લાગે છે તો એવું જ ! માણસાઈ માણસમાં જ હોય છે, પણ કમનસબી એ છે કે એ માણસમાં જ નથી હોતી. સરકારે મોટા પાયે શિક્ષણનો ઉદ્યોગ શરૂ કર્યો છે. એને માટે તે ભારે ઉદ્યમ અને ઉપદ્રવ કરે છે. રોજ જ તેને તુક્કાઓ આવે છે ને મુક્કાઓ વિદ્યાર્થીઓને, વાલીઓને, શિક્ષકોને પડે છે. સરકારી સ્કૂલોનો ખર્ચ ન પરવડે એટલી સરકાર ગરીબ થઈ ગઈ છે. એ બોજ ખાનગી સ્કૂલોને લાઇસન્સ આપીને સરકાર ઘટાડવા માંગે છે. ખાનગી સ્કૂલો એ.સી. કારખાનાની જેમ ચાલે છે. એમાં તમામ સ્તરે શોષણ, શાળા સંચાલકોનું લક્ષ્ય હોય છે. સંચાલક માનવતાવાદી હોય કે માણસાઈથી ફાટફાટ થતો હોય તો તે સ્કૂલ સંચાલક તરીકે નિષ્ફળ જાય. એ નિષ્ફળ જાય તો વાલીઓ પાસે વધારાના પૈસા છે તે ફી ઉપરાંત બીજે નાંખશે ક્યાં? શિક્ષકોના ઓછા પગારનું અને બાળકોની મોંઘી ફીનું ધોરણ તો જળવાવું જોઈએને ! એ કોણ જાળવે? એનો જવાબ છે – શાળા સંચાલકો. એટલે જ શાળા સંચાલકો નિષ્ઠુર, નફ્ફટ ને નફાખોર હોય છે. એ છે તો ખાનગી સ્કૂલોનો ધંધો ચાલે છે. ચા કરતાં કીટલી ગરમ – એ ન્યાયે આ સંચાલકો મોટે ભાગે ઉધ્ધતાઈ અને શાહી ફરમાનોથી વગર શિયાળે પણ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને થરથરતા રાખે છે. કેટલાક તો સરકારી પરિપત્રોને પણ ઘોળીને પી જાય છે. એમનો દબદબો તુમાખીમાંથી વિકસે છે. કેટલાક સંચાલકો સારા પણ હશે, પણ મોટેભાગના તો નફાખોર વેપારીઓ જ છે.
ગયા જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશના કાનપુરમાં એટલી ઠંડી પડેલી કે 131 લોકોનાં હાર્ટ એટેકથી મૃત્યુ થયેલાં. ગુજરાતમાં પણ ઠંડીએ કેર વર્તાવેલો. રાજકોટમાં આઠમાંની એક વિદ્યાર્થિની વર્ગખંડમાં એકાએક ઢળી પડેલી અને દસેક મિનિટમાં જ મૃત્યુ પામેલી. એ જ રીતે વલસાડની કોલેજનો એક વિદ્યાર્થી કોલેજ પરિસરમાં ચાલતા ચાલતા ઢળી પડેલો ને હોસ્પિટલ પહોંચે તે પહેલાં મૃત્યુ પામેલો. હવે તો હાર્ટ એટેકથી મરવાનો જાણે ટ્રેન્ડ શરૂ થયો છે. રોજ હાર્ટ એટેકથી બે પાંચ મૃત્યુ થવાનું સામાન્ય થઈ પડ્યું છે, પણ અહીં જે વિદ્યાર્થીઓના દાખલા આપ્યા છે તેમાં ઠંડીએ વધારે ભાગ ભજવેલો તે નોંધવું ઘટે. ડૉક્ટરોનું પણ માનવું છે કે ઠંડી તીવ્ર હોય તો કાર્ડિયાક એરેસ્ટનું જોખમ વધી જતું હોય છે. આવી સ્થિતિમાં બાળકોને સ્કૂલનું સ્વેટર પૂરતું નથી થતું. ઠંડીથી પૂરતું રક્ષણ ન થતું હોઈ, વાલીઓ પોતાનાં બાળકોને વધારાનું સ્વેટર કે જેકેટ પહેરાવીને મોકલે છે, પણ સ્કૂલોને તે જોઈને વધારે ટાઢ ચડે છે ને સ્કૂલનાં જ સ્વેટરનો આગ્રહ જડભરતની જેમ રાખે છે. રાજકોટ અને સુરત જિલ્લાના શિક્ષણાધિકારીએ પરિપત્રો બહાર પાડયા કે સ્કૂલે નક્કી કરેલા સ્વેટરનો આગ્રહ જતો કરવો અને કોઈ પણ ગરમ વસ્ત્રોમાં વિદ્યાર્થીઓ આવે તો તેમને વર્ગમાં બેસવા દેવા. ઠંડીને કારણે જ કેટલીક સ્કૂલોનો સવારના સાતનો સમય બદલીને આઠનો કરાયેલો.
આ વખતે અગમચેતી વાપરીને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ 7 ડિસેમ્બર, 2023ને રોજ એવી તાકીદ કરી કે સ્કૂલે આવતાં બાળકોને ચોક્કસ પ્રકારનાં સ્વેટર કે ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકાશે નહીં. જો કોઈ સ્કૂલ એવી ફરજ પાડશે તો તેની સામે પગલાં ભરવામાં આવશે. આ વાત કરતી વખતે શિક્ષણ મંત્રીને એ ખબર છે કે કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને નક્કી કરેલી દુકાનેથી સ્વેટર કે ગરમ કપડાં ખરીદવાની ફરજ પાડતી હોય છે. એ અંગેની ઘણી ફરિયાદો મળવાને કારણે ખુદ શિક્ષણ મંત્રીએ આવી તાકીદ કરવી પડી છે. એ જ તારીખે રાજકોટ DEOએ બહાર પાડેલા પરિપત્રમાં પણ એ જ મુદ્દે એવી સ્પષ્ટતા કરી છે કે ઠંડીમાં સ્કૂલે આવતાં બાળકોને, તેઓ ઈચ્છે તેવાં ગરમ સ્વેટર કે જેકેટ પહેરવાની છૂટ આપવી.
આમ છતાં કેટલીક સ્કૂલોની જડતા એવી ચરમસીમાએ હોય છે કે તે વિદ્યાર્થીઓની જિંદગીને ભોગે પણ અવ્યવહારુ નિયમોને જીવની જેમ વળગી રહે છે. બને કે કેટલીક સ્કૂલોને પરિપત્રો ન મળ્યા હોય ને નિયમ પાલનનો આગ્રહ છૂટતો ન હોય, પણ આવો પરિપત્ર તો અગાઉ જાન્યુઆરીમાં પણ થઈ ચૂક્યો છે ને એ સામાન્ય સમજનો પ્રશ્ન છે કે તે કોઈ પણ ઠંડીની ઋતુમાં લાગુ પડે, પણ અહીં નિયમ કરતાં પણ નફાના દાખલા વધારે ગણાતા હોય છે. વિદ્યાર્થીઓ સ્કૂલે નક્કી કરેલું સ્વેટર પહેરવાને બદલે પોતે ખરીદેલું સ્વેટર પહેરે તો સ્કૂલોને મળતું કમિશન ઘટે. આ ધંધો ચાલતો હોય ત્યાં સ્વેટર પણ કેવી ક્વોલિટીનાં હોય તે સમજી શકાય એવું છે. પણ ક્વોલિટી સાચવવા જાવ તો કમિશન ઘટે ને એવી ખોટ ખાવા કેટલી ય સ્કૂલો તૈયાર હોતી નથી. હવે કોઈ એવું કહે કે અમે કમિશન ખાતાં નથી, તો એને કરમુક્ત મનોરંજન સમજીને ભૂલી જવાનું રહે. જેને નફાનો સવાલ નથી, તે તો જડ આગ્રહો પણ ન રાખે ને વ્યવહારુ નિર્ણય લેવામાં વિલંબ ન જ કરે.
બીજી તરફ આચાર્યો ને શિક્ષકો તેમને અનુકૂળ સ્વેટર, શાલ કે જેકેટ પહેરીને સ્કૂલે જઈ શકે છે. તેમને કોઈ બંધન નથી, પણ વિદ્યાર્થીઓએ તો ગણવેશના ભાગ જેવું પાતળું સ્વેટર જ પહેરવાનું રહે છે. આ કોઈ રીતે યોગ્ય નથી. ઠંડી શિક્ષકોને વધારે લાગે ને વિદ્યાર્થીઓને ઓછી લાગે એવું ન હોય તો, કોઈ પણ બ્રાન્ડનું સ્વેટર કે જેકેટ પહેરતાં વિદ્યાર્થીઓને રોકી શકાય નહીં. વાલીઓ આનો વિરોધ એટલે પણ કરતાં નથી કે કેટલીક સ્કૂલો એવા વિદ્યાર્થીઓને દાઢમાં રાખે ને ઠંડી પછી પણ એમને ધ્રુજાવતી રહે.
7મી તારીખે અનુકૂળ સ્વેટર પહેરવાની છૂટ આપતો પરિપત્ર બહાર પડે છે ને 14મી ડિસેમ્બરે વલસાડની શેઠ આર.જે.જે. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 7 વર્ષની એક વિદ્યાર્થિનીને તેની ટીચર ઠંડીમાં સ્કૂલને માન્ય નહીં, તેવું પહેરેલું જેકેટ કઢાવે છે ને ચાલુ પંખા નીચે બેસવાનું થતાં બાળકીને શરદી થઇ જાય છે. રાજ્ય સરકારે સ્કૂલોનું સ્વેટર પહેરવું ફરજિયાત નથી એવો પરિપત્ર કર્યો, છતાં કેટલીક સ્કૂલો પરિપત્રોને નથી જ ગાંઠતી. બુધવારે શેઠ સ્કૂલની બાળકી, સ્કૂલનું સ્વેટર ભીનું થઈ જવાથી જેકેટ પહેરીને આવી. એ અંગેની બાળકીની માતાએ સ્ટાફ રૂમમાં જાણ પણ કરી હતી, છતાં ટીચરે જેકેટ કઢાવ્યું. વાલીએ એ અંગેની લેખિત ફરિયાદ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરી છે. શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. હકીકતો તો તપાસ પછી બહાર આવશે. આવશે?
દિવાળી પહેલાં શેઠ સ્કૂલે નેવી બ્લૂ કલરનું સ્વેટર નક્કી કર્યું હતું. મોટાભાગના વાલીઓએ એ પ્રમાણે સ્વેટર ખરીદી પણ લીધાં હતાં. કોઈ પણ કલરનું સ્વેટર પહેરી શકાય એવો પરિપત્ર તો પછી થયો. જો કે, પરિપત્ર 7મીએ બહાર પડ્યો ને ઘટના 14મીએ બની, એટલે સ્કૂલો એવી દલીલ કરે કે પરિપત્રની ખબર ન હતી, તો એ માની શકાય એવું નથી. કોણ જાણે કેમ, પણ આચાર્યાને આ ઘટનાની જાણ નથી. એમનું કહેવું છે કે આવી કોઈ ફરિયાદ તેમની પાસે આવી નથી. એમનું તો ત્યાં સુધી કહેવું છે કે સ્વેટર કઢાવ્યાની ઘટના એમની સ્કૂલમાં બની જ નથી. એમના જ કહેવા મુજબ પરિપત્રની જાણ શિક્ષકો અને વાલીઓને કરવામાં આવી છે. જો શિક્ષકો આ વાત જાણતા હોય તો 7 વર્ષની છોકરીને ઠંડીમાં પંખા નીચે બેસવું પડ્યું એને માટે સંબંધિત ક્લાસ ટીચર જવાબદાર છે, કારણ પરિપત્રની જાણ હોવા છતાં બાળકીને ઠંડીમાં જેકેટ વગર બેસાડવામાં આવી. બહુ તો બાળકીને કે વાલીને ચેતવી શકાયાં હોત કે હવે પછી આવું ચાલશે નહીં, પણ તેમ ન કરતાં ક્લાસ ટીચરે ઠંડીમાં જેકેટ કઢાવ્યું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ મામલે પગલાં ભરવાં જોઈએ.
આવી આ એક જ સ્કૂલ છે, એવું નથી. વલસાડ ઉપરાંત વાપી, પારડીની ઘણી સ્કૂલોમાં પણ આવું જક્કી વલણ અપનાવવામાં આવે છે. આમ તો સ્કૂલનું જ સ્વેટર પહેરાવવાનો આગ્રહ રખાય છે, છતાં એ સ્વેટરમાં કોઈને વધુ ઠંડી લાગતી હોય તો થર્મલ પહેરવાનું કહેવાય છે. એટલે સ્કૂલનાં સ્વેટર પર થર્મલનો ખર્ચો વધારામાં ! કોઈ પણ સ્વેટર કે જેકેટ પહેરવાની છૂટ સરકારે આપી હોય તો સ્કૂલો આવા વાહિયાત આગ્રહો રાખી જ કઈ રીતે શકે? વર્ષમાં બબ્બે વખત કોઈ પણ સ્વેટર કે જેકેટ પહેરવાના પરિપત્રો બહાર પડતાં હોય ને સ્કૂલો તેની ઐસી તૈસી કરીને પોતાનું સ્વેટર પહેરાવવાની હઠ છોડે જ નહીં, એમાં માણસાઈના અભાવનો અને નફાખોર માનસિક્તાનો જ પડઘો પડે છે.
એ અત્યંત દુ:ખદ છે કે જ્યાં સૌથી વધુ માનવતા અને સંવેદનશીલતાની અપેક્ષા છે, એ સ્કૂલો આટલી ક્રૂર, નિષ્ઠુર અને સંવેદનહીન હોય છે. ઠંડીના દિવસોમાં થોડી ઉદારતા દાખવવાનું સ્કૂલોને કેમ પરવડતું નહીં હોય તે સમજાતું નથી. ઘણા બધા મુદ્દે ચોક્કસ જણાતા શિક્ષકો ઘણીવાર આખું કોળું દાળમાં જતું જોઈ રહે છે. તેમને ત્યારે કોઈ નીતિ, નિયમો યાદ આવતાં નથી તે દુ:ખદ છે ને તેથી ય વધારે દુ:ખદ તો શિક્ષણ જેટલા જ સંચાલકો, શિક્ષકો અવ્યવહારુ અને અમાનવીય થયા છે તે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 ડિસેમ્બર 2023