"અસહમતીનું શિક્ષણ અને સાંપ્રત સમસ્યા" એ વિષય પર રોહિતભાઈ શુક્લએ, તારીખ 08 જાન્યુઆરી 2022ને શનિવારે, સુરત જિલ્લા શિક્ષણ સંસદ અને કીમ એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પરિસંવાદ કર્યો હતો.
******************************************
શ્રી પુરુષોત્તમ ગણેશ માવળંકર ભારતની લોકસભાના સભ્ય હતા, ત્યારે આ શબ્દો વપરાયા. તેમણે વાપરેલાં બે શબ્દ – 'નો સર', ખૂબ ખ્યાતિ પામ્યા. આ શબ્દો સત્તા સામે હતા અને અસહમતીસૂચક હતા.
બીજી તરફ વીસમી સદીના મહાન ચિંતક બર્ટ્રાન્ડ રસેલ 'સત્તા' (પાવર) નામના પોતાના નિબંધમાં નોધે છે કે સત્તા "ના" કહેવાથી ઓળખાય છે.' (પાવર લાઈઝ ઈન સેવિંગ "નો"!)
આપણે ત્યાં જાણીતી એક જૂની વાર્તા પ્રમાણે સાસુ કહે છે : 'ના પાડનાર એ (વહુ) કોણ?'
આવી જુદી જુદી માનસિકતાનાં મૂળ ક્યાં હશે? તેનાં સાંસ્કૃતિક મૂળિયાં ક્યાં અને તેના સંદર્ભો ક્યા તે એક લાંબી મિમાંસાની ભૂમિકા સર્જે છે. હિંદુત્વની પરંપરામાં 'ડાહ્યા, વિવેકી અને સદ્દગુણી' ગણાવા માટે આજ્ઞાંકિત બનવું જરૂરી છે. (નમૂના દાખલા) સાંસ્કૃતિક મૂળિયાં જોઈએ :
ન વદેત સત્યમ્ અપ્રિયમ્
મહાજનો યેન ગત: સ પંથ:
સંશયાત્મા વીનશ્યતિ.
ડાહી માનો દીકરો – મગનું નામ મરી ન પાડે.
પરાપૂર્વથી બોલતા આ વિધાનો ઉપરાંત રામાયણ, મહાભારત, ભાગવત, અન્ય પુરાણો જેવા અનેક ગ્રંથોમાં સંસ્કાર અને વિવેકના અભિવ્યક્તિ કે ઓળખરૂપે આજ્ઞાંકિતતા, વડીલોનું કહ્યું કરવું, સમાજની અડધો-અડધ વસતી એવી સ્ત્રીઓએ પુરુષોની આજ્ઞામાં રહેવું, વગેરેનું મહત્ત્વ છે. પરણ્યા પહેલાં સ્ત્રીએ પિતાની આજ્ઞામાં અને પછી પુત્રની આજ્ઞામાં રહેવું જોઈએ, એમ 'શાસ્ત્ર' કહે છે.
આ પ્રકારની વર્તણૂક ઈસ્લામમાં પણ છે. બુરખો, હિજાબ, લગ્ન અને છૂટાછેડા વગેરેમાં સ્ત્રીઓનો અવાજ હોઈ જ ન શકે. તાલિબાની શાસન તેનો એક આત્યંતિક નમૂનો છે.
લોકોના સ્વત્રંત વિચાર અને અસહમતીને કોઈ પણ સામ્યવાદી દેશમાં સ્થાન નથી. સોવિયત યુનિયન હતું ત્યારે પૂર્વ યુરોપથી માંડીને ચીનના પૂર્વ છેડા સુધી લોકોને વિરોધ કે સ્વત્રંત વિચારની અભિવ્યક્તિની કોઈ છૂટ ન હતી.
ઇસ્લામી અને સામ્યવાદી જગતને સ્વત્રંત વિચાર અને અભિવ્યક્તિથી વેગળા કરીએ તો અસહમતી એક અમૂલ્ય બાબત તરીકે જગતની ખૂબ મર્યાદિત જનસંખ્યા ભાગે આવી શકે.
પશ્ચિમી જગતના 'મૂડીવાદી' ગણાતા દેશોમાં પણ વિચારો પ્રચાર માધ્યમો વડે પ્રભાવિત હોય છે તે પણ યાદ રાખીએ.
છતાં ''નો સર'' જરૂરી તો ખરું જ ને! 'ચીલે ચાલે બળદિયા' જેવી કહેવત પણ કાઢી નાખવા જેવી નથી. બે ઉર્દૂ પંક્તિઓ પણ વિચાર અને કથનના સ્વાતંત્ર્યને બખૂબી વ્યકત કરે છે :
ગિરતે હૈ રાય સવાર હી જંગે મેદાન મેં
વો ઇંસાં ક્યાં ગિરેગા જો ઘૂટનોં કે બલ ચલે.
બોલ કે લબ આઝાદ હૈ તેરે,
બોલ કે જુબાં અબ તક તેરી હૈ.
નચિકેતાએ પિતાને સત્ય કહ્યું તો સગા પિતાએ પણ તેને યમદ્વારે મોકલ્યો.
સાચું અને તથ્યપૂર્ણ વિધાન ન બોલવાની તરફેણમાં કહેવતો અને ઉક્તિઓનો ઢગલો છે.
'જગતને સુધારવાને બદલે શાક સુધારો તો ખાવા ભેગા થશો'; સત્તા આગળ શાણપણ નકામું' અને કબીરજી પણ કહી ગયા છે :
'એસી બાની બોલીએ મન કા આપા ખોય
ઔરન કો શીતલ કરે આપ ભી શીતલ હોય'
જો ડહાપણ, વિવેક, સામંજસ્ય, વગેરેની તરફેણમાં આટઆટલો ઝૂકાવ હોય તો, તાલિબાન, સરમુખત્યારશાહી, સામ્યવાદ, વગેરેમાં વાણીસ્વાતંત્ર્ય ન હોવા સબબ આટલો બધો ઊહાપોહ શાને?
અસહમતી લોકશાહી સમાજનું હાર્દ અથવા આત્મા છે. પોપટને પાંજરામાં પૂરીને ફળફળાદિ ખાવા અપાય પણ ખૂલ્લું આકાશ ન મળે તો?
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. ઝાકીર હુસૈનને 'અબ્બુખાં કી બકરી' નામની સુંદર વારતા લખી હતી. અબ્બુખાં બકરીને રોજ રાત્રે ઓરડીમાં બાંધી રાખતા, પણ એક દિવસ, 'પિંજરા તોડ' કરીને તે ભાગી ગઈ. જંગલમાં વરુ મળ્યું. તેની સામે ખૂબ લડી પણ આખરે મરી ગઈ. બીજે દિવસે અબ્બુખાંએ તેના અવશેષો જોયા; પણ તેના સ્વતંત્રાચાહક ઝમીરથી પ્રભાવિત થયા.
તો માણસે હવે નક્કી કરવાનું છે. સામ્યવાદ, ધાર્મિક ઝનૂન અને સરમુખત્યારી સ્વીકારવાં છે કે નીલાકાશમાં મુક્ત ચિત્તે વિહરવું છે. ખુલ્લા જંગલમાં વરુ સાથે 'દો દો હાથ' થઈ જવું છે કે બંધ પિંજરમાં ફળફ્ળાદિ ખાતાં રહેવું છે!
આ ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન શિક્ષણના ક્ષેત્ર દ્વારા થઈ શકે. તથ્યોની ખોજ, જૂનાં વળગણોનો સાવચેતીપૂર્વકનો ત્યાગ, ખુદારીની ચાહ અને માનવતાલક્ષી તર્કવિવેક વગર શિક્ષણ પાંગળું છે.
ભારતમાં પૂર્વમાં ટાગોરે અને પશ્ચિમમાં ગાંધીએ સમાજલક્ષિતા સાથેના સ્વતંત્ર વિચારવાળા સત્ય અને અહિંસામૂલક શિક્ષણની નીંવ મૂકી આપી છે. અભ્યાસકર્મો ગોખાવતા અને પ્રચલિત વિચારોને અનુસરતા અને શિક્ષણ માટે ત્યાજ્ય ગણાવાં જોઈએ. જ્ઞાનની યાત્રા આગળ ચલાવવા વાસ્તે અગાઉના મતોનું ખંડન અને નવા મતનું મંડન સતત ચાલવું જોઈએ.
ફ્રેંચ ફિલસૂફ રેને દકાર્ત (1596-1650) કહે છે. :
'I think and therefore I am.'
માણસને રાની પશુથી જુદો પાડનારું તત્ત્વ 'વિચાર' છે. વિચાર સ્વતંત્ર ન હોય અને મોકળા મને અભિવ્યક્ત થતો ન હોય તે દેશની દયા ખાવી રહી.
કવિવર ટાગોર પણ કહે છે :
Where the mind is without fear,
And head is held high.'
ટાગોર પ્રાર્થે છે, 'હે પિતા, તે સત્યના સ્વર્ગમાં મારા દેશનું પરોઢ પ્રગટે!'
ભારત એક ખોજનો દેશ રહ્યો છે. વિદ્ધત સભાઓ, વાદ-વિવાદ, ખંડન-મંડન અને વૈચારિક ક્રાંતિઓનો આ દેશ છે. અમર્ત્ય સેને તો એક દળદાર ગ્રંથ, 'ધ આર્ગ્યુમેન્ટેટિવ ઈંડિયન' – વાદવિવાદી ભારતીયના નામે લખ્યો છે.
ઉમાશંકરભાઈ પણ લખે છે :
'છોને છોડે એ શહેરના કિનારા ને મહેલના મિનારા,
હોડીને દૂર શું નજીક શું?
સ્વતંત્ર વિચારની ભૂમિમાં કેટકેટલા મહાન આત્માઓ વસે છે – સોક્રેટિસ, ક્ણાદ, બૃહસ્પતિ (ચર્વાક), નિત્શે, સાત્ર, ટાગોર, ગાંધી, વીરાંગના લક્ષ્મીબાઈ, ફુલે દંપતી, આંબેડકર, નહેરુ, અબ્રાહમ લિંકન …. બધાં જ સ્વનામધન્ય !
આ બાબતે કેટકેટલા નવલોહિયાઓએ ઈન્કલાબ ગજવ્યો છે – ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, બિસમિલ, નેતાજી બોઝ, સરદાર પૃથ્વીસિંહ ….
વિચાર અને અભિવ્યક્તિ સ્વતંત્રતા વગરના માણસો સજીવ અને તાજમાજા જણાય છે, પણ તેમના ફેફસાંમાં કોરોના પ્રવેશી ચૂક્યો છે તે નકકી !
(શ્રી રોહિત શુક્લ …… અર્થશાસ્ત્રી શિક્ષણવિદ)