અમરેલીની નદીને સામે કાંઠે એક સાધુ રહેતો હતો. ઉનાળાના તાપમાં તૃષાતુર ગાયો સીમમાંથી દોડી આવે. નદીમાં જળશૂન્ય રેતી જોઈને નિ:શ્વાસ નાખી ગાયો પાછી વળે. બાવાજીની ઝૂંપડીએ જઈને ઊભી રહે; આઘેઆઘેથી પાણી ખેંચી લાવીને બાવો એ ટળવળતી ગૌવાઓને થોડું થોડું પીવરાવે.
એક દિવસ બાવો આંગણાની અંદર પોતાના ચીપિયા વતી ભોંયમાં ખોદતો હતો. રોજ પ્રભાતે ઊઠીને ખોદવા લાગ્યો. પણ નાજુક ચીપિયાના ઘા તે કેટલાક ઊંડા જાય? સીમમાંથી આવતા ખેડુનું ધ્યાન ખેંચાયું. પૂછતાં એ પાગલ બાવાએ ઉત્તર વાળ્યો કે ‘ઢોરને પાણી પીવાડવા કૂવો ખોદું છું.’ બીજું કશુંયે બાવો બોલ્યો નહિ. એના સ્વરમાં આજીજી નહોતી, લાચારી નહોતી, મદદ માટેની માગણી નહોતી.
બીજા દિવસના બપોર થયા. સીમમાંથી સાંતીડાં પાછાં વળ્યાં. પ્રત્યેક સાંતી ઉપર અક્કેક મોટો પથ્થર. બધા પથ્થરો બાવાની ઝૂંપડી પાસે ઠલવાયા. રોટલા જમીને ખેડૂતો આવ્યા, કોદાળી પાવડો સાથે લાવ્યા. બાવાજીના ચીપિયાએ નિશાની કરેલી તે જમીનમાં કૂવો ખોદાવા લાગ્યો. રોજ આવીને ખેડૂતો પથ્થર ઠલવે; બપોર પછી સાંતી બંધ થાય, ને કૂવો ખોદાય. જોતજોતામાં કૂવો ખોદાયો. ખેડૂતોની બાયડીઓએ આવીને મદદ કરી. પથ્થર વડે પાકો કૂવો બંધાયો. આજ ગાયો, ભેંસો ને બળદો ત્યાં પાણી પીએ છે. બાવો હયાત નથી. એની મઢૂલી મોજૂદ છે. ચીપિયાના ઘા અફળ નથી ગયા.
આપણે ગૌપૂજક હિંદુ જાત. કતલખાનાંની અંદર વરસે વરસે હજારો ગાયોનાં ગળાં રેંસાતાં સાંભળી આપણે હાહાકાર કરી મૂકીએ; નવાં કતલખાનાં ખોલાય તે સામે સભા ભરી આપણે સખત વિરોધનો ઠરાવ કરીએ.
પશુપરિષદો ભરનારા, ચંદ્રકો જીતનારા અને પ્રેક્ષક બનીને ઠરાવો ઝીલનારા કેટલા જણને આંગણે અક્કેક દુઝાણું દેખ્યું છે? ક્યા ગૌબ્રાહ્મણપ્રતિપાળે ગૌચરની જમીનો દબાવી નથી દીધી? ગામડાંનાં પશુઓ ખરીદ કરનારા, ને પરદેશમાં માંસચરબી માટે મોકલી દેનારા હિંદુઓ છે કે નહિ? અને પોતાનાં ઢોર પૈસાના લોભે વેચી નાખનારા બીજા કોણ છે?
‘ગોમાંસના ભક્ષકો’ તરીકે આપણે પરદેશીઓને નિંદીએ છીએ, પણ એને ત્યાંનું ગૌ-પાલન જોયું છે? એની ગાયો જબ્બર ભેંસો જેવી; શરીરો પર બગાં કે ઈંતડીનું નામ ન મળે: કસદાર ઘાસનાં ગૌચરો; છીંક આવે એવી સાફ ગમાણો. સળી ઊભી રહે એવું ઘાટું દૂધ એ ગાયો કેમ ન આપે?
ક્યાં ગયા પેલા પુનિત દિવસો જ્યારે હિંદુને આંગણે આંગણે અક્કેક દુઝાણું બંધાતું? બાલિકાઓ પ્રભાતે ઊઠી ગાયમાતાનાં કપાળમાં કંકુનો ચાંદલો કરતી, નાનાં બચ્ચાંઓ વાછડાવાછડીને નદીએ લઈ જઈ ધમારતાં, ઈંતડીઓ ચૂંટી કાઢતાં, ગળે ટોકરી બાંધતાં, વાછડાનાં મોં પર બચ્ચી કરતાં. ડોકે બાઝીને આલિંગન આપતાં, ઘરમાંથી ચોરીચોરીને દાણા કે રોટલો ખવરાવતાં; હિંદુ રમણીઓ આઘે આઘે વગડામાંથી ઘાસ વાઢી લાવતી, ખોળ-કપાસીઆ ખરીદી આવતી, અધરાતે દૂધ જમાવતી, પરોઢીએ છાશ ઝેરવતી, ઘી બચાવી બચાવીને દીકરીઓને કરિયાવરમાં દેવા પૂંજી એકઠી કરતી, છાશ આપી આપીને પાડોશીની આંતરડી ઠારતી; અને પુરુષોની પથારીઓ તો રાત્રીએ ગમાણની પાસે જ પડતી. બેચાર વાર રાતમાં પુરુષો ગાયોને નીરણ કરે, લગાર સંચાર થતાં લાકડી લઈને પુરુષ જાગી ઊઠે. ક્યાં ગયા એ દિવસો, જ્યારે આંગણેથી ઢોર વેચવું પડે ત્યારે દિવસોના દિવસો સુધી ઘરના પરિવારને ખાવું ન ભાવે, ને ઢોર મરે ત્યારે બચ્ચાં ધ્રુસકે ને ધ્રુસકે રડે, બાયડીની આંખમાંથી બોરબોર જેવડાં પાણી પડે !
શહેરોમાં કોટ્યાધિપતિ વૈષ્ણવો પડ્યા છે. એને જો કૃષ્ણ-ગોપાળની ધેનુ વહાલી હોય, તો ગાયોને પોતાના મહેલમાં નભાવી લે. આજ તો વેરાનમાં બેઠો બેઠો ગોપાલ કલ્પાંત કરે છે. એની વહાલી ધેનુઓ આજે કપાય છે. આજ પ્રત્યેક પશુની દયામણી આંખોમાં કનૈયો રડી રહ્યો છે.
હિંદુઓને મન ગૌરક્ષા પરમ ધર્મ છે. પણ ધર્મ તો હવે એક વેચવા-ખરીદવાની વસ્તુ થઈ પડી, નહિ તો માત્ર કસાઈખાને જતી ગાયોને લખલૂટ નાણાં આપી છોડાવવામાં જ આપણે સંતોષ ન માની બેસત.
ગામડાંને આંગણે આંગણે, સાધુસંતોને આશ્રમે આશ્રમે ને પ્રત્યેક રાષ્ટ્રીયશાળાની અંદર પશુઓના ખીલા ખોડાશે ને સંકટને સમયે જેમ આપણાં સંતાનોને આપણે નથી વેચી મારતા, પ્રાણ જાય ત્યાં સુધી પાળીએ છીએ, તેવી જ રીતે પશુડાં પળાશે તો જ બચાશે.
[મિલાપની વાચનયાત્રા : 1950 // પાના નં: 70 થી 72]
![]()


આ શબ્દો છે સુરત જેમની જન્મભૂમિ હતું, ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના જેમને આભારી છે તે રણજિતરામ વાવાભાઈ મહેતાના. આ શબ્દો લખાયા હતા ઇ.સ. ૧૯૦૯માં. પણ રણજિતરામભાઈએ આજથી ૧૦૩ વર્ષ પહેલાં લખેલા આ શબ્દો નીચે સહી કરવા માટે આજનો કોઈ પણ આભાસી સ્વેચ્છાએ તૈયાર થશે. લાગે છે કે આટલાં વર્ષોમાં કશું જ બદલાયું નથી. સાધનોની મુશ્કેલી આજે પણ એટલી જ છે, બલકે વધી છે. વર્ષ દરમ્યાન પ્રગટ થતાં બધાં જ પુસ્તકોની માહિતી મળી રહે એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવાની અને તેને ધગશ અને કુશળતાથી નિયમિત રીતે ચલાવવાની જરૂર આજે પણ આપણને વર્તાતી નથી. એવી માહિતી મેળવવા પત્રો લખીએ તો આજે ચાર જવાબ પણ કદાચ ન મળે.
‘જ્ઞાનસુધા’ પછી બીજો પ્રયત્ન કર્યો વિજયરાય વૈદ્યે, તેમના ‘કૌમુદી’ ત્રૈમાસિકમાં. હકીકતમાં તેઓ તો વાર્ષિક કરતાં પણ આગળ વધીને ત્રિમાસિક સરવૈયું રજૂ કરવા મથી રહ્યા હતા. ૧૯૨૪માં પ્રગટ થયેલા ‘કૌમુદી’ના પહેલા જ અંકથી તેમણે ‘સમકાલીન સાહિત્યપ્રવાહ’ શીર્ષક નીચે પુસ્તકોનુ સરવૈયું પ્રગટ કરવાનું શરૂ કરેલું. વિલક્ષણ અને વિચક્ષણ વિવેચક વિજયરાય ચીલાચાલુ રીતે તો આવાં કામ કરે જ શાના? પહેલા અંકમાં આગલા ત્રણ મહિનામાં પ્રગટ થયેલાં પુસ્તકો વિશે લંબાણથી લખેલું. તો બીજા અંકમાં ‘૧૯૮૦નું વાઙમય’ નામનો લાંબો લેખ એક મિત્રને પત્ર રૂપે લખેલો. તેની શરૂઅતમાં તેમણે મિત્રને ઉદ્દેશીને લખેલું: “ગઈ પચ્ચીસીનું યુરોપી સાહિત્ય તમે ઘણું વાંચ્યું છે પણ આજના અગ્રણી ગુજરાતી લેખકોને તો સાભિમાન ઉવેખવામાં જ મહત્તા ને શોભા માની છે. નવાં નવાં પુસ્તકો કેવાં ને કેટલાં બહાર પડે છે તેની અધૂરી જાણ પણ તમને નથી. તમે કોઈ પણ માસિક નિયમિતપણે વાંચીને આજના લેખકવર્ગના બલાબલનો ક્યાસ કાઢતા નથી.” આજે પણ આવા ‘મિત્રો’ આપણી વચ્ચે ક્યાં નથી? એ જ અંકમાં ‘સમકાલીન સાહિત્યપ્રવાહ’માં ૧૯૨૪ના ‘ત્રીજા ચરણનું વાઙમય’ની વિસ્તૃત સમાલોચના તો આપી જ છે. પણ તેમણે તેમાં માત્ર પુસ્તકોનાં લખાણની જ વાત નથી કરી. રૂપરંગને આધારે પુસ્તકોને પદ્મિની, હસ્તીની, ચિત્રીણી, અને શંખિની, એવા ચાર વિભાગોમાં વહેંચ્યાં છે અને દરેક પુસ્તકને પોતે અમુક વર્ગમાં શા માટે મૂક્યું છે તે સમજાવવા પુસ્તકોનાં રૂપરંગની ચર્ચા કરી છે. જો કે વાર્ષિક સમીક્ષાનું આ કામ ‘કૌમુદી’નાં પહેલાં બે વર્ષ સુધી જ ચાલુ રહ્યું હતું.
‘કૌમુદી’ પછી વાર્ષિક સમીક્ષાનો પ્રયત્ન ફરી એક વાર ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યાસભા) તરફથી થયો. ૧૯૩૦માં ‘ગ્રંથ અને ગ્રંથકાર’નો પહેલો ભાગ પ્રગટ થયો તેમાં ‘ગ્રંથકાર ચરિત્રાવળી’ની સાથે ‘સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન’ નામથી સરવૈયું રજૂ થયું હતું. બીજું એક કરવા જેવું કામ સાથોસાથ થયું તે એ વર્ષમાં પ્રગટ થયેલાં પુસ્તકોની વર્ગીકૃત યાદી પ્રગટ કરવાનું. આખું પુસ્તક ‘તૈયાર કરનાર’ તરીકે જેમનું નામ છપાયું છે તે હીરાલાલ પારેખ જ તેના કર્તા હતા. ૧૯૩૮ સુધી ‘ગ્રંથ અને ગ્રંથકાર’નું પ્રકાશન દર વર્ષે નિયમિત રીતે થતું રહ્યું અને એ આઠે ભાગમાં પુસ્તકોની વર્ગીકૃત યાદી છપાતી રહી. જો કે કેટલાક ભાગમાં વાર્ષિક ગ્રંથસમીક્ષા જોવા મળતી નથી. ત્યાર બાદ ૧૯૪૪માં પ્રગટ થયેલા નવમા ભાગમાં ‘પાંચ વર્ષના સાહિત્ય ઉપર દૃષ્ટિપાત’ નામનો સુદીર્ઘ લેખ છે, પણ તેના કર્તાનો નિર્દેશ એ પુસ્તકમાં ક્યાં ય નથી. તે પછી ૧૦મો ભાગ પ્રગટ થાય છે છેક ૧૯૫૨માં. તેમાં ૧૦૦ પાનાંનો પહેલો વિભાગ છે ‘ગયા દાયકાના વાઙમય પર દૃષ્ટિપાત.’ ૧૯૬૬માં પ્રગટ થયેલા ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના ૧૧મા અને છેલ્લા ભાગમાં ૧૯૫૧થી ૧૯૬૦ સુધીના સાહિત્યનું પ્રવાહ દર્શન ૧૧૮ પાનાંમાં રજૂ થયું છે.
ગુજરાત વિદ્યા સભાએ શરૂ કરેલું કામ ગુજરાત સાહિત્ય સભાએ ઉપાડી લીધું તેમ ગુજરાત સાહિત્ય સભાનું કામ ગુજરાતી સાહિત્ય પરિષદે તેનાં જ્ઞાનસત્રોમાંની ‘સરવૈયું’ની બેઠકો દ્વારા ઉપાડી લીધું. અલબત્ત, જે કામ રણજિતરામ મહેતા, હીરાલાલ પારેખ, કે મધુસૂદન પારેખ એકલે હાથે કરતા એ કામ માટે ઉત્તરોત્તર વધુ ને વધુ મોટી વિવેચકોની ટીમ મેદાનમાં ઉતારવી પડે છે. પણ આ બેઠકોમાં રજૂ થતાં વક્તવ્યોને પ્રગટ કરવા અંગે આટલાં વર્ષોમાં કોઈ કાયમી અને નિયમિત વ્યવસ્થા ઊભી કરી શકાઈ નથી. ક્યારેક બધાં વક્તવ્યો પરિષદના મુખપત્ર ‘પરબ’માં છપાય છે, ક્યારેક અમુક થોડાં જ છપાય છે, ક્યારેક એક પણ નથી છપાતું. કેટલાક સમીક્ષકો પોતાનું વક્તવ્ય અન્ય કોઈ સામયિકમાં છપાવવાની વ્યવસ્થા કરી લે છે, કેટલાક નથી કરતા તેમનાં વક્તવ્યો બોલાયા પછી હવામાં ઊડી જાય છે. આવી સ્થિતિને કારણે સરવૈયાની પ્રવૃત્તિ ભવિષ્યના અભ્યાસીઓ માટે બહુ ઉપયોગી બની ન શકે તેમ બને. પરિષદે સરવૈયાની બેઠકોમાં રજૂ થતાં વક્તવ્યોના નિયમિત પ્રકાશનની વ્યવસ્થા કરવાની જવાબદારી ઉપાડી લેવી જોઈએ.
બધા એ વાતનો સ્વીકાર છે કે, ભારત પાસે વિશ્વના, ચીન, અમેરિકા કે જર્મની પાસે નથી, તે છે. વિશાળ યુવાન જનસંખ્યા. ચીનની જનસંખ્યા ભારત કરતાં વધુ છે, પણ ત્યાંની જનતાની ઉંમર સરેરાશ ઊંચી છે. જ્યારે ભારત પાસે વિશ્વના સૌથી વધુ યુવાન જનતા છે. જેને અર્થશાસ્ત્રની પરિભાષામાં Demograhic Divdend ‘વસ્તીજન્ય ફાયદો’ કહેવાય છે. કુદરતે ચાર હાથે આપેલા આ ફાયદાનો લાભ લેવાનો સહુથી ઉત્તમ માર્ગ છે – પૂરતી રોજગારી ઊભી કરવાનો. ઉદ્યોગો આવશે તો રોજગારી લાવશે.