંદ્રક જાહેર જ ન થાય, એ કેવું? વારુ, ગુજરાત સાહિત્ય સભા તરફથી ચંદ્રક ન આપવા પાછળનાં કોઈ કારણો પણ જાહેર થયાં નથી, એ બાબત સંસ્થા વિષે અને ચંદ્રક વિષે અનેક તર્કવિતર્ક કરવા પ્રેરે છે. ટોપીવાળાના પત્રમાં અપાયેલી વિગતમાં એવું જણાવાયું છે કે, ‘વિશ્વકોશ આ નવી જવાબદારી સ્વીકારવા તૈયાર નથી.’ એ પરથી પણ વિશ્વકોશે ચંદ્રક ન આપવા પાછળનાં કારણોનો ખુલાસો કરવો જોઈએ. 88 ચંદ્રકો જાહેર થયા પછી એવું તે શું થયું કે એકાએક ચંદ્રકો જાહેર કરવાનું બંધ થયું?

ટોપીવાળાએ પરિષદ પાસેથી ચંદ્રકને ‘જીવતદાન’ મળે એ અંગે સક્રિયતા દાખવવાની વાત કરી છે, પણ પરિષદ નાનાંમોટાં અનેક ઇનામો જાહેર કરે છે, એ પરથી નથી લાગતું કે તે રણજિતરામ ચંદ્રક જાહેર કરવાની નવી જવાબદારી તે ઉપાડે. ખરેખર, તો આ જવાબદારી ગુજરાત સાહિત્ય સભાએ જ ઉપાડવી જોઈએ અથવા તો જવાબદારી ન ઉપાડી શકવાનાં કારણોની જાહેરાત કરવી જોઈએ. એ તો થાય ત્યારે ખરું, પણ અત્યારે તો ચંદ્રક ખાડે ગયો હોય એવું લાગે છે. ગુજરાત સાહિત્ય સભા તરફથી ‘ધનજી કાનજી ચંદ્રક’ પણ અપાય છે, એ પણ જાહેર થતો હોય એવું લાગતું નથી. એ અંગેની પણ જે સ્થિતિ હોય તેનો ખુલાસો ગુજરાત સાહિત્ય સભાએ કરવો જોઈએ. શક્ય હોય તો આ ચંદ્રકોની બધાં વર્ષની જાહેરાત એક સાથે જ થવી જોઈએ, જેથી લાભાર્થીઓએ વધુ ટટળવું ન પડે.

સમય સર ચંદ્રકો અને પારિતોષિકો જાહેર કરવાની ઉદાસીનતા ગુજરાતની સાહિત્ય સંસ્થાઓમાં જગજાહેર છે. ‘કુમાર ચંદ્રક’, કુમાર ટ્રસ્ટ, અમદાવાદ તરફથી 1944થી અપાય છે. એમાં પણ 2016 પછી ચંદ્રક જાહેર થયો હોય તો તેની વિગતો વિકિપીડિયા પર નથી. બને કે વિગતો અપડેટ કરવાની રહી ગઈ હોય, પણ એક કિસ્સો ડો. મહેબૂબ દેસાઈનો, તેમના જ બ્લોગ પર વાંચવામાં આવ્યો. તે વખતના ‘કુમાર’ના તંત્રી ડો. ધીરુ પરીખની પ્રેરણાથી મહેબૂબ દેસાઈએ ‘કુમાર’માં ગાંધીજીને અપાયેલાં માનપત્રોની શ્રેણી શરૂ કરી. ત્રણેક વર્ષ ચાલેલી એ શ્રેણી, પછી પુસ્તક આકારે પ્રગટ થઈ ને એ પુસ્તકને 2019નો ‘કુમાર’ ચંદ્રક જાહેર થયો. તેની જાહેરાત ‘કુમાર’ના 1118ના અંકમાં એપ્રિલ, 2021માં કરવામાં આવી. એ વાતના ઉલ્લેખ સાથે બ્લોગમાં જ મહેબૂબ દેસાઈ લખે છે, ‘આજે એ ઘટનાને પાંચ વર્ષ વીતી ગયા છે. છતાં ન તો કુમાર તરફથી ‘કુમાર’ ચંદ્રક મળ્યો છે, ન કોઈ તે અંગેનું પ્રમાણપત્ર મળ્યું છે.’ એ અંગે ખાતરી કરવા ડો. દેસાઈને મોબાઈલ પર પૂછ્યું, તો તેમણે રોકડું કર્યું કે એ ચંદ્રક અપાયો જ નથી. ‘કુમાર’ની આ ઉદાસીનતા બધી રીતે શરમજનક છે.

ખબર નથી પડતી સાહિત્યિક સંસ્થાઓને કયા પ્રકારનો લૂણો લાગ્યો છે? મોટે ઉપાડે સાહિત્યિક સંસ્થાઓ પારિતોષિકો, ચંદ્રકો, એવોર્ડ્સની જાહેરાતો કરે છે, શરૂઆતમાં તે નિયમિતપણે અપાય પણ છે, પછી ખબર નહીં, હોદ્દેદારો બદલાતા કે પ્રમાદને કારણે પ્રવૃત્તિઓ સંદર્ભે મેલી ઉદાસીનતા પ્રવર્તે છે ને બધું જ  ખોરંભે ચડે છે. સુરતની સાહિત્યિક સંસ્થા ‘નર્મદ સાહિત્ય સભા’ પણ પાંચેક પ્રકારમાં નર્મદચંદ્રક આપે છે. તે ઉપરાંત જ્યોતીન્દ્ર દવે ચંદ્રક કે મનહરલાલ ચોકસી પારિતોષિક જેવાં પારિતોષિકો પણ આપે છે. એમાં પણ વચમાં ઘણી લાલિયાવાડી ચાલી. ચંદ્રકોની અંદરોઅંદર લહાણી થઈ, તો જે પ્રકારમાં ચંદ્રક એનાયત કરવાનો હતો, તેને બદલે અન્ય પ્રકારમાં જાહેર થયો, તો પણ 2022 સુધીનો ચંદ્રક જાહેર થયો છે, એટલું આશ્વાસન જરૂર લઈ શકાય.

ઘણી સાહિત્યિક સંસ્થાઓ પ્રવૃત્તિને નામે વેઠ જ ઉતારે છે. ક્યાં તો કાર્યક્રમો થતા જ નથી ને થાય છે તો તેમાં વિત્ત હોતું નથી. કાર્યક્રમો થાય જ નહીં, એ ખોટું છે, એમ જ સંખ્યા વધારવા કાર્યક્રમોનો ખડકલો થતો રહે એ પણ બરાબર નથી. સાચી વાત તો એ છે કે હવે કાર્યક્રમોમાં કોઈને રસ જ રહ્યો નથી. ગંભીર ભાષણો કોઈને માફક આવતાં નથી. સાહિત્યિક પ્રકારો વિષે કે તેનાં સ્વરૂપ વિષે જાણીને લખનારો વર્ગ ઘટતો આવે છે. સોશિયલ મીડિયા પર આવતાં લખાણોને સાહિત્ય ગણનારો ને ગણાવતો વર્ગ નવાં માપદંડો ઊભાં કરી રહ્યો છે, એવે વખતે સાહિત્યિક સંસ્થાઓનું શૈથિલ્ય ઘાતક પુરવાર થાય એમ બને. બાકી હતું તે AIનું આક્રમણ જુદી જ વિભાવનાઓ વિકસાવી રહ્યું છે, ત્યારે સાહિત્યિક સંસ્થાઓને મીંઢાપણું પરવડવું ન જોઈએ … વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 ડિસેમ્બર 2025

Loading

પ્રાપ્તિ અને પ્રતિષ્ઠાથી અલિપ્ત પ્રતિભાઓ : મેરી અને પિયરી ક્યુરી 

સોનલ પરીખ|Opinion - Opinion|5 December 2025

મેરી અને પિયરી ક્યુરી બંને મહાન વિજ્ઞાનીઓ પ્રામાણિક, સાદાં અને માનવતાભરપૂર હતાં. કહેતાં, ‘વ્યક્તિઓને બહેતર બનાવ્યા વિના બહેતર વિશ્વ કદી ન સર્જી શકાય. એટલે દરેકે પોતાના માટે અને પૂરી માનવતા માટે સહિયારી જવાબદારી ઉઠાવવાની છે.’ આઈન્સ્ટાઈન એમને ‘પ્રતિષ્ઠાથી અલિપ્ત દુર્લભ વ્યક્તિઓ’ તરીકે ઓળખાવતા. 

મેરી ક્યુરી અને પિયરી ક્યુરી, 1903

‘કશાથી ડરવાની જરૂર હોતી નથી. જરૂર હોય છે સમજી લેવાની. જેમ વધુ સમજો, તેમ ડર ઓછો.’ આ ઉક્તિ છે મેરી સ્કૉદોવ્સ્કા ક્યુરીની. આપણે તેને મેરી ક્યુરી તરીકે ઓળખીએ છીએ, પણ તેનું નામ દુનિયાભરના મ્યુઝિયમોમાં અને પુસ્તકોમાં આ રીતે લખાય છે. તેણે કરેલી શોધ રેડિયોએક્ટિવિટીમાં પાયાની ગણાય છે. મેરી ક્યુરી નોબેલ ઈનામ મેળવનાર જીતનારી પ્રથમ મહિલા અને વિજ્ઞાનના બે ક્ષેત્રોમાં નોબેલ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતી. 

મેરી અને પિયરી ક્યુરી નોબેલ મેળવનાર પ્રથમ દંપતી હતાં. આજની કૉલમ મેરી અને પિયરી ક્યુરીને – એક અદ્દભુત અનોખા પ્રતિભાશાળી દંપતીને સમર્પિત કરું છું. ક્યુરી પરિવારે પાંચ નોબેલ મેળવ્યાં છે. યુનિવર્સિટી ઑફ પૅરિસમાં પ્રોફેસર બનનાર મેરી પ્રથમ મહિલા હતી. પોતાના ક્ષેત્રને તે એટલી સમર્પિત હતી કે તેને રેડિએશનથી થતો હાડકાનો રોગ લાગુ પડ્યો હતો. આ મેરી સ્કૉદોવ્સ્કાનો જન્મ યુરોપના નાના-શા દેશ પૉલેન્ડની રાજધાની વૉર્સોમાં 1867ની 7મી નવેમ્બરે થયો ત્યારે નેપોલિયન યુદ્ધો પૂરાં થઈ ગયાં હતાં અને પૉલેન્ડ રશિયા-પ્રુશિયાની ભીંસમાંથી માર્ગ શોધી રહ્યું હતું. 

1991માં મેરી ફ્રાંસ આવી અને પેરિસની સોર્બોર્ન યુનિવર્સિટીમાં જોડાઈ. તેને અહીં લાવનાર હતા પૉલેન્ડના ફિઝિસિસ્ટ અને પ્રોફેસર કાઉન્ટ જૉસેફ કૉવાલ્સ્કી. તેમણે જ મેરીની ઓળખાણ પિયરી ક્યુરી સાથે કરાવી હતી, પણ ત્યારે એમને કલ્પના નહીં હોય કે આ દંપતી વિજ્ઞાનના ક્ષેત્રે ચમત્કાર કરવાનું છે. પિયરીએ મેરીને પોતાની વિદ્યાર્થિની તરીકે લેબોરેટરીમાં લઈ લીધી. તરત તેને મેરીની પ્રતિભાનો ખ્યાલ આવી ગયો અને તે પિયરીની વિદ્યાર્થિની મટી સંશોધન-સાથી બની. 

પિયરી સાથેની પહેલી મુલાકાતનું વર્ણન કરતાં મેરીએ લખ્યું છે, ‘હું પ્રવેશી ત્યારે પિયરી ક્યુરી બાલ્કનીમાં ખૂલતી ફ્રેન્ચ વિન્ડોમાંથી બહાર જોતો આરામથી ઊભો હતો. ત્યારે એ 35 વર્ષનો હતો, પણ દેખાવે ઘણો યુવાન લાગ્યો. તેના ચહેરા પર અને વર્તણુંકમાં આવકાર, ખુલ્લાપણું અને અલિપ્તતાનું ગમી જાય એવું સંયોજન હતું. તેની વિચારપૂર્વક ધીરે ધીરે બોલવાની શૈલી, તેની સાદગી, તેનું સ્વચ્છ સ્મિત, તેનામાં એકસાથે દેખાતી ગંભીરતા અને તાજગી આકર્ષક હતા. તેનો આત્મવિશ્વાસ, અન્યમાં પણ આત્મવિશ્વાસ જગાડી શકે એવો સમર્થ હતો.’ પિયરી ક્યુરી ફ્રેન્ચમેન હતો. તેના પિતા ડૉક્ટર હતા. પિયરી એમની પાસે જ તૈયાર થયો. કિશોરાવસ્થામાં જ તે ગણિત અને ભૂમિતિનો સ્કૉલર ગણાવા માંડ્યો હતો. સોળમા વર્ષે તે ગણિતમાં બી.એસસી. થયો અને 18મા વર્ષે માસ્ટર. પછીનાં વર્ષોમાં ઝડપથી તેણે વિજ્ઞાન અને સંશોધનના ક્ષેત્રે નામ કાઢ્યું હતું. 

દોસ્તી થતાં વાર ન લાગી. એક વર્ષ પછી પિયરીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ‘આપણે બન્ને સ્વપ્નસેવી, કહો કે સ્વપ્નસંમોહિત વ્યક્તિઓ છીએ. આપણે સાથી બનીએ, સાથે જીવીએ અને તેં તારા દેશ માટે જે જોયું છે, આપણે આખી માનવજાત માટે તેમ જ સંશોધન માટે જે સેવ્યું છે તે સ્વપ્નને સાકાર કરીએ તો કેવું?’ મેરી તો પણ ખચકાતી હતી, લગ્ન અને વિજ્ઞાનનો મેળ પડશે ખરો? પિયરીએ વિશ્વાસ આપ્યો, ‘આપણે સાથે મળીને વિજ્ઞાનની સેવા કરીશું.’ મેરીને પોતાના દેશમાં જઈ કામ કરવું હતું, પણ ત્યાંની યુનિવર્સિટીઓએ તેને કામ આપવાની ના પાડી કારણ કે તે સ્ત્રી હતી. પિયરીએ તેને પેરિસ આવી જવા મનાવી લીધી. 1895ની 26મી જુલાઈએ બન્ને પરણી ગયાં. ભારતમાં આ વખતે અંગ્રેજોનું રાજ્ય હતું. 1857ના વિદ્રોહને ત્રણ દાયકા થવા આવ્યા હતા. ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની સ્થાપનાને દસ વર્ષ થયા હતા. દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીના સત્યાગ્રહની ભૂમિ તૈયાર થતી આવતી હતી.

પિયરી મેરી કરતાં બાર વર્ષ મોટો હતો. લગ્નમાં મેરીએ નવવધૂના પોષાકને બદલે લેબોરેટરીમાં પહેરતી એવો જ ઘેરા ભૂરા રંગનો પોષાક પહેર્યો, ‘પિયરી, તને વાંધો ન હોય તો હું આ પહેરું. આ પોષાક રોજ વપરાશે. બ્રાઈડલ ગાઉન તો કબાટમાં પડ્યો જ રહેશે.’ હનીમૂન માટે આ અનોખાં પતિપત્ની સાયક્લ લઈને ફ્રાન્સના કુદરતી સૌંદર્યથી ભરપૂર ગ્રામવિસ્તારમાં ઘૂમ્યાં. એમનું લગ્નજીવન પ્રેમ અને ઉષ્માથી ધબકતું હતું. ક્યુરી દંપતીને બે પુત્રીઓ થઈ, ઈરિના અને ઈવ.  

મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં એમનું ઔતિહાસિક અખબાર ‘ઇન્ડિયન ઓપિનિયન’ શરૂ કર્યું એ જ વર્ષે એટલે કે 1903માં આ યુગલે ફ્રેંચ વિજ્ઞાની એન્ટોની હેનરી બેક્વેરલ સાથે રેડિયેશનના સંશોધન માટે ફિઝિક્સનું નોબેલ ઈમામ જીત્યું. પહેલા નોમિનેશનમાં મેરીનું નામ ન હતું. પિયરીએ આ સંશોધનમાં મેરીના પ્રદાન તરફ ધ્યાન દોર્યું ત્યારે તેનું નામ ઉમેરાયું અને તે નોબેલ મેળવનારી પ્રથમ મહિલા બની. 1903-1904માં આ દંપતીને બહુ પ્રતિષ્ઠિત એવાં ઈટાલિયન અને બ્રિટિશ ઈનામો પણ મળ્યાં. 

આ મહાન ઘટનાના ત્રણ જ વર્ષ બાદ પિયરી પરિવાર એક મોટી દુર્ઘટનાનો ભોગ બન્યો. એક વરસાદી દિવસે પિયરી રસ્તો ઓળંગતો હતો ત્યાં લપસી પડ્યો અને ઘોડા જોડેલું એક ભારે વાહન પસાર થઈ રહ્યું હતું, તેનું જબ્બર પૈડું તેના માથા પરથી ફરી ગયું. માત્ર 46 વર્ષની ઉંમરે એ મૃત્યુ પામ્યો ત્યારે મેરી માત્ર 34 વર્ષની હતી. એ ભાંગી પડી, પણ પિયરીના વિજ્ઞાન-સમર્પણને યાદ કરીને તે ફરી સંકલ્પબદ્ધ થઈ. એ જ વર્ષે તે સોર્બોર્ન યુનિવર્સિટીમાં જોડાઈ, પતિની સ્મૃતિમાં એક વિશ્વકક્ષાની પ્રયોગશાળાનું નિર્માણ કર્યું અને યુનિવર્સિટીની પહેલી મહિલા પ્રેફેસર બની.

મેરીએ રેડિયમ અને પોલોનિયમ આ બે તત્ત્વો શોધ્યાં અને કેન્સર-સંશોધનમાં મોટું પ્રદાન આપ્યું. ઘાતક રોગો સામે ઝઝૂમતા લોકોને મદદ કરવા તેણે ચેરિટી મિશન શરૂ કર્યું હતું. મેરી અને પિયરીની દીકરી ઇરિના અને જમાઈ ફ્રેડરિક જોલિઓટ બન્ને રેડિયોએકટિવિટીના ઊંડા અભ્યાસી હતાં. બન્નેએ એક એક નોબેલ ઈનામ મેળવ્યું હતું. બીજી દીકરી ઈવે મેરીની જીવનકથા લખી હતી. તેના પતિ ‘યુનિસેફ’માં હતા, અને તેમને પણ નોબેલ શાંતિ ઈનામ મળ્યું હતું. એમની દીકરી હેલન યુનિવર્સિટી ઑફ પેરિસમાં ન્યૂક્લિયર ફિઝિક્સની પ્રોફેસર હતી. હેલનના પુત્રનું નામ પિયરી ક્યુરી રાખવામાં આવેલું અને તેણે બાયોકૅમિસ્ટ્રીમાં કારકિર્દી બનાવી હતી. 

મેરી પોતાની પૉલિશ ઓળખ કદી નહોતી ભૂલી. તે સમયાંતરે પતિ સાથે પૉલેન્ડ જતી પણ ખરી. બન્ને દીકરીઓને તેણે પૉલિશ ભાષા શીખવી હતી અને પોતે જે પહેલું શોધ્યું તે રાસાયણિક તત્ત્વને પોતાના દેશ પરથી ‘પૉલેનિયમ’ નામ આપ્યું હતું. 1911માં તેને કેમિસ્ટ્રીમાં નોબેલ મળ્યું. તેના શતાબ્દીવર્ષે યુરોપ અને અમેરિકાએ ‘મેરી ક્યુરી યર’ ઊજવેલું. 

મેરી અને પિયરી ક્યુરીના જીવન પર ચાર જીવનકથા લખાઈ છે, ઉપરાંત ફિલ્મો, નાટકો પણ બન્યાં છે. 2020ના આંકડા પ્રમાણે કુલ 866 નોબેલ વિજેતાઓમાંથી 53 મહિલાઓ છે. તેમાંની 16 સાહિત્યમાં, 4 ફિઝિક્સમાં અને 4 કેમિસ્ટ્રીમાં નોબેલવિજેતા બની છે. ભારતની કોઈ મહિલાએ નોબેલ મેળવ્યું નથી. એકમાત્ર મધર ટેરેસા છે, જેની ઓળખ નોબેલ સૂચિમાં ઇન્ડિયન-યુગોસ્લૉવિયન એવી અપાઈ છે. 

પિયરી ક્યુરી કહેતા, ‘હું એવા લોકોમાં છું જેમને વિશ્વાસ છે કે માણસજાત નવી શોધોમાંથી વિનાશકારી નહીં, પણ હિતકારી એવું પ્રાપ્ત કરતાં શીખશે.’ બંને પ્રામાણિક, સાદાં અને માનવતાભરપૂર હતાં. લગભગ તમામ કમાણી વિજ્ઞાનસંસ્થાઓને આપી દેતાં. આઈન્સ્ટાઈન એમને ‘પ્રતિષ્ઠાથી અલિપ્ત દુર્લભ વ્યક્તિઓ’ તરીકે ઓળખાવતા. મેરી ક્યુરી કહેતાં, ‘વ્યક્તિઓને બહેતર બનાવ્યા વિના બહેતર વિશ્વ કદી ન સર્જી શકાય. એટલે દરેકે સૌ પહેલા તો પોતાને બહેતર બનાવવાની દિશામાં કામ કરવાનું છે અને સાથે પૂરી માનવતા માટે સહિયારી જવાબદારી ઉઠાવવાની છે.’ 

આ દિશામાં એકાદ પગલું તો આપણે સૌ ઉઠાવી શકીએ. શું કહો છો ?             

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 02 નવેમ્બર  2025

Loading

...102030...163164165166...170180190...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved