અલ કાયદા : બાંગ્લાદેશ, આસામ, ગુજરાત, કાશ્મીર … અને મુસ્લિમ બ્રધરહૂડ સ્ટેટ ('ઉમા’)
કબૂલ કે એ ઉદ્દગારોમાં એક તરેહનું સ્માર્ટિંગ છે. કંઈક ચાતુરી તો તત્કાળ ચમત્કૃિત પણ છે. 'દેશ જ્યારે ભડકે બળતો હતો, મોદી ત્યારે ઢોલ પીટતા હતા,’ અમેઠીની પુશ્તૈની બેઠકની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું છે. ૨૦૧૪ના સપ્ટેમ્બર મહિનામાં આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે રાહુલ ગાંધીના ખયાલમાં એટલી એક સાદી વિગત તો કમ સે કમ હોવી જોઈએ કે હજુ મે ૨૦૧૪ લગી એટલે કે પૂરા એક દાયકા લગી તો રાષ્ટ્રીય સ્તરે યુ.પી.એ.નું જ શાસન હતું. દેશમાં બધું ઠીકઠાક ન લાગતું હોય તો એનો સઘળો યશ કંઈ પહેલાં સો દિવસને જ ખતવી શકાતો નથી.
જો કે, ઉલટ પક્ષે, પહેલા સો દિવસમાં જ 'અચ્છે દિન’નાં વધામણાં રૂપે વૃિદ્ધ દરનો હવાલો અપાય છે ત્યારે એક સાદી વિગત ખયાલમાં રહેતી નથી કે આ વધારો વસ્તુત: જતી સરકારે લીધેલા અને અમલમાં મૂકવા માંડેલા કેટલાક નિર્ણયોને આભારી છે. જે ગાળાને આધારે વૃિદ્ધનો હવાલો અપાય છે તેનો ઠીક ઠીક હિસ્સો યુ.પી.એ.ના ખાતામાં જાય છે. આબાદ વિગત તો ઘરઆંગણે ગુજરાતની છે. 'વાઈબ્રન્ટ’ ઈવેન્ટ આગમચ પડદા ઉઠાવ ઉર્ફે કર્ટન રેઝર જેવું જે બધું સાહિત્ય હાલ ફરી રહ્યું છે એમાં રાષ્ટ્રીય ચિત્ર જરી હુલાવીફુલાવીને રજૂ કર્યું છે. કદાચ, ગુજરાતમાં અને કેન્દ્રમાં આજકાલ એક જ પક્ષની સરકાર છે એનો આ જોસ્સો હશે. ભાઈ, કેન્દ્રના આ આંકડા તમે જે કાળે એનાં પર માછલાં ધોતાં હતાં તે કાળના જ છે એટલું તો વિચારો જરી.
મતલબ, વિચારધારાકીય ભેદમાં ન જઈએ તો રાષ્ટ્રીય સ્તરે તેમ રાજ્ય સ્તરે કેટલુંક સાતત્ય રહેલું છે. જે સવાલ છે એ ખરેખર તો બંને મુખ્ય પક્ષોએ નવી સ્થિતિને એટલે કે પરાજય અને વિજયને પચાવી જાણવાનો છે, અને પ્રાપ્ત નવી ભૂમિકાને અનુરૂપ પોતાને તૈયાર કરવાનો છે. આરંભે રાહુલ ગાંધીના જે ઉદ્દગારો સંભાર્યા એમાં પરાજયને પગલે પક્ષમાં પોતાને અંગે પણ જે પ્રશ્નો ઊઠયા છે એની ભીંસ સાફ દેખાય છે. એથી પણ વિશેષ તો, કોંગ્રેસ પક્ષે પોતાને વિપક્ષરૂપે સત્તાવાર સ્વીકૃતિ મળે તે માટે જે અરજઘોંઘાટ કર્યાં એ પણ ધ્યાન ખેંચે છે. પૂર્વે કોંગ્રેસ સત્તાપક્ષ હોય અને સામે પક્ષે પૂરતી સંખ્યા ન હોય ત્યારે સરકાર તરીકે પોતે જે તૈયારી દાખવી નહોતી તેની આશા હવે રાખી શકાય? અલબત્ત, ભાજપે સમુદાર ધોરણે નવો દાખલો બેસાડયો હોત તો ખોટું નહોતું. પણ એ અળગતની વાત છે.
બંને મુખ્ય પક્ષ પોતપોતાની નવભૂમિકામાં ગોઠાવાવા અંગે કાચીપાકી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે દેશનું બાકી ચિત્ર ખરે જ કેટલાક એવા મુદ્દા ઊભા કરે છે જેમાં ભારે મોટી જવાબદારી રહેલી છે. અલ કાયદાનો જે તાજો વીડિયો બહાર આવ્યો છે એ આવો જ એક મુદ્દો છે. બને કે અલ કાયદા પોતે અત્યારે એક ઓસરતી આણનો અનુભવ કરી રહ્યું હોય અને પશ્ચિમ એશિયાને બદલે દક્ષિણ એશિયામાં નવું પ્રભાવક્ષેત્ર જમાવવાનો એનો વ્યૂહ હોય. પણ એ જો દક્ષિણ એશિયામાં ગુજરાત સહિતના વિસ્તારોમાં 'ઉમા’ કહેતાં મુસ્લિમ બ્રધરહુડ સ્ટેટને ધોરણે હિંસ્ત્ર હવા પ્રેરવા માગતું હોય તો એ એક મોટો પડકાર તો છે જ.
ધર્મ આધારિત રાષ્ટ્ર-રાજ્યનો ખયાલ પાકિસ્તાન અને બાંગલાદેશ પરસ્પર છૂટાં પડયાં તે સાથે બેશક ભોંઠો પડેલો છે. પણ ભારતમાં જેઓ ઝીણાના હિંદુ અડધિયા તરીકેની રાજનીતિ ખેલે છે એમને વિશે શું કહેવું? આ રાજનીતિ 'ઉમા’ અભિગમને ટક્કર કેવી રીતે આપી શકે? ઊલટું, એ તો દેશને હિંદુ અને મુસ્લિમમાં વહેંચવાને ધોરણે એને મદદરૂપ જ બની રહે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ મજલીસ મુશવરતે અલ કાયદાને સમયસરની સલાહ આપી છે કે આ મુલકમાં તમારી ડખલની જરૂર નથી. તમે અમને (મુસ્લિમોને) ઊલટાનું નુકસાન પહોંચાડશો.
વળી આપણા પક્ષોની વાત કરીએ. 'લવ જેહાદ’નું જે રાજકારણ ચગાવાયું છે અને મુઝફફરનગર કાંડને વરસ વીત્યે પણ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ અને ભાજપ જે રીતે કોમી તનાવ મતદાનીય ધ્રુવીકરણની આશાએ ચાલુ રાખી રહ્યા છે એમાં ઘોર બેજવાબદારી નથી તો કશું નથી. તમે 'અલ કાયદા’ના પડકારને આ રીતે ન જ ઝીલી શકો. રાહુલ ગાંધી અને કોંગ્રેસકારણના બીજા આંતરિક મામલાઓમાં આ ક્ષણે ધારો કે ન જઈએ અને રાહુલ ગાંધીને કેમિયો અભિગમની કળ વળે એટલો એક આશાવાદ પ્રગટ કરીને અટકી જઈએ. પણ જાહેર જીવનમાં પોતાની નવભૂમિકા બાબતે તેઓ જો ખરેખર જ સભાન અને કૃતસંકલ્પ હોય તો એમણે સત્તાવાર વિપક્ષ તરીકે માન્યતા મળ્યા ન મળ્યાની ફરિયાદથી હટીને લોકોનાં વાસ્તવિક સુખદુ:ખના પ્રશ્નો જોડે સક્રિયપણે સંકળાવું જોઈએ. ઉપર 'વિકાસ-વિકાસ’નું એર કવરેજ અને નીચે કોમી ધ્રુવીકરણની રાજનીતિ ખેલતું પાયદળ, એ જે હાલની અનવસ્થા છે એનો કદાચ આ જ એક ઉગાર છે. જે સલાહ કોંગ્રેસને, તે જ બિહારમાં લાલુ-નીતીશ જોડાણને પણ આપવી રહે છે.
પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર 'નિરીક્ષક’ના તંત્રી છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 05 સપ્ટેમ્બર 2014