નીતિ અને અર્થશાસ્ત્ર : ભાગ – ૨
અર્થશાસ્ત્રમાં મૂલ્યનો સિદ્ધાંત (Theory of Value) પ્રયોગમૂલક અને નૈતિક એમ બંનેનો સંયુક્ત વંશવેલો ધરાવે છે. એક તરફ એ વસ્તુઓની જે કિંમત હોય છે તે કેમ હોય છે તે સમજાવે છે; તો બીજી તરફ, તે વસ્તુઓની કિંમત કેટલી હોવી જોઈએ તે પણ સમજાવે છે. આ કિંમત જ ઉત્પાદકોના પ્રયાસોને અને ગ્રાહકોની જરૂરિયાતને ન્યાય આપે છે. એ એકબીજાનું શોષણ કરતાં લોકોને રોકવા માટે ઘડવામાં આવેલા નૈતિક કાયદા ઉપર આધારિત છે. ન્યાયી (just) કિંમતનો સિદ્ધાંત છેક એરિસ્ટોટલ સુધી જાય છે. મધ્ય યુગીન વિદ્વાનોએ તેની વિસ્તૃત સમજૂતી પણ આપી છે. તેમના આ વિચારનો પાયો દૈવી કે કુદરતી કાનૂનમાં છે એમ કહેવાયું છે. ન્યાયી કિંમત એ વાજબી સોદાનું માપ છે.
આધુનિક આર્થિક વિચારધારા અગાઉ ન્યાયી કિંમતને અછડતી રીતે પરંપરાગત કિંમત તરીકે જોવામાં આવતી હતી. આખો સમાજ જેને વાજબી સોદા તરીકે જોતો હતો તેનો સંદર્ભ પરંપરાગત કિંમત તરીકે જ હાથવગો હતો. જો કે, ૧૬મી અને ૧૭મી સદીમાં જે ભયંકર ફુગાવો થયો અને વૈશ્વિક સ્તરે જે વ્યાપાર વધ્યો, તેની સાથે જ બજાર કિંમત એ પરંપરાગત કિંમતથી વેગળી થઈ ગઈ. તેને પરિણામે એમ કહી શકાય કે નૈતિક અર્થતંત્ર ધંધાકીય અર્થતંત્રની તુલનાએ સંકોચાતું ગયું.
મૂલ્યનો શ્રમ સિદ્ધાંત એ ન્યાયી કિંમતના સિદ્ધાંતનું વ્યવહારુ સ્વરૂપ હતું. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ એટલે કે એડમ સ્મિથ અને તેમના અનુયાયીઓ તથા ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રીઓએ ઉત્પાદક અને અનુત્પાદક શ્રમ એમ બે શ્રમ અલગ કરી નાખ્યા. મૂલ્યના શ્રમ સિદ્ધાંતનો ઈરાદો એ હતો કે કિંમતના એ ભાગને અલગ ગણવો કે જે મૂલ્યનો ભાગ નથી, પણ જે ખરેખર તો ભાડું છે. આર્થિક ભાડું એવી કિંમત છે કે જેનો વાસ્તવિક ખર્ચ સાથે કશો સંબંધ નથી, તે તો જમીન અને નાણાંના માલિકોને તદ્દન મફતમાં મળે છે. પ્રશિષ્ટ મધ્ય યુગીન અન્યાયી કિંમત એટલે વ્યાજખોરી, લોન ઉપર લેવામાં આવતું વ્યાજ. એ અન્યાયી કે ગેરવાજબી કેવી રીતે?
વ્યાજ નાણાંમાંથી નાણું જન્માવે છે માટે એ અન્યાયી છે. તમારે જેનો સહેજે ઉપયોગ નથી એવું નાણું ધિરાણમાં આપો તો તેમાં કશો ખર્ચ થતો નથી અને તેથી તમને એમાંથી કશું મળે એનો તમને અધિકાર નથી.
એડમ સ્મિથ અને ડેવિડ રિકાર્ડો, બંનેએ એ સ્વીકાર્યું હતું કે લાંબા ગાળાની કે સામાન્ય કિંમત શ્રમના પ્રયાસોથી સમજી શકાય છે, બજાર ભાવથી નહિ. તેનું કારણ એ છે કે બજારના ભાવ તો બદલાયા જ કરે છે. તેમણે શ્રમના પ્રયાસોની કિંમત એટલે કુદરતી કિંમત અને બજાર કિંમત વચ્ચે ભેદ પાડ્યો હતો. એડમ સ્મિથે હીરા અને પાણી વચ્ચેનો વિખ્યાત કોયડો રજૂ કર્યો હતો. તેમણે પૂછ્યું હતું કે જિંદગી માટે હીરા તદ્દન નકામા છે અને પાણી જિંદગી માટે ખૂબ જ ઉપયોગી છે છતાં હીરા કેમ મોંઘા છે અને પાણી કેમ સસ્તું છે? એડમ સ્મિથ દ્વારા તેનો જવાબ એમ અપાયો હતો કે, “હીરા ખાણમાંથી બહાર કાઢવાનું બહુ મુશ્કેલ અને ખર્ચાળ છે.” તેના પરથી તેઓ એવા તારણ પર આવ્યા હતા કે “માણસ જે મહેનત કરીને મુશ્કેલ ચીજ મેળવવા માગે છે તેની કિંમત વધારે હોય છે.”
એડમ સ્મિથને અનુસરતાં મૂલ્યનો શ્રમ સિદ્ધાંત જટિલ બની ગયો. શું મૂડીપતિનો શ્રમ પણ વળતરને લાયક છે? ડેવિડ રિકાર્ડો કહે છે કે મૂડી એ સંઘરેલો શ્રમ છે. એમ કહીને તેમણે મૂલ્યના શ્રમ સિદ્ધાંતમાં મૂડીપતિનું વળતર દાખલ કરી દીધું. મૂડીપતિની કરકસર અથવા બચતને પરિણામે જ મૂડી અસ્તિત્વમાં આવે છે. મૂડીપતિની બચત જ શ્રમિકોની પીડાદાયક મહેનતને મૂલ્ય અર્પે છે.
રિકાર્ડોના કિસ્સામાં મૂલ્યનો શ્રમ સિદ્ધાંત એ ઉત્પાદનના ખર્ચનો સિદ્ધાંત બની ગયો. તેનું એક મૂળ મધ્ય યુગના ન્યાયી કિંમતના વિચારમાં પડેલું છે. પરંતુ તેનો ઈરાદો સ્વહિતને કોઈક નૈતિક મહત્તા આપવાનો હતો, સ્વાર્થમાં મૂલ્યનું આરોપણ કરવામાં આવ્યું – ભાવિ વપરાશ માટે વર્તમાન વપરાશનું બલિદાન. આમ, નફાને એ બલિદાન માટેના ન્યાયી પારિતોષિક તરીકે જોઈ શકાય. બહુ મોડેથી પછી નફો એ જોખમ ઉઠાવવાનું કે સાહસ કરવાનું વળતર છે એવો વિચાર ઉદ્ભવ્યો.
કાર્લ માર્ક્સનું કામ જુદું હતું. તેમણે મૂલ્યના શ્રમ સિદ્ધાંતને સ્વીકાર્યો. તેમનો ઈરાદો મૂડીવાદી વર્ગના નફાને વાજબી ઠેરવવાનો નહોતો, પણ મૂલ્યના સમીકરણમાંથી મૂડીવાદી વર્ગને દૂર કરવાનો હતો. મૂડીવાદી નાણાંની વપરાશ કરતો નથી તેને તેના નફા સાથે કશી લેવાદેવા નથી; પણ તે શ્રમ કરતો નથી તેની સાથે નફાને સંબંધ છે. નફો કામદાર જે અધિશેષ મૂલ્ય પેદા કરે છે તે મૂડીવાદી લઈ લે છે તે છે. દા. ત. કામદાર આઠ કલાક કામ કરે છે પણ તેને પાંચ કલાકના શ્રમનું જ વળતર આપવામાં આવે છે. આ બે વચ્ચેનો તફાવત એટલે મૂડીપતિનું ભાડું, તેણે મહેનત નહિ કરીને મેળવેલી આવક. માર્ક્સવાદીઓ તેને શ્રમનું શોષણ કહે છે.
આ શોષણ શક્ય બને છે કારણ કે મૂડીવાદી મશિનોનો માલિક હોય છે. તેથી શ્રમિક પાસે તેનો શ્રમ વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. આમ, એક વિશિષ્ટ અન્યાયી સોદાબાજી થાય છે: કામદારે તેને મૂડીવાદી જે વેતન આપે તે સ્વીકારી લેવું પડે છે, ભૂખમરો પણ વેઠવો પડે.
(ક્રમશ:)
સ્રોત: લેખકનું પુસ્તક : ‘What is Wrong with Economics?’
પ્રકરણ: ‘Ethics and Economics’.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર