અફઘાનિસ્તાનથી પાછા ફરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાક વડાપ્રધાનને, એમ જ, જન્મદિવસનાં અભિનંદન પાઠવવાને મિશે પહોંચી ગયા એમાં જો પ્રાયોજિત નાટ્યાત્મકતા છે તો આ ઉપખંડ જોગ નવી દિલ્હીની અગ્રતાનો નિર્દેશ પણ છે.
જો કે, ભાજપ માટે એનો પોતાનો હજુયે નહીં જઈ શકતો પૂર્વરંગ જોતાં તેમ ભારત-પાક સંબંધોનો સિલસિલો જોતાં શાંતિપૂર્ણ અને વિકાસોન્મુખ મૈત્રી સંબંધ જરી સીધાં ચડાણ તો છે જ. વાજપેયીની લાહોર પહેલને જનરલ મુશર્રફે કાર્ગિલ દાવથી મોચવી હતી એ સાચું; પણ છેલ્લી ચૂંટણીમાં નવાઝ શરીફના પક્ષ સહિત પાકિસ્તાનના પાંચ પાંચ રાજકીય પક્ષોએ ભારત સાથે મૈત્રીસંબંધને પોતપોતાના ઢંઢેરામાં એક અગ્રમુદ્દા તરીકે સમાવ્યો હતો એ ય સાચું. નહીં કે આપણે છેડે તેમ પરસ્પર ઉશ્કેરાવાનાં કારણો નથી મળતાં; પણ ૧૯૪૭ના વિભાજનસંદર્ભ છતાં ભારતે એકંદરે બિનસાંપ્રદાયિક રાહ લીધો એનાં સુભગ પરિણામોને પોતાની અવનતિને મુકાબલે મૂલવતો જે એક વૈચારિક અભિગમ પાકિસ્તાનમાં વિકસ્યો છે અને ઉપખંડમાં મૈત્રીસંબંધનું અનિવાર્ય ઉપયોગમૂલ્ય પણ એને વસ્યું છે એ જોતાં દડો દિલ્હી દરબારમાં છે.
કમબખ્ત, પૂર્વરંગ! બહિરંગનિરપેક્ષ અંતરંગ! ભાજપના સંઘનિયુક્ત મહામંત્રી રામ માધવે અલ જજીરા સાથે વાતચીતમાં આ જ દિવસોમાં ‘અખંડ ભારત’નો ખયાલ દોહરાવ્યો છે. કેમ જાણે, નમોની નાટ્યાત્મક પહેલની ભાવનાત્મક અપીલ તળેથી પાટિયું ખેંચી લેવાતું હોય એવો આ જોગાનુજોગ, પછીથી રામ માધવથી માંડીને રાકેશ સિંહાની ઘટતી સફાઈ છતાં, બની આવ્યો તે બની આવ્યો.
નેહરુનો, ‘પાકિસ્તાન ઈઝ એ ફૅક્ટ ઑફ લાઈફ’ એ ઉદ્ગાર સંઘવર્તુળોમાં ચિરકાલીન ટીકાપાત્ર રહ્યો છે. લોહપુરુષને (જે પ્રથમ વડાપ્રધાન હોવા જોઈતા હતા, એમને) ભાગલા અનિવાર્ય લાગ્યા હતા એ ઇતિહાસવિગતનો આ વર્તુળોને ખપ નથી. વાજપેયીએ લાહોરમાં ‘મિનારે પાકિસ્તાન’ની સત્તાવાર મુલાકાત લઈ અખંડ ભારતવાદી પક્ષપરિવારની વિચારરૂખમાં નવી વહેવારભોં ભાંગી ગઈ હતી એ પ્રક્રિયા આગળ વધાર્યા વિના જયવારો નથી. દ્વિરાષ્ટ્રવાદી ઝીણાના હિંદુ અડધિયા જેવી રાજનીતિની મૂર્છા વળે તે વિના આ થવાનું નથી.
અલબત્ત, સરહદો હળવી – કહો કે અસંગત જેવી – અને બજાર એકરૂપ થઈ જાય, સાંસ્કૃિતક-સાહિત્યિક-શૈક્ષણિક ઉત્કટ આપલે અને સહયોગ ચાલે એવી એક બિનસાંપ્રદાયિક માનવતાવાદી પરિસ્થિતિમાં વ્યાપક અર્થમાં એક ભારત બની આવે તે કેમ ન ગમે. કોને ન ગમે. માત્ર, રાષ્ટ્રવાદની સાંકડી વ્યાખ્યાનો અફીણઆથો છૂટે તો વાત બને.
ચાય પે ચર્ચાનો સદ્ભાવમાહોલ ઘરેબાહિરે જારી રહે એ માટે હાલના સત્તા-પ્રતિષ્ઠાન અને પક્ષપરિવારની તૈયારી ખરેખાત કેટલી છે એ સ્તો લાખ રૂપિયાનો સવાલ છે. તમે જુઓ, સહિષ્ણુતા વિવાદને ભારતીય સંસ્કૃિતની સર્વસમાવેશી સહિષ્ણુતાનો હવાલો આપીને નાનો (બલકે નકામો) ચીતરાય છે. અસહિષ્ણુતા હતી તો ભાગલા વખતે હતી – આજે ક્યાં છે, એવું પણ કહેવામાં આવે છે. માત્ર, અસહિષ્ણુતાના એકોએક હિંસ્ર ઉદ્રેક પરત્વે પરિવાર અને પ્રતિષ્ઠાન કાં તો સૅન્ક્શન કે પછી આંખ આડા કાનને રસ્તે ચાલે છે. રાજ્યના દાયિત્વ અને ઉત્તરદાયિત્વનો પ્રશ્ન છોડ્યો છોડાય એમ નથી. જેટલીની સોફિસ્ટ્રી અને નમોની ડેમેગોગી (અને યથાવસર મુખટ મૌન) વિશે ચાય પે ચર્ચાનો સૌજન્ય માહોલ બને તો વાત બને.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2016, પૃ. 01