= = = = શ્રમજીવીઓ તો કહેશે – ખાઈ કરીને સાજાસમાં હઇશું તો કોરોના અમને મારશે ને ! એમને મન જીવન પહેલું, મરણ પછી, આવશે તો જોયું જશે, કોરોનાથી આવશે તો ભલે ભલે, એ એમની માનસિકતા છે = = = =
દેશમાં કોરોના રોજે રોજ એનાં શિખરો સર કરી રહ્યો છે. જીવન-મરણની કટોકટી તીવ્રથી તીવ્ર થઈ છે. ઉપાયો અને વ્યવસ્થાતન્ત્રો પૂરતાં કારગત નથી નીવડ્યાં. ચોતરફ જોક્સ ચાલે છે. જેને જે સૂઝે ને જે ફાવે તે બોલે છે, તે કરે છે. ગપ્પાંબાજી ખીલી છે. ભણેલાંગણેલાં પણ કહે છે કે કોરોના થોડા દિવસોમાં જતો રહેશે, ગભરાશો નહીં. વૅક્સીન નહીં લેતા, ચાલશે. ઑક્સિજન જેવી અતિ જરૂરી ચીજોના કાળાબજાર શરૂ થયા છે. અતિ વસતીના આ દુર્ભાગી દેશનું વર્તમાન જીવન ભયાવહ છે.
એવા સંજોગોમાં, જનતા-જનાર્દન બોલે, બૂમો પાડે, પોકાર કરે, એની નવાઈ ન લાગવી જોઈએ, એમ થવું સ્વાભાવિક છે. એમ ન થાય તેની નવાઈ લાગવી જોઈએ. એ પોકારમાં લૉજિક ન જોવાય, જનતાને મળેલી માહિતીનાં લેખાંજોખાં ન કરાય, કે ન તો એમના દોષ કઢાય. ઇટ’સ અ પીપલ્સ વૉઈસ, એ એમ જ હોય, અને ખરેખર તો દિન-પ્રતિદિન એ વૉઇસનો વિકાસ થવો જોઈએ. એ બૂમો અને પોકારથી જે ઘોર સરજાય એ સરકારના કાને પ્હૉંચે ને સુધારને માટે એને સાવધ કરે. શાણી સરકારો સુધરતી હોય છે.
એથી જુદી દિશાનું એ કે દાઝીલા સાહિત્યકારો કાવ્ય, વાર્તા કે નવલકથા લખીને પ્રજાના વાચકવર્ગ માટે મનગમાડાની તેમ જ જનતા-જનાર્દનના એ પોકારમાં સૂર પુરાવવા માટેની તકો ઊભી કરતા હોય છે. એમનાં એ લેખનોનું પ્રાસંગિક મૂલ્ય હોય છે. એની ખરાખરી ન કરાય કેમ કે એ સર્જન છે. સર્જનમાં વાસ્તવિકતા હોય તેમ કલ્પકતા પણ હોય. પેલા પોકારમાં સર્જનસૂર ભળે છે એટલે એ લેખનો ઝિલાય છે અને એ જ એના કર્તાઓની સફળતા હોય છે. બાકી, એ સફળતાની નુક્તેચિની કરવાથી કશું હાથ નથી આવતું, સિવાય કે મતામતી ને પખાપખી …
શ્રીમન્તોને આ કોરોના-કટોકટી અડતી નથી. એમની પાસે અનેક રૂમવાળા બંગલા અને નોકરચાકરની પાયાની સગવડો છે. એમના હાથ પ્હૉંચતા હોય છે. યેન કેન ઉપાયે તેઓ વેડિન્ગ કે બર્થડે પાર્ટિઓ યોજી લે છે. હસતા રહીને તેઓ આ કટોકટીની મજાકો કરતા હોય છે, મજા લેતા હોય છે.
મધ્યમવર્ગીય નોકરિયાતોને ચિન્તા નથી, બૅન્ક-ઍકાઉન્ટમાં પગાર જમા થતો જ હોય છે. એમની ફરિયાદ એટલી જ હોય છે કે અમે માસ્ક પ્હેરીએ છીએ, તમામ શિસ્ત પાળીએ છીએ, એવું નાગરિક વર્તન બીજા બધાઓ કેમ નથી કરતા. એ વર્ગ અકળાયેલો જીવે છે. ઉચ્ચ મધ્યમવર્ગીઓ એમની એ ફરિયાદોના વત્તેઓછે અંશે સહભાગી બને છે.
મોટો સવાલ તો સવાર પડે ને રોજીરોટી માટે ઘરેથી નીકળી જ જવું પડે એ શ્રમજીવીઓનો છે. એ વર્ગ મોટો છે. એ વર્ગ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ કે સેલ્ફ આયસોલેશનમાં સમજતો નથી એમ નથી પણ એ બધું એમને પરવડે એવું નથી. એ તો કહેશે – ખાઈ કરીને સાજાસમાં હઇશું તો કોરોના અમને મારશે ને ! એમને મન જીવન પહેલું, મરણ પછી, આવશે તો જોયું જશે, કોરોનાથી આવશે તો ભલે ભલે, એ એમની માનસિકતા છે. એમનો વાંક જોવાને બદલે કે એમને વખોડતાં ને ભાંડતાં પહેલાં, એ માનસિકતાને આપણે સૌએ ધ્યાનમાં લેવી જોઈએ.
Picture Courtesy : Thesaurus.plus
સરકારી કે અર્ધ સરકારી બધાં વ્યવસ્થાતન્ત્રોએ પોતાના કાર્યક્રમોમાં અગ્રિમતા – પ્રાયોરિટી – પ્રજાના એ વર્ગને આપવી જોઈશે. જેમ કે, એ વર્ગને મફત કે નજીવા દરે હૉસ્પિટલાઈઝેશન તેમ જ વૅક્સીનેશન મળે એમ પહેલું થવું જોઇશે. સરકારે અને શ્રીમન્તોએ એ કાજે એક થઈને કામયાબ તન્ત્ર ગોઠવવું જોઈએ. નિષ્ણાતોએ એ કાજે આગળ આવવું જોઈએ. સેવાભાવી યુવક-યુવતીઓએ જોડાવું જોઈએ.
સાચા પત્રકારો સ-ટીક દર્શાવતા હોય છે કે એવું કશું થયું છે કે નથી થયું. એમણે કરેલી અન્ય ટીકાઓ પણ, સરકારની કે પ્રજાની, સંશોધન-અધ્યયન પર ઊભી હોય છે. તેઓ પત્રકારધર્મ અને કર્મ બરાબર બજાવતા હોય છે.
સરકારપરસ્ત છાપાંની વાત શું કરવી? વધુ તો એ છાપાં જાહેરાતોનો ધંધો કરતાં હોય છે. સ્વધર્મ ચૂકી ગયાં હોય છે. પ્રજામતનું ઘડતર કરવાનું પાયાનું કામ અભરાઈએ મુકાઈ ગયું હોય છે.
ખરા બુદ્ધિજીવી નાગરિકો પાસે પણ લૉજિક હોય છે, હોવું જ જોઇએ. રૅશનલ રહીને તેઓ પણ ઠોસ માહિતીના આધારે પરિસ્થતિની સમીક્ષાઓ કરતા હોય છે. કેમ કે જો એમણે સમ્ ઇક્ષા નહીં કરી હોય, જમા અને ઉધારનાં બન્ને પાસાં નહીં દર્શાવ્યાં હોય, તો બધું વ્યર્થ જશે – ઘાસફૂસ સમજો ! કેમ કે કોઇ પણ સમ્ ઇક્ષા જ સાર્થક અને પરિણામદાયી નીવડતી હોય છે.
બાકી, ક્હૅવાતા બુદ્ધિજીવીઓ, સ્યૂડો, કાલયાપન આરામથી કરતા હોય છે. એમનો દાવો હોય છે કે પોતે સર્વજ્ઞ છે. જેમ સાહિત્યમાં કૃતિનું વાચન કર્યા વગર જે બોલવું હોય એ બોલી શકાય છે, વિદ્રોહને નામે યદ્વાતદ્વા બકી શકાય છે, તેવું બધું જ આ કટોકટીકાળે એમનાથી કરી શકાતું હોય છે.
આવા મુશ્કેલ સમયમાં એને બૌદ્ધિક વ્યભિચાર કહેવાય એમ જો કોઈ કહે તો એ બચારો ભૂંડો ભાસે છે. તાત્પર્ય એ કે જે પ્રજાઓ પાસે સમીક્ષાધર્મી વિચારકો નથી હોતા તો એ પ્રજાઓના ઉગારની તકો દૂરની દૂર રહે છે.
આ છે દુ:ખદ વાતોને વિશેની મારી નિસબતનું સ્વરૂપ. મારાથી આમ વિચારો કરાય છે, વાતો કરાય છે, એ છે મારી પ્રતિબદ્ધતાનું સ્વરૂપ. પણ એનો પાર નથી આવતો. એથી કિંચિત્ પણ જાગૃતિ આવે તો સારી વાત છે. બાકી, વર્તમાન સંકટગ્રસ્ત છે. સારા ભવિષ્યની આશા છે, પણ હાલ તો દૂરની ક્ષિતિજે પણ નથી દેખાતી.
ત્યારે મને એવું થાય છે કે મારી પાસે કે કોઇ પણ મનુષ્ય પાસે પોતાનો એક ભૂતકાળ તો હોય જ છે. ચાલો ને, થોડા વખત માટે એ ભૂતકાળમાં ચાલી જઈએ, શૈશવને સંભારીએ, મૅમરિલેનમાં નીકળી પડીએ. હું ક્યારેક એમ કરીશ, તમે પણ કરજો …
= = =
(May 19, 2021: USA)