Opinion Magazine
Number of visits: 10080629
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જય ભીમ’ ખરેખર શું છે? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|8 December 2025

હેમન્તકુમાર શાહ

6 ડિસેમ્બર 2025ના રોજ, ડો. ભીમરાવ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે, અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં વણકર સેવા સંઘ દ્વારા બનેલા વાચનાલયના ઉદ્ઘાટક તરીકે એક સમારંભમાં હાજર રહેવાનું થયું. તે નિમિત્તે આપેલા ટૂંકા પ્રવચનના મુખ્ય મુદ્દા આ રહ્યા :

[1] જયશ્રી કૃષ્ણ, જયશ્રી રામ અને જય માતાજી જેવા નારા બોલીએ અને જય ભીમ બોલીએ એમાં તફાવત છે, એ સમજવાનું છે. જય ભીમ નારામાં ભક્તિ ન જોઈએ, પણ અન્યાય સામે લડવાની ઇચ્છા જોઈએ. આંબેડકરે પોતે પણ પોતાની ભક્તિ કરવાની ના પાડી છે.

[2] જયશ્રી રામ નારો તો દેશના અનેક લોકો માટે ડરામણો બની ગયો છે. રામની ભક્તિ કરવાને બદલે રામનો ઉપયોગ બીજાને ડરાવવા માટે થઈ રહ્યો છે. આ શરમજનક બાબત છે. 

[3] ડો. ભીમરાવ આંબેડકરે 25 નવેમ્બર 1949ના રોજ સંવિધાન સભામાં એમના છેલ્લા ભાષણમાં કહ્યું હતું કે, “ભક્તિ અથવા જેને ભક્તિમાર્ગ કહેવામાં આવે છે તે, કે વીરનાયકની પૂજા, દુનિયાના કોઈ પણ દેશ કરતાં ભારતના રાજકારણમાં અપ્રતિમ ભૂમિકા ભજવે છે. ધર્મમાં ભક્તિ આત્માની મુક્તિનો માર્ગ હોઈ શકે છે. પરંતુ રાજકારણમાં ભક્તિ અથવા વીરનાયકની પૂજા પતન અને છેવટે તાનાશાહીનો માર્ગ નિશ્ચિત બનાવે છે.”

[4] આંબેડકર લોકશાહીના ચાહક હતા. એ લોકશાહી સામે આજે ખતરો ઊભો થયો છે કારણ કે સમાજ નેતાઓની ભક્તિ કરવામાં પડ્યો છે. જો ભક્તિ કરીશું તો આપણે કોઈ પણ નેતાનું સાચું મૂલ્યાંકન કરી શકીશું નહીં અને એનાં દુષ્કૃત્યો સામે અવાજ પણ ઉઠાવી શકીશું નહીં.

[5] બાબાસાહેબ આંબેડકરને નેતૃત્વમાં જે બંધારણ બન્યું છે, તેની પહેલી લીટીમાં જ ભારત નામનું રાજ્ય સ્થાપવાના ઉદ્દેશો લખ્યા છે. એ છે સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુતા, વ્યક્તિનું ગૌરવ અને લોકશાહી તથા ધર્મનિરપેક્ષતા. આ ઉદ્દેશો કેટલા સિદ્ધ થયા એ મહત્ત્વનું છે. એમ લાગે છે કે આપણે જે કંઈ સિદ્ધિ પ્રાપ્ત કરી તે બધી હાલ ધોવાઈ રહી છે. આપણે સૌએ એની સામે અવાજ ઉઠાવતાં શીખવાનું છે.

[6] ગાંધી અને આંબેડકર બંને આપણને અન્યાયનો સામનો કરવાનું અને ન્યાયી સમાજ ઊભો કરવાનું શીખવે છે. બેમાંથી કોઈની ભક્તિ કરવાની જરૂર નથી, પણ એમના સિદ્ધાંતોને અમલમાં મૂકવાનો સંનિષ્ઠ પ્રયાસ કરવાની જરૂર છે. 

[7] અત્યારે અનામતની વ્યવસ્થા સીધી રીતે નહીં પણ આડકતરી રીતે ખતમ કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે. જેમ કે, ગુજરાત સરકારમાં આશરે ચાર લાખથી વધુ કર્મચારીઓ તો કરારી અને ટૂંકા સમયની નોકરી ધરાવે છે. એમાં ક્યાં ય અનામત લાગુ પડતી જ નથી. આ રીતે સરકારનું ખાનગીકરણ થઈ રહ્યું છે અને અનામતના અમલને કચરા ટોપલીમાં ફેંકી દેવાયો છે. આ ખાનગીકરણ સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. જુઓ તમે, બંધારણનો દેખીતો નાશ કર્યા વિના જ એનો આ રીતે નાશ કરાઈ રહ્યો છે. એની સામે સંગઠિત રીતે અવાજ ઉઠાવવાની જરૂર છે. 

8] નાગરિકોની સ્વતંત્રતા એ સૌથી મોટું મૂલ્ય છે. આપણે માણસ છીએ, કોઈ જંતુ નથી. સ્વાતંત્ર્યની જાળવણી એ આપણા સૌની પ્રથમ અને પ્રાથમિક ફરજ છે. જય ભીમ બોલતી વખતે આપણે એ વિચારીએ કે શું બંધારણમાં લખવામાં આવેલી સ્વતંત્રતા ઘસાઈ તો નથી રહી ને? 

[9] આપણે બંધારણ રચીને પ્રજામાંથી નાગરિક બન્યા છીએ. એ આ બંધારણની દેન છે. એ ગાંધી, આંબેડકર, સરદાર પટેલ અને નેહરુ જેવા મહાન નેતાઓની દેન છે. અત્યારે આપણને નાગરિકમાંથી મચ્છર બનાવી દેવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પડકાર આપણે સૌએ ઝીલી લેવાનો છે. જય ભીમના નારા ગજવવાથી કંઈ નહીં વળે, જય ભીમે જે પડકાર ઝીલ્યો હતો તે આપણે સૌ ઝીલીએ અને લોકશાહીને સાર્થક કરીએ.  

6 ડિસેમ્બર 2025
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભૂખ

વસુધા ઇનામદાર|Opinion - Short Stories|8 December 2025

કાળો કાંબળો ઓઢીને અજવાળામાં પડછાયાની  જેમ ચાલતી એ વ્યક્તિને રોકવા પોલિસે બૂમ પાડી. “અરે એ, ઊભો રહે, તને સંભળાય છે કે ? રાતના અગિયાર વાગે આમ ક્યાં ચાલ્યો જાય છે ?”

પોલિસ વર્દી પહેરેલો પોલિસ હાથમાં દંડો હલાવતો ચાલનારની પાછળ ઝડપથી દોડ્યો  અને ચાલનારાનો ઓઢેલો કાંબળો એણે ખેંચી કાઢ્યો. ફાટેલાં કપડાં પહેરેલાં અને ખભે સૂતેલા ચાર વર્ષના બાળકને લઈને ચાલનારાને એ દબડાવતો હતો. લોકડાઉનનો ભંગ કરનાર અને પોતાની સાથીદાર જોડે વાતોમાં ખલેલ પહોંચાડનારને મારવા એણે દંડાવાળો હાથ ઉગામ્યો, પણ એના ખભે સૂતેલું ચારેક વર્ષનું બાળક જોઈ એનો ઉગામેલો હાથ હવામાં જ અદ્ધર રહી ગયો ! એને આમ મોટા અવાજે કોઈકને ધમકાવતો સાંભળીને  પોલીસનો યુનિફોર્મ પહેરેલો એનો  સાથીદાર ચોકીમાંથી બહાર આવ્યો !  આમ  મોડી રાતે લોકડાઉનનો ભંગ કરનાર કોણ હશે ? એ નજીક જઈને ઊભો રહ્યો, એને જોઈને તે  બોલ્યો, “અરે, નારાયણ, તું ? આમ લોકડાઉનમાં આ છોકરાને લઈને ક્યાં નીકળ્યો ?” 

“શું કહું? સારું થયું તમે મને ઓળખ્યો, સુભાષભાઈ. તમારી સોસાયટીમાં શાકભાજી વેચવા આવતો હતો, યાદ છે ને ? પણ આ કોવિડમાં મારો ધંધો ઠપ થઈ ગયો છે, આ છોકરો બે દિવસથી ભૂખ્યો છે ને દૂધની જીદ કરીને રડ્યા કરે છે. ઘરમાં બે દિવસથી રંધાયું નથી અને સાહેબ આ છોકરાને દૂધ ……”

“ઊભો રે, નારાયણ, ઊભો રે  ! હું પેલી બાજુની ડેરીવાળાને ત્યાંથી મારા ઘર માટે બે દૂધની કોથળી લાવ્યો છું, લે તું એક લઈ જા. ને જો આમ લોકડાઉનમાં નાના છોકરાને સાથે લઈને બહાર નીકળાય નહીં !”

“પણ સાહેબ ……”

“જો હવે આપડે કોવિડની બહુ ચિંતા કરવા જેવી નથી. આ કદાચ છેલ્લું  જ લોકડાઉન હશે પછી બધું બરાબર થઈ જશે.” 

“એ કઈ રીતે, સાહેબ ?” 

“હવે કોવિડની રસી નીકળી છે, બધાએ એ રસી લેવી પડશે, પછી  કોવિડ  નહીં, ને આ લોકડાઉન પણ નહીં !” 

“પણ સાહેબ, આ ભૂખનું શું ? બે દિવસથી મેં કે મારી ઘરવાળીએ ખાધું નથી. સાહેબ, એક વાત પૂછું ?”

“હા, હા બોલ. બીજું કશું જોઈએ ?”

“ના સાહેબ, પણ આ ભૂખ જ ના લાગે એવી કોઈ રસી છે ?” એની આંખમાંથી આંસુ સરી પડ્યાં. સુભાષે અંદર જઈને ગ્લુકોઝના બિસ્કિટના બે પેકેટ એને પકડાવી દીધા. શાકભાજીના લારીવાળાએ આભારવશ એની સામે જોઈને કહ્યું, “સાહેબ, ભૂખ ના લાગે એવી રસી નીકળે તો મને કહેવાનું ભૂલતા નહીં !” ને એ ધીરે પગલે અંધારામાં ગાયબ થઈ ગયો.

સડબરી, બોસ્ટન
e.mail : mdinamdar@hotmail.com

Loading

ગાંધીબાગ કે ગાંધી ભાગ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 December 2025

રવીન્દ્ર પારેખ

ભારત પ્રવાસે આવેલા રશિયાના પુતિન રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પવા ગયા તો થોડી રાહત એ વાતે થઈ કે ગાંધીજી હજી આઉટડેટેડ નથી થયા. આજે પણ ગાંધી રોડ કે ગાંધીબાગની હાજરી લગભગ દરેક શહેરમાં છે. એટલું સારું છે કે માર્ગોનાં કે સ્થળનાં નામ બદલવાની ઝુંબેશમાં ગાંધી નામ અત્યાર સુધી તો બદલાયું નથી, પણ તેનો પ્રભાવ ઓસરે તે માટેનાં પ્રયત્નો થતા રહે છે, એટલે સમય જતાં ગાંધી મૂલ્યો કે અર્થો પણ બદલાય તો તેની તૈયારી પણ રાખવાની રહે. વારુ, જ્યાં ગાંધી છે, ત્યાં સાદગી નામની પણ જોવા મળે છે, પણ તેની સત્ય, અહિંસાની વાતોનો ઝાઝો મહિમા રહ્યો નથી. અહિંસાનો ‘અ’ સત્યની આગળ આવી ગયો છે. ગાંધી, સફાઈનો આદર્શ પણ હતા, તે હવે નેતાઓ પૂરતી સીમિત રહી છે. ઘણાં નેતાઓ પ્રસંગોપાત સાફ થયેલા રસ્તાઓ પર ઝાડું મારી લે છે ને એમ ગંદકીને ઊની આંચ નથી આવતી.

થોડા દિવસ પર પાટણના ગાંધીબાગમાંથી દારૂની ખાલી બોટલો ને ગંદકી હાથ લાગવાના સમાચાર હતા, તે પછી સુરતના ગાંધીબાગમાંથી પણ દારૂની ખાલી બોટલો અને ગંદકીના સમાચાર પ્રગટ થયા છે. એ ખરું કે અંગ્રેજોના વખતનો ચોકબજાર વિસ્તારમાં આવેલો ‘રાણીબાગ’ પછી ‘ગાંધીબાગ’ની ઓળખ પામ્યો. એ પછી સુરત આધુનિક થતું ગયું તેમ તેમ ગાંધીજી વધારાના થતા ગયા ને હવે તો બાગની બહાર જ આવી ગયા છે. પ્રસંગોપાત નેતાઓ સૂતરની આંટી ચડાવવા આવે છે, ત્યારે ગાંધીજીને વધુ ‘આંટી ચડે’ છે. એ સિવાય ગાંધીજીએ લાકડીને ટેકે ટકી રહેવા સિવાય બીજો ઈલાજ નથી. આમ તો નામ પૂરતી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ દારૂ વગરનો વિસ્તાર ભાગ્યે જ ક્યાંક હશે. ગાંધીનું મળવું દુર્લભ હશે, પણ દારૂ મળવો દુર્લભ નથી.

ગાંધી કદાચ રમૂજનું, મજાકનું નિમિત્ત હોય એમ બને.

આમ તો ગાંધીબાગ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની દેખરેખ હેઠળ આવે, એટલે જ કદાચ તે અસામાજિકોનો અડ્ડો બની ગયો હશે. 20,000 સ્ક્વેરમીટરમાં ફેલાયેલો બાગ અત્યારે તો કપાઈ કપાઈને અડધો થઈ ગયો છે. સિક્યોરિટી ગાર્ડ હોય, તો પણ તેની હાજરી બહુ વર્તાતી નથી. એક સમયે શહેરીજનોનાં હરવાફરવાનું એ આકર્ષક કેન્દ્ર હતું. અહીં જ દર રવિવારે પોલીસ બેન્ડ વાગતું. નર્મદની પ્રતિમા પાસે 24 ઓગસ્ટને રોજ મેયર સહિત સાહિત્યકારો નર્મદને પુષ્પાંજલિ અર્પણ કરતાં. 1940માં નર્મદની પ્રતિમાનું કનૈયાલાલ મુનશીએ અનાવરણ કરેલું અને અદ્દભુત પ્રવચન આપેલું. તે પછી વર્ષો સુધી નર્મદ જયંતીએ શાળાનાં બાળકો નર્મદ ગીતો ગાતાં … એ બહુ દૂરનો ભૂતકાળ નથી. નર્મદથી માંડીને શહેરનાં કવિઓની પંક્તિઓથી બાગ શોભતો ને બાળકોથી કિલ્લોલતો …

એ હવે ભેંકાર ભાસે છે. મેટ્રોએ તેને બાનમાં લીધો છે ને દિવસે પણ ત્યાં જવાનું મન થાય એવું વાતાવરણ નથી. એનો લાભ અસામાજિકોએ લીધો છે. કેટલાંક તત્ત્વોએ ગાંધી અને દારૂ વચ્ચે છેટું રહેવા દીધું નથી. ગાંધીની સફાઈની વાતો પર અહીં ગંદકી ફરી વળી છે. એ તો હવે 2 ઓક્ટોબરે મેયર કે અન્ય નેતાઓ આંટી ચડાવવા ગાંધી પાસે ફરકે ને ત્યારે સફાઈ થાય તો થાય ! ન થાય ત્યાં સુધી ગાંધીએ અને બાગે કચરા અને પ્રદૂષણ વચ્ચે રહેવાનું નક્કી છે. આમ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને બાગની જાળવણી કરવાની છે, પણ તેના પદાધિકારીઓ પોતાની જાળવણીમાં ને એવોર્ડ્સ સમેટવામાં વ્યસ્ત હોય તો ગાંધીએ જ બાગની જાળવણી કરવાની રહે ને હવે ગાંધી જ આઉટ ડેટેડ મનાતા હોય, તો બાગ કેટલોક તાજગીપૂર્ણ રહે?

બાગ વાસી થયો હોય તો પણ તે વિકાસશીલ છે. તેમાં દારૂની બોટલો ઉપરાંત હવે ડ્રગ્સની સિરિંજ પણ મળી આવે છે. એ પરથી સમજી શકાય એમ છે કે બાગ હવે કેવા લોકોના હાથમાં છે. બાગની મુલાકાતે હવે ઓછા જ જાય છે, પણ જે જાય છે તે એવા આક્ષેપો કરે છે કે સાંજ થતાંની સાથે જ બાગમાં અસામાજિક તત્ત્વો વધવા માંડે છે ને પછી દારૂ અને નશીલા પદાર્થોનું સેવન થાય છે. પાલિકા તેનું ‘બાલિકા’પણું નહીં છોડે તો આવનારા સમયમાં ગાંધીબાગ નહીં, પણ ‘ગાંધી, ભાગ !’ એવું સંભળાય એમ બને. ગાંધીબાગમાં પાલિકા તંત્ર અને પોલીસ જડબેસલાક રીતે સક્રિય નહિ થાય તો આગળ જતાં તે તેનું રહ્યું સહ્યું ગૌરવ પણ ગુમાવશે. અત્યારે પણ તે હાથથી ગયો જ છે, તે સાથે જ અઠવા લાઈન્સની ચોપાટી પણ તૂટીફૂટીને વિખેરાઈ ગઈ છે. તે મેટ્રો સ્ટેશન તરીકે ડેવલપ થાય તે સાથે જ કમર્શિયલ સેન્ટર બનવાનું જોખમ પણ છે જ ! એ જે હોય તે, પણ તે હવે ચોપાટી તરીકે નહીં દેખાય એમ લાગે છે. કોર્પોરેશન ગાંધીબાગ જેવા માટે ઉદાસીન છે, તો ચોપાટી માટે ધંધાદારી વલણ ધરાવે છે. આ બંનેમાં સામાન્ય નાગરિકો માટેનાં આનંદપ્રમોદનાં બે મુખ્ય મથકો લગભગ મટી ગયાં છે.

ગુજરાતના ડેપ્યુટી સી.એમ. સુરતના છે ને દારૂ અને ડ્રગ્સને મુદ્દે પોલીસની કામગીરીની સરાહના કરતા કહેતા રહે છે. તાજેતરમાં જ તેમણે સૌથી વધુ ડ્રગ્સ પોલીસે ગુજરાતમાં પકડ્યું છે એવું વડગામમાં કહ્યું છે. ડેપ્યુટી સી.એમ.ને પોલીસ આટલી સજાગ લાગે તેનો આનંદ જ હોય, પણ સૌથી વધુ ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડ્યું હોય તો સવાલ એ થાય કે આટલું બધું ડ્રગ્સ ગુજરાતમાં ઊતરે છે કોની મહેરબાનીથી? એટલું સારું છે કે ડેપ્યુટી સી.એમ.ને પોલીસ પર ભરોસો છે ને તે અવિરત કામગીરી કરે છે ને કરશે એવો તેમનો વિશ્વાસ પણ અવિરત ટકે તેમ ધારીએ, તે સાથે જ ડેપ્યુટી સી.એમ. અંગત રસ લઈને ગાંધીબાગની તળિયાઝાટક સફાઈ કરાવે તે પણ ઇચ્છીએ. બાય ધ વે, તંત્રોની વાત નીકળી જ છે તો જરા આડ વાત કરીને પણ, એક વાત લાગતા વળગતાઓનાં ધ્યાન પર લાવવાનું જરૂરી લાગે છે.

કોર્પોરેશન દારૂના અડ્ડા તો પકડે કે ન પકડે, પણ વરાછાના ધારાસભ્યની દબાણ હટાવ ફરિયાદને માન આપીને તેણે કામગીરી હાથ ધરી છે. જો કે, ધારાસભ્યે તો ગેરકાયદે પ્રવૃત્તિઓ અને માથાભારે દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવા પત્ર લખ્યો હતો, પણ સુરતના વરાછા વિસ્તારમાં રસ્તા પર શાકભાજી વેચતી વૃદ્ધ મહિલાઓને શનિવારે બળજબરીએ હટાવવાનું કામ શરૂ થયું. લારીઓ ખસેડાઈ. શાકભાજી, લીંબુ રસ્તે ફેંકાયાં અને રડતી મહિલાઓ ધારાસભ્ય પાસે પહોંચી. મહિલાઓનો આક્રોશ જોઈ ધારાસભ્યે સ્પષ્ટ કર્યું કે એક સમસ્યા ઉકેલવા જતાં કોઈને અન્યાય ન થવો જોઈએ. વૃદ્ધાઓનું કહેવું હતું કે અમે કોઈને નડતાં નથી, અમે દારૂ વેચતાં નથી. અમારી પાસેથી કંઇ મળતું નથી, તો અમારો સામાન ઉઠાવી જાય છે. અમે માંડ સો પચાસ રૂપિયા કમાઈએ છીએ, તે અમારો વાંક છે?

વૃદ્ધાઓની કરમની કઠણાઈ તો ત્યાં આવી કે તેમણે અધિકારીઓની ઉદ્ધતાઈનો સામનો કરવાનો આવ્યો. એક વૃદ્ધાએ પોતાનો સામાન છોડાવવા સાહેબને હાથ જોડીને કહ્યું કે હું તમારી માની ઉંમરની છું. મારી લાચારી સમજો, તો સાહેબે કહ્યું કે મારા બાપને એક તો છે, બીજી બાયડીની જરૂર નથી. નિર્લજ્જતાની આ અવધિ છે. તંત્રોની આટલી બેશરમી અને નાલાયકી અસહ્ય છે. તંત્રોની કામગીરીને વખાણતા મંત્રીશ્રી આ મામલે ધ્યાન આપે એવી સહેજે અપેક્ષા રહે. પેલી વૃદ્ધાએ કહ્યું તેમ પોતે સાહેબની માની ઉંમરની છે. માની ઉંમરની-નો અર્થ મા નહીં, એટલી સમજ તો અધિકારી પાસેથી અપેક્ષિત હોય. એટલી સમજ ન દાખવે તો ધૂળ નાખી, પણ સાહેબને કોઈ અધિકાર નથી પહોંચતો કે તે એમ કહે કે મારા બાપની એક બાયડી છે જ, બીજીની જરૂર નથી. વૃદ્ધા બાપની બાયડી બનવા નહોતી ગઈ. માની ઉંમરની પોતાને ગણાવી, ત્યારે અપેક્ષા તો તેની એટલી જ હતી કે તેની ઉંમરની મર્યાદા સચવાય, તેને બદલે સાહેબે સાવ હીન કક્ષાની વાત કરીને પેલી 60-65ની વૃદ્ધાનું જાહેરમાં અપમાન કર્યું. એક તરફ સિનિયર્સને માન-સન્માન આપવાની વાતો ચાલે છે, મહિલા સશક્તીકરણના ગરબા લેવાય છે ને બીજી તરફ અધિકારીઓ વૃદ્ધ સ્ત્રીઓને પૂરી નાલાયકીથી અપમાનિત કરે છે તે દુ:ખદ છે.

ગાંધીબાગની જેમ જ ગાંધી મૂલ્યોનો પણ હ્રાસ થઇ રહ્યો છે, તેનો આ જીવતો જાગતો પુરાવો છે, એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ડિસેમ્બર 2025

Loading

...102030...159160161162...170180190...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved