કોર્પોરેટ પરીકથાના લેજન્ડ઼્ઝ સમા ધીરૂભાઇ અને મૂકેશ અંબાણીની કામ કરવાની શૈલી આવનારી પેઢીઓ માટે દૃષ્ટાંત રૂપ
તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની એન્યુઅલ જનરલ મીટિંગ થઇ અને તેમાં આગલી પેઢીને સુકાન આપવાનો ઉલ્લેખ ચેરમેન મૂકેશ અંબાણીએ કર્યો. દેશના સૌથી મોટા ઇન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશનનું ઉત્તરદાયિત્વ મળવું કોઇ નાની સૂની વાત નથી. આમ પણ ધીરૂભાઈ અંબાણીએ જે શરૂ કર્યું તેને આગળ ધપાવવા માટે, વિકસાવવા માટે મૂકેશ અંબાણીએ જે કર્યું તે કોઇ દંતકથાથી કમ નથી. બહુ પહેલાં મેં ક્યાંક વાંચ્યું હતું કે દલાલ સ્ટ્રીટમાં એક જાણીતો જોક છે કે ભારતીય અર્થશાસ્ત્રને સમજવું હોય તો સેલ્ફ – રિલાયન્સ(આત્મ નિર્ભરતા)થી રિલાયન્સ સુધીના પરિવર્તનને સમજી લેવું. રિલાયન્સના સામ્રાજ્યની આસપાસ અહોભાવ અને સફળતાનો તેજોવલય જાણે રહેલો છે. દેશમાં બીજા કોઇ પણ ખાનગી કોર્પોરેશને જૂના અને નવા બન્ને અર્થતંત્રમાં અને એ પરિવર્તન દરમિયાન પણ આટલો બધો વિકાસ નથી કર્યો. અમુકે કર્યો છે તો તે પચાવી નથી શક્યા, સંભાળી ન શક્યા. રિલાયન્સની વિકાસ ગાથા કોઇ કોર્પોરેટ પરીકથાથી કમ નથી.
ધીરૂભાઇની શરૂઆતી જિંદગી વિશે ઘણું લખાઇ ચુક્યું છે, ચોરવાડના શિક્ષકના દીકરા હોવું, સામાન્ય નોકરી કરવી, પોલિસ્ટર, શેર માર્કેટ અને ઘણું બધું. જોવાનું તો એ છે કે ધીરૂભાઇ અંબાણી જ્યારે ૨૦૦૨માં મૃત્યુ પામ્યા ત્યારે તે કોઇ વસિયત લખીને નહોતા ગયા. બન્ને દીકરાઓ મૂકેશ અને અનિલ અંબાણી વચ્ચેના મતભેદ ૨૦૦૪માં સપાટી પર આવ્યા. જ્યારે ઔદ્યોગિક મિલકતની માલિકીના વિખવાદો ચાલતા હતા, ત્યારે મૂકેશ અંબાણી તરફથી રિલાયન્સના દરેક કર્મચારીને ઇ-મેઇલ ગયો હતો, જેનો સાર હતો કે ધીરૂભાઇના વારસાને મામલે કોઇ અસ્પષ્ટતા નથી અને મૂકેશ અંબાણી જ RILને લગતી તમામ બાબતોમાં આખરી સત્તા ધરાવે છે.
ધીરૂભાઇના સમયમાં જે ઔદ્યોગિક માળખું હતું તે મૂકેશ અંબાણીના નેતૃત્વ હેઠળ સામ્રાજ્ય બનીને વિકસતું રહ્યું. ૧૯૭૭માં ૫૦ કરોડના રોકાણ અને ૬૦ હજાર શૅર હોલ્ડરથી શરૂ થયેલા RILએ ક્યારે ય કોઇ પણ ક્ષેત્રે હરણફાળ ભરવામાં પાછું વળીને નથી જોયું. રિવર્સ એન્જિનિયરિંગ જે ધીરૂભાઇએ અપનાવેલું તે મૂકેશભાઇએ પણ અપનાવ્યું અને કોઇ પણ ક્ષેત્ર હોય તેનું શ્રેષ્ઠ જ ખડું કરવું, શ્રેષ્ઠ જ અપનાવવું એ જ તેમનો સિદ્ધાંત રહ્યો છે. ધીરૂભાઇ અંબાણીના RILની સફર ટેક્સ્ટાઇલથી હાઇડ્રોકાર્બન સુધીની રહી છે. ૨૦૦૪માં રિલાયન્સ ભારતની પહેલી ખાનગી કંપની બની જે ફોર્ચ્યુન 500 કંપનીઝના લિસ્ટમાં મુકાઇ. રિફાઇનરી સ્થાઇ થઇ અને બીજી હરણફાળની તૈયારીઓ માટે મેદાન તૈયાર હતું. ૧૫ વર્ષ પહેલાં રિટેલ બિઝનેસિઝમાં ટોચ પર પહોંચવાનો નિર્ણય લેવાયો અને આજે રિલાયન્સ રિટેલ નેટવર્ક ૧૨,૦૦૦ જેટલા તો સ્ટોર્સ સાથેનું ૭,૦૦૦ શહેરોમાં વિસ્તરી ચૂક્યું છે. આમ તો રિલાયન્સ કોર્પોરેશન એક યા બીજી રીતે આપણી રોજિંદી ઘટમાળનો ભાગ રહ્યું પણ બદલાતા સમય સાથે ડેટા ઇઝ ધી ન્યુ ઓઇલના ફંડાને દૂરંદેશી ધરાવતા મૂકેશ અંબાણી સારી પેઠે સમજતા હતા અને આ સમજણ માત્ર સમજણ ન રહેતા વાસ્તવિકતામાં પણ ફેરવાઇ. જિઓ લૉન્ચ થયું અને લાખો લોકોની જિંદગી સુધી રિલાયન્સની પહોંચ વિસ્તરી. ભારતના ટેલિકોમ સેક્ટરમાં જિઓએ અણધાર્યા ફેરફાર કર્યા. આજે જિઓ દેશનું અગ્રણી ટેલિકૉમ ઑપરેટર છે. લૉંચ થયાના ચાર વર્ષના ગાળામાં તો જિઓનો માર્કેટ શેર ભારતીય ટેલિકૉમ સેક્ટરના ૩૩ ટકાથી વધુ થઇ ગયો. ૨૦૨૦માં RILના અલગ અલગ હિસ્સાઓ જેમ કે ટેલિકૉમ, રિટેલ, પેટ્રોલિયમ વગેરેમાં વિશ્વ ભરના જાયન્ટ્સે એક યા બીજી રીતે રોકાણ જાહેર કર્યા. લૉકડાઉન અને વાઇરસમાં સપડાયેલા દેશના અર્થતંત્રમાં જે હિલચાલ આંખે ઊડીને વળગી એવી રહી તે રિલાયન્સના રોકાણ જ રહ્યા એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.
ટેસ્લાના ઇલોન મસ્કને પાછળ છોડનારા મૂકેશ અંબાણીએ ભૂતકાળમાં પણ કહ્યું છે કે તે ભવિષ્યના બિઝનેસિઝને અપનાવવામાં પાછું વળીને નહીં જુએ. રિટેલ અને ડિજીટલ સેક્ટરમાં રિલાયન્સનો પગદંડો જે રીતે જામ્યો છે તે આ વિધાનનો પુરાવો છે. આર્થિક ધક્કાઓને આ સેક્ટર્સ પહોંચી વળ્યા છે. ધીરૂભાઇ અંબાણીનું દૂરંદેશી વિઝન દીકરા મૂકેશ અંબાણીને વારસામાં મળ્યું છે. સામાજવાદી નીતિઓને ધંધા પર લાગુ નહીં કરીને હવે કયું ક્ષેત્ર વિકસશેની ગણતરીઓ યોગ્ય રીતે માંડવી એ RILની વિચારશૈલી છે. મૂકેશ અંબાણીએ પોતાની આ સમજને ઇન્ટ્યુશન એટલે કે આંતરસૂઝ ગણાવી છે, પણ તેમના મતે એક સારા બિઝનેસમેનમાં આ સમજ હોવી સ્વાભાવિક છે. 5Gમાં રોકાણ કરીને બેઠેલા મૂકેશ અંબાણીને વાંચનનો શોખ છે અને ટેક્નોલૉજી આર્ટિકલ્સ વાંચવાના શોખીન મૂકેશ અંબાણીએ આ ટેક્નોલૉજીની સમજ સાથે વૈશ્વિક રાજકીય પરિબળોને પણ ગણતરીમાં લીધા. વર્તમાન વૈશ્વિક સંજોગોમાં 5Gને મામલે ચીન સિવાયના દેશો સાથે કામ કરવા માગતા ઘણાં રાષ્ટ્ર છે. સ્વાભાવિક છે ભારત અને તેમાં ય RIL જે આ માટે સજ્જ છે તેની પર જ પસંદગીનો કળશ ઢોળાશે.
વળી ડાઇવર્સિફિકેશન અને નવું કરવાના પડકાર ઓછા નથી હોતા, પરંતુ તેની સાથે ડિલ કરવા માટે RILમાં ક્ષેત્રના શ્રેષ્ઠ માઇન્ડ્ઝને કામે લગાડાય છે. વળી RILના ડાઇવર્સિફિકેશનમાં યુવાનો માટે નોકરીની તકો વધારે હોય તેની ગણતરી પણ કરાય છે. આ એક લક્ષી નહીં પણ બહુકોણિય વિકાસ હોય છે જેમાં માત્ર એક કંપનીની નહીં પણ તેની સાથે એક યા બીજી રીતે જોડાતા દરેકનો આગવો – પોતાની ક્ષમતા અનુસારનો વિકાસ થાય.
મૂકેશ અંબાણીની આ સૂઝ માત્ર આધુનિક વિશ્વનાં પરિવર્તનોને સમજવાથી નથી બની પણ તેમાં આંતરિયાળ ભારતની જરૂરિયાત, તેમની માનસિકતા અને તેમની ક્ષમતાઓ માટેની સમજ પણ કામ કરે છે. જિઓનું કામ માત્ર ફોન નેટવર્ક સુધી સિમિત નથી આ પ્લેટફોર્મથી ખેતી, શિક્ષણ, હેલ્થકેર, ગેમિંગ, મીડિયા, એન્ટરટેઇનમેન્ટ, ઇકોમર્સ – રિટેલ, ઇપેમેન્ટ્સ અને બ્રોડબેન્ડ બધાંને આવરી લેવાયા છે.
અંબાણી ભાઇઓના વ્યક્તિત્વમાં આસમાન જમીનનો ફેર છે. મૂકેશ અંબાણી લો પ્રોફાઇલ રહેવામાં માને છે, ચિવટ તેમનો સ્વભાવ છે, સતત કામ કરતા રહેવું તેમની વૃત્તિ છે અને ભવિષ્યની ગણતરીઓની ત્રિરાશી માંડીને આજનું પ્લાનિંગ કરવામાં તેમને કોઇ ન પહોંચે. અનિલ અંબાણીની લાઇફ સ્ટાઇલ ગ્લેમરસ રહી છે, પરિણામોથી આપણે વાકેફ છીએ. આ અને બીજા અનેક પરિબળોને પગલે રિલાયન્સના ભાગલા થયા અને પછી જે થયું તે આપણી નજર સામે છે અને સમાચારોમાં RILના વિકાસ વિશે સાંભળવું હવે સાહજિક બની ગયું છે.
બાય ધી વેઃ
હંમેશાં સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં જોવા મળતા મૂકેશ અંબાણી કૌશલ્ય અને શિક્ષણ પર ભાર મૂકે છે. ઊંમરના છ દાયકા પાર કરી ચૂકેલા મૂકેશ અંબાણી આજના પંદર વર્ષના યંગસ્ટર્સને કાલે શું જોઇ શકે છે તેની પર ગંભીરતાથી વિચાર કરે છે, નવી પેઢીના વિચારોને ગણતરીમાં લે છે. તેમને કોઇ ગુજરાતીમાં પૂછે કે કેમ છો? તો ઇન્ડિયન વોબલ અને મંદ સ્મિત સાથે તેમનો કાયમી જવાબ હોય છે, ‘ફર્સ્સ ક્લાસ.’ તેમના સંતાનો ઇશા, આકાશ અને અનંત ત્રણેયે પિતાને કામ કરતાં જોયા છે. તેમની દીકરીમાં રહેલો સ્પાર્ક આંખે ઊડીને વળગે છે અને દીકરાઓની આવડત અને સૂઝના દૃષ્ટાંત વાર્ષિક મીટિંગ્ઝમાં જોવા મળે છે.
કયા બિઝનેસ ફેમિલીમાં આવનારી પેઢીને સત્તા સોંપવાના વિવાદો વકર્યા અને કોનું કામ શાંતિથી થયું?
ગોદરેજ પરિવાર :
વિખ્રોલીની ૩,૦૦૦ એકરની જમીનને લઇને ગોદરેજ પરિવારમાં વિખવાદ થયા. અદી, જમશેદ અને નાદિર – ગોદરેજ ભાઇઓ વચ્ચેનો સંપ જમીનને કારણે તૂટ્યો. ત્રીજી પેઢીએ ગોદરેજમાં પાંચ પરિવારો છે. પાંચ કુટુંબો ૨૦૧૯થી પોતાના શૅર્સ ધીમે ધીમે ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી રહ્યા છે જેથી આ વિભાજન સરળ બને પણ એમ થવું મુશ્કેલ છે. બની શકે કે ગોદરેજ ગ્રૂપમાં એક તરફ અદી અને નાદિર હશે તો બીજી તરફ જમશેદ અને સ્મિતા હશે. રિશાદને સંતાન નથી અને તેના શૅર્સ તેના નિધન પછી બાકીના સભ્યોમાં સરખે ભાવે વહેંચાશે. પરિવારનું નામ ન ખરડાય તેની કાળજી રાખીને કોઇ પણ હો હા વગર તેઓ પાંચ પરિવારો વચ્ચે કોર્પોરેશનને વહેંચવા ધારે છે.
સિંઘાનિયા પરિવાર :
રેમન્ડ ગ્રૂપના ચેરમેન ગૌતમ સિંઘાનિયાએ જ્યારે પિતા વિજયપત સિંઘાનિયા સાથે શિંગડા ભેરવ્યા ત્યારે એ વિખવાદો જગ જાહેર થયા. ૨૦૧૯માં ગૌતમે પિતા સાથે વાતચીત કરવાની તૈયારી બતાડી. વિજયપતે પોતાના દીકરાના હાથમાં બધો બિઝનેસ સોંપી દીધાને પોતાની મૂર્ખતા ગણાવી. વિજયપતે લખેલા પુસ્તક પર બોમ્બે હાઇકોર્ટે સ્ટે મુકાવ્યો છે. ગૌતમ સિંઘાનિયા નાના દીકરા છે, પણ વિજયપતને પોતાના મોટા દીકરા મધુપતિ સાથે પણ નથી બનતું તે પરિવાર સાથે છેડો ફાડીને સિંગાપોર સેટલ થઇ ગયા છે.
તાતા ગ્રૂપ :
સાયરસ મિસ્ત્રીને તાતા ટ્રસ્ટ સાથે જે કજિયા થયા તેનાથી સૌ વાકેફ છે. રતન તાતાને મામલે બીજી પેઢીને સુકાન આપવાનો પ્રશ્ન ખડો થતો નથી. તાતા ગ્રૂપનું સુકાન કોણ સંભાળશે તે મહત્ત્વનો પ્રશ્ન છે કારણ કે રતન તાતાએ ગ્રૂપને જે સ્તરે મૂક્યું છે તે પછી કોઇ અણઘડના હાથમાં આ લગામ સોંપાય તેમ નથી. તાતા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને બીજી ટર્મ મળશે કે નહીંની ચર્ચાઓ ચાલ્યા કરે છે. ચંદ્રશેખરે કોઇ પણ વિવાદો વિના અત્યાર સુધી સંતુલન જાળવ્યું છે. સૉલ્ટ ટૂ સૉફ્ટવેર સુધીના બિઝનેસિઝને ડિસ્ટર્બ કર્યા વિના ચલાવી શકે તેવી જ કોઇ વ્યક્તિને શોધવી પડે જે બોર્ડ અને ટ્રસ્ટના વિચારોને રફેદફે ન કરી દે.
બજાજ પરિવાર :
રાહુલ બજાજે બજાર ઓટોના ચેરમેન તરીકે એપ્રિલ ૨૦૨૧માં રાજીનામું આપ્યું. તેમણે કહેલું કે મૂર્ખાઓ જ રિટાયર થાય પણ છતાં તેમણે પોતાની ચેરમેનશીપને અલવિદા કહ્યું. આ કરતા પહેલાં તેમણે પોતાના ભાઇઓ, પિતરાઇઓ અને દીકરાઓ વચ્ચે ગ્રૂપ કંપનીઝની માલિકીની શાંતિપૂર્વક વહેંચણી કરી. બજાજ પરિવારમાં આ ચોથી પેઢી છે. ફાઇનાન્સ, ફિનસર્વ અને ઑટોમોબાઇલ એમ ત્રણ ભાગમાં વહેંચાયેલુ બજાજ ગ્રૂપ વિશ્વની ટોચની મૂલ્યવાન કંપનીઓમાંની એક રહી છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 જાન્યુઆરી 2022