વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો વિરોધ કરવા માટે ‘રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ’ના કન્વીનર જિજ્ઞેશ મેવાણી અને ખેડૂત સમાજના મંત્રી સાગર રબારીની દસમી જાન્યુઆરીના મંગળવારની સવારે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી. તેમને આખો દિવસ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં રાખીને રાત્રે દસ વાગ્યે છોડવામાં આવ્યા. તેમની સાથે ‘પાટીદાર અનામત આંદોલન સમિતિ’ના અતુલ પટેલની પણ આ જ રીતે ધરપકડ કરવામાં આવી હતી. તદુપરાંત સરોડા ગામમાં ૧૦૦ અને વીરમગામમાં ૧૫ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલો પણ છાપાંમાં આવ્યા છે.
નવમી તારીખના સોમવારે સાંજે જિજ્ઞેશ, સાગર અને અતુલે ઉસ્માનપુરા બગીચામાં એક પત્રકાર પરિષદ યોજીને વાઇબ્રન્ટનો વિરોધ જાહેર કર્યો હતો. તેમાં તેમણે ‘કૉર્પોરેટ મોદી, ગો બૅક’, ‘વાઇબ્રન્ટના તાયફા, તમે રાખો, જમીનોના કબજા સોંપવાનું નાટક બંધ કરો’, ‘નરેન્દ્ર મોદી, હોશ મેં આઓ’, ‘ભૂપેન્દ્ર ચુડાસમાનું પૂતળું સળગાવો’ એવા સૂત્રોચ્ચાર કર્યા હતા. એ માટે તેમના પર કરવામાં આવેલી એફ.આઈ.આર.ના પગલે મંગળવારે સવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ થવાની થોડીક પળો પહેલાં જિજ્ઞેશે આ મુજબનો વૉટસએપ સંદેશો મોકલ્યો હતો :
‘વાઇબ્રન્ટ સમિટને ખલેલ પહોંચાડવાની જાહેરાત કરવા બદલ ગુજરાત પોલીસ મારી ધરપકડ કરી રહી છે. વાઇબ્રન્ટ સમિટ આ દેશમાં ચાલી રહેલું એક ફ્રૉડ – કૌભાંડ છે. ખેડૂત આગેવાનો, પાટીદાર આગેવાનો અને દલિતો બધાની ધરપકડ કરવામાં આવી રહી છે. જો અમારે શાંતિપૂર્વક દેખાવો કરવા હોય તો પણ કોઈ અવકાશ નથી. અમે મોદીજીને પૂછીએ કે તમે વાઇબ્રન્ટ ગુજરાત થકી કેટલી નોકરીઓ ઊભી કરી, તેમની પાસે કોઈ જવાબ નથી. ખેડૂતોની ફળદ્રૂપ જમીનોને ઉદ્યોગો માટે શા માટે આપવામાં આવી રહી છે તો અમને વિકાસ વિરોધી તરીકે ચીતરવામાં આવે છે. વ્યવસાય જૂથો અને જંગી કૉર્પોરેટ કંપનીઓ માટે જમીન સુલભ છે, પણ દલિત અને આદિવાસીઓ માટે, જમીન વિહોણા વર્ગો માટે જમીન નથી.’
આ લખાય છે ત્યારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાંથી જામીન પર છૂટ્યાને ચોવીસ કલાક પૂરા થાય તે પહેલાં જિજ્ઞેશની કાલુપુર સ્ટેશને રેલ રોકો કરવા બદલ અગિયારમી જાન્યુઆરીએ સાંજે ફરીથી ધરપકડ થઈ છે.
દલિત આગેવાન જિજ્ઞેશ તેમ જ કર્મઠ ખેડૂત નેતા સાગરે કરેલો વિરોધ અને તેમની થયેલી ધરપકડ, બંને બહુ જ મહત્ત્વની બાબતો છે. વિરોધ એ નિર્ધાર અને ધૈર્ય બતાવે છે. ક્રૉનિ કૅપિટાલિઝમના પ્રતીક અને આર્થિક-સામાજિક વાસ્તવની ક્રૂર ખરચાળ મજાક સમા વાઇબ્રન્ટ માટે અણગમો ધરાવનારા અનેક લોકો છે. પણ નાત-જાતથી ઊપર ઊઠીને તેનો આટલો સીધો વિરોધ આ વખતે આ બે કર્મશીલો સિવાય ભાગ્યે જ કોઈએ કર્યો છે. વાઇબ્રન્ટ બાબતે તેમને પ્રત્યક્ષ જમીન પરનો, રસ્તા પરનો ટેકો બહુ ઓછો છે એમ જણાય છે. સામાન્ય જનતા ‘ આવડા મોટા સરકારી તંત્ર સામે આપણે શું કરી શકીએ?’ એવી મજબૂરી અનુભવે છે. પણ જે કરી શકવાની દિશામાં નીકળ્યા છે તેમાં જોડાવા માટેનાં સમજ-સમય-શક્તિ લોકો પાસે નથી. વાઇબ્રન્ટના જાહેરમાં સક્રિય વિરોધનો સંબંધ છે ત્યાં સુધી આપણો નાગરિક સમાજ આ વખતે લગભગ નિષ્ક્રિય છે.
જિજ્ઞેશ કે સાગરનાં આ પબ્લિસિટી સ્ટન્ટ કે રાજકીય લાભની યોજના છે એવું પણ કહેવામાં આવે છે. પણ સરકાર મહિનાઓથી સતત ટાંપીને બેઠી હોય છતાં ય જિજ્ઞેશ દલિત પ્રશ્ને વિરોધ કાર્યક્રમો આપતો જ રહ્યો છે. સાગરભાઈ દેશવ્યાપી ઇન્ડસ્ટ્રીઅલ કૉરિડૉર હાઇવે યોજના અંગે જાગૃતિ ઝુંબેશમાં સક્રિય છે. તાજેતરમાં ખેડૂત સમાજે નોટબંધીના વિરોધમાં દક્ષિણ ગુજરાતમાં મોટું વિરોધ પ્રદર્શન કર્યુ.
સાગરે હજુ બીજી તારીખે જ સાડા ચારસો કિલોમીટરની ખેડૂત વેદના પદયાત્રા પૂરી કરી. આવાં ‘પબ્લિસિટી સ્ટન્ટ’ માટે પણ ગટ્સ જોઈએ. અને જો આવી ચળવળો થકી ‘રાજકીય લાભ’ મળવાના હોય તો એવું રાજકારણ ભલે થાય. નાગરિક સમાજના વિવિધ જૂથોમાં વિરોધ કરવાની રીત કે વ્યૂહરચનાની બાબતમાં મતભેદ હોઈ શકે, પણ વિરોધ સાવ હોય જ નહીં એ બાબત ખૂબ ગંભીર છે. દરેક પોતાની રીતે વિરોધ વ્યક્ત કરે એવું પણ લગભગ બની નથી રહ્યું. એમ પણ હોઈ શકે કે વિરોધ કરનારી અણુમતી હવે વિરોધ કરતાં કરતાં થાકી ગઈ છે અને એ કદાચ માનવીય પણ છે. વિરોધ પક્ષોની તાકાત અને વિશ્વસનીયતા, બંને અંગે લોકો સાશંક છે. નાગરિક સમાજના સંગઠનો, મોટા ભાગના કર્મશીલો અને એન.જી.ઓ.નું મૌન બહુ જ ચિંતાજનક છે. પ્રેસનોટો, ચર્ચાઓ કે ઇવન સોશિયલ મીડિયા થકી પણ તેમનો વિરોધ જવલ્લે જ દેખાય છે. યાદ કરીએ કે આ પહેલાંના વાઇબ્રન્ટમાં એટલે કે ૨૦૧૪ના વર્ષની અગિયારમી જાન્યુઆરીએ આ જ સરકારે વિરોધ કરનારા કર્મશીલોને એક દિવસ પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં રાખ્યા હતા. તે સહુ હતાં : સનત મહેતા, રોહિત શુક્લ, ઇન્દુકુમાર જાની, ગૌતમ ઠાકર, ભરતસિંહ ઝાલા, પર્સીસ જીનવાલા, લખન મુસાફિર, અને એ વખતે પણ સાગર રબારી.
વાઇબ્રન્ટને આપણે લલાટપરના લેખ તરીકે એકંદરે સ્વીકારી લીધું હોય એમ લાગે છે. ભક્તો અને નિર્લેપ આમ જનતા આંકડાની માયાજાળમાં અટવાય છે, માહોલની ઝાકઝમાળથી અંજાય છે. સામે પક્ષે સરકાર વધુ નિયંત્રણકારી બનતી જાય છે. રસ્તાના ડાયવર્ઝન, રસ્તાબંધી, પાસ, પાસવર્ડ, રજિસ્ટ્રેશન, સી.સી.ટી.વી. કૅમેરા, હથિયારધારી પોલીસોનો કાફલો એ જાણે હવે આપણને કોઠે પડી ગયું છે. તેમાં નામ સુરક્ષાનો ઇરાદો ઓછો અને આમ આદમી પર સત્તા ગજવવા, તેને દૂર રાખવાની દાનત વધુ હોય છે.
જ્યાં ચિત્ત ભયશૂન્ય નથી અને મસ્તક ઉન્નત રહેતું નથી તેવો એકંદર માહોલ છે. તેમાં જિજ્ઞેશ અને સાગરનો વાઇબ્રન્ટ સામેનો વિરોધ રવીન્દ્રનાથના પેલા વિશ્વપ્રસિદ્ધ ગીતમાં વ્યક્ત થતી – જાહેરજીવનમાં અનિચ્છનીય – પરિસ્થિતિનું ભાન કરાવે છે : જો સહુનાં મોં સીવાય, જ્યારે સહુએ બેસે મોં ફેરવી, સહુએ ડરી જાય, જો સહુએ પાછાં જાય, સહુ ખૂણે સંતાય, ત્યારે તું એકલો જાને રે …
૧૧ જાન્યુઆરી, ૨૦૧૭
E-mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2017; પૃ. 02-03