Opinion Magazine
Number of visits: 10080943
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !

રમેશ સવાણી|Opinion - Opinion|11 December 2025

રમેશ સવાણી

2030માં કૉમનવેલ્થ રમતોત્સવને 100 વર્ષ પૂર્ણ થશે. 26 નવેમ્બર 2025ના રોજ, કૉમનવેલ્થ ગેમ્સ જનરલ એસેમ્બલીની બેઠક મળી હતી, જેમાં અમદાવાદ શહેરને વર્ષ 2030નું યજમાનપદ સોંપવાની સર્વાનુમતે ઔપચારિક જાહેરાત કરાઈ હતી. ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું એક પ્રતિનિધિમંડળ સ્કૉટલૅન્ડના ગ્લાસગો ખાતે પહોંચ્યું હતું.

વર્ષ 2010માં દિલ્હી ખાતે કૉમનવેલ્થ રમતોત્સવનું આયોજન થયું હતું. આ પહેલાં આવતાં વર્ષે ગ્લાસગો ખાતે જ આ ખેલ મહાકુંભ યોજાશે. આ ખેલ મહોત્સવ દર ચાર વર્ષે આયોજિત કરવામાં આવે છે. બ્રિટિશરાજ હેઠળ આવતાં દેશો એટલે કે કૉમનવેલ્થ નૅશન્સ માટે આ રમતોત્સવ થતો હોવાથી તે કૉમનવેલ્થ ગૅમ્સ તરીકે ઓળખાય છે. જેમાં 74 દેશો અને વિસ્તારો ભાગ લે છે. કૉમનવેલ્થ ગૅમ્સમાં દોડવીર મિલ્ખાસિંહે ભારતને પ્રથમ વખત સુવર્ણપદક અપાવ્યો હતો. ભારત અત્યાર સુધીમાં કૉમનવેલ્થ રમતોમાં 500થી વધુ પદક જીતી ચૂક્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર લખ્યું હતું : “કૉમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ ભારતને મળ્યું છે, તે જાણીને ખુશી થઈ છે ! ભારતવાસીઓ તથા દેશની સ્પૉર્ટિંગ ઇકૉસિસ્ટમને અભિનંદન. આપણા સહિયારા સંકલ્પ અને ખેલદિલીની ભાવનાએ ભારતને દૃઢ રીતે વૈશ્વિક રમત નકશા પર મૂક્યું છે. વસુધૈવ કુટુંબકમ્‌ની વિભાવના સાથે અમે આ ઐતિહાસિક રમતોને ભારે ઉત્સાહ સાથે ઉજવવા માટે સજ્જ છીએ. અમે વિશ્વને આવકારવા સજ્જ છીએ !”

ગૃહ મંત્રી અમિત શાહ કહે છે : ”અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ભારતે પ્રતિષ્ઠિત બીડ જીતી તે બદલ દરેક નાગરિકને અભિનંદન. આ ભારતને વૈશ્વિક રમતગમતના કેન્દ્રમાં ફેરવવાના વડા પ્રધાનના વિઝનનો પુરાવો છે. વડા પ્રધાન મોદીએ વિશ્વસ્તરીય રમતગમત માળખાનો વિકાસ કર્યો છે. આપણા રાષ્ટ્રની ક્ષમતાઓને વધારી છે.”

7 ડિસેમ્બર 2025ના રોજ ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં કહ્યું હતું : “વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનવા સાથે સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાઓ થકી કોમનવેલ્થ 2030 / 2029માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડ જવાનોની રમત / 2036માં ઓલમ્પિક માટે અમદાવાદે તૈયારી કરી છે.”

ભા.જ.પ.ના નેતાઓ અને અંધભક્તો કહે છે કે “આપણા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત ગ્લોબલ સ્પોર્ટ્સ કેપિટલ બનશે !”

વર્ષ 2030 માટે નાઇજીરિયાનું અબુજા શહેર પણ સ્પર્ધામાં હતું. વર્ષ 2024માં ઑસ્ટ્રેલિયાના વિક્ટૉરિયા રાજ્યે કૉમનવેલ્થના આયોજનમાંથી હાથ પાછા ખેંચી લીધા હતા. એ પછી સ્કૉટલૅન્ડનું ગ્લાસગો શહેર વર્ષ 2026નો ખેલ મહોત્સવ આયોજિત કરવા આગળ આવ્યું હતું.

થોડા મુદ્દાઓ :

[1] ‘ભારતે પ્રતિષ્ઠિત બીડ જીતી તે બદલ દરેક નાગરિકને અભિનંદન’ની વાત પાછળનું રહસ્ય એ છે કે ‘કૉમનવેલ્થ ગેમ્સ 2030’ના યજમાનપદ માટે 74 દેશો વચ્ચે સ્પર્ધા ન હતી. માત્ર નાઇજીરિયાનું અબુજા શહેર પણ સ્પર્ધામાં હતું. એટલે મોટી જીત મેળવી છે એ ભ્રમ છે. વળી આમાં દરેક નાગરિકને અભિનંદન શા માટે? આ રહસ્યમય પ્રશ્ન છે. શું અમિત શાહ નાગરિકોને ગેરમાર્ગે દોરતા નથી? કૉમનવેલ્થ ગેમ્સથી નાગરિકોને શું ફાયદો થવાનો છે? જે ફાયદો થવાનો છે તે સત્તાપક્ષના નેતાઓને થવાનો છે, જેમની જમીનો અમદાવાદના સિંધુ ભવનથી લઈ સાણંદ સુધી છે. બિલ્ડર્સ / રિયલ એસ્ટેટમાં કાળાં નાણાંનું રોકાણ કરનારા / કોમર્શિયલ સેક્ટરમાં રોકાણ કરનારાઓ / ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ વગેરેને ગજબનો ફાયદો થશે. 

[2] ‘વડા પ્રધાન મોદીએ વિશ્વસ્તરીય રમતગમત માળખાનો વિકાસ કર્યો છે’ આ તદ્દન જૂઠ છે. વડા પ્રધાનને રમત પ્રત્યે કે ખેલાડીઓ પ્રત્યે કોઈ રસ નથી. મેડલ વિજેતા ખેલાડીઓ સાથે ફોટો પડાવી જીતનો જશ લઈ લે છે. રમતગમત ક્ષેત્રે વિશ્વમાં ભારતને ગૌરવ અપાવનાર મહિલા ખેલાડીઓ સાથે મોદીજીએ કેવો વર્તાવ કર્યો હતો, તે આરંભ જાણીએ છીએ. ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની નિયમિત ભરતી કરવામાં આવી નથી, જેનાથી હજારો ખેલ શિક્ષકો અને ખેલ સહાયકો હાલાકી ભોગવી રહ્યા છે. અંદાજે 3,100થી વધુ ખેલ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. SAT-સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ પાસ કરી હોય તેવા ખેલ શિક્ષકો રોજમદાર તરીકે રાખવામાં આવે છે. સરકારને ખેલ શિક્ષકોમાં રુચિ નથી પણ કૉમનવેલ્થ ગેમ્સમાં રુચિ છે ! સમજાય છે?

[3] કૉમનવેલ્થ ગેમ્સ માટે કેમ કોઈ તૈયાર થતાં નથી? આ અતિ મોંઘો મહોત્સવ છે. કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે વ્યાપક માળખાગત સુવિધાઓ અને વ્યવસ્થાઓની જરૂર પડે છે, જે નોંધપાત્ર નાણાંકીય બોજ ઊભો કરે છે. એટલું જ નહીં આ સુવિધાઓ ઊભી કરવામાં મોટો ભ્રષ્ટાચાર પણ થાય છે. કોમનવેલ્થ ગેમ્સમાં કોઈને હવે રસ નથી. તેને ગુલામીનું પ્રતિક છે માનવામાં આવે છે.

[4] મોદીજી કહે છે : ‘ભારતવાસીઓ તથા દેશની સ્પૉર્ટિંગ ઇકૉસિસ્ટમને અભિનંદન.’ પરંતુ કૉમનવેલ્થ ગેમ્સથી ભારત-ગુજરાત-અમદાવાદના નાગરિકોને ફાયદો થશે? ના, બિલકુલ નહીં થાય. ઊલટાની હેરાનગતિ થશે. 74 દેશમાંથી ખેલાડીઓ / મેનેજર / મહાનુભાવો આવશે. તેમને ગુજરાતનો વિકાસ દેખાડવો પડશે. એટલે અમદાવાદ શહેર તથા અન્ય શહેરોને રંગવા પડશે, સુશોભિત કરવા કરોડો રૂપિયા ખર્ચ કરવો પડશે ! ગરીબો ક્યાં ય ન દેખાય તે માટે લાંબી લાંબી અને ઊંચી દીવાલો ઊભી કરવી પડશે ! રોશની કરવી પડશે ! નૃત્ય મંડળો ઊતારવા પડશે ! સફાઈના કોન્ટ્રાક્ટ આપવા પડશે ! ભોજન સમારંભો યોજાશે ! બધા ખેલાડીઓને / મહાનુભાવોને સ્ટેચ્યુ ઑફ યુનિટી દેખાડવું પડશે ! આ માટે કરોડો-કરોડો-કરોડો રૂપિયા બેફામ વપરાશે ! આ બધો ખર્ચ; ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી GST / પેટ્રોલ, ડીઝલ પરના ટેક્સમાંથી એકત્ર કરેલ નાણાંમાંથી થશે ! વડા પ્રધાન કે ગૃહ પ્રધાન પોતાના ખિસ્સામાંથી એક રૂપિયો ખર્ચવાના નથી ! કૉમનવેલ્થ ગેમ્સ ચાલે ત્યાં સુધી સ્લમનિવાસી / ઝૂંપડપટ્ટી નિવાસી / છૂટક મજૂરી કરનારા / વંચિતો પર તવાઈ આવશે. શાકભાજીની રેંકડી / ખુમચાવાળાએ ભૂખ્યા રહેવું પડશે કેમ કે ટ્રાફિક પોલીસ તેમને રસ્તા પર આવવા જ નહીં દે ! 

[5] આ ગેમ્સથી 100% ફાયદો માલેતુજારોને, કાળાં નાણાં વાળાને થવાનો છે. સામાન્ય લોકોને હાલાકી ભોગવવી પડશે. 2001થી આ સરકારે એવી શાળાઓને / કોલેજોને માન્યતા આપી છે જ્યાં પ્લેગ્રાઉન્ડ જ નથી ! ગેમ્સ પ્રત્યે લગાવ હોય તો તેમની નીતિઓમાં દેખાય કે નહીં?

[6] ‘નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત ગ્લોબલ સ્પોર્ટ્સ કેપિટલ બનશે’ એવું જેમને લાગતું હોય તેમણે ચિંતન કરવાની જરૂર છે. આ કૉમનવેલ્થ ગેમ્સ રાજાશાહી માહોલ ઊભો કરશે. જેમાં નાગરિકો પ્રજા બની જશે. નેતાઓ રાજા બનશે ! જેમની પાસે કાળાં નાણાં છે / શોષણના નાણાં છે તેઓ ગેમ્સ નિહાળશે અને મોજ મજા કરશે. સત્તાપક્ષના નેતાઓ / બિલ્ડર્સ / રિયલ એસ્ટેટ બ્રોકર્સ / ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ વગેરે એટલાં નાણાં કમાશે કે તેને વિદેશમાં સંગ્રહ કરવાની ચિંતામાં મૂકાઈ જશે ! કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !

 [કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય]
10 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ

સોનલ પરીખ|Opinion - Opinion|11 December 2025

‘વો સચ હી કયા જિસકે પીછે શિવમ્‌ નહીં, સુંદરમ્‌ નહીં, જિસસે કિસીકો ઠેસ પહૂંચે?’ 

‘યે બુઝદિલોં કી સોચ હૈ. સચ બોલનેવાલે કો અગર દુ:ખ સહને કી શક્તિ હૈ તો દુ:ખ દેને કી હિંમત ભી હોની ચાહિયે. સચ્ચાઈ અંગારે કી તરહ હૈ. હાથ પર રખો ઔર હાથ ન જલે ઐસા કૈસે હો સકતા હૈ?’

યાદ છે 1969ની ફિલ્મ ‘સત્યકામ’?  

‘ઈશ્વર એટલે સત્ય, વિવેક અને નિર્ભયતા’ ગાંધીજીની આ ઉક્તિ સાથે ‘સત્યકામ’ ફિલ્મના ટાઈટલ્સ શરૂ થાય છે. એ પછી કથક છંદોગ્ય ઉપનિષદમાં આવતી કથા સંભળાવે છે : એક બાળક ગૌતમ મુનિ પાસે આવી પોતાને એમનો શિષ્ય બનાવવા વિનંતી કરે છે. મુનિ પૂછે છે, ‘વત્સ, તારું ગોત્ર કયું?’ બાળક કહે છે, ‘મારી મા જબાલા એક દાસી હતી. તેણે ઘણા લોકોની સેવા કરી હતી. મારા પિતા અને મારા ગોત્રની તેને જાણ નથી.’ તેના નિર્ભય નિર્ભેળ સત્યથી પ્રસન્ન થઈ મુનિ કહે છે, ‘બેટા, તારું નામ આજથી સત્યકામ જાબાલ. તારું ગોત્ર સત્યગોત્ર.’ 

આજે આવા નિર્ભય નિર્ભેળ સત્ય, પ્રામાણિકતા અને ન્યાયનો આગ્રહ લઇ કોઈ યુવાન જીવનમાં પગ મૂકે તો શું થાય? ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જી બંને જેને પોતાની શ્રેષ્ઠ ફિલ્મ ગણે છે એ ‘સત્યકામ’ આવા જ એક યુવાનની કહાણી છે. ફિલ્મ અર્થપૂર્ણ તો હતી જ, સાથે અભિનય, માવજત અને કલાની રીતે પણ ખરી ઊતરે એવી હતી, છતાં રાજ કપૂરની ‘મેરા નામ જોકર’ અને શૈલેન્દ્રની ‘તીસરી કસમ’ની જેમ એ પણ બોક્સઓફિસ પર સારો દેખાવ ન કરી શકી અને પછીથી ક્લાસિક ગણાઈ.

તો, સંજીવકુમારના નેરેશન સાથે ફિલ્મ શરૂ થાય છે. સત્યકામ જાબાલની વાર્તા કહ્યા પછી 1946નું દૃશ્ય ખૂલે છે. સત્યપ્રિય (ધર્મેન્દ્ર) અને નરેન (સંજીવકુમાર) સ્વતંત્ર દેશનું સ્વપ્ન જોતાં એન્જિનયર બને છે અને પોતપોતાનાં માર્ગે જાય છે. સત્યપ્રિયનાં માતાપિતા નથી. ગુરુકૂળ ચલાવતા દાદાજી(અશોકકુમાર)એ આપેલાં સિદ્ધાંતો અને સત્યપ્રેમ એની મૂડી છે. 

દેશ આઝાદ થાય છે. એક પ્રોજેક્ટ લઈને સત્યપ્રિય ભવાનીપુર જાય છે. ત્યાં તેને રંજના (શર્મિલા ટાગોર) મળે છે. 19 વર્ષની સુંદર અને ભલીભોળી રંજના મુશ્કેલીમાં છે. એ એક ડ્રાઈવર સાથે ભાગી ગયેલી બદનામ સ્ત્રીની દીકરી છે. કહેવાતો બાપ દારૂડિયો અને હલકો છે અને ભવાનીપુરના અપલક્ષણા પ્રિન્સ સાથે રંજનાનો સોદો કરવા તત્પર છે. પણ રંજનાને ગમી ગયો છે સોહામણો ને સજ્જન સત્યપ્રિય. સત્યપ્રિયને રંજના માટે કૂણી લાગણી છે, એ પ્રિન્સના પંજામાંથી બચી જાય અને કોઈ સારા યુવાન સાથે એનાં લગ્ન થાય એમ ઇચ્છે છે ખરો, પણ જ્યારે રંજના તેને ભલે નોકરાણી તરીકે પણ સાથે લઈ જવા વિનવે છે ત્યારે એ અચકાઈ જાય છે. એ રાતે રંજના પ્રિન્સનો શિકાર બને છે. વ્યથિત અને અપરાધભાવ અનુભવતો સત્યપ્રિય રંજના સાથે લગ્ન કરે છે અને ત્યારથી દુનિયા સાથેનો તેનો અંતહીન સંઘર્ષ શરૂ થાય છે. 

સત્યપ્રિય દાદાજીથી કશું છુપાવતો નથી. કુલાભિમાની દાદાજી બદનામ અને કોઈ બીજાના બાળકની મા એવી સ્ત્રીને કુલવધૂ તરીકે સ્વીકારતા નથી. હોનહાર અને મહેનતુ સત્યપ્રિય સત્ય અને ન્યાયના આગ્રહને કારણે એક પછી એક નોકરીઓ ગુમાવતો જાય છે. ઉપરીઓ અને સહકર્મીઓ કહે છે, ‘બડા બદમાશ ઔર પાજી આદમી હૈ, રિશ્વત લેતા હી નહીં.’ નરેન તેને થોડું સમાધાન કરી લેવા કહે છે ત્યારે સત્યપ્રિય કહે છે, ‘કોમ્પ્રોમાઇઝ હી કરપ્શન કા દૂસરા નામ હૈ.’ ભ્રષ્ટાચારથી ખદબદતી દુનિયામાં સત્યને વળગી રહેવા બદલ પગલે પગલે મોટી કિંમત ચૂકવતો સત્ય પોતાની સ્વાભાવિક ઉષ્મા, શાંતિ અને પ્રસન્નતા ગુમાવતો ધીરે ધીરે કડવો, તીખો, આળો અને જિદ્દી બનતો જાય છે. એનું મન ધૂંધવાતું રહે છે. આખરે શરીર પણ જવાબ દઈ દે છે ને એ કેન્સરથી મૃત્યુ પામે છે. 

અંતિમ ઘડીએ દાદાજી આવે છે. વાચા ગુમાવી બેઠેલા સત્યપ્રિયને ‘આત્મા હણાતો નથી’ કહી વિદાય આપે છે. ત્યાર પછી તેના મૃતદેહને પોતે જ મુખાગ્નિ આપે છે અને શ્રાદ્ધમાં પણ ‘સત્યનો દીકરો બહુ નાનો છે’ કહી પોતે બેસશે એમ જણાવે છે ત્યારે આઠનવ વર્ષનો બાળક ગુસ્સે થઈને કહે છે, ‘જૂઠું ન બોલો. હું પિતાજીનો સાચો દીકરો નથી એટલે આ બધું ન કરી શકું એમ કેમ કહેતા નથી?’ ‘તને આવું કોણે કહ્યું?’ નવાઈ પામીને દાદાજી પૂછે છે. બાળક કહે છે, ‘મારી માએ.’ અને દાદાજી સ્તબ્ધ થઈ જાય છે. સત્યનું આવું સહજ, આવું નિર્ભય રૂપ ..! એ કહે છે, ‘લોકલાજ કે કારન આજ જીવન મેં પહલી બાર મૈં સત્યભ્રષ્ટ હુઆ, ઔર ઈસે એક માંને નિ:સંકોચ કહ દિયા? જિસે નીચ કુલકી સમઝકર મૈંને ઘર મેં આને નહીં દિયા થા ઉસીને આજ મુઝે સમજાયા હૈ કિ સત્ય બોલને કા અહંકાર નહીં, સત્ય બોલને કા સાહસ હોના ચાહિયે, ચાહે વહ કિતના હી અપ્રિય, કિતના હી કઠોર ક્યોં ન હો!’ અને ‘ખૂન સે વંશ કી પરંપરા નહીં ચાલતી. જો વિશ્વાસ કા વહન કરતે હૈં વહી વંશ ચલાતે હૈ.’ બાળકને ‘સત્યકામ’ તરીકે સંબોધી દાદાજી બંનેને પોતાની સાથે લઇ જાય છે એ દૃશ્ય સાથે ફિલ્મ પૂરી થાય છે. 

‘અનુપમા’ 1966માં આવી. એ જ વર્ષે ઇન્દિરા ગાંધી દેશના વડાં પ્રધાન બન્યાં. ભ્રષ્ટાચારે માઝા મૂકી. નહેરુવિયન આઈડિયાલિઝમ તો ક્યારનું ભૂતકાળ બની ગયું હતું. આવા વાતાવરણ વચ્ચે સત્ય અને ન્યાયને લઈ જીવવા માગતા યુવાનની વાત લઇ એમણે ‘સત્યકામ’ બનાવી. ‘અનુપમા’ ટીમના મોટાં ભાગના સભ્યો એમાં હતા. ફિલ્મને મળેલા ઠંડા આવકાર પછી ઋષિકેશ મુખરજીએ કહ્યું, ‘ભ્રષ્ટાચાર આપણને સદી ગયો છે. હવે હસવા સિવાય બીજું કઈં કરી શકાય એમ નથી.’ ત્યાર પછી તેઓ હળવી અને રમૂજી ફિલ્મો તરફ વળ્યા. પણ ‘સત્યકામ’ને તેમણે હંમેશાં પોતાની શ્રેષ્ઠ ફિલ્મ કહી. ધર્મેન્દ્રએ પણ ‘સત્યકામ’ને પોતાની શ્રેષ્ઠ ફિલ્મ ગણી છે. 

બંગાળના પ્રસિદ્ધ લેખક નારાયણ સાન્યાલની નવલકથા પરથી ‘સત્યકામ’ બની હતી. 1971માં આ ફિલ્મની તમિલ રિમેક ‘પુનગાઈ’ બની જેમાં ધર્મેન્દ્રની ભૂમિકા જેમિની ગણેશન(રેખાના પિતા)એ કરી હતી. એ ફિલ્મ પણ ‘સત્યકામ’ની જેમ નિષ્ફળ નીવડી હતી ને પછીથી ક્લાસિક ગણાઈ હતી. 

‘સત્યકામ’ના સંવાદો રાજેન્દ્રસિંહ બેદીએ લખ્યા હતા. આ ખ્યાતનામ લેખકે ઋષિકેશ મુખરજીની ચાર ફિલ્મોના સંવાદો લખ્યાં હતા, ‘અનુરાધા’, ‘અનુપમા’, ‘સત્યકામ’ અને ‘અભિમાન’. ‘સત્યકામ’ના સંવાદ માટે એમને ઍવોર્ડ મળ્યો હતો. એક પ્રસંગે નરેન કહે છે, ‘વો સચ હી કયા જિસકે પીછે શિવમ્‌ નહીં, સુંદરમ્‌ નહીં, જિસસે કિસીકો ઠેસ પહૂંચે?’ ત્યારે સત્ય કહે છે, ‘યે બુઝદિલોં કી સોચ હૈ. સચ બોલનેવાલે કો અગર દુ:ખ સહને કી શક્તિ હૈ તો દુ:ખ દેને કી હિંમત ભી હોની ચાહિયે. સચ્ચાઈ અંગારે કી તરહ હૈ. હાથ પર રખો ઔર હાથ ન જલે ઐસા કૈસે હો સકતા હૈ?’ એક વાર કહે છે, ‘જિસે સઝા દેને કા હક હૈ ઉસમેં રક્ષા કરને ઔર પાલને કી તાકત ભી હોની ચાહિયે.’

વિટંબણા અંગત જીવનમાં પણ છે. એક જ સંવાદ – અને આપણે જાણવા પામીએ છીએ કે સત્યપ્રિયએ પત્નીને પ્રેમ કર્યો છે, પણ તેની સાથે અંતરંગ ક્ષણો નથી માણી. કારણ – તેનામાંનો પરંપરિત પુરુષ. રંજના એક વાર વેદનાપૂર્વક કહી બેસે છે, ‘ક્યા મૈં નહીં જાનતી, જબ તુમ મેરે કરીબ આતે હો, મુઝે બાહોં મેં લેના ચાહતે હો તો કૌન આ જાતા હે હમારે બીચ? મૈં અપની પિછલી ઝિંદગી કો ભૂલના ચાહતી હૂં પર તુમ ..’ કેટલી મોટી વાત કેટલી સાદગી, કેટલી ગરિમા સાથે કહી બતાવી છે! 

આ સત્યપ્રિય. એના પાત્રની દરેક મથામણને ધર્મેન્દ્રએ ખૂબ સંયમિત રીતે વ્યક્ત કરી છે. ‘સત્યકામ’ આજે પણ જોવી ગમે અને આજે પણ વિચાર કરવા પ્રેરે. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 30 નવેમ્બર  2025

Loading

નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 December 2025

રાજ ગોસ્વામી

ગઈ છઠ્ઠી નવેમ્બરે, કમલ હાસન અભિનીત અને મણિરત્નમ્‌ નિર્દેશિત તમિલ ફિલ્મ ‘નાયકન’(નાયક)ને સિનેમા થિયેટરોમાં ફરીથી રિલીઝ કરવામાં આવી. 38 વર્ષ થઇ ગયાં. 1987માં દર્શકોએ ‘નાયકન’ને થિયેટરમાં જોઈ હતી. ફિલ્મ એટલી જબરદસ્ત હિટ થઇ કે બીજા જ વર્ષે, 1988માં, ફિરોઝ ખાને તેને ‘દયાવાન’ નામથી હિન્દીમાં બનાવી હતી. ફિલ્મે તે વખતે ખૂબ ઉત્કંઠા અને અપેક્ષા જગાવી હતી, પરંતુ ‘નાયકન’ના મનોવૈજ્ઞાનિક પાસાને નબળું પાડી દઈને. તેને મસાલાથી ભરપુર અન્ડરવર્લ્ડની માફિયા કહાની બનાવવા જતાં ‘દયાવાન’ ‘નાયકન’ની એક નબળી કોપી બનીને રહી ગઈ હતી. 

આજે આ બંને ફિલ્મોના દર્શકો એક પેઢી આગળ જતા રહ્યા છે. તેમના સ્થાને ફિલ્મ ચાહકોની એક નવી પેઢી મોટી થઇ ગઈ છે. તેને ન તો ‘નાયકન’ વિશે ખબર હશે, ન તો ‘દયાવાન’ વિશે. કદાચ એટલે જ ‘નાયકન’ને આજના દર્શકો માટે રિલીઝ કરવામાં આવી છે. એમ તો ‘દયાવાન’ને ભૂલી જઈને કોઈએ ‘નાયકન’ને નવેસરથી અને આજના સમયને અનુરૂપ હિન્દીમાં બનાવવી જોઈએ. આમ પણ, સારી ફિલ્મોનો દુકાળ પડ્યો છે એટલે તો જૂની ફિલ્મો ફરીથી રિલીઝ કરવામાં આવી રહી છે.

21 ઓક્ટોબર 1987ના રોજ જ્યારે તમિલમાં ‘નાયકન’ રિલીઝ થઈ, ત્યારે દક્ષિણ ભારતીય સિનેમામાં નવી લહેર ઊઠી હતી. આ ફિલ્મ મુંબઈના પ્રસિદ્ધ તમિલિયન ડોન વર્દરાજન મુદ્દલિયાર ઉર્ફે વર્દાભાઈના જીવન પર આધારિત હતી. એ કોઈ આમ ટપોરી છાપ ગુંડો નહોતો. ફિલ્મમાં તેને અત્યંત માનવીય રીતે અને ઊંડાણથી રજૂ કરવામાં આવ્યો હતો. 

કમલ હાસને તેને પૂરો ન્યાય આપ્યો હતો. ચાર દાયકાઓ પછી આજે પણ ‘નાયકન’ને ભારતીય અપરાધ સિનેમાની સૌથી મહત્ત્વપૂર્ણ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. આ ફિલ્મે કમલ હાસનને રાષ્ટ્રીય પુરસ્કાર અપાવ્યો હતો. આ ફિલ્મના કારણે જ રામ ગોપાલ વર્માની ‘સત્યા’ અને ‘કંપની’ જેવી માફિયા ફિલ્મોની જમીન તૈયાર થઇ હતી.

‘નાયકન’ની સૌથી મોટી વિશેષતા એ છે કે તેણે અપરાધ જગતને માત્ર સનસનાટીપૂર્ણ દેખાડ્યું નહોતું, પરંતુ તેની અંદરની એકલતા, સામાજિક સંઘર્ષ અને નૈતિક મૂંઝવણો ઉજાગર કરી હતી. ફિલ્મની વાર્તા એક લાઈનમાં એટલી જ હતી કે વેલુ નાઈકર નામનો છોકરો પોલીસના હાથે તેના પિતાની હત્યા થતી જુવે છે અને તે ઇન્સ્પેકટરનું ખૂન કરીને મુંબઈ ભાગી જાય છે અને ત્યાં ડોન બની જાય છે. 

મુંબઈના ધારાવીમાં તમિલ બસ્તી વચ્ચે મોટા થયેલા વેલુનો અપરાધી બનવાનો માર્ગ કોઈ સુંવાળી યાત્રા નહોતો, પરંતુ પરિસ્થિતિઓથી ઘડાયેલી ઉબડ-ખાબડ સફર હતી. મણિરત્નમે આ વાર્તાને હોલિવૂડની ફિલ્મ ‘ધ ગોડફાધર’ પરથી પ્રેરણા લઈને બનાવી હતી, પરંતુ તેને સંપૂર્ણ રીતે ભારતીય સામાજિક સંદર્ભમાં ગોઠવી હતી. આ સંવેદનશીલતા જ ફિલ્મને અપરાધ-આધારિત સિનેમાની ઘીસી-પીટી ફોર્મ્યુલાઓથી અલગ બનાવે છે.

વેલુ નાયકરની ભૂમિકામાં કમલ હાસનની અભિનય શક્તિને આજે પણ એક આદર્શ ઉદાહરણ માનવામાં આવે છે કે કેવી રીતે એક કલાકાર પોતાની ઉંમર, સમય અને અનુભવને તેના શરીર અને અવાજની ભાષામાં ઢાળી શકે છે. ફિલ્મમાં વેલુ યુવાવયથી વૃદ્ધાવસ્થા સુધીની મુસાફરી કરે છે, અને તે માટે હાસને મેકઅપનો લગભગ ઉપયોગ કર્યો નહોતો. ઉમર વધવાનો અનુભવ તેના ધીમે-ધીમે ચાલવામાં, ઓછુ બોલવામાં અને ચહેરાના ભાવોથી રજૂ થાય છે.

કમલ હાસને આ ભૂમિકાની તૈયારી માટે મુંબઈના તમિલ વિસ્તારોમાં જઈને સમય વિતાવ્યો હતો અને ઘરડા થઇ ગયેલા ચોર લોકોની આદતો, ચાલ-ચલન અને વાતચીત કરવાની રીતમાંથી વેલુનું વ્યક્તિત્વ બનાવ્યું હતું. એમ તો તેમના પરફોર્મન્સમાં ‘ધ ગોડફાધર’ના અલ પચિનોના શાંત અને કાબૂવાળા માઇકલ કૉર્લિઓનની ઝલક મળે છે, પરંતુ વેલુ પ્રમાણમાં વધુ ભાવુક અને દયાળુ છે, જે તેને એક વિશિષ્ટ ડોન બનાવે છે.

કથાના કેન્દ્રમાં વેલુનો સંઘર્ષ છે – સામાજિક અન્યાય સામે લડતાં-લડતાં તે સ્વયં એ જ હિંસા અને ભ્રષ્ટ ધોરણનો હિસ્સો બની જાય છે. તે ‘બહારવાળા’ની ઓળખ સાથે ઊભો છે, રાજ્યની નીતિઓથી પીડિત છે, પોતાના બાળકોથી દૂર જતો જાય છે, અને અંતે હિંસાના એ જ પ્રવાહમાં વહી જાય છે જેને તે રોકવા માંગતો હતો. ફિલ્મના અંતિમ દૃશ્યમાં એક નાનો છોકરો વેલુની હત્યા કરે છે તે સૂચવે છે કે હિંસાનું ચક્ર કદી નથી સમાપ્ત થતું નથી. 

ફિરોઝ ખાન ‘દયાવાન’માં આ મનોવૈજ્ઞાનિક અને ફિલોસોફીકલ દૃષ્ટિકોણ લાવી ન શક્યા. વાર્તા એ જ હતી, પરંતુ તેમણે એક માણસના માનસિક સંઘર્ષ પર ફોકસ કરવાને બદલે, અપરાધ-જગતની સનસનાટી અને નાટ્યાત્મકતા પર વધુ ધ્યાન આપ્યું હતું. એમાં ફિલ્મનો આત્મા બદલાઈ ગયો. તેમાં પિતા-પુત્રીના તનાવથી ભરપુર સંબંધને એ ગહેરાઈ ન મળી જે ‘નાયકન’માં હતી. 

વેલુ તરીકે વિનોદ ખન્નાનો અભિનય પ્રભાવશાળી હતો, પરંતુ તેમાં તે માનસિક સૂક્ષ્મતા નહોતી જે કમલ હાસન લાવ્યા હતા. હિન્દીનો વેલુ નાઈકર વધુ સ્ટાઇલિશ અને ઓછો અંતર્મુખી હતો. કદાચ બીજું કારણ એ પણ હતું કે વેલુના લંગોટિયા દોસ્ત તરીકે ફિરોઝ ખાને પોતાને ફિલ્મમાં લેવાની જરૂર નથી. તેનાથી દર્શકો બે હીરો વચ્ચે ગૂંચવાઈ ગયા હતા. 

ફિલ્મની એકમાત્ર મોટી ચર્ચા યુવા માધુરી દિક્ષિત અને વિનોદ ખન્નાનો સાહસિક રોમેન્ટિક સીન હતો. પાછળથી માધુરીએ અફસોસ પણ વ્યક્ત કર્યો કે કેરિયરના શરૂઆતના દોરમાં તે એ નિર્ણયને લઇને સંપૂર્ણ રીતે આશ્વસ્ત નહોતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર ઠીકઠીક વેપાર કર્યો, પરંતુ તે કદી ‘કલ્ટ’નો દરજો મેળવી શકી નહોતી. હિન્દી દર્શકોનો એક મોટો વર્ગ ‘નાયકન’ને ઓળખતો નહોતો, તેથી તુલનાનો આધાર ઓછો રહ્યો. છતાં, સિનેમાના ઇતિહાસમાં એ બંને ફિલ્મો વિશે એક સાથે વાંચવું રસપ્રદ છે – એ સમજવા માટે કે કોઈ મહાન કૃતિની રીમેક કેમ એટલી ઊંચાઈ સુધી પહોંચી શકતી નથી.

આજે ‘નાયકન’ કલ્ટ ફિલ્મ ગણાય છે કારણ કે તે અપરાધની કહાની નથી, પણ એક ઘાયલ માણસની જીવનયાત્રાનું બયાન છે. તે વ્યવસ્થા સામે લડે છે, પોતાના લોકોની રક્ષા કરે છે, પરંતુ આખરે પોતે જ બનાવેલા રસ્તામાં અટવાઈ જાય છે. એક સમયે વેલુ જેને મળે તેને પૂછતો હતો – ‘તમે સારા માણસ છો કે ખરાબ?’ કહાનીના અંતે, તેનો પૌત્રને પણ નાનાએ લઈને પ્રશ્ન થાય છે – ‘તમે સારા હતા કે ખરાબ?’ આ પ્રશ્ન ‘નાયકન’ ફિલ્મનો આત્મા છે. જીવન અને નૈતિકતાને કોઈ સરળ નામમાં બાંધવી કઠિન હોય છે. ‘નાયકન’નું આ જ સ્થાયી સત્ય છે. 

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 10 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...154155156157...160170180...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved