Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376278
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 2

દીપક મહેતા|Opinion - Opinion|22 July 2019

(હપ્તો ૨)

આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાએ ગાયું છે: ‘નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.’ પહેલાં મુંબઈ કે મુંબાઈ હતું તેને અંગ્રેજોએ બોમ્બે બનાવ્યું. અંગ્રેજોએ જેને બોમ્બે બનાવેલું તેને આપણે ફરી મુંબઈ બનાવ્યું. ભૂતકાળમાં બીજાં કેટલાંક નામે પણ ઓળખાતું હતું આ શહેર. ગ્રીક લોકો તેને હેપ્ટેસિનીઆ તરીકે ઓળખતા. પોર્ટુગીઝ લોકો તેને ‘બોમ્બિયમ’ કહેતા. ઈ.સ. ૧૫૩૮માં દક્રિસ્ટો નામનો માણસ તેને ‘બોઆવિડા’ કહે છે. તો બારાબોસા નામનો બીજો એક માણસ લગભગ એ જ અરસામાં તેને ‘થાણા-મયામ્બુ’ તરીકે ઓળખાવે છે. ઈ.સ. ૧૭૫૦ની આસપાસ મુંબઈનો ઉલ્લેખ ‘બુઆં બહીઆ’ તરીકે થયો છે. તો વળી હિન્દીભાષીઓ  આ શહેરને ‘બમ્બઈ’ કહેતા.

પણ અસલ નામ મુંબાઈ કે મુંબઈ. એ નામ મળ્યું કોળી લોકોની કુળદેવી મુંબા-આઈ પાસેથી. આ મુંબા-આઈ તે કદાચ મહાઅંબા આઈ, પાર્વતીનું એક રૂપ. અથવા બિન-આર્ય જાતિઓ જે અનેક દેવ-દેવીઓની પૂજા કરતી તેમાંની કોઈ દેવી પણ તે હોઈ શકે. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં આજે પણ ‘મોમ્માઈ’ દેવીની પૂજા થાય છે. એટલે મુંબઈના કોળીઓ અને સૌરાષ્ટ્રના કોળીઓ વચ્ચે કોઈક સંબંધ હોય એ પણ શક્ય છે. એક દંતકથા પ્રમાણે શિવજીની સૂચનાથી પાર્વતીએ માછણ તરીકે અવતાર લીધો, જેથી કઠોર પરિશ્રમ કરવાનો ગુણ તેમનામાં વિકસે. આ રીતે અવતાર લઈને પાર્વતી કોળી લોકોની સાથે રહેવા આવ્યાં. એ કોળી લોકો તેમને ‘મુંબા’ તરીકે ઓળખવા લાગ્યા. માછીઓ અને માછણો પાસેથી તેઓ મહેનત, એકાગ્રતા, સાહસ વગેરેના પાઠ શીખ્યાં. પછી પાછા જવાનો વખત આવ્યો. પણ કોળી લોકો તેમને જવા દેવા રાજી નહોતા. એટલે ખુદ શિવજી આવ્યા અને કહ્યું કે ‘મહાઅંબા’ની મૂર્તિ રૂપે પાર્વતીજી સદાકાળ માટે તમારી સાથે રહેશે. એટલે કોળીઓએ મુંબા દેવીનું મંદિર બનાવ્યું. કોળીઓ તેમને આઈ (માતા) તરીકે પૂજતા એટલે તે મુંબાઈ દેવીનું મંદિર કહેવાયું. આજે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ઊભું છે એ જગ્યાએ મુંબા-આઈ કે મુંબાદેવીનું અસલ મંદિર આવેલું હતું. ઈ.સ. ૧૬૭૫માં એ બંધાયેલું. લોકો એ વિસ્તારને ‘બોરીબંદર’ તરીકે ઓળખતા કારણ એ વખતે ત્યાં બંદર હતું અને ત્યાંથી બોરી કહેતાં કોથળાઓમાં ભરેલો માલસામાન આવતો-જતો.

દરિયા કાંઠે વસતા કોળીઓએ પોતાની કુળદેવીનું મંદિર પણ દરિયા નજીક બાંધ્યું હોય તો તે સમજી શકાય તેમ છે. પણ અંગ્રેજોના સેન્ટ જ્યોર્જ કિલ્લાની સાવ નજીક ઉત્તર દિશાની દીવાલની લગોલગ એ મંદિર હતું એટલે સલામતીની દૃષ્ટિએ અંગ્રેજોને જોખમ લાગ્યું. એટલે ૧૭૩૭માં તેમણે મંદિર ત્યાંથી ખસેડીને ફાંસી તળાવને કિનારે નવું મંદિર બનાવ્યું. એ તળાવને કાંઠે ગુનેગારોને જાહેરમાં ફાંસી અપાતી હતી એટલે લોકો તેને ફાંસી તળાવ કહેતા. પછી વખત જતાં મુંબાદેવીનું મંદિર આજના ઝવેરી બજાર પાસે ખસેડ્યું. એ મંદિર તે આપણે જેને મમ્માદેવી કે મુમ્બાદેવી તરીકે ઓળખીએ છીએ તે મંદિર. જો કે આજે અહીં જે મંદિર છે તે પણ અસલનું મંદિર નથી. ફરીથી બંધાયેલું છે. બીજાં ઘણાં મંદિરોની જેમ આ મંદિરની બાજુમાં પણ એક તળાવ હતું. હરજીવનદાસ વિઠ્ઠલદાસનાં વિધવા પૂતળીબાઈએ એ તળાવ ઈ.સ. ૧૭૭૪માં પોતાને ખર્ચે બંધાવી આપેલું. આ લખનારે નાનપણમાં તે તળાવ જોયેલું એ બરાબર યાદ છે. પછી વખત જતાં બીજાં ઘણાં તળાવોની જેમ એ તળાવ પણ પુરાઈ ગયું. આ મંદિરની એક બાજુ ઝવેરી બજારમાં સોનાચાંદીનાં ઘરેણાં મળે તો બીજી બાજુ તાંબાકાંટામાં જાતભાતનાં વાસણ મળે. એક જમાનામાં ઘરેણાં કે વાસણ ખરીદવા આખા મુંબઈમાંથી લોકો અહીં આવતા. અને એ જમાનામાં આ બંને બજારોમાં ગુજરાતી વેપારીઓનું વર્ચસ્વ. અને હા, ઘરેણાં ખરીદતાં પહેલાં અને વાસણ ખરીદ્યા પછી મુંબાદેવી જલેબીવાળાની દુકાને જઈને જલેબી-ગાંઠિયા ખાવાનું તો કોઈ કઈ રીતે ભૂલે? છેક ૧૮૯૭માં શરૂ થયેલી એ દુકાન આજે પણ અડીખમ ઊભી છે.

અગાઉ જ્યાં મંદિર હતું એ જગ્યાએથી આપણા દેશની જ નહિ, આખા એશિયા ખંડની પહેલવહેલી રેલવે લાઈન શરૂ કરવા પાછળ વ્યવહારુ કારણ હતું. આ લાઈન માટેના પાટા, બીજો સાધન-સરંજામ, ટ્રેનના ડબ્બા, તેને ખેંચવા માટેનાં એન્જિન, એ બધું જ ગ્રેટ બ્રિટનથી લાવવાનું હતું. કારણ એ વખતે તેમાંનું કશું જ આ દેશમાં બનતું નહોતું. એટલે એ બધું બોરીબંદર પર ઉતરે અને ત્યાંથી જ રેલવે લાઈન નાખવાનું શરૂ થાય તે સગવડભર્યું. આ રેલવે શરૂ કરવાનું કામ કર્યું હતું એ વખતની ગ્રેટ ઇન્ડિયા પેનેનસુલા રેલવે નામની ખાનગી કંપનીએ. તેની શરૂઆત ૧૮૪૯માં લંડનમાં થઇ હતી. આ ટ્રેનની યોજના પાર પાડવા માટે એક ખાસ સમિતિ રચવામાં આવી હતી. સર જમશેદજી જીજીભાઈ અને જગન્નાથ શંકરશેઠ જેવા ‘દેશીઓ’ પણ તેના સભ્યો હતા. આ કંપનીએ જે બોરીબંદર સ્ટેશન બાંધેલું તે લાકડાનું હતું.

આખા મુંબઈ શહેરમાં ૧૮૫૩ના એપ્રિલની ૧૬મી તારીખે રજા જાહેર કરવામાં આવી હતી. કારણ આપણા દેશની પહેલવહેલી પેસેન્જર ટ્રેન આ સ્ટેશનેથી તે દિવસે ઉપડી હતી, બપોરે ૩.૩૫ વાગ્યે, અને ૨૧ માઈલનું અંતર ૫૭ મિનિટમાં કાપીને તે થાણા સ્ટેશને પહોંચી હતી. વચમાં સાયન સ્ટેશને તે ૧૫ મિનિટ ઊભી રહી હતી. તે દરમ્યાન ત્રણ એન્જિનોમાં પાણી ભરવામાં આવ્યું હતું અને ડબ્બાઓના પૈડાંને તેલ સિંચવામાં આવ્યું હતું. પહેલા, બીજા, અને ત્રીજા વર્ગના બધું મળીને કુલ ૧૪ ડબ્બામાં ૪૦૦ મુસાફરો બેઠા હતા અને સુલતાન, સિંધ, અને સાહેબ નામનાં ત્રણ એન્જિન એ ૧૪ ડબ્બાને ખેંચતા હતા. બોરીબંદરથી ટ્રેન ઉપડી તે વખતે તેને ૨૧ તોપોની સલામી આપી હતી. મુસાફરોનું મનોરંજન કરવા માટે નામદાર ગવર્નરનું બેન્ડ પણ ટ્રેનમાં તેમની સાથે જ મુસાફરી કરતું હતું. આખે રસ્તે પાટાની આજુબાજુ લોકોનાં ટોળાં આ નવી નવાઈ જોવાને ઉમટ્યાં હતાં. થાણા સ્ટેશનની બહાર બે મોટા તંબુ તાણ્યા હતા. એકમાં અંગ્રેજ મહેમાનો માટે અને બીજામાં ‘દેશી’ મહેમાનો માટે ખાણીપીણીની વ્યવસ્થા હતી. જે દેશીઓ એ ટ્રેનમાં બેસીને થાણા ગયા હતા તેમાંનાં કેટલાક ગુજરાતીઓનાં નામ: માણેકજી નસરવાનજી પીતીત, મેરવાનજી જીજીભાઈ, લીમજી માણેકજી બનાજી.  ત્યાર બાદ જ્યારે રોજિંદી ટ્રેન-સેવા શરૂ થઇ ત્યારે મુંબઈથી થાણે સુધીનું પહેલા વર્ગનું ભાડું હતું બે રૂપિયા દસ આના, બીજા વર્ગનું એક રૂપિયો એક આનો, અને ત્રીજા વર્ગનું પાંચ આના ત્રણ પાઈ. (એ વખતે દેશમાં રૂપિયા, આના, પાઈનું ચલણ પ્રચલિત હતું.)

આજે મુંબઈગરા માટે તો ટ્રેન એ રોજિંદા જીવનની એક જરૂરિયાત બની ગઈ છે. પણ એ જમાનામાં તો એ એક મોટી નવી નવાઈ હતી. અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદે મુંબઈથી રણતુંડી (ઘાટ) સુધીની મુસાફરી ટ્રેનમાં કરી હતી. તે પછી લખેલા એક કાવ્યની થોડીક પંક્તિઓ જોઈએ:

ગાડીમાંથી રચના જોતાં હરખ્યું મન મુજ
ડુંગર મોટા, પડેલ લાંબા અજગર જેવા
દેખાયા તે રંગરંગના,
કેટલાકના કળોઠી જેવા રંગ ચળકતા,
કેટલાક તો કાળા બલ્લક,
કેટલાક તો ભૂરા-રાતા
કેટલાક તો ઝાડ ઝૂમખે, પાકા લીલા,
કેટલાક તો ફક્ત ઘાસથી કાચા લીલા,
જેની માંહે વચ્ચે વચ્ચે લાલ માટીના
ઢળતા લીટા શોભે સારા.

આવા ડુંગરો વચ્ચેથી ટ્રેન પસાર થતી હોય ત્યારે વચમાં વચમાં બોગદાં (ટનલ) પણ આવે. તેમાંથી ટ્રેન પસાર થાય ત્યારે? રોમાંટિક નર્મદ કહે છે:

ગાડી જ્યારે જાય ટનલમાં ચિંઈઈ કરીને
ત્યારે સહુ જન થાય અજબ બહુ,
એવી વેલા થોડી વારના અંધારામાં
નિજ પ્રિયજનને છાતીસરસું ખૂબ ચાંપવું
એ સુખડું તો સ્વર્ગનું સાચે.

આકાશમાં ખીલતા મેઘધનુષમાં તો સાત રંગ હોય છે. પણ આ મોહમયી મુંબઈ નગરીના રંગોનો તો પાર આવે તેમ નથી. અને આ શહેરની એક ખાસિયત એ છે કે કોઈ પણ રંગ અહીં કાયમી બનતો નથી, રંગો સતત બદલાતા રહે છે. નવી નવી ભાત ઉપસતી રહે છે. અને એટલે આ શહેર ચાલતું નથી, સતત દોડતું રહે છે. ક્યારે ય સૂતું નથી, સતત જાગતું રહે છે. ક્યારેક હારી જાય તો બીજે જ દિવસે બેઠું થઇ દોડવા લાગે છે. એવા આ આપણા શહેરની કેટલીક વધુ વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

[પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 20 જુલાઈ 2019]

Loading

22 July 2019 દીપક મહેતા
← ‘Prakashotsav’ — an Intoxication
‘જ્યોત સે જ્યોત જલે’ →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved