
સુમન શાહ
આજે, આચાર્ય વામન વિશે —
એમનો સમય છે, આશરે ૮-મી સદી. એમના ગ્રન્થનું શીર્ષક છે, “કાવ્યાલંકારસૂત્રવૃત્તિ”.
પોતાના ગ્રન્થનો તેમ જ કાવ્યપદાર્થનો મહિમા કરતાં વામન કહે છે કે – મારો ગ્રન્થ “કાવ્યાલંકારસૂત્રવૃત્તિ” અલંકારયુક્ત કાવ્યનું ફળ છે !
કવિયશ કે કવિને પ્રાપ્ત થનારી કીર્તિને વિશેની વામનની માન્યતા રસિક છે : તેઓ કહે છે કે એક સુન્દર કાવ્ય કવિ અને પાઠકને પ્રીતિ તેમ જ કીર્તિના હેતુસર દૃષ્ટ – ઐહિક – અને અદૃષ્ટ – મામુષ્મિક – બન્ને પ્રકારનાં ફળ આપે છે. આ વિષયમાં સંગ્રહરૂપ સ્વલિખિત શ્લોકો નીચે મુજબ છે એવી ઘોષણા સાથે વામને ગ્રન્થનો શુભારમ્ભ કર્યો છે.
એમની દૃષ્ટિએ કાવ્યરચનાની સુ-પ્રતિષ્ઠા જ યશપ્રાપ્તિનો માર્ગ છે. ઉમેરે છે કે, તેથી, અકીર્તિનો માર્ગ કુકવિત્વ છે. એટલે લગી કહે છે કે વિદ્વાનો કવિકીર્તિને યાવચ્ચન્દ્રદિવાકરૌ અને અકીર્તિને આલોકહીન અન્ધકારમય નર્કસ્થાનની દૂતી ગણે છે. એટલે, કીર્તિની પ્રાપ્તિ માટે અને અકીર્તિના નાશ માટે શ્રેષ્ઠ કવિઓએ મારા આ ગ્રન્થ “કાવ્યાલંકારસૂત્રવૃત્તિ”-નું અધ્યયન કરીને તેને હૃદયંગમ કરવું જોઈશે. સમગ્ર ગ્રન્થમાં આવું એમનું એક શક્તિશાળી કાવ્યમીમાંસક તરીકેનું આવકાર્ય ઍટિટ્યૂડ જોવા મળે છે.
કહે છે, સંસારમાં કવિઓ બે પ્રકારના છે : અરોચકી એટલે કે વિવેકી. અને, સતૃણાભ્યવહારી એટલે કે અવિવેકી. વામન પ્રશ્નોત્તરની રીતે શાસ્ત્રાર્થ કરે છે. વિવેકી-અવિવેકી એટલે શું? વિવક્ષિત શું છે? તો ઉત્તર આપે છે કે ‘અરોચકી’-થી ‘વિવેકિત્વ’ સમજવાનું અને ‘સતૃણાભ્યવહારી’-થી ‘અવિવેકિત્વ. અરોચકી વિવેકી અને વિવેચનાશીલ હોય છે તેથી કાવ્યશિક્ષા પામવાની પાત્રતા ધરાવે છે અને સતૃણાભ્યવહારી અવિવેકી છે અને વિવેચનાશીલ નથી હોતા તેથી કાવ્યશિક્ષાને પાત્ર નથી.
પરન્તુ જો તમારું શાસ્ત્ર ભણવાથી એની અવિવેકશીલતા દૂર થઈ જાય તો એને પણ કાવ્યશિક્ષા આપવી જોઈએ ને? ગ્રન્થકાર રૂપે વામન કહે છે કે – એ ખરું પણ એનો સ્વભાવ એ-નો-એ જ રહેશે. જો એમ હોય તો એમ ન કહેવાય કે તમારું શાસ્ત્ર સર્વનું અનુગ્રાહક નથી? વામન કહે છે, કોણ એમ માને છે? હું નથી માનતો, એ સર્વનું અનુગ્રાહક નથી જ. એ માત્ર વિવેકશીલ અધિકારી વ્યક્તિઓ માટે છે. સૂત્રમાં કહું કે ‘નન્વેવમ્ ન શાસ્ત્રમ્ સર્વત્રાનુગ્રાહિ સ્યાત્’. ઉમેરે છે, આ વિષયમાં ઉદાહરણ આપું : નિર્મલી (એક વિશિષ્ટ વૃક્ષનું ફળ) જળને સ્વચ્છ કરી દે પણ કીચડને નહીં – ન કતકમ્ પંકપ્રસાદનાય.
સામાન્યપણે કાવ્યહેતુ ‘વ્યુત્પત્તિ’ ગણાય છે એને વામન ‘કાવ્યાંગ’ કહે છે. કાવ્યનાં અંગો એટલે કે સાધનો.
વામન ‘લોક’-ને પહેલું અંગ ગણે છે. મતલબ એ કે કવિને સ્થાવર-જંગમ લોકવ્યવહારોનું જ્ઞાન હોવું જોઈએ. તેઓ એને કાવ્યસર્જનના કૌશલ માટે જરૂરી લેખે છે.
હું દાખલા તરીકે કહું કે સ્થાવરનું જ્ઞાન એટલે કે કવિને ખબર હોવી જોઈએ કે પૃથ્વી સૂર્ય ચન્દ્ર કે પૃથ્વી પરના ઉપખણ્ડો શું છે; બ્રાઝિલ ક્યાં છે; નાયગરા શું છે કે શ્રીલંકાની રાજધાની શું છે કે મધ્યપૂર્વના દેશો કોને કહેવાય. જંગમ્-નું જ્ઞાન એટલે એ દરેકમાં જિવાતા માનવજીવનની, રીતરસમોની પણ એને આછીપાતળી પણ સાચી જાણ હોવી જોઈએ. બને કે એવી જાણ અનુભવજન્ય ન હોય પણ કવિની વિદ્વત્તાને પ્રતાપે હોય. સામ્પ્રત ગુજરાતી કવિતામાં આ ‘લોક’-જ્ઞાન કેટલું એ પ્રશ્ન છે !
વામન ‘વિદ્યા’-ને બીજું અંગ કહે છે અને એને કાવ્યસર્જનના કૌશલ માટે જરૂરી લેખે છે. વિદ્યામાં ૧૪ વિદ્યાઓ અને ૧૮ ભેદો સહિતની બધી જ વિદ્યાઓ સમજવાની. ‘શબ્દસ્મૃતિ’ એટલે કે વ્યાકરણ, ‘અભિજ્ઞાનકોશ’ એટલે કે કોશ, ‘છન્દોવિચિતિ’ એટલે કે પિગંળ, અને ૬૪ કલાઓ અને ૧૪ ઉપકલાઓના કલાશાસ્ત્રનો તથા વાત્સાયન વગેરે વિદ્વાનોથી પ્રણીત કામશાસ્ત્રનો ઉમેરો કરીને વામને ‘વિદ્યા’ સંકેતને વધુ સ્પષ્ટ કર્યો છે.
વધુ સમજીએ, શબ્દસ્મૃતિ : કવિઓએ શબ્દના વ્યાકરણસંગત સાધુત્વનો નિશ્ચય કરવો જોઈએ, એટલે કે વ્યાકરણની ભૂલ વગરના શબ્દો પ્રયોજીને એ પ્રકારની શુદ્ધિ કરવી જોઈએ.
વધુ સમજીએ, અભિજ્ઞાનકોશ : વાક્યમાં પ્રયોજાયેલા શબ્દને ‘પદ’ કહેવાય. કોશનું જ્ઞાન ન હોય તો આ લઉં કે ન લઉં એવો પદ બાબતે સંદેહ થવાનો. કોશથી કવિઓએ પદનો યથાયોગ્ય નિર્ણય કરીને એવા સંદેહનું નિવારણ કરવું જોઈએ. આજના આપણા કવિઓને આ સંદેહ થાય છે ખરો? થતો હોય તો તેનું નિવારણ કરે છે ખરા? શેનાથી?
વધુ સમજીએ, છન્દોવિચિતિ : છન્દના જ્ઞાનથી આ છન્દ પ્રયોજું કે ન પ્રયોજું એવા છન્દપરક સંશયનું નિવારણ થાય છે. આમ તો, વામન કહે છે, કાવ્યસર્જનના અભ્યાસથી છન્દોનો પરિચય થઈ જાય છે, તેમછતાં, માત્રિક છન્દો પ્રયોજવાના હોય ત્યારે સંશય થઈ શકે છે, માટે, છન્દોવિચિતિ જરૂરી છે. આજના આપણા કવિઓએ છન્દ છોડી દીધા છે, ભલે, પણ એમને છન્દોવિચિતિના આ બધા લાભથી વંચિત હોવાનું દુ:ખ છે ખરું?
વધુ સમજીએ, કલાશાસ્ત્ર : ચિત્ર નૃત્ય ગાયન વગેરેના જ્ઞાનનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રને કલાશાસ્ત્ર કહેવાય છે. આજે આપણે એને લલિત કલાઓ અને તેના જ્ઞાનને કલાશાસ્ત્ર અથવા સામાન્યપણે ઍસ્ટેથિક્સ કહીએ છીએ. એ જ્ઞાનને કાવ્યસર્જન માટે જરૂરી ગણનાર વામન સરસ કહે છે કે એ જ્ઞાન વડે કવિઓએ કલાતત્ત્વને સમજવું જોઈશે. એના અભાવમાં સરખું સર્જન અસંભવ છે. આપણે પણ કહીએ જ છીએ ને કે કલા શું છે એ જાણ્યા વિના લખાપટ્ટી કર્યા કરવાનો કોઈ અર્થ નથી !
વધુ સમજીએ, કામશાસ્ત્ર : વામન નિખાલસતાથી જણાવે છે કે કાવ્યના વિષયવસ્તુમાં કામોપચારનું બાહુલ્ય હોય છે. સાચું છે, પણ સામ્પ્રત ગુજરાતી કવિતમાં ભાગ્યે જ કામોપચારની લીટી પણ જોવા મળે ! કામોપચાર એટલે કામપરક વ્યવહારો. હવે, એનું નિરૂપણ જો વાત્સ્યાયન-પ્રણીત ‘કામસૂત્ર’ આદિ શાસ્ત્રીય ગ્રન્થોના જ્ઞાન વિના થાય, તો કેવું થાય? શાસ્ત્રનો નિર્દેશ કરીને વામન કદાચ એ નિરૂપણોને સમુચિત રાખવા કહે છે – એટલે કે એમાં શાસ્ત્રબોધ પણ હોય અને એમાં કામપરક વિશુદ્ધ ઊંચાઈ પણ હોય.
આ વાતો પછી મારે સવિશેષે એ કહેવું છે કે આચાર્ય વામન રીતિ-સમ્પ્રદાયના પુરસ્કર્તા છે. ભરત મુનિ, અભિનવગુપ્ત કે આનન્દવર્ધન રસાનુભૂતિને લક્ષ્ય કરનારા અનુભવવાદી છે; ભામહ, દણ્ડી કે કુન્તક અલંકાર કે વક્રોક્તિને લક્ષ્ય કરનારા માધ્યમ કહેતાં ભાષાવાદી છે, રાજશેખર રસાનુભૂતિ પામનારી ભાવયિત્રી પ્રતિભાનો પરામર્શ કરીને કાવ્યમીમાંસામાં ભાવકની મહત્તા સ્થાપનારા છે, તો વામન કાવ્યસર્જનની રીતિને લક્ષ્ય કરનારા, ફૉર્મને લક્ષ્ય કરનારા, રીતિવાદી છે.
એમની દૃષ્ટિએ રીતિ કાવ્યનો આત્મા છે – રીતિરાત્મા કાવ્યસ્ય. વિશિષ્ટ પ્રકારની પદરચના રીતિ છે -વિશિષ્ટા પદરચના રીતિ: અને, એ વિશેષ શું? તો કહે છે -વિશેષો ગુણાત્મા. એ પછી એમણે ગુણોનું વર્ણન કર્યું છે.
= = =
(08/03/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર