જાણીતા રાજકીય સમીક્ષક અને અર્થશાસ્ત્રી સ્વામીનાથન અંકેસરિયા ઐયરે તેમની ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માંની કોલમમાં લખ્યું હતું કે જો પેલેસ્ટેનીઓએ હિંસાની જગ્યાએ સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો હોત તો તેમને તેમની હકની લડાઇમાં સફળતા મળી હોત .. તેમની આ વાત વિચારણીય છે.
અહિંસા ગાંધીજીની જીવનનિષ્ઠા હતી. ગાંધીજીની હયાતીમાં જ કેટલાક લોકોને સમજાઈ ગયું હતું કે અહિંસા ગાંધીજી માટે ભલે જીવનનિષ્ઠા હોય; શાંતિપૂર્વકનો સંઘર્ષ, પ્રતિકાર અને અસહકાર તો અકસીર છે. એ પણ ગાંધીજીના કહેવાથી સમજાઈ ગયું હતું એવું નહોતું. લોકમાન્ય તિલકે અને લાલા લજપતરાયે તો ગાંધીજીના અહિંસાના આગ્રહ સામે પ્રતિવાદ કર્યો હતો અને કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં ભલે અહિંસક લડત સફળ નીવડી હોય, ભારતમાં એ શક્ય નથી. એ તો ભારત આવ્યા પછી ચંપારણમાં કરેલા સત્યાગ્રહનાં પરિણામ જોઈને દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. જેનો સૂરજ આથમતો નહોતો એવાં બ્રિટિશ સામ્રાજ્યને અહિંસા અથવા શાંતિમય સંઘર્ષ દ્વારા ઝૂકાવી શકાય છે એનો ભારતનાં નેતાઓને અને દુનિયાને પરિચય થવા લાગ્યો હતો. દુનિયા કુતૂહલપૂર્વક ગાંધીજીને જોતી થઈ હતી.
વાત એમ છે કે હિંસા કરાવામાં રાજ્ય જેટલી શક્તિ ધરાવે છે એટલી શક્તિ પ્રજા સંગઠિતપણે પણ ધરાવતી નથી. અસંતુલિત મુકાબલો છે. એટલે રાજ્ય ગમે એટલો અન્યાય કરે, ગમે એટલો જુલમ કરે, ગમે એટલી મનમાની કરે, પ્રજાને એ સહન કરવા સિવાય રસ્તો નહોતો. લોકો સારા શાસકો માટે પ્રાર્થના કરે એ સિવાય કોઈ વિકલ્પ નહોતો. એટલે તો ભારતમાં જ્યાં જ્યાં રિયાસતોનો અંત આવતો હોય અને અંગ્રેજી રાજ્ય લાગુ થતું હતું ત્યારે લોકો તેનું સ્વાગત કરતા હતા. લોકોને એમ લાગતું હતું કે અંગ્રેજોનું રાજ્ય ન્યાયી છે અને ત્યાં કાયદો અને વ્યવસ્થા જળવાય છે. દલપતરામનું હરખ હવે તું હિન્દુસ્તાન નામની કવિતા તો જાણીતી છે.
ટૂંકમાં હિંસાના માર્ગે કયારે ય પ્રજા રાજ્ય સામે ટકી ન શકે. લોકો રહેમદિલી અને ન્યાય માટે આજીજી કરતા હતા. ગાંધીજી ભારત આવ્યા એ પહેલાં કાઁગ્રેસનાં નેતાઓ પણ માગણીઓનાં ઠરાવો કરતા હતા અને ક્યારેક પ્રતિનિધિમંડળને મોકલતા હતા. આ સિવાય બીજું શું કરવું એ કોઇને સૂઝતું નહોતું. દેખીતો અન્યાય થઈ રહ્યો છે પરંતુ તેનો અંત કઈ રીતે લાવવો? પ્રજા શું કરી શકે? હિંસક માર્ગે રાજ્ય સામે ટકી રહેવું અસંભવ છે. રાજ્ય અનેકગણી સંહારક શક્તિ ધરાવે છે.
આનો ઉપાય ગાંધીજીએ શોધી કાઢ્યો અને એ વિશ્વમાન્ય બનવા લાગ્યો. શક્ય હોય તો સંગઠિતપણે અને નહીં તો એકલા અન્યાય સામે અવાજ ઉઠાવવાનો, સાતત્યપૂર્વક સંઘર્ષ કરવાનો, રાજ્ય જુલમ કરે તો સહન કરી લેવાનો, હજુ વધુ જુલમ કરે તો હજુ વધુ સહન કરી લેવાનો, જેટલો જુલમ કરે એટલો સહન કરી લેવાનો અને એક દિવસ જુલમ કરનારાને જ શરમ આવવા લાગશે. અન્ય લોકો, અન્ય દેશો અને પ્રતિષ્ઠિત નાગરિકો જુલમ સહન કરનારાની વહારે ધાશે. જગતમાં બદનામી થશે અને સૌથી મોટી વાત એ કે જુલમ કરનાર રાજ્યને છે.
અહિંસક માર્ગે ભારતને આઝાદી મળી એ પછી જગતમાં ન જાણે કંઈ કેટલા ય લોકોએ અહિંસક અથવા શાંતિપૂર્વકના સંઘર્ષનો માર્ગ અપનાવ્યો. માર્ટીન લ્યુથર કિંગ, નેલસન મંડેલા, લેચ વાલેસા વગેરેએ ગાંધીનો માર્ગ અપનાવીને પોતપોતાના દેશોમાં સફળતા મેળવી હતી. જગત આખામાં કોઈ પણ દિવસે ઓછામાં ઓછાં દસ વીસ જગ્યાએ સત્યાગ્રહ ચાલતા જ હોય છે.
તો પછી પેલેસ્ટાઈનના લોકોએ ઈઝરાયેલ સામે સત્યાગ્રહનો માર્ગ કેમ નહીં અપનાવ્યો? તેમની નજર સામે જગતમાં સત્યાગ્રહો થઈ રહ્યા છે અને મોટાભાગના લોકોને સફળતા મળી રહી છે અને એ છતાં તેમણે અહિંસક સત્યાગ્રહનો માર્ગ નહીં અપનાવ્યો એનું શું કારણ? એનાં બે કારણ છે એક તો જિહાદ અને બીજું આગળ આ કોલમમાં મેં લખ્યું હતું એમ ઉમ્મા એટલે કે વૈશ્વિક મુસ્લિમ બંધુત્વ તેમ જ વૈશ્વિક મુસ્લિમ સારોકાર. શરિયા મુજબ જિહાદ એટલે કે ધર્મયુદ્ધમાં જે મૃત્યુ પામે છે તે સીધો જન્નતનો અધિકારી બને છે. આને કારણે સફળતા કરતાં મરી ફીટવાની તમન્ના પ્રબળ બનવા લાગી. તેઓ હિંસક હુમલાઓ કરીને જરૂર પડ્યે જન્નતનશીન થતા હતા, એ રીતે લડવૈયાઓને ગુમાવતા હતા અને ઇઝરાયેલને તેમને ત્રાસવાદી તરીકે ઓળખાવવાનો મોકો મળી ગયો. માત્ર ઇઝરાયેલ નહીં, જગત આખું તેમને ત્રાસવાદી તરીકે ઓળખાવે છે. છેવટે ઇઝરાયેલની સંહારક શક્તિ સામે તેઓ ટકી નથી શકતા. આ બાજુ મુસ્લિમ વૈશ્વિક બંધુત્વ અને મુસ્લિમ વૈશ્વિક સરોકાર કોઈ કામમાં નથી આવતા. સત્ય પેલેસ્ટાઈનના લોકોના પક્ષે હોવા છતાં તેઓ ઇઝરાયેલની સંહારક શક્તિ સામે પરાજિત થાય છે. માટે સ્વામીનાથન અંકલેસરિયા ઐયરે લખ્યું હતું કે જો પેલેસ્ટિનિયનોએ અહિંસક લડતનો માર્ગ અપનાવ્યો હોત તો તેમને સફળતા અવશ્ય મળી હોત અને તેઓ ત્રાસવાદી તરીકે ન ઓળખાતા હોત.
આજે જગતમાં ભાગ્યે જ કોઈ દેશ કે દેશની પ્રજા હશે જેણે ક્યારેકને ક્યારેક રાજ્ય સામે સત્યાગ્રહનો માર્ગ નહીં અપનાવ્યો હોય. આમાં અપવાદ છે મુસ્લિમ દેશો. હું ખોટો હોઈ શકું, પણ કોઈ મુસ્લિમ બહુમતી દેશમાં મુસ્લિમોએ સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો હોય એવું મારા જોવામાં નથી આવ્યું.
મુસ્લિમોએ જિહાદ અને સત્યાગ્રહ વચ્ચે તુલના કરવી જોઈએ. ખુલ્લી આંખે અસરકારકતા તપાસવી જોઈએ.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 17 ડિસેમ્બર 2023