આજે પતંગોત્સવ ! સરકારી ગાઈડલાઇન્સ વચ્ચે ગોગલ્સ પહેરેલાં માસ્ક્સ થોડા ઠુમકા મારશે, થોડા હાથિયા મારશે, થોડી સરતી છોડશે ને એમ પેચ લગાવશે ને પતંગો પણ કાપશે-કપાવશે. કેટલીક અગાશીઓ તલિયા લાડુ ખાશે તો કેટલાંક ધાબે, વગર પતંગે પણ પેચ લાગશે ને ઘણાં વગર મેચે ફિલ્ડિંગ ભરીને થોડા પાલવ જીતશે પણ ખરા. કોઈ આખો દિવસ ઠુમકા મારવા છતાં એક ફુદ્દી નહીં લપટાવી શકે, તો કેટલાક બીજાની લાલી પર જ લંગર નાખીને રાજી રહેશે, તો કેટલાકના વધારે વાળવા જતાં ઢડ્ઢા ભાંગી જાય એમ બને. કોઈ ઢાંઢો ચડાવીને ફુલાતો હશે ત્યાં કોઈ લેપડી આવીને કાતરી જાય ને હાથમાં ફિરકી જ રહી જાય એમ પણ બને. કોઈ લેપટોપ કે મોબાઇલમાં જ આકાશ ખોલે ને વર્ચ્યુઅલ ઉતરાણ ઊતરે તે પણ ઉજવણી જ ને ! કોઈ ગાયને ઘૂઘરી ખવડાવવા માંગે તો તેમાં પણ બે મત પડે ને એક કહે કે ગાયને ખવડાવવાથી પુણ્ય મળે, બીજો કહે કે એનાથી ગાયને નુકસાન થાય, એટલે ઘણાં ખવડાવવાનું બાજુએ મૂકીને જાતે જ ઊંધિયું, જલેબી ઝાપટે તેવું ય થાય. આ બધાંમાં પણ જોવાનું એ રહે કે ઊંચે ચગવાનું પતંગે છે, ચગાવનારે ઊંચે ચડી જવાનું નથી. ચગાવનાર ધરતી પર નહીં રહે તો પતંગ ઊંચે નહીં જાય તે નક્કી છે.
દેશ-દુનિયામાં પણ અત્યારે પતંગ ચગાવવાને બદલે જાતે ચગી જવાનો ટ્રેન્ડ જોર પર છે. મહારાષ્ટ્રની ઠાકરે સરકારે એક ઠુમકો એવો માર્યો છે કે હવે તમામ દુકાનોનાં બોર્ડ મરાઠીમાં, હા, મરાઠીમાં જ મૂકવાં પડે તેવી સ્થિતિ છે. એક તરફ મરાઠીની પ્રાદેશિક હઠ ને બીજી તરફ ગુજરાત સરકારની ગુજરાતી પ્રત્યેની પીછેહઠ, એ બેની વચ્ચે લોકો ગોથ માર્યા કરે તો નવાઈ નહીં ! એ તો ઠીક, પણ બેચાર દા’ડા પહેલાં લગ્નમાં 400 જણાંને બોલાવવાની સરકાર છૂટ આપે ને એ જ એવો ફતવો પણ બહાર પાડે કે હવેથી લગ્નમાં 150થી વધુને બોલાવી શકાશે નહીં, તો લગનવાળાને ત્યાં જે તાયફો થાય એની સરકારને ખબર છે? એક વાર વરરાજાને જાનમાં ન મોકલો તો ચાલે, પણ વરઘોડિયાંને બોલાવીને પછી ના પાડીએ તો સગાંઓ તોડી ખાય તેની જાણ સરકારને છે? એકવાર આમંત્રણ આપો કે આવવાનું જ છે ને પછી કહો કે યુ આર નોટ એલાઉડ તો એ લાઉડ ઝઘડો રોકવો કેમ કરીને તે કોઈ કહેશે?
એક તરફ પતંગમાં હવા ભરાય કે નહીં એની ચિંતા છે ને બીજી તરફ ફુગાવાનો ભારતને વાંધો નથી આવતો. ઓઇલ અને વીજળીમાં થયેલા ભાવવધારાને લીધે હવે રિટેલ ફુગાવો 5.59 થયો છે, પણ તેથી કૈં ગભરાવાની જરૂર નથી. અત્યારે તો અમેરિકાનો ય ફુગાવો ત્રણ દાયકાની ટોચે છે. એમ ત્યારે ! અમેરિકાએ પણ આપણી પાસેથી લેવા જેવું કૈંક તો છે જ ! મેરા ભારત …
બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થા અને દુનિયાના દેશો વચ્ચે હોડ બકાય છે કે કોણ દુનિયાને વધારે ડરાવે એમ છે? બધાં દેશો રેકોર્ડ તોડવાની હરીફાઈમાં છે. દુનિયામાં કોરોનાના કેસ 27 લાખથી ઉપરની સપાટી જોઈ ચૂક્યા છે, તો ભારત પણ કોરોનાને મામલે બે લાખનો આંકડો તો પાર કરી જ ગયું છે. મહારાષ્ટ્ર 46 હજાર કેસ સાથે પહેલે નંબરે અને દિલ્હી 27 હજાર કેસ સાથે બીજે નંબરે છે. સબ કા સાથ, સબ કા વિકાસ તે આનું નામ ! કેન્દ્ર આમ તો બધું સુસજ્જ રાખવાની ટહેલ નાખ્યા કરે છે. ઓક્સિજન, ઇન્જેકશન અને બેડની તંગી ન પડે એ માટે સૌ કાગળ પર મહેનત પણ કરે છે, પણ પ્રોબ્લેમ એ છે કે આપણું ઘોડું દશેરાએ જ નથી દોડતું ! આપણે બહુ મહેનત કરી છે, ત્રીજી લહેર લાવવા માટે, એને ખાલી હાથે તો કેમ જવા દેવાય? કોરોનામાં સુરત હવે હરણફાળ ભરીને આગળ નીકળ્યું છે ને આજે નામના એવી છે કે ગાંધીનગરથી કુરિયર સુરત મોકલવું હોય તો કુરિયર કંપનીઓ તે લાવવા તૈયાર નથી. ગુજરાત 10,000નો આંક પાર કરવા થનગની રહ્યું છે તો એકલાં સુરતે 2,500નો આંક વળોટી કાઢ્યો છે. પગાર વધવાનો હોય તેમ મહિનાના અંતમાં 30 હજાર કેસ થવાની વધામણી પણ તંત્રોએ ખાધી છે. જાણે રેસ ચાલે છે ! પણ જેને વીતે છે એનું તો લોહીનું પાણી થઈ જાય છે એનું ભાન કોઈને પડતું નથી. એ છે કે ગુજરાત કે કેન્દ્ર સરકાર કોરોનાને રોકવા મીટિંગ પર મીટિંગ કરે છે ને જેમ જેમ મીટિંગ વધે છે તેમ તેમ કોરોનાના આંકડાઓ વધે છે ને રાષ્ટ્રને ઉદ્દબોધતાં સૂત્રો ય વધે છે. બીજી તરફ મેટ્રોનું કામ ચાલે છે. પોસ્ટલ સર્વિસનાં ઠેકાણાં હોય કે ન હોય, કોસ્ટલ સર્વિસ સુધરવાની છે ને ઉભરાટ, તિથલ અને ચોરવાડને સાંકળતો કોસ્ટલ હાઇવે બનવાની વકી છે. શું છે કે 22ના અંત સુધીમાં ગુજરાતમાં ય ચૂંટણી આવે જ છે એટલે કોરોનાનું તો થવાનું હોય તે થાય, પણ લોકોને વાયદા વગર તો ન રખાય ને ! સાચું તો એ છે કે સરકારે કોઈ કામ બાકી નથી રાખ્યું કે નથી તો લોકોએ ભીડ કરવામાં કોઈ કસર રાખી, એટલે હવે દાપું તો ચૂકવ્યે જ છૂટકો છે. પ્રાર્થના એટલી જ કરવાની રહે કે પતંગ ભાર દોરીએ ન કપાય …
હજી વડા પ્રધાનની સુરક્ષાનો પતંગ આકાશમાં ચગે જ છે. સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિ નીમીને નિવૃત્ત જજ ને કામગીરી સોંપી છે. જોયું? નિવૃત્ત જજો હજી કામ આપે છે ને બીજી તરફ વોલન્ટરી રિટાયરમેન્ટ પકડાવીને આપણે લોકોને ઘરે બેસાડીએ છીએ. ઠીક છે, પણ વડા પ્રધાન નાટક કરી રહ્યા છે એવું પણ કહેવાય છે તો બીજી તરફ પંજાબના મુખ્ય મંત્રી ચન્નીને જવાબદાર ઠેરવવાનું પણ ચાલે છે. એમ પણ કહેવાય છે કે 700 ખેડૂતો ગુમાવ્યા હોય ત્યાં પંજાબના ખેડૂતો વડા પ્રધાન સામે વિરોધ કરે એની નવાઈ નથી. એ વિરોધ જ હતો ને તે રહે તે સમજી શકાય એમ છે. વાત એ નથી. વડા પ્રધાન કોઈ પણ હોય, કોઈ પણ પક્ષના હોય, તે ભા.જ.પ.ના રાજ્યમાં જાય કે કાઁગ્રેસના, તેની ગરિમા જળવાવી જોઈએ. અહીં માન, પક્ષ કરતાં ય પદનું જાળવવાનું છે. સરસ મજાનો ઢાંઢો આગળ વધતો હોય ને કોઈ ફુદ્દી કાપી જશે એ ડરે ચગેલો પતંગ ઉતારીને ઘરમાં ઘાલવો પડે એ તો બરાબર નથી ને !
પતંગ તો પાકિસ્તાનનો ય ભાર દોરીએ કપાય તેમ છે. તાલિબાને તેને હાથતાલી આપી છે ને તેને હાથના કર્યાં હૈયે વાગ્યા છે. ચીનની ચમચાગીરી પણ તેને ફળી નથી એટલે વેપારધંધા માટે તેણે ભારત તરફ નજર ફેરવી છે, પણ વિશ્વાસઘાત પાકનું બીજું નામ છે. તેનું પ્રોક્સીવોર ચાલુ જ છે ને સરહદે 400 આતંકીઓ ખડકીને તે ભારત સાથેના સંબંધો સુધારવા માંગે છે. તેની આતંકી પ્રવૃત્તિઓ તો તે ચાલુ જ રાખશે ને જરા પગભર થશે કે આપણાં ટાંટિયા આપણાં જ ગળામાં ભેરવશે. તે આપણી સરહદમાં આવીને પેચ નથી કાપતું, માથાં કાપી જાય છે. ગમે એટલું પડે તો પણ તે ટંગડી ઊંચી જ રાખશે. એવું જ ચીનનું છે. ઘડીકમાં તે સરહદી શાંતિની અપેક્ષા રાખે છે ને અંદરખાને યુદ્ધની તૈયારીઓ પણ કરતું રહે છે. આપણું સૈન્ય અત્યારે તો કહે છે કે યુદ્ધ થાય તો ભારત જીતશે. આમ તો યુદ્ધ કોઈએ ઈચ્છવા જેવું નથી, પણ ધારો કે થાય અને જીતે તો પણ વેઠવાનું ભારતને ન જ આવે એવું નથી. એ સાથે જ ચીન ભારતીય સરહદે ઘૂસીને કે તેની ધારે જે બાંધકામો કરે છે તેને ભારત અટકાવી નથી શકતું કે ઘૂસીને જે ભાગ કબજે કરે છે તેના પરથી મારી હઠાવીને તેને તગેડી નથી શકતું તો તે જીતશે કેવી રીતે તે પ્રશ્ન જ છે. ચીન અત્યારે સૌથી વધુ શેખી મારે છે. તેણે પોતીકો સૂર્ય બનાવ્યો છે ને હવે તેણે પોતાનો ચંદ્ર પણ બનાવ્યો છે, પણ તે સાચું નથી લાગતું. તેને કહેવાયને કે ભાઈ, તું તારા સૂર્ય, ચંદ્ર બનાવી શકે છે તો તારું ભારત પણ બનાવી લેને જેથી અસલી ભારતમાં મોં મારવાનું મટે. એટલું તો સમજ કે એકલી દોરી ચગતી નથી, સાથે પતંગ પણ જોઈએ !
દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી છે. જાણે કોઈએ પંજો ચગાવ્યો છે ! ઉત્તર પ્રદેશમાં ઠંડી છે, પણ ત્યાં રાજકીય ગરમાટો વધુ છે. યોગી આદિત્યનાથનું મંત્રીપણું અહંકાર અને તુમાખીથી ભરેલું છે ને તેની અસર એવી પડી છે કે કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યે દલિતો, પછાતોની અવગણના થતી હોવાનું માનીને રાજીનામું આપી સમાજવાદી પાર્ટીના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવનું શરણું સ્વીકાર્યું છે. તેમણે ત્યાં સુધી કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાંથી તે ભા.જ.પ.ને ખતમ કરશે. તેમને પગલે બીજા મંત્રી અને નેતા ને ધારાસભ્યોએ પણ ભા.જ.પ.ને રામ રામ કર્યા છે. એ જ રીતે સામી છાવણીમાંથી ભા.જ.પ. તરફ માથું ફેરવનારાનો લાભ પણ ભા.જ.પ.ને મળે જ છે છતાં, ભા.જ.પ.ની પ્રતિષ્ઠા અત્યારે તો દાવ પર લાગી જ છે તે સ્પષ્ટ છે. હજી ચૂંટણી નજીક આવવા દો. ખરી ઉતરાણ તો ફેબ્રુઆરીમાં છે. લોકો તો દિવસના પેચ કાપે, ચૂંટણીમાં ચગેલાં કંડીલ કપાય એવું પણ બને. વડા.પ્રધાન રોજ નવી યોજનાઓ જાહેર કરે છે, સ્ટાર્ટ અપથી નવા યુગમાં પ્રવેશવાની વાત પણ ચાલે છે ને એ બહાને યુવાનોને થાબડી પણ લેવાય છે, પણ મોટે ભાગની પ્રજાને જીવવાની તકલીફ છે. નોકરી નથી, કામ નથી ને વળી લોકડાઉનની બીકે લોકો વતન ભણી પાછા જઈ રહ્યા છે. એમને કૈં રાહત થાય તો આનંદ થાય. આ વખતે સંસદના 400 કર્મચારીઓ કોરોનામાં સપડાયા છે એટલે ઘણાંને બજેટની ચિંતા છે. એ મિત્રોને એટલું જ કહેવાનું કે ભાવ ઘટાડવા હોય તો બજેટની રાહ જોવાની થાય, જ્યાં મોંઘવારીમાં જ વધારો કરવાનો છે ત્યાં બજેટ હોય કે ન હોય, શું ફેર પડે છે? ને બજેટ સિવાય ભાવ વધે જ નહીં, એવું ક્યાં ય લખેલું નથી ! દોરી, પતંગ, પવન કે ગગન, કૈં પણ ન હોય તો ય આ દેશને ચગાવવાવાળા છે જ એટલે ખોટી ચિંતા ન કરો ને ઠુમકા મારો.
લાગે છે તો એવું કે આ વખતની ઉતરાણ સરકારી વિકાસ જેવી જ છે. આકાશમાં ઢગલો પતંગો ચગે છે એવી કોમેન્ટરી ચાલે છે ને ધાબે જઈને જોઈએ છીએ તો એક પણ પતંગ આકાશમાં દેખાતો નથી. લોકો સવારથી રાત સુધી રાહ જુએ છે કે એકાદ પતંગ તો દેખાય, પણ નથી દેખાતો. કમસેકમ આવી સરકારી ઉતરાણ તો નથી જોઈતી, કોઈને ! શું કહો છો?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 જાન્યુઆરી 2022