એ ચુકાદો ગુજરાતે ન્યાયિક-નાગરિક જીવનની શિક્ષાદીક્ષાની દિશામાં પાઠ્યપુસ્તક તરીકે ઉતારવાની જરૂર છે.
ગુરુવારે બિલ્કીસ-યાકુબ બેઉ અમદાવાદમાં હતાં. પંદર વરસમાં પંદર કે એથી વધુ વાર ઘર બદલી ગુમનામ જેવી જિંદગી બસર કરનાર દંપતી માટે ગુજરાતમાં આમ પ્રગટ થવું કદાચ પહેલીવારકું હતું. દસમું પાસ દીકરી વકીલ બને અને લોકોને ન્યાય અપાવવામાં સક્રિયપણે સંડોવાય એવી એમની અંતરની ઉલટ છે. નોંધ્યુ તમે? ન્યાય. બદલો નહીં પણ ન્યાય. જે નવો સમાજ રચવાપણું છે એની સફર બદલાની આગથી જ કાપવાનો ખ્યાલ રહે તો પાંચ પગલાં આગળ પણ દસ પગલાં પાછળ એવો ઘાટ થાય. બદલો એ સ્નેહન(ઊંજણ/ઑઇલિંગ)ની ગરજ ન સારી શકે. પણ ન્યાયની પ્રક્રિયા એ આંખ સાટે આંખ અને ખૂન કા બદલા ખૂનના રસ્તે સિદ્ધ ન થઈ શકે. તલવાર ભાંગીને હળ કરવાની, સંહારને બદલે નિર્માણને રાહે પ્રતિકાર – રિપીટ, પ્રતિકાર કરવાની નવ્ય નાગરિક નીતિ ન્યાયની સાંકડી ગલીમાંથી પસાર થાય છે. આ અલબત્ત અઘરું છે. જો કે તે દુ:સાધ્ય હોઈ શકે છે, પણ અસાધ્ય નથી. માત્ર અમન અને એખલાસનો વિમર્શ એમાં ઇન્સાફ ન હોય તો કમાનઢઢ્ઢા વગરનો બની રહે. કરુણાપ્લાવિત હોવું તે તે કોઈ કળણમાં ખૂંપવું નથી. બિલ્કીસ યાકુબ અને એવા અસંખ્ય ભોગ બનેલાઓ બહુમતીવાદનાં દાઝયાં લોકશાહી સમાજ અને ન્યાયનો રાજપથ-જનપથ ન ચૂકે તેમ સૌ ઇચ્છશે.
જેમણે સંહારસત્રને કાર તળે કચડાઈ જતાં ગલુડિયાના ખાતામાં ખતવીને આગ અને બદલાના રાજકારણ જેવી ઊંચી ને ઊંડી ન્યાયિક-નાગરિક ચર્ચાને છેક જ ક્ષુદ્રતાના પ્રદેશમાં ધરબી દીધી, એ વિજયશિખરે બેઠાં આ વાનું પકડી શકે? હમણાં જ કહ્યું કે અઘરું છે. ગયે અઠવાડિયે બિલ્કીસ નિમિત્તે લખવાનું થયું ત્યારે અનુમોદના અને અનુંશંસાના ઠીક ઠીક ઇ-મેલ વચ્ચે એક ઇ-મેલ આ વાનું નહીં પકડાવાથી થતા અસુખ અને કદાચ રોષનો પડઘો પાડતો હતો: ‘ક્યારેય ગોધરામાં જીવતા સળગાવી દેવાયેલા 58 જણાની વેદના તમને સમજાઈ છે?’ મેં લખ્યું કે એ ઘટનાને હું તત્ક્ષણ નિર્ઘૃણ કહી ચૂક્યો હતો. જો કે આ પ્રતિભાવથી એમને સ્વાભાવિક જ સંતોષ નહોતો.
આજની કટારનોંધનો જે મુખડો બાંધ્યો, ન્યાયનિષ્ઠ ભૂમિકાનો એના ઉજાસમાં બે શબ્દો ગોધરાની નિર્ઘૃણ ઘટના સબબ સમજની રીતે અહીં લાજિમ લેખાશે. હું જોઉં છું કે મિત્રો ગોધરા-અનુગોધરા એ બેઉ નિર્ઘૃણ ઘટનાક્રમ વચ્ચે જે વિવેક નથી કરી શકતા અને ભેદ નથી જાળવી શકતા તે જે – તે તબક્કે સરકાર ક્યાં હતી એ મુદ્દે છે. ગોધરામાં તત્કાળ સરકારી કારવાઈ થઈ હતી. અનુગોધરામાં સરકારી વલણ બહુધા મેળાપીપણાનું હતું, ગુનેગારોને બચાવવાનું – બલકે, એમનું ગૌરવ કરવાનું હતું. તે સૌની સરકાર નહોતી.
જો કે, આ પાયાનો વિવેક કર્યા પછી જે એક સૂક્ષ્મ મુદ્દો કરવાજોગ છે એને તો મનોજ મિટ્ટા જેવા કાયદાકાનૂન પરીક્ષણમાં માનવતાવાદી માહેર અપવાદ બાદ કરતાં બીજા કોઈ ભાગ્યે જ છેડતા તો શું સમજતા પણ હશે. તત્કાલીન મુખ્યમંત્રીએ ગોધરાની સ્થળ મુલાકાત લીધા પછી એ જ સાંજે (27 ફેબ્રુઆરી 2002ના રોજ) રાજ્ય સરકારની સત્તાવાર યાદીમાં એમના એ ઉદ્દગારો મુકાયા હતા કે આ એક ‘પ્રીપ્લાન્ડ’ એવું ‘ક્લેક્ટિવ વાયોલન્ટ ઍક્ટ ઑફ ટેરરિઝમ હતું.’ આ વિધાનમાં કંઈ નહીં તો પણ બેજવાબદાર ઉતાવળ તો હતી જ. વાચકોને યાદ કરાવી દઉં કે આગળ ચાલતાં ‘ટેરરિઝમ’નો આક્ષેપ સત્તાવાર પડતો મૂકાયો હતો. ગમે તેમ પણ સરવાળે સમજાઈ રહેવું જોઈતું વાનું એવું ને એટલું તો છે જ કે નિર્ઘૃણ ઘટનાક્રમના બે તબક્કાઓ વચ્ચે ન્યાયિક કામગીરી અને શાસકીય જવાબદારી બાબતે દિલચોરીનું એક આખું દાસ્તાન પડેલું છે.
પોલીસની ખુદની તરાહ ને તાસીર અને રાજ્યકર્તાઓની માનસિકતા મળીને કેવું કેવું ન કરવાનું કરાવતાં રહ્યાં એના નાદર નમૂના એ વર્ષોમાં સતત મળતાં રહ્યાં છે. આ લખું છે ત્યારે સાંભરે છે કે 2003ના સપ્ટેમ્બરની ચોવીસમી તારીખે અમે સાથીઓ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ કલામને મળ્યા હતા અને લેખી રજૂઆતરૂપે તેમ મૌખિક એ એક વાત અધોરેખિતપણે નિવેદિત કરી હતી કે ગૌરવયાત્રામાં ગુલતાન સરકારને પોતાના આઈબી હેવાલોમાં ફોલોઅપની ફુરસદ (અગર તમા) નથી. એ જ સાંજે હજુ અમે દિલ્હી છોડીએ એ પહેલાં અક્ષરધામ કાંડના સમાચાર આવ્યા હતા, અને બ્લેક કમાન્ડોએ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા ઉઠાવેલી જહેમતની વિગતો પણ પછી જાણવા મળી હતી. ગમે તેમ પણ, બહુ જ ભૂંડી રીતે, બર્બર બનાવોની સાખે, સાચા પડ્યાનો ખેદ લાંબો સમય રહેશે.
અલબત્ત, અક્ષરધામનું સ્મરણ અહીં કરવાનું કારણ તો, આટલા મોટા કાંડ પછી ગુજરાત પોલીસે ડુંગર ખોદીને ઉંદર પણ નહીં કાઢ્યા જેવો જે હિસાબ આપેલો તે છે. જે-તે તપાસ એજન્સીઓના સહયોગથી પોલીસે પકડી આણેલા ‘ગુનેગારો’ને સર્વોચ્ચ અદાલતે બેકસુર કહી છોડી મૂકવાની નોબત આવી હતી! ન્યાયપીઠે કહ્યું હતું: ‘દેશની અખંડિતતા અને સુરક્ષાને લગતી એક ગંભીર ઘટનાની તપાસમાં જે-તે એજન્સીઓએ કરેલી છાનબીનમાં રહેલી નિ:શેષ અક્ષમતા (ઇન્કોમ્પીટન્સ) અંગે અમે પરિતાપ અને વ્યથાની લાગણી આ સાથે જાહેરમાં મૂકીએ છીએ. અસંખ્ય અમૂલ્ય જિંદગીઓ હરનારા ખરા ગુનેગારોને પકડવાને બદલે નિર્દોષ લોકોને પકડ્યા અને એમના પર એવા ભેંકાર આરોપો મૂક્યા કે એમને આકરી સજા થઈ અને લાંબા સમય માટે જેલના સળિયા પાછળ ધેકેલાયા.
16 મે 2014નો સર્વોચ્ચ અદાલતનો આ આખો ચુકાદો ગૌરવગ્રસ્ત ગુજરાતે ન્યાયિક-નાગરિક જીવનની શિક્ષાદીક્ષાની દિશામાં પાઠ્યપુસ્તક પેઠે અંતરમાં ઉતારવાની જરૂર છે, પણ -પરબારા પકડાયેલા શતપ્રતિશત નિર્દોષ લોકો પૈકી એક મૌલવી અબ્દુલ કય્યુમે ‘ગ્યારહ સાલ સલાખોં કે પીછે’માં સમગ્ર અનુભવનું બયાન કર્યું છે. લખવાના વેગમાં લખાઈ ગયા પછી, એ ભેંકાર અનુભવ વળી રખેને જીવતો થાય તે ભયે પોતે ફરી વાંચવાનું સાહસ કરી શકયા નથી એવીયે એક વાયકા છે. પણ જોવાનું એ છે કે ગયા શનિવારે સાંજે અમદાવાદમાં રિવરફ્રન્ટના મનુષ્યકૃત પટમાં મુસ્લિમ ભાઈબહેનોનું જે વિશાળ સંમેલન મળ્યું હતું, અમન અને એખલાસ કાયમ કરવા માટે, એના સંચાલકો પૈકી એક આ ‘સલાખોં કે પીછે’ – ખ્યાત અબ્દુલ કય્યુમ હતા અને એમના આરંભિક ઉદ્ગારોમાંથી નિર્મળ-નિશ્છલ ગંગાજમની તહજીબ ફોરતી હતી. બદલો નહીં પણ ન્યાય ખસૂસ સહી, એવી એ ભૂમિકા હતી. ગંગાજમની તહજીબને ન્યાયી નવસમાજ, નાગરિક સમાજની ભૂમિકાએ એકવીસમી સદી અગર તો યુગાબ્દ 5119 કે પછી હિજરી 1438ને લાયક નવેસર રિપીટ, નવેસર કાલવવાની ચાલના અને ધખનાથી પ્રેરાઈ આ થોડીએક દિલની વાતો …
સૌજન્ય : અક્ષરધામનો કેસ’, “દિવ્ય ભાસ્કર”, 13 મે 2017