નીતિ અને અર્થશાસ્ત્ર : ભાગ – ૩
ઉત્પાદનના ખર્ચ અંગેના તમામ સિદ્ધાંતો જે સમસ્યાનો સામનો કરે છે તે એ છે કે ઝડપથી વિસ્તરતા અને વધુ ને વધુ અનિયંત્રિત બજારમાં વસ્તુઓની જે કિંમત હોય છે તેને તે પેદા કરવામાં જે કલાકો શ્રમ થયો હોય છે તેની સાથે કશો સંબંધ હોતો નથી. લાંબા ગાળાની, અથવા સામાન્ય અથવા કુદરતી કિંમત સતત ફેલાતા જતા વિનિમયના સંબંધોના જાળામાંથી સહેજે ઊભા થતા જ નથી. ભાવતંત્રમાં નૈતિક લંગસિયાનો અભાવ દેખાય છે. મૂલ્યનો સિદ્ધાંત વસ્તુઓના ભાવનું ખરું વર્તન સમજાવી શક્યો નહિ અને તે સ્પષ્ટ રીતે ખામીયુક્ત હતો. ૧૮૭૦ના દાયકાથી ઉત્પાદન ખર્ચનો સિદ્ધાંત માંગ અને પુરવઠાના સિદ્ધાંતમાં ધોવાઈ ગયો. તેમાં તો વસ્તુની અછત અને ગ્રાહકોની માંગને આધારે સંયુક્ત રીતે બજાર ભાવ નક્કી થાય છે એમ પ્રતિપાદિત થઈ ગયું.
એડમ સ્મિથ દ્વારા હીરાના ભાવ વધારે હોય છે તેનું કારણ ખાણથી બજાર સુધી તેને જતાં જે ખર્ચ થાય છે તે છે એમ સમજાવવામાં આવ્યું. પરંતુ તેમના સખત ટીકાકાર રિચાર્ડ વોટલીએ એ જ સમયે કહેલું કે મોતીના ભાવ એટલા ઊંચા નથી હોતા કારણ કે મનુષ્યે સમુદ્રમાં ડૂબકી લગાવીને મોતી મેળવવા પડે છે. એડમ સ્મિથ દ્વારા કંઈક અંશે એ વાત સ્વીકારાયેલી અને કહેલું કે વસ્તુની અછત અને વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા તેમ જ તેના ઉત્પાદનનું ખર્ચ વસ્તુની કિંમત પર અસર કરે છે.
હીરા અને પાણીની કિંમત અંગેના કોયડાનો ઉકેલ સીમાંતવાદ(marginalism)થી બે રીતે આવ્યો. પહેલું તો એ કે જરૂરિયાતો (needs) અને ઈચ્છાઓ (wants) વચ્ચેનો ભેદ કાઢી નાખવામાં આવ્યો. બંનેને વ્યક્તિના ઉપયોગિતા (utility) અથવા તુષ્ટિગુણ વિશેના વિચારમાં સમાવી લેવામાં આવ્યાં. જુદી જુદી વસ્તુઓ લોકોને જુદા જુદા પ્રમાણમાં સુખ આપે છે. તેથી જેટલું સુખ કે ઉપયોગિતા કે તુષ્ટિગુણ તેટલો ભાવ, અને તેમાં તે વસ્તુની તુલનાત્મક અછત પણ ભાવ નક્કી કરે. સીધીસાદી ભાષામાં એમ કહેવાય કે લોકો કોઈક વસ્તુ માટે એ કિંમત ચૂકવે છે કે જે તેમને કેટલી જરૂરી છે અને તેની કેટલી અછત છે. લોકોને અમુક વસ્તુ જોઈતી હોય પણ તે વિનામૂલ્યે મળે એમ બને જો તેની અછત જ ન હોય. પાણી એ સામાન્ય રીતે મફત મળતી ચીજ છે, પણ રણમાં તેની કિંમત હોય; હવા મફત હોય જો માણસ ગૂંગળામણ ન અનુભવતો હોય, વગેરે.
સીમાંતવાદીઓએ બીજું એમ કહ્યું કે વસ્તુઓના ભાવ કેટલું સુખ વ્યક્તિને તેમનાથી મળે છે એના પર આધાર રાખે છે. વિલિયમ જેવોન્સ દ્વારા એમ કહેવામાં આવ્યું કે જરૂરિયાતો સંતોષાય તો તેમાંથી કુલ કેટલું સુખ મળ્યું તે માપવાની જરૂર નથી પણ કઈ વસ્તુમાંથી વધારે સુખ મળ્યું તે માપવાની જરૂર છે. જુદી જુદી વસ્તુમાંથી જુદું જુદું સુખ મળે છે અને કઈ વસ્તુમાંથી બીજી વસ્તુ કરતાં વધારે સુખ મળે છે તે અગત્યનું છે કે જેથી સુખ મહત્તમ થાય. જેવોન્સ દ્વારા એવી આગાહી કરવામાં આવી કે વ્યક્તિને મળતા સુખની ગણતરી આંકડામાં કરવામાં આવે તો અર્થશાસ્ત્ર કુદરતી વિજ્ઞાન (natural science) જેવું બની જશે.
આમ, સીમાંતવાદે કિંમતના ઉત્પાદનના ખર્ચના સિદ્ધાંતને ફગાવી દીધો. શ્રમને મૂલ્યનું સ્રોત ગણી શકાય નહિ કારણ કે વસ્તુ પેદા કરવામાં જે શ્રમ ખર્ચાય છે તે તો જતો રહે છે અને કાયમ માટે ગુમાવી દેવાય છે. વેતન વસ્તુના મૂલ્યનું કારણ નથી પણ તેની અસર છે. વધુ પ્રયાસો કરવામાં આવે તો સૈદ્ધાંતિક રીતે પુરવઠો વધે, પણ ઈચ્છાબળ વિના તો તે થાય જ નહિ.
આ સીમાંતવાદ વૈજ્ઞાનિક તેમ જ રાજકીય વિજય હતો. જૂના મૂલ્યના સિદ્ધાંતના ઘણા કોયડા તેણે સમજાવી દીધા. જેમ કે, દુર્લભ ચિત્રોની કિંમત. તે તો કાયમ માટે ગુમાવી દેવાયેલા શ્રમથી બનેલાં હોય છે. તેણે માર્ક્સના શોષણના સિદ્ધાંતને પણ કચરાટોપલીમાં ફેંકી દીધો. જો કે, વસ્તુ વાપરવાથી મળતા વ્યક્તિના સુખની તીવ્રતા કેટલી છે તે માપવામાં આ સીમાંતવાદનો સિદ્ધાંત નિષ્ફળ ગયો એ વાત જુદી છે.
વધારે ગંભીર વાત એ છે કે મૂલ્યનો નૈતિક અર્થ ગુમાવી દેવાયો. વસ્તુઓની અછત છે અને વ્યક્તિ તેમાંથી કેટલું સુખ મેળવવાની અપેક્ષા રાખે છે તેના પર જ મૂલ્ય આધાર રાખે છે. બજાર ભાવથી પર કશું નથી. બજાર ભાવ તો જ અન્યાયી હોય જો બજારમાં ઇજારાને લીધે હરીફાઈ નિયંત્રિત થતી હોય. એટલે પછી એમાંથી મુખ્ય પ્રવાહની આર્થિક નીતિમાં એક ધોરણ એ બની ગયું કે બજારને વધુ ને વધુ સ્પર્ધાત્મક બનાવવું.
આ રીતે વ્યક્તિએ વ્યક્તિએ વસ્તુનું મૂલ્ય બદલાય છે એવા સિદ્ધાંતે અર્થશાસ્ત્રની પદ્ધતિમાં પરિવર્તન આણ્યું. જ્યાં સુધી ખર્ચના સંદર્ભમાં વસ્તુનું મૂલ્ય અંકાય છે, ત્યાં સુધી અર્થશાસ્ત્રનો વિષય કંઈક અંશે સામાજિક રહ્યો, અને કિંમતની ઘટના શુદ્ધ રીતે બજારના સંબંધો પર આધારિત બની. એક વાર એમ સમજાયું કે બજારની આ ઘટના વ્યક્તિગત પસંદગીનું પરિણામ છે અને જે સામાજિક ઘટના દ્વારા તેને સમજાવવામાં આવે છે તે પણ વ્યક્તિગત પસંદગીનું પ્રતિબિંબ છે; પછી તરત જ અર્થશાસ્ત્રનું સામાજિક પાસું ફેંકાઈ ગયું. ગાણિતિક અર્થશાસ્ત્ર દ્વારા આ વાતને ઔપચારિક સ્વરૂપ આપી દેવાયું.
અર્થશાસ્ત્ર તેનો બૌદ્ધિક વારસો સદંતર છોડી શક્યું નહિ. આર્થિક જીવનમાં સમતુલા અને કુદરતી કિંમતનાં મોડેલ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા સતત ચાલુ રહી. તેને પરિણામે ન્યાયી કિંમતના સિદ્ધાંત માટેનો તેનો લગાવ તો રહ્યો જ નહિ. ‘કુદરતી’ શબ્દ પ્રત્યેનું વળગણ હજુ પણ યથાવત્ છે. જેમ કે કુદરતી બેકારી, વ્યાજનો કુદરતી દર. મૂલ્યના વાસ્તવિક ખર્ચના સિદ્ધાંતોનાં આ ભૂત હજુ ધૂણે છે. પણ એ માત્ર ભૂત જ છે : મૂલ્ય તો એ છે કે જે તમે બીજા પાસેથી ખેંચી લો છો.
(ક્રમશ:)
સ્રોત:
લેખકનું પુસ્તક: What is Wrong with Economics?
પ્રકરણ: Ethics and Economics.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર