ભારતીય જનતા પક્ષના ચૂંટણી ઢંઢેરામાં ઢોલ વગાડીને ઘોષણા કરવામાં આવેલી કે સત્તા પાર આરૂઢ થયાના એક વર્ષની અંદર વિદેશી બેંકોમાં ધરબાયેલ ભારતીય નાણું પાછું લાવવામાં આવશે અને તેમાંથી દરેક નાગરિકના ખાતે પંદર લાખ રૂપિયા જમા કરવામાં આવશે. કેવું રૂપાળું વચન?! હરેક સામાન્ય નાગરિક જાણે છે કે કોર્પોરેટ જગતના મોટા મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ લાખો રૂપિયાના ધણી છે અને એ ‘કાળાં નાણાં’ તેમની સામાન્ય કે ગરીબ સ્થિતિનું મૂળ છે. મહેનત કરીને નેકીની કમાણી જાહેર કરી, તેના પર આયકર કે વેચાણ વેરો ભરવાથી એ આવક ધોળું નાણું કહેવાય એ હવે બહુ થોડા માણસો જાણતા હશે. માસિક વેતન કે મુખ્ય વેચાણમાંથી થતી આવકથી વધુ ધન મેળવી, તે જાહેર ન કરી તેનો ઉપયોગ વૈભવી સુખ સાધનો વસાવવા માટે ખર્ચ કરવો એ જાણે હવે સમાજમાન્ય ધોરણ બની ગયું છે જેણે અમર્યાદ લાંચ રુશ્વતને જન્મ આપ્યો.
મોટા ઉદ્યોગપતિઓ, સીને કલાકારો, વેપારીઓ અને મોટી મોટી કંપનીના માલિકો જ ગેરરીતિ કરીને આવો ધન સંચય કરે છે એવી એક માન્યતા છે. હવે જ્યારે એવા ધનલક્ષ્મીઓને પાંખ ખંખેરવાની ફરજ પડી રહી છે્, ત્યારે બીજી કઈ કઈ જગ્યાએ ધનરાશિનો સંગ્રહ થાય છે એ તપાસીએ તો તેમાં ભારતના ધર્મસ્થાનકો અવ્વલ નંબરે આવે છે. થોડી વિગતો જાણવા મળી છે જે આધારભૂત માહિતી હોવાનો મારો દાવો નથી, પણ જો સત્યાંશ પણ હોય તો એ માહિતી આપણને વિચાર કરતા જરૂર કરે.
ભારતનાં કેટલાંક અતિ પ્રતિષ્ઠિત મંદિરોની આવકના આંકડા જોઈએ.
તિરૂપતિ બાલાજી: 1325 કરોડ રૂપિયા
વૈષ્ણોદેવી: 400 કરોડ રૂપિયા
સાલાસર બાલાજી: 300 કરોડ રૂપિયા
કાળીમાતા મંદિર – કોલકત્તા: 250 કરોડ રૂપિયા
રામકૃષ્ણ મિશન: 200 કરોડ રૂપિયા
જગન્નાથ પુરી: 160 કરોડ રૂપિયા
અયોધ્યા રામ મંદિર: 140 કરોડ રૂપિયા
શિરડી સાંઈબાબા: 100 કરોડ રૂપિયા
દ્વારિકાધીશ: 50 કરોડ રૂપિયા
વૈદ્યનાથધામ: 40 કરોડ રૂપિયા
અંબાજી ગુજરાત: 40 કરોડ રૂપિયા
ત્રાવણકોર: 35 કરોડ રૂપિયા
સિદ્ધિ વિનાયક: 27 કરોડ રૂપિયા
પદ્મનાભન: 5 કરોડ રૂપિયા
નીચેની એક વીડિયો કલીપ કઇંક એવી જ વાત કહી જાય છે તે જોઈએ:
https://www.youtube.com/watch?v=QyeqvfTCznM
આ યાદી હજુ લાંબી હોઈ શકે. આ સિવાય ભારતનાં નાનાં મોટાં મંદિરોની કુલ મળીને વાર્ષિક આવક 280 લાખ કરોડ જેટલી થવા જાય છે. જેની સામે ભારતનું કુલ અંદાજી ખર્ચ 15 લાખ કરોડ છે. હવે જો દરેક ભક્ત મંદિરોમાં આ ચઢાવો ન આપે અને કોઈ ગરીબ અસહાય વ્યક્તિને મદદ કરે તો ભારતમાંથી માત્ર ત્રણ વર્ષમાં ગરીબી તડીપાર થઇ જાય. માન્યમાં ન આવે એવી હકીકત છે.
જોવાનું એ છે કે રોકડ નાણું, સોના-ચાંદીના ઘરેણાં, ફળ-ફૂલ અને અન્ય ખાદ્ય સામગ્રીઓ ચડાવનારા ભક્તો ભજનમાં ગાય છે, “ભગવાન માત્ર કેવળ પ્રેમનો ભૂખ્યો છે, તેને પૈસાથી ખરીદી ન શકાય।” તો પછી આવા ચઢાવા શા કારણે? “તૂ હી દાતા, તુહી વિધાતા” એવું આંખો બંધ કરી ઝૂમી ઝૂમીને ગાતા દર્શનાર્થીઓ ઊભા થઈને પૈસા ધરીને ભગવાનને ભિખારી બનાવી દેતા ખચકાય નહીં. પોતાને સારી નોકરી મળે, પ્રમોશન મળે, બાળ-બચ્ચાંનો ધન ભંડાર ભર્યો ભર્યો રાખે એવી માંગણી કરી એ દાનેશ્વરીને જ ભોગ ધરવો એમાં કયો ન્યાય? વળી તમારા પૈસાથી ભગવાન નહીં, પૂજારી જ મોજ ઉડાવતા હોય છે, એ પણ બધા સારી પેઠે જાણે છે. તો પછી મંદિરોની મિલકતમાં દિન બ દિન વધારો કરવા પાછળ કઈ ધાર્મિક ભાવના કામ કરે છે?
વળી જો કોઈ ધારાસભ્ય કે મંત્રી અથવા કહો કે કોઈ મકાનના કોન્ટ્રક્ટરે પોતાની આવકમાંથી કર ન ભરીને નાણાંનો રંગ સફેદમાંથી કાળો કર્યો હોય એમ માલુમ થાય તો તેને પકડી પાડીને દંડ રૂપે સજા કરી શકાય. આ મંદિરની મિલકતો પર તો કોઈ પ્રકારનો કર ન લાગે, તેનો શો ઉપયોગ કે દુરુપયોગ થાય છે તેનો હિસાબ માંગવાનો કોઈને હક્ક નથી હોતો. તે ધનરાશિ કે આભૂષણોને કાળા નાણાં તરીકે નહીં પણ ભક્તોના શ્રદ્ધાથી કરેલ ‘ચઢાવા’ તરીકે જ ઓળખવામાં આવે તેથી એ કોઈ પણ સરકારની સત્તાથી પર રહેવાના.
આ તસ્વીરમાં અનેક દર્શનાર્થીઓ મંદિરના શિખર પાછળ અસ્ત થતા સૂર્યનું સૌંદર્ય ઝીલવા એકત્ર થયેલા જોઈ છે. તકલીફ એ છે કે આ જ યાત્રીઓ મંદિરમાં જઈને પોતાને થયેલ લાભ માટે અથવા અંગત માંગણીઓ સંતોષવા માટે મૂર્તિના ચરણે માથું ટેકવી એક મસ મોટી રકમ ધરશે અને બહાર નીકળે ત્યારે નીચેની તસ્વીરમાં દેખાય છે તેવું દ્રશ્ય નજરે પડે તો જોયું ન જોયું કરીને પોતાની કાર કે ટેક્સીમાં ઘર ભણી હંકારી જાય, એ પ્રજાના ધર્મ પ્રેમ માટે શું કહેવું?
જો આપણે સહુ ઈશ્વરના દર્શન કુદરત અને તેના તમામ માનવો સહિતના સર્વ પ્રકારના સર્જનમાં કરીએ તો મંદિરો પાસે આવી કોઈ મિલકત એકઠી થવાનો સવાલ જ ન રહે. કોઈ માઈનો લાલ પરીક્ષામાં પાસ થાય તો સત્ય સાંઈ બાબાનો આભાર માનવા મંદિરે રૂ. 1001 ચઢાવવાને બદલે જે માતા-પિતા પોતાના પુત્ર કે પુત્રીને પૂરતાં સાધનોના અભાવે ભણાવી ન શકતા હોય તેની ફીઝ ભરે તો ભગવાન કેટલો ખુશ થાય, એ કદી અનુભવી જોયું હોય તો ખબર પડે. દીકરાને ઘેર દીકરો આવે તો સોનાનું પારણું ચઢાવવાની ‘બાધા’ રાખે તેને બદલે બાળકો માટેની હોસ્પિસમાં એટલી જ રકમ આપીને મોતને સન્મુખ જોઈ રહેલ બાળક અને તેના માતા-પિતાના મુખ પર બે ઘડી આનંદ આપી શકીએ તો ભગવાનનો ખરો આભાર માન્યો કહેવાય એવું આપણો ધર્મ કેમ નથી શીખવતો?
આજે કાળા નાણાંનું પગેરું શોધતી સરકારને વિનંતી કે નાગરિકોને જેમ લક્ષ્ય બનાવે છે તેમ પવિત્ર ગણાતાં ધર્મસ્થાનોની તિજોરીને પણ પોતાની મિલકત જાહેર કરવાની અને તેના પર કર ભરવાની ફરજ પાડે, જે લોકહિત માટે આવશ્યક છે. જો સરકાર આવું ન્યાયી પગલું ભરવામાં પાછી પાની કરે તો સમાજના જાગૃત નાગરિકોએ આવું અભિયાન ઉપાડી લેવું રહ્યું. સાથે સાથે લોકોની ધાર્મિક શ્રદ્ધા અને ભગવાનને ખુશ કરવાનાં નામે ભોગ કે ચઢાવા ધરવાના માનસમાં પરિવર્તન લાવવાનું કામ કરશું તો જ મંદિરોમાં ધન વૈભવનો સંચય થતો અટકશે.
e.mail : 71abuch@gmail.com