ભારત સહિત વિશ્વભરમાં ઓમિક્રોનની લહર કૂદકેને ભૂસકે હમણાં વધી રહી છે તેનાં કારણો :
(૧) નવતર મ્યુટેશનોને કારણે વાઈરસની શરીરના કોષો સાથે જોડાણ કરવાની ક્ષમતામાં વધારો.
(૨) પૂર્વ સંક્રમણ કે રસીથી તેયાર થયેલ રોગપ્રતિકારકતાને (ખાસ કરીને વાઈરસ શરીરમાં પ્રવેશે ત્યારે શરૂઆતી બચાવમાં ભાગ લેતા એન્ટિબોડીને) આંશિક રીતે ચકમો આપવો.
(૩) પહેલાના વેરિયન્ટ્સની સરખામણીએ નવા રૂપની સ્વપ્રતિકૃતિઓ બનાવવાની પસંદીદા જગ્યા ફેફસાંને બદલે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ (જેમાં નાક, શ્વાસનળીનો સમાવેશ થાય).
આ ત્રણેય કારણો વિષાણુની પ્રસારણ ક્ષમતામાં અનેકગણો વધારો કરી આપે છે.
વિચાર એ થાય કે ઓમિક્રોન સંક્રમણથી થતી બીમારી હળવી કે ઓછી ગંભીર ગણી શકાય? શું આ બે શબ્દોમાં કોઈ ફરક ખરો? અને ફરક હોય તો એ કેટલો? સ્વાભાવિક રીતે જ જવાબ સીધો ને સટ તો નથી. ‘જો’ અને ‘તો’ની કંઈ કેટલીય જોડીઓ વચ્ચે સાઠમારી કરાવવી પડે. પણ બીજા દેશોમાંથી ઉપલબ્ધ આંકડાના આધારે સારો નહિ તો ઓછો ખરાબ હોય એવો – અંદાજ તો જરૂર લગાવી શકાય. આ નોંધ પૂરતું ધ્યાન બે દેશો પર આપીશુંઃ સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ. બંને દેશોમાં ઓમિક્રોન લહર ભારત કરતાં ઠીકઠીક વહેલી ચાલુ થઈ છે. બંને દેશોનું સ્વાસ્થ્ય સેવાઓનું માળખું મહદ્ અંશે સરકારી દવાખાનાઓ પર આધારિત છે. આથી સ્વાસ્થ્ય સેવાઓને લગતા આંકડા જાહેર આરોગ્ય (પબ્લિક હેલ્થ) પર સમગ્રતયા પ્રકાશ પાડતા હોય છે. વધુમાં બંને દેશોનાં ઓમિક્રોન પહેલાંના કોવિડ-૧૯ સંક્રમણની સીરોપોસિટીવીટી ભારતની માફક ૭૦% કે તેથી વધુ રહી હતી. સાઉથ આફ્રિકાને સામેલ કરવાનું બીજું એક કારણ એ કે ત્યાંની પ્રજાની સરેરાશ આયુ ભારતની જેમ જ ૨૮-૨૯ વર્ષ છે.
સાઉથ આફ્રિકા ઈંગ્લેન્ડ
(૧) ડેલ્ટા લહરની સાપેક્ષે ઓમિક્રોન લહરમાં કેસોની ટોચ ૧૫૦% ૩૦૦%
(૨) અઠવાડિક કોવિડ સંલગ્ન મૃત્યુદર ૨૦-૨૫% (હાલ પૂરતું) ૨૫%
(૩) લહરનો સમયગાળો ૫૦% લહર ચાલુ
(૪) હોસ્પિટલમાં દાખલ થવાનો દર ૩૩% ૫૦% અને વધતો દર
દેશમાં કુલ રસીકરણ
– એક ડોઝ ૪૦% ૯૦%
– બે ડોઝ ૩૬% ૮૨%
– બૂસ્ટર ડોઝ – ૬૧%
– પ્રજાની સરેરાશ આયુ ૨૮ વર્ષ ૪૦ વર્ષ
ઉપરોક્ત માહિતીને આધારે લગાવી શકાતા અંદાજ (આ તમામ અંદાજ ભારતની કોવિડ સંલગ્ન માહિતી એકઠી કરવાની ક્ષમતા કેટલી બિનકાર્યક્ષમ છે તેને ધ્યાનમાં રાખીને લગાવ્યા છે. અનધિકૃત આંકડા-સંક્રમણના અને મૃત્યુના-સ્વાભાવિક રીતે જ ઘણાં ઘણાં વધારે રહે છે) :
(૧) ભારતમાં આ લહર પહેલાંની લહરની સાપેક્ષે ટૂંકી રહેશે. આશરે બેથી અઢી મહિના ચાલી શકે.
(૨) દૈનિક નવા સંક્રમણનો અધિકૃત આંકડો પાછલી લહરની ટોચ(- ચાર લાખ પ્રતિદિન)ને પાર કરી શકે છે.
(૩) રસીકરણ અને મોટી સંખ્યામાં પૂર્વ સંક્રમણને કારણે મૃત્યુદરમાં ઘટાડો જોવા મળશે. તે છતાં ખૂબ ટૂંકાગાળામાં અતિ મોટા વસ્તીભાગમાં સંક્રમણ ફેલાવાને કારણે કોવિડ સંલગ્ન અધિકૃત દૈનિક મૃત્યુઆંક પૂર્વ લહરની ટોચ કરતાં અંદાજે ૨૫થી ૩૦% જેટલો રહી શકે (આંકડામાં વાત કરીએ તો દૈનિક અધિકૃત મૃત્યુઆંક ૧૦૦૦ને પાર કરી શકે છે.)
(૪) રસી હજી સુધી નથી અપાઈ તેવા લોકોમાં, ખાસ કરીને બાળકોમાં ટકાવારી વધુ રહી શકે છે.
(૫) આ સિવાય, સ્વાસ્થ્યસેવાઓ પરના ભારણને કારણે અન્ય રોગોથી પીડાતા લોકોની સમસ્યાઓ, તેમના મૃત્યુદરની ગણતરી, Long Covidનો વ્યાપ કે તેની તીવ્રતા વિશે હાલ અનુમાન લગાવવું તો અસંભવ જણાય છે.
બીજો સવાલ એ થાય કે શું નવી દવાઓથી કોવિડ મૃત્યુદરને હજી વધુ નીચો લઈ જઈ શકાય?
આ પહેલાંની લહરમાં કોવિડ માટે ભારતમાં હાઈડ્રોક્સિક્લોરોક્વિન, રેમડીસીવીર, આઈવરમેક્ટીન, ટોસીલી જુમાબ, પ્લાસ્મા થેરાપી, ફાવીપીરાવીર પૈકીની એક પણ દવા કોવિડ મૃત્યુદર કે ‘લોંગ કોવિડ’ (કોવિડ ઈન્ફેક્શન મટી ગયા પછી પણ લાંબાગાળાની અસરો રહી જાય તે) ને નોંધપાત્ર અને અર્થપૂર્ણ રીતે નીચા રાખવામાં નિષ્ફળ નિવડ્યા હતાં. એ સિવાય, ભારતમાં ઉપલબ્ધ બે પ્રકારનાં એન્ટિબૉડી મિશ્રણ (શરીરમાં ઍન્ટિબૉડી બને તને બદલે બહારથી જ લેબોરેટરીમાં બનાવેલ આપવામાં આવે તે) ઓમિક્રોન વેરિયન્ટ સામે તેમની અસરકારકતા સાબિત કરવામાં નિષ્ફળ નીવડ્યાં છે.
તાજેતરમાં સી.ડી.એસ.સી.ઓ. દ્વારા ઈમરજન્સી ઉપયોગ માટે પરવાનગી પામેલી મોલ્નુપિરાવીર દવા ઓમિક્રોન સામે અગાઉ ધાર્યાં કરતાં કૈંક હદે ઓછી અસરકારક જણાય છે. મોટા ભાગના તબીબો પણ આ દવાનો પાંચ દિવસીય કોર્સ લખતાં હજી ખચકાય છે. તે છતાં ડેલ્ટા લહર દરમિયાન જે રીતનો અજંપોભર્યો લોકઉન્માદ રેમેડેસીવીર માટે જોવા મળ્યો હતો તે યાદ કરતાં થાય છે કે આવનારા ટૂંક સમયમાં આ દવાની પણ કાળાબજારી મોટા પાયે થવાની. ફાઈઝર કંપનીની નવી દવા પાક્સલોવીડ (Paxlovid) (નવતર રસાયણ નીરમાટ્રેલવીર અને જૂની જાણીતી એન્ટી એચ.આઈ.વી. દવા રીટોનાવીરનું મિશ્રણ) ક્લિનિકલ ટ્રાયલમાં હાલ ઉપલબ્ધ દવાઓ કરતાં ઘણું અસરકારક જણાયું છે. પરંતુ તેને ભારતીય ઉપયોગ માટે EUA મળતાં, અને બજારમાં આવતાં મહિનાઓ લાગી શકે છે.
એ સંજોગોમાં રસીકરણ, માસ્ક, સામાજિક અંતરની જાળવણી એ જ જૂના ઉપાયો શ્રેષ્ઠ છે. મેદસ્વિતામાં ઘટાડો અને ડાયાબિટીસને કાબૂમાં રાખવા એ બંને પણ કદાચ જ એટલાં જ મહત્ત્વનાં પગલાં છે જેના વિશે આપણે ત્યાંના કોરોના વિમર્શમાં ભાગ્યે જ ચર્ચા થઈ છે, એના વિશે ફરી ક્યારેક.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2022; પૃ. 01-02