લેખક જો વિરોધપક્ષનો નેતા નથી તો શાસકપક્ષનો અણચિંતવ્યો કો-ઓપ્ટેડ પ્રવક્તા પણ નથી
ગુજરાત જોગ ચોથા જ્ઞાનપીઠ પુરસ્કારના સમાચાર સાંભળ્યા કે તત્ક્ષણ ધસી આવેલો દુર્વિચાર અગર સુવિચાર એ હતો કે માણસા પંથકને રાષ્ટ્રીય સ્તરે અમિત શાહથી ઉફરી ઓળખનાં દ્વાર ઠીક ખૂલ્યાં: તે સાથે એક પડકાર પણ મીઠી વલૂરની પેઠે ખણુંખણું થવા લાગ્યો કે સહરાની ભવ્યતા સરખા સાહિત્યિક ઊંચાઈ ને ગહરાઈ ધરાવતાં વ્યક્તિચિત્રોના તેમ જ તિલકશ્રેણીના ઉમદા પીઆર પરિચયોના લેખકને જ્ઞાનપીઠ તિલકની આ ક્ષણે એમના બરનો ચરિત્રકાર મળશે તો ક્યારે મળશે.
ના, આ લખનારની નથી એ માટે ઉમેદવારી કે નથી તૈયારી, કેમ કે ‘અમૃતા’ અને ’વાસત્રયીના સર્જકને શોભીતાં હુન્નર ને કલાકારીગરીને કસબ ક્યાંથી લાવું. જો કે એમના લ-ગ-ભ-ગ હમઉમ્ર, ભાષાસાહિત્યપ્રેમે કંઈક હમજુલ્ફ અને જોગસંજોગે સાથી-કટારચીને નાતે સમસામયિક સંદર્ભમાં નિસબતની બેત્રણ વાતો એમને મિષે કહેવા જરૂર ઈચ્છું છું. હજુ હમણે લગીનાં ઘણાં વરસોમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પર્યાયપુરુષ જેવી એમની છવિ બની છે. મુનશીની આજ્ઞાંકિતા મટી પરિષદે ઉમાશંકરનું સખીકૃત્ય સ્વીકાર્યું એ આજે છ દાયકાને છેડે કેમ જાણે વીસરું વીસરું ઈતિહાસવસ્તુ છે. સંસ્થાપુરુષ રઘુવીરની છવિ પાછી કવિતામાં અને કવિતાની બહાર ફૂટપાથનો થાક શેઢે ઉતારનાર તરીકે તો ગ્રામભારતી જેવા નઈ તાલીમ શિક્ષણ સંસ્થાનના મોભી તરીકેની પણ છે. સરવાળે નર્યાનકરા અક્ષરકર્મી નહીં, અક્કરમી નહીં પણ કર્મઠ કલમીની એમની આબરૂ છે.
પેરેલલ દોરવાની મર્યાદા અને ભયસ્થાનો જાણું સમજું છું પણ એક વાત આ ક્ષણે અચૂક સંભારવા ઈચ્છું છું કે દુરારાધ્ય બ.ક.ઠા.એ એક તબક્કે ઉમાશંકર જોશી વિશે એ મતલબનું કહ્યું હતું કે તે હવે ‘ઈત્યાદિ પ્રકારના’ નથી. એ પણ દોડ્યો’તો એવી હમભી ડીચ ઓળખ એમની નથી. જેને અભિપ્રાય આપવાનો અધિકાર છે અને આપણે જેનો અભિપ્રાય સાંભળવા ઈચ્છીએ એવું એક કેરેક્ટર આ છે. જ્ઞાનપીઠ તિલક રઘુવીરના આ તરેહના આભામંડળની શક્યતાને જરી ઓર અધોરેખિતપણે ચાચરચોકમાં આણે છે.
ગમે તમે પણ, રઘુવીરનો પ્રભાવ અને પકડ, એમનાં વગ અને વર્ચસ ઉત્તરોત્તર (બને કે કેટલાક કિસ્સામાં વાસ્તવિક કરતાં વધુ તો મનોવૈજ્ઞાનિક) એટલાં વિસ્તર્યા છે કે ચોક્કસ સંજોગોમાં સ્વીકૃતિ માટે એમનો હવાલો જરૂરી લેખાય છે. એનો હમણેહમણેનો ક્લાસિક દાખલો અકાદમી પ્રકરણનો છે. સ્વાયત્ત બંધારણને નષ્ટભ્રષ્ટ કરી પેરાશુટ પ્રમુખ સાથે અસ્તિત્વમાં આવેલી સરકારી અકાકમીમાં જોડાયેલા કોઈ કોઈ મિત્રો તમને રઘુવીરભાઈની શુભેચ્છાઓ કે આશીર્વચનોનો હવાલો આપશે. અકાદમી પ્રમુખને બે’ક વરસનો સમય આપો, એવું બોલતા રઘુવીર ક્યાંક ટંકાતા જણાશે. બીજી પાસ, રઘુવીર એમના ખુદના શબ્દોમાં સ્વાયત્તતાથી બંધાયેલા છે. અલબત્ત, આમ કહેવા સાથે એમણે સરળતાથી ઉમેર્યું છે કે સંવાદથી ઉકેલ શક્ય છે.
આટલું ઓછું હોય એમ ઉકેલ ભણીનો રોડમેપ પણ એમણે ચીંધી બતાવ્યો છે. પ્રમુખ ચૂંટાયેલા હોય કે સરકારે નીમેલા એ વૈચારિક મતભેદનો મુદ્દો છે. (આનંદો, નિયુક્તિ અને ચૂંટણી એકમેકના વિકલ્પ હોઈ શકે છે…અને સ્વાયત્તતા બરકરાર છે.) સરવાળે, ઉમાશંકર સંક્રાન્તિમાં અપેક્ષિત લોકશાહી ય રખાવટ હાલ કેવી પરિસ્થિતિમાં મુકાઈ છે એનું ચિત્ર ભૂજ અધિવેશનની પૂર્વસંધ્યાએ ચંદ્રકાન્ત ટોપીવાળાએ આપેલી મુલાકાતમાંથી ટાંકીએ તો ‘ગુજરાત સાહિત્ય અકાદમી સામે અસહકારની સંમતિ આપી સરકારને સહકાર આપ્યા કરવાનું જે ચાલ્યું છે એમાં સાહિત્યકારોને સ્વાયત્તતાના મૂલ્યની ખબર નથી એવું તો નથી, પણ બીજાં અનેક મૂલ્ય-અમૂલ્યનાં લેખાંજોખાં એમની સાથે રહ્યાં છે.’
રહો, જ્ઞાનપીઠ તિલક સરખી અખિલ ભારતીય મહત્ત્વ ઘડીને ગુજરાતમાં જ શા સારુ ગોટવી દઉં, એવું પણ આ ચર્ચતી વેળાએ થઈ આવે છે. પણ આ સન્માન એક એવી વ્યાસપીઠની સંભાવના રચી આપે છે જેના પરથી કિંચિત્ માર્ગદર્શનની અપેક્ષા રહે જ રહે. મીડિયાએ જ્ઞાનપીઠ પ્રતિભાને પૂછ્યું અને બારતેર વરસ પર આવા જ અવસરે રાજેન્દ્ર શાહે જગવ્યો હતો એવો વિવાદ જગવ્યા વગર એ હેમખેમ સોંસરા નીકળીયે ગયા. પણ વ્યાપક હિતમાં આ સવાલજવાબ થોડીએક ચર્ચા માગી લે છે.
લેખક, રઘુવીરભાઈના મતે લેખક છે એટલે કે વિરોધપક્ષનો નેતા નથી. એવોર્ડ વાપસીના અસાધારણ ઘટનાક્રમ સબબ એમની આ ટિપ્પણી આવી પડી છે. ગુજરાતના સ્વાયત્તતા વિવાદમાં હો કે દેશના અસહિષ્ણુતા વિવાદમાં, સરકાર અને રાજ્ય બાબતે લોકશાહીમાં શાસનતંત્રના સહજ સ્વીકાર કરતાં કંઈક સવિશેષ સ્વીકાર તરફ જાણે જતા ન હોય! એવોર્ડ પાછા વાળવાનું એમને મતે ગ્રાહ્ય નથી પણ પાછા વાળનારાઓનો ટીકામુદ્દો (એની રજૂઆતમાં, વિરોધપક્ષ જેવી તીવ્રતા બાદ કરતાં) સાચો હોઈ શકે છે એવું તો એમણે કહ્યું છે. જો કે, સરવાળે સરકાર અને રાજ્યને તે ‘સેફ પેસેજ પણ આપી શકે, કેમ કે આજે કોઈ ‘ઇમરજન્સી’ નથી જેનો વિરોધ કરવામાં પોતે પણ હતા. અસહિષ્ણુતા વિવાદનો છેદ એમણે એમ કહીને ઉડાડ્યો છે કે એ તો ભાગલા વખતે હતી તે હતી, આજે એને મુકાબલે ક્યાં છે.
જ્ઞાનપીઠ પ્રતિભાની મીડિયા સાથેની વાતચીતમાં આ બધાં વિધાનો એકસાથે મૂકીને તપાસતાં શું સમજાય છે? સરકાર અને રાજ્ય માત્રની પ્રકૃતિ જોતાં એને અંગે એક આલોચનાત્મક દૃષ્ટિબિંદુ હર શાસનમાં જરૂરી છે. ઈંદિરા ગાંધીના ‘અનુશાસન પર્વ’માં અને અન્યથા આપણને એ ઉત્કટપણે સમજાતું રહ્યું છે. એવોર્ડવાપસીનો સ્વયંભૂ ઉદ્રેક પણ આ જ આલોચનાત્મક દૃષ્ટિબિંદુનો એક દાખલો છે. ક્યારેક કૉંગ્રેસ સરકાર વિશે લાગ્યું હશે તેમ આજે ભાજપ સરકાર વિશે લાગે છે. કારણ, લેખક જો વિરોધપક્ષનો નેતા નથી તો શાસકપક્ષનો અણચિંતવ્યો કો-ઓપ્ટેડ પ્રવકત્તા પણ નથી. બંધારણીય સુધારા છતાં કટોકટી પાછી નહીં જ આવે એ બાબતે પોતે આશ્વસ્ત નથી એવી અડવાણીની કેફિયતમાં વ્યક્તિગત સમીકરણના શક્ય અંશો ગાળ્યા પછી પણ દમ છે તે છે.
જો કે, અડવાણી આ પરિસ્થિતિમાં એમની અને નમો બેઉની ગોત્રગળથૂથીગત વિચારધારાકીય ભૂમિકાનો જે હિસ્સો હોઈ શકે છે તે કેટલું સમજ્યા હશે એ આપણે જાણતા નથી. એમના અવલોકનમાં મુખ્ય હિસ્સો કદાચ નમોના રાજકીય ચરિત્રમાં રહેલ એકાધિકારવાદનો હશે. સરકાર અને રાજ્યમાત્રની પ્રકૃતિગત વાસ્તવિકતા વત્તા વિચારધારાકીય માંજો એ નવા શાસનની ઓળખ છે. ભાગલા વખતની અસહિષ્ણુતા અને આજની સરખામણી સ્થૂલ રીતે કરવા જેવી નથી. જે પણ બન્યું એને સ્વરાજ સરકારનું સૅન્કશન નહોતું. બિનસાંપ્રદાયિકતા ભણી લૂલીલંગડી પણ ગતિ હતી. આજે નાના નાના જે અસહિષ્ણુતાના બનાવો જારી છે એની પાછળ વિચારધારાકીય સમર્થન અને વૈકલ્પિક વિમર્શદાવો પડેલા છે. અસહિષ્ણુતાની ટીકા પરત્વે દાખવાતી અસહિષ્ણુતા, એ આપણા સમયની બલિહારી છે. સત્તાપક્ષના પ્રવકત્તા કે વિરોધપક્ષના નેતા કરતાં વધુ સારી રીતે આ કોણ કહી શકે, સિવાય કે કલમશીલ.
જ્યારે સમાજ અને સાહિત્ય વચ્ચેના જુવારાની એક આખી ફિલસૂફિયાણી ચાલતી હતી ત્યારે પ્રજાપરક લેખક તરીકે કલમ સાહનાર રઘુવીરના ઉજાસમાં આ થોડુંકેક જ્ઞાનપીઠ મંથન.
સોજન્ય : ‘કલમશીલનો ધર્મ’, “દિવ્ય ભાસ્કર”, 02 જાન્યુઆરી 2016