ભારતમાં અસમાનતા તાજેતરમાં બહાર પટેલા ૨૦૨૦ના ‘વર્લ્ડ ઇક્વાલિટી રિપોર્ટમાં વર્ણવામાં આવી છે. ભારતમાં ટોચના દસ ટકા લોકોનો ભાગ રાષ્ટ્રીય આવકનો ૫૭% ભાગ જાય છે. એમાં પણ એક ટકા લોકોના ભાગે ૨૨% આવક થાય છે. બીજી બાજુ તળિયે રહેલાં પચાસ ટકાના ભાગે ૧૩% આવક જાય છે. એની સરખામણીમાં યુરોપમાં તળિયાનાં ૫૦% ટકાના ભાગે લગભગ ૨૦% આવક જાય છે અને ટોચના ૧૦%ના ભાગમાં ૩૫% આવક જાય છે. ભારતમાં મધ્યમવર્ગ પણ પ્રમાણમાં ગરીબ છે. એનાં ભાગે ૨૯% જેટલી આવક જતી હતી. ભારતને જો બાકાત રાખવામાં આવે તો દુનિયાનાં તળિયામાં રહેલાં ૫૦% લોકોની આવકમાં થોડો વધારો થાય છે, આ પ્રમાણે ખ્યાલ આવે છે કે ભારતમાં અસમાનતા કેટલી તીવ્ર છે.
વળી ભારતમાં જ્ઞાતિ સર્જીત સામાજિક અસમાનતા પણ રહેલી છે. કહેવાતી સવર્ણ જ્ઞાતિઓએ એટલે કે સવર્ણના ઉપલા વર્ગે વ્યાપાર ધંધા પોતાના હાથમાં રાખ્યા છે જેમાં નીચલી ગણાતી જ્ઞાતિના લોકોને પ્રવેશ અપવાદરૂપે જોવા મળે છે. નીચલી જ્ઞાતિના લોકો શિક્ષણથી પણ વંચિત રહ્યા છે. તેઓ જો શિક્ષણ મેળવે તો પણ તેમને ઉજળિયાત લોકોના ધંધામાં ભાગ્યે જ રોજગારી મળે. ઉજળિયાત લોકોનાં ચાલતા ઉદ્યોગ ધંધામાં એમને મર્યાદિત વેતન મળે છે.
જ્ઞાતિ પ્રથાને આપણે બંધારણીય રીતે સ્વીકારી નથી અને વસ્તી ગણતરીમાં ૧૯૩૧ પછી લોકોની જ્ઞાતિ નોંધવાનું બંધ કર્યું છે. પણ આર્થિક વ્યવહારોમાં જ્ઞાતિ પ્રથાનું ચલણ ચાલુ રહ્યું છે. તેથી દેશમાં જે આર્થિક વિકાસ સધાયો છે. તેનો લાભ આ વર્ગો સુધી ઝાઝો પહોંચ્યો નથી.
ભારત એક ગરીબ દેશ પણ છે. એમાં આ અસમાનતાએ અગ્ર વર્ગના શ્રીમંતોનો ટાપુ સર્જ્યો છે. દેશમાં જે આર્થિક વિકાસ થયો છે એના ખરા લાભાર્થીઓ દસ ટકા શ્રીમંતો છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2022; પૃ. 04