સમસામયિક સાહિત્યિક વાતાવરણ વચ્ચે, મને લાગે છે કે નવ્ય ‘સાક્ષરજીવન’ લખવાનો સમય પાકી ગયો છે. સાક્ષરનું જીવન એટલે સાક્ષર કહેતાં સાહિત્યકાર સર્જક-કલાકારનું જીવન; એના જીવનનની નીતિરીતિ; એનો લેખનધર્મ; એનો વ્યવહારધર્મ, એનાં દાયિત્વ વગેરેની નિરૂપણા. ગોવર્ધનરામે એ લખ્યું છે.
પણ વર્તમાન સંજોગોમાં એ સર્વથા ‘નવ્ય’ હોવું જોઇશે. મારાથી એ તો લખાશે ત્યારે … પણ એની પૂર્વતૈયારી રૂપે કેટલાંક છૂટાંછવાયાં મન્તવ્યો રજૂ કરીશ.
વર્તમાન પરિદૃશ્યને જોતાં-અવલોકતાં, આપણ સૌએ ઓછામાં ઓછી ત્રણ સંજ્ઞાઓના સંકેતાર્થો વિશેની આપણી સંચિત સમજદારીમાં સુધારાવધારા કરી લેવાની જરૂરત છે :
સાહિત્યિકતા. વસ્તુલક્ષીતા. અંગતતા.
આજે, માત્ર સાહિત્યિકતા વિશે :
સાહિત્યિકતા, એટલે કે, લિટરરીનેસને આત્મસાત કરનારો જન સાહિત્યપુરુષ હોય છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે રસાનન્દ અને કલાસૌન્દર્યને આત્મસાત કરનારો જન સાહિત્યપુરુષ હોય છે. એને સર્જક-કલાકાર પણ કહી શકીએ.
એના તમામ સાહિત્યિક વ્યવહારોમાં સરળતા અને સંવાદિતા અને આકર્ષક રસવૃત્તિ જોવા મળે છે, સૌથી સહજપણે અનુભવાય છે :
૧ :
એ, એટલે કે સર્જક-કલાકાર, હમેશાં સાહિત્યિકતાની શોધમાં અને ખેવનામાં રત રહેતો હોય છે. એ માટે એ ઘરદીવડાનાં ઝાંખાંપાખાં અજવાળામાં ફાંફાં નથી મારતો; પોતાના સાહિત્યમાં તો નહીં જ નહીં પણ પોતાની ભાષાના સાહિત્યસંસારમાં પણ પુરાઇને નથી બેસી રહેતો, એ વિશ્વસાહિત્યમાં જ્યાં એની ચાંચ બૂડે ત્યાં મચી પડે છે, એટલે કે, સમ્પ્રાપ્ત કૂજામાં કંકર નાખીને એ જળને પામવાની મથામણ કરે છે.
સ્વ-તા એનો પ્રાણ કહેવાય પણ એને ભાન રહે છે કે સ્વ-તા પ્રાણઘાતક પણ નીવડી શકે છે. એ અહંભાવી હોય એ એનું ભૂષણ ગણાય પણ એને ખબર હોય છે કે અહંકાર ઊંડી ખાઈ છે, જેમાં ઊંડે ને ઊંડે ઊતરવા સિવાયનો અન્ય કોઈ માર્ગ હોતો નથી.
૨:
એ હમેશાં સાહિત્યિક સંવાદ ચાલુ રાખે છે. એ હમેશાં સાહિત્યિક પત્રવ્યવહાર જાળવે છે અને સામાને ઉત્તર આપે છે – મૂંગો રહીને મોટાઈના માંચડે બેસી નથી રહેતો. એ પોતાને નીવડેલો નથી માનતો તેમ નવોદિતને નવોદિત નથી માનતો; પોતાને ઉચ્ચ અને બીજાને નીચ, પોતાને સિદ્ધ અને બીજાને અ-સિદ્ધ, પોતાને ડુંગર અને બીજાને તરણું, ના, નથી માનતો. એને એ હકીકતનો છોછ નથી હોતો કે એની બાજુમાં સાવ જ નવોદિતની કૃતિને સ્થાન અપાયું છે. નવોદિતને એ પ્રેમભરી હૂંફ આપે છે, નવોદિતના ઉત્કર્ષ માટે પોતે ઉત્સાહમાં રહે છે.
સર્જક-કલાકાર સોશ્યલ મીડિયા અને ઇન્ડિવિડ્યુઅલ મીડિયાના લાભાલાભ સમજતો હોય છે છતાં ફેસબુક વગેરે અધુનાતન પ્લૅટફૉર્મ્સની આભડછેટ નથી રાખતો.
એ સજ્જનને તો જિસસને મળેલું એવું ખોવાયેલું ઘેટું મળી ગયેલું, ખુશ રહૅ બચ્ચા, કહીને ખભે સુવાડીને જતો’તો, પણ પાખંડીઓએ એને કૂતરું ઠેરવ્યું. અન્ય પ્રાણીનો પોતા પર પડછાયો પડતાં મિથ્યાચારીઓ જ ન્હાવા બેસી જાય છે. સર્જક-કલાકાર હર કોઇ પ્લૅટફૉર્મને સ્વચ્છ ગણે છે.
એ સઘળી ઉચ્ચાવચ શ્રેણીઓથી મુક્ત હોય છે. જો એમ ન હોય, તો એ દિશામાં જાતને સક્રિય રાખવાની એ પ્રામાણિક કોશિશ કરતો હોય છે.
Pic courtesy : Art Print
૩:
સામાન્યપણે એ પોતાનાં સાહિત્યિક નામકામને જાતે ને જાતે આગળ નથી કરતો, કે એ માટેની પેરવીઓ નથી કરતો, કે પેરવીઓ માટે પોતાની સામાજિક વ્યક્તિતા કે પદ-પ્રતિષ્ઠાને વ્યાપારવતી નથી બનાવતો. પોતાની સ્તુતિ થાય એ માટે સમીક્ષકોને આડાંતેડાં પ્રલોભનો આપીને લલચાવતો નથી.
પોતાના સ્વીકારનું કામ એણે સહૃદયસમાજ પર તેમ જ સમીક્ષકમંડળી પર છોડ્યું હોય છે, સાહિત્યિક સંસ્કૃતિનાં પાલક અને સંરક્ષક હોવાનો દાવો કરતાં સંસ્થા-સંસ્થાપનો પર પણ છોડ્યું હોય છે.
૪:
આ રીતભાત અનુસાર, એ કદી ફરિયાદ નથી કરતો કે – મારાં નામકામનો બીજાઓ ઉલ્લેખ કેમ નથી કરતા, ઉલ્લેખ કરે છે તો મારી સમ્મતિ કેમ નથી મેળવતા, સમ્મતિ મેળવે છે તો હું કહું એ પ્રકારે ઉલ્લેખને રચતા-મઠારતા કેમ નથી. વગેરે એ નથી કરતો. કોઈ જન સામેથી એનાં નામકામના નિર્દેશ કરે, સમીક્ષા કરે, તો ખાસ કારણ વિના એ મૌન સેવે છે. અલબત્ત, સમ્યક સમીક્ષાને વધાવી લે છે ને આભારવશ રહે છે.
૫:
પોતે કવિ તરીકે ઝિલાયો એનો અર્થ એ એવો નથી કરતો કે પોતે માત્ર કવિ જ છે અને હમેશાં છે. એવી ઠાંસનો માર્યો એ જો પોતાને બધે વર્તતો લાગે, તો શરમાય છે. કેમ કે એને મન બધી જ સાહિત્યકલાવિધાઓનું સરખું ગૌરવ હોય છે. એ જાણે છે કે કવિતાને જ શ્રેષ્ઠ વિધા ગણ્યા કરવી એ ડાબલા પ્હૅરી લેવા જેવું લૉપસાઇડેડ વર્તન છે. બલકે એ ડેડ નૅરેટિવની કે ગૉખલાના દેવની પૂજા કરવા જેવું વૃથા છે.
સર્જન લેખન અધ્યાપન સમીક્ષા અનુવાદ સાહિત્યપરક પત્રકારત્વ વગેરે પોતાનાં બધાં જ કામોને એ સરખી કોટિનાં ગણે છે.
૬:
પોતાની નબળી રચનાને એ કદી સૂર્યપ્રકાશમાં કે અન્ય પ્રકાશમાં નથી મૂકતો. એ ચેષ્ટા એ ત્યારે જ કરે છે જ્યારે એને અમુક કક્ષાની કૃતિસમ્પન્નતાની આત્મપ્રતીતિ થઈ હોય છે. પોતાની રચના પર એવી આત્મપ્રતીતિનું તાળું માર્યા પછી જ સમ્પાદકને કે સમીક્ષકને ધરે છે. પોતાના અધબોબડા સર્જનકર્મને હરાયા ઢોરની જેમ સાહિત્યસમાજમાં ફરતું નથી કરતો. આત્મપ્રતીતિના આવા ધૉરણે, એની કૃતિ કદી નવી કે જૂની નથી હોતી – અલબત્ત, સદ્ગૃહસ્થની જેમ માગણને પણ એ ઉચ્છિષ્ટ જ ધરે છે ન વાસી કે છાંડેલું.
ક્રમશ :
= = =
(Dec 1, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર