– ચીન-અમેરિકા અંજપાની અધવચ
– પેટાચૂંટણીનાં પરિણામો – ન તો કોમી ધ્રુવીકરણની લવજેહાદી કારી ચાલી, ન તો વિકાસમંત્રને યારી મળી
એક પા અમદાવાદમાં રિવર-ફ્રન્ટ ઉર્ફે નર્મદા મહાહોજ પર હીંચકેઝૂલ માયામહોબત અને બીજી પા લેહ-લદ્દાખમાં ઘૂસણખોરીનો ચાલુ સિલસિલો : ચીનના રાષ્ટ્રપ્રમુખની ભારતયાત્રા અને ભાજપી અછો અછો વાનાં, કેવી રીતે જોશું એને? ગમે તેમ પણ, એક બાજુએ પાકિસ્તાન સાથે વારાફરતી ગરમનરમ ઢબે રોકાયેલ રહેવાની રણનીતિ અને બીજી બાજુએ ચીન સાથે નવબજારની રાજનીતિ – લાગે છે કે સપ્ટેમ્બર ઊતરતે અમેરિકાની મુલાકાત પૂર્વે નમો ચોક્કસ ભોંય અગર આભા કેળવવાની પશોપેશમાં છે.
આ લખી રહ્યો છું ત્યારે એક મિત્ર સી.એન.એન. પરથી રવિવારે પ્રસારિત થનારી ફરીદ ઝકરિયા સાથેની વિગતવાર મુલાકાતમાં નમો સુકિ્તની આગોતરી ઝલક આપે છે કે, હિંદના મુસ્લિમો દેશને માટે મરશે, દેશને માટે જીવશે અને તેઓ દેશનું ભૂંડું કદાપિ નહીં ઇચ્છે. ઓબામા સાથેની વાટાઘાટ અને વર્ષોના વિઝા-વેગળાટ પછી મેડિસન સ્ક્વેરનો મેગા ઈવેન્ટ, આ બધાં પૂર્વે પીઆર પેરવી જારી છે, તે જણાઈ આવે છે.
છેલ્લાં પચીસ વરસમાં કોઈને નહીં એવી અને એટલી બેઠકી આસાએશ સાથે સત્તારૂઢ મોદી ભા.જ.પ. તાજેતરની પેટા ચૂંટણીઓમાં પછડાટ સાથે કંઈક મનોવૈજ્ઞાનિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો જણાય છે. વિકાસની આકાશી ખેતી અને કોમવાદની જમીની ફસલ, એવી ફાંકડી ફોર્મ્યુલા મતદારોએ બિનકોમી મતદાનથી ભોંઠી પાડી છે. ‘લવજેહાદ’નું કોમી રાજકારણ પક્ષમાં શીર્ષસ્તરેથી કશી રોકટોક વગર સ્ટાર કોમ્પેનર આદિત્યનાથે ખેલ્યું તે પછીના પીઆર વ્યાયામ તરીકે પણ ઝકરિયા સાથેની વાતને જોવા જેવી છે.
બિહારમાં નીતિશકુમારના સત્તાભાગિયા રહેલા સુશીલ મોદીએ કહ્યું છે કે, બિહારમાં આવી કોઈ આદિત્યનાથવાળી થઈ હોત તો અમે એનો સત્તાવાર રદિયો અને વિરોધ નોંધાવ્યો હોત. જે.ડી.યુ.-ભા.જ.પ. સરકારમાં આંતરધર્મી, આંતરજ્ઞાતીય લગ્નોને વિશેષરૂપે નવાજતાં હતાં અને બિહાર ભા.જ.પ. મુસ્લિમ ઉમેદવારો બાબતે ખુલ્લા દિલે આગળ જવાનું ચાલુ રાખશે એમ પણ સુશીલ મોદીએ કહ્યું છે. નરેન્દ્ર મોદીની મૌન મુદ્રા, રાજનાથસિંહની નફફ્ટ નિર્દોષતા (‘હેં, શું કહ્યું – લવજિહાદ? એ વળી કઈ બલાનું નામ છે?)’ આદિત્યનાથનું વલણ અને સુશીલ મોદીનો પ્રતિભાવ : કેવળ વ્યૂહાત્મક વાનાં માત્ર તરીકે નહીં જોતાં આ પ્રશ્ન વધુ વ્યાપક અને સઘન વિચાર માંગી લે છે.
ભા.જ.પ.માં જેઓ સુશીલ મોદીની જેમ ભલે વ્યૂહાત્મક રીતે પણ વિચારે છે, એમણે વસ્તુત: જાતતપાસ કરવા જોગ મુદ્દો એ છે કે તેઓ મુસ્લિમો વિશે કોઈ છૂટછાટની રીતે અને રહેમરાહે જુએ છે કે પછી સાથી -નાગરિક તરીકે છે. ગોવિંદાચાર્યે અને એમની તરજ પર નમોએ જે સામાજિક ઈજનેરી વ્યૂહ અપનાવ્યો એમાં ઓ.બી.સી. અને બીજાઓને સમાવવાનો એટલે કે ઉજળિયાત તબકાને અતિક્રમવાનો અભિગમ હતો. 1992-93માં ભા.જ.પે. અયોધ્યા લેતાં લખનૌ ખોયું એનું રહસ્ય માયાવતી-મુલાયમ એક થઈ ગયાં એમાં હતું. ત્યારથી, ઉમા ભારતીના શબ્દોમાં, સમજાઈ ગયું કે ‘ચાલ, ચેહરા ઔર ચરિત્ર બદલના હોગા.’
મતલબ, હિન્દુ કહેતાં સવર્ણ હોવું પૂરતું નથી. ચાવાળા જેવી વર્ગીય ઓળખ અને ઓ.બી.સી. જેવી વર્ણીય ઓળખ તેમ જ સવર્ણવાદ મળીને વિનિંગ ફોર્મ્યુલા બને છે. પણ આ વિજયસૂત્રની ચાલના સાથી-નાગરિક હોવાના ભાવ કરતાં વધુ તો ‘ધ અધર’ સામે ગોળબંદ થવાની લાયમાંથી આવેલી હોય છે. જોવાસમજવાનું એ છે કે સમાજવાદી વૈચારિક અભિગમે આપણને વર્ગવાસ્તવ પરત્વે સભાન કર્યા. રામમનોહર લોહિયા અને આંબેડકરે પોતપોતાને છેડેથી આપણને વર્ણવાસ્તવ વિશે પણ સભાન કર્યા. પણ વર્ણ અને વર્ગની ચર્ચામાં તેઓ બધો વખત એકાન્તિક અંતિમે નહોતા.
ક્રાંતિ અને પરિવર્તનના વ્યાપક સંદર્ભમાં સમાનતા અને ન્યાયનાં મૂલ્યોની રીતે વિચારનારા એ હતા. તેથી દલિતો અને લઘુમતીઓ વિશે એમનું વલણ સાથી-નાગરિકને મળવા જોઈતા ન્યાયની દૃષ્ટિએ સમાવેશકારી હતું. લોહિયા પ્રણિત બિનકોંગ્રેસવાદે અને જયપ્રકાશના આંદોલને સંઘ પરિવારને આ વ્યાપક અભિગમની મુખોમુખ થવાનો અવસર આપ્યો, પણ યોધ્યાજ્વર સાથે વળીને ‘ધ અધર’ સામે ગોળબંદ થવાની માનસિક્તા મુખ્ય બની ગઈ.
બીજી પાસ, લાલુ-મુલાયમનું રાજકારણ નકરા નાતજાતવાદ સાથે સમીકૃત થઈ ગયું. અયોધ્યાજ્વરના અને મંડલવાદના વડા લાભાર્થી મોદી પાછલાં વરસોમાં વિકાસનો મુદ્દો આગળ કરતા થયા હોય તો પણ એમણે ગળથૂથીગત અને પરિવારગત ઘણું સમજીવિચારીને તહેદિલથી છોડવું પડે એમ છે. (કોર્પોરેટીકૃત વિકાસ વળી જુદી જ સમસ્યા સરજે છે, પણ આ ક્ષણે એમાં નહીં જઈએ.) ગમે તેમ પણ, મેડિસન સ્કવેરનું અધધધ રાવણું, ટાઈમ્સ સ્કવેર પરનું સીધું પ્રસારણ, ધારો કે વ્હાઈટ હાઉસમાં લાલ જાજમ, એ બધું પોતે થઈને કોઈ ઉગાર કે ઈલાજ નથી. સ્વાતંત્ર્ય ચળવળના અગ્રચરણરૂપે ભારત વર્ષે નવઘડતરનો જે મૂળગામી પડકાર ઝીલવાનો છે તે ચીન-અમેરિકી દોરના અંજાપામાં લોકને ચુકાઈ ન જાય તે સારુ આ બે શબ્દો.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 20 સપ્ટેમ્બર 2014