Opinion Magazine
Number of visits: 10081054
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નેહરુ શું બાબરી મસ્જિદ ઉપર બીજી બાબરી મસ્જિદ બનાવવા ઇચ્છતા હતા?

રમેશ સવાણી|Opinion - Opinion|4 December 2025

રમેશ સવાણી

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે 02 ડિસેમ્બર 2025ના રોજ, વડોદરાના સાધલી ગામમાં યુનિટી માર્ચ કાર્યક્રમમાં જૂઠનો મહાગોળો ફેંક્યો હતો : “નેહરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા ! એ તો સારું થયું કે સરદાર પટેલે તેમને રોક્યા !”

થોડાં મુદ્દાઓ :

[1] આવું કોઈ અંધભક્ત કહી શકે, ટ્રોલ કહી શકે, કોઈ નફરતી કહી શકે. પરંતુ દેશના સંરક્ષણ મંત્રીના હોદ્દા પર બિરાજમાન નેતા આવું કહી શકે? જો કહે તો તેમની પાસે ઐતિહાસિક પુરાવા તો હોવા જોઈએ ને? કોઈ પત્રવ્યવહાર, કોઈ ઈન્ટરવ્યુ, કોઈ પુસ્તકોમાં આ અંગે ઉલ્લેખ છે? WhatsApp યુનિવર્સિટીના ગપ્પગોળાના આધારે મિનિસ્ટર આવું બોલી શકે? જૂઠ્ઠાણાં ફેલાવવામાં RSS / ભા.જ.પ.ના નેતાઓમાં હરીફાઈ થઈ રહી છે, કોણ વધુ અસરકારક જૂઠું બોલી શકે છે !

[2] નેહરુના સમયે બાબરી મસ્જિદ અસ્તિત્વમાં હતી જ. નેહરુ શું બાબરી મસ્જિદ ઉપર બીજી બાબરી મસ્જિદ બનાવવા ઇચ્છતા હતા? सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है !

[3] નેહરુ બાબરી મસ્જિદને લગતા સાંપ્રદાયિક વિવાદના સખત વિરોધમાં હતા. આમાં તેમને ટેકો આપનારા સરદાર પટેલ હતા. તેઓ બન્ને હિન્દુ મુસ્લિમ સમુદાયો વચ્ચે પરસ્પર સહિષ્ણુતા અને સદ્દભાવના દ્વારા આ મુદ્દાને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માંગતા હતા. 22 ડિસેમ્બર 1949ની રાત્રે, કેટલાક લોકો અયોધ્યામાં બાબરી મસ્જિદ સંકુલમાં ઘૂસી ગયા અને ભગવાન રામ અને દેવી સીતાની મૂર્તિઓ તેના મધ્ય ગુંબજ નીચે મૂકી. લગભગ તે જ સમયે, અયોધ્યા અને સમગ્ર ઉત્તર પ્રદેશમાં અન્ય સાંપ્રદાયિક ઘટનાઓ બની. ખૂબ જ વ્યથિત નેહરુએ ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી ગોવિંદ વલ્લભ પંત સહિત અનેક નેતાઓને પત્રો લખ્યા. બધા પત્રો નેહરુ આર્કાઇવમાં ઉપલબ્ધ છે. તેમના પત્રો સ્પષ્ટપણે દર્શાવે છે કે નેહરુ પોતાના પક્ષમાં વધતી સાંપ્રદાયિક વૃત્તિઓથી ચિંતિત હતા અને આગળ એક ખતરો જોતા હતા. તેઓ માનતા હતા કે અયોધ્યાની પરિસ્થિતિ કાશ્મીર મુદ્દા અને આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન સાથેના ભારતના સંબંધોને અસર કરશે.

[4] નેહરુએ પણ પોતાની લાચારી વ્યક્ત કરી હતી કે “મને ખબર નથી કે દેશમાં સારું વાતાવરણ બનાવવા માટે આપણે શું કરી શકીએ. જ્યારે લોકો ગુસ્સે હોય છે, ત્યારે સારી વાતો કહેવાથી તેમને ગુસ્સો આવે છે. બાપુ તે કરી શકતા હતા, પરંતુ આપણે આવી વાતો માટે ખૂબ નાના છીએ.” જુલાઈ 1950માં, નેહરુએ લાલ બહાદુર શાસ્ત્રીને એક પત્ર લખીને ડર વ્યક્ત કર્યો કે “આપણે બીજા સંકટ તરફ આગળ વધી રહ્યા છીએ. જેમ તમે જાણો છો, અયોધ્યામાં બાબરી મસ્જિદનો મુદ્દો આપણા માટે એક મુખ્ય મુદ્દો છે અને તેની આપણી સમગ્ર નીતિ અને પ્રતિષ્ઠા પર ઊંડી અસર પડે છે. પરંતુ આ ઉપરાંત, એવું લાગે છે કે અયોધ્યામાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. શક્ય છે કે આવી મુશ્કેલી મથુરા અને અન્ય સ્થળોએ પણ ફેલાઈ જાય.”

[5] બાબરી મસ્જિદ મુદ્દે સરદાર પટેલ શું ઇચ્છતા હતા? બાબરી મસ્જિદમાં મૂર્તિઓ મૂકાયા પછી નેહરુની જેમ, પટેલે પણ પંતને પત્ર લખ્યો હતો (સરદાર પટેલનો પત્રવ્યવહાર, ખંડ 9, દુર્ગા દાસ દ્વારા સંપાદિત). તેમણે કહ્યું, “વડા પ્રધાન તમને અયોધ્યાના વિકાસ અંગે ચિંતા વ્યક્ત કરતો ટેલિગ્રામ મોકલી ચૂક્યા છે. મેં લખનૌમાં તમારી સાથે આ વિશે વાત કરી હતી. મારું માનવું છે કે આ વિવાદ ખૂબ જ અયોગ્ય સમયે ઉઠાવવામાં આવ્યો છે. તાજેતરમાં વિવિધ સમુદાયો વચ્ચે પરસ્પર સંમતિ દ્વારા મુખ્ય સાંપ્રદાયિક મુદ્દાઓ ઉકેલાયા છે. મુસ્લિમોની વાત કરીએ તો, તેઓ હજુ પણ તેમની નવી વફાદારી સાથે સમાયોજિત થઈ રહ્યા છે. આપણે કહી શકીએ છીએ કે ભાગલાનો પ્રારંભિક આંચકો અને ત્યાર બાદની અનિશ્ચિતતાઓ હમણાં જ ઓછી થવા લાગી છે, અને વફાદારીમાં મોટા પાયે પરિવર્તન થવાની શક્યતા ઓછી છે. મારું માનવું છે કે આ એક એવો મુદ્દો છે જેનો ઉકેલ બંને સમુદાયો વચ્ચે પરસ્પર સમજણ અને સદ્દભાવનાથી સૌહાર્દપૂર્ણ રીતે થવો જોઈએ. હું સમજું છું કે લેવામાં આવેલા પગલાંમાં ઘણી લાગણીઓ સામેલ છે. વધુમાં, આવા મુદ્દાઓ ફક્ત ત્યારે જ શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય છે જો આપણે મુસ્લિમ સમુદાયની સંમતિને ધ્યાનમાં લઈએ. બળજબરીથી આવા વિવાદોનો ઉકેલ લાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. આવી પરિસ્થિતિઓમાં, કાયદો અને વ્યવસ્થા દળોએ દરેક કિંમતે શાંતિ જાળવી રાખવી જોઈએ. જો શાંતિપૂર્ણ અને સમજાવટભર્યા રસ્તાઓ અપનાવવા પડે, તો આક્રમકતા અથવા બળજબરી પર આધારિત કોઈ પણ એકપક્ષીય કાર્યવાહી સહન કરી શકાતી નથી. તેથી, હું દૃઢપણે માનું છું કે આ બાબતને આટલો મોટો મુદ્દો ન બનાવવો જોઈએ, અને વર્તમાન અયોગ્ય વિવાદોનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જોઈએ, અને જે બન્યું છે તેને સૌહાર્દપૂર્ણ સમાધાનમાં અવરોધ બનવા દેવો જોઈએ નહીં.”

[6] ગમે તેટલાં જૂઠ્ઠાણાં ફેલાવો પણ RSS / ભા.જ.પ.માં કદી ગાંધીજી / નેહરુ / સરદાર પટેલ જેવું નેતૃત્વ ઊભું થઈ શકવાનું નથી. કેમ કે એના માટે કટ્ટરતા મુક્ત / દંગામુક્ત / સાંપ્રદાયિકતા મુક્ત વિચારસરણી જરૂરી છે, પ્રગતિશીલતા / બિનસાંપ્રદાયિકતા / વૈજ્ઞાાનિક અભિગમ / સામાજિક ન્યાયની ભાવના / લોકતાંત્રિક માનસ જરૂરી છે. જે RSS / ભા.જ.પ. પાસે નથી. 

[7] સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગુજરાતમાં આવી સરદાર પટેલના નામે જૂઠાણાંનો મહાગોળો ફેંકે અને ગુજરાતના મીડિયા ચૂપ રહે, તેનું આશ્ચર્ય છે. ગુજરાતી ચેનલોના પત્રકારો બહુ ઓછું વાંચે છે, પરંતુ નિષ્ણાતનો ઈન્ટરવ્યૂ પણ ન કરે? સત્તાને જ ખુશ કરવાની લાલસા ! શું મીડિયાને એવો સવાલ ન થાય કે રાજનાથસિંહ, તમે અટલજીની સરકારમાં મંત્રી હતા ત્યારે કેમ કોઈ દિવસ નેહરુ વિશે જૂઠના મહાગોળા ફેંકતા ન હતા? 

[8] માની લઈએ કે નેહરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા. તો કેન્દ્રમાં મોદીજી 11 વરસથી સત્તામાં છે. તેમની પાસે બધાં જૂના દસ્તાવેજો છે, રેકોર્ડ છે, સરકારી નોંધો છે, આર્કાઇવ્સ છે. તેમાં નેહરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા તે બાબત જાહેર કરવી જોઈએ, અને નેહરુનો પર્દાફાશ કરવો જોઈએ. મોદીજીને આવો પર્દાફાશ કરતા શું નેહરુ રોકતા હશે? 

02 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘ટ્રુ સેક્યુલર’  સરદારે અયોધ્યામાં સોમનાથવાળી કેમ ન કરી, ભાઈ?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 December 2025

સરદાર 

રક્ષામંત્રી રાજનાથ સિંહનું વાગ્બાણ

નેહરુ પટેલની સ્મશાનયાત્રામાં નહોતા ગયા એવાં ગતકડાં અને ગુબ્બારા બાબતે, કાશ, રાજનાથસિંહ સહિતના વરિષ્ઠો ચાંગળુંક વિવેક કે લગરીક સંયમ કેળવી શકે!

પ્રકાશ ન. શાહ

સરદાર સાર્ધ શતાબ્દી સંદર્ભે ગુજરાતની ઊડતી મુલાકાત દરમિયાન કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે વળી એક વાગ્બાણ વીંઝ્યું છે કે જવાહરલાલ તો સરકારી ખર્ચે બાબરી મસ્જિદ ઊભી કરવાનું કહેતા હતા, પણ વલ્લભભાઈએ એમને તેમ કરતાં વાર્યા હતા, કારણ વલ્લભભાઈ ‘ટ્રુ સેક્યુલર’ હતા. 

ઉટપટાંગ વિધાનકળા તો કોઈ રાજનાથસિંહ કને શીખે. આ પહેલાં પણ એમણે એક મૌલિક સંશોધન સરાજાહેર કીધું હતું કે સાવરકરે અંગ્રેજ સરકારને માફીપત્ર લખ્યો તે ગાંધીજીની સલાહથી લખ્યો હતો. આ વિગત જેને અંગે એમને જાતજાણકારી હતી તેની ખબર ખુદ સાવરકર અગર ગાંધીને પણ નહોતી. સાવરકરના સંઘમાન્ય ચરિત્રકાર ઉદય માહુરકર હોય અગર અન્ય ચરિત્રકાર વિક્રમ સંપત હોય, આ વિગતમુદ્દે રાજનાથસિંહ તરફે એમણે લાળા ચાવ્યા વગર કોઈ પણ વિકલ્પ નહોતો. 

વાત જો કે આપણે જવાહર અને સરદારની કરતા હતા. બાબરી મસ્જિદનો પ્રશ્ન ચગ્યો અડવાણી-કાળમાં પણ એનાં બીજ 1949-50માં પડેલાં છે. એ ઢાંચામાં રાતોરાત રામલલ્લા પ્રગટ્યા હતા. આ પ્રાગટ્યના જવાબદારો અંગે તેમ મૂર્તિની પધરામણી અંગે નેહરુ અને સરદાર બંનેની ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી ગોવિંદ વલ્લભ પંત જોગ સાફ સલાહ હતી કે આવી ઘટનાને ઉત્તેજન ન મળી રહે તે જોવું જોઈએ અને તરત ઘટતી કારવાઈ કરશો. સ્થળ પર તાળાં તો મરાઈ ગયાં પણ બાકી કારવાઈ બાબતે સ્થાનિક મેજિસ્ટ્રેટની ‘સલાહ’ વધું કાંઈ ન કરવાની હતી અને પંતે નેહરુ પટેલની સલાહની ઉપરવટ જઈ ઢીલું મૂક્યું હતું. આગળ ચાલતાં પંતને ‘સલાહ’ આપનાર મેજિસ્ટ્રેટની જનસંઘમાં સમુત્ક્રાન્તિ થઈ હતી એ ઇતિહાસ દર્જ છે. ગમે તેમ પણ નેહરુ-પટેલ પત્રવ્યવહાર અને બાકી વિગતો આર્કાઇવ્ઝમાં સચવાયેલી ને સુલભ છે. હવે તો નેહરુ આર્કાઇવ્ઝ પણ ખુલ્લું મુકાયેલ છે. એમાં ક્યાં ય સરકારી ખર્ચે બાબરી નિર્માણનું નેહરુસૂચન નોંધાયેલું નથી. 

રાજનાથસિંહ ચોક્કસ સંદર્ભમાં વલ્લભભાઈને ‘ટ્રુ સેક્યુલર’ તરીકે આગળ કરવા ઇચ્છતા હોય તો એમણે એ સવાલનો જવાબ શોધવો જોઈએ કે વલ્લભભાઈએ અયોધ્યા મુદ્દે સોમનાથવાળી કેમ ન કરી. આ બે બાબત વચ્ચે પટેલને કશોક વિવેક અભિપ્રત હતો પણ એ સમજવાની તૈયારી ન તો રથી અડવાણીની હતી, ન તો એ માટેની રગ રાજનાથસિંહ કને જણાય છે. 

છતાં વલ્લભભાઈમાં એમને ‘ટ્રુ સેક્યુલર’ના દર્શન થાય જ છે. તો એમણે વલ્લભભાઈના એ વિધાનનીયે નોંધ લેવી જોઈએ કે હિંદુ રાષ્ટ્રને વલ્લભભાઈને ‘પાગલ ખયાલ’ તરીકે વર્ણવ્યો હતો. ગાંધીહત્યા પછીની તપાસ પર વલ્લભભાઈ સતત ચોંપ રાખી રહ્યા હતા અને એમનો જવાહરલાલ જોગ પત્ર પણ સચવાયેલ ને પ્રગટ થયેલ છે કે હિંદુ મહાસભાનું એક જૂથ આની પાછળ છે. મૂળે હિંદુ મહાસભાના પણ આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં સ્થાનપ્રાપ્ત શ્યામાપ્રસાદ મુખર્જીએ સંઘ પરના પ્રતિબંધનો મુદ્દો છેડ્યો ત્યારે નાયબ વડા પ્રધાન ને ગૃહ પ્રધાન પટેલે પોતાના આ કેબિનેટ સાથીને સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે સંઘ પ્રચારે જે ઝેરી હવા પ્રસારી તેમાં ગાંધીજીનો ભોગ લેવાયો. 

એ સાચું છે કે એક તબક્કે વલ્લભભાઈ સંઘ કાઁગ્રેસમાં જોડાઈ જાય એવું સૂચન કર્યું હતું. પણ એમાં જે રાજકીય ગણતરી ઉપરાંત પ્રધાન મંત્રી મુદ્દો કાઁગ્રેસના બંધારણના સ્વીકારનો અને એ રીતે સંઘની વિચારધારાના અસ્વીકારનો હતો તે બેઉના ટીકાકારો અને ટેકેદારોના ખ્યાલમાં હોવું જોઈશે. દેખીતી રીતે જ સંઘે પણ અંતર્ગત અલગ નહીં એ ધોરણે જોડાવાનું રહે. 

વસ્તુતઃ સ્વરાજસંક્રાન્તિમાં ગાંધી-નેહરુ-પટેલ વચ્ચેના સહજ મતભેદો છતાં એ નાજુક નિર્ણાયક પળોમાં છેવટે તો તે ત્રિપુટી તરીકે જ ઊપસી રહેલાં માલૂમ પડે છે. એમને એકમેકની સામે મૂકીને જોવાતપાસવાનું સ્વતંત્ર અધ્યયનનો વિષય હોઈ શકે, પણ એમને એકબીજાથી જુદા પાડી પોતે જે સંગ્રામમાં નહોતા એની સાથે પશ્ચાદ્વર્તી ધોરણે જોડાઈ જવાની લાયમાં આ ઉધામો શા માટે. મોરારજી પ્રધાનમંડળમાં ભાગીદારી, અટલબિહારી વાજપેયીના છ વરસ અને મોદી શાસનના સુવાંગ અગિયાર વરસ પછી પ્રત્યક્ષ કામગીરીને ધોરણે વાત કરવાનો અભિગમ ભા.જ.પ. અન દેશ બેઉને સારુ પથ્ય થઈ પડશે, તેમ કહેવું એ વાસ્તવ કથન માત્ર છે. 

ભગતસિંહ કહો, નેતાજી કહો, કોઈને પરબારા ઓળવી શકવાની વાસ્તવિક ગુંજાશ ભા.જ.પ. સહિંતના સંઘ પરિવાર સમગ્રમાં નથી. ભાગવતનાં વિજ્ઞાન ભવન વ્યાખ્યાનો બહુ ગાજ્યાં, પણ ગુરુજી સમગ્ર સહિતના એના સ્થાપિત સાહિત્ય અને આ વ્યાખ્યાનોના કેટલાક વિગતમુદ્દા વચ્ચે છત્રીસનો સંબંધ છે તે છે. જવાહરલાલ વલ્લભભાઈની સ્મશાનયાત્રામાં નહોતા ગયા, એવા ગતકડાં ને ગુબ્બારાથી ઊઠીને વાત કરવાનો તકાજો આ તો છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 03 ડિસેમ્બર 2025

Loading

જો અને તો : છેતરપિંડીની એક ઐતિહાસિક રમત 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|3 December 2025

હેમન્તકુમાર શાહ

અત્યારે ઢોલ પીટીને વારંવાર એમ કહેવામાં આવે છે કે જવાહરલાલ નેહરુને બદલે સરદાર પટેલ વડા પ્રધાન થયા હોત તો સારું થાત. સરદાર પ્રથમ વડા પ્રધાન થયા હોત તો દેશની સીકલ કંઈક જુદી જ હોત એવું કહેવામાં આવે છે.

તો ચાલો, હવે એમ પણ કહીએ કે :

(૧) ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને બદલે લાલકૃષ્ણ અડવાણી વડા પ્રધાન થયા હોત તો ઘણું સારું થાત અને દેશની સીકલ કંઈક જુદી જ હોત.

અથવા

(૨) ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને બદલે મુરલી મનોહર જોષી દેશના વડા પ્રધાન થયા હોત તો કેટલું સારું થયું હોત! 

અથવા

(૩) અટલબિહારી વાજપેયી શારીરિક રીતે સશક્ત હોત અને તેઓ જ ફરી ૨૦૧૪માં વડા પ્રધાન થયા હોત તો આવા હળાહળ જૂઠું બેફામ બોલનારા વડા પ્રધાન મળ્યા જ ન હોત.

અથવા

(૪) નરેન્દ્ર મોદી વડા પ્રધાન થયા જ ન હોત અને ભા.જ.પ.માંથી પણ કોઈ વડા પ્રધાન થયું જ ન હોત તો કેટલું બધું સારું થાત! 

અને 

જવાહરલાલ નેહરુએ કોઈ માર્ગદર્શક મંડળ બનાવ્યું નહોતું અને પોતાનાથી ૧૫ વર્ષ મોટા સરદાર પટેલને એમાં હાલ જેમને બંધ વખારમાં નાખવામાં આવ્યા છે તેમ ધકેલી દીધા નહોતા! 

નરેન્દ્ર મોદીએ એ માર્ગદર્શક મંડળની કઈ વ્યક્તિ પાસેથી કેટલું અને કયું માર્ગદર્શન લીધું એની તો કંઈ ખબર જ નથી. કયો માર્ગ કયા દર્શન સાથે એમની જાણ બહાર પકડ્યો એની તો બધી જ ખબર છે! 

ઇતિહાસ કંઈ જો અને તો પર ચાલતો નથી. એ તો નક્કર હકીકતોને આધારે ચાલે છે. 

હવે વિચારો કે, 

નરેન્દ્ર મોદી જો વડા પ્રધાન થયા જ ન હોત તો દેશમાં કેટલાં બધાં ગંદાં, નકામાં, ખર્ચાળ, વાહિયાત કામો થયાં જ ન હોત. જેમ કે, દેશ જૂઠાણા અને નફરતને આધારે આજે ચાલે છે તેમ ચાલતો જ ન હોત, અરુણાચલ પ્રદેશમાં ચીને આખું ગામ વસાવી દીધું ન હોત, દેશ કંઈ અદાણી અને અંબાણીને વેચાઈ ગયો ન હોત …….. વગેરે વગેરે.  

ચાલો, જો અને તો રમત જરા લાંબી રમીએ …..

બાબર ત્યારના ભારતમાં, જો કે તે સમયે ભારત હતું જ નહીં, આવ્યો જ ન હોત અને બાબરી મસ્જિદ બની જ ન હોત તો ભા.જ.પ. ક્યાં હોત …

અને હા …

સરદાર પટેલ વડા પ્રધાન થયા હોત તો …..

સરદારે જાતે જ કંઈ બધાં દેશી રજવાડાં ભેગાં કરીને ભારત દેશ બનાવ્યો જ ન હોત અને તેમના કોઈક બીજા ગૃહ પ્રધાને એ કામ કર્યું હોત …..

તો નર્મદાને કિનારે એમનું પૂતળું બન્યું ન હોત?

ઇતિહાસની આ રમતમાં અંચઈ છે, છેતરપિંડી છે; એ વર્તમાનમાં જે કંઈ થઈ રહ્યું છે તેને વિશે કશું નહીં વિચારવા દઈને નાગરિકોના મોંમાં ઇતિહાસના ચણામમરા ભરી દેવાની એ રમત છે, એ રમવા જેવી છે જ નહિ. એ તાનાશાહીનો ખેલ છે, એ શુદ્ધ લોકશાહીની રમત છે જ નહીં. 

તા.૦૩-૧૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...164165166167...170180190...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved