ભારતમાં સ્ત્રીઓના સ્વતંત્રતા અને સમાનતા માટેના લાંબા સંઘર્ષની ‘#મી ટૂ’ એ એક ઘણી મહત્ત્વની ક્ષણ છે. દેશમાં જુદાં-જુદાં ક્ષેત્રોમાંથી સ્ત્રીઓએ કામનાં સ્થળે એમને થયેલી જાતીય સતામણીનાં જાહેરમાં હિમ્મતપૂર્વક બયાનો આપ્યાં છે. જે પ્રમાણમાં બયાનો બહાર આવ્યાં છે, એ બતાવે છે કે કામનાં સ્થળો સ્ત્રીઓ માટે કેટલાં જોખમભરેલાં છે. બંધારણે સ્ત્રીઓને સ્વતંત્ર રીતે કામ કરવાનો સમાન અધિકાર આપ્યો છે, છતાં કામનાં સ્થળોએ પુરુષોનું આધિપત્ય હોવાથી, સ્ત્રીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણાં જાતીય સતામણીના કિસ્સાઓમાં આરોપીને સજા મળતી નથી અને તેઓ નિશ્ચિંત થઈને કામ કરતા હોય છે, જે અત્યંત ચિંતાનો વિષય છે. કામનાં સ્થળોએ લિંગભેદ અને સ્ત્રીદ્વેષ ખૂબ પ્રમાણમાં ફેલાયેલા છે. આ સંજોગોમાં આવા અવાજો આવકાર્ય છે, કેમ કે એ કામકાજનાં સ્થળોની વાસ્તવિકતા રજૂ કરે છે.
‘મી ટૂ’નો સૌ પ્રથમ ઉપયોગ ૨૦૦૬માં નાગરિકોના હક માટે લડનારાં તરાના બર્ક નામનાં આફ્રિકન-અમેરિકન મહિલાએ જાતીય સતામણી અને હિંસાનો ભોગ બનેલી પોતાના સમુદાયની બહેનોને મદદ કરવા કર્યો હતો. આ પહેલનો મુખ્ય આશય આવી સ્ત્રીઓને એ એકલી નથી. એનો અહેસાસ કરાવવાનો અને એમના ઘાને રૂઝવવાનો હતો. ગયા વર્ષે ૨૦૧૭માં અમેરિકામાં અનેક ફિલ્મ-અભિનેત્રીઓ અને બીજી સ્ત્રીઓએ ફિલ્મનિર્માતા હાર્વી વાઇનસ્ટીન પર જાતીય સતામણીના જાહેરમાં આરોપો મૂક્યા, જે ‘ન્યુ યોર્ક ટાઇમ્સ’ જેવાં વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયા અને એ એક જાહેરચર્ચાનો વિષય બન્યો. આને પગલે કર્મશીલ અભિનેત્રી એલીસા મિલાનોએ દરેક સ્ત્રી, જે જાતીય સતામણીનો ભોગ બની હોય એને ‘મી ટૂ’ હેશટેગ સોશિયલ મીડિયામાં મૂકવા માટે પ્રોત્સાહિત કરી. રાતોરાત આ હેશટેગ એક ચળવળમાં બદલાઈ ગયો અને દુનિયામાં બધે ફેલાઈ થયો. ભારતમાં પણ આપણામાંની ઘણી સ્ત્રીઓએ આ હેશટેગ વાપરીને આ ચળવળમાં ભાગ લીધો હતો. આપણે ત્યાં એના બીજા પડઘા પણ પડ્યા હતા. અમેરિકામાં કાયદાનો અભ્યાસ કરતી બહુજન વિદ્યાર્થિની રાયા સરકારે શિક્ષણક્ષેત્રમાં જાતીય સતામણી કરનાર અધ્યાપકોનું લિસ્ટ LoSHA [List of Sexual Harassers in Academia] બહાર પાડ્યું હતું. એ વખતે બે પેઢીનાં નારીવાદીઓ વચ્ચે ‘મી ટૂ’ એક મોટી ચર્ચાનો વિષય બન્યો હતો. જૂની પેઢીનાનું માનવું હતું કે કાયદા પ્રમાણે દરેક સંસ્થામાં સમસ્યાના ઉકેલની વ્યવસ્થા છે, તેનો અમલ થવો જોઈએ અને વિધિસરની પ્રક્રિયા(due process)ને અનુસરવું જોઈએ. નવી, જુવાન પેઢીમાં આટલો વિશ્વાસ અને ધીરજ ન હતાં અને ભૂતકાળમાં આનો જૂજ પ્રમાણમાં અમલ થયો હોવાથી જાહેરમાં આરોપીઓને ખુલ્લા પાડવાનું એમને વધારે યોગ્ય લાગ્યું. આ લિસ્ટમાં આરોપીએ શું ગુનો કર્યો છે, એનું બયાન ન હતું અને આરોપ મૂકનાર સ્ત્રીનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું હતું.
આજે લગભગ એક વર્ષ પછી અભિનેત્રી તનુશ્રી દત્તાએ મોટા ગજાના ફિલ્મ-અભિનેતા નાના પાટેકર પર દસ વર્ષ પહેલાં એના પર કરેલી જાતીય સતામણીનો જાહેરમાં આરોપ મૂક્યો છે. બીજી અભિનેત્રીઓ અને પત્રકાર સ્ત્રીઓ પણ બહાર આવી છે અને શક્તિશાળી પુરુષો તરફથી એમના પર થયેલી જાતીય સતામણીની વાત એમણે જાહેરમાં મૂકી છે. આ જાણીતી મહિલાઓનાં બયાનોથી હિમ્મત મેળવી બીજી અનેક સ્ત્રીઓએ કામનાં સ્થળે પોતાના પર થયેલાં જાતીય હિંસા અને અપમાનોની વાત કરી છે. ફરી એક વખત સોશ્યલ મીડિયા પર ‘મી ટૂ’નું મોજું ફરી વળ્યું છે. આ વખતે જે બન્યું છે, તે કેવળ બીજે થઈ રહેલી ઘટનાઓનો પડઘો કે એમાં ભાગીદારી નથી અને અંગ્રેજી હેશટેગ હોવા છતાં, તેમ જ સોશિયલ મીડિયાથી આ ઝુંબેશ પ્રચલિત થઈ હોવા છતાં, દેશમાં સદીઓ જૂની પિતૃસત્તાના આ ભયંકર સ્વરૂપને પડકારવાનો એક સામૂહિક અવાજ આજે ઊઠ્યો છે. સ્ત્રીઓની મુક્તિના સંઘર્ષમાં આ એક મોટો પડાવ છે. જાણીતાં નારીવાદી કમલા ભસીને એક કાવ્યમાં કહ્યું છે તેમ જાણે અનેક દિલોમાં ઢબૂરાયેલો જ્વાળામુખી એકસાથે ફાટી નીકળ્યો છે. સ્ત્રીઓની જીભને લાગેલાં તાળાં અચાનક ખૂલી ગયાં છે. એમણે છેવટે ડરને ત્યજ્યો છે અને કહેવાતા પ્રતિષ્ઠિત, પરંતુ પાશવી પુરુષોને બેનકાબ કરી જાહેરમાં ખુલ્લા પાડ્યા છે. ફિલ્મના સેટ પર કે રમતના મેદાનમાં, ન્યૂઝરૂમમાં કે શિક્ષણની સંસ્થાઓમાં ચુપકીદીનો ભંગ થઈ રહ્યો છે અને સ્ત્રીઓએ બહાદુરી અને નિર્દયતાથી યથાવત પરિસ્થિતિ(status quo)ને હચમચાવી મૂકી છે.
પરંતુ આ ક્ષણનું મહત્ત્વ કેવળ વ્યક્તિગત અનુભવોને બધાંની આગળ રજૂ કરવામાં જ નથી, તેમ જ પ્રતિષ્ઠિત પુરુષો પર વ્યક્તિગત પ્રહાર કરવાનો આશય પણ આની પાછળ નથી. આ એક ખુલ્લો પડકાર છે એ પિતૃસત્તાક સમાજ સામે જે પુરુષોને સ્ત્રીઓને સતાવવાની, ડરાવવાની અને એમનો ગેરલાભ લેવાની પૂરી છૂટ આપે છે. આ જાતનો વ્યવહાર આપણી આસપાસ ચારેબાજુ ફેલાયેલો છે, જેમાં પુરુષો આવી સતામણીને પોતાની સત્તાનું પ્રમાણ માને છે; પોતાના કૃત્ય માટે એ પોતાને બિલકુલ જવાબદાર નથી માનતા કે એનો જવાબ આપવા બંધાયેલા પણ નથી માનતા. ખાસ તો વગવાળા અને સંપન્ન પુરુષોને આ અવાજો ખુલ્લા પાડે છે, જે પોતાના પદ અને સત્તાનો ઉપયોગ સ્ત્રીઓનો ઉપભોગ કરવા માટે વાપરે છે અને એ પદ અને સત્તાના બળે કોઈ પણ પ્રકારની સજામાંથી છટકી જાય છે.
સમાજની જવાબદાર વ્યક્તિઓ તરીકે અને સ્ત્રીઓ માટે લડનારાં સંગઠનો કે સ્ત્રીઓ તરીકે આપણે આ અનેક સ્ત્રીઓ, જેમણે હિંમત અને નિખાલસતાથી પોતાનો અવાજ ઉઠાવ્યો છે, તેમને પૂરું સમર્થન આપીએ અને એમને બધા પ્રકારની – અંગત, કાયદાકીય, માનસિક યાતનાઓને રૂઝવવાની – મદદ માટે એમની સાથે ઊભાં રહીએ. આ સ્ત્રીઓનો અવાજ એ સત્યનો સત્તા સામેનો અવાજ છે. આ અવાજોની સૌથી તરતની, દેખીતી અસર એ આવા બીજા પ્રસંગો બનતા રોકવા એ છે. જાણીતા અને વગ ધરાવતા પુરુષોને જાહેરમાં ખુલ્લા પાડવાથી બીજા પુરુષો ભવિષ્યમાં આવી હરકતો કરતાં હજાર વાર વિચારશે અને રોકાશે. આ એક પ્રકારનું રોકનારું પગલું [deterrent] છે. જો કે આ કેટલું અસરકારક છે એ વિચારવાનો મુદ્દો છે. પરંતુ એક બદલાવ જરૂર આવ્યો છે. આજ સુધી પુરુષો માનતા આવ્યા છે કે સ્ત્રીનો ગેરલાભ લેવાની એમને છૂટ છે. ખાસ કરીને કામની જગ્યાએ, જ્યાં સ્ત્રીની નોકરી, બઢતી, વિકાસ, અભ્યાસમાં સફળતા, આ બધું ઉપરી પુરુષોના હાથમાં હોય છે, ત્યાં પુરુષો એ ખ્યાલમાં રહે છે કે સ્ત્રી હંમેશાં દબાયેલી અને ચૂપ રહેશે. આ ભ્રમ આજે ભાંગ્યો છે એ ‘મી ટૂ’ની એક મોટી સફળતા છે.
‘મી ટૂ’ એ એક વિસ્ફોટ છે, એક સાથે જુદાં-જુદાં ક્ષેત્રોની સ્ત્રીઓના અવાજ આજે જાહેરમાં બહાર આવ્યા છે .. એમના અવાજોમાંથી ત્રણ મુખ્ય સૂર નીકળે છે : એક તો એ કે પિતૃસત્તા સર્વવ્યાપી છે અને પુરુષના અધિકાર અને પદ એમના વર્ગ અને જાતિના વિશેષાધિકાર સાથે જોડાયેલાં છે. બીજું, કામની જગ્યાઓ જે રીતે રચાયેલી છે અને જે રીતે ચાલે છે, એને આની સાથે ઘેરો સંબંધ છે. કામનાં સ્થળોએ પુરુષોનું આધિપત્ય હોય છે, જે એમને માટે આવી હરકતો સુલભ બનાવે છે. અને એટલે ત્રીજું, આ પ્રશ્ન કેવળ જે સ્ત્રીઓ ભય અને જાતીય સતામણીનો ભોગ બને છે, એમના પૂરતો જ સીમિત નથી, પરંતુ એક મોટી સામાજિક હકીકત છે જે આખા સમાજ પાસેથી જવાબ માંગે છે, કેમ કે એનું અંતિમ ધ્યેય સમાજવ્યવસ્થા બદલવાનું છે.
એક પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે કે અત્યાર સુધી સ્ત્રીઓ કેમ ચૂપ હતી? આ પ્રશ્ન પોતે જ પિતૃસત્તાક માનસની નિશાની છે. સ્ત્રીને આરોપીના પાંજરામાં ઊભી રાખવી અને એની પાસે જવાબ માંગવો એ પૌરુષીય સત્તાનું એક ઘમંડી સ્વરૂપ છે. એક સ્ત્રીને જાતીય સતામણીની અનેક યાતનાઓમાંથી પસાર થવું પડતું હોય છે, એના ઊંડા ઘા જિંદગીપર્યંત સહેવા પડે છે, એ વિશે બોલવું એને માટે એથી પણ વધારે યાતના ભરેલું હોય છે. તેમ જ બોલ્યાં પછી એ સ્ત્રી માટે કામના સ્થળે, કુટુંબમાં અને સમાજમાં ટકી રહેવું ઘણું મુશ્કેલ હોય છે અને કારમી એકલતામાં એને જીવવું પડે છે. કામનાં સ્થળોનું વાતાવરણ સ્ત્રીદ્વેષ અને લિંગભેદથી ભરેલું હોય છે, જ્યાં સ્ત્રીઓની વ્યાવસાયિક લાયકાત કે સમર્થતા કરતાં એમનાં દેખાવ કે શરીર પર વધુ ધ્યાન અપાતું હોય છે. ત્યાં સત્તાનો ભેદ એટલો જબરદસ્ત હોય છે કે બીજી સ્ત્રીઓનો સહકાર મેળવવો પણ મુશ્કેલ બને છે. આવા વાતાવરણમાં ફરિયાદ કરવી એ પણ મોટો પડકાર છે.
ઉપરાંત, ન્યાય મેળવવો એ સ્ત્રી માટે ખૂબ જ કપરું કે અશક્ય કામ છે. આપણા દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવનાર તંત્રો પિતૃસત્તાક છે. પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સ્ત્રીની સાથે આરોપીની જેમ વર્તે છે, એનું અપમાન કરે છે અને એનો દોષ કાઢે છે. ન્યાયિક પ્રક્રિયા સ્ત્રીઓની વિરુદ્ધ છે. જાતીય સતામણી કે હિંસાના કિસ્સાને ફોજદારી કાયદા તરીકે તપાસવાથી નક્કર પુરાવા, શક બહારની સાબિતી, સાક્ષી વગેરે હકીકતો પૂરી પાડવી પડે છે, જે આવા કિસ્સાઓમાં શક્ય નથી. છેલ્લાં બે વર્ષમાં જાણીતા પુરુષો, મહમ્મદ ફારુકી, તરુણ તેજપાલ, આર.કે. પચોરી વગેરે ઉપર જાતીય સતામણીના આરોપસર કેસ કરવામાં આવ્યા. આમાંથી ફારૂકીને ‘સ્ત્રીની ના એ ના ન માની શકાય’ એ કારણસર છોડી મૂકવામાં આવ્યા. બીજા કેસો હજુ પણ ચાલે છે. આ બતાવે છે કે કાનૂની લડાઈ સ્ત્રીઓ માટે કેટલી કપરી છે. ભંવરીદેવી જેણે કામના સ્થળે થતી જાતીય સતામણી વિરુદ્ધ ચળવળને જન્મ આપ્યો, એના બળાત્કારીઓ આજે પણ પકડાયા નથી. તનુશ્રી દત્તાએ ૨૦૦૮માં સિને અને ટીવી આર્ટિસ્ટ્સ એસોસિયેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ એના પ્રતિભાવથી સંતુષ્ટ ન હતી. એના પિતાએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી, જેનું પણ કોઈ પરિણામ આવ્યું ન હતું. સ્ત્રીઓ આજે કેમ બોલે છે, એની પાછળ આ પણ એક મોટું કારણ છે. ન્યાય પ્રક્રિયા ઉપરથી એમનો વિશ્વાસ ઊઠી ગયો છે, એમની ધીરજનો અંત આવ્યો છે અને એથી નવી પેઢીની સ્ત્રીઓએ જાહેરમાં આ પ્રશ્નને મૂકવાનું પસંદ કર્યું છે.
આજે આટલા મોટા પ્રમાણમાં સ્ત્રીઓ જાહેરમાં બોલી શકે છે, તેનું એક મુખ્ય શ્રેય સોશિયલ મીડિયાને જાય છે. એક સ્ત્રી બોલે, તેથી બીજી અનેક સ્ત્રીઓને બોલવાની હિંમત મળે છે. સોશ્યલ મીડિયા દ્વારા એક નેટવર્ક ઊભું થયું છે જેથી દરેક સ્ત્રીને બીજી સ્ત્રીઓ અને સ્ત્રીઓની સંસ્થાઓનો ટેકો અને મોટા પાયા પર સમર્થન મળ્યાં છે. સ્ત્રીઓમાં એક પ્રકારની એકજૂટતા ઊભી થઈ છે, જેને લીધે એમનામાં હિંમત આવી છે અને ડર અને સંકોચ જતાં રહ્યા છે. આજે માહિતી-સંચાર ટેક્નૉલૉજી એટલી સરળતાથી સુલભ છે કે ઑનલાઇન નેટવર્ક વિચારોને જેવા રજૂ થાય એવા જ એનો પ્રસાર કરે છે; કેવી રીતે આ પ્રશ્નનો સામનો કરવો એની વ્યૂહરચનાઓ સમજવાની અને એને વિશે બધાંની સાથે ચર્ચા કરવાની તક આપે છે અને દુનિયામાં ચાલતી આ ચળવળનો ભાગ થવાનું સરળ બનાવે છે. આને કારણે આજે અસંખ્ય સ્ત્રીઓના અવાજો આખી દુનિયામાં બધે સંભળાય છે અને એની વ્યાપક અસર થઈ છે, જે આ પહેલાં શક્ય ન હતું.
‘મી ટૂ’ની ઘટનાને જો એના બહોળા ઐતિહાસિક સંદર્ભમાં જોઈશું તો જણાશે કે આ પહેલાં સ્ત્રીઓ નથી બોલી કે જાતીય શોષણ અને હિંસાની સામે લડી નથી, એવું નથી. મહિલા-આંદોલનની આ પહેલાંની પેઢીઓએ જો આનો વિરોધ ન કર્યો હોત અને કાયદાઓ બનાવવાની અને બદલવાની લડત આપી ન હોત, તો કદાચ ‘#મી ટૂ’ ઝુંબેશ આજે જે અસરકારક ભાગ ભજવી રહી છે, તે શક્ય ન બનત. જ્યારે મથુરા નામની એક ૧૫-૧૬ વર્ષની આદિવાસી કન્યા પર પોલીસ-કસ્ટડીમાં ૧૯૭૨માં સામૂહિક બળાત્કાર થયો અને જ્યારે આરોપીઓને છોડવામાં આવ્યા એ કારણસર કે મથુરાએ વિરોધ નહોતો કર્યો અને એની સંમતિ હતી, ત્યારે ‘સમ્મતિ’ [consent] વિશે નારીવાદી સ્ત્રીઓમાં ઊંડું આત્મમંથન થયું હતું અને ૧૯૭૯માં ચાર પ્રતિષ્ઠિત કાયદાના પ્રોફેસરોએ મુખ્ય ન્યાય મૂર્તિને ખુલ્લો પત્ર લખ્યો હતો, જેને પગલે જાહેર વિરોધ થયો હતો અને બળાત્કારના કાયદામાં સુધારા થયા હતા. સ્ત્રીઓના જાતીય શોષણ સામેની લડાઈમાં આ એક મહત્ત્વની ક્ષણ હતી. આ પછી ઘણી સ્ત્રીઓ બહાર આવી પણ જુદી-જુદી, એકલદોકલ અને દરેકે પોતાની અલગ ફરિયાદો નોંધાવી જેનો નિર્ણય કરનાર પુરુષો હતા, જેમણે કાં તો એ ફરિયાદો પર ધ્યાન ન આપ્યું કે એને ફગાવી દીધી, અથવા તો વર્ષો સુધી કોર્ટમાં કોઈ પરિણામ વગર કેસ ચાલ્યા. આ અવાજોને સાંભળનાર કોઈ પુરુષો ન હતા.
૧૯૯૨માં આ આંદોલનનો બીજો એક મોટો પડાવ આવ્યો, જ્યારે રાજસ્થાનના એક ગામમાં દલિત સ્ત્રી ભંવરીદેવી પર ગુજ્જર જાતિના પુરુષોએ સામૂહિક બળાત્કાર કર્યો જેનો એણે જાહેરમાં વિરોધ કર્યો અને એના સમર્થનમાં અનેક સ્ત્રીઓ અને સ્ત્રી-સંગઠનો બહાર આવ્યાં. ભંવરીદેવી પર હુમલો એણે બાળવિવાહ રોકાવ્યા હતા, એના વિરોધમાં થયો હતો. એના પર બળાત્કાર એ કામ કરતી હતી તે દરમિયાન થયો હતો. ૧૯૯૫માં સુપ્રીમ કોર્ટમાં સ્ત્રી સંગઠનો દ્વારા જાહેરહિતની અરજી કરવામાં આવી. ૧૯૯૭માં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો, જેમાં કામનાં સ્થળોએ જાતીય સતામણી ન થાય, એ માટે વ્યવસ્થા કરવાનાં સૂચનો થયાં અને જાહેરકામનાં સ્થળોને આ વ્યવસ્થા કરવાની ફરજ પાડવામાં આવી, જે ‘વિશાખા માર્ગદર્શિકા’ તરીકે ઓળખાય છે. આમ ભંવરીદેવી, રૂઢિચુસ્ત ગામડાંની એક દલિત સ્ત્રી, એ ‘મી ટૂ’નો પહેલો મોટો અવાજ હતો, જે એ સમયે સ્ત્રીઓના રાષ્ટ્રીય આંદોલનમાં ફેરવાઇ ગયો હતો. આને કારણે ‘કામકાજના સ્થળે થતી જાતીય હિંસા’ પહેલી વખત કાયદાના દાયરામાં આવી. ૨૦૧૨માં જ્યોતિ સિંઘ પર દિલ્હીમાં થયેલા સામૂહિક બળાત્કારનો જાહેરમાં ભારે વિરોધ થયો. ૨૦૧૩માં ‘કામનાં સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી (નિરોધ, નિષેધ અને નિરાકરણ)’ કાયદો સરકારે બહાર પાડ્યો, જેમાં કામનાં સ્થળને વિસ્તારીને અસંગઠિત ક્ષેત્રો અને ઘર જેવી દરેક જગ્યાને સમાવી લેવામાં આવી છે. એ ખૂબ જ દુઃખની – જો કે આશ્ચર્ય પમાડે એવી નહીં – વાત છે કે મોટા ભાગનાં સ્થળોએ આ વ્યવસ્થા આજે અસ્તિત્વમાં નથી. જ્યાં છે ત્યાં ઉપરીના પક્ષપાતને કારણે તંત્ર નિષ્પક્ષ નથી. ઉપરાંત આંતરિક ફરિયાદ સમિતિનો ઝોક ઘણી વખત ફોજદારી કાયદા તરફ હોય છે. આ બધાં કારણોને લીધે સ્ત્રીઓના અધિકારનો દૃષ્ટિકોણ જે આ કાયદાનું મુખ્ય ધ્યેય છે, એ સમજવામાં આ સમિતિઓ અસફળ રહે છે. જે નારીવાદી સ્ત્રીઓ આ કાયદાના ગઠનમા જોડાયેલી હતી એમણે જાતીય સતામણીના ‘નિરોધ’ કે અટકાયત પર કાયદામાં ભાર મૂક્યો હતો જેથી સ્ત્રીઓના અધિકારો વિશે પુરુષનું માનસ બદલી શકાય અને સત્તાનો દુરુપયોગ અને નફરતભરેલું વાતાવરણ અટકાવી શકાય. આજે જ્યારે આપણે આ સ્ત્રીઓને બનતી બધી જ મદદ આપવા તૈયાર છીએ ત્યારે એ અત્યંત જરૂરી છે કે આવી સમજપૂર્વકની વ્યવસ્થા દરેક સ્થળે નિશ્ચિત રૂપે હોય. કામનાં સ્થળોએ કાયદામાં વિઘ્ન ન બનવું જોઈએ, જેને કારણે સ્ત્રીને જાહેરમાં બોલવાની ફરજ પડે.
‘#મી ટૂ’ આમ સ્ત્રીઓની જાતીય હિંસા અને સતામણી સામેની લાંબી ચળવળની એક ઘણી મહત્ત્વની ક્ષણ છે; એક અગત્યનો પડાવ છે. દરેક પડાવ આ ચળવળને આગળ વધારે છે અને નવી દિશા અને ફેરફારો સૂચવે છે. સ્ત્રીઓએ છેવટે ડરને ત્યજ્યો છે અને ચુપકીદી તોડી છે, એ આ ઝુંબેશની મોટી સિદ્ધિ છે. આ હિંમતવાન ચુપકીદી તોડનાર સ્ત્રીઓ[silence breakers]એ એક નવી પરિસ્થિતિ ઊભી કરી છે અને જાહેરમાં બધાંને વિચારવાની ફરજ પાડી છે. સાથે-સાથે આ ઝુંબેશે કેટલાક પ્રશ્નો પણ ઊભા કર્યા છે જે બતાવે છે કે સ્ત્રીઓની જાતીય સતામણીનો પ્રશ્ન કેટલો સંકુલ છે અને એનો ઉકેલ કેટલો કઠિન છે.
પહેલું તો,‘મી ટૂ’ એ સોશ્યલ મીડિયાનું સર્જન છે. એક ઑનલાઇન ઝુંબેશ શું પિતૃસત્તા જે સદીઓ પુરાણી છે અને જેને પૈસા અને સત્તા પોષે છે એને ઉખેડી શકે? શું એ કાયમ માટેની તાકાત બની શકે? આવી ઝુંબેશ ક્યાં સુધી ટકાવી શકાય? શું આપણે ઈચ્છીએ છીએ કે એ લાંબી ચાલે? સ્ત્રીઓ માટે જાહેરમાં બોલવું એ ખૂબ જ યાતનાનો અનુભવ છે. એમ કરતાં એમનાં જીવન અને કારકિર્દી જોખમમાં મુકાય છે. હમણાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તરાના બર્કે કહ્યું છે કે આજના સમયમાં સોશ્યલ મીડિયાને કારણે તમે જેટલું તમારા વિશે બીજાઓને કહો અને ધ્યાન ખેંચો એટલું સારું કહેવાય છે. પણ અમે આ પ્રથાને તોડવા માંગીએ છીએ. આ યાતનામાંથી બચેલી અને સ્વસ્થ થયેલી સ્ત્રીઓની દુનિયામાં પૂરતા પુરાવા છે જેને ફરીથી દોહરાવવાની કોઈ જરૂર નથી. ઉપરાંત, આપણા દેશમાં અસંખ્ય સ્ત્રીઓ છે જેમને માટે જાહેરમાં બોલવું શક્ય નથી. તેઓ સોશ્યલ મીડિયાની બહાર વસે છે. આ બધી સ્ત્રીઓ સુધી પહોંચવું એ ખૂબ જરૂરી છે. જો કે એક વાત ચોક્કસ છે કે સોશ્યલ મીડિયાએ જ આ આખા પ્રશ્નને પહેલી વખત જાહેરમાં એક સામાજિક સમસ્યા તરીકે મૂક્યો છે, જે પોતે જ એક ક્રાંતિ છે. પરંતુ, આ ઝુંબેશને જમીની હકીકતો અને જે વ્યવસ્થાઓ અને કાયદાઓ જરૂરી છે, એની સાથે સાંકળવાની જરૂર છે. છેવટે આપણો પ્રયત્ન એ હોવો જોઈએ કે આપણે લૈંગિક સમાનતાની એવી પરિસ્થિતિ ઊભી કરીએ, જેથી કોઈ સ્ત્રીને જાતીય સતામણી વિશે જાહેરમાં બોલવાની જરૂર જ ન રહે.
બીજું, આવી જોરદાર ઝુંબેશો ક્યારેક એનાથી પણ વધારે આક્રમક પ્રતિક્રિયાનો ભોગ બને છે. આવા પ્રયત્નો પ્રત્યાઘાતી બળોને ભેગાં થવાની તક આપે છે. જેમ સ્ત્રીઓ એકજૂટ થાય છે, એમ પુરુષો પણ પ્રત્યાઘાતી જૂથમાં ભેગા થઈ શકે છે. ગયે મહિને અમરિકામાં પ્રેસિડેન્ટ ટ્રમ્પના સાથી બ્રેટ કાવાનોહ જજ તરીકે નિમાયા. એમની સામે ડૉ. ક્રિસ્ટીન બ્લાઝી ફોર્ડે જાતીય સતામણીના કરેલા આક્ષેપો કોઈ પુરાવા કે પુષ્ટિ ન મળવાથી નકારવામાં આવ્યા. ‘ધ ન્યુ યૉર્કર’માં પત્રકાર જીયા ટોલેન્ટિનોએ લખ્યું કે એમની “નિયુક્તિ ’મી ટૂ’ની ચળવળ હોવા છતાં થઈ એમ કહેવાશે. પરંતુ એ પણ એટલું જ સાચું છે કે એ નિયુક્તિ ‘મી ટૂ’ને કારણે થઈ. સ્ત્રીઓના અવાજોએ પુરુષોને એટલા ઉશ્કેર્યા છે કે અમેરિકામાં લાંબી ચાલતી આવેલી પુરુષ અને સ્ત્રી વચ્ચેની ઊંચ-નીચના દરજ્જાની સ્થિતિ ફરીથી પ્રસ્થાપિત કરવા તેઓ કૃતનિશ્ચય છે.” કાવાનોહના કેસમાં નિર્ણાયક મત રિપબ્લિકન પાર્ટીનાં મહિલા સભ્યે આપ્યો, એ પણ નોંધપાત્ર છે. પિતૃસત્તા અને જમણેરી રાજકીય તત્ત્વો વચ્ચેનું ગઠબંધન ઘણું મજબૂત છે જે આપણે આપણા દેશમાં પણ જોઈ, અનુભવી રહ્યા છીએ. સબરીમાલા મંદિરમાં સ્ત્રીઓના પ્રવેશવિરોધી સ્મૃતિ ઈરાનીનું વિધાન ચોંકાવનારું છે. ‘મી ટૂ’ની સામે પણ પુરુષોના ઘણા પ્રત્યાઘાતો આવ્યા છે. એમ.જે. અકબરે પ્રતિક્રિયા તરીકે તરત જ પ્રિયા રામાણી પર માનહાનિનો કેસ કર્યો છે. એમને રાજીનામું આપવું પડ્યું એ એક નાનો વિજય છે, પરંતુ આ કેસ વર્ષો સુધી કોર્ટમાં ચાલશે અને સત્તા, વગ તેમ જ પૈસાના જોરે બધું દાબવાનો પ્રયત્ન થશે, જેવું બીજા કેસોમાં થયું છે. જાતીય સતામણી અંગેની પિતૃસત્તા સામેની લડાઈ આમ ઘણી સંકુલ, કઠિન અને લાંબી છે, એ આપણે સમજવું પડશે.
ત્રીજું, ‘મી ટૂ’ હેશટેગનો ઉપયોગ શહેરની શિક્ષિત સ્ત્રીઓએ કર્યો છે. એક શહેરી, મધ્યમવર્ગની વાચાળ સ્ત્રી બોલે છે, તેની પાછળ હજારો સ્ત્રીઓ છે, જે બોલતી નથી કે બોલી શકતી નથી, એમને સોશ્યલ મીડિયા સુલભ નથી. બેશક, આ ઝુંબેશ એ શહેરી, સવર્ણ, મધ્યમવર્ગીય સ્ત્રીઓ સુધી સીમિત છે. જો કે એને લીધે એનું મહત્ત્વ બિલકુલ ઓછું થઈ જતું નથી. પુરુષો દ્વારા થતી સ્ત્રીની જાતીય સતામણી અને હિંસા સામેની આ લડાઈ છે અને જે કોઈ સ્ત્રી – ભલે કોઈ પણ વર્ગ, જાતિ કે ધર્મની હોય – આની સામે અવાજ ઉઠાવે છે એને દરેક જાતિ કે ધર્મની સ્ત્રીઓ ટેકો આપે છે. દલિત સ્ત્રીઓના સમૂહે આ ઝુંબેશને ટેકો આપ્યો છે, એ જાણવા છતાં કે ‘મી ટૂ’ના ‘મી’માં એમનો સમાવેશ નથી, કેમ કે તેઓ માને છે કે પિતૃસત્તા અને જાતિવાદના પ્રશ્નો સંકળાયેલા છે અને બંનેને અલગ કરીને ન જોઈ શકાય. આ જ રીતે કાશ્મીરી સ્ત્રીઓએ પણ ટેકો આપ્યો છે. દલિત સ્ત્રીઓ અને કાશ્મીરી સ્ત્રીઓનાં નિવેદનો મહત્ત્વનાં છે. દલિત સ્ત્રીઓનો સંઘર્ષ કેવળ પિતૃસત્તા સામે જ નહીં, પરંતુ જાતિવાદ સામે, સવર્ણ પુરુષો સામે, દલિત પુરુષો સામે અને સવર્ણ સ્ત્રીઓ સામે પણ છે, જે દરેક એમનું શોષણ કરે છે. જ્યાં સુધી પિતૃસત્તા સામેની લડાઈ જાતિવાદ સામેની લડાઈ પણ નહીં બને, ત્યાં સુધી પિતૃસત્તાથી મુક્તિ મેળવવી મુશ્કેલ છે કેમ કે આપણા દેશમાં બંનેનાં મૂળ મનુવાદમાં છે.
કાશ્મીરમાં પણ સ્ત્રીઓએ જાતીય સતામણી કરનાર પુરુષોનું લિસ્ટ જાહેર કર્યું છે કે જેથી તેઓ વધારે જવાબદાર બને. તરત જ પુરુષો તરફથી પ્રતિક્રિયા આવી કે આ સ્ત્રીઓ રાજ્યતરફી છે અને પોતે જ સંભોગ કરનારી છે. કાશ્મીરમાં એ મુદ્દો ઉઠ્યો કે અત્યારે જો જાતીય શોષણના પ્રશ્ન સામે સ્ત્રીઓ અવાજ ઉઠાવશે, તો રાજ્ય એનો ગેરલાભ ઉઠાવશે અને બધા કાશ્મીરીઓને વગોવશે. આથી આઝાદીનો પ્રશ્ન ઉકલે નહીં ત્યાં સુધી આ પ્રશ્નને ન છેડવો. પરંતુ સ્ત્રીઓએ કહ્યું કે ‘આઝાદી’ કે ‘આત્મનિર્ણય’નો પ્રશ્ન અને જાતીય સતામણીનો પ્રશ્ન અલગ અલગ કરીને ન જોઈ શકાય. પિતૃસત્તા સામેનો અવાજ એટલો જ અગત્યનો છે, જેટલો આઝાદીનો છે. આમાંથી હિંમત મેળવીને જે.એન.યુ.ની એક વિદ્યાર્થિનીએ કથુઆમાં આસિફા પર સામૂહિક બળાત્કારનો કેસ લડતા જાણીતા કર્મશીલ તાલિબહુસેન પર જાતીય સતામણીનું ખૂબ જ હચમચાવી મૂકે એવું બયાન આપ્યું છે, એ જાણવા છતાં કે પ્રત્યાઘાતી બળો આનો ગેરલાભ ઉઠાવશે. આ બંને નિવેદનો સૂચવે છે કે સ્ત્રીઓના જાતીય સતામણીના પ્રશ્નને જાતિવાદ અને ધર્મના પ્રશ્નથી અલગ કરીને ન જોઈ શકાય. આ મુદ્દો એ પણ દર્શાવે છે કે જાતીય સતામણીનો પ્રશ્ન કેટલો સંકુલ છે અને પિતૃસતા સામેની લડાઈમાં જાતિ, વર્ગ, ધર્મ, વગેરે પ્રશ્નો પણ સંકળાયેલા છે. જાતીય સતામણી સામેના સંઘર્ષમાં આ બધા બીજા અવાજો સામેલ કરવાની જરૂર છે. હમણાં બંગલુરુમાં કર્મચારી સ્ત્રીઓ પોતાની જાતીય સતામણીના અનુભવો અને પ્રશ્નો વિશે વાત કરવા ભેગી થઈ હતી એ આ દિશામાં મહત્વનુ પગલું છે.
છેવટે પ્રશ્ન એ છે કે ’મી ટૂ’ની ઝુંબેશને એના તર્કયુક્ત અંત સુધી કેવી રીતે લઈ જવી? સૌ પ્રથમ તો જે સ્ત્રીઓએ હિમ્મતથી અવાજ ઉઠાવ્યો છે એમને બધી જ મદદ કરવાની વ્યવસ્થા આપણે કરવી જોઈએ. જાહેરમાં મદદનાં કેન્દ્રો, કાયદાકીય સલાહ અને બીજી વ્યવસ્થા હોવી જોઈએ જેનો આ સ્ત્રીઓ સંપર્ક કરી શકે. ઉપરાંત એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ જેથી સ્ત્રીઓ ડર કે સંકોચ વગર બોલી શકે. એમની વાતોને આપણે ધીરજ, સહાનુભૂતિ અને સમજપૂર્વક સાંભળવી જોઈએ જેથી એ આત્મવિશ્વાસ અને સ્વાભિમાન પાછાં મેળવી શકે. અને ખાસ તો આ બધી સ્ત્રીઓને એ એકલી નથી, આપણે બધાં એમની સાથે છીએ એવો અહેસાસ કરાવવો અને માનસિક તેમ જ નૈતિક ટેકો આપવો ખૂબ જરૂરી છે. ‘મી ટૂ’ ઝુંબેશે એ પુરવાર કર્યું છે કે સ્ત્રીઓ હવે ચૂપ રહીને જાતીય અત્યાચારો સહન નહીં કરે. સ્ત્રીઓ માટે જાહેરમાં બોલવાની શક્યતાઓ એણે ખોલી દીધી છે. આ પરિસ્થિતિ અને શક્યતાઓને આપણે વધારે આગળ વધારવાં પડશે.
આ ઝુંબેશમાં શહેરની બહાર ગામોમાં રહેતી સ્ત્રીઓના, જેમને સોશ્યલ મીડિયા ઉપલબ્ધ નથી અને જેઓ અંગ્રેજી જાણતી નથી, અવાજો ઉમેરાવા જોઈએ. છેવાડાની સ્ત્રીઓના અનુભવો સમજવા ખાસ જરૂરી છે. એમને માટે બોલવું મુશ્કેલ જ નહીં, પરંતુ અશક્ય છે; કેમ કે એનું પરિણામ કુટુંબ, બિરાદરી અને ગામ તરફથી બહિષ્કાર એ છે. આ ઝુંબેશ કેવળ દરેક સ્ત્રીની અંગત લડાઈ જ નથી પરંતુ ગામ અને શહેરની, દરેક વર્ગ, જાતિ અને ધર્મની, બધી સ્ત્રીઓની પોતાના અધિકારો માટેની સહિયારી લડત છે. ‘મી ટૂ’ની લડત એ છેવટે ‘વી ટૂ’ની લડત છે જે ભંવરીદેવીના કિસ્સામાં બન્યું હતું.
બીજું, જે વ્યવસ્થાઓ અને કાયદાઓ અસ્તિત્વમાં છે, તેમને વધારે મજબૂત કરવાની અને બદલવાની તેમ જ અનુસરવાની જરૂર છે. જાતીય સતામણી સામેના ૨૦૧૩ના કાયદામાં ઘણી ઊણપો છે, જેમ કે આંતરિક ફરિયાદ સમિતિને સંસ્થાના તંત્રથી કેવી રીતે મુક્ત, સ્વતંત્ર અને તટસ્થ કરવી. ઉપરાંત, દરેક કામના સ્થળે ફરિયાદ-નિરાકરણ માટેનું તંત્ર કામ કરે એ જરૂરી છે. દરેક રાજ્યના મહિલા આયોગની એ જોવાની જવાબદારી છે કે દરેક જિલ્લામાં સ્થાનિક ફરિયાદ સમિતિઓ સ્થપાય અને સ્ત્રી અને બાળકલ્યાણ મંત્રાલય તરફથી એને આર્થિક સહાય મળે. આ સમિતિઓએ કાયદાને અમલમાં મૂકવો જોઈએ અને એ ખાતરી કરવી જોઈએ કે માલિકો એને અનુસરે. આમ થવાથી અસંગઠિત ક્ષેત્રની અસંખ્ય સ્ત્રીઓને ઘણી મદદ મળશે.
આજે સૌથી વધારે જરૂર છે એ વિચારવાની ને ચર્ચવાની કે કામની જગ્યાએ ફરિયાદ કેવી રીતે હાથમાં લેવી? ફરિયાદ નિવારણનું જે તંત્ર છે, એને કેવી રીતે પારદર્શક બનાવવું? સુરક્ષિત અને સલામત વાતાવરણ કેવી રીતે ઊભું કરવું? છેવટે આપણો આશય એ છે કે કામનાં સ્થળો જાતીય સતામણીના ભયથી મુક્ત થાય અને દરેક જગ્યાએ જાતીય સમાનતાનું વાતાવરણ ઊભું થાય. સ્ત્રીઓ બદલો લેવા આવા અવાજો ઉઠાવે છે, એ દલીલ સત્યથી ખૂબ વેગળી છે. સ્ત્રી-ગરિમા સાથે અને પોતાની ક્ષમતા મુજબ કામ કરી શકે, એવું સ્વતંત્ર વાતાવરણ ઈચ્છે છે, નહીં કે યાતનાભરી કાનૂની લડાઈમાં વર્ષો વિતાવવાનું. એની સાથે ખોટું થયું છે એનો સ્વીકાર, માફી કે આવું ફરીથી નહીં થાય, એની ખાતરી પણ ઘણી વખત કામના સંબંધોને સુમેળભર્યા કરી શકે. ગુના માટેની જવાબદારી ચોક્કસ ઠરાવવી જોઈએ. પરંતુ, ‘મી ટૂ’ની લડતનું ધ્યેય છેવટે સ્ત્રીઓ માટે કામનું સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું એ છે. સ્ત્રીઓની સ્વતંત્રતા, સમાનતા અને ભેદભાવ વગર કામ કરવાના મૂળભૂત અધિકારો માટેનો આ સંઘર્ષ છે.
E-mail : svati.joshi@gmail.com
(નોંધ : ૩૧ ઑક્ટોબરે ‘અવાજ’ સંસ્થામાં ‘#મી ટૂ’ ચળવળ વિશે યોજાયેલા પરિસંવાદમાં બોલાયેલું.)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2018; પૃ. 08-11