એક પ્રમુખ ગુજરાતી કવિ અને વિવેચક નિરંજન ભગત(1926-2018)નો આજે જ્ન્મદિવસ છે.
સાહિત્યકાર તરીકે ઘણું સન્માન પામી ચૂકેલાં નિરંજન ભગત વ્યવસાયે અંગ્રેજીના અધ્યાપક હતા.
તેમની પાસે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં હું ત્રણ વર્ષ ભણ્યો. ત્યાર પછી લગભગ એકાદ દાયકો ગુજરાતી સાહિત્ય સહિત વિશ્વસાહિત્ય પરના એમના જાહેર વ્યાખ્યાનો સાંભળ્યાં.
તેમના એક પ્રિય કવિ પ્રેમાનંદે ‘સુદામાચરિત’માં ગુરુ સાંદિપની માટે પ્રયોજેલા શબ્દોમાં કહું તો ભગત સાહેબ મારા માટે ‘વિદ્યાવંત અનંત’ અધ્યાપક હતા.
તેમના વ્યાખ્યાનોમાં મેં 1990ની સાલથી કરેલી નોંધોમાંથી કેટલીક મારા અક્ષરધનમાં સચવાઈ છે. તેનું એક કોલાજ ડિજિટલ કામના કસબી નીતિન કાપૂરેના સૌજન્યથી આ પોસ્ટની સાથે મૂક્યું છે.
ભગતસાહેબ પાસેથી પચાસ જેટલા સાહિત્યકારો અને સોએક કૃતિઓ વિશે મનને ઝળાંહળાં કરી દેનારાં સરાસરી દોઢ કલાકના વિશુદ્ધ વ્યાખ્યાનો સાંભળ્યાં છે.
પશ્ચિમમાંથી અંગ્રેજી, અમેરિકન ગ્રીક, લૅટિન અને ફ્રેન્ચ સાહિત્ય; અને ગુજરાતીમાં પ્રેમાનંદ, નરસિંહ મહેતાથી દલપતરામ-નાન્હાલાલ થઈને કાન્ત, કલાપી, રા.વિ. પાઠક, ઉમાશંકર, હરિશ્ચન્દ્ર, રાવજી જેવા કવિઓ સુધી તેમનાં વ્યાખ્યાન-વિષયો વિસ્તરેલા હતા.
ભગતસાહેબ એટલે પૂરેપૂરો સ્વાધ્યાય કરીને, સાહિત્યકૃતિનો પાઠ સાથે રાખીને વર્ગમાં ઊભા ઊભા, ધોધ જેવા અવાજમાં, અત્યંત પ્રભાવશાળી રીતે, લાંબા પટે, કલાકો સુધી ઊર્જાથી શીખવતા શિક્ષક.
તેઓ કાવ્યકૃતિની પાંખડીઓ ઉઘાડીને તેના સૌંદર્યનો આસ્વાદ કરાવતા. વિરામચિહ્નોથી માંડીને કવિતાના આખા ય સ્થાપત્યની વિશિષ્ટતા અને સરવાળે કાવ્યપદાર્થની મહત્તા તેમને કારણે પામી શકાઈ.
અમારી ઝેવિયર્સ કૉલેજમાં 1984ના સપ્ટેમ્બરના એક ધન્ય દિવસે તેમણે છંદશાસ્ત્ર પર સવારે નવથી બપોરે અઢી સુધી સળંગ વ્યાખ્યાન આપ્યું હતું. ઘટતાં-ઘટતાં ય અમે દસેક છોકરા-છોકરીઓ છેક સુધી હતાં.
ગુજરાતી, સંસ્કૃત, અને અંગ્રેજી ભાષાની કાવ્યપંક્તિઓ કાળા પાટિયા પર લખીને, શબ્દભાર આંકીને છંદ સમજાવ્યા હતા. સાથે ફ્રેન્ચ, ગ્રીક અને લૅટિન છંદશાસ્ત્રની વાત પણ આવતી. ‘છંદોલય’ના આ સર્જકે વર્ગમાં સર્જેલં છંદોના એ મહાલયમાં વીતાવેલા કલાકો અમૂલ્ય સંભારણું છે.
તે જ રીતે યાદ છે કે ક્લાસિસિઝમ અને રોમૅન્ટિસિઝમ વિશે ગુજરાતીના અધ્યાપકો માટે ગુજરાત વિદ્યાપીઠમાં યોજાયેલાં ઓપવર્ગમાં સાહેબે કલાકના ભોજન વિરામને બાદ કરતાં સવારે દસથી સાંજે પાંચ બોલ્યા હતા (બે વખતની ચા પાટલીઓ પર આવી હતી) !
ઝકઝોળી દેનારાં વિષયાંતરો સાથે ‘વૃક્ષ ચલે નિજ લીલા’ના તાલે ચાલતાં વ્યાખ્યાનો અલબત્ત માત્ર સાહિત્ય પૂરતાં મર્યાદિત ન હતાં. નિબંધકાર-ચિંતક ફ્રાન્સિસ બેકનની ‘I have taken all knowledge to be my province’ ઉક્તિ જાણે ભગતસાહેબનો મુદ્રાલેખ હતી.
સાહેબ એક એવા અધ્યાપક કે જેમણે મને સિવિલાઇઝેશન શબ્દનાં મર્મ અને મહત્ત્વ ચીંધી આપ્યાં. વિજ્ઞાન અને કળા, ઇતિહાસ અને રાજકારણ, ધર્મ અને તત્ત્વજ્ઞાન, શિક્ષણ અને ટેક્નોલૉજી, અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર જેવી અનેક જ્ઞાનશાખાઓ આ સિવિલાઝેશનનો હિસ્સો છે, તે પરસ્પર સંબંધિત છે અને ક્યારેક તો એકાકાર સમગ્ર છે એ ભગતસાહેબનાં વ્યાખ્યાનો સાંભળતાં-સાંભળતાં સમજાવા લાગ્યું.
સાહેબે સિવિલાઇઝેશનને કેટલા ય સંદર્ભોમાં મૂકી આપ્યું : સેક્યુલારિઝમ, હ્યુમૅનિઝમ, રેનેસાન્સ, રિફૉર્મેશન, એનલાઇટન્મેન્ટ,વૈજ્ઞાનિક અભિગમ, ફ્રેન્ચ રેવોલ્યૂશન, લોકશાહી, ડાર્વિન, માર્ક્સ, આંબેડકર, ગાંધી, ફ્રૉઈડ, આઇન્સ્ટાઇન, ટૉયમ્બી ….
સિવિલાઇઝેશન સાથે સંકળાયેલી આવી અનેક અત્યંત મહત્ત્વની બાબતોનો પહેલવહેલો પરિચય ભગસહેબના વ્યાખ્યાનો થકી થયો. ગામ અને શહેર, પૃથક અને વિદગ્ધ, પરંપરા અને આધુનિકતા, માહિતી અને જ્ઞાન વચ્ચેના ભેદાભેદ સાહેબના વ્યાખ્યાનોએ ચીંધી આપ્યા.
ભગત માટેનો એક જમાનામાં જે ભક્તિભાવ હતો તે કેટલાં ય વર્ષોથી દૂર થઈ ગયો છે. સિવિલાઇઝેશન અને લોકશાહી અંગે તેમના થકી આવેલી સભાનતાએ જાહેર જીવનના પ્રશ્નો અંગેની તેમની પાસે વિદ્યાકીય અને સક્રિય ભૂમિકાની અપેક્ષા જન્માવી હતી.
એવું પણ લાગે કે જ્યાં પાયાની ભૌતિક જરૂરિયાતો સારે રીતે સંતોષાઈ ચૂકી હોય તેવા, કેવળ અને કેવળ જ્ઞાનના વિશ્વમાં એમનો વિહાર હતો. એ અર્થમાં તેમને માટે છાન્દોગ્ય ઉપનિષદમાં ગુરુમહિમા કરતા શ્લોકનો केवलम ज्ञानमूर्तिम શબ્દપ્રયોગ કરવાનું મન થાય.
દેશકાળની અત્યારની પરિસ્થિતિમાં વિચારું તો લાગે કે કેટલાંક મિત્રો અને પુસ્તકો ન મળ્યાં હોત તો હું કંગાળ હોત. તે જ રીતે અધ્યાપક ભગતસાહેબ ન મળ્યા હોત તો હું વૈચારિક રીતે સાવ રાંક હોત.
જ્ઞાનપ્રદેશમાં તેમના ઋણી હોય તેવા લોકો માટે, ભગતસાહેબ એટલે – તેમને ગમતાં એક કવિ ડબલ્યુ. બી. યેટ્સના શબ્દો લઈએ તો – mounument of unageing intellect, અર્થાત્, કાલજયી બુદ્ધિપ્રતિભાનું પ્રતીક.
– (‘કાળની કેડીએ ઘડીક સંગ’ નામે પ્રસિદ્ધ થયેલા નિરંજન ભગત અધ્યયનગ્રંથના મારા લેખને આધારે)
∙ કોલાજ : ભગતસાહેબના વ્યાખ્યાનોમાં લીધેલી નોંધોની ઝલક
∙ કોલાજ સૌજન્ય : નીતિન કાપૂરે
18 મે 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર